Opinion Magazine
Number of visits: 9969293
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઠાકોરસાહેબનો ગામધુમાડો: આખા દેશને સહકુટુંબ અનામત

રમેશ ઓઝા|Opinion - Opinion|10 January 2019

હિન્દુ, મુસલમાન, જૈન, ઈસાઈ, પારસી કોઈ બાકી નહીં. શરત માત્ર એટલી કે તે દલિત, આદિવાસી અને અન્ય પછાત કોમમાં ન આવતા હોય અને અનામત ન ભોગવતા હોય. આવા સવર્ણ ગરીબો માટે ૧૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે

હાલત ધારવામાં આવે છે એનાં કરતાં પણ વધુ ખરાબ લાગે છે. કેન્દ્ર સરકારે આખા દેશને અનામતની જોગવાઈ આપી દેવાનો નિર્ણય લીધો છે. જે પરિવારની આવક વરસેદહાડે આઠ લાખ રૂપિયા કરતાં ઓછી હોય એને આર્થિક રીતે ગરીબ હોવાને કારણે ૧૦ ટકાનો અનામતનો લાભ મળશે. ભારતમાં ૯૫ ટકા લોકો આઠ લાખ રૂપિયા કરતાં ઓછુ કમાય છે. જે લોકો પાંચ એકર કરતાં ઓછી જમીન ધરાવતા હોય એવા લોકોને પણ અનામતની જોગવાઈ મળશે અને ભારતમાં ૮૬ ટકા ખેડૂતો પાંચ એકર કરતાં ઓછી જમીન ધરાવે છે. જે લોકો એક હજાર ચોરસ ફૂટ કરતાં નાનું મકાન ધરાવતા હશે તેમને પણ અનામતની જોગવાઈ આપવામાં આવશે અને ભારતમાં ૮૦ ટકા લોકો ૫૦૦ ચોરસ ફૂટ કરતાં પણ નાનું મકાન ધરાવે છે. જે લોકો સુધરાઈની હદમાં ૨૦૦ ચોરસ વાર કરતાં નાનો પ્લૉટ ધરાવતા હોય તેમને પણ અનામતની જોગવાઈ મળશે. આવા લોકોનું પ્રમાણ કેટલું છે એ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ એના અહેવાલમાં કહી શક્યું નથી, પરંતુ દોસો ગજ કી કોઠી, એ બહુ મોટી વાત છે અને શહેરમાં રહેનારા લોકો આ જાણે છે.

ચૂંટણી જીતવા સરકાર કેવાં વલખાં મારે છે એ આમાં જોઈ શકાય છે. ભલે આખો દેશ અનામત લઈ લે, પણ અમને મત આપીને સત્તા સુધી પહોંચાડે એવી એક અધીરાઈ આમાં જોવા મળી રહી છે. આવી અનામત અદાલતમાં ટકવી મુશ્કેલ છે એ શાસક પક્ષ અને વિરોધ પક્ષ એમ બધા જ જાણે છે. આ પહેલાં આર્થિક રીતે પછાત લોકોને અનામતની જોગવાઈ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને એ નિષ્ફળ નીવડ્યા છે. સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે ૧૯૯૩માં સાફ કહી દીધું છે કે અનામતની જોગવાઈ માત્ર અને માત્ર સામાજિક પછાતપણું દૂર કરવા આપી શકાય એટલે એનો માપદંડ સામાજિક પછાતપણું જ હોઈ શકે છે, આર્થિક નહીં. ગરીબી દૂર કરતાં ક્યાં કોઈ સરકારને રોકે છે. આમ અનામતની જોગવાઈની જે જાહેરાત કરવામાં આવી છે એને ચૂંટણી સાથે સંબંધ છે. 

સરકારનો આ કરતાં પણ દૂરગામી ઇરાદો અનામતની જોગવાઈને જ સમૂળગી હાસ્યાસ્પદ અને અવ્યવહારુ બનાવવાનો છે. વૈકુંઠ નાનું ને વૈષ્ણવ ઝાઝા જેવી સ્થિતિ બનાવી મૂકો એટલે આપોઆપ અનામત અપ્રાસંગિક બને જશે. ભારતીય જનતા પાર્ટી અને એના સમર્થકો મૂળભૂત રીતે અનામતના વિરોધી છે એ જગજાહેર છે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે ૨૭ ટકાના અધર બૅકવર્ડ ક્લાસ કોટા ઉપરાંત મરાઠાઓ માટેના દસ ટકા વધાર્યા હતા. બસ, કરો માગણી અને આવો અંદર એવી નીતિ જાણીબૂજીને અપનાવવામાં આવી રહી છે. જ્યારે ધક્કામુક્કી અસહ્ય બનવા લાગશે ત્યારે આપોઆપ અનામત વિશે પુનર્વિચાર થવા લાગશે.

ત્રીજું, કેન્દ્ર સરકારનો આ નિર્ણય અદુર્દર્શી અને બેજવાબદાર પણ છે. જે જોગવાઈ આપવામાં આવી છે એ સરકારી નોકરીઓ માટેની છે અને સરકારી નોકરીઓ છે ક્યાં? એક બાજુ સરકાર સેવાઓમાંથી પગ ખેંચી રહી છે અને બીજી બાજુ સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ વધારતી જાય છે. સરકારી શાળાઓ, હૉસ્પિટલો, ઍરલાઇન્સ, માર્ગ પરિવહન સેવા, પોસ્ટ એમ દરેક ક્ષેત્રનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યાં સરકાર નોકરીઓ આપશે ક્યાંથી? ઉદ્યોગોમાંથી તો આ પહેલાં જ સરકાર નીકળી ચૂકી છે. માત્ર વહીવટી જગ્યાઓ બચે છે એમાં સરકાર કેટલા નોકરિયાતોની ભરતી કરશે? મહારાષ્ટ્ર સરકારે પાંચ વરસ પછી ૭૨ હજાર નોકરોની ભરતી કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારની ઘોષિત નીતિ મુજબ જેટલી સરકારી નોકરીઓ ખાલી પડે છે એની ૪૦ ટકા ભરવામાં આવે છે. આનું કારણ એ છે કે કામ ઓછું છે અને કર્મચારી વધુ છે.

પણ આપણા બાપનું શું જાય! આગળ-આગળ જે અનુગામી આવશે એ ફોડી લેશે, અત્યારે આપણે તો સત્તા ભોગવી લઈએ એવી ટૂંકી દૃષ્ટિ છે. કેન્દ્ર સરકારે આ જે નિર્ણય લીધો છે એને કારણે દાયકા-બે દાયકા પછી સમાજવિગ્રહ થાય તો પણ આશ્ચર્ય નહીં. આશા, વચન અને જોગવાઈ એટલાં જ અપાય જેટલાં પૂરાં થઈ શકે. પહેલાં માપબહાર આશા અને વચનો આપ્યાં એટલે હવે બચવા માટે માપબહારની જોગવાઈ આપવી પડે છે. પહેલાં દરેક એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા જમા કરવાનો જુમલો ફેંકવામાં આવ્યો અને હવે એનાથી બચવા ૯૦ ટકા ભારતીય લોકોને અનામત હેઠળ લેવામાં આવી રહ્યા છે. દરેકના ખાતામાં ૧૫ લાખ એ જુબાની જુમલો હતો અને આખા દેશને અનામત એ એક પ્રકારનો કાનૂની જુમલો છે. આ શાણા શાસકનાં લક્ષણ નથી.

સવર્ણ ગરીબોની વ્યાખ્યા એટલી વ્યાપક છે કે એમાં હવે બહુ થોડા લોકો બાકી રહ્યા છે. મુકેશ અંબાણી જેવા પાંચેક ટકા લોકોને શું કામ બાકી રાખ્યા? પછાતપણું શોધવું હોય તો તેમની અંદર પણ મળી રહેશે. સાંસ્કૃતિક પછાતપણું ભારતના પૂંજીપતિઓમાં સાર્વત્રિક છે. એક દસ ટકા અનામતની જોગવાઈ ભેગાભેગ સાંસ્કૃતિક રીતે પછાત શ્રીમંતોને પણ આપી દેવી જોઈએ કે જેથી વર્તુળ પૂરું થઈ જાય.

અહીં દેશભરમાં રોજગારીની સ્થિતિ વિશે સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી નો ૨૦૧૮નો અહેવાલ તપાસવા જેવો છે, જેની વાત હવે ક્યારેક.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 જાન્યુઆરી 2019

Cartoon courtesy : EP Unny, "The Indian Express", 08 January 2019

Loading

હૈયાને દરબાર વાગે કોઈ સિતાર

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 January 2019

હૈયાને દરબાર

નવા વર્ષની એક નવલી સવારે ઠંડી જાણે આકાશમાંથી સીધી ઊતરી આવીને ધ્રુજાવી રહી છે. વિદેશની ધરતી પર આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આપણાં સ્વજનોનું સ્મરણ જ દેશ સાથે જોડાયેલા હોવાની લાગણી આપે છે. કડકડતી ઠંડી હૈયાની હૂંફને વૈભવથી ભરી દેતી હોય છે. ઊગતા સૂરજનાં કિરણો કરોડો કિલોમીટરની મજલ કાપીને ઈજિપ્તના કૈરો શહેરને અજવાળી રહ્યાં છે. વિશ્વની અજાયબીઓમાંના ગિઝાના મહાન પિરામિડ જોયાં પછી પ્રલંબ નદી નાઇલને કિનારે ટહેલતાં સૂરજના હૂંફાળા તડકા સાથે હૈયાની હૂંફ આપતું એક સર્વાંગ સુંદર ગીત યાદ આવે છે, હૈયાને દરબાર વાગે વણથંભી કોઈ સિતાર …! પ્રિયજન પ્રત્યક્ષ હોય કે એનું સ્મરણ તરબતર કરતું હોય ત્યારે ભીતરનાં સ્પંદનો મનુષ્યમાત્રને ભીંજવી જાય છે.

પ્રતીક્ષા એ આંખની તરસનું બીજું નામ છે. દેહ ઈજિપ્તમાં છે પણ દિલ સદૈવ હિન્દુસ્તાની. દિલમાં બજતી સિતારના સૂરોનો મધુર ગુંજારવ ગુંજી રહ્યો છે. એટલે જ ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાના દરબારમાં રાજ કરે એવું અદ્ભુત ગીત આજે તમને સંભળાવવું છે. ગીત હજુ વાંચવાનું શરૂ કરો ત્યાં તો પૂરું થઈ જાય એવું નાનકડું છે પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે એવું આ ગીત એટલે જાણીતા કવિ ભાસ્કર વોરાની અવિસ્મરણીય રચના હૈયાને દરબાર, વણથંભી વાગે કોઈ સિતાર …!

શબ્દ અને સૂરની સાથે આ ગીતમાં જેમણે કંઠ આપ્યો છે, એ પણ બીજું કોઈ નહીં, સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકર છે. લાજવાબ સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાયનું. આ કોલમ શરૂ કરી ત્યારે કોલમને નામ શું આપવું એ વિશે કોઈ જ દ્વિધા નહોતી. આપણી માતૃભાષાનાં ખૂબ સુંદર ગીતો જેમને હૈયે વસેલાં છે એ ગીતો વિશે વાત કરતી કોલમનું નામ ‘હૈયાને દરબાર’ જ હોય ને! દરબાર એ વૈભવનું પ્રતીક છે. સમૂહ, સામર્થ્ય અને સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે એટલે આપણી ભાષાના ગૌરવ સમાન ઉત્તમ કવિઓ, અજોડ સ્વરકારો અને અપ્રતિમ ગુજરાતી કલાકારોએ ગાયેલાં સુમધુર ગીતો ’હૈયાને દરબાર’ અંતર્ગત પ્રસ્તુત કરવાનું નક્કી કર્યું. ‘મુંબઈ સમાચાર’ના તંત્રીનો સહકાર અને વાચકોની સરાહના અને ઉત્સુકતાને પરિણામે મારી સંશોધન પ્રવૃત્તિ પણ વિકસતી રહી અને એક એકથી ચડિયાતાં ગીતોની કથા આકાર પામતી ગઈ. ચાળીસથી વધુ ગીતોની કથા બાદ નવા વર્ષે આ કોલમને જે ગીતની શીર્ષક પંક્તિનો લાભ મળ્યો છે એ કવિ ભાસ્કર વોરાની સુંદર રચના વિશે વાત કરીને નવા વર્ષનો પ્રારંભ કરવો છે.

સૌથી વધુ ગમતાં દસ ગુજરાતી ગીતોની યાદીમાં હકપૂર્વક બેસી શકે એવું આ ગીત મને એટલા માટે પણ પ્રિય છે કે આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે અંગતપણે આ ગીત શીખવાનો મોકો મને મળ્યો હતો. ગીતની બારીકીઓ, મૂરકીઓ અને સ્વરના ઉતાર-ચડાવ સાથેનું આ ગીત શીખવા માટે થોડું અઘરું છે પરંતુ સાંભળવામાં અત્યંત કર્ણપ્રિય છે. પુરુષોત્તમભાઈ આ ગીતનાં સંદર્ભે કહે છે કે, "હ્યુજીસ રોડ પરના એક મકાનમાં અમેરિકામાં વસતું સંગીતપ્રેમી યુગલ મનુભાઈ રાવલ અને ચંદાબહેન રાવલ આવતું ત્યારે ચંદાબહેન મારી પાસે સંગીત શીખવાં આવતાં હતાં. એમના હાથમાં ભાસ્કર વોરાની આ રચના આવી હતી અને એમણે મને કહ્યું કે પુરુષોત્તમભાઈ, આ એક સુંદર કાવ્ય છે, તમે સ્વરબદ્ધ કરો. શબ્દો સરસ હતા એટલે એકાદ અઠવાડિયામાં મેં એને સ્વરબદ્ધ કરી, સૌથી પહેલું ચંદાબહેનને સંભળાવ્યું ત્યારે તેઓ ખૂબ ખુશ થયાં હતાં.

એક વખત ઉસ્તાદ સલામતઅલી ખાન અને નજાકતઅલી ખાનસાહેબ કાર્યક્રમ માટે મુંબઈ આવ્યા હતા. પાકિસ્તાન પાછાં જતાં પહેલાં એમણે ખય્યામ સા’બ, એમનાં પત્ની જગજિત કૌર અને લતા દીદીને એમની સાથે જમવાનું નિમંત્રણ આપ્યું હતું. સલામતજી-નજાકતજીને હું ગુરુ માનું એટલે હું પણ ત્યાં હાજર. ડિનર પછી બધાએ નક્કી કર્યું કે દરેકે એક એક ગીત ગાવું. સલામતજીએ કહ્યું કે આ છોકરો સરસ ગાય છે. આ બધા મહારથીઓ સામે હું તો સાવ નાનો હતો છતાં મે તાજું કરેલું સ્વરાંકન હૈયાને દરબાર સંભળાવ્યું. સૌને ખૂબ પસંદ આવ્યું. પછી તો લતાદીદીએ ઉસ્તાદ સલામત અલી ખાન સાહેબ દ્વારા મને એમના ઘરે આવવા નિમંત્રણ આપ્યું અને કહ્યું કે તારા કમ્પોઝિશન મને સંભળાવ. ત્યારે ફરીથી મેં એમને હૈયાને દરબાર સંભળાવ્યું હતું અને તેમણે મને જે કહ્યું હું એ હું કદી ભૂલી ન શકું. લતાજીએ મને કહ્યું, "તુમ્હે માલૂમ હૈ કિ તુમ કિતના સૂર મેં ગાતે હો? યે ગાના બહુત લાજવાબ હૈ. મારા માટે આનાથી વધારે મોટો સરપાવ બીજો શું હોઈ શકે? પછી તો આ ગીત મેં ઓલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયેલા અજિત મર્ચન્ટ, નિનુ મઝુમદારને સંભળાવ્યું. બન્નેની પ્રશંસા બાદ લતાજી મારાં ગીત ગાય એવી ઇચ્છા મેં એમની સમક્ષ પ્રદર્શિત કરી. ખૂબ અઘરું કામ હતું છતાં અજિતભાઈએ લતાદીદીને કોન્ટ્રેક્ટ લેટર મોકલ્યો અને રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી.

ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ગીત લતાજીએ મારા સ્વરાંકનમાં ગાયું એ મારા માટે જેવી તેવી સિદ્ધિ ન હતી. અલબત્ત, મારું સૌથી પહેલું ગીત એમણે હવે સખી નહિ બોલું અને માઝમ રાતે નીતરતી નભની ચાદની રેકોર્ડ કર્યું હતું. એ પછી હૈયાને દરબાર ગીત આકાશવાણી પર રેકોર્ડ થયું. આજ દિન સુધી આ ગીત ખૂબ લોકપ્રિય થયું છે અને એ પછી તો બીજા ઘણા કલાકારોએ ખૂબ સરસ રીતે ગાયું છે.

આ ગીતની અરેન્જમેન્ટ પણ વિશિષ્ટ છે. યુવા કલાકાર ઐશ્વર્યા મજમુદારે તો વિશેષ બહેલાવીને રાગદારી સાથે આ ગીત પ્રસ્તુત કર્યું છે. રાગ માલગૂંજી પર આધારિત આ ગીતમાં પ્રેમની પરાકાષ્ઠા છે. રાગ માલગૂંજી એ રાગ બાગેશ્રી અને રાગ રાગેશ્રીનું સંયોજન ગણાય છે. બાગેશ્રી વિરહનો રાગ જ્યારે રાગેશ્રી મિલનની ભાવના પ્રગટ કરે છે. માલગૂંજીમાં અહીં પ્રણયની વાત ઉજાગર થઈ છે. પ્રિયતમનું મિલન હૈયાના દરબારમાં રંગત જમાવી રહ્યું છે એ વાત શબ્દ અને સૂર દ્વારા સુંદર રીતે પ્રગટી છે. આ ગીત, ગીત કવિ અને એ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો હજુ બાકી છે. આવતા ગુરુવાર સુધી રાહ જોવી પડશે. ત્યાં સુધીમાં અમે ઈજિપ્તથી ઈન્ડિયા આવીને ગીતની વધુ ઈન્ટરેસ્ટિંગ વાતો જણાવીશું. સૌનૈ નવા વર્ષની સંગીતમય શુભકામનાઓ.

————————

હૈયાને દરબાર
વણથંભી વાગે કોઇ સિતાર

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયાં આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર
વણથંભી વાગે કોઇ સિતાર …

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
પળ પળ પ્રીતિના પલકાર
વણથંભી વાગે કોઇ સિતાર

• કવિ : ભાસ્કર વોરા • સંગીતકાર : પુરૂષોત્તમ ઉપાધ્યાય • ગાયિકા : લતા મંગેશકર

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 જાન્યુઆરી 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=467018

Loading

ગુજરાતનું શિયાળુ ભોજન સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને રંગીન

વિશાલ શાહ|Opinion - Opinion|9 January 2019

આપણા દેશના ખૂણેખૂણામાં ઋતુ પ્રમાણે રોજિંદા ભોજનમાં પણ ૩૬૦ ડિગ્રી પરિવર્તન આવે છે અને એમાં ય ગુજરાતની વાત નિરાળી છે. હરિયાણા અને રાજસ્થાન પછી સૌથી વધારે શાકાહારીઓ ગુજરાતમાં છે, પરંતુ એક એકથી ચડિયાતી પૌષ્ટિક અને રંગબેરંગી શાકાહારી વાનગીઓની વાત કરીએ તો ગુજરાતની તોલે આખી દુનિયામાં કોઈ ના આવે. જૈન ધર્મ અને બીજા સંપ્રદાયોના જબરદસ્ત પ્રભાવના કારણે ગુજરાતમાં જાતભાતની શાકાહારી વાનગીઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાત પાસે ૧,૬૬૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો હોવા છતાં દરિયાઈ ફૂડ મોટા પાયે ખવાતું નથી, એનું કારણ પણ આ જ. ગુજરાત વિશે પૂરતું જ્ઞાન નહીં ધરાવતા અનેક લોકો ગુજરાતી ભોજનને ઘાસફૂસ, પોષક દ્રવ્યો વિનાનું, વધારે પડતું ગળ્યું અને ફિક્કું તેમ જ શરીરને ગરમી પ્રદાન કરવાના ગુણ વિનાનું સમજતા હોય છે, જે એક ગેરમાન્યતા છે. જો કે, અહીં આપણે ગુજરાતીઓનાં ફક્ત શિયાળુ ભોજનની વાત કરીશું.

કદાચ ભારતભરમાં શિયાળુ શાકભાજીનો સૌથી ક્રિએટિવ ઉપયોગ ગુજરાતીઓ કરે છે. જેમ કે, ઊંધિયું. ભગવદ્ગોમંડળમાં ઊંધિયાની રસપ્રદ વ્યાખ્યાઓ અપાઈ છેઃ 'જુદાં જુદાં કંદ અને લીલોતરીનું શાક … રીંગણાં, પાપડી, બટાટાં, મરચાં, રતાળુ વગેરે લીલોતરી શાકને આખાં ને આખાં એક માટીના વાસણમાં મસાલા સહિત ભરી તેને જમીનમાં ઊંધું મૂકી ઉપર અગ્નિ કરી ચોડવેલું બફાણું’.

બોલે તો, બફાણું ઉર્ફ ઊંધિયું

મસાલેદાર ઉબડિયું


આ રીતે શાકભાજી પકવતી વખતે માટલાં ઊંધાં કરી દેવાતાં. એટલે તેનું નામ પડ્યું, ઊંધિયું. ગુજરાત મૂળભૂત રીતે કૃષિ સંસ્કૃતિ ધરાવતો પ્રદેશ હોવાથી એક સમયે ખેતરોમાં આખાં ને આખાં શાકભાજીને જુદાં જુદાં માટલાંમાં ધીમા તાપે બાફીને, મરીમસાલામાં રગદોળીને, લસણ-કોઠાની ચટણીથી ભીંજવીને અને તલના ગરમ તેલની ધાર કરીને ઊંધિયું તૈયાર કરાતું. હવે એવો સમય નથી એટલે ઊંધિયું બનાવવાની પ્રક્રિયામાં થોડો ઘટાડો થયો છે. આજના જમાનામાં અઠવાડિયામાં ત્રણ વાર આ રીતે ઊંધિયું બનાવીને ખાવું શક્ય નથી, એટલે પ્રેશર કૂકર કે ચૂલા પર બધાં જ શાકભાજી જુદા જુદા રાંધીને અને પછી ભેગાં કરીને ઊંધિયું બનાવાય છે. એટ લિસ્ટ, આ રીતે ઊંધિયું બનાવીને ખાવાથી અસલી ઊંધિયું ખાવાનો આનંદ મળે છે.

ભાષા કે પહેરવેશની જેમ ખાણીપીણીમાં પણ સાંસ્કૃતિક આદાનપ્રદાનથી ફેરફારો થતાં હોય છે. આવા ફેરફાર ઊંધિયા જેવી વાનગીમાં ના થાય તો જ નવાઈ. આજકાલ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ખવાતાં ઊંધિયામાં તુવેર, વટાણા, કાચાં કેળાં અને તળેલાં મૂઠિયાં પણ નાંખવામાં આવે છે, પરંતુ ઊંધિયાની જ્યાં શોધ થઈ હતી, એ દક્ષિણ ગુજરાતનાં ઊંધિયામાં સુરતી પાપડી અને રીંગણાંની સાથે બટાટાં, શક્કરિયા, રતાળુ અને સૂરણ જેવાં કંદમૂળ મુખ્ય હોય છે. ઊંધિયા સાથે પૂરીઓ કે રોટલી જે ફાવે એ લઈ શકાય. ઊંધિયાની બહેન જેવી બીજી વાનગી એટલે ઉબડિયું. આ વાનગીનું જન્મદાતા પણ દક્ષિણ ગુજરાત. ભગવદ્ગોમંડળમાં દક્ષિણ ગુજરાતમાં ઊંધિયા માટે પણ ઉબડિયું શબ્દપ્રયોગ કરાતો હતો એવો ઉલ્લેખ છે. જો કે, આજે આ બંને વાનગી જુદી છે. ઉબડિયામાં પણ શાકભાજીને માટલામાં ધીમી આંચે બાફીને તૈયાર કરાય છે, પરંતુ તેમાં ઊંધિયા જેવી ગ્રેવી કે તેલ નથી હોતું. ઉંબડિયું  કોઠા કે લસણની ચટણી સાથે ખવાય છે. ઉબડિયામાં પણ સમયની સાથે પરિવર્તન આવ્યું છે. આજકાલ કેટલાક લોકો ઉબડિયામાં એકાદ વાટકી મગફળીના દાણા અને તુવેર પણ નાંખે છે.

બાજરાના રોટલા અને ટોઠા

રંગબેરંગી સલાડ

તુવેર પરથી યાદ આવ્યું. આ સૂકી તુવેર ઉર્ફ ટોઠાનો ગુજરાતીઓથી વધુ સારો ઉપયોગ કોણ કરતું હશે! ગુજરાતીને સમજાવવાની જરૂર નથી કે, ટોઠા પાર્ટી એટલે શું? ટોઠાનું જન્મસ્થળ ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો હોવાનું મનાય છે. ટોઠાને મરીમસાલા અને તેલમાં રાંધ્યા પછી કોથમીર છિકરીને પીરસવામાં આવે છે. કેટલાક લોકો ટોઠાના શાકને થોડું ક્રિસ્પી બનાવવા તેમાં થોડી સેવ પણ ભભરાવે છે. સૂકી તુવેરની જેમ લીલા તુવેર ઉર્ફ લીલવામાંથી ગુજરાતમાં એક સ્વાદિષ્ટ ફરસાણ પણ બને છે, લીલવાની કચોરી. ઊંધિયા-પૂરી સાથે જીભનો સ્વાદ બદલવા આનાથી વધારે સારું ફરસાણ શું હોઈ શકે! ગરમાગરમ અને થોડા તીખા-મસાલેદાર ઉંધિયા અને ફરસાણ સાથે ગળ્યું ના ખાય એ અસલી ગુજરાતી નહીં. એ માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં એક રસઝરતી વાનગી ખાવાની પ્રથા શરૂ થઈ છે. હા, જલેબી. શિયાળામાં અડદની જલેબીનો પણ વિકલ્પ છે, જે શરીરને શક્તિ અને ગરમી પ્રદાન કરે છે. ખાસ કરીને ઉત્તરાયણમાં ધાબા પર જ ઊંધિયું-પૂરી અને જલેબીથી પેટ ભરી લેવાય છે, જેથી પતંગ ચગાવવાનો સમય કપાઈ ના જાય.

ઊંધિયાની સાથે સંભારાની (સલાડ) પણ ગુજરાતીઓએ સારી એવી વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં લીલી હળદળને સમારીને મીઠું અને લીંબુ નાંખીને ડબ્બામાં ભરી દેવાય છે. લીલી હળદળમાં બીજી પણ એક વેરાયટી છે, આંબા હળદળ. આ હળદળનો સ્વાદ થોડો કેરી જેવો આવે છે. એટલે કે, ઊનાળુ ફળનો સ્વાદ શિયાળામાં. સવાર કે સાંજનાં ખાણાં સાથે હળદળ ના હોય તો ગુજરાતનું શિયાળુ ભોજન અધૂરું છે. આજના રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશેલું લીલી હળદળનું ઘીથી લથબથ શાક પણ હવે ગુજરાતની યુનિક ડિશ બની ગયું છે. જો કે, સંભારામાં એકલી હળદળથી સંતોષ કેવી રીતે મળે! એટલે તેની સાથે બીટ, મૂળા, ગાજર, કાકડી અને કોબીજની કતરણને પણ ન્યાય અપાય છે. આટલાથી પણ જીભનો સળવળાટ શાંત ના થતો હોય, તો જીભને થોડો ચેન્જ આપવા માટે આથેલાં મરચાં, કોથમીરની ચટણી અને ઘીમાં સાંતળેલું લીલું લસણ પણ હાજર છે. આ આખી થાળીમાં જે કંઈ છે એ બધું જ પોષક દ્રવ્યોથી ભરપૂર છે. જરા વિચારો. ઊંધિયુ-પૂરી અને સંભારા સાથે સજાવેલી આ થાળીમાં રંગ પણ કેટકેટલા છે!

તીખો અને ગળ્યો ખીચડો અને મોગરીનું રાયતુ

કોબીજનો સલાડની જેમ ઉપયોગ કરાય અને મિક્સ સબ્જીમાં પણ તે ઉત્તમ. હા, ફૂલાવર પણ. ગુજરાતીઓ શિયાળામાં પાંદડાવાળાં શાકભાજીનો પણ અનેક રીતે ઉપયોગ કરે છે. જેમ કે, ગુજરાતમાં શિયાળુ ભોજન તરીકે બાજરાના રોટલા અને ખાટી-મીઠી કઢી સાથે મેથી, પાલક, સૂવા કે મૂળાની ભાજીનું શાક ભરપૂર ખવાય. મેથીના તો થેપલાં અને ગોટા પણ બને! સાંધ્ય ભોજનમાં ગુજરાતીને ગોટા અને ચટણી મળી જાય તો ચલાવી લે, અને હા, પ્રવાસમાં થેપલાં સાથે હોય તો ભયો ભયો. મેથી, પાલક અને કોબીજનાં મૂઠિયાં પણ ગુજરાતી ગૃહિણીઓની પસંદગીની વાનગી છે કારણ કે, એ ઝડપથી બની જાય. એવી જ રીતે, શિયાળામાં ગુજરાતીઓ પાલક અને મૂળાના પરોઠા ખાઈને પણ ઓડકાર બોલાવી લે. ગુજરાતીઓ એક શિયાળુ શાકનો પણ અનોખો ઉપગોય કરે છે, મોગરી. તેનું શાક બને, સાંતળીને પણ ખવાય અને મોગરીનું સ્વાદિષ્ટ રાયતું પણ બને. અત્યાર સુધી ના ખાધું હોય તો યૂટ્યૂબ પર જોઈને પણ બનાવીને ખાઈ લેજો.

ગુજરાતનું ભોજન એટલે ઢોકળાં કે દાળઢોકળી જ નહીં. બીજું ઘણું બધું. દાળઢોકળી સાદી પણ હોય અને મૂળાની ભાજીની, ગવારની અને પાપડીની પણ હોય. ટૂંકમાં, ઋતુ પ્રમાણે વાનગી બનાવવાની રીત પણ બદલાઈ જાય. પ્રોટીનયુક્ત દાળ અને વિટામિનથી સમૃદ્ધ પચવામાં હલકી ગણાતી સંપૂર્ણ ડિશ એટલે દાળઢોકળી. ગુજરાતમાં શિયાળામાં ખવાતી આવી જ એક બીજી પૌષ્ટિક વાનગી એટલે ખીચડો. ખીચડો ઘઉં, ચોખા અને બધી જ દાળ ભેગી કરીને બનાવાય છે. ખીચડામાં તીખો અને ગળ્યો એમ બે વિકલ્પ હોય છે. તેમાં ઘઉં, ચોખા, તુવેર-મગ અને ચણાની દાળ, મઠ, જુવાર એમ સાત પ્રકારના અનાજ-કઠોળ હોય છે, એટલે તે સાત ધાનનો ખીચડો પણ કહેવાય છે. ખીચડાનું મુખ્ય તત્ત્વ ઘઉં હોય છે, જ્યારે ખીચડીનું ચોખા. ગળ્યા ખીચડામાં તો કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ અને અંજીરને પણ પીસીને નાંખવામાં આવે છે. ગુજરાતમાં આજે ય મકરસંક્રાંતિના તહેવારમાં ખીચડો ખાવાનું અનોખું મહત્ત્વ છે. આ પરંપરા ઉત્તર ભારતીયો સાથેના સાંસ્કૃતિક આદાનપ્રદાનમાંથી આવી છે!

ગુજરાતીઓની શિયાળિ સ્વિટ ડિશ

આ બધાં જ અનાજ અને શાકભાજીમાં શરીરને ગરમ રાખવાનો ગુણ છે. આ ભોજન સહેલાઈથી પચી જાય એ માટે ગુજરાતીઓની શિયાળુ થાળીમાં થોડા શુદ્ધ દેશી ગોળ પણ હોય છે. એવું નથી કે, ગુજરાતીઓ પાસે સારી સ્વિટ ડિશ નથી. શીંગ, તલ, ચણાની ચીકી, મેથી પાક, અડદિયા પાક અને ગુંદર પાક શું છે? મેથી અને અડદને શેકીને-દળીને લાડુ કે ચોસલાના રૂપમાં બનાવાતો મેથી પાક અને અડદિયા પાક પણ શરીરને શક્તિ અને ગરમી આપવા ઉત્તમ છે. સફેદ-કાળા તલ પેટમાં નાંખવા આપણી પાસે કચરિયું છે. ગાજર જેવા શિયાળુ કંદમૂળનો ઉપયોગ હલવો બનાવવા પણ થાય છે. ગાજરના હલવાની શોધ મુગલો અને પંજાબીઓ વચ્ચેના સાંસ્કૃતિક આદાનપ્રદાનમાંથી થઈ હતી, પરંતુ વર્ષોના ફેરફારો પછી ગાજરનો હલવો ગુજરાતની પણ પોતીકી વાનગી બની ગઈ છે.

આ બધું હજમ કરવા ગુજરાતીઓ ભોજન લીધાં પછી છાશ પીવે છે, પરંતુ શિયાળામાં તમારા ગળાને છાશ કદાચ માફક ના આવે તો વઘારેલી છાશનો પણ વિકલ્પ છે. આ તો ગુજરાતના શિયાળુ ભોજનની નાનકડી ઝલક છે. વર્ષોના સાંસ્કૃતિક આદાનપ્રદાન પછી માણસો નવું નવું ખાવા-પીવાનું બનાવતા શીખતા હોય છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં તો નાનાં-નાનાં સ્થળો પણ પોતાની આગવી અને સમૃદ્ધ ખાણીપીણી સંસ્કૃતિ જાળવીને બેઠા છે. આ જ તો ભારતની શાન છે.

હવે ગુજરાતીઓના શાકાહારી ભોજન વિશે કોઈ ગેરસમજ કરે તો વિગતવાર જવાબ આપજો.

——

http://vishnubharatiya.blogspot.com/2019/01/blog-post.html

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”ની શતદલ પૂર્તિમાં 02 જાન્યુઆરી2019નો ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ કોલમનો લેખ

Loading

...102030...2,9952,9962,9972,998...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved