Opinion Magazine
Number of visits: 9969214
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ જોઇને અસંતોષ થાય, પ્રશ્નો થાય, શંકા થાય એ લોકશાહી માટે શુભ સંકેત નથી, પણ દુર્ભાગ્યે આજની એ વાસ્તવિકતા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 January 2019

સી.બી.આઈ.નો મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો એ પછી સર્વોચ્ચ અદાલતે બે નિર્ણય લેવાના હતા. એક તો એ કે કેન્દ્ર સરકાર વડા પ્રધાન, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ કે તેમના પ્રતિનિધિ જજ અને વિરોધ પક્ષના નેતાના બનેલા કોલેજિયમમાં ચર્ચા કર્યા વિના અને બહુમતી નિર્ણય લીધા વિના કેન્દ્રીય દક્ષતા આયુક્તની ભલામણના આધારે સી.બી.આઈ.ના વડાને હટાવી શકે ખરી? જો નિયુક્ત ન કરી શકે તો હટાવી શકે કેવી રીતે? આલોક વર્માએ આ મુદ્દો અદાલતમાં ઉપસ્થિત કર્યો હતો. બીજો મુદ્દો એ હતો કે કેન્દ્રીય દક્ષતા આયુક્તને સી.બી.આઈ.ના વડા સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ હોય તો તેની તપાસ કરવાનો અધિકાર ખરો? અને જો હોય તો તેણે તેનો અહેવાલ કેન્દ્ર સરકારને આપવાનો હોય કે કોલેજિયમને?

આલોક વર્માએ દક્ષતા આયુક્ત કે.વી. ચૌધરીની તટસ્થતા વિષે શંકા કરીને માગણી કરી હતી કે આયુક્ત જે કાંઈ તપાસ કરે એ સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિની દેખરેખ હેઠળ થવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ માગણી માન્ય રાખીને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ.કે. પટનાયકને દક્ષતા આયુક્ત દ્વારા કરવામાં આવતી તપાસ પર નજર રાખવાનું કહ્યું હતું. એ પછી આલોક વર્માએ ન્યાયમૂર્તિ પટનાયકને કહ્યું હતું કે રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપવાની માગણી સાથે છઠ્ઠી ઓક્ટોબરની રાતે કેન્દ્રીય દક્ષતા આયુક્ત કે.વી. ચૌધરી તેમને મળવા આવ્યા હતા. ચૌધરી વર્માને ઘરે ગયા હતા તેની વર્માના નિવાસસ્થાનની સિક્યુરિટી લોગ બુકમાં એન્ટ્રી મળે છે અને ચૌધરીએ આજ સુધી મુલાકાતનો ઇનકાર પણ કર્યો નથી.

એ પછી આઠમી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે આલોક વર્માને સી.બી.આઈ.ના વડા તરીકે પાછા સ્થાપિત કરવામાં આવે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય દક્ષતા આયુક્તની ભલામણના આધારે આલોક વર્માને હટાવી ન શકે. અદાલતે એવો પણ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી આલોક વર્મા સામેની તપાસનો અહેવાલ ન આવે અને ક્લીન ચીટ ન મળે ત્યાં સુધી આલોક વર્મા માત્ર રોજિંદા વહીવટી કામો જોશે અને કોઈ મોટાં તપાસસંબંધિત નિણર્યો નહીં લે. સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે કેન્દ્ર સરકારે ગલ્લાતલ્લાં કર્યા હતા કે આલોક વર્માને હટાવવામાં અમારો કોઈ પૂર્વગ્રહ નહોતો, એ તો દક્ષતા આયોગની ભલામણના આધારે કેન્દ્ર સરકારે વર્માને અને અસ્થાનાને હટાવવાનો નિર્ણય લીધો હતો.

વિસંગતિ હવે આવે છે. દક્ષતા આયુક્તની ભલામણના આધારે કેન્દ્ર સરકાર બારોબાર સી.બી.આઈ. ડાયરેક્ટરને હટાવવાની નિર્ણય ન લઈ શકે એમ કહીને બહાદુરી બતાવતી અદાલત બીજી બાજુ એમ પણ કહે છે કે દક્ષતા આયુક્તના અહેવાલના આધારે દસ દિવસની અંદર આલોક વર્મા વિષે કોલેજિયમ નિર્ણય લે. આટલી ઉતાવળ શેની હતી? તો પછી સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત મોનિટર ન્યાયમૂર્તિ પટનાયકની ભૂમિકાનું શું? જો પટનાયકની કોઈ ભૂમિકા જ નહોતી તો તેમને મોનિટરિંગનું કામ સોંપવું જ નહોતું જોઈતું. સર્વોચ્ચ અદાલતે દસ દિવસમાં આલોક વર્માનું ભવિષ્ય નક્કી કરવાની કોલેજિયમને કહ્યું એ પહેલાં ન્યાયમૂર્તિ પટનાયકને પૂછવું જોઈતું હતું કે આલોક વર્મા સામેના આરોપમાં કોઈ તથ્ય છે કે નહીં? ન્યાયમૂર્તિ પટનાયક જો એમ કહેત કે આલોક વર્મા સામેના ભ્રષ્ટાચારના આરોપમાં તથ્ય છે અને મને દક્ષતા આયુક્તે કરેલી તપાસથી સમાધાન થયું છે તો જરૂર સર્વોચ્ચ અદાલત કોલેજિયમને આલોક વર્મા વિશેનો નિર્ણય લેવાનો આદેશ આપી શકે.

અહીં તો ઊંધો કેસ નીકળ્યો. ન્યાયમૂર્તિ પટનાયકે અભિપ્રાય આપ્યો છે કે કેન્દ્રીય દક્ષતા આયુક્તની તપાસ પક્ષપાતભરી છે અને આલોક વર્મા સામે કોઈ ટકી શકે એવા આરોપ નથી. તેમણે તો કોલેજિયમના સભ્યોએ એક દિવસમાં હજાર કરતાં વધુ પાનાં વાંચી નાખ્યાં એ વિષે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. શા માટે આલોક વર્મા વિષે નિર્ણય લેવાનો કોલેજિયમને આદેશ આપતાં પહેલાં ન્યાયમૂર્તિ પટનાયકને પૂછવામાં ન આવ્યું? શા માટે કોલેજિયમની બેઠકમાં ન્યાયમૂર્તિ પટનાયકનો અભિપ્રાય રજૂ કરવામાં ન આવ્યો. શા માટે આલોક વર્માને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં ન આવી? આનો અર્થ તો એ થયો કે પહેલાં દક્ષતા આયુક્તની પક્ષપાતભરી ભલામણને આધારે કેન્દ્ર સરકારે આલોક વર્માને તગેડી મૂક્યા અને હવે એ જ દક્ષતા આયુક્તના પક્ષપાતભર્યા અહેવાલના આધારે કોલેજિયમે આલોક વર્માને તગેડી મૂક્યા. પહેલાં ભલામણ હતી અને હવે અહેવાલ હતો. પહેલાં એકલી કેન્દ્ર સરકાર હતી અને હવે કોલેજિયમ. કાનૂન અને સ્વાભાવિક નૈતિકતાના માપદંડથી જુઓ તો કોઈ ગુણાત્મક ફરક નહીં. ખાસ કરીને સર્વોચ્ચ અદાલત દ્વારા જ નિયુક્ત ન્યાયમૂર્તિ પટનાયકને બાય પાસ કરવામાં આવ્યા એ તો હદ હતી.

અને છેલ્લી ઘટના તો પહેલી બે ઘટના કરતાં પણ વધુ શર્મનાક છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમના પ્રતિનિધિ જજ કોલેજિયમમાં ઉપસ્થિત રહી શકે એવી બંધારણીય જોગવાઈ છે. મુખ્ય ન્યાયમૂર્તિ રાજન ગોગોઈએ તેમની જગ્યાએ ન્યાયમૂર્તિ એ.કે. સિકરીને મોકલ્યા હતા. ન્યાયમૂર્તિ સિકરીએ કોલેજિયમમાં એ જોવાનો આગ્રહ નહોતો રાખ્યો કે દક્ષતા આયુક્તના અહેવાલ વિષે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત મોનિટર ન્યાયમૂર્તિ પટનાયકને શું કહેવાનું છે. તેઓ સર્વોચ્ચ અદાલતના સિટિંગ જજ છે અને સર્વોચ્ચ અદાલતે જ ન્યાયમૂર્તિ પટનાયકને તપાસ પર નજર રાખવાનું કામ સોંપ્યું હતું. બીજું આલોક વર્માને પોતાની બાજુ રાખવાની અને તેને સાંભળવાની કુદરતી ન્યાયની સ્વાભાવિક પ્રક્રિયા પણ એક જજ થઈને તેમને જરૂરી નહોતી લાગી. વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની આવી માગણી છતાં. વડા પ્રધાન તો ઠીક ન્યાયમૂર્તિ સિકરીએ પણ એ સૂચન ફગાવી દીધું હતું અને બે વિરુદ્ધ એકથી આલોક વર્માને તગેડી મૂકવામાં આવ્યા.

આ ઘટનાને હજુ તો ૪૮ કલાક પણ નહોતા વીત્યા ત્યાં બહાર આવ્યું કે મહિના પહેલાં કેન્દ્ર સરકારે તેમને તેમની નિવૃત્તિ પછી કોમનવેલ્થ સેક્રેટેરિયેટમાં આર્બિટ્રલ ટ્રીબ્યુનલમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ન્યાયમૂર્તિ સિકરી સાતમી માર્ચે નિવૃત્ત થવાના છે અને તેમણે કેન્દ્ર સરકારની ઓફર સ્વીકારવાની સ્વીકૃતિ પણ આપી દીધી છે. આ વાત બહાર આવ્યા પછી ન્યાયમૂર્તિ સિકરી લજવાયા અને જાહેરાત કરી કે તેમની પ્રામાણિકતા વિષે શંકા કરવામાં આવી એનાથી તેઓ વ્યથિત થયા છે અને તેઓ કેન્દ્ર સરકારની નિયુક્તિ નથી સ્વીકારવાના. આ જોઇને બહુ રાજી થવા જેવું નથી. એટલો તેમનો પાડ કે તેઓ લજવાય બાકી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સથાશિવમને તો એટલી પણ શરમ નહોતી આવી. અમિત શાહને ક્લીન ચીટ આપીને કેરળના રાજ્યપાલ તરીકે ગોઠવાઈ ગયા હતા.

રાજી થવા જેવું એટલા માટે નથી કે તેમણે કોલેજિયમમાં જોડાવાની ઓફર સ્વીકારતા પહેલાં જાહેર કરવું જોઈતું હતું કે તેમણે નિવૃત્તિ પછીની કેન્દ્ર સરકારની નિયુક્તિ સ્વીકારી છે. જો કોલેજિયમના અન્ય સભ્યો અને આ કેસમાં આલોક વર્મા વાંધો ન લે તો તેઓ જોડાઈ શકે અન્યથા નહીં. ન્યાયતંત્રમાં આ સ્વાભાવિક છે. હજુ હમણાં અયોધ્યાનો કેસ સાંભળવા માટે રચાયેલી બેન્ચમાં જોડાવાની ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતે ના પાડી દીધી હતી, કારણ કે ભૂતકાળમાં તેઓ અયોધ્યાના ખટલામાં એક પક્ષકારના વકીલ તરીકે કેસ લડ્યા હતા. આવા કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટના કારણે જજે કેસ સાંભળવાની ના પાડી હોય, અથવા પાછળથી ખસી ગયા અને વાદી કે પ્રતિવાદીએ ચોક્કસ જજ સામે કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો વાંધો લઈને હટી જવાનું કહ્યું હોય એવા સેંકડો દાખલા મળી રહેશે. 

સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ જોઇને અસંતોષ થાય, પ્રશ્નો થાય, શંકા થાય એ લોકશાહી માટે શુભ સંકેત નથી, પણ દુર્ભાગ્યે આજની એ વાસ્તવિકતા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 જાન્યુઆરી 2019

Loading

પિરામિડની સાખે હૈયાનો દરબાર

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 January 2019

હૈયાને દરબાર

ઇજિપ્તની કડકડતી ઠંડી હાડ ધ્રુજાવી દે એવી છે. પરંતુ, ત્યાંની અતિ પ્રાચીન સંસ્કૃતિ, ઈશુના જન્મ પહેલાંનાં ચાર હજાર વર્ષ જૂનાં અદ્ભુત શિલ્પ-સ્થાપત્યો, એ વખતના મહાન રાજવીઓનો ઇતિહાસ અને એમના મહાન શાસક રામસેસ તથા મહારાણી નેફર્તીની રસઝરતી કથાઓની વિગતો ઠંડીને ભુલાવી દે છે.

ગ્રીક અને હિબ્રૂ ભાષામાં રાજાઓ માટે ફેરાઓ (pharaoh) શબ્દ વપરાય છે. ઇજિપ્તમાં પ્રાચીન રાજાઓ ફેરાઓઝ તરીકે ઓળખાતા જેમાં તૂતેનખામેન, રામસેસ ઇત્યાદિ ખૂબ શક્તિશાળી અને પ્રભાવક હતા. રાણીઓમાં ક્લીઓપેટ્રા અને નેફર્તી સુંદર સમ્રાજ્ઞીઓ હતી. ઇજિપ્તના ફેરાઓઝને એ વખતની ઇજિપ્શિયન પ્રજા દેવ સમાન માનતી હતી. રાજા રામસેસ બીજાના મૃતદેહને અઢળક સુવર્ણમુદ્રાઓ તથા જર-ઝવેરાતના ખજાના સાથે વિશ્વની અજાયબી એવા સૌથી મોટા પિરામિડ નીચે દાટવામાં આવ્યો હતો. લગભગ ૨૩ લાખ ચોરસ પથ્થરોથી બનેલા વિશાળ કદના પિરામિડને ઓળંગીને આવતો કાતિલ પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે આ બધી કથાઓ અને ત્યાંનું અરેબિક સંગીત આશ્ચર્યચકિત કરી રહ્યાં હતાં પરંતુ, અમારે તો હૈયાનો દરબાર ભરવાનો હતો ભારતનાં મિત્રો, સ્નેહીઓ અને ‘મુંબઈ સમાચાર’ના વહાલા વાચકો સાથે. એટલે ગતાંકમાં જે ગીતની કથા માંડી હતી એ આગળ વધારીએ તથા હૈયાને દરબાર ગીતની મોહિનીને ફરીથી માણીએ.

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમિકા પૂર્ણત: પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે – જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. પ્રેમની સિતાર જેમનાં હૃદયમાં રણઝણતી હોય ત્યારે મન:સ્થિતિ પરમાનંદ સ્વરૂપ બની જાય છે.

હૈયામાં દરબાર ભરાય ત્યારે એમાં અવનવી દુન્યવી વાતો તો થવાની જ – પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ અનોખી હોય છે! "કોઈ મને ખૂબ પ્રેમ કરે છે, અપાર ચાહે છે, મારી દરકાર કરે છે આ વિચાર માત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને વ્યક્તિને સતત જીવંતતાનો અહેસાસ કરાવે છે. એ લાગણીની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંતરનો એકતારો સતત સાંવરિયાનું સંગીત રેલાવતો હોય છે, હર પળ પ્રીતિનો અહેસાસ કરાવે છે.

પ્રિયતમ સાથેનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની સ્ત્રીની જિજીવિષા જીવંત રાખે છે. આપણા હૈયામાં પણ જ્યારે કોઈકની હૂંફ રંગત જમાવે, કોઈના ઝાંઝર હૈયાને હુલાવે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાવા લાગે અને કોઈની યાદે અકળિત આશાઓ મહોરી ઊઠે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણી લાગણીઓ, પ્રેમનું પ્રતિબિંબ બની જાય છે.

હૈયાને દરબાર … ગીતના કવિ, લેખક, રમતવીર ભાસ્કર વોરાનો જન્મ ૧૨ ઑગસ્ટ ૧૯૦૭માં થયો હતો. ગીત કવિતામાં તેઓ માહેર. કવિતાઓ તો સરસ લખે જ ઉપરાંત ખૂબ સારા સ્પોર્ટ્સ મેન. જન્મે વડનગરા નાગર. રાજકોટ કર્મભૂમિ. બેસ્ટ કેપ્ટન તથા ‘બેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર’નો ખિતાબ મેળવી ચૂકેલા ભાસ્કર વોરા કરાચી સામે મેચ રમી ‘વાઈસરોય નોર્થ કોર્ટ શિલ્ડ’ જીતી લાવ્યા હતા. મા સરસ્વતીના ઉપાસક-સાધક ભાસ્કર વોરાનો નાતો જીવન પર્યંત ક્રિકેટ અને કલમ સાથે રહ્યો હતો. ગુજરાતી સુગમ સંગીતને માતબર કરનાર પરિબળોમાં ભાસ્કર વોરાનાં ગીતોનું મહત્ત્વનું યોગદાન છે. લયનાં ઝાંઝર પહેરીને શબ્દ દેહ ધારણ કરતી એમની ગીત રચનાઓ કોઈ પણ સ્વરકારને આકર્ષતી હતી. ભારત-પાકિસ્તાન, ચીન લડાઈ સમયે દેશભક્તિનાં ગીતો એમની કલમે લખાયાં જેમણે રાષ્ટ્રીય ચેતના જગાવવામાં સિંહફાળો આપ્યો હતો. મોહમ્મદ રફી, હેમંત કુમાર, મહેન્દ્ર કપૂર, ગીતા દત્ત, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઈ, શ્યામલ-સૌમિલ-આરતી મુનશી અને તેમની પૌત્રીઓ અનુપા અને ગાર્ગી વોરા સહિત અનેક કલાકારોએ એમનાં ગીતો ગાયાં છે. ગાર્ગી વોરા યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરતું ગુજરાતી સુગમ સંગીતનું ઊજળું નામ છે. ભાસ્કર વોરાની પૌત્રી ગાર્ગી વોરાને કંઠે પણ એના દાદાજીની આ રચના સાંભળવી એ લહાવો છે.

આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી, છાયા બની એ ચંદ્રની એને પગલે પગલાં પાડતી … ગીત ફિલ્મ સત્યવાન-સાવિત્રીનું છે જેના કવિ ભાસ્કર વોરા અને સંગીતકાર દિલીપ ધોળકિયા હતા. લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલાં જૂજ ગુજરાતી યુગલ ગીતોમાં ભાસ્કરભાઈની આ રચનાનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત, એમનાં અન્ય ગીતોમાં કૌમુદી મુનશીના સુરીલા કંઠે ગવાયેલું આ રંગ ભીના ભમરાને … ગીત પણ ખૂબ લોકપ્રિય ગીત છે.

સુપ્રસિદ્ધ સંગીતકાર અજિત મર્ચન્ટે હૈયાને દરબાર ગીતના સંદર્ભમાં એક યાદગાર પ્રસંગ ટાંક્યો હતો. તેમણે લખ્યું છે : "આકાશવાણી મુંબઈમાં મ્યુઝિક યુનિટ ગુજરાતી વિભાગમાં હું પ્રોડ્યુસર હતો. ૧૯૫૯ના મે મહિનામાં આકાશવાણીના માન્યતા પ્રાપ્ત સંગીત નિયોજક પુરુષોત્તમ ઉપાધ્યાયે ભાસ્કર વોરા લિખિત ગીત હૈયાને દરબારની સ્વરરચના ગાઇ સંભળાવી. એ તરજ સાંભળીને હું રસતરબોળ થઈ ગયો હતો. પરંતુ પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરને કંઠે આ ગીત ધ્વનિમુદ્રિત કરવાનું સૂચન કર્યું ત્યારે એમની વાત મને આકાશ કુસુમવત્ લાગી હતી. કારણ કે આ પહેલાં કદાપિ આકાશવાણી નિર્મિત હિન્દી, મરાઠી કે ગુજરાતી ગીત ગાવા લતા મંગેશકર આવ્યાં નહોતાં છતાં પુરુષોત્તમ ઉપાધ્યાયના સૂચન પ્રમાણે આકાશવાણીનો કોન્ટ્રાક્ટ એમને રવાના કર્યો અને લતાજીએ એ સ્વીકાર્યો પણ ખરો.

રેકોર્ડિંગના દિવસે લતાજી આકાશવાણી મુંબઈના સ્ટુડિયો પર આવ્યાં ત્યારે ખબર હોવા છતાં ન તો આકાશવાણીના સરકારી ઓફિસરોએ એમને સત્કાર્યા કે ન તેઓ રેકોર્ડિંગ વખતે હાજર રહ્યા. બલ્કે રેકોર્ડિંગ જ ન થાય એ માટે અનેક ઓફિશિયલ અવરોધો ઊભા કરવામાં આવ્યા, જેનો મારે સામનો કરવો પડ્યો હતો. માન અપમાનની લેશ પરવા કર્યા વગર લતાજી મારા ટેબલ પર આવી પહોંચ્યાં અને હું બેબાકળો બની ગયો. પુરુષોત્તમ ઉપાધ્યાયની અદ્ભુત રચના અને મારા પ્રત્યેની સદ્ભાવનાને લીધે જ તેઓ આવ્યાં હતાં એ હકીકત છે. હૈયાને દરબાર ગીતની વાદ્યસંગીત રચના એટલે કે એરેન્જમેન્ટ સુપ્રસિદ્ધ સંગીત બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલના પ્યારેલાલ શર્માએ કરી હતી. રિહર્સલ બાદ પ્યારેલાલજીને પિયાનોવાદનની ખોટ જણાઈ એમણે મને પિયાનોવાદન કરવાનું સૂચન કર્યું પણ રેકોર્ડિંગની જવાબદારી મારી હોવાથી હું લાચાર હતો. છેવટે પિયાનો સંગત હાર્મોનિયમ વાદનની રીતે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરી હતી અને એક જ ટેકમાં ગીત ઓકે થઈ ગયું હતું. હાર્મનીના સિદ્ધાંતોથી અજાણ પુરુષોત્તમ ઉપાધ્યાયે કોઠાસૂઝથી ‘અર્પેજીયોસ’ અને ‘કોર્ડ્સ’ વગાડી ગીતને વાદ્ય સંગીતથી સભર કરી દીધું હતું. લતાજી પણ ખૂબ ખુશ થયાં હતાં.

આવી સુંદર અને કર્ણપ્રિય રચનાઓ આપણાં ગુજરાતી સુગમ સંગીતની મોંઘી મિરાત છે. ગયા ગુરુવારે હૈયાને દરબાર ગીતના શબ્દો કવિતા તરીકે પ્રગટ કર્યા હતા એ વાચકોને માણવા માટે ફરી પ્રગટ કર્યા છે. જો કે નારી સંવેદનાનું આ અદ્ભુત ગીત યુટ્યુબ પર સાંભળવાનું ભૂલતાં નહીં. તમને ચોક્કસ ગમશે એની ગેરંટી.

————————

હૈયાને દરબાર

વણથંભી વાગે કોઇ સિતાર

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયાં આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર
વણથંભી વાગે કોઇ સિતાર …

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
પળ પળ પ્રીતિના પલકાર
વણથંભી વાગે કોઇ સિતાર

https://www.youtube.com/watch?v=Rkg64DHSn1w&fbclid=IwAR0PhCVKhPkSMUo3i_zkShzpr6ecDlNEJHICnWG6bY8NOnEW8wv64KhkaC8

• કવિ : ભાસ્કર વોરા  • સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય  • ગાયિકા : લતા મંગેશકર

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 જાન્યુઆરી 2019

http://www.bombaysamachar.com/frmSecShowA.aspx?SecNo=29&secName=%27લાડકી%27&Purti=1

Loading

શુધા મઝુમદારની આત્મકથાઃ ‘અ પેટર્ન ઓફ લાઈફ’

રંજના હરીશ|Opinion - Opinion|16 January 2019

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-6

'ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધી' લેખમાળાના ગયા વખતના પાંચમા મણકામાં શુધા મઝુમદારની વર્ષ 1930 આસપાસ લખાયેલ તથા 1977માં પ્રકાશિત આત્મકથા 'અ પેટર્ન ઓફ લાઈફ'ના સંપાદક અમેરિકન ઇતિહાસકાર જેરાલ્ડીન એચ. ફોર્બના પ્રાક્કથનની ચર્ચા કરી. જેરાલ્ડીન આ આત્મકથાને ગાંધીએ ભારતીય સ્ત્રીજીવનના ઉત્કર્ષમાં કરેલ પ્રદાનની એક 'કેસ સ્ટડી' તરીકે બિરદાવી છે. પ્રકાશનના કોઈ જ હેતુ વગર લખાયેલ શુધા મઝુમદારની આ આત્મકથાનું સો ટચના સોના સમું મૂલ્ય પારખીને જેરાલ્ડિન ફોર્બે ચાળીસ વર્ષથી લેખિકા પાસે પડી રહેલ આ આત્મકથાની હસ્તપ્રતને જહેમતપૂર્વક સંપાદિત કરીને પ્રકાશિત કરી તે વાત આ પુસ્તકનું મૂલ્ય સાબિત કરવા માટે પૂરતી છે.

આજે મૂળ પુસ્તકનાં લેખિકાની કલમે કંડારાયેલ સ્વતંત્રતા આંદોલન તેમ જ ગાંધીજીના સંદર્ભની સ્મૃતિઓની વાત આપણે કરીશું. વર્ષ 1899માં જન્મેલ શુધા મઝુમદારની આ આત્મકથા એક અનુઠી આત્મકથા છે. કેમ કે તે 20મી સદીના પ્રારંભકાળના દસકામાં ભારતમાં જીવાયેલ સ્ત્રી જીવનનું સાચું ચિત્ર લઈને આવે છે. આ લેખનો હાલનો સંદર્ભ અન્ય હોવા છતાં એટલું તો લખવું જ જોઈએ કે પરંપરાવાદી સ્ત્રીજીવનમાં તે વખતના રીતરિવાજ, પડદાપ્રથા, વ્રત, ઉપવાસ, સ્ત્રી માટે અગણિત નિષેધ જેવી કેટકેટલી સામાજિક બાબતોનું દસ્તાવેજીકરણ લેખિકા પોતાની આત્મકથામાં કરે છે.

પ્રસ્તુત પુસ્તકની એક વિશેષતા તેના રમૂજપ્રેરક કિસ્સાઓ પણ છે. જેમાંનો એક કિસ્સો અહીં પ્રસ્તૂત છે. પાશ્ચાત્ય રંગે રંગાયેલ, જમીનદાર પિતા તારાપદ ઘોષ અને પરદાનશીન પરંપરાવાદી માતા ગિરિબાલાની સંતાન શુધાનું બાળપણ સૂડી વચ્ચે સોપારીસમું હતું. પિતા જમવાના ટેબલ પર પોતાના મુસ્લિમ બાવરચીએ રાંધેલ માંસાહારી ભોજન જમતા. જમતા જમતા દીકરીના મોંમાં પિતા માંસાહારી ભોજનનો ટુકડો મૂકી દેતા. પેલી નાનકડી દીકરી તરત ના પાડી ઊઠતી. 'કેમ ?' પિતા પૂછતા. બાળકી ગોખીલો જવાબ આપતી, 'પૂજારીજીએ સમજાવ્યું છે કે છોકરી માંસાહાર કરે તો તેનો થનાર પતિ મરી જાય.' પોતાના પતિને ખુશ રાખવા માતા દીકરીને સમજાવતી, 'બેટા પૂજારીજીની વાત સાચી છે કે છોકરીઓએ માંસ ન ખવાય. એમ કરે તો દેવ રિસાય, અને પતિ મરી જાય. પણ પિતાને દુ:ખી કરવા જેટલું મોટું પાપ બીજું કોઈ નથી. હું તને એક મંત્ર શીખવું છું. એ બોલ્યા બાદ માંસ ખાય તો પાપ નહીં લાગે.' એ રામબાણ મંત્ર નીચે પ્રમાણે હતો.

પિતા બ્રહ્મા, પિતા વિષ્ણુ, પિતા જ પરમેશ્વર
પિતાને પ્રસન્ન કરવાથી સર્વ પાપ થાય મુક્ત. (પૃ.75)]

વિધિની વિચિત્રતા જુઓ કે આજ્ઞાકારી દીકરી શુધાએ આ મંત્ર ભણતા ભણતા અંગ્રેજી સ્કૂલમાં બે-પાંચ વર્ષ અભ્યાસ કર્યો ! ચર્ચમાં ગઈ ! લગ્ન પછી સાસરે આવ્યા બાદ મંત્રમાં 'પિતા'ની જગ્યાએ તેણે 'પતિ' શબ્દ મૂકી દીધો અને તે જમાનામાં સ્ત્રીજાત માટે જે કાંઈ નિશિદ્ધ હતું તેણે તે બધું કર્યું. એટલું જ નહીં બ્રિટિશ સરકારમાં સિવિલ સર્વન્ટ એવા પતિના નોકરીના નિયમ વિરુદ્ધ સ્વતંત્રતા આંદોલન તથા ગાંધી વિચારને પણ તેણે મનોમન અપનાવી લીધા. અલબત્ત પોતે કરેલ આવા અતિક્રમણનું પાપ પિતા કે પતિને ન લાગે માટે શુધા પોતાની માતાએ શીખવેલ મંત્ર ભણતી રહી. અને એમ કરતાં કરતાં એ મંત્રની જગ્યાએ ગાંધીજીના ચરખાના ગુણગાન કરતું તત્કાલીન લોકપ્રિય ગીત ગાવાનું પણ ના ચૂકી.

'ચરખો મારો પતિ ને પુત્ર 
ને ચરખો મારો પૌત્ર,
મારો ચરખો ZULAVE આંગણે સમૃદ્ધિ ના KUNJAR' (પૃ.183-184).

એક સિવિલ સર્વન્ટ પતિની પત્ની તરીકે શુધા સ્વતંત્રતા આંદોલન, કે ગાંધીવિચારનું સમર્થન આપે તે TENE TENE MATE બરાબર નહોતું, પરંતુ આ હિંમતબાજ નવોઢા પતિની નોકરીની શરતો મંજૂર રાખીને દેશદ્રોહ કરે તેવી બિકણ નહોતી. પોતાની આત્મકથામાં તે સ્મરે છે કે 1922ના અંતિમ મહિનાઓ દરમિયાન ગાંધીજીએ વિદેશી વસ્ત્રોના બહિષ્કારની જાહેરાત કરેલી. પરદેશી કાપડની હોળી નજર પડે ત્યાં જોવા મળતી. માન્ચેસ્ટરમાં વણાયેલ કાપડનો બહિષ્કાર જાણે ચોરેચૌટે થતી ચર્ચાનો વિષય બની ગયો હતો. સામા પક્ષવાળા એવો તર્ક પણ કરતા કે ભારત જેવા દેશને કાપડની આવી હોળી ક્યાંથી પાલવે ?

ગાંધીજીએ ચરખાને પ્રોત્સાહન આપ્યું તે દરમિયાન સુધારાવાદીઓએ તેમનો વિરોધ કરીને એમ પણ કહેલું કે ગાંધી પ્રગતિના ચક્રને ઊંધી દિશામાં ફેરવી રહ્યા હતા. તેમ છતાં ચરખો અને તકલી જાણે ફેશન બની ગયા હતા. આખું ગામ અરસપરસ પૂછતું, 'તમારે ત્યાં ચરખો ખરો ?' 'હા છે ને.' ગૌરવભર્યો જવાબ મળતો. અને જેની પાસે ચરખો ન હોય તેની પાસે કશું ય નથી તેવો ભાવ તેને થતો. દરેકને પોતાનો હાથ ચરખા પર અજમાવવો હતો. રસ્તે કોઈ પણ મળે તો કાંતણની જ વાત થાય. 'કાંતવાનું કેમ ચાલે છે ? કાંતું તો છું પણ તાંતણો તૂટી જાય છે. મારે ય એવું થાય છે. તાર લાંબો થતો નથી. મારી તકલી પર તાર લપેટવામાં તકલીફ પડે છે.' આ પ્રકારના વાર્તાલાપો સંભળાતા. (પૃ. 100) યુવા પેઢીમાં ચરખા પ્રત્યે અગમ્ય ઉત્સાહ હતો. હાથે વણેલ સૂતરમાંથી બરછટ ખાદી વણીને પહેરવી તે જાણે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બની ગયેલું. આ બધો ગાંધીજીનો પ્રભાવ હતો. લેખિકા લખે છે, 'ગાંધીજીના સમર્થન સાથે ખાદી જાણે સઘળા દેશનો 'ડ્રેસકોડ' બની ગયેલી. ભલભલાઓ પોતાના ફેશનેબલ કપડાં છોડીને બરછટ ખાદી પહેરતા થઈ ગયેલા. ખાદીની ધોતી અને ગાંધીટોપી હવે મોસ્ટ ફેશનેબલ ગણાતા. પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં ખાદી અને ચરખાની ચર્ચાઓએ મોટું જોર પકડેલું. મને એક મેગેઝિનની જેકેટ આજે ય પણ યાદ છે. આ જેકેટ પર એક સુંદર ફેશનેબલ યુવતી લાલચટક બનારસી સાડી પહેરીને ચરખો ચલાવતી બતાવેલી ! તેના અંગ પરના સોનાના આભૂષણોની ચમક મને આજે પણ યાદ છે … ખાદીના પ્રચારમાં આ તે કેવો વિરોધાભાસ ! આજે ય મને તે સમજાતું નથી. અને લાલચટક બનારસી સાડીવાળી એ સ્ત્રીના ફોટાની નીચે 'ચરખો મારો પતિ ને પ્રેમી' ગીત લખેલ હતું.' (પૃ.184) જે શુધા જેવી અનેક સ્ત્રીઓ ઉમળકાથી ગાતી, જેની વાત આગળ થઈ ગઈ છે

'અ પેટર્ન ઓફ લાઈફ'  પુસ્તકમાંથી ગાંધીજી સાથે સંકળાયેલ નીચેના સંસ્મરણ વાંચવા લાયક છે.

'અમારા ઘરથી થોડે દૂર રોડ પરથી આવતા વંદેમાતરમ્‌ના સામૂહિક ઘોષ સાંભળવાની અમને ટેવ પડી ગયેલી. હવે અમારા માટે એ રોજબરોજની ઘટનાસમાન હતું. એક વખતની વાત છે. મારો નાનકડો પુત્ર રોમુ ઉત્સાહપૂર્વક દોડતો આવીને મારી સોડમાં લપાયો અને રડમસ સ્વરે મને કહે 'મા વંદેમાતરમ્‌ એટલે શું ? બધા આ ગાયન કેમ ગાય છે ? અને તું મને કહે આ ગાંધી કોણ છે ? શું એ કોઈ સંત છે ? મને કોઈએ કહ્યું કે બ્રિટિશ સરકારે ગાંધીને જેલમાં મોકલ્યા છે ! ધોળી પોલીસ તેને ભાલા ભોંકીને મારી નાખવાની છે ! જો ગાંધી સંત હોય તો ધોળિયાઓ તેને પજવે છે કેમ ? મા, મને બહુ ચિંતા થાય છે. હવે શું થશે ? અને મા મને ભૂખ પણ સખત લાગી છે.' એક જ શ્વાસમાં મારો નાનકડો રોમુ આ બધી વાત બોલી ગયો. (પૃ. 185) સ્વતંત્રતા આંદોલનના એ જમાનામાં ગાંધીજીના નામની બોલબાલા હતી. મારા પતિ બ્રિટિશ સરકાર માટે કામ કરતા હતા. તેમના હોદ્દાની રૂએ સ્વતંત્રતાસેનાનીઓની ગતિવિધિનો રિપોર્ટ તેમણે ટાઈપ કરીને સરકારને મોકલવાનો રહેતો. પરંતુ એ જમાનાના ગાંધીમય માહોલમાં તેમનો એ સરકારી રિપોર્ટ ગુપ્ત રાખી શકે તેવો ટાઈપિસ્ટ ક્યાંથી મળે ? છેવટે હું ટાઈપ કરતાં શીખી. મારા દેશબાંધવોની ગતિવિધિને લગતો બ્રિટિશ સરકાર માટેનો રિપોર્ટ મારે બે આંગળીથી ટાઈપ કરવાનો આવ્યો. મારા આંગળા રિપોર્ટ ટાઈપ કરતા અને મારું મન આંદોલનકારીઓ માટે કકળતું. (પૃ.195)

તે જમાનામાં સ્વતંત્રતા માટે હિંસાનો છોછ ન રાખનાર સુભાષચંદ્ર બોઝ તથા તેમના અનુયાયીઓને લોકો 'સ્વદેશી ડાકુઓ' નામે બોલાવતા. (પૃ. 199) … વળી પ્રત્યેક સ્વતંત્રતાસેનાની માટે એક જ નામ હતું 'ગાંધી'. એકવાર અમારા ઘરની સામે થોડા જુવાનિયાઓએ ભેગા થઈને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જાણ થતાંની સાથે જ બ્રિટિશ પોલીસ ઓફિસરે આવીને એ ધ્વજને નાનકડા ડંડા પરથી ફૂલને ચૂંટી લે તેમ ચૂંટી લઈને ગડી કરીને પોતાના ગજવામાં મૂકી દીધો ! ધ્વજ લહેરાવનાર જુવાનિયાઓને પોલીસ પકડી ગઈ. આ ઘટનાના બીજે જ દિવસે કંઈક બન્યું અને પોલીસ ફરીવાર જુવાનિયાઓને પકડી ગઈ. મેં કામવાળીને પૂછ્યું, 'શું થયું ?' પેલી બોલી, 'પેલા ગાંધીઓને ધોળિયા પકડી ગયા.' (પૃ. 226)

કેવો એ જમાનો હશે ? કે જ્યારે પ્રત્યેક સ્વતંત્રતાસેનાની 'ગાંધી' કહેવાતો હશે ? અને દરેકને ચરખો કાંતવાની હોંશ હશે ? દેશ માટે ફના થવાની તૈયારી હશે ? લેખિકા પોતાના પુસ્તકના અંતિમ ભાગમાં જણાવે છે કે વર્ષ 1926ના જૂન મહિનાના 'ઇલસ્ટ્રેટેડ વિકલી' મેગેઝિનમાં તેમની ટૂંકી વાર્તા પ્રકાશિત થયેલી અને તે જ અંકમાં ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદનું અગિયારમું પ્રકરણ પણ પ્રકાશિત થયેલું. સિવિલ સર્વન્ટ એવા પતિની દેશપ્રેમી પત્ની લખે છે, 'કેવા ગૌરવની વાત ! મારું કેવું ધનભાગ્ય કે એક જ અંકમાં મારું અને ગાંધીજીનું લેખન પ્રકાશિત થયેલું !' (પૃ.200) આવા નાનામોટા અત્યંત સૂચક પ્રસંગો દ્વારા ગાંધીજી તથા તેમના સમયને સુપેરે વ્યક્ત કરતી શુધા મઝુમદારની આત્મકથા વ્યક્તિગત જીવનનાં સંભારણાં ઉપરાંત સ્વતંત્રતા આંદોલન તેમ જ ગાંધીના નેતૃત્વનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરે છે. બાપુના પ્રભાવ તળે ભારતીય સ્ત્રીજીવનની ઉઘડતી જતી ક્ષિતિજોનો દસ્તાવેજ પણ આ પુસ્તક રચે છે. પરંતુ આ સઘળું લેખિકા એક 'આઉટસાઈડર-ઈનસાઈડર'ની ભૂમિકામાં લખે છે. પોતે બ્રિટિશ સરકારના એક વફાદાર ઓફિસરની પત્ની છે તે વાત તેઓ ક્યારે વિસરતા નથી.

તા.ક. ગાંધી સ્મૃતિના આ રમૂજભર્યા અમૂલ્ય દસ્તાવેજને વાંચ્યા વગર સુયોગ્યપણે બિરદાવી શકાય તેમ નથી.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની કોલમ, “નવગુજરાત સમય”, 16 જાન્યુઆરી 2019

Loading

...102030...2,9842,9852,9862,987...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved