Opinion Magazine
Number of visits: 9969072
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીજાણુ ‘વિશ્વમાનવ’

કેતન રૂપેરા|Opinion - Opinion|22 March 2019

આલ્બેર કામૂ, પેરામ્બેલો, યુલિસિસ, સેઇન્ટ જોહ્‌ન પર્સ, (ફેડ્રિકો ગાર્સિયા) લોર્કા, (રેઇનર માર્કા) રિલ્કે, ઓક્ટેવિયો પાઝ, (ફ્રાન્ઝ) કાફકા, (બોરિસ) પાસ્તરનાક, દોસ્તોવયેસ્કી, ચેખોવ, રેમ્બ્રાન્ટ, જુલિયન ગ્રીન, બોદલેર … (હજુ ઓછા પડતાં હોય તો ઉમેરી શકાય). – વિશ્વ સાહિત્યનાં ખેરખાં કહી શકાય એવા એકસામટા આટલાં બધાં નામ, કોઈ એક જ નિમિત્તે અને એક જ પાનાં પર, ગુજરાતી ભાષાના કોઈ સામયિકમાં અંકિત થાય એવી કદાચ આ પહેલી ઘટના હોઈ શકે. કારણ? ગુજરાતી ભાષામાં એ ૩૬ વર્ષ ચાલેલી ઘટના જ એનો જવાબ છે –  એ છે ‘વિશ્વમાનવ’.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં સ્વનામધન્ય જ કહી શકાય એવા આ સામયિકનો એકવીસમી સદીમાં ડિજિટલ સ્વરૂપે પુર્નજન્મ થયો એમ કહીએ તો ચાલે. પોતાના નામને સાર્થક કરતાં, સાહિત્ય, કળા, સમાજકારણ, રાજકારણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને એવાં કંઈકેટલાં ય ક્ષેત્રોને આવરી લઈ માનવને વિશ્વમાનવ બનવા પ્રેરતા આ સામયિકની ડી.વી.ડી. લોન્ચ કરાઈ. નિરીક્ષક ફાઉન્ડેશન, ગુજરાતી લેક્સિકન અને ઓપિનિયન મૅગેઝિન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિચારપત્ર ‘નિરીક્ષક’ની પચાસ વર્ષની ઊજવણીનું નિમિત્ત પણ ભળ્યું ને આ ઉજવણીના પહેલા મણકારૂપે, ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં, ૨૩ ફેબ્રુઆરીના રોજ એક સરસ કાર્યક્રમ યોજાયો.

આ સામયિકનું ડિજિટલ વર્ઝન બહાર પાડવાનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ જો કોઈ હોય તો એ ‘વિશ્વમાનવ’ કોઈ રીતે કાયમી રૂપે સચવાઈ જાય એવી ત્યારની પેઢીની ઇચ્છા-અભિલાષા અને એ ઉપરાંત, અમે જે કંઈ આ સામયિક વાટે મેળવ્યું છે, જેણે વૈચારિક રીતે, અમારા વ્યાવસાયિક અને અંગત જીવનના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે તે ફાલ હાલની, નવી પેઢીને પણ મળે એવી ધખના. એ પણ હશે જ ને. ઘરની કોઈ વડીલ વ્યક્તિ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં ભાવિ પેઢી માટે શું વિચારે? પોતાના કુટુંબનો ભવ્ય વારસો આવનારી પેઢીને -પૌત્રપૌત્રાદીને – આપીને જવો. બસ, લગભગ એવી જ આ કલ્યાણભાવના.

… અને આ વારસાને સાચવવાની, એનું ગૌરવ અનુભવવાની જે લાગણી વ્યક્ત થઈ એ કાર્યક્રમના અંતે, ગુજરાતી લેક્સિકન સાથે સંકળાયેલા મૈત્રી શાહની અભિવ્યક્તિમાં. તેમણે કહ્યું કે અમારી પેઢીને આવા કોઈ સામયિકની ખબર જ નહતી, અને જે વર્ષમાં એ બંધ થયું એ જોતાં એ સ્વાભાવિક પણ છે, પરંતુ એના પર કામ કરતાં કરતાં લેખો પર જે નજર ફરી કે એનાં લેખકોનાં નામ વાંચવાનું થયું, ત્યારે થયું કે આટલું સરસ સામયિક, જે વિશ્વકક્ષાનું કહી શકાય એવું આપણી ગુજરાતી ભાષામાં એક વખતે પ્રકાશિત થતું હતું!

૧૯૫૮થી ૧૯૯૩નાં વર્ષોને ત્રણ ડી.વી.ડી.માં વહેંચી તેનું નિદર્શન પણ રજૂ કરનાર બહેન મૈત્રીની ને એમની આસપાસની આ એ પેઢી છે, જે અત્યારે ત્રીસથી ચાલીસ વચ્ચે રમી રહી છે. ‘નિરીક્ષક’ના આગલા અંકમાં (૧-૩-૧૯) જ ચેતન પગીએ કહ્યું તેમ “એંસી-પંચાસી પહેલાં જન્મેલા લોકો ખરા અર્થમાં નસીબદાર છે …. આ એ પેઢી છે, જેમને પોસ્ટકાર્ડ લખવાનો અનુભવ પણ મળ્યો અને હવે ફેસબુક લાઇવ પણ કર્યું છે …. જે એક વસ્તુ સતત અનુભવાતી તે એ હતી કે ઉદારીકરણ પહેલાંના પરિવર્તનની ઝડપ ભલે ધીમી હતી, પણ ત્યારની ‘નિરાંત’ એનું જમાપાસું હતી, ૯૧-૯૨ પછી અચાનક જાણે બધું ફાસ્ટ ફૉરવર્ડ થઈ રહ્યું હોય, એવું લાગવા માંડ્યું.” તો અહીં મુખ્ય તફાવત છે ‘નિરાંત’ અને બધુ ‘ફાસ્ટ’ હોવા વચ્ચેનો. એ ખરેખર જ નિરાંતનાં વર્ષો હતાં, જ્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણો વખત આપણી જાણ બહાર ચોરી જતા ન હતા. અને એ તથા એ પહેલાંનાં અરસામાં જ અનેક લેખકોએ ઘણા અભ્યાસ અને એકાગ્રતા સાથે સંશોધિત અને મૌલિક લેખોથી માંડીને વિશ્વભરની કવિતા અને લેખોના અનુવાદ આપ્યા, અને વાચકોએ દિલ ભરીને વાંચ્યા પણ ખરા. આજે આ બધા વિશ્વસાહિત્યકારોનાં અનેક સર્જનો ગુગલિંગ કરીને જોઈ-મેળવી-વાંચી શકાય છે, પણ એને ગુજરાતીમાં ઊતારવાની નિરાંત કેટલા પાસે છે, અને અપવાદરૂપ કેટલાક લેખકો પાસે એ નિરાંત છે તો પોતે આ કામ હાથમાં લે એવી આબોહવા ક્યાં છે?! અને એટલે જ જે જૂનું છે, એ સોનું છે એને કાયમીરૂપે સાચવી લેવાનો આ સુયોગ્ય સમય હતો, એ ‘એક સરસ કામ થયું.’

મૂળરૂપે, પહેલાં ગાંધીવિચાર અને પછી માર્ક્સથી લઈને પુનરપિ ગાંધી તરફ પાછા વળેલા ને ત્યાં જ ઠરેલા ભોગીભાઈ ગાંધીએ “જ્યાંય ક્યાંયથી ‘ઓઝોન’ મળે ત્યાંથી ખોબેખોબા ફેફસાંમાં” ભરી લેવાના તલસાટ સાથે ૧૯૫૮માં શરૂ કરેલા આ સામયિકમાં ઘણા નવયુવાનોને જોડેલાં. એમાંનાં કેટલાક ‘વિશ્વમાનવ’ અને ભોગીભાઈ સાથેનાં સંભારણા વાગોળવા મંચસ્થ હતા. ગુલામમોહમ્મદ શેખ, સુમન શાહ અને યોગેશ જોષીએ ભોગીભાઈ-સુભદ્રાબહેન અને ‘વિશ્વમાનવ’ સાથેનો પોતાનો પ્રારંભિક પરિચય, પછી નજદિકી, પછી સોબત અને પછી આજીવન હિસ્સો બની રહેનારા ને સ્મૃતિપટમાંથી ક્યારે ય ન ભૂંસાનારા પ્રસંગો, ઘટનાઓ, અનુભવો અને લાગણીસભર ક્ષણોનું તાદ્દશ વર્ણન કર્યું. જાણે ભોગીભાઈ, પ્રબોધ ચોકસી, સુરેશ જોષી વગેરેને ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં થોડી ક્ષણ માટે જીવંત કરી દીધા!

'વિશ્વમાનવ'ની ડી.વી.ડી.નું જાહેર લોકાર્પણ : શનિવાર, 23 ફેબ્રુઆરી 2019. ચિત્રમાં, ડાબેથી, વિપુલ કલ્યાણી, અમીતભાઈ ગાંધી (ભોગીલાલ ગાંધીના પુત્ર), નંદિનીબહેન ગાંધી (પુત્રવધૂ), પ્રકાશભાઈ ન. શાહ, ગુલામમોહમ્મદભાઈ શેખ, સુમનભાઈ શાહ તેમ જ યોગેશભાઈ જોશી.

સહજ અભિવ્યક્તિની આ પરાકાષ્ઠા કદાચ આ સૌમાં કદાચ એટલે આવી હશે કે આ ‘વિશ્વમાનવ’ વાંચીને કોઈકે પોતાનો એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો હતો, તો કોઈ એના થકી વિશ્વસાહિત્યમાં ઝબકતા તારલાઓના સંપર્કમાં આવ્યું હતું, કોઈ એમાં લખતાં લખતાં જ ને લખવાના કારણે જે અભ્યાસ થયો એના કારણે ભણતા ભણતા ભણાવવા લાગ્યું હતું તો કોઈકે એમાંથી સંસ્કાર પામવાને પોતાનું ને કોઈ પણ સાહિત્યકાર કે કળાકારના જીવનનું મોટું સદ્‌ભાગ્ય ગણાવ્યું હતું.

જો કે, વ્યાવસાયિક જીવનમાં સાહિત્ય અને કળાની દૃષ્ટિ ખિલવવાની અને વ્યક્તિગતજીવનમાં સંસ્કારઘડતરની ભૂમિકા ભજવવાના ‘વિશ્વમાનવ’ના ધર્મ વચ્ચે કેટલાક શ્રોતાઓને એક ખોટ પણ વર્તાઈ હોઈ શકે – એ ‘વિશ્વમાનવ’ની નાગરિકઘડતરની ભૂમિકા. સત્તા કે સ્થાપિતોના દુરાચરણ સામે ‘અક્ષરઆંદોલન’થી સતત સક્રિય રહેવાની ભૂમિકા. રઘુવીર(ચૌધરી)ભાઈ અને દિનેશ(શુક્લ)ભાઈ ઉંમર સહજ માંદગીને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. એમની હાજરીએ આ ખોટ પૂરી હોત? … અલબત્ત, પ્રકાશભાઈના હાથમાં સંચાલનનો દોર હતો, એટલે એ મર્યાદામાં રહીને એમણે જ્યાં જ્યાં આ વિષયે હાજરી પુરાવાય ત્યાં ત્યાં પુરાવી, પણ એની અનિવાર્યતા શેખસાહેબના જ વક્તવ્યના આ અંશોમાં છતી થયા વગર રહેતી નથી. ત્યારના રાજકીય-સામાજિક માહોલમાં પ્રગટતી ભોગીભાઈની ‘હમ બૈચેન હૈ’ જેવી કોઈ કોલમ આજના માહોલમાં કોઈકે શરૂ કરવા જેવી ખરી, એમ શેખસાહેબે દિલના ખૂબ ઊંડાણથી કહ્યું હોય એવું લાગ્યું. સાથે એમણે નિખાલસ એકરાર કરતાં ઉમેર્યું પણ ખરું કે “ભોગીભાઈ, પ્રબોધભાઈ અને સુરેશભાઈ વચ્ચે ઝરતી સાહિત્યની ચર્ચાઓમાં જ્યારે રાજકારણનો પ્રવેશ થતો, ત્યારે એ સંવાદ-વિસંવાદમાં માત્ર શ્રોતા તરીકે સામેલ ‘અમે એમાંથી બાકાત રહેતા કારણ કે અમારી એ કાળની સાહિત્ય દૃષ્ટિને એ ખપનું નહોતું’. એમણે એમ પણ કહ્યું કે “હજુ હમણાં સુધી અમને એ ખપનું નહોતું ને હજુ ઘણા વખત સુધી સાહિત્યકારોને એ ખપનું રહ્યું નથી … પણ સાંભળ્યું તે કોઈક પછીતે પડ્યું રહ્યું ને દાયકાઓ બાદ સાહિત્યકારણ અને રાજકારણની એરણ પર મૂલવવાનું નિમિત્ત થયું સંવાદ-વિવાદની એ ઉન્મત્ત પળોને ખોવાનો ખેદ થયો.” 

દેશ-દુનિયાના આજના માહોલમાં વિશેષપણે જીવનમાં ઉતારવાલાયક તે એ કે ત્યારે “મોભીઓ વચ્ચે વિવાદને કારણે મનદુ:ખ થયાનું જાણ નથી. અમે માનતા કે વિચારભેદ છતાં એમનો પરસ્પર આદર અકબંધ રહ્યો. આવું પણ અત્યારે જોવા મળતું નથી.”

આ ‘વિશ્વમાનવ’ હતું, અને આવા એના મોભીઓ હતા.

હવે તો ચિરંજીવ કહી શકાય એવો એનો આ ડિજિટલ જન્મ જ્યાં પણ ખાલી જગ્યા પડશે ત્યાં ભરશે અથવા ક્યાંક ક્યાંક પોતાની જગ્યા ઊભી પણ કરશે. કૉપીરાઇટના મામલાને ડિજિટલ પ્રકાશનકર્તા પાસેથી જાણી લેવો રહે, પણ નાગરિક ઘડતરના નિસબતની તેની પૃષ્ઠભૂ જોતાં ગુજરાતી ભાષાના અન્ય સામયિકો પણ ‘વિશ્વમાનવ’માંથી પ્રસંગોપાત અને સાંપ્રતમાં આકાર લેતી ઘટનાઓ-દુર્ઘટનાઓને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવા-સમજાવવા લેખોનું ચયન કરીને સૌજન્ય-નોંધ સાથે જો મૂકતા રહે એમાં નકાર તો ન ભણે. આપણા સૌ સામયિકો – જેનો જે ઉદ્દેશ છે – એની પૂર્તિ કરવામાં ‘વિશ્વમાનવ’ ઊણું નહીં ઊતરે, એટલી ખાતરી ચોક્કસ છે.

સાથે સાથે …

આ સંપૂર્ણ કાર્યક્રમ આ લિંક પરે ક્લિક કરીને માણી શકાશે :

https://www.facebook.com/pg/gujaratilexicon/videos/?ref=page_internal

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – વિપુલ કલ્યાણી

https://www.youtube.com/watch?v=MG_TZuEsa4M

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – પ્રકાશ ન. શાહ

https://www.youtube.com/watch?v=ocmFdIcqbjk&list=PLIjHkh9O5_8enNzjSzBKNvP7_8DbUggvp&index=4

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – ગુલામમોહમ્મદ શેખ

https://www.youtube.com/watch?v=5mqpkziYdYY

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – સુમન શાહ

https://www.youtube.com/watch?v=YL3SKOEWI-Y

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : યોગેશ જોષી

https://www.youtube.com/watch?v=HhVEQEYerlo

E-mail : ketan.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 10-11

Loading

મુસ્લિમ કે હિન્દુ નહીં, માણસ મર્યો છે એવું વિચારવાનું કેમ આપણને ફાવતું નથી?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 March 2019

એક વાર વિનોબા ભાવે પોતાના ચા-પાંચ સાથીઓ સાથે ૨૦મી સદીના મહાન ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિને મળવા ગયા. તેમની વચ્ચે આપણા ખપની અને સમજવા જેવી ઘણી વાતો થઈ, પણ છેલ્લો સમજવા જેવો અને આપણા ખપનો સંવાદ થયો એ અહીં ટાંકુ છું. વિનોબાની સાથે જે ચાર-પાંચ જણા આવ્યા હતા તેમના તરફ દૃષ્ટિ કરીને જે. કૃષ્ણમૂર્તિએ પૂછ્યું કે “આ બધા કોણ છે? તમારા અનુયાયી?”

વિનોબાએ કહ્યું કે, “ના, મારા સાથી. અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”

કૃષ્ણમૂર્તિએ માત્ર આટલું જ કહ્યું : “આભાર! સાંભળીને મને રાહત થઈ!”

એ ચાર-પાંચ સાથીઓને વિનોબાએ અનુયાયી તરીકે ઓળખાવ્યા હોત તો કૃષ્ણમૂર્તિએ ઊંડી વેદના અનુભવી હોત અને એટલી સંવેદનશીલતા તેઓ ધરાવતા પણ હતા, પણ જ્યારે વિનોબાએ તેમને સાથી તરીકે ઓળખાવ્યા ત્યારે કૃષ્ણમૂર્તિએ રાહત અનુભવી હતી અને રાહત અનુભવી શકે એટલા તેઓ જાગ્રત પણ હતા.

જે. કૃષ્ણમૂર્તિ જીવનભર એક જ વાત સમજાવતા રહ્યા હતા : તમે તમારું સર્જન બનો, આજુબાજુના વાતાવરણ અને સંસ્કારોનું નહીં. સરેરાશ માણસ પોતાનાં યુગનું કે સમયનું સર્જન હોય છે. આજુબાજુના વાતાવરણનો પ્રભાવ ઝીલતો હોય છે અને એ મુજબ વર્તતો હોય છે. કૃષ્ણમૂર્તિને ચિંતા એ વાતની હતી કે એક તો માંડ એક મનુષ્ય જીવન મળ્યું હોય એમાં યુગપ્રભાવ ઝીલવામાં અને એ મુજબ જીવવામાં આયખું એળે જાય. તેઓ એનાથી પણ વધારે દુ:ખી એ વાતે હતા કે યુગપ્રભાવની બાબતમાં સારાસાર વિવેક કરવાની ક્ષમતા હોવા છતાં મનુષ્ય એ કરતો નથી અને ટોળાંમાં જોડાઈ જાય છે. વિવેક કરવાથી ગ્રંથિમુક્ત થવાય અને ભયમુક્ત પણ થવાય; પરંતુ એ કિંમતી જણસ તેને સમજાતી નથી. એ બુદ્ધ હોય, ગાંધી હોય કે કૃષ્ણમૂર્તિ હોય; ત્રણેયની ચિંતા એક જ વાતે હતી કે માનવી આજુબાજુના વાતાવરણના પ્રભાવમાં આવીને આયખું વેડફી નાખે છે.

ન્યુઝીલેન્ડમાં એક માથા ફરેલા માણસે બે મસ્જિદોમાં હુમલા કરીને દોઢસો જેટલાં મુસલમાનોને મારી નાખ્યાં. એ ઘટના પછી આપણા દેશમાં મેં બહુ થોડા લોકોને ગ્લાનિ પ્રગટ કરતાં જોયાં છે. શા માટે? કારણ કે તેઓ મુસલમાન છે અને મુસલમાન તેને લાયક છે. ફ્રાંસમાં છાપાની ઑફિસ પર હુમલો થાય તો આપણું દિલ પીગળી જાય અને ન્યુઝીલેન્ડમાં મુસલમાન મરે તો દિલને કોઈ અસર ન થાય, બલકે રાજી થાય એવું કેમ? શું કરુણા વ્યક્તિ કે સમૂહસાપેક્ષ હોય છે કે પછી કરુણા શુદ્ધ કરુણા હોય છે?

થોડાં વરસ પહેલાં સીરિયન શરણાર્થીઓનાં એક મૃત બાળકના સમુદ્ર કિનારે પડેલા દેહની તસ્વીર તમે જોઈ હશે. ત્રણેક વરસનું એ ભૂલકું તાજું જ મરણ પામ્યું હશે એટલે જોઇને લાગે કે તે સૂતું છે. ચડ્ડી, ઇન શર્ટ, પગમાં મોજાં સહિત બુટ, વ્યવસ્થિત વાળ ઓળાવેલા અને રૂપરૂપનો અંબાર! એ બાળક સમુદ્રની લહેરો સાથે જાણે લાકડું આગળ – પાછળ ધકેલાય એમ બે પડખે ધકેલાતું હશે. એ તસ્વીર જોઇને અનેક લોકોનાં દિલ દ્રવી ઊઠ્યાં હશે, પણ મારા એક હિન્દુત્વવાદી મિત્રે શું કહ્યું હતું ખબર છે? મને પૂછે કે ‘તમે એ બાળકના મૃતદેહને ધ્યાનથી જોયો? ખૂબ શ્રીમંત પરિવારનું એ બાળક હોવું જોઈએ. એ કોઈ અભાવના કારણે કે ધક્કામુક્કીમાં મરી ગયું હોય એવું લાગતું નથી. તેને જાણીબૂજીને મારી નાખીને, તેના મૃતદેહને સમુદ્રકિનારે મૂકવામાં આવ્યો હોવો જોઈએ.’

તે મિત્ર શું કહેવા માગે છે એ મને સમજાઈ ગયું હતું, પરંતુ એ છતાં મેં પૂછ્યું કે એવું શા માટે કોઈ કરે? તેણે તરત જવાબ આપ્યો: ‘કારણ કે આપણને, એટલે જગતની ગેર-મુસ્લિમ પ્રજાઓને બદનામ કરવા. તમે મુસલમાનોને ઓળખતા નથી. તેઓ કોઈ પણ હદે જઈ શકે એમ છે.

આવું વિચારવા માટે પણ ૫૬ ઈંચની છાતી જોઈએ અને આજના યુગમાં આપણે આવી છાતી ધરાવતા થઈ ગયા છે. ફ્રાંસના મૃત પત્રકારોને હજુ તો ફ્રેંચો અંજલિ આપે અને દુ:ખ વ્યક્ત કરે એ પહેલાં હડી કાઢીને દુ:ખ વ્યક્ત કરનારા આપણા વડા પ્રધાન ન્યુઝીલેન્ડની ઘટના બાબતે ચૂપ છે. તેઓ તો અસ્સલ ૫૬ ઈંચની છાતી ધરાવનારા વીર છે. દિલ ત્યારે જ રડે જ્યારે ‘આપણાં’ કે આપણને માફક આવે એવા લોકો સાથે અઘટિત ઘટના બની હોય અને મનમાં રાજીપો પણ થાય, જો આપણને ન ગમતાં ‘બીજાં’ સાથે કોઈ અઘટિત ઘટના બની હોય. એ બાળકના મૃતદેહને જોઇને આંખ ભીની થવાની જગ્યાએ તેનાં પહેરવેશ નીરખવાની અને એમાં કાવતરાં જોવાં માટેની વિકૃતિ ક્યાંથી આવી હશે?

આજુબાજુના વાતાવરણમાંથી. જો આવું દૃશ્ય ગાંધીજીના યુગમાં જોવા મળ્યું હોત તો કોઈ ડૉ. દ્વારકાદાસ કોટનીસ અભાગીઓની સેવા કરવા ત્યાં પહોંચી ગયા હોત, જેમ તેઓ ચીનમાં પ્લેગના દર્દીઓની સેવા કરવા પહોંચી ગયા હતા. ડૉ. કોટનીસ ચીન ગયા એ યુગપ્રભાવ હતો અને આજે બાળકના મૃતદેહમાં કાવતરાં જોનારાઓ કે ન્યુઝીલેન્ડની ઘટનાથી જરા પણ વિચલિત નહીં થનારાઓ – બલકે રાજી થનારાઓ – પણ યુગપ્રભાવને ઝીલે છે. એ ગાંધીનો યુગ હતો, જ્યારે આજે નરેન્દ્ર મોદી-ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ છે. ત્યારે દિલ દ્રવે એમાં જીવનની સાર્થકતા હતી, જ્યારે આજે ‘બીજાઓ’ને દુ:ખી જોઇને ‘આપણે’ રાજી થઈએ એમાં જીવનની સાર્થકતા છે. ‘બરોબર છે, તેઓ એ જ લાગના છે’ એમ કહેતા શરમ નથી આવતી.

આપણે માણસ મટીને કોઈના વાજિંત્ર બની જઈએ છીએ અને એ પણ ઉત્સાહથી. આજકાલ દેશપ્રેમનું વાજું વાગી રહ્યું છે. પુલવામાં જેવી ઘટનાઓ આ પહેલાં પણ બની છે. ત્યારે રડવું નહીં આવ્યું અને આજે જ કેમ આવે છે? બીજું જવાનોનું જીવન અમૂલ્ય છે એમાં કોઈ શંકા નથી, પણ ગોરખપુરમાં ઓક્સીજનના અભાવમાં પુલવામાં કરતાં પણ બેવડી સંખ્યામાં બાળકો મર્યા ત્યારે એ બાળકનું જીવન સસ્તું હતું? કેટલાંની આંતરડી કકળી હતી? કાશ્મીરમાં બકરવાલની દીકરી સાથે જે ઘટના બની ત્યારે કેટલાં દેશપ્રેમીઓએ શરમ અનુભવી હતી? જો તમે પક્ષપાત વિના મૂલ્યોના પક્ષે અને માણસાઈના પક્ષે નથી ઊભા રહેતા તો તમારા માણસ હોવાપણામાં જ કોઈક ખામી છે.

આગળ કહ્યું એમ જે. કૃષ્ણમૂર્તિની વેદના બે વાતની હતી. એક તો આ અમૂલ્ય આયખું આપણને એક જ વાર માટે મળ્યું છે અને ઉપરથી વિવેક કરવાની ભગવાને શક્તિ પણ આપી છે. એકની એક તક યુગના કુપ્રભાવથી બચીને માણસ તરીકે જીવવાની ક્ષમતા હોવા છતાં આપણે હોંશેહોંશે વેડફી નાખીએ છીએ. એટલે વિનોબાએ જ્યારે કહ્યું કે ‘મારી સાથે આવેલા લોકો મારા અનુયાયીઓ નથી, મારા સાથી છે’ ત્યારે કૃષ્ણમૂર્તિએ રાહત અનુભવી હતી. ચાલો આટલા લોકો તો કમસેકમ સાંકળે બંધાયેલા નથી અને બાંધવામાં આવ્યા નથી. સારાં કામ પણ પોતાના વિવેકથી કરવાં જોઈએ તો નઠારાંનો તો સવાલ જ નથી.

સોક્રેટીસ, બુદ્ધ, ગાંધી, કૃષ્ણમૂર્તિ વગેરેની એક લાંબી સાંકળ છે. એ છે તો સાંકળ પણ મુક્તિ અપાવનારી સાંકળ છે. માણસને માણસ તરીકેની ઓળખ અપાવનારી સાંકળ છે. બીજી સાંકળ માનવીને આંગળિયાત બનાવનારી છે. તમારું આયખું એક જ છે અને સારાસાર વિવેક કરવાની તમારી પાસે શક્તિ પણ છે તો આજે જ પસંદગી કરી લો.

19 માર્ચ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 માર્ચ 2019

Loading

૯૦ કરોડ મતદાર, ૫૪૩ બેઠકો વચ્ચે મતપત્રકના ગંજાવર ગંજીફાની ગોઠવણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 March 2019

આપણી ચૂંટણી એટલે આમ તો ભોગી, યોગી, વિદેશી, દીદી, માયા, મતતા વચ્ચેની યાદવાસ્થળીનો રસાકસીનો ખેલ

બહુ જ ચવાઇ ગયેલું અને લગભગ બેસ્વાદ બની ચૂકેલું એક વાક્ય છે : ‘ચૂંટણીના પડઘમ વાગવા’ – અત્યારે એ બેસ્વાદ વાક્યનો લાહવો લેવાનો માહોલ ગણો તો એ અને કારસો ગણો તો એ રચાઇ રહ્યો છે. લોકશાહી તંત્ર હોય ત્યાં ચૂંટણી બહુ જ અગત્યની ઘટના છે – હા, એને પ્રક્રિયા નહીં પણ ઘટના જ કહેવી પડે, ખાસ કરીને જ્યારે આપણા દેશમાં ૯૦ કરોડ મતદાર હોય! આ આંકડો આખા અમેરિકાની વસ્તી કરતાં ત્રણ ગણો છે.  ૨૦૧૪ની ચૂંટણીમાં ૫૫ કરોડ લોકોએ મત આપ્યો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં લોકસભાનાં ૫૪૩ સભ્યો ચૂંટવા માટે નવ અલગ અલગ દિવસે અને પાંચ અઠવાડિયાનાં ગાળામાં મતદાન યોજાયું હતું અને મતદારોએ ૪૬૪ પક્ષનાં કૂલ ૮,૨૫૦ ઉમેદવારોમાંથી પસંદગી કરીને મત આપ્યો હતો. આ વર્ષે ફરી એકવાર આ ખેલ શરૂ થવા જઇ રહ્યો છે, ત્યારે જાણે ડાયનોસોર યુગનો હોય એવો જ કોઇ મોટો હાથી ઐતિહાસિક ડગર પર ડોલતો પગ મૂકી રહ્યો હોય એવું લાગે. ભારતમાં જે સ્તરે અને જે રીતે ચૂંટણી થાય છે તે જોતાં વિશ્વનાં બીજા કોઇપણ રાષ્ટ્રની ચૂંટણી પ્રક્રિયા સાથે તેની સરખામણી કરવાનો કોઇ અર્થ નથી રહેતો, પણ ચૂંટણીનો ઇતિહાસ અને અલગ અલગ રાષ્ટ્રોમાં તેને લગતા નિયમો ચોક્કસ રસપ્રદ છે.

પૌરાણિક યુગમાં રોમનાં એથેન્સમાં, પોપ અને રોમન એમ્પરર્સની પસંદગી કરવા માટે ચૂંટણીઓ થતી પણ આધુનિક ચૂંટણીની શરૂઆત યુરોપ અને ઉત્તર અમેરિકા પ્રતિનિધિ સરકારના ઉદય સાથે ૧૭મી સદીના પ્રારંભે થઇ. વેદિક કાળમાં પણ રાજાની પસંદગીની તેના ગણ દ્વારા કરાતી હોવાનો ઉલ્લેખ છે. સંગમ કાળ, પાલા રાજાઓના સમયે, ચોલા શાસકોને વખતે પણ મત આપીને રાજાની પસંદગી કરાતી. ઉત્તર અમેરિકા અને યુરોપમાં પુરુષો જ ચૂંટણી પ્રક્રિયા પર કાબૂ રાખતા તો યુનાઇટેડ કિંગ્ડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકમાં શાસક વર્ગના પુરુષોનું કહેણ ચૂંટણીમાં ચાલતું. ૧૯૨૦ દરમિયાન મતાધિકારનાં સમીકરણો બદલાવા માંડ્યાં અને અમુક દેશોમાં સ્ત્રીઓને પણ મતાધિકાર મળ્યો. ચૂંટણી પ્રચારની રીતો બદલાતી ગઇ. અમેરિકાનાં અમુક મ્યુઝિયમમાં પૂર્વ વડાઓનાં ચૂંટણીનાં કેમ્પેઇન્સ કેવી રીતે ડિઝાઇન કરાયા હતાં તેનો ડિસ્પ્લે પણ મુકાયો છે. ૨૦૧૪ના ભારતની વાત કરીએ તો જાણે ડિજીટલ સ્પેસ ચૂંટણીના આખા ય હંગામાનો એક આગવો મંચ બની રહી.

વિશ્વના ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી જો ક્યાં ય થતી હોય અને થવાની હોય તો એ આપણે ત્યાં છે. આપણાં ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર કરેલા આંકડા અનુસાર ૧૦ લાખ પોલિંગ સ્ટેશન્સ, ૨૩.૩ લાખ બેલેટ યુનિટ્સ, ૧૬.૩ લાખ કન્ટ્રોલ યુનિટ્સ અને ૧૭.૪ લાખ વૉટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ્સ આ ચૂંટણીનો હિસ્સો છે. આપણે જઇને મત આપી શકીએ એ માટે એક લાખ પોલિંગ સ્ટાફને કામે લગાડાશે. વળી ચૂંટણીને લગતી તમામ કામગીરી માટે ૧૨૦ કરતાં વધારે ટ્રેઇન્સ, ૩,૦૦૦ કોચ, બે લાખ બસ ઉપરાંત કેટકેટલી ય કાર્સ, હોડીઓ, હાથીઓ અને ઊંટ દોડતાં કરાશે. એમાં ય પાછા કોઇ મતદારો રહી ન જાય એ માટે હજ્જારો પોલિંગ પાર્ટીઓ ૨-૩ દિવસ પગપાળા શક્ય હોય એ બધા જ ખૂણે પહોંચશે. આ એક એવો પ્રસંગ છે જેનું મેનેજમેન્ટ ૮૦૦ કરોડનાં લગ્ન કરતાં ય અઘરું છે. પરીક્ષાના સમયથી માંડીને પાકની સિઝન, મોસમનો હાલ, ધાર્મિક તહેવારો જેવું કેટકેટલું ગણતરીમાં લેવાય પછી ચૂંટણી તબક્કાવાર પ્લાન થાય છે.

આ બધાંની સાથે સાથે પક્ષો દ્વારા ખર્ચો કરાતો હોય એ તો પાછો સાવ અલગ. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અનુસાર ૨૦૧૪ની ચૂંટણીમાં તમામ પક્ષો અને ઉમેદવારોએ કરેલા ખર્ચની રકમ મળીને મળીને ઓછામાં ઓછા પાંચ બિલિયન ડૉલર્સ (૫૦૦ કરોડ) જેટલી થાય. હવે આ ચૂંટણીમાં ખેલ વધારે રસાકસી ભર્યો હોવાનો એ સ્વાભાવિક છે, એટલે આ રકમ બમણી થાય તો ય કંઇ નવાઇ નહીં. ભારતનાં રાજકીય પક્ષોને મળતાં ફંડ ફાળાની રકમમાં હંમેશાં એક ચોક્કસ પ્રકારની અપારદર્શિતા રહેલી હોય છે. ગયા વર્ષે મોદી સરકારે શરૂ કરેલા ઇલેક્ટોરલ બોન્ડ્ઝને પગલે કૉર્પોરેટ્સ કે બિઝનેસધારકો પોતાની ઓળખ છતી ન થાય એ રીતે પાર્ટીને ફંડ આપવા માગતા હોય તો એ શક્ય બન્યું છે. એક અંદાજ મુજબ ‘દાતા’ઓએ અંદાજે ૧૫ કરોડ જેટલા તો ઇલેક્ટોરલ બોન્ડ્ઝ કર્યા છે. હવે જેણે પ્રથા શરૂ કરી એ પક્ષને વધારે ફાયદો થયો હોય એ તો દેખીતી બાબત છે. જે પ્રસંગની તૈયારીઓ આટલી જંગી હોય તેમાં વ્યવસ્થાશક્તિ પણ જંગી જ જોઇએ અને માટે જ આપણે ત્યાં તબક્કાવાર ચૂંટણી થાય છે.

એક સમયે ચૂંટણીનાં દિવસો પહેલાં અને દરમિયાન ગમે ત્યાં બબાલો ખડી થતી, હિંસા થતી અને એમાં લોકો મરતાં પણ ખરાં. આ કારણે હવે દરેક પક્ષ પેરામિલીટરી ફોર્સની માંગણી કરે છે. આ સંજોગોમાં મતદાન બધે એક સાથે ન થાય એ જ સારું કારણ કે તો જ પૂરતાં પ્રમાણમાં બધે પેરામિલીટરી તૈનાત કરી શકાય અને શાંતિપૂર્ણ મતદાન પાર પાડી શકાય. જો આપણી પાસે અપૂરતો પેરામિલીટરી ફોર્સ ન હોત તો તો ચૂંટણીપંચ એક જ દિવસમાં મતદાન આટોપવાનું પસંદ કરત. વળી નક્સલવાદ વગેરેથી પ્રભાવિત વિસ્તારોમાં મતદાન પાર પાડવું કેટલું મુશ્કેલ હોઇ શકે છે, એની ઝલક માત્ર જોવા માટે અમિત માપુસકરની ‘ન્યુટન’ ફિલ્મ જોઇ લેવી. જ્યાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે સુરક્ષા સિવાય બીજું કંઇ જ અગત્યનું ન હોય તેવા વિસ્તારોમાં બધું સાંગોપાંગ પાર પડે એ માટેની વ્યવસ્થા જરા ય સહેલી નથી હોતી. મહારાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં માઓવાદી પ્રવૃત્તિઓ ચાલે છે અને ત્યાં પણ એક કરતાં વધુ તબક્કામાં જ મતદાન પાર પાડવું પડે.  જમ્મુ- કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ત્યાં રાજ્યની અને કેન્દ્રની ચૂંટણીઓ એક સાથે કરવી શક્ય નથી.  જે પ્રદેશોમાં વધારે કડક વ્યવસ્થાની જરૂર છે ત્યાં મતદાન શરૂઆતનાં તબક્કામાં પાર પાડવામાં આવે છે અને પછી તે રાજ્યની નજીકનાં વિસ્તારમાં જવાય છે. આમ કરવામાં લશ્કરનું સ્થળાંતર સરળ બને છે. ભારતીય ચૂંટણીનું પરિણામ જે આવે એ પણ તેનું આયોજન, તેમાં કામે લગાડાતા સરકારી શાળાનાં શિક્ષકો, લશ્કર અને પોલીસ તંત્ર બધું જ જે રીતે ખડે પગે ચૂંટણીપંચની આ ભવ્ય યોજનાને પાર પાડે છે તે કાબિલ-એ-તારીફ છે એ ખરું.

દુનિયા આખીમાં ચૂંટણીને લગતાં જાત-ભાતના નિયમો અને પરંપરાઓ છે. મોટેભાગે આખી દુનિયામાં રવિવારે મતદાન થતું હોય છે. જો કે જ્યાં અંગ્રેજી પ્રમુખ ભાષા છે એવા કેનેડામાં સોમવાર, બ્રિટિશરો માટે ગુરુવાર અને ઑસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ શનિવારે મતદાન કરવાનું પસંદ કરે છે. અમેરિકામાં મતદાન હંમેશાંથી મંગળવારે નહોતું થતું પણ આ ૧૯મી સદીથી ચાલી આવતી પ્રથા છે. ખેડૂતો મુસાફરી કરીને દૂર સુધી મત આપવા આવે પછી બુધવારે માર્કેટમાં જઇ શકે એ રીતે મંગળવારની પસંદગી કરાઇ જે હજી યથાવત્ છે. ફ્રાંસ અને સ્વિડનમાં મત આપવા માટે નોંધણી કરાવવાની માથાકૂટ નથી હોતી. ફ્રાંસમાં વ્યક્તિ ૧૮ વર્ષની થાય એટલે આપમેળે જ નોંધણી થઇ જાય છે અને સ્વિડનમાં ટેક્સ રજિસ્ટરીને આધારે મતદાન લાયક નાગરિકોની યાદી તૈયાર થાય છે. ઑસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત છે અને તેમ ન કરનારાને દંડ ફટકારાય છે, જો કે આવો નિયમ વિશ્વમાં લગભગ ૨૨ દેશોમાં છે. બ્રાઝિલમાં ૧૯૮૮ની સાલથી ૧૬ વર્ષે વ્યક્તિ મત આપી શકે છે. વળી ઑસ્ટ્રીયા, નિકુરાગુઆ, આર્જેન્ટિનામાં પણ મતદાની વય ૧૬ છે તો ૧૭ વર્ષે ઇન્ડોનેશિયા અને સુદાનમાં મતદાન કરી શકાય છે. જર્મનીના કેટલાક રાજ્યોમાં ૧૬ વર્ષની વ્યક્તિ સ્થાનિક ચૂંટણીમાં મત આપી શકે છે. ૨૦૦૫ની સાલથી ઇસ્ટોનિયામાં ઓનલાઇન મતદાની પ્રથા ચાલુ કરાઇ અને દરેક વ્યક્તિ તેના આઇ.ડી. અને પીન નંબરથી લૉગ-ઇન કરીને મત આપી શકે છે. ચિલેમાં ૬૩ વર્ષ સુધી સ્ત્રી અને પુરુષો અલગ અલગ મતદાન કરતાં અને તેમની નોંધણી પણ અલગ થતી, હવે પરિવર્તન આવ્યું છે પણ સંપૂર્ણપણે નહીં. ઉત્તર કોરિયાને લોકશાહી સાથે કંઇ લેવાદેવા નથી એમ ત્યાંની ચૂંટણીને પણ લોકશાહી સાથે જોજનો છેટું છે. ૨૦૧૫માં ત્યાં સ્થાનિક ચૂંટણીમાં ૯૯.૭ ટકા મતદાન થયું પણ મતપત્રક પર ત્યાંના શાસક પક્ષે પહેલેથી જ ઉમેદવારનાં નામ સામે પસંદગીનું નિશાન કરી દીધું હતું. નાગરિકોએ બૉક્સમાં પ્રિન્ટઆઉટ નાખવાની માત્ર ઔપચારિકતા કરવાની હતી. જે આ સાથે સહમત ન હોય તેને માટે અલગ બૉક્સ હતું ખરું પણ તેમાં પડેલા ગણ્યા ગાંઠ્યા મતને તો ગણવામાં પણ નહોતા આવ્યા.

યુનાઇટેડ કિંગ્ડમમાં રાજવી પરિવારને મતાધિકાર હોવા છતાં તેઓ ખુદને રાજકારણથી ઉપર ગણે છે અને ચૂંટણીમાં ભાગ નથી લેતા. ચૂંટણીનાં દિવસે ન્યુઝીલેન્ડમાં મીડિયા પર ધારણાઓની ચર્ચા કરવાનો પ્રતિબંધ હોય છે. ૨૦૧૨ સુધી સાઉથ કેરોલિનામાં ચૂંટણીને દિવસે દારુ ખરીદવાની બંધી હતી. અવકાશયાત્રી પોતાની સફરમાં હોય તો તે ત્યાંથી સિક્યોર બેલેટ્સ પર મતદાન કરીને તેની પી.ડી.એફ. ઇ-મેઇલમાં મોકલી શકે છે. ચૂંટણીમાં કંઇપણ થઇ શકે છે. સાઉદી અરેબિયામાં ૮૦ વર્ષમાં માત્ર સાત વાર ચૂંટણી થઇ છે. જેમ કે, ૧૯૬૭માં એક્વાડોરમાં મેયરની ચૂંટણીમાં ફૂટ પાવડરની એક બ્રાન્ડ વિજયી થઇ હતી, કારણ કે ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને કંપનીએ બ્રાન્ડિંગ કર્યું કે, ‘જો તમને સ્વસ્થતા જોઇતી હોય તો અમારા પાવડરને મત આપો’ – લોકોએ મતદાનમાં ખરેખર જ પાવડરનું નામ લખ્યું અને એક બ્રાન્ડ મેયરના પદ માટે ચૂંટાઇ ગઇ. જોઇ આપણે ત્યાં કોની ‘જાહેરાતો’ કમાલ કરે છે!

બાય ધી વેઃ

૨૯ રાજ્યો અને ૭ યુનિયન ટેરિટરીઝમાં ભારતનું મતક્ષેત્ર વિસ્તરેલું છે, જેમાં સૌથી અગત્યનું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાંથી લોક સભાની ૮૦ બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. માત્ર ઉત્તર પ્રદેશની વસ્તી જ ૨૦ કરોડ છે. જો એ જુદું રાષ્ટ્ર હોત તો પૃથ્વી પર પાંચમો સૌથી મોટો દેશ કહેવાત. આ સંજોગોમાં ‘મોટાભાઇ’ અને ‘સાહેબ’ કેવા દાવ-પેચ કરશે એ જોવું રહ્યું. જો કે સર્જીકલ સ્ટ્રાઇક અને એવું બધું સફળ રીતે પાર પાડીને ‘સાહેબે’ ગોઠવણ સરસ કરી લીધી છે. ભોગી, યોગી, વિદેશી, દીદી, માયા, મમતા વગેરે વચ્ચેની યાદવાસ્થળીનો અંત તો આવતાં આવશે, એ પણ એ પહેલાં આપણાં સેલફોન્સ અને ટીવી સેટ્સમાં ચૂંટણી જંગ છેડાયેલો રહેશે એ ચોક્કસ.

['રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 17 માર્ચ 2019]

Loading

...102030...2,9542,9552,9562,957...2,9602,9702,980...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved