Opinion Magazine
Number of visits: 9968856
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે, ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે

સુમન શાહ|Opinion - Literature|6 April 2019

'સંવિત્તિ' : એક સાર્થક સાહિત્ય-સેતુ

'સંવિત્તિ' ઝંખે છે કે એ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે, ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે

ગુજરાતી સાહિત્યક્ષેત્રે હું એક નવપ્રસ્થાનની રાહ જોઇ રહ્યો છું. એક એવો પ્રભાવકારી બદલાવ -ઑપરેટિવ શિફ્ટ – એક ઍક્શન, એક ઍક્ટિવિટી, જે સાહિત્ય અને જનસામાન્યને જોડે. સાહિત્યને જિવાતા જીવનની વચ્ચોવચ લઈ જાય. શ્લોકને લોકમાં રમતો કરે. એકવચનીયને બહુવચનીય રૂપે ફેલાવે. શિષ્ટ-પ્રશિષ્ટને પ્રજાજનોમાં પ્રસરાવે. કહેવાનો મતલબ એ છે કે સાહિત્યકારને એના અતિઆત્મરતિથી લેપાયેલા ધૂંધળા ઓરડેથી છૂટો કરી નગરચૉકમાં લઈ આવે. સાહિત્યને યુનિવર્સિટીઓની જડસુ દીવાલોમાંથી બહાર કાઢીને નવપ્રાણિત કરે. ઉપકારક સાહિત્ય-સેતુ રૂપે સ્થિર થાય.

વાત એમ છે કે તાજેતરમાં મને એક સાર્થક સાહિત્ય-સેતુની ભાળ મળી છે. એ છે વડોદરાની સંસ્થા, 'સંવિત્તિ'. સંવિત્તિ એટલે, સંવેદના – સૂઝસમજ – અનુભૂત જ્ઞાન. 'સંવિત્તિ' મહિલાઓ માટે છે. એનો ધ્યાનમન્ત્ર છે : 'વીમેન લિવિન્ગ બાય લિટરેચર' – નારીજીવન સાહિત્યસંગે. સંસ્થાનો આશય શું છે? પીડિતા યુવતીઓને કિશોરીઓને અને આર્થિક કે સામાજિક રીતે અશક્ત કે માનસિક રીતે અસ્વસ્થ તેમ જ વિકલાંગ અનાથ સ્ત્રીઓને કે રોગગ્રસ્ત વૃદ્ધાઓને સાહિત્યની રીતેભાતે જીવન જીવવાને સમર્થ બનાવવી. 'સંવિત્તિ' પોતાના સાહિત્યિક કાર્યક્રમો લઈને પ્હૉંચી જાય છે વૃદ્ધાશ્રમોમાં કે જૅલમાં કૅદી હતાશ સ્ત્રીઓ પાસે. આદિવાસી કે ગ્રામીણ અરે પોલીસકર્મી બેનો પાસે કે ક્યારેક સ્લમનાં બાળકો પાસે પણ જઇ પ્હૉંચે છે. મને લાગે છે, હું કશા આવા જ નવપ્રસ્થાન વિશે કહી રહ્યો છું.

એની વિશેષતા એ છે કે એમાં સાહિત્યસર્જન એક ઈવેન્ટનું -ઘટનાનું – રૂપ પકડે છે; અ કાઈન્ડ ઑફ હૅપનિન્ગ. 'સંવિત્તિ'-કારોની રજૂઆત એવી તો પ્રભાવક હોય છે કે સામે બેઠેલાં સૌ સીધાં જ સાહિત્યપદાર્થ સાથે જોડાઇ જાય. સહભાગીતા શરૂ થાય અને એ દરેકની શક્તિમતિ અનુસારનાં અનુ-સર્જન થવા માંડે. જેમ કે, સુરેશ જોષીકૃત ટૂંકીવાર્તા 'થીગડું' વંચાતી ન હોય, કહેવાતી હોય. સાંભળનારાં સાવધચિત્ત થઇ સાંભળે. પછી પાત્ર બની જાય -'પ્રભાશંકર' 'પારવતી' કે 'મનુ'. સૌ એને ભજવે. ઝૂમી ઊઠે. અને એમ કથાને દિલોદિમાગથી જીવવાનો આનન્દ લૂંટે. સાહિત્ય અંતરમાં ઝિલાય. કલા ઉત્સવ બની જાય.

ઑપરેટિવ શિફ્ટની આ વાત નવી નથી. જુઓ, પેઈન્ટિન્ગમાં ઈન્સ્ટૉલેશન આર્ટનો પ્રવેશ થયો -મોટો શિફ્ટ. ચિત્રકૃતિઓના સદ્યોવેદી – પાલ્પેબલ – ભૌતિક અવતારો પ્રગટવા લાગ્યા. દૃશ્ય ચિત્રકલા શ્રાવ્ય સ્પર્શ્ય અને ચલચિત્રાત્મક બની. જુઓ, શિષ્ટ-પ્રશિષ્ટ નાટ્યપરમ્પરા હતી. ભવાઇ જાતરા નૌટંકી પ્રગટ્યાં. નાટક લોકજીવનનો હિસ્સો બની ગયું. નાનપણની એ વાત મને યાદ છે – રાત પડે ને અમે મોહન દરજીના ચૉગાનમાં ભવાઈ જોવા ધૂળમાં બેસી જઇએ !

સાહિત્ય, સંસ્કૃત પછી પ્રાકૃત / અપભ્રંશમાં અવતર્યું. તેમાં ય સરળ સેતુ માટેની સામાન્ય જનોની માંગનો ફાળો મોટો હતો. જુઓ, 'ભાગવત' 'રામાયણ' અને 'મહાભારત'-ને સુગમ રીતિ-પદ્ધતિના કથાકારો ન મળ્યા હોત તો વાત પોથીઓમાં ઢબુરાયલી રહી હોત. દર વર્ષે 'રામલીલા' જેવી હાસ્યરંજિત હળવાશભરી પ્રવૃત્તિ ન સંભવી હોત. 'ગામઠી ગીતા' ન રચાઈ હોત. ગાયન વાદન અને નર્તનના કલાધરો લોકમાં પ્હૉંચી જવા તલપાપડ હોય છે. એમની એ ધગશને કારણે પણ કબીર કે નરસિંહ-મીરાં જનહૃદયમાં વસ્યાં છે. સામાજિક દુરિતો પર કોલકાતાના કાલિઘાટ પેઈન્ટર્સ પોતાનાં ચિત્રો વડે પ્રહારો પણ કરતા. ગૃપમાં ચિત્રો કરતા – ઘણી વાર તો પરિવારનું દરેક સભ્ય ચિત્રને પૂરું કરે. એ ગૃપ-સર્જકતાને કારણે ચિત્રકૃતિ સરળ થઇ જતી પણ એથી એની સોશ્યલ અપીલ તીવ્ર થઈ જતી. જનમાનસમાં કાલિ અને દુર્ગા આદિ દેવીમાતાઓની ચિરંજીવી છબિઓ જે અંકાઈ છે તે એમની આ વિલક્ષણ પદ્ધતિનું પરિણામ છે.

'સંવિત્તિ'ની સ્થાપના થઇ છે, ૨૦૧૭-માં. બીજરૂપ વિચાર હતો સાહિત્યકાર, અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં ઍસોસિએટ પ્રૉફેસર, ડૉ. દર્શિની દાદાવાલાનો. બીજ ફળ્યું છે. સંસ્થાનો આકાર બંધાયો છે. 'સંવિત્તિ ફાઉન્ડેશન' ટ્રસ્ટ અને સોસાયટીની સ્થાપના થઈ છે. દર્શિની મૅનેજિન્ગ ટ્રસ્ટી અને પ્રમુખ છે. રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ અને લૉર્ડ પ્રૉ. ભીખુ પારેખ પૅટ્રન છે. 'સંવિત્તિ'-ને સ્વામી બ્રહ્માત્માનન્દજીના શુભાશિષ સાંપડ્યા છે. વડોદરાની નામાંકિત વ્યક્તિઓ ટ્રસ્ટીમંડળમાં છે. ઍડવાઈઝર્સ અને વૅલવિશર્સ પણ સાંપડ્યાં છે. કાર્યક્રમનું સંકલન-સંયોજન કરનારી મહિલાઓને 'સંયોજક', કૃતિ રજૂ કરનારને 'સાહિત્યમિત્ર', રજૂઆતમાં સહયોગી થનારને 'સહયોગી' અને એ સૌને સામે બેસી સાંભળનાર-ઝીલનાર મહિલાઓને 'સહૃદય' જેવાં સૂચક પદ અપાયાં છે. આમ 'સંવિત્તિ' સુઆયોજિત સંગઠન રૂપે કાર્યરત છે અને પોતાના ધ્યેયને વિશે ચૉક્સાઈથી વિકસી રહ્યું છે.

પુરા કાળે કાવ્યનો પાઠ થતો. કથાનું કથન થતું. શબ્દ સાંભળવા માટે હતો. સર્જન એક કાર્ય -ઍક્શન – હતું. ભાવન પણ કાર્ય હતું. સર્જન કરનારાં અને શ્રવણ કરનારાં એકબીજાં સામે હાજર હતાં. પરન્તુ સાહિત્યનો શબ્દ આપણા જમાનામાં આવતાંવૅંત લેખન વાચન અને પ્રકાશનનો મામલો બની ગયો – જાણે ટાઢોહિમ પથરો ! સર્જક ગેરહાજર હોય ને છપાયેલા શબ્દ જોડે વાચકોએ માથાં ફોડવાનાં – એમ જ ક્હૅવાય ! ક્રમશ: સાહિત્ય યુનિવર્સિટીઓમાં ઢંગધડા વગરનાં લૅક્ચરો વડે ચર્ચાતું ને ટીચાતું ચાલ્યું. બેઢંગ પરિસંવાદોમાં એના બૂરા હાલ પણ થયા.

સરવાળે સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે. ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મૂંગાં-નાં-મૂંગાં રખાયાં છે. પ્રશ્નોત્તર નામનું ઈન્ટરઍક્શન છે જ નહીં. પાઠ્યપુસ્તકો વર્ગમાં કોઇ લાવતું નથી. ઘરે હશે? પરીક્ષાઓમાં ચોરીઓનો પાર નથી. લાગે કે ડિગ્રીઓની છૂટે હાથે લ્હાણી થઇ રહી છે. કરમની કઠણાઈ તો જુઓ, પ્રજા લગી સાહિત્ય પ્રસરી શકતું નથી ને પ્રજા સાહિત્યને અલાબલા સમજે છે ! મને તો સાહિત્યનો જયવારો આટલાંતેટલાંમાં નથી જ દેખાતો -સિવાય કે આપણામાં હૉંશ જાગે ને આપણે 'સંવિત્તિ' જેવા અનેક સાહિત્ય-સેતુઓ રચીએ …

નૉંધપાત્ર વાત એ છે કે અત્યારસુધીમાં 'સંવિત્તિ'-એ આશરે ૧૫૦ કાર્યક્રમો કર્યા છે. હાલ એમાં ટૂંકીવાર્તાઓનું કહો કે કથાસાહિત્યનું સાધન હાથ ધરાયું છે. જેસલ-તોરલ કે પંચતન્ત્રની વાર્તાઓ, 'લોહીની સગાઇ', 'થીગડું', 'ઍગામૅમ્નોન', 'મળેલા જીવ', 'લાસ્ટ લીફ', 'જૉનાથન લિવિન્ગ્સ્ટન સીગલ', 'સુદામાચરિત્ર', ટાગોરકૃત 'ભિખારીન્', 'અરેબિઅન નાઇટ્સ' વગેરે ૨૦૦ જેટલી રચનાઓનો વિનિયોગ થયો છે.

સાહિત્ય આજે અનુ-આધુનિકતાના પ્રસરણશીલ સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. પ્રસરીને એણે હાંસિયામાં સબડતાં મનુષ્યો લગી ખાસ પ્હૉંચવાનું છે. આ સમય છે નારીપીડા અને વંચિતોની વ્યથાઓને ઉકેલવાનો; એની પાછળ છુપાયેલાં સત્તાતન્ત્રોને આ પ્રકારનાં સુયોજિત ઍક્શન્સ વડે ઢંઢોળવાનો. નૉંધો કે 'સંવિત્તિ'-કારો નારીવાદનાં પરિભાષાબદ્ધ જડબાંતોડ વ્યાખ્યાનો નથી કરતાં; સ્ત્રી-સશક્તિકરણની ચાંપલી ચાંપલી વાતો નથી કરતાં; પરન્તુ દુખિયારી સ્ત્રીઓને સાહિત્યરસે ભીંજવે છે, એમનાં મનહૃદયને સંતર્પે છે, અને એમ એમના આત્મબળને જગાડે છે. 'સંવિત્તિ' ઝંખે છે કે મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે. ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે.

પ્રાણસભર સાહિત્યનું પ્રસરણ નહીં થાય તો એ ગૉંધાઇને સડી જશે. સામે બેઠેલાંઓનાં આત્મામાં સાહિત્ય રોપાય છે ત્યારે એમની સર્જકતા પણ ખીલે છે. સર્જકતાથી સર્જકતા – વર્તુળ રચાય છે. સાહિત્યનું એક ભાવિ ભળાય છે. હું ઈચ્છું છું કે 'સંવિત્તિ'-નો પરિઘ વડોદરાથી વિસ્તરીને ગુજરાતભરમાં પ્રસરો. અભિનન્દન અને હાર્દિક શુભેચ્છાઓ.

= = =

[સૌજન્ય : શનિવાર તારીખ ૬/૪/૨૦૧૯ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ]

Loading

ચોકીદારોના નામની રાજકીય ઝુંબેશો સુરક્ષાકર્મીઓની દશા સુધારશે ? દેશની નીતિમત્તાની સુરક્ષા કરશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|5 April 2019

બુધવારના સમાચાર મુજબ અમદાવાદના સાયન્સ સિટી રોડ વિસ્તારમાં, ગોવિંદભાઈ વાઘેલા નામના 59 વર્ષના એક સાચુકલા ચોકીદારનું મોત થયું. બાંધકામ હેઠળના બંગલાનો ઝાંપો તેમની પર પડ્યો. બિલ્ડર સામે ચોકીદારનું બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અને વારસદારોનું જ્ઞાતિગત અપમાન કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. ત્રેવીસમી ફેબ્રુઆરીએ અવસાન પામેલા ગોવિંદભાઈ દોઢ વર્ષથી તો એ બંગલાની ચોકી કરતા હતા. પણ અત્યારે દેશમાં ચાલી રહેલી ‘ચોકીદારી’ સાથે એને કંઈ લેવાદેવા ન હતી. રાહુલ ગાધીના ‘ચોકીદાર ચોર હૈ’ને પગલે નરેન્દ્ર મોદીની ‘મૈં ભી ચોકીદાર’ની – રેલવેની ચાના કપથી માંડીને અવકાશ સુધી ફેલાઈ ચૂકેલી – હુંસાતુંસી ચોકીદાર ગોવિંદભાઈનો જીવ ન બચાવી શકી. એમના જેવાનાં જીવતર સુધારવાનાં  કોઈ લખ્ખણ પણ એ ખેંચતાણમાં નથી. આખા દેશમાં બેઇમાની રોકવાની વાત તો સાવ દૂરની છે. એ ઝુંબેશ એટલે માત્ર ચૂંટણીની શોબાજી.

આવી શોબાજીમાં પ્રિયંકા ગાંધીએ વળી નવો નુસખો અજમાવ્યો. તેમણે ગંગા-યાત્રા અને ‘બોટ પે, ચર્ચા’ કરી. પણ નદીઓની અને ગંગાની શુદ્ધિ માટે અરધી સદીથી વધુ લડત ચલાવીને અંતે આમરણાંત ઉપવાસથી જાન આપી દેનારા કર્મશીલ જી.ડી. અગ્રવાલનો તેમણે ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. નદીઓના આ ચોકીદારના પત્રોનો ભારતીય જનતા પક્ષ (ભા.જ.પ.) સરકારે ભાગ્યે જ સરખો જવાબ આપ્યો હતો. કૉન્ગ્રેસે અગ્રવાલજીને સાથ આપ્યો ન હતો. અત્યારે ચૂંટણી ટાણે કૉન્ગ્રેસને ગંગામૈયા યાદ આવ્યાં. 2014ની ચૂંટણી ઝુંબેશમાં ભા.જ.પ.ના આગેવાન નરેન્દ્ર મોદીને ચાવાળો યાદ આવ્યો. કૉન્ગ્રેસના મણિશંકર ઐયરે ચાવાળા મોદીના  દિવસોને યાદ કર્યા. એટલે ગુજરાતના મુખ્ય મંત્રીએ સિફતથી ચાયવાલા લેબલને તેમની વડા પ્રધાન પદ માટેની ઝુંબેશમાં ગોઠવી દીધું. તેનો ચૂંટણી જીતવામાં શું ફાળો એ ચોક્કસ કહી ન કહી શકાય. પણ એટલું સાફ દેખાય કે ચાવાળા અને એ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે લારી-ગલ્લા-પાથરણાંવાળાની હાલતમાં જવલ્લે જ ફરક પડ્યો. તે બધા મહેનતકશો શાસકોને મન શહેરના ગેરકાયદે દબાણ જ છે.

સત્તાધારીઓએ સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટ નામના લોકતરફી કાયદાની સાડાબારી રાખી નથી. ઑગસ્ટમાં તો અમદાવાદમાં પોલીસ અને મ્યુનિસિપાલિટીએ ચલાવેલી દબાણ હઠાવવાની ઝુંબેશને પરિણામે લારી-ગલ્લા-પાથરણાવાળાઓનું જીવવું ભારે થઈ પડ્યું. પણ ચાવાળાને નામે મતો માગી ચૂકેલા ભા.જ.પ.નાં પેટનું પાણી ય ન હાલ્યું. ચૂંટણી ગઈ ને ચાવાળો ય ગયો. તે પહેલાં ભા.જ.પે. દેશવાસીઓને ‘ઇન્ડિયા શાઇનિન્ગ’નાં સપનાં દેખાડ્યાં. પણ તે પૂરાં કરવા માટે તેમના હાથમાં સત્તા જ ન આવી. બે મહિના ઉપર વડા પ્રધાન મોદીએ સફાઈ કામદારોના પગ ધોયા. પણ પાંચ મિનિટના કૅમેરાના ઝગઝગાટ સિવાય કામદારોની જિંદગીમાં કોઈ ફેર ન પડ્યો. તેના દોઢેક મહિના પહેલાં જ મુંબઈ પાસેના પનવેલમાં ત્રણ સફાઈ કામદારો ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામ્યા. આ જ રીતનાં ત્રણ મોત હમણાં રવિવારે રાત્રે બાવળામાં નોંધાયાં. વડા પ્રધાને સફાઈ કામદારોનાં પગ ધોયાં તે પહેલાંનાં વર્ષોમાં તો આ કામદારોના પુનર્વસન તેમ જ  વિકાસ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ફાળવવામાં આવતા રાશિમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણીમાં ‘ગરીબી હટાઓ’ સૂત્ર આપ્યું. પણ આ દેશમાં ગરીબી હઠતી નથી, વિકાસના નામે ગરીબો જ હઠતાં રહે છે. ધોરી માર્ગો, બંધો, ઉદ્યોગો, ફેલાતાં શહેરો ગરીબોનો ભોગ લેતા જ રહે છે.

શહેર ગામડાંનાં વંચિત વર્ગના લોકોને જે અનેક કપરી નોકરીઓ અપાવે છે તેમાંની એક તે ચોકીદારીની છે. શહેરોમાં શૉપિન્ગ સેન્ટરો, કૉર્પોરેટ ઑફિસો, બૅન્કો, એ.ટી.એમ., એપાર્ટમેન્ટો, સોસાયટીઓ એમ બધે જ ગણવેશ પહેરેલાં ચોકીદારો દેખાય છે અને વધતા જાય છે. દેશમાં ખાનગી ચોકીદારોનો આંકડો પચાસથી નેવું લાખની વચ્ચે મૂકવામાં આવે છે. દરેક શહેરમાં તેમને નોકરીએ રાખનાર સિક્યોરિટી એજન્સીઝનો આંકડો પણ સરેરાશ દોઢસોએ પહોંચે છે. દસ કલાકથી વધુ સમયની નોકરી માટે મહિને વધુમાં વધુ વીસ હજારથી વધુ વેતન મેળવનાર આ ચોકીદારોનું લગભગ બધે જ શોષણ થાય છે. ‘પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન ઍક્ટ 2005’ નામના કાનૂનમાં ચોકીદારોના વેતન સહિતની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેમનો લગભગ પૂરો  ભંગ  થાય છે. બહુ ઓછો પગાર, કામના પુષ્કળ કલાકો, પેશાબ-પાણી સહિતની દરેક બાબતમાં નહીંવત સગવડો, ઠંડી-વરસાદ-તડકામાં ય નજીવા આશરા નીચે ફરજ, જવાબદારી અને જોખમ, આરામ અને રજાનો અભાવ, ઉપેક્ષા અને અપમાનની વચ્ચે પણ દેશભરના ચોકીદારો મજબૂરીથી પોતાની ફરજ બજાવતા રહે છે. તેમના સંગઠનો ભાગ્યે જ થાય છે.

પણ ગુજરાત સરકારના પોતાનાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ(જી.આઈ.એસ.એફ.)ના જવાનોના સંગઠને તેમનાં શોષણની સામે ઑક્ટોબર 2011માં ગાંધીનગરમાં પંદરેક દિવસની ભૂખ હડતાળ કરી હતી. આ ત્રણેક હજાર ચોકીદારોમાંથી પોણા બસોની તબિયત લથડી હતી. સરકારે બંધો, વિદ્યુતમથકો, સરકારી કચેરીઓ, વિધાનસભા સહિત અનેક મહત્ત્વનાં સ્થળોએ ફરજ પર મૂકેલા જી.આઇ.એસ.એફ.ના સુરક્ષાકર્મીઓની સ્થિતિ આજે ય સારી નથી. પંદર-પંદર વર્ષથી કામ કરતા આ ચોકીદારોને પાંચથી દસ હજાર રૂપિયા જેટલો જ પગાર મળે છે. અત્યારે ‘મૈં ભી ચોકીદાર’માં જોડાયેલા મંત્રીઓ, ભા.જ.પ.ના  હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાની આજુબાજુ બધે જ જોવા મળતા ચોકીદારોની હાલતનો વિચાર કરવો જોઈએ. ચોકીદાર ચોર હૈ કહેનારાઓએ પોતાના ઘર પણ કાચના છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.

ચોકીદાર ઝુંબેશમાં અભિપ્રેત શાસન અને જાહેર વહીવટનાં મૂલ્યોની રખેવાળી ગયાં પાંચ વર્ષમાં નહીંવત થઈ છે. જીવવાના અધિકારની ચોકી સરકાર કરી શકી નથી તે લિન્ચિન્ગના સંખ્યાબંધ બનાવોમાં અને રેશનાલિસ્ટોની હત્યાઓની તપાસની બાબતે દેખાયું છે. લોકશાહી અધિકારો અને સિદ્ધાન્તોની રક્ષા તો બાજુ પર રહી, સરકારે તેમની પર તરાપો મારી છે. તેણે નોટબંધીમાં રિઝર્વ બૅન્કની, રાકેશ અસ્થાના વિવાદમાં સી.બી.આઈ.ની, ચૂંટણીની તારીખો તેમ જ હવે મોદી પરની ફિલ્મની રિલિઝ બાબતે ચૂંટણી પંચની અને વાઇસ-ચાન્સલરોની નિમણૂકોમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્વાયત્તતાને નબળી પાડી દીધી છે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કલાકારો, બૌદ્ધિકોના વાણી-વિચાર-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના રખોપાં પણ શાસકો કરી શક્યા નથી. આ યાદી લાંબી થઈ શકે.

જાણીતા દલિત બૌદ્ધિક કાન્ચા ઇલૈયાએ ‘મૈ નહીં ચૌકીદાર’ એવા મથાળાથી અંગ્રેજી લેખ  લખ્યો છે. સુરક્ષાકર્મીઓનાં ક્લાસ અને કાસ્ટના દૃષ્ટિકોણથી લખાયેલા આ લેખમાં ઇલૈયા ચોકીદારોની ગરીબી, નિરક્ષરતા, તેમનો દલિત વર્ગ, મોદી દ્વારા ચાયવાલા લેબલનો ઉપયોગ જેવા મુદ્દા કરે છે. અંતે તે કહે છે : ‘આ ભૂમિકા સાથે મને વડા પ્રધાનની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશ વખોડવા જેવી લાગે છે. કોઈપણ સ્વમાની ચોકીદાર ભારતમાં આ નોકરી પસંદ ન કરે. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ ઝુંબેશ ચલાવવા માગતો હોય તો એણે પહેલાં પોતાના સભ્યોને ઉદ્યોગપતિઓ અને ધંધાવાળાઓને બારણે ચોકીદાર તરીકેની નોકરી અપાવવી જોઈએ …. હું ચોકીદાર બનવા નથી માગતો કારણ કે એમાં માનવ ગૌરવ અને સ્વમાનને કોઈ અવકાશ નથી. એ નોકરીને જ દૂર કરી નાખવી જોઈએ. કારણ કે તે સામાજિક, નૈતિક, ચૈતસિક અને આર્થિક રીતે માનવીય રોજગારીની વિરોધમાં છે. આપણે બધાએ બૂમ પાડીને કહેવું  જોઈએ : ‘અમારે ચોકીદાર નથી બનવું.’

*********

10 એપ્રિલ 2019

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 05 ઍપ્રિલ 2019

Loading

ગુજરાતી : લોકભાષા, જ્ઞાનભાષા, ભવિષ્યભાષા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|5 April 2019

મને જેટલી ભાષાઓ વાંચતાં-લખતાં આવડે છે, એ બધી જ બહુ વહાલી છે. પણ ગુજરાતી ભાષા માટે વિશેષ પ્રેમ છે. કારણ ફક્ત એટલું જ કે એ મને વધારે આવડે છે. માને પ્રેમ કરવા માટે માસીને ઉતારી પાડવાનું મને કદી સમજાયું નથી.

આપણી વહાલી ભાષા કેવી રીતે જીવે છે? ભાષાનું મૂળ કામ પ્રત્યાયનનું-ગુજરાતીમાં કહીએ તો, કમ્યુનિકેશનનું છે. એ જ્યાં સુધી સારી રીતે થતું રહે ત્યાં સુધી ભાષા જીવે. ગુજરાતી ભાષાની સમૃદ્ધિને અને મૌલિકતાને પોતીકું અને આગવું પ્રદાન કરનાર રજનીકુમાર પંડ્યા અને પ્રકાશ ન. શાહ અહીં સાથે બેઠા છે. તેમણે અને બીજા ઘણા લોકોએ ભાષાને સૌંદર્ય આપ્યું, ઘરેણાં પહેરાવ્યાં, સુંદર વસ્ત્રો પહેરાવ્યાં પણ ભાષાનું શરીર તો લોકો છે. લોકભાષા લોકોથી જીવે છે. જ્યાં સુધી ગુજરાતી લોકો છે, ત્યાં સુધી એ જીવવાની. નહીં હોય ત્યારે મરી જશે. તેની અત્યારથી અને ઘણી હદે ખોટી હાયવોય શા માટે?  ગુજરાતીને ધબકતી રાખનારા લોકો અત્યારે તો છે, મોટી સંખ્યામાં છે.  છતાં ’ભાષા બચાવો’ની ઝુંબેશ કાઢવી પડે એવી અસલામતી કેમ? તેનું એક કારણ કદાચ એ છે કે એ લોકો ‘આપણા જેવા’ (‘પીપલ લાઇક અસ’) નથી. આપણાં ઘરમાં સંતાનો કે સંતાનોનાં સંતાનો ગુજરાતી વાંચતાં-લખતાં બંધ થઈ ગયાં, એટલે ‘આપણા જેવા’ કેટલાકને એવું લાગવા માંડ્યું કે ગુજરાતી ભાષા ખતરામાં છે. ભાષા બચાવવાના ઉત્સાહ વિના સહજ- ક્રમમાં ગુજરાતી બોલતાં લાખો લોકો આપણી ‘વસ્તીગણતરી’માં કે વિશ્લેષણમાં સહેલાઈથી સ્થાન પામતાં નથી.

ઘણા વખત સુધી માધ્યમની પણ માથાકૂટ બહુ ચાલી : ગુજરાતી માધ્યમ કે ઇંગ્લિશ મીડિયમ? અંગ્રેજીના મોહની ટીકા, તેના મોહથી ચેતવાનું એ બધું જ વાજબી હતું, પણ એક ભાષા આવડશે, તો બીજી આવડશે, એક માટે પ્રેમ થશે, તો બીજી માટે પણ થશે, એવી સમજ કેળવાઈ નહીં. પરિણામે ગુજરાતી પર અંગ્રેજીની ચઢાઈ અને ગુજરાતીનું અસ્તિત્વ જોખમમાં-એવી જ સ્થિતિ રહી. તેમાં આખું ધ્યાન ગુણવત્તાને બદલે અસ્તિત્વ ટકાવવા પર આવી ગયું. તેમાં બાવાનાં બે ય બગડ્યાં. સરેરાશ વિદ્યાર્થીઓને હવે નથી ગુજરાતી સરખું આવડતું, નથી અંગ્રેજી.

આક્રમણની ચર્ચા બહુ ચાલતી હતી, એ ગાળામાં લોકભાષાના અસ્તિત્વ વિશે મને ચિંતા ન હતી. છતાં, એવું લાગતું હતું કે ગુજરાતી જ્ઞાનભાષા બને, તો એ વધારે ઉપયોગી, વધારે પ્રસ્તુત અને એટલે વધારે ટકાઉ બને. પછી સવાલ એ આવ્યો કે જ્ઞાન એટલે શું?  આપણે તો ફક્ત ડિગ્રી ને  નોકરી આપે તેને જ જ્ઞાન ગણતાં થઈ ગયાં.  એન્જિનિયરિંગના ચોપડા ગુજરાતીમાં આવે નહીં, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ગુજરાતીમાં ભણાય નહીં. તો શું ગુજરાતી ભાષા નકામી કે લુપ્ત થવાને લાયક સમજવી?

પણ જેમજેમ વાંચવાનું થયું, તેમ સમજાતું ગયું કે ગુજરાતીમાં જ્ઞાન તો અઢળક છે. મનુભાઈ પંચોળીનું એક પુસ્તક વાંચવામાં આવ્યું : ‘આપણો વૈભવ અને વારસો’. તેમાં માંડ અઢીસો પાનાંમાં છેક આર્યોથી લઈને સાતમી સદી સુધીના ભારતના ઇતિહાસનાં જે મહત્ત્વના પ્રવાહો અને નિરીક્ષણો તેમણે આપ્યાં છે, તે આશ્ચર્યચકિત કરનારાં છે. આ ઇતિહાસ રાજામહારાજાઓનો નથી, લોકજીવન-સમાજજીવન અને ધર્મનો પણ છે. તેમાં વિગતોનો અને સાલવારીઓનો ખડકલો નથી, મિથ્યાભિમાન નથી ને લઘુતાગ્રંથિ પણ નથી. તે વાંચ્યા પછી જે વિચારભાથું મળે છે, તે વર્તમાનમાં અને જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે એવું છે.

મને થયું કે જો આ જ્ઞાન નથી, તો જ્ઞાન બીજું શું છે? એ પુસ્તકની પ્રસ્તાવનામાં પંડિત સુખલાલજીએ લખ્યું છે કે’ જેઓને ગુજરાતી ભાષાની શક્તિ વિષે — અર્થપ્રકટસામર્થ્ય વિષે, થોડી પણ શંકા હોય, તેઓને આ પુસ્તક ખાતરી કરી આપશે કે વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડવાની શક્તિ ગુજરાતી ભાષામાં કેટલી છે!’

આ તો એક પુસ્તકની વાત થઈ. આવાં બીજાં ઘણાં પુસ્તકો છે. ગાંધીજીનાં ઘણાં મૂળ લખાણ ગુજરાતીમાં છે, અને તે આપણે મૂળ ભાષામાં વાંચી શકીએ છીએ. એ ટાગોરને બંગાળીમાં, ટૉલ્સ્ટૉય-કાફકા-ચેખવને રશિયનમાં કે મોપાસાંને ફ્રૅન્ચમાં વાંચવા જેવી જ વાત છે. આવું ફક્ત ગાંધીજીના જ નહીં, બીજા ઘણા ગુજરાતી લેખકોનાં લખાણ માટે કહી શકાય. ઝવેરચંદ મેઘાણીનું ગદ્ય લો કે પદ્ય, તેમાં રહેલી સર્જકતા અને તાકાત આજે પણ અનુભવી શકાય અને પ્રસ્તુત લાગે એવી છે. આપણી બારીઓ ખોલે, સંવેદના ખીલવે અને જે નકરી પ્રાસંગિકતા કે સ્થૂળતામાં રાચતાં ન હોય, એવાં લખાણ ગુજરાતીમાં દરેક સમયમાં વત્તેઓછે અંશે આવતાં જ રહ્યાં છે. પરંતુ મોહગ્રસ્ત વાલીઓ અને પોતાના વિશ્વસાહિત્યના જ્ઞાનનો વટ પાડવા આતુર, જુદી રીતે મોહગ્રસ્ત એવા અધ્યાપકોના પાપે ગુજરાતી લખાણોનું યથાયોગ્ય, સહૃદય મૂલ્યાંકન થયું નથી – થતું નથી.

જ્ઞાનભાષા વિશે હું જ્યારે ચિંતા કરતો હતો, ત્યારે મનમાં એક ખ્યાલ એવો હતો કે જ્ઞાન એટલે વિજ્ઞાન ને ઇતિહાસ. એ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરનારા નગેન્દ્રવિજય, હર્ષલ પુષ્કર્ણા, તેમની આગળ અને પાછળના બીજા ઘણા લોકોએ સરસ કામ કર્યું છે. ’જ્ઞાન’ની સમજ ગુજરાતીમાં કેળવી શકાય એવું કામ કર્યું છે. છતાં, આપણને સતત અસલામતીનો અનુભવ કેમ થાય છે?

તેનું એક વ્યક્તિગત કારણ તે પોતાનું ઘર. વર્ષો પહેલાં ‘ગુજરાતી- બચાવો’ની એક સભામાં એક વક્તાએ કહ્યું કે મારાં પૌત્ર-પૌત્રી મારી સાથે વાત નથી કરી શકતાં, બોલો. આવા કિસ્સામાં તેમના પ્રત્યે પૂરી સહાનુભૂતિ રાખીને કહેવું પડે કે એ તમારો પ્રૉબ્લેમ છે, ગુજરાતનો કે ગુજરાતીનો નથી. જેમને એટલું દાઝતું હોય, તે દુનિયાને ઉપદેશ આપતાં પહેલાં અંગ્રેજી માધ્યમમાં ભણતાં તેમનાં પોતરાંદોહિતરાંને સાથે-સાથે સાદું વાંચવા-બોલવા જેટલું ગુજરાતી આપી ન શકે, તો તેના માટે કોણ જવાબદાર?

ગુજરાતી ભાષા રસાતાળ જવા બેઠી છે, એવું લાગવાનું બીજું કારણ તે આપણાં છાપાં – તેનાં સરેરાશ લખાણો – ઘણી કૉલમમાં આવતી ભાષા. તેમાં એ યાદ રાખવાની જરૂર છે કે સારી ભાષા, ઉત્ક્રાંત થતી રહેલી ભાષા પ્રસારમાધ્યમોને કારણે નહીં, તેમના હોવા છતાં જીવવાની છે. પ્રસારમાધ્યમોમાં આવતાં લખાણથી ભાષાની એકંદર તબિયત-તંદુરસ્તી ન માપીએ. મુનશી કે ઉમાશંકર કે દર્શકના જમાનામાં પણ મુખ્ય ધારાનાં મોટો ફેલાવો ધરાવતાં અખબારોની ભાષા અંગેની સ્થિતિ ખાસ વખાણવા જેવી ન હતી. તેનો અર્થ એમ નથી કે છાપાંની ભાષાની ટીકા ન કરવી. પણ માત્ર એની ટીકા કરીને જ ભાષાની ચિંતા કે તેની મહાન સેવા કરવાના ભ્રમમાંથી નીકળી જવું.

ચિંતા અને નિસબત વચ્ચે ફરક છે. નિસબત હોય એ માણસ ચિંતા કર્યા પછી બીજું કશુંક કરે. તેને થાય કે માની તબિયત એંસી વર્ષે સારી છે, તો સો વર્ષે પણ સારી રહે તેના માટે હું શું કરું? એવા ઉપક્રમોમાંથી ‘ગુજરાતી લેક્સિકોન’ જેવાં કામ થાય છે. મારા જેવા ઘણા લોકોનો એકે ય દિવસ લેક્સિકોન વાપર્યા વિના નહીં જતો હોય. જે ટેક્નોલૉજી ભાષા માટે સંકટ લાગતી હતી, એ જ ટેક્નોલૉજી થકી આખેઆખો ભગવદ્‌ગોમંડળ પહેલાં વેબસાઇટ પર અને ઘણા વખતથી મોબાઇલના એપ તરીકે ઉપલબ્ધ છે. બીજા કંઈક શબ્દકોશ, કહેવતો, સમાનાર્થી આવ્યા, નવા શબ્દો ઉમેરવાની પ્રક્રિયા પણ ચાલી. ગુજરાતીને ભવિષ્યભાષા એટલે કે ભવિષ્યની પ્રજા માટે સરળતાથી સુલભ અને પ્રસ્તુત બનાવવાનું કામ તે આવાં ઘણાં કામનો સરવાળો છે. રતિકાકા — રતિલાલ ચંદરયાએ ‘ગુજરાતી લેક્સિકોન’ થકી મજબૂત પાયો નાખ્યો છે. એ કામ પણ પણ એક વાર થઈ ગયા પછી થંભી ન ગયું.  તેમાં સતત નવા ઉમેરા થતા રહે છે, તે બહુ આનંદની વાત છે.

મહેન્દ્ર મેઘાણીના જમાનામાં વૉટ્‌સઍપ હોત, તો તેમણે આટલી મહેનત કરીને, આગોતરાં લવાજમ ઉઘરાવીને, આટલી ગ્રંથાવલિઓ ને સંપુટો કરવાં પડત? મહેન્દ્રભાઈને જ પૂછી શકાય એમ છે. છતાં હું એવું સમજું છું કે કદાચ ન પણ કરવા પડ્યાં હોત. મૂળ સવાલ વિતરણનો હતો. આપણે ઉત્તમ વસ્તુઓ ચૂંટીએ, પસંદ કરીએ, પછી લોકો સુધી પહોંચાડવાની કેવી રીતે? આજે આપણી પાસે સૌથી મોટી તાકાત, જે નબળાઈ, મર્યાદા કે ભયસ્થાન પણ હોઈ શકે છે, તે છે ટેક્નોલૉજી. આપણે આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરીએ છીએ, તેની પર આધાર છે.

મનુભાઈનું હું જેમજેમ જેટલું વાંચતો જાઉં છું, તેમ મને થાય છે કે આ બધું ફરી ને ફરી કેવી રીતે ચલણમાં રાખી શકાય? આવું બીજાં પણ ઘણાં લખાણ વિશે થાય છે. આપણે ત્યાં ઘણું બધું સર્જાયું ને વિસ્મૃત થઈ ગયું.  હવે તો દરેક વસ્તુની આવરદા – શૅલ્ફલાઇફ બહુ ઓછી હોય છે. એક વાર કંઈક કરી દેવાથી ઇતિશ્રી થઈ જતું નથી. જેનું અત્યારે મૂલ્ય હોય, પ્રાસંગિકતા હોય, જેમાં રસ હોય, એવી ચીજો આપણી ભાષામાંથી શોધી-શોધીને લોકોની સામે મૂકવાનું કામ કરવા જેવું છે. હજુ આપણી પાસે માર્ગદર્શકો છે, જેમણે આ ક્ષેત્રમાં કે આ પ્રકારનું ઘણું કામ કર્યું છે. આપણા વિસ્મૃત જ્ઞાનને એકઠું કરીને વહેતું કરવું, એ મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે. ‘વિશ્વમાનવ’ની કે બીજી ડી.વી.ડી. બને તે બહુ આવકાર્ય છે. અત્યાર સુધી વેરવિખેર કે પુસ્તકાલયોમાં કેદ સામગ્રી ડિજિટલ સ્વરૂપે સંઘરાઈ ગઈ. હવે તેને વહેતી મૂકવાની છે.  લખનારના કૉપીરાઇટનું ધ્યાન રાખીને, એ સામગ્રી કેવી રીતે લોકો સુધી પહોંચાડવા માટે અવનવા ઉપાય વિચારવા અને તેમાં ટેક્નોલૉજીની મદદ લેવી એ કરવા જેવું કામ છે. અત્યારે એક સશક્ત માધ્યમ છે વીડિયો. લોકો એવું કહેતા સંભળાય છે કે આજકાલ લોકો વીડિયો જ જુએ છે. વાત સાચી પણ છે. લોકોને એ ગમતું હોય, તો એ માધ્યમ. તેમાં આપણે આપણી સામગ્રી કેવી રીતે આપી શકીએ, તે આપણે બધા સંસ્થાગત રીતે કે વ્યક્તિગત રીતે વિચારી શકીએ. આ પ્રયાસો વચ્ચે ઓછામાં ઓછું એટલું સંકલન જરૂરી છે કે જેથી એકનું એક કામ લોકો પોતપોતાની રીતે ન કરવા લાગે. જાતને સાવ ભૂંસીને નહીં, પણ થોડી પાછળ રાખીને સામગ્રીને આગળ રાખવાનું કામ કરી શકાય.

અખબારોમાં વિશ્વ માતૃભાષા દિવસની ચિરંતન સ્ટોરી હોય છે કે ગુજરાતી ભાષામાં આટલા વિદ્યાર્થી નાપાસ થાય છે. દર વખતે રોકકળ મચે છે. તેમાં એટલી સાદી વાત ચૂકી જવાય છે કે એ ‘ભાષા બચાવો’નો મુદ્દો નથી. એ ‘શિક્ષણ બચાવો’નો મુદ્દો છે. ગુજરાતી સિવાયના વિષયોમાં પણ અઢળક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને જે પાસ થાય છે, તેમના સ્તરની તપાસ વળી અલગ જ મુદ્દો છે. તેનો ઉકેલ આણવા માટે ટૅક્નોલૉજી મદદ કરી શકે છે. અમેરિકાના સલમાનખાન દ્વારા ચાલતી ‘ખાન એકૅડેમી’ દરેક વિષયના વિભાગ, પેટા વિભાગ પાડીને તેના આઠ-દસ મિનિટના શૈક્ષણિક વીડિયો મૂકે છે. મને હંમેશાં એવી લાલચ રહે છે કે હજુ આપણે ત્યાં ઉત્તમ શિક્ષકો છે. એ લોકોનો જ્ઞાનવારસો આ રીતે વીડિયોમાં સંગૃહીત ન કરી શકાય? જુદા-જુદા વિષયોના મુદ્દા-પેટા મુદ્દા પાડીને, ગુજરાતી માધ્યમમાં સારામાં સારી રીતે શીખવતા લોકોના આવા વીડિયો તૈયાર ન થઈ શકે? તેમાં સંકળાયેલા લોકોને મહેનતાણું મળે, પણ જે બને તે સૌ કોઈ માટે વિનામૂલ્યે હોય. એટલી આર્થિક મદદ કરનારા ન મળે? નાનેથી મોટાં ધોરણનાં પાઠ્યપુસ્તકોને સાચી છતાં સરસ રીતે, વીડિયો સ્વરૂપે તૈયાર કરવાનું કામ પણ ભવિષ્યભાષા માટેનું જ કામ બની શકે છે.

છેવટે, એટલું જ કહેવાનું કે ગુજરાતી ભાષા વિશે બિનજરૂરી હીણપત ન અનુભવીએ અને આપણી ભાષાની સમૃદ્ધિને ઓળખીને, બીજાને નીચા પાડ્યા વિના, તેનું ગૌરવ લઈએ. અમીષ ત્રિપાઠી કે દેવદત્ત પટનાયકની સાથે મનુભાઈને પણ વાંચી શકાય. પછી જાતે નક્કી કરવાનું કે કોણ ક્યાં છે. અને ગૌરવ એટલે ‘આપણે ત્યાં બધું શોધાઈ ગયું છે’ એવી ફેંકાફેંકની વાત નથી, પણ આપણે ત્યાં કેટલું ઉત્તમ લખાયું છે તે જાણીએ, શક્ય એટલું વાંચીએ અને નવી ટેક્નોલૉજીની મદદથી તેને નવી પેઢી સુધી પહોંચાડી જોઈએ.

સેવા બહુ ખરાબ શબ્દ છે. તેમાં પગ દબાવનારા ક્યારે ગળું દબાવી નાખે, તેની ખબર નથી પડતી. એટલે આ બધું કરતી વખતે માથે ભાષાની સેવાના મુગટો પહેરીને ફરવું નહીં. તેમાં મઝા આવતી હોય તો જ એ કામ કરવું. કામ કરનારને મઝા આવશે, તો તે મઝાનો ચેપ બીજાને પણ લાગશે.

Email : uakothari@gmail.com

(‘ગુજરાતી લેક્સિકોન’ના ઉપક્રમે, શનિવાર, તા. 23 ફેબ્રુઆરી 2019ના રોજ, આપેલું ચોથું ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ વ્યાખ્યાન લેખ સ્વરૂપે)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 10-11

આ અવસરની વીડિયો લિંક અહીં આપીએ છીએ :

https://www.youtube.com/watch?v=EHP42oCtObw

Loading

...102030...2,9422,9432,9442,945...2,9502,9602,970...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved