Opinion Magazine
Number of visits: 9579031
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પળ-અકળ

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|17 November 2018

જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.
 
ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય ..
રોજ રોજ પાનાં તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી ..
પણ પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં …. ….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
 
અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર ..
સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
તો ય પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં ………..  જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
 
ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાં ય રાખી, ના કોઈને કીધી.
લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી ..
આખરી પળ પણ એવી અકળ અહીં …………………… પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં ..

હ્યુસ્ટન, નવેમ્બર ૧૬, ૨૦૧૮

e.mail : ddhruva1948@yahoo.com

http://devikadhruva.wordpress.com

Loading

છત્તીસગઢમાં આદિવાસીઓએ મોટા પ્રમાણમાં મતદાન કરીને બતાવી આપ્યું છે કે તેઓ નક્સલવાદીઓના પ્રભાવમાં નથી અને તેઓ તેમનો સાચો ચહેરો પણ જાણે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 November 2018

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ બેઠકો માટે થયેલા પહેલા તબક્કાના મતદાને સુખદ આશ્ચર્ય પેદા કર્યું છે. સરેરાશ ૭૬.૨૮ ટકા મતદાન થયું છે જે ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાનની સરેરાશ જેટલું જ છે અને કેટલાક મતદારક્ષેત્રોમાં તો તેનાથી પણ વધુ છે. ખાસ નોંધવા લાયક વાત એ છે કે આ વખતે નકસલવાદીઓએ મતદાનનો બહિષ્કાર કરવાના આપેલા કોલની આદિવાસીઓએ અવગણના કરી હતી અને મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. સાધારણપણે એવું માનવામાં આવે છે કે જ્યારે મતદાન મોટા પ્રમાણમાં થતું હોય છે, ત્યારે રાજકીય આશ્ચર્યો સર્જાતાં હોય છે. આ વખતની ચૂંટણીમાં છત્તીસગઢમાં થયેલું ભારે મતદાન કઈ રીતનાં આશ્ચર્યો સર્જશે એ ૧૧મી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. બીજું, હજુ બીજા મતદારક્ષેત્રમાં મતદાન થવાનું બાકી છે. ત્યાં પણ આટલી સરેરાશ જળવાઈ રહે છે કે કેમ એ હવે પછી ખબર પડશે. જો દરેક જગ્યાએ બહોળા પ્રમાણમાં મતદાન થશે તો આ વખતે આશ્ચર્ય સર્જાઈ શકે છે.

ચર્ચાનો વિષય મતદાનનું પ્રમાણ અને પરિણામ નથી, પરંતુ નક્સલવાદીઓના પ્રભાવનો છે. સાધરણ રીતે નકસલવાદીઓ ચૂંટણીની પ્રક્રિયામાં વચ્ચે આવતા નથી. તેઓ ચૂંટણી લડતા નથી અને કોઈને ચૂંટણી લડતા રોકતા પણ નથી. ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ ઘણું કરીને તેમણે પહેલી વાર આપ્યો છે. આનો અર્થ એવો નથી કે તેઓ લોકતંત્રમાં વિશ્વાસ ધરાવે છે. આના બીજા જે અર્થ થાય છે એ અહીં સમજવા જેવા છે.

બસ્તરમાં, ઝારખંડમાં, તેલંગણામાં, ગડચિરોલીમા જ્યાં પણ નકસલવાદીઓનો પ્રભાવ છે ત્યાં પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણી નિર્વિઘ્ને થાય છે અને તેમાં નકસલવાદીઓ કોઈ અવરોધ પેદા કરતા નથી. કોઈક પ્રકારની રાજકીય સમજૂતી નક્સલીપ્રભાવ ક્ષેત્રોમાં જોવા મળે છે. રાજકીય પક્ષો નક્સલી પ્રભાવક્ષેત્રમાં સક્રિય છે, લોકોની વચ્ચે જાય છે, રાજકીય કામ કરે છે અને ચૂંટણી પણ લડે છે. જો લોકતંત્ર ક્રાંતિ વિરોધી બુર્ઝવા સંસ્થા છે તો તેની સામે નકસલવાદીઓ આદીવાદીઓને પ્રશિક્ષિત કેમ નથી કરતા અને લોકતાંત્રિક પ્રક્રિયાથી દૂર રહેવાની સલાહ કેમ નથી આપતા? આદિવાસી ક્ષેત્રોમાં ચૂંટણી લડનારા ઉમેદવારો મોટાભાગે આદિવાસીઓ જ હોય છે. તેઓ આદિવાસીઓની વચ્ચે રાજકીય પ્રચાર કરે છે અને મત મેળવે છે. આ વખતે પહેલીવાર તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો છે.

આનો અર્થ એટલો જ થાય કે આદિવાસી ક્ષેત્રોમાં બુર્ઝ્રવા લોકતંત્ર કાયમ રહે અને આદિવાસીઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં રાજકારણી તરીકે કે મતદાર તરીકે ભાગ લે તેની સામે તેમને વાંધો નથી. શા માટે? એક શક્યતા એવી છે કે તેમને ચૂંટણીમાં વિઘ્નો પેદા નહીં કરવા માટે પૈસા મળતાં હશે અને બીજી શક્યતા એવી છે કે તેઓ જેટલો દાવો કરે છે એટલો તેમનો આદિવાસીઓમાં પ્રભાવ નથી. કાયદો હાથમાં લઈને હિંસા કરવી એ જુદી વાત છે અને લોકોની વચ્ચે જઇને લોકમાન્યતા મેળવવી એ જુદી વાત છે. હિંસા કરવા માટે હિંસક માનસથી વિશેષ કોઈ ચીજની જરૂર પડતી નથી, જ્યારે લોકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે ઘણા પાપડ વણવા પડતા હોય છે.

કોઈ પણ પ્રકારની મોટી વ્યાપક હિંસક ક્રાંતિ કર્યા વિના પાંચ દાયકાથી નક્સલવાદી આંદોલન ભારતમાં ચાલી રહ્યું અને તેમાં ઓટ આવતી નથી એ એક રહસ્ય છે. પ્રત્યક્ષ પરિણામ વિના કોઈ અંદોલન દાયકાઓ સુધી ચાલતું નથી. નિષ્ફળતા પછી કેડર મળતી નથી. નેતાઓ અને કાર્યકરો આંદોલનનું પરીક્ષણ (રિવ્યુ) કરવા લાગે છે અને તેમાંથી મતભેદ પેદા થઈને આંદોલન વિભાજીત થઈને ખતમ થઈ જાય છે. આવું બધું નક્સલવાદીઓમાં પણ બન્યું છે, પરંતુ એ શરૂઆતનાં વર્ષોમાં. છેલ્લા બે દાયકાથી નક્સલવાદી આંદોલન મૂળ નક્સલવાદી આંદોલનના અવશેષ તરીકે ટકી રહ્યું છે અને તેમાં ભરતી-ઓટ આવ્યા વિના સમયાંતરે હિંસાની ખબર આવ્યા કરે છે. જ્યારે પણ હિંસક ઘટના બને ત્યારે આપણા કેટલાક રાજકીય સમીક્ષકો શોષણ કરનારી મૂડીવાદ વ્યવસ્થાને નક્સલવાદીઓના અસ્તિત્વ પાછળનું કારણ ગણાવીને વિવેચન કરે છે.

આમાં ક્યાંક ભૂલ થાય છે. જો નકસલવાદીઓનો આદિવાસીઓમાં તેઓ દાવો કરે છે એટલો પ્રભાવ હોત અથવા તો શોષણમુક્ત સામ્યવાદ માટે તેઓ દાવો કરે છે એટલા પ્રામાણિક હોત તો તેઓ જંગલમાં; લોકતંત્રને, મૂડીવાદને અને શોષણ કરનારી વ્યવસ્થાના એજન્ટ અર્થાત  ઠેકેદારોને પ્રવેશતા રોક્યા હોય. આખું જગત જાણે છે કે શાસક, શેઠ અને દલાલની ધરી છે અને એ ધરી મળીને ભાગીદારીમાં શોષણ કરે છે, એ પછી જંગલ હોય કે શહેરો હોય. નક્સલીપ્રભાવ ક્ષેત્રોમાં કાગળ બનાવવાનાં કારખાનાં છે. ખનીજ ધાતુ, બીડી પત્તા, બાંબુ એમ જંગલમાં મળતી ચીજ બહાર વેચાણ માટે જાય છે. ક્યારે ય કોઈ ચીજને જંગલની બહાર જતી નક્સલવાદીઓએ રોકી નથી. ક્યારે ય કોઈ કારખાનાને નક્સલવાદીઓને નુકસાન પહોંચાડ્યું નથી. તેઓ તો સામ્યવાદી હોવાનો દાવો કરે છે તો શું તેમને શોષણના અને લૂંટના સ્વરૂપની જાણ નથી? મારો તો એવો સ્પષ્ટ મત છે કે નક્સલી આંદોલન એ પરિવર્તન માટેનું, ગરીબો તરફી, ન્યાય માટેનું આંદોલન નથી; પરંતુ ગુનેગારી છે. શાસક, શેઠ અને દલાલ પછીનો માફિયાગીરીનો ચોથો ખૂણો છે. શોષણની ધરી ત્રણની નથી, ચારની છે.

આ વખતે બસ્તરમાં નકસલવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો હતો. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં મતદાન કરીને બતાવી આપ્યું છે કે તેઓ નક્સલવાદીઓના પ્રભાવમાં નથી. આદિવાસીઓ નક્સલવાદીઓનો સાચો ચહેરો જાણે છે એ પણ આમાંથી ફલિત થાય છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 16 નવેમ્બર 2018

Loading

શહેરનાં સરસપુરનાં સરસ્વતી સમાં શિક્ષિકા જશીબહેન નાયક એકસો એકમાં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|16 November 2018

પદ્મશ્રી સન્માનિત કેળવણીકાર રઘુભાઈ નાયકનાં સર્વાર્થે જીવનસાથી એવાં જશીબહેન નાયક વાત્સલ્યમય શિક્ષક, ઉત્તમ સંચાલક, અને પુસ્તકોનાં લેખક છે. તેઓ રવિવારે એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કરશે.

અમદાવાદના શ્રમજીવીઓના એક વિસ્તાર સરસપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સભાગૃહની નજીક સરસ્વતી વિદ્યાલય તરીકે ઓળખાતી શાળાઓનું સંકુલ આવેલું છે. તેમાં બાળમંદિરથી બારમાં ધોરણ સુધીની છ શાળાઓમાં પાંચેક હજાર બાળકો ભણે છે. આ શાળાઓનું સંચાલન સરસ્વતી વિદ્યામંડળ નામનું ટ્રસ્ટ કરે છે. આ ટ્રસ્ટની મૂળ શાળા આ મહિનામાં ત્રીસમી નવેમ્બરે પંચોતેર વર્ષમાં પ્રવેશ કરશે; અને તેના એક આદ્ય શિક્ષિકા તેમ જ (અ)પૂર્વ આચાર્ય જશીબહેન એકસો એકમાં વર્ષમાં અઢારમી તારીખના રવિવારે  પ્રવેશ કરશે.

મંગળવારે જશીબહેને ખુરશીમાં સીધાં બેસીને મીઠા અને ધીમા અવાજે કરેલી સરસ વાતો, ગુલબાઈ ટેકરા વિસ્તારની મૈત્રી સોસાયટીના તેમનાં ઘરે સાંભળવા મળી. આજે ય જશીબહેન વિદ્યામંડળનાં પ્રમુખ તરીકે સંસ્થાની બેઠકોમાં હાજર રહે છે. શાળાનાં બાળકોની નૃત્યનાટિકામાં માર્ગદર્શન આપે છે. એકાદ દાયકાથી, દર વર્ષે છ-આઠ મહિના ઇન્ગ્લેન્ડના લિવરપૂલમાં તેમનાં તબીબ ચિરંજીવી પ્રશાંતભાઈને ત્યાં રહે છે. લાંબો પ્રવાસ ખેડી શકે છે, હવામાન સાથે તરત મેળ પાડી શકે છે. એ જ્યાં હોય ત્યાંથી સંસ્થાના માસિક ‘ઘરશાળા’ માટે લેખો લખાવી મોકલે છે. સંસ્થા તેમની જિંદગીનો અવિભાજ્ય હિસ્સો છે. એવું જ એમના પતિનું પણ હતું. 

જશીબહેનના પતિ એટલે પદ્મશ્રી સહિત અનેક સન્માનો મેળવનાર કેળવણીકાર રઘુભાઈ નાયક(1907-2003). સરસ્વતી વિદ્યામંડળના સ્થાપક રઘુભાઈ અને સર્વાર્થે તેમનાં જીવનસાથી જશીબહેને અમદાવાદમાં મિલકામદારોનાં અને દિલ્હીમાં ત્યાંના ગુજરાતીઓનાં બાળકોને ભણાવ્યાં. રઘુભાઈ દેશનાં પાટનગરનાં સરદાર પટેલ વિદ્યાલયમાં પહેલા આચાર્ય બન્યા, કારણ કે એ વખતના દૂરંદેશી અર્થમંત્રી અને ગૃહમંત્રી રાજપુરુષ એચ.એમ. પટેલ રઘુભાઈની કેળવણીકાર તરીકેની ક્ષમતાને બરાબર પારખી ગયા હતા. દિલ્હીની આ ગુજરાતી શાળા બહુ પ્રતિષ્ઠા પામી છે. દિલ્હીની શાળામાં પણ, અમદાવાદની શાળાની જેમ, રઘુભાઈની સાથે જશીબહેન  શિક્ષિકા અને સહઆચાર્ય હતાં.

જશીબહેનને ‘પતરાંની શાળા’ સહુથી વધારે સાંભરે છે. રઘુભાઈએ સ્થાપેલી આ પહેલી શાળા. વાત એમ હતી કે કાળુપુર સ્ટેશનની પાછળના વિસ્તારમાં, બંધ પડી ગયેલી માધુભાઈ મિલનાં કમ્પાઉન્ડનાં કેટલાંક મકાનો અને ગોડાઉનોમાં પતરાંના શેડમાં કારખાનાં ચાલતાં. તેમાંથી બે-ત્રણ શેડમાં એક શાળા ચાલતી હતી. સગવડો અને સંખ્યાને અભાવે બંધ પડવા આવેલી એ શાળા રઘુભાઈએ તેના સંચાલક પસેથી લઈ લીધી. તેના માટે તેમણે પોતાના અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા પચીસ હજાર રૂપિયા ચૂકવ્યા. રઘુભાઈનું ધ્યેય પૂર્વ અમદાવાદના અભાવગ્રસ્ત લોકોને શિક્ષણ આપવાનું હતું. આવી નિસબત ધરાવતા રઘુભાઈએ આઝાદીની ચળવળમાં જેલ વેઠી હતી, રવીન્દ્રનાથ પાસે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું હતું, જર્મનીની ફ્યૂબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉકટરેટ પ્રાપ્ત કરી હતી, સારી નોકરી માટેના પ્રસ્તાવ સ્વીકાર્યા ન હતા. ગામડાંમાં શિક્ષણનું કામના કરવાનાં ઉદ્દેશ્યથી ભાવનગરની અનોખી શાળા ‘ઘરશાળા’માં નજીવા પગારે આચાર્ય બન્યા. સંસ્થાના સ્થાપક અને કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં દીકરી એવાં શિક્ષિકા જશીબહેન સાથે લગ્ન કર્યાં.

અમદાવાદનાં ગરીબ બાળકોને ભણાવવાના આદર્શ સાથે રઘુભાઈએ કામ શરૂ કર્યું એટલે  સરસપુરમાં ડઝનેક મિલોનાં સાયરનો, ધૂળ, ધૂમાડા અને કોલસાની રજ વચ્ચે આવેલાં બિસ્માર મિલ કમ્પાઉન્ડમાં જ ઘર માંડ્યું. દમની બીમારી ધરાવતાં જશીબહેન આઠ મહિનાના દીકરા પ્રશાન્તને લઈને પતિને સાથ આપવા લાગ્યાં. ભાવેણાની સુંદર ‘ઘરશાળા’, સુખી ગૃહજીવન, વ્યાવસાયિક કારકિર્દી અને સ્નેહીઓને છોડી દીધાં. પાણી, અનાજ, જાજરૂ-બાથરૂમ, વીજળી, આવકનાં અભાવો સહિતની અનેક મુશ્કેલીઓ વેઠીને ઘરસંસાર ચલાવ્યો, સાથે શાળા પણ વિકસાવી. નાયક દંપતીએ સરસ્વતી શાળાને વિષય શિક્ષણ ઉપરાંત બાળકના સર્વાંગીણ રુચિસંપન્ન વિકાસ સાધવા માટેની ‘નૂતન શિક્ષણ’ની વિભાવના મુજબ આકાર આપ્યો. શાળાની જમીન રેલવેએ સ્ટેશનના વિસ્તરણ માટે સંપાદિત કરી. એટલે ખૂબ મહેનતથી 1959માં નવી જમીન મેળવી, જ્યાં શાળાની બે મોટી ઇમારતો અત્યારે ઊભી છે. શાળામાં ઉત્તમ શિક્ષકો તો રોક્યા જ. ઉપરાંત તેને સંગીત, નૃત્ય, નાટ્ય, સામયિક, ભીંતપત્ર, રમતગમત, સામાજિક કાર્ય, વિદ્યાર્થીમંડળ જેવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી. તેની માહિતી શિક્ષણક્ષેત્ર પરના પીઢ લેખક  હરિત પંડ્યાએ આલેખેલાં રઘુભાઈનાં વાચનીય ચરિત્ર ‘સપનાં થયાં સાકાર’માં મળે છે. આ પુસ્તક ઑસ્ટ્રેલિયાના અગ્રણી શિક્ષણવિદ્દ ફ્રેડા વિટલૅમે (1920-2018) લખેલાં રઘુભાઈના ‘લાઇટ ઇન ધ ઇસ્ટ’ (1996) નામના જીવનચરિત્ર પર આધારિત છે. જશીબહેનનાં સંસ્મરણો ‘સ્મરણયાત્રા’ (2001) પુસ્તક તરીકે વાંચવા મળે છે. તેમાં તેમણે શાળાની શરૂઆતનાં કપરાં વર્ષોનાં પ્રસંગો વિશે સહજભાવે અને શાળાને મદદરૂપ થનાર અનેક નાની-મોટી વ્યક્તિઓ વિશે કૃતજ્ઞતાથી લખ્યું છે. ઉપેક્ષા કે ગેરસમજનો ભોગ બનેલાં વિદ્યાર્થીઓની કથાઓ ‘કાળી વાદળી ઉજળી કોર’ (1987) સંચયની વાર્તાઓમાં મળે છે.  

જશીબહેન પોતે ભાષા, સમાજવિદ્યા અને સંગીતનાં શિક્ષિકા તેમ જ સહઆચાર્ય પણ રહ્યાં. મુંબઈથી વર્ષો પહેલાં બી.એ. થઈ ચૂકેલાં તેમણે ભણાવવાની સાથે ભણવાનું ફરીથી શરૂ કર્યું. મૉન્ટેસરી ટ્ર્રેઇનિન્ગ કોર્સ કરીને પછી એમ.એડ. સુધી ભણ્યાં. ચાલીઓ-ખોલીઓમાં વસતાં વિદ્યાર્થીઓ તેમ જ  પોતાનાં સંતાનો પ્રશાન્ત અને ઇરા વચ્ચે ભેદ ન રાખ્યો. રઘુભાઈને 1952માં ફુલબ્રાઇટ સ્કૉલરશીપ હેઠળ અમેરિકા જવાનું થયું ત્યારે એક વર્ષ આખી શાળાનું સંચાલન કર્યું. સરસ્વતી વિદ્યાલયની સુવાસ પ્રસરતાં અસારવા વિસ્તારના લોકોની માગણીને પગલે ત્યાં શરૂ થયેલી શાળામાં 1958 સુધી છ વર્ષ માટે આચાર્યપદે રહ્યાં. તે પછી અઢાર વર્ષ દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલયમાં રઘુભાઈ સાથે સહઆચાર્ય તરીકે 1976 સુધી રહ્યાં.

જશીબહેનની અત્યારની યાદોમાં વારંવાર આવે છે તે શાળામાં કરાવેલાં ગીત-સંગીતનાં કાર્યક્રમો. શાળાની પ્રાર્થના સહિત અનેક વાર રવીન્દ્રસંગીત ચાલતું. તદુપરાંત પ્રહ્લાદ પારેખની ‘વર્ષામંગલ’ની રચનાઓ હતી. એ બધું દિલ્હીમાં ચાલુ રહ્યું, અને તેમાં ઉમેરાઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પરની નૃત્યનાટિકાઓ. તેની સ્ક્રિપ્ટ્સ્ લખવા માટે જશીબહેન ખૂબ મહેનત લેતાં. કાર્યક્રમોની પદ્યરચનાઓ જાણીતા કવિઓ પાસે પોતાના માર્ગદર્શન હેઠળ કરાવતાં. તેમાંની એકની પંક્તિઓ જશીબહેન બોલી બતાવે છે : ‘ભારતમેં જન્મા થા ઐસા પુરુષ મહાન, લોગ ઉસે કહતે થે લોહે કા ઇન્સાન’. યાદો કેટલી ય છે : રઘુભાઈએ ઇન્દિરા ગાંધીને પુનાની ‘પિપલ્સ સ્કૂલ’માં કેટલોક સમય ભણાવેલાં, દિલ્હીની સ્કૂલમાં રાજેન્દ્રપ્રસાદ આવેલાં, સરદાર પરની સ્ક્રિપ્ટ માટે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં જતાં, અસારવા વિદ્યાલયની શાળામાં જશીબહેન સાઇકલ પર જતાં-આવતાં. જશીબહેનનું એક સાંભરણ છે : ‘એક વખત રઘુભાઈ રસોડામાં ચમચીઓ ગણતા હતા. કોઈએ અંચબો વ્યક્ત કર્યો. એટલે તેમણે કહ્યું કે ‘એ સ્કૂલમાં ધ્યાન આપે તો મારે ઘરમાં થોડુંક ન આપવું જોઈએ’. તેમનાં લગ્નની પચીસમી વર્ષગાંઠે સ્નેહરશ્મિએ હાઇકુ કર્યું:

વીતી વસન્ત –
રૂસણે તારે તોય –
હજી તે તાજી !

‘પતરાંવાળી સ્કૂલ’ ના કમ્પાઉન્ડમાં રહેતો, મદદ કરતો, જશીબહેનનાં બાળકોને વહાલ કરતો ‘કાબૂલીવાલા જેવો’ ગફૂર પઠાન યાદ છે. અમદાવાદનાં અનેક તોફાનોમાં ‘કોણ જાણે કેમ’ પણ શાળા સલામત રહી. ભાગલા વખતે સિંધી નિરાશ્રીતોનાં ધાડાં આવતાં. તેમને માટેનાં  રાહતકામમાં રઘુભાઈએ શાળાને સામેલ કરી. તે વિશે જશીબહેને ‘સ્મરણયાત્રા’માં તો લખ્યું છે. પણ તે દિવસો એમને વારંવાર બધાને ખાસ કહેવા જેવા લાગે છે. તેમાં જેનું કોઈ જ ન હતું એવાં નિરાશ્રીત ભાઈને રઘુભાઈએ ચા બનાવીને શાળામાં કાયમ આપી જવાનું સોંપ્યું હતું તે પણ જશીબહેનને સાંભરે છે. જશીબહેનને યાદ છે તે મહેનતકશોનાં ‘પતરાંની શાળા’માં ભણતાં બાળકોનું અમદાવાદ, કર્ણાવતી નહીં. શ્રમજીવીઓ માટે શિક્ષણની સરસ્વતી જ્યાં વહે છે, વસે છે તે જશીબહેન નાયકનું અમદાવાદ.

********

15 નવેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 16 નવેમ્બર 2018

Loading

...102030...2,9362,9372,9382,939...2,9502,9602,970...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved