Opinion Magazine
Number of visits: 9685470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૧૯ : થોડાંક ઇંગિત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 December 2018

શીત લહર અને રાજકીય ગરમીના સંમિશ્ર માહોલમાં ૨૦૧૯માં પ્રવેશતાં કિયું ચિત્ર સામે આવે છે? તમે કદાચ કહી શકો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સવિશેષ તો છતીસગઢનાં વિધાનસભા પરિણામો પછી કૉંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે પુનઃ પ્રતિષ્ઠાની આશા એક અંતરાલ પછી વરતાવા લાગી છે. ઉલટ પક્ષે, તમે જોઈ પણ શકો છો કે ભા.જ.પ.ને લોકસભામાં મે ૨૦૧૯માં સુવાંગ બહુમતી ન મળે એ સંજોગોમાં બીજાઓને સ્વીકાર્ય વૈકલ્પિક નેતૃત્વ માટે નાગપુરે કવાયત ચાલુ કરી દીધી છે.

નહીં કે આ પ્રવાહો અને પરિબળોની ચર્ચા અસ્થાને છે. પણ નાગરિક છેડેથી જોતાં પરિવર્તન ભણીની આશાલેરખી છતાં મુખ્ય નિસબતમુદ્દો ખરું જોતાં એ છે કે સ્વરાજના સાત સાત દાયકા વટી ગયા પછી આપણી અમૂઝણ ધોરણસરની રાજકીય સંસ્કૃતિનું જે ટાંચું પડેલું છે તે વાતે છે. નેહરુશાસ્ત્રી પછી જે આગળનો ટપ્પો હાંસલ કરવાનો હતો એને બદલે કેમ જાણે કંઈક પાછળ પડવા જેવું બાંગલા ફતેહકલગી છતાં ઇંદિરાજીના નેતૃત્વમાં વરતાવા લાગ્યું હતું, અને જયપ્રકાશ જેવાઓની ચિંતા કટોકટીરાજ સાથે ભેંકારપણે સાચી પડી હતી. જનતા રાજ્યારોહણ પછી લોકશાહી પુનઃ સ્થાપન એ ઠીક પથસંસ્કરણ હતું, પરંતુ સંપૂર્ણ ક્રાંતિના ધ્રુવતારક સામે આશાની પછડાટનો જ નહીં ખુદ દૈનંદિન રાજકારણનાં શીલ અને શૈલીનો સવાલ ત્યારે અને ત્યાર પછી ઢેકો કાઢતો રહ્યો છે. વિશ્વનાથ પ્રતાપ સિંહનો ઉદય કે અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ જો કંઈક આશાએશ સંપડાવનારાં રહ્યાં તો નરસિંહ રાવ – મનોમોહન સિંહનાં પોતપોતાનાં યોગદાન પણ અંશતઃ સમો સાચવી લેનારાં રહ્યાં. વિખંડિત જનાદેશ અને ટૂંકજીવી સરકારોના દોર વચ્ચે આ બધાં વર્ષો સહ્ય અને નિર્વાહ્ય અનુભવોની અધવચ્ચ એક પ્રજા તરીકે આપણે રોડવી તો શક્યાં, પણ સુશાસનપૂર્વકની રાજકીય સંસ્કૃતિ હજી સુધી તો છેટેની છેટે છે.

ગમે તેમ પણ, જસદણની ઘણુંખરું તો કુંવરજીની પક્ષનિરપેક્ષ સ્વીકૃતિવશ ફતેહ ભલે ગુજરાત ભા.જ.પ.ને સારુ ભર શીત-લહરે તાપણા શી બની રહી હોય અને ભ્રષ્ટાચારના સરકારમાન્ય બુમાટા છતાં હમણે મળી ગયેલ રાષ્ટ્રીય મહિલા મોરચાથી માંડીને આ લખાઈ રહ્યું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશન સહિતની વૉર્મિંગ અપ હિલચાલ ખેડૂતોને માફી સરખી જુગલબંધી સાથે મુખ્યમંત્રી રૂપાણીને પોતાના નામ સાથે મેળનો અનુભવ કરાવતી હોય …

… પણ વાસ્તવિકતા એ છે કે રાજ્ય વિધાનસભા વખતની ચૂંટણીહાંફમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢનાં પરિણામોનો આગોતરો સંકેત પડેલો હતો. અને રાષ્ટ્રીય સ્તરે એ ચિત્ર આજની તારીખે પણ યથાવત્‌ છે. આ સંદર્ભમાં જોઈએ તો જસદણ જરૂર એક અપવાદરૂપ ઘટના છે, પણ એને હમણાં તો નિયમસિધ્ધકર અપવાદરૂપે જ ઘટાવવી રહે છે. વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યે રાજ્યે ભાજપભિલ્લુઓ લોકસભા ચૂંટણી માટેની બેઠક ફાળવણીમાં ૨૦૧૪માં થયેલી વહેંચણીથી વધુ હિસ્સો માગી રહ્યા છે. ઉત્તર પ્રદેશનાં ભાજપી સાંસદ સાવિત્રી ફૂલેના ઉદ્‌ગારમારાને ધારો કે સ્થાનિક સંદર્ભમાં ચાના કપ માંહેલા તોફાન તરીકે છોડી દઈએ, પણ પૂર્વ પક્ષપ્રમુખ અને સંઘશ્રેષ્ઠીઓના ચહેતા ગડકરીની આ દિવસોની ગુગલી લીલા એટલી સહેલાઈથી પડતી મૂકી શકાય એવી તો નથી સ્તો. એમાં પણ એમણે હમણાં જે એક વિધાન કર્યું કે આર્ટિફિશિયલ માર્કેટિંગ પોતાને ઠેકાણે ઠીક હોય તો પણ એથી આપણે દરેક બાબતમાં વિદ્વાન ઠરતા નથી તે વિચારણીય છે. અરુણ શૌરીની માર્મિક નુક્તેચીની મુજબ દેશમાં અઢી માણસ હસ્તક સમેટાઈ ગયેલી નિર્ણય-અને-શાસન-પ્રક્રિયામાં સૌથી વડા માથા બાબતે વિદ્વત્તાના વહેમની અસંદિગ્ધ આલોચના ઉક્ત ગડકરીઝમમાં ખસૂસ છે.

મે ૨૦૧૪માં જેણે કદાચ કશું ખોવાનું નહોતું તે પક્ષ બીજી વાર પરવાનો તાજો થાય એ પહેલાં જ આમ અસ્તિત્વની લડાઈમાં મુકાઈ ગયો છે ત્યારે એક ગાળા પછી પોતાને સત્તાસમીપ સમજવા લાગેલ કૉંગ્રેસ કૅમ્પનું ચિત્ર કેવુંક છે? ખેડૂતોની દેવાનાબૂદી સાથે છાકો પાડી દેતી પહેલ બાદ હમણેના દિવસોમાં કૉંગ્રેસનું સર્વાધિક સરાહનીય પગલું છતીસગઢમાં સરકારે અધિગ્રહિત કરી તાતાને સોંપેલી જમીન મૂળ માલિકોને પરત કરવાનું છે. ખરું જોતાં એના આ કદમની ભાવનાત્મક ને નાટ્યાત્મક અપીલ એટલી મોટી હતી અને છે કે અગ્રલેખની શરૂઆત એનાથી જ કરી શકાઈ હોત. જમીનોનું કોર્પોરેટીકરણ કથિત નવી આર્થિક નીતિની ઓળખ જેવું બની રહેલ છે. ગુજરાત મૉડેલ વેચીવેચીને ૨૦૧૪માં દિલ્હી પુગેલ શીર્ષ નેતૃત્વ કાર્યકાળનાં આરંભિક અઠવાડિયાઓમાં જ કોર્પોરેટીકરણમાં સુવાણ રહે એવા કાનૂનબદલની ખાસી કોશિશ કીધી હતી (જો કે એમાં એને યારી મળી નહોતી) તે આ લખતાં સાંભરે છે.

કૉંગ્રેસે ફતેહથી અને આવી આરંભિક કારવાઈથી છાકો જરૂર પાડ્યો, પણ એની કામગીરી વણછાયેલી અને મોચવાતી ચાલે છે એ પણ આ તબક્કે કહેવું જોઈએ. સજ્જનકુમારની સજાની જાહેરાત અને કમલનાથનો શપથવિધિ, બેઉ એક જ અરસામાં આકાર લઈ રહ્યાં હોય ત્યારે એ બંનેની સહોપરિસ્થિતિથી આ પક્ષની જે દિલચોરી અને મજબૂરી તેમ જ કમજોરી ખાસી મુખર થઈ ઊઠે એ વિશે કદાચ કશું જુદેસર કહેવાનું રહેતું નથી. ત્રણે રાજ્યોમાં પ્રધાનપદ માટેની પડાપડી અને ખેંચતાણની કૉંગ્રેસકુલરીતિ પણ આ ગાળામાં સામે આવી છે.

કૉંગ્રેસે કર્ણાટકમાં જે ગરવાઈથી જનતાદળ(એસ)ને આગળ કરી ગઠબંધન રચ્યું તે બધા કૉંગ્રેસજનોને એટલું રાસ નયે આવ્યું હોય. પણ હમણેનો વિવાદ, મુખ્યમંત્રી કુમારસ્વામીના એ લગભગ આદેશવત્‌ વરતાયેલા ઉદ્‌ગારો સબબ છે કે ‘એ લોકોને મારી નાખો.’ અલબત્ત, એ આવેશમાં  ઉચ્ચરાયું છે તે સમજી શકાય એમ છે છતાં, એમાં પડતો પડઘો જે એન્કાઉન્ટરની શાસકીય-રાજકીય પદ્ધતિ હવે ન્યાય્ય ને ધર્મ્ય લેખાવા લાગી છે એનો છે. અને એ દિશામાં વડી જવાબદારી એક ઇતિહાસવસ્તુ તરીકે વર્તમાન શાસનની છે. ગુજરાતનું કથિત મોડેલ, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને કઈ હદે ગોઠી ગયું છે એ સૌ જાણે છે. વાત ને વાજું એ હદે વણસ્યાં છે કે વડોદરાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બધા સાક્ષી એક પછી એક ફરી ગયા (હૉસ્ટાઈલ થઈ ગયા – એટલે કે કરાયા) અને ‘ન્યાયની કસુવાવડ’ થઈ ત્યારે બેસ્ટ બેકરી કેસ ગુજરાત બહાર ચલાવાઈ ન્યાય શક્ય બન્યો હતો. પણ, હવે તો, નોબત એ આવી છે કે ‘શું કરીએ સાક્ષીઓ ફરી ગયા છે’ એવી લાચાર ભાષામાં ન્યાયમૂર્તિએ પેશ આવવું પડે છે, અને આખો સોરાબુદ્દીન કેસ ‘મારનાર કોઈ નહીં ને મરી ગયા તે મરી ગયા’ એમ ન્યાયતંત્રની કમજોરી અને લોકતંત્રની લાચારી પ્રગટ કરતો માલૂમ પડે છે. ઉત્તરોત્તર પિંજરના પોપટ રૂપ પુરવાર થતી ચાલતી સી.બી.આઈ. વિશે અને એમાં પોતપોતાની ભૂમિકા ભજવતી રહેતી જતીઆવતી સરકારો વિશે શું કહેવું. શાસક વર્ગ જવાબદેહી જેવી સામાન્ય વાત સ્વીકારતો જ નથી. વસ્તુતઃ ઉત્તરદાયિત્વ એ રાજકીય સંસ્કૃતિની પાયાની શરતો પૈકી છે.

ત્રણ રાજ્યોનાં પરિણામોએ બિનભા.જ.પ. મોરચાની જે આશા અને શક્યતા જગવી છે તે અને તેલંગણના ચંદ્રશેખર, ઓરિસાના પટનાયક, પશ્ચિમ બંગાળનાં મમતા તેમ જ ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતીની ભૂમિકા કેટલે અંશે મેળમાં હશે તે કળી શકાતું નથી. કે.સી.આર.ની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા હવે છાની નથી, અને અખિલેશ તેમ જ માયાવતીનો જનાધાર કૉંગ્રેસને ખસેડીને બનેલો છે એમાં તેઓ શું કામ જોખમ લે એ સવાલ પણ એમની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા ઉપરાંત અગત્યનો બની રહે છે.

નમો-અમિતની કોશિશ સ્વાભાવિક જ (પક્ષ જ્યારે ૨૦૦થી વધુ બેઠકોની આશા ન રાખતો હોય ત્યારે) પક્ષોને બદલે વ્યક્તિઓ વચ્ચેની (જેમ કે નમો-રાહુલ) લડાઈમાં ચૂંટણીને ફેરવવાની હશે. રાહુલનો કેરિયરગ્રાફ જરૂર ઊંચો ગયો છે, પણ વક્તૃત્વગત સંમોહનમાં મોદી હજી સુધી તો આગળ છે. સોશ્યલ મીડિયામાં એમને પૂર્વવત યારી નથી મળતી એ સાચું હોવા છતાં બે વ્યક્તિઓ વચ્ચેના મુકાબલામાં એમની સરસાઈ સવિશેષ સંભવ જણાય છે. સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્ઞાન ભવન વ્યાખ્યાન સત્ર મારફતે ધોરણસરની રાજકીય સંસ્કૃતિ ભણીના કેટલાક સંકેતો ખચિત આપ્યા હતા, પણ વિજયાદશમી વ્યાખ્યાનમાં એ જ પુરાણી ગતથી જે સમજાઈ રહ્યું તે એ હતું કે વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો નમો શાસનની સ્વીકૃતિ (લેજિટિમસી) સાચવી લેવાની અને વસમા સંજોગોમાં ટકી જવાની વ્યૂહાત્મક ગણતરી વિશેષે કરીને હતી.

આ બધાં પરિબળો અને પ્રવાહો વચ્ચે નાગરિકે પક્ષમાત્ર પરત્વે રાજકીય સંસ્કૃતિનાં ધોરણોનો આગ્રહ રાખવા સાથે જે એક નિકષ સવિશેષ વાપરવો રહેશે તે તો એ કે કૉંગ્રેસનાં વર્ષો આવાં હતાં ને તેવાં હતાં એ ૨૦૧૪ની ચૂંટણીઝુંબેશનું વસ્તુ હતું, પણ ૨૦૧૯નું વસ્તુ ઉછાળાયેલાં વચનો (એમાં પણ ખાસ તો જુમલે સે જુમલે શૈલી) સામે પાંચ વરસનો કાર્યહિસાબ હોવો જોઈશે. આખો વિમર્શ હવે ફેંકુ અને પપ્પુના કુંડાળાની ક્યાં ય બહાર નીકળી ગયો છે.

હમણાં વિમર્શની જિકર કરી, પણ એ તો જરી મોટી સંજ્ઞા છે અને ગુણાત્મકપણે ખાસી ભારઝલ્લી પણ છે. છેલ્લાં વર્ષોમાં ભા.જ.પ.નો દાવો એક પા જો આખો રાજકીય વિમર્શ બદલવાનો રહ્યો છે – જેમાં અચ્છા કૉપીકાર અડવાણીનો સિંહહિસ્સો છે – તો કથિત ગુજરાત મોડેલથી માંડી રથયાત્રા અને અણ્ણા હિલચાલના વડા લાભાર્થી નમોની વિશેષ ચેષ્ટા એક પછી એક સ્વરાજસુભટોને અંગે સહવરણ(કૉ-ઑપ્શન)ની રહી છે.

વસ્તુતઃ સંઘપ્રેરિત મંચો પરથી આ સંદર્ભમાં જે પણ વિગતમુદ્દા ઉછાળાય છે એમાં નીતરી સમજ કે પ્રામાણિક (અને પ્રમાણભૂત) અભિગમ ભાગ્યે જ વરતાય છે. એક બાજુ પુણેમાં હિસ્ટરી કૉંગ્રેસને છેલ્લી ઘડીએ રદ્દ કરવાના સંજોગો સરજવામાં આવે અને બીજી બાજુ અમદાવાદમાં વિદ્યાર્થી પરિષદ ઇતિહાસ બાબતે બુનિયાદી ધારાધોરણ વગરનાં વિધાનોમાં રાચે અને તથ્યનિરપેક્ષપણે બાંયચડાઉ હાકોટાછીંકોટા કરે તે અધ્યયન અને અધ્યાપનનાં ધોરણોની કસોટીએ અને જાહેર ચર્ચાની દૃષ્ટિએ કાં તો હાસ્યાસ્પદ છે કે પછી, ખરું જોતાં, કેમ કે આપણી સહિયારી સંડોવણી હોઈ કેવળ કમનસીબ છે.

નમૂના દાખલ, ભગતસિંહની વાત લઈએ. ખબરદાર, તમે એમને ‘આતંકવાદી’ કહ્યા તો, એવો પડકાર આવા મંચો પરથી અપાતો રહે છે. ભાઈ આતંકવાદી ઉર્ફે ટેરરિસ્ટ એ તે જમાનાનો સ્વીકૃત પ્રયોગ હતો. શાંતિમય સંસદીય હિલચાલથી જુદી પડતી એ ઓળખ હતી જે ક્રાંતિકારીઓ પોતાને વિશે (અને અંગ્રેજ સરકાર એમને વિશે) છૂટથી વાપરતા હતા. આગળ ચાલતાં સાંસ્થાનિક ઇતિહાસકારો પછીના તબક્કામાં બિપનચંદ્ર આદિએ એમને ‘રેવોલ્યુશનરી ટેરરિસ્ટ’ કહી ગુણાત્મકપણે જુદા ઉપસાવી આપ્યા હતા. અને થોડું ઉતાવળે પણ સહવિચાર તેમ જ સફાઈની રીતે ઉમેરીએ તો ભગતસિંહ આજે સંઘ પરિવાર જેને રાષ્ટ્રવાદી કહે છે તે અર્થમાં રાષ્ટ્રવાદી પણ નહોતા. બોલીવુડ બૌદ્ધિક વિવેક અગ્નિહોત્રીના ‘અર્બન નકસલ’ની વ્યાખ્યામાંયે ભગતસિંહે કંઈક બંધ બેસતા હોઈ શકે, એ વાત વિદ્યાર્થી પરિષદ સમજશે?

૨૦૧૯માં ધોરણસરના લોકચુકાદાની દિશામાં તરતમવિવેક પૂરતાં થોડાંક ઇંગિત માત્ર આ તો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 01, 02 અને 14  

Loading

ઇમરાન ખાને નવા પાકિસ્તાનની રચના કરતાં પહેલાં જૂના પાકિસ્તાનની નિષ્ફળતાનાં કારણો શોધવાં જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 December 2018

આજકાલ જગત આખામાં જે નેતૃત્વ સામે આવી રહ્યું છે એની સર્વસાધારણ બીમારી એવી છે કે તેમનામાં સમજ ઓછી છે અને બોલે છે વધુ. બોલે એટલે આત્મવિશ્વાસ સાથે બોલે અને તથ્યો તપાસાવ્યા વિના બોલે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આવું બીજીવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં યુનોની સામાન્ય સભાની સાઈડ લાઈનમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન મળવાના હતા, એ બેઠક ભારતે ક્ષુલ્લક કારણસર રદ્દ કરી નાખી હતી. એ વિષે પ્રતિક્રિયા આપતા ઇમરાન ખાને ભારતના વડા પ્રધાનને મોટા પદ પર બેસી ગયેલા નાના માણસ તરીકે ઓળખાવ્યા હતા. તેમને એટલું ભાન નહોતું કે કોઈ દેશના વડાએ બીજા દેશના વડા વિષે કેવી ભાષામાં બોલવાનું હોય. ભાષા પરથી શાસકના સંસ્કાર ઓળખાઈ આવતા હોય છે. જો કે અત્યારે શાસકોમાં સંસ્કાર અને સભ્યતાનું સંકટ સાર્વત્રિક છે.

હવે ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં લઘુમતી કોમ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ દુય્યમ નાગરિકો જેવી છે. ઇમરાન ખાન અહીંથી અટક્યા નહોતા, તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુઓ અને અન્ય લઘુમતી કોમો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. ઇમરાન ખાને આગળ વધીને પાકિસ્તાનની ઓળખ પણ આપી છે. નવા પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો લીલાલહેર કરે છે, જ્યારે કે ૨૦૧૪ પછીના નવા ભારતમાં લઘુમતી કોમના લોકો ભયભીત છે.

આ વિવાદ ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ વિષે અને ઝડપભેર થઈ રહેલા કોમી ધ્રુવીકરણ વિષે જાણીતા ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે જે વક્તવ્ય આપ્યું એનાં કારણે પેદા થયો છે. નસીરુદ્દીનની વહારે મોટી સંખ્યામાં સેક્યુલર લિબરલ હિંદુઓ બહાર આવ્યા હતા. નસીરે કે કહ્યું છે એ સો ટકા સાચું છે. દુ:ખની વાત છે કે મુકેશ અંબાણીને ઘેર કઢી પીરસનારા મહાન અભિનેતાઓમાંથી કોઈ નસીરની મદદે બહાર આવ્યું નથી. એવી તેમની પાસે કોઈ અપેક્ષા પણ નથી. મીડિયાવાળાઓ પણ મૂલ્યોની ચર્ચા કરવાની જગ્યાએ બે રાજકારણીઓને કે એક હિન્દુત્વવાદીને તથા એક કટ્ટરપંથી મુસલમાનને સામ-સામે ભીડાવીને મુરઘા લડાઈ લડાવે છે. તેઓ પોતાની જાતને તો નહીં, પણ દેશની જનતાને છેતરે છે કે તેઓ મુક્ત દેશમાં ખુલ્લી ચર્ચા કરી રહ્યા છે. હકીકતમાં આ પડદા પાછળની સોદાબાજીનું પરિણામ છે. આ પહેલાં આમીર ખાનને પણ આવો જ અનુભવ થયો હતો. નરેન્દ્ર મોદીની ટીકા કરનારા પ્રકાશ રાજ નામના દક્ષિણના અભિનેતાને બોલીવૂડમાં કામ આપવામાં આવતું નથી.

પણ આમ હિંદુ અત્યારે જે પ્રમાણમાં અને જેટલી આક્રમકતા સાથે અઘોષિત ઈમરજન્સી અને ફાસીવાદી રાજકારણના વિરોધમાં બહાર આવ્યો છે, એ જોઇને જગત આખું મોઢામાં આંગળા નાખી ગયું છે. આ ભારત છે અને ભારતમાં જેનો કોઈ સ્વાર્થ નથી હોતો એવા સામાન્ય લોકો પરિસ્થિતિ સંભાળી લે છે. સ્થાપિત હિતો ધરાવનારાઓ વેચાઈ જાય, પણ સામાન્ય માણસને ખરીદી શકાતો નથી. તેનો વિવેક સાબૂત રહે છે અને મોકો મળ્યે ઘા મારે છે. ૧૯૭૫માં પણ આવું જ બન્યું હતું. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે ચરમબંધીઓ ડરી ગયા હતા અને કેટલાક તો ભાટાઈ કરવા લાગ્યા હતા, પરંતુ અદના ભારતીયે લોકતંત્રને બચાવી લીધું હતું. ભારતની રક્ષા સામાન્ય નાગરિક કરે છે, બાકી મોટેરાંઓ માટી પગાં હોય છે, એ આ વખતે ભારતમાં બીજી વખત સાબિત થઈ રહ્યું છે.

ઇમરાન ખાને પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈતો હતો કે આવું પાકિસ્તાનમાં કેમ નહીં બન્યું? શા માટે પાકિસ્તાનની બંધારણસભામાં પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી જિન્નાહનો પાકિસ્તાનના સ્વરૂપ વિષેનો ઠરાવ (ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન) પસાર ન થઈ શક્યો? શા માટે ખુદાના સાર્વભૌમત્વનો સ્વીકાર કરીને ઇસ્લામિક રાજ્યની દિશા પકડવામાં આવી હતી? જિન્નાહ સેક્યુલર પાકિસ્તાનની રચના કરવા માંગતા હતા. શા માટે મહમ્મદ અલી જિન્નાહને પાકિસ્તાનની સ્થાપના પછીની પહેલી અને છેલ્લી ઢાકા મુલાકાત વખતે બંગાળી ભાષાનો આગ્રહ રાખનારા બંગાળી વિદ્યાર્થીઓના દેખાવોનો સામનો કરવો પડ્યો હતો? શા માટે પૂર્વ પાકિસ્તાન અલગ થઈ ગયું? શા માટે પાકિસ્તાનમાંથી હિદુ લઘુમતી કોમે ઉચાળા ભરવા પડ્યા? ટકાવારીમાં ભારતમાં આજે જેટલા મુસલમાનો છે એનાં પાંચમાં ભાગના હિંદુઓ પણ પાકિસ્તાનમાં નથી. અને સૌથી મહત્ત્વનો સવાલ : શા માટે પાકિસ્તાનનો નાગરિક સમાજ દેશના થઈ રહેલા ઇસ્લામીકરણના વિરોધમાં રસ્તા પર ઊતરી ન આવ્યો જે રીતે અદના હિંદુઓ ભારતનાં થઈ રહેલા હિંદુકરણનો વિરોધ કરી રહ્યો છે.

આનાં બે મુખ્ય કારણો છે. એક તો એ કે હિન્દુ ધર્મ ઉદારમતવાદી છે અને અદનો હિંદુ એક હદે કોમવાદી થયા પછી પોતે જ શરમ અનુભવવા લાગે છે. બીજું કારણ એ છે કે ગાંધીજીના નેતૃત્વમાં અને એ પહેલાં પણ સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિષે સાંગોપાંગ ચર્ચા થઈ હતી અને એમાંથી સર્વસંમતિ બની હતી. એક સદી લાંબી ચર્ચાના પરિપાકરૂપે આધુનિક ભારતની રચના થઈ હતી. ભારતીય બંધારણ અને અત્યારે જે ભારતીય રાજ્ય છે એ ઉપરથી લાદવામાં નહોતાં આવ્યાં. ઇમરાન ખાને અવિભાજિત ભારતનાં, અવિભાજિત પાકિસ્તાનના અને એ પછીના વિભાજિત પાકિસ્તાનના ઇતિહાસનો અભ્યાસ કરવાની જરૂર છે.

છેલ્લે, ઇમરાન ખાનની પોતાની વાત. તેઓ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી લડતા હતા ત્યારે ચૂંટણી પ્રચાર દરમ્યાન પાકિસ્તાનના કુખ્યાત ઈશ્વરનિંદા(બ્લેસફમી)ના કાયદાને રદ્દ કરવામાં આવે કે તેને હળવો કરવામાં આવે તેનો વિરોધ કર્યો હતો. એને ઇસ્લામ વિરોધી પ્રવૃત્તિ ગણાવી હતી. આ કાયદો લઘુમતી કોમ વિરોધી છે અને તેનો લઘુમતી કોમની જમીન જાયદાદ પડાવી લેવા દુરુપયોગ કરવામાં આવે છે. ગયા ઓક્ટોબર મહિનામાં ૫૪ વરસની ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને સર્વોચ્ચ અદાલતે ઇસ્લામના પયગંબરની નિંદા કરવાના કાયદામાં નિર્દોષ છોડી મૂકી ત્યારે પાકિસ્તાનમાં તોફાનો થયાં હતા. ઇમરાન ખાને તોફાનોની નિંદા કરીને આસિયા બીબીને રાહત આપી હતી, પરંતુ એ સાથે જ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન કરવામાં આવશે એમ પણ કહ્યું હતું. વિદેશમાં આશરો મેળવવા ઈચ્છતી આસિયા બીબીને વિદેશ જવા દેવામાં નહીં આવે એમ પણ કહ્યું હતું. બ્લેસફમીના ચુકાદામાં રિવ્યુ પિટિશન શા માટે? એનો અર્થ એ થયો કે સરકારને લઘુમતી કોમને ન્યાય આપનારો ચુકાદો સ્વીકાર્ય નથી, જે રીતે ભારત સરકારને સ્ત્રીઓને ન્યાય આપનારો સબરીમાલાનો ચુકાદો સ્વીકાર્ય નથી.

આવું હશે ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 ડિસેમ્બર 2018

Loading

નગીનદાસ, તમે સાંભળો છો ? તમે અમને ખૂબ સાંભરો છો …

અંકિત દેસાઈ|Profile|27 December 2018

દાદાને ગયાને આજે સાત વર્ષ પૂરાં થયાં, અને સાત વર્ષમાં દાદા ખૂબ યાદ આવતા રહ્યા. આ સાત વર્ષોમાં ફરક એટલો પડ્યો કે, પહેલાં દાદા અમને ઘણી વાર્તાઓ કરતા, અને હવે, અમે અમારા નાનકાઓને દાદાની વાર્તાઓ કરીએ છીએ. અમારાં જીવનમાં એ વાર્તાઓ પણ અકબંધ છે અને દાદા પણ!

અમારા ઘરમાં અમારી બા અત્યંત પ્રભાવક વ્યક્તિ, એટલે બાના વ્યક્તિત્વની નીચે દાદા હંમેશાં કચડાતા રહ્યા. એમ કહી શકાય કે દાદા અંડરરેટેડ રહ્યા … પણ દાદાએ એ બાબતે ન તો ક્યારે ય ફરિયાદો કરી કે નહીં એમણે પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કર્યો. એવું અનેક વખત બન્યું છે કે, અમારા પાંચ ભાઈ-બહેનોમાંથી કોઈએ કોક વખત દાદા પ્રત્યે વધુ સ્નેહ દાખવ્યો હોય કે એમની તરફદારી કરી હોય તો બા વિરોધ નોંધાવે કે, 'તમને દેહું તમારા બપાવા વતી બો લાગી આવતું ..' પણ જો અમે બધા મોટેભાગે બા તરફી હોઈએ ત્યારે દાદા ક્યારે ય એવો વિરોધ નહીં નોંધાવે. કદાચ એટલે જ અમે બધા 'બાવાદીઓ' હોવા છતાં અમારા બાળપણની શ્રેષ્ઠ યાદો દાદા સાથે સંકળાયેલી છે.

તસવીરમાં ઊભી છે એ હીરલ દેસાઈ, દાદાના ખોળામાં હું અને બાના ખોળામાં કેયૂર દેસાઈ

દાદા સાથે વીતાવેલો શ્રેષ્ઠ સમય એટલે અમારા ઉનાળું વેકેશનો. ઉનાળા માટે ડોસો ખાસ પાટીવાળી એક ખાટલી ઓટલા પર રાખી મૂકતો. અને સાંજે કેરીના રસ સાથે કાંદા-કાકડીના પૂડા અથવા વડા કે ઢોકળાં ઝાપટીને ચોકમાં ખાટલી ઊતારી પાડતો. દાદા ચોકમાં આડા પડે એટલે અમે બધા પણ એમની આસપાસ જ્યાં મેળ પડે ત્યાં ગોઠવાઈએ અને દાદા પાસે, 'દાદા કોઈ જૂની વાતો કરો …'ની ફરમાઈશ કરીએ. ફરમાઈશને માન આપી એક તરફ દાદા કોઈ વાતની શરૂઆત કરે અને સાથે સભાપતિ મહોદય અમારી બા એની એક્સ્ટ્રા કમેન્ટરી શરૂ કરે. ઇન્દિરા ગાંધીથી લઈ મોરારજી દેસાઈ અને વર્ષો પહેલાં મરી ગયેલા અમારા કોઈ મારકણા બલ(બળદ)થી લઈ ગામમાં આવેલાં પૂર સુધીની વાતો આભની નીચે સૂતા સૂતા થતી રહે. દાદાના બાપુજીએ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપેલું, એટલે એમના બાપાની વાતો કરતી વખતે કે મોરારજીની વાતો કરતી વખતે એમનું ગળું ભીનું થઈ જાય. અને આ બધામાં ક્યારેક ડોસો પોતે ઉપજાવી કાઢેલી ખોટી વાતો પણ કરી નાંખે એટલે બા દાદાને ટોકી કાઢે, 'કાય હારો પોયરાએ હો જૂઠું બોલ્યા કરે … હારો જૂઠ્ઠો તદન ….'

બા અને દાદાની કોઈ વાતે કચકચ થાય તો અમે પાંચ બંને પક્ષે વહેંચાઈ જઈએ અને બંને પક્ષે ઘાસતેલ છાંટીએ. બાનું મગજ જાય એટલે ગાળો સાથે ધાણીફૂટ વાક્યોપ્રયોગો થતાં રહે અને સામે છેડે દાદા માત્ર ‘ઉંમમમમમ’ જેવો ઊંહકારો કરીને કે ‘હા રે હા ભાઈ…’માં જવાબ આપે. બા-દાદાની લડાઈમાં મજા એ વાતની આવે કે, બા જે વાતને સવાલ કે આક્ષેપરૂપે રજૂ કરે એ જ વાતને દાદા જવાબમાં રજૂ કરે. એક-બે ઉદાહરણો જોઈએ તોઃ

‘કોણ જાણે મૂઓ કાંથી મારે કપાળે ચોટેલો?’ બાનો સવાલ.

‘હા રે હા ભાઈ, ઉં તારે કપાળે ચોટેલો …’ દાદાનો જવાબ.

‘આ મૂઆ હાથે તો મેં જ જિંદગી કાયળી …’ બાનો આરોપ.

‘હા રે હા ભાઈ, તેં જ મારી હાથે જિંદગી કાયળી …’ દાદાનો જવાબ.

જો કે આટલી બધી લડાઈઓ અને એકબીજાંના સ્વભાવમાં અત્યંત વિરોધાભાસ હોવા છતાં એ બંનેનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ અને આદર અત્યંત ઊંડો અને ઉત્કટ. બાનો એ અફર નિયમ કે, એ ભલે દાદાને કંઈ પણ કહે, પરંતુ અમારામાંથી જો કોઈએ ડોસા સાથે ઉદ્ધતાઈથી વાત કરી તો બા એની છાલ ઉતરડી નાંખે.

દુનિયાદારીના સામાન્ય નિયમો દાદાએ ક્યારે ય નહીં પાળ્યા. સંગ્રહ કરી લ્યો કે નાનાંમોટા સ્વાર્થને ખાતર સ્વજનોનો દગો કરો કે સાવ તુચ્છ વાતો માટે ઓટલે બેસીને કાવતરા કરતા રહો જેવા અનાવલા સ્વભાવથી દાદા હંમેશાં છેટાં રહ્યા. વાડી કે રસ્તાના અનેક કાગળિયા માત્ર દાદાને નામે હતા, પણ કોઈની એવી તાકાત સુદ્ધાં નથી કે, એવો આક્ષેપ પણ કરે કે, મારા દાદાએ કોઈના હકનું ખાધું હોય! સારા અને નિરુઉપદ્રવી માણસને દુનિયા નબળો માણસ જાહેર કરતી હોય છે એ હું મારા દાદાના ઉદાહરણ પરથી જ શીખ્યો છું!

જીવનભર મારા ડોસા માટે એ ભલો અને સિઝન પ્રમાણેનો એનો ખોરાક ભલો રહ્યો. શિયાળો ચાલુ થાય એટલે ડોસાને વડી, ખીચું પાપડી, ઉબાિળયું કે ઊંધિયું જોઈએ. ડિસેમ્બરમાં લાલ વાલની પાપડી સો રૂપિયા કિલો હોય ત્યારથી ખાવાનું શરૂ કરે તે છેક માર્ચ મહિના સુધી એ ખાય. માર્ચ બેસે ત્યારથી કેરીની ચટણી ખાવાની શરૂ, અને મે-જૂનના મહિનાઓમાં કેરી અને રસની રમઝટ જમાવે. ઉનાળામાં મળસકે પાંચ વાગ્યે ઊઠીને કેરી ખાનારો દુનિયામાં નહીં જડે, પણ મારા દાદાનો અનાવલો જીવ મળસકે ય લહેરથી કેરી ખાઈ જાણે! તો ચોમાસું જાત-જાતની ભાજીઓ, પાનકી અને પાતરાથી વીતે. અધૂરામાં પૂરું અનાવલી વાનગીઓ પર બાની પણ હથોટી એટલે ડોસો સિઝન સિઝને બજારમાંથી બધું લેતો આવે અને બા બબડતી બબડતી બનાવી આપે. કોઈક વાર બા નનૈયો ભણી દે તો દાદા અમને ડિપ્લોમેટ તરીકે બા પાસે મોકલે અને ખાવા બાબતે અમારી કોઈ ફરમાઈશ હોય એટલે બા હોંશેહોંશે બનાવે.

દાદાએ અમને પ્રત્યક્ષરૂપે એવું ક્યારે ય નથી કહ્યું પણ એમના જીવન પરથી હું એટલું શીખ્યો છું કે, જીવનમાં અમુક ગણતરી ક્યારે ય નહીં કરવી અને હંમેશાં ગમતું જ કરવું.

બાને હંમેશાં એવી ઈચ્છા હતી કે, દાદા પહેલાં મૃત્યુ પામે અને એ પછી જાય. મજાક મજાકમાં તે એવું પણ કહેતી કે, ‘મને એવી ઈચ્છા છે કે, દાદા જાય ત્યારે તમે ચોતરા પરથી રડતા આવે અને મને ભેટી પડે …’ દાદા એની પેટર્ન સ્ટાઇલમાં જવાબ પણ આપતા કે, ‘હા રે હા ભાઈ હું પેલા જાવા … પછી તું મજા કરજે…’

જો કે 2009મા દાદા પડી ગયા અને થાપાનું હાડકું ખસી ગયું, ત્યારથી એમને ખાટલો આવ્યો અને મહિનાઓ સુધી તેઓ ચાલી નહીં શક્યા. દાદાની ચાકરીમાં બા ધીમે ધીમે તવાઈ ગઈ અને માંદી પડી ગઈ. એક સવારે એ અમને અલવિદા કહીને નીકળી પણ ગઈ અને અમે ચોતરાએથી પોક મૂકતા દાદાને બાઝી પડ્યા. આંખ મીંચીને સૂતેલી બાને ફરિયાદ કરેલી કે, ‘અમારા અપંગ દાદાને મૂકીને કેમ ચાલતી થઈ? હવે અમારા દાદાનું કોણ?’

એ માંદી હતી ત્યારે એણે કીધેલું પણ કે, ‘આ મૂઓ મને ઉપર પણ ઠરવા દેવાનો નથી.’ બાને ત્યારે ય ખબર હતી કે, એના વિના દાદા એક વર્ષ પણ આખું નહીં જીવી શકે. આખરે થયું પણ એવું જ. બાને ગયાને હજુ તો અગિયાર મહિના થયા હતા, ત્યાં દાદાએ પણ એમનો ડાયરો સંકેલી લીધો અને એમને ગયાને આજે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. બા અને દાદા બંને બાબતે મને એવો વસવસો ખરો કે, બંને પાંચેક વર્ષ વધુ જીવ્યાં હોત તો લીલી-વાડી અને દેવ જેવા પાંચ નાના દીકરા (ચીકુ + દ્રવ્ય + વત્સ + અથર્વ + સ્વર)ને જોઈને ગયા હોત. એમના પાંચ બાળકોને પોતાની આવડતથી 'સ્વબળે' પોતપોતાના ક્ષેત્રોમાં આગળ વધતા જોવાનું થાત તો બંનેના જીવને ખૂબ આનંદ થાત …

જો કે મરણ જેને દૂર કરી ગયું, એ સ્વજન સ્મરણમાં હજુ ય એવું જ અકબંધ છે. આજે ય ક્યારેક સો-બસોનું છૂટું ગણવામાં ગોથું ખાઈ જવાય તો મલકી પડાય છે કે, ડોસાનો વારસો હજુ જાળવી રાખ્યો છે. કેરીગાળો શરૂ થાય ત્યારથી ડોસાની યાદ આવે છે અને રોજ એક કેરી ઈરાદાપૂર્વક વધુ ખાઉં છું કારણ કે, ડોસાને કેરી બહુ ભાવતી!

મમ્મીને ઘણી વાર ટોણા પણ મારું છું કે, પાતરાં ને પાનકી તો ૨૭ ડિસેમ્બરે ડોસાની સાથે જ ગયા કેમ? ગાંધી ટોપી અને કફની-ધોતીમાં સજ્જ કોઈ ડોસો એક હાથમાં થેલી અને બીજા હાથમાં ધોતિયાનો છેડો પકડીને ઉતાવળી ચાલે જતો હોય તો ભલભલું કામ પડતું મૂકીને એ ચહેરામાં દાદાનો ચહેરો જોવા મથું અને ઝૂરું છું કે, કાશ! આ ડોસો મારા દાદા હોત. જો કે દાદા નામનો એ ડોસો હવે એના ચહેરા પરનું સ્મિત અકબંધ રાખીને છેલ્લાં સાત વર્ષથી અમારા ઘરની દીવાલો પર તસવીર બનીને ઝૂલી રહ્યો છે અને અમારા દિલમાં પણ!

https://www.facebook.com/ankit.desai.923/posts/10205487626305958  

Loading

...102030...2,9332,9342,9352,936...2,9402,9502,960...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved