Opinion Magazine
Number of visits: 9578326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમૃતસરની ઘટનાના સૂચિતાર્થો – ૨

રમેશ ઓઝા|Opinion - Opinion|21 November 2018

પંજાબમાં સિખ કોમી રાજકારણ

આ પહેલાં પણ નિરંકારીઓ પરના હુમલા સાથે પંજાબમાં સિખ કોમવાદી રાજકારણની શરૂઆત થઈ હતી

ગઈ કાલના લેખમાં લાંબી પૃષ્ઠભૂમિ એટલા માટે આપી કે ભારતમાં એકલો હિન્દુ રાષ્ટ્રવાદ નથી; સિખ રાષ્ટ્રવાદ, તામિલ રાષ્ટ્રવાદ, બંગાળી રાષ્ટ્રવાદ જેવા અનેક રાષ્ટ્રવાદો, પેટા-રાષ્ટ્રવાદો અને પેટા પેટા – રાષ્ટ્રવાદો અસ્તિત્વ ધરાવે છે. આ દેશમાં કોઈ રાષ્ટ્રવાદનું આધિપત્ય શક્ય નથી અને જો કોઈ એક રાષ્ટ્રવાદનું આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરો તો પાકિસ્તાન જેવા હાલ થાય. ઈસ્લામે પાકિસ્તાનની સ્થાપના કરી અને ભાષાએ વિભાજન કર્યું.

પંજાબમાં સિખ રાષ્ટ્રવાદ પ્રબળ છે. અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે સિખ ધર્મસંસ્થાઓનું, ધર્મસ્થાનોનું અને કુલ મળીને સિખ ધર્મ તેમ જ સિખ સમુદાયનું નિયમન કરવાનો અધિકાર સિખોને મળવો જોઈએ, એ માટે આંદોલન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આનાકાની પછી ભારતમાં એક તિરાડ વધુ એમ વિચારીને અંગ્રેજોએ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ(એસ.જી.પી.સી.)ને ગુરુદ્વારાઓના પ્રબંધનના અધિકારો આપ્યા હતા. વાત ગુરુદ્વારાઓના નિયમન પર અટકી નહોતી. તેમણે સિખોની ધાર્મિક-સામાજિક એમ દરેક બાબતને નિયમન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે શિરોમણિ અકાલી દળ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. શિરોમણિ અકાલી દળ એસ.જી.પી.સી.નો સિખોનું ધર્મનું રાજકારણ કરનાર રાજકીય પક્ષ છે. જેમ બી.જે.પી. હિન્દુઓનું ધર્મનું રાજકારણ કરે છે અથવા મુસ્લિમ લીગ મુસ્લમોનું ધર્મનું રાજકારણ કરે છે એમ.

આઝાદી પછી તેમણે સિખોના અલગ રાજ્યની માગણી કરી હતી. તેમણે ગુરુમુખી ભાષાને સિખ સૂબાની સત્તાવાર ભાષા જાહેર કરવી જોઈએ તેવી માગણી કરી. બૃહદ્દ પંજાબમાંથી હિમાચલ અને હરિયાણાને અલગ કરીને પંજાબી બોલનારા પંજાબની રચના કરવામાં આવી તેનાથી તેમને સંતોષ નહોતો. બીજું સિખોમાં જોવા મળતાં પેટા-સંપ્રદાયો અને ડેરાઓ સામે તેમને વાંધો છે. કેથલિક ચર્ચની જેમ ઉપરથી નીચે સુધી પિરામિડ જેવું તેમને સ્ટ્રક્ચર જોઈએ છે કે જેથી તેનું કેન્દ્રીય નિયમન કરી શકાય, જ્યારે ખાલસા ધર્મનો વિકાસ તો મધ્યકાલીન અંધારયુગમાં એક આધ્યાત્મિક અંદોલન તરીકે થયો હતો. સિખો પર કબીરનું કેટલું ઋણ છે! એ આંદોલન હતું, આંદોલનમાંથી પંથ બન્યો, પંથમાંથી સંપ્રદાય બન્યો અને સંપ્રદાયમાંથી ગુરુ ગોવિંદસિંહે સંગઠિત ધર્મનું સ્વરૂપ આપીને ખાલસા ધર્મ બનાવ્યો. સમસ્યા એ છે કે અત્યારનો સિખ ધર્મ મૂળમાં એક આંદોલન હોવાનાં કારણે અને એ પછી પંથ હોવાનાં કારણે એમાં અનેક ગાદીઓના(ડેરા)ના ટાપુઓ રચાયા છે. આ ડેરાઓ અને પેટા સંપ્રદાયોની ગાદીઓ ધરાવનારા ધર્મગુરુઓ એટલા શક્તિશાળી છે કે તેઓ એસ.જી.પી.સી. અને અકાલી દળને હંફાવે છે. ડેરા સચ્ચા સૌદાના ગુરુમિત રામ રહીમના કારનામાં તાજાં છે.

આમ એક બાજુ સિખોને મુઠ્ઠીમાં રાખનારું ધર્મનું રાજકારણ છે. બીજી બાજુ પેટા સંપ્રદાયો અને ડેરાઓના કારણે સિખો વિભાજિત છે અને ત્રીજી બાજુ સત્તાનું સંસદીય રાજકારણ છે. આ સ્થિતિમાં અકાલી દળ જ્યારે પણ રાજકીય રીતે નબળો પડે છે ત્યારે તેના ધર્મના રાજકારણને આક્રમક બનાવે છે જે રીતે બી.જે.પી.એ ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં આકરા પરાજય પછી હિન્દુ કોમવાદનો માર્ગ અપનાવ્યો હતો. સંકડાશમાં આવ્યા નહીં કે દેશભક્તિ, રાષ્ટ્રવાદ, હિન્દુ ધર્મની મહાનતા યાદ આવવા માંડે છે, એમ પંજાબમાં અકાલી દળ રાજકીય રીતે સંકડાશામાં આવે એટલે રાજ કરેગા ખાલસાની યાદ આવવા લાગે છે. ધર્મઘેલછા અને સાંસ્કૃિતક અસ્મિતા એક એવું તત્ત્વ છે જે દરેક યુગમાં ભક્તો પેદા કરી આપે છે અને એમાં આ તો વિકૃત સ્વરૂપમાં અસ્મિતાઓના જાગરણનો યુગ છે.

અકાલી દળ અત્યારે રાજકીય રીતે સંકડામણમાં છે. બાદલ પરિવાર ભ્રષ્ટાચારના પર્યાય તરીકે ઓળખાય છે. આ સ્થિતિમાં ધર્મનું આક્રમક રાજકારણ કરવા અકાલી દળ પ્રેરાય એ સ્વાભાવિક છે. બીજો કોઈ વિકલ્પ જ નથી. પ્રજાની અંદર વિભાજન પેદા કરનારાં વિકૃત અને હિંસક રાજકારણને પુરસ્કારનારા મીડિયા અને લોકો મળી રહે છે. રાજકીય પક્ષ અને મીડિયાની ધરી રચાય ત્યારે ભક્તો આપોઆપ પેદા થવા લાગે છે. એ પછી બોલને ગોલ સુધી પહોંચાડવાનું કામ ભક્તો કરે છે. ૧૯૭૮ પછી પંજાબમાં આવું જ બન્યું હતું. શરૂઆતમાં તો સિખ વિદ્વાનો અને વિચારકો માનતા થયા હતા કે સિખો સાથે અન્યાય થઈ રહ્યો છે. પેદા કરવામાં આવેલા અસંતોષે જ્યારે ત્રાસવાદનું સ્વરૂપ પકડ્યું ત્યારે કેટલાક લોકોની આંખ ઊઘડી હતી અને ભક્તોની તો એ પછી પણ નહોતી ઊઘડી.

પંજાબમાં આતંકવાદની શરૂઆત બે ઘટનાથી થઈ હતી. પંજાબના પ્રતિષ્ઠિત અખબાર ‘પંજાબ કેસરી’ના માલિક અને તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેઓ સહિયારી પંજાબિયતની વકીલાત કરતા હતા. રાજ કરેગા ખાલસાનું ભાવનાત્મક રાજકારણ કરનારાઓની આડે આ પંજાબિયત આવતી હતી. બીજી હત્યા નિરંકારી સંતની કરવામાં આવી હતી જેનો અનુયાયી વર્ગ મોટો હતો અને તેમાં વધારો થતો હતો. ભેદભાવ વિના સેવા માટે નિરંકારીઓ જાણીતા છે. એ પછીના યાતનામય ૧૫ વરસ ભૂલી શકાય એમ નથી.

ત્યારે પંજાબમાં કૉન્ગ્રેસે જૈર્નેલસિંહ ભીંડરાંવાલાને પેદા કર્યો હતો. ઈરાદો અકાલીઓ કરતાં પણ વધુ આક્રમક સિખ ધાર્મિક રાજકારણને પ્રોત્સાહન આપીને અકાલીઓને હજુ વધુ હાંસિયામાં ધકેલવાનો હતો. એમાં સફળતા તો મળી હતી, પરંતુ બોટલમાંથી બહાર કાઢવામાં આવેલો જિન પાછો બોટલમાં બંધ કરી શકાયો નહોતો. ઘણાં વરસો પછી પંજાબમાં નિરંકારીઓ પર હુમલો થયો છે, પરંતુ એની ઉપેક્ષા કરવા જેવું નથી. પાકિસ્તાન અને આઇ.એસ.આ.ઇ પર આંગળી ચીંધવાનો કોઈ અર્થ નથી. પંજાબના આંતરિક સિખ રાજકારણ પર બારીક નજર રાખવાની જરૂર છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 નવેમ્બર 2018

Loading

અમૃતસરની ઘટનાના સૂચિતાર્થો – ૧

રમેશ ઓઝા|Opinion - Opinion|20 November 2018

અમૃતસરની ત્રાસવાદી ઘટના ગંભીર છે અને તેને પૂરી ગંભીરતાથી હાથ ધરવી જોઈએ

અમૃતસરમાં ત્રાસવાદીઓએ નિરંકારી ભવન પર બૉમ્બ હુમલો કર્યો એ સામાન્ય ઘટના નથી. આ પંજાબ છે અને ત્યાં દોઢ દાયકાના અલગતાવાદનો આપણને અનુભવ છે. મને આમાં ભયના ઓળા નજરે પડે છે. શક્યતાઓ અને સંભવનાઓની ચર્ચા કરતાં પહેલાં એક પૃષ્ઠભૂમિ સમજી લેવી જોઈએ. ભારતમાં કોઈ ઘટના દેખાય છે એવી સરળ હોતી નથી. એનાં અનેક સૂચિતાર્થો હોય છે અને એ સમજવાં માટે પણ પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે.

આ દેશમાં સિખો અને તામીલો એમ બે પ્રજા એવી છે જેનાં પર રાષ્ટ્રીય એકતાની દૃષ્ટિએ ચાંપતી નજર રાખવી જોઈએ. સિખોની ધાર્મિક અસ્મિતા અને તામીલોની ભાષાકીય અને દ્રવિડ અસ્મિતા એટલી તીવ્ર છે કે એ ગમે ત્યારે રાષ્ટ્રીય અસ્મિતાની વિરુદ્ધ જઈ શકે છે. આવું થોડું મરાઠી અને બંગાળી અસ્મિતાઓનું ખરું, પણ એ અત્યારે લક્ષ્મણરેખાની અંદર છે. વિષય પર આવતાં પહેલાં હિન્દુ રાષ્ટ્રવાદીઓના લાભાર્થે ઇતિહાસની એક હકીકત ક્હેવી જરૂરી છે. થોડો લાભ ભક્તોને પણ થશે.

રાષ્ટ્રનિર્માણ માટે બહુમતી પ્રજા, તેની જ્યાં સુધી વસતી હોય ત્યાં સુધીની ભૂમિ, તેનો ધર્મ, તેની સંસ્કૃિત અને તેની ભાષા અત્યંત આવશ્કય છે એમ રાષ્ટ્રવાદીઓ માને છે. બહુમતી પ્રજા એક કરતાં અનેક ભાષા બોલતી હોય તો? તો ન ચાલે. એક રાષ્ટ્ર માટે એક ભાષા અનિવાર્ય છે. રાષ્ટ્રીય શ્વાચ્છોશ્વાસ એક જ ભાષામાં ચાલવો જોઈએ. આવું હિન્દુ રાષ્ટ્રવાદીઓ જ માને છે એવું નથી, જગતભરમાં દરેક રાષ્ટ્રવાદી આમ માને છે. હકીકત તો એ છે કે હિન્દુ રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્રવાદની કલ્પના પશ્ચિમમાંથી ઉધાર લાવ્યા છે. એક વાત યાદ રહે, જ્યાં રાષ્ટ્રવાદની કલ્પના વિકસી છે ત્યાં બહુવિધ ઓળખોની સમસ્યા (ખરું પૂછો તો આશીર્વાદ) ભારત જેટલી નહોતી.

ભારત નસીબદાર દેશ છે અને ભારતની નસીબદારી ગાંધીજીને સમજાઈ હતી. તેમણે કહ્યું હતું કે આપણે નસીબદાર છીએ કે આપણો બગીચો આટલાં બધાં ફૂલોથી મઘમઘે છે. એકત્વને નામે તેને વેડીને એક જ પ્રકારનાં ફૂલના બગીચામાં શા માટે ફેરવો છો? બીજું એ શક્ય પણ નથી. ગણવા બેસશો તો ભારતમાં દરેક પ્રજા લઘુમતી પ્રજા છે. કોને કોને વેડશો? સબકા સાથ સબકા વિકાસનું મૂળ સૂત્ર ગાંધીજીનું હતું અને એ પ્રજા સાથેની છેતરપીંડી નહોતી. તેમની શ્રદ્ધા હતી અને એ માટે પ્રાણ આપ્યા હતા.

કોણે પ્રાણ લીધો હતો? એ લોકોએ જે બહુવિધ ફૂલોના મઘમઘતા બગીચાને વેડવા માંગતા હતા અને ગાંધીજી તેમની વચ્ચે આવતા હતા. ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે મહમદઅલી જિન્નાહ સામે પણ સવાલ ઊભો થયો હતો કે વગર મહેનતે પાકિસ્તાન હાથમાં તો આવી ગયું, પણ તેને ટકાવવું કઈ રીતે? અંગ્રેજી ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી અને ભારતની દેશી ભાષાઓ માટે જેને અણગમો હતો એ નખશીખ આધુનિક જિન્નાહે તાજા જન્મેલા પાકિસ્તાનને બચાવવા સારુ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદનો આશરો લેવો પડ્યો હતો. તેમણે જાહેર કર્યું કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ રહેશે. શા માટે? કારણ કે ઉર્દૂ મુસલમાનોની ભાષા છે.

અહીં જ મોટી ભૂલ હતી. આ દેશમાં લગભગ ૧૮૫૭ સુધી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીઓની ભાષા હતી, પરંતુ જેમને હિન્દુસ્તાનીમાંથી હિન્દુ અને મુસલમાન થવું હતું તેમણે મળીને હિન્દુસ્તાનીનું કાસળ કાઢી નાખ્યું અને હિન્દી હિન્દુઓની ભાષા બની અને ઉર્દૂ મુસલમાનોની. નવનિર્મિત પાકિસ્તાનમાં એવી એક પણ પ્રજા નહોતી જેની માતૃભાષા ઉર્દૂ હોય અને હજારો વરસ જૂના ભારતમાં એવી એક પણ પ્રજા નહોતી જેની માતૃભાષા આજના સ્વરૂપમાં જોવા મળતી હિન્દી હોય. એ તો કલકત્તાના ફોર્ટ વિલિયમમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્થાપેલી લેન્ગવેજ ફેક્ટરીમાંથી ઉત્પાદિત કરવામાં આવેલી ભાષા છે જેને પાછળથી હિન્દુ/હિન્દી ભાષાભિમાનીઓએ અપનાવી લીધી હતી.

ખેર, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું અને ઉર્દૂને મુસલમાનોની ભાષા તરીકે રાષ્ટ્રભાષા જાહેર કરવા આવી. આ જાહેરાત થતાની સાથે જ પૂર્વ પાકિસ્તાનમાં ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ તોફાનો કર્યા. ૨૩મી ફેબ્રુઆરી ૧૯૪૮ આંદોલનનું નેતૃત્વ કરનારાઓમાં શેખ મુજીબુર રહેમાન હતા જેણે પાછળથી બંગાળી ભાષા અને અસ્મિતા બચાવવા બંગલાદેશને પાકિસ્તાનથી અલગ કર્યું હતું. ઈસ્લામને બચાવવા ભારતથી અલગ થઈને પાકિસ્તાન બન્યું અને બનતાની સાથે જ બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાનનો છેદ ઉડાડવાનું આંદોલન શરુ થયું.

તો વાતનો સાર એટલો જ કે આ દેશમાં ગાંધીજી પહેલા માણસ હતા, જેને એ સમજાઈ ગયું હતું કે અનેક ફૂલોનો ભારતને મળેલો બગીચો ભારત પર કુદરતનો આશીર્વાદ તો છે જ પણ એ સાથે ભારતની નિયતિ પણ છે. એની સાથે છેડછાડ કરશો તો પાકિસ્તાન જેવા હાલ થશે. તમને ખબર છે? પાકિસ્તાનની હજુ સ્થાપના નહોતી થઈ ત્યારે બંગાળના હિન્દુઓ અને મુસલમાનો મળીને ગાંધીજી પાસે દરખાસ્ત લઈને ગયા હતા કે જો અમને સંયુક્ત સ્વતંત્ર બંગાળ આપવામાં આવે તો અમે (હિન્દુ અને મુસલમાન) સાથે રહેવા માગીએ છીએ અને પાકિસ્તાન ગયું ભાડમાં. દરખાસ્ત લાવનાર બંગાળના સિનિયર નેતાઓ હતા. તેમને ગાંધીજીએ કહ્યું હતું કે તમે જે કહો છો તેમાં તમે ફક્ત પાકિસ્તાન ગયું ભાડમાંથી અટકતા નથી, હિન્દુસ્તાન ગયું ભાડમાં પણ આવે છે તો પછી તમારો દેશપ્રેમ ક્યાં ગયો?

ભારતમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ આવા છે. શરીર પરની ચામડી જરાક ખરોચો એટલે હિન્દુ, મુસલમાન, શિયા-સુન્ની, સિખ, જૈન, બંગાળી, તામિલ, દ્રવિડ, ગુજરાતી, પટેલ વગેરે લોહી ટપકવા માંડશે. આને અંગ્રેજીમાં સબ-નેશનાલિઝમ (પેટા રાષ્ટ્રવાદ) કહેવામાં આવે છે અને ભારતમાં કોઈ એક સબ નથી, અનેક સબ છે અને સબના પણ અનેક સબ છે. એટલે ગાંધીજીએ કહ્યું હતું કે અનેક ફૂલોનો બનેલો બગીચો ભારતની નિયતિ છે જેને પ્રભુના અનોખા આશીર્વાદ તરીકે સ્વીકારો. મહેરબાની કરીને તેની સાથે છેડછાડ નહીં કરો. ગાંધીજીનું આવી શિખામણ આપવા માટે ખૂન કરી નાખવામાં આવ્યું હતું, કારણ કે કેટલાક લોકો પોતાના પક્ષમાં બગીચામાં છેડછાડ કરવા માંગતા હતા.

વાત એમ છે કે ભારતમાં કોળાઈ શકે અને વિકસી શકે એવી બહુમતી રાષ્ટ્રીયતા તો છે જ નહીં, પણ નાની-નાની પેટા રાષ્ટ્રીયતા અનેક સ્વરૂપમાં પડી છે. જો એકને લાદવામાં આવે તો બીજી પ્રતિકાર સ્વરૂપે બળવત્તર થઈ શકે છે અને એમાં પણ સિખો અને તામીલો આવી શક્યતા વધુ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં બહુમતી રાષ્ટ્રવાદ સામે પેટા રાષ્ટ્રવાદ તામીલોમાં અને સિખોમાં પ્રબળ છે. આનો વસમો અનુભવ પણ દેશને થઈ ચૂક્યો છે. તામિલ રાષ્ટ્રવાદે રાજીવ ગાંધીનો ભોગ લીધો હતો અને સિખ રાષ્ટ્રવાદે ઇન્દિરા ગાંધીનો. એ સત્તા ખાતર બગીચામાં કરવામાં આવેલાં ચેડાનું પરિણામ હતું.

આટલી પૃષ્ઠભૂમિ પછી અમૃસરમાં બનેલી ઘટનાનું આવતીકાલે પૃથ્થકરણ કરીશું.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 નવેમ્બર 2018

Loading

ઘેરિયા નૃત્ય અને ગીતો

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|20 November 2018

આજે સવારસવારમાં, એક અગત્યનું દસ્તાવેજી પુસ્તક મળ્યું. વાસ્તવમાં હું રાહ જોતી જ હતી. ડો. ઈશ્વરચન્દ્ર દ્વારા શબ્દાંકિત, સીએ વિનોદભાઈ દેસાઈ દ્વારા ગરબાગીતો સંકલિત, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત, આ પુસ્તક સોમનાથ મંદિર પ્રાંગણ, બીલીમોરામાં પચીસ વર્ષથી (૨૫) આયોજિત ઘેરૈયા સ્પર્ધા નિમિત્તે પ્રાપ્ય બન્યું છે. ડો. જયાનંદ જોષીની પૂરક માહિતી પણ પુરવણી રૂપે સામેલ છે. ૯૬ પાનાંમાં ૧૪ પ્રકરણ અને ૪ પુરવણીના સંચયમાં ઘેરૈયા નૃત્ય, ગીતો અને ગરબાની ઝાંખી મળે છે.

દક્ષિણ ગુજરાતની સાંસ્કૃિતક ઓળખ કઈ એમ પુછાય તો એમાં ઘેરૈયા નૃત્ય-ગરબાનું નામ ઝટ યાદ આવે. આદિવાસીઓ અને માછીમારોની સાંસ્કૃિતક ઓળખ પણ છે જ. એમ તો અનાવિલ, પારસી, જૈન સંસ્કૃિતની પણ વિશિષ્ટતાઓ વણાયેલી છે. એ પાસાને ધ્યાનમાં રાખીને જ વાત કરવી જોઈએ છતાં કહેવું જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં હજી સંશોધનનો ઘણો અવકાશ છે.

આજે તો આ સંકલનમાં સમાવિષ્ટ સામગ્રીની વાત કરીએ. ઘેરૈયા નૃત્ય છે તો સાથે ગરબા, ગીત અને હાસ્યરસ સભર નૌટકી પણ છે. પારણાંથી પાલખી સુધીની યાત્રાની ઝલક પણ છે. સરળ લોકપ્રિય લોકગીતો – ગરબા સાથે એમાં, નિજી સંવેદનાઓ, હાસ્ય, માગણી, વ્યંગ, કટાક્ષ, રૂદન  સમેત ગીતો – પવાડા – ગરબા ગવાય છે, જેમાં પારણું, લહેરિયું, ઝેરિયું સામેલ છે. વિશિષ્ટતા એ છે કે એમાં પુરુષો સ્ત્રીઓનો વેશ પરિધાન અને સાજશણગાર કરે છે. સ્ત્રીઓ એમાં સામેલ થતી નથી.

પરશુરામના સમયથી એના મૂળ શોધવાનો પ્રયાસ અહીં દેખાયો છે. એને યુદ્ધમાં જતાં લશ્કરીઓ સાથે પણ સાંકળીને જોવાય છે કારણ કે એમના ગાયનમાં એ વાત આવે છે. જેમ કે લશ્કર કોનું કહેવાય રે? પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળ્યો નહીં પરંતુ ઘેરૈયા માટે મને જાણ છે ત્યાં સુધી ઘેરૈયા આગળ જ જાય, એક વાર તમારા ઘર પાસેથી પસાર થઈ જાય તો પાછળ ફરીને આવીને નહીં. કારણ એ કે તેઓ યુદ્ધમાં પીછેહઠ ન કરે. તે રીતે ઘેરૈયા મોટાભાગે હાળી હોય. ધણિયામાના વેવાઈઓને ત્યાં ‘ઘેર’ લઈને જાય અને દીકરીની ભાળ કાઢી આવે. ત્યાં વેવાઈએ કેટલું દાપું  આપ્યું અને કેવું સ્વાગત કર્યું તે ઉપરથી પરખ કરે! જો કે મારા માટે આ સંશોધનની બાબત છે. પુસ્તકમાં ગરબાના વિશ્લેષણ દ્વારા વેવાઈને ત્યાં જવાની વાત છે. શેઠની મનોવૃત્તિને આંકવાની વાત પણ છે. પારિવારિક સંબંધની વાત તો ઘૂંટી ઘૂંટીને કહેવાયેલી છે. મનોરથો પૂરા કરવા બાધા રાખવી અને ખાસ કરીને પુત્ર થકી વંશવેલો વધે તે આશા માટે પારણુંથી શરૂઆત થાય. આનંદ અવસર અને લગ્ન જેવા રૂડા પ્રસંગે ઘેર બોલાવવી, નવરાતમાં ગરબા ગાવા, દિવંગતની યાદમાં તાર મારવો અને અંતે દાપુ માંગી ‘ઘેર વધાવવા’ સુધીના પ્રક્રિયાનું વ્યવસ્થિત દાખલાદલીલ સાથે આલેખન કરવાની ચીવટાઈ અહીં નજરે ચડે છે.

વાપીથી તાપી સુધીમાં વસેલા હળપતિઓનાં મૂળ સમેત ઓળખ અહીં આપી છે. દુર્વલ – વટવાળા, વળે નહીં તેવા, અને દુર્બલ એટલે કે દૂબળાં – નિર્બલ એવા બે અર્થ અહીં અભિપ્રેત છે પરંતુ એક બાજુ લશ્કરી મિજાજ અને બીજી બાજુ આજની વાસ્તવિકતાનો મેળ પાડવો થોડું કઠિન છે, પરંતુ બન્ને તર્ક અને વાસ્તવિકતા સાચા છે. આખી વાત સમજવા માટે તો પૂરું પુસ્તક વાંચવું જોઈએ.

મને અહીં એક ઉમેરણ કરવાની ઈચ્છા થાય છે. અસ્તિત્વમાં એક વાર મને અને જશવિકાને વિચાર આવ્યો કે ઘેરૈયા ગરબા લયઢાળનું સ્ત્રી કેન્દ્રિત રૂપાંતર કરવું જોઈએ. મનમાં એવું કે પુરુષો જ કેમ ગાય, અમારાથી પણ ગવાય. તે રીતે ‘પરખ’ જૂથમાં મારાં માતા ઈરાબાએ ઘેરૈયા આશીર્વચન ગીત ગવડાવવાનું શરૂ કરેલું, અને સભ્યબહેનોને એ ખૂબ ગમતું. ઈરાબા પાસે એમાં પણ સમાનતાનું ઉમેરણ કરવા મેં પ્રયાસ તો કરેલો જેમાં આશિક સફળતા મળેલી.

ઘેરૈયા લોકનૃત્ય પ્રકાર અદ્રશ્ય થવાને આરે હતો અને એને જીવતદાન આપવામાં સીએ વિનોદભાઈ દેસાઈ, ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના સંચાલકો સક્રિય થયા અને પરિણામ સામે છે. વયોવૃદ્ધ ગાંધીવાદી ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ અનાવિલ સર્વસંગ્રહ જેવો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ સાકાર કરવા પ્રતિબદ્ધ છે એની હું પણ સહભાગી છું, તેનો મને આનંદ છે કારણ કે એ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે જેમાં સંકુચિતાપણું નથી, પરંતુ ગુણઅવગુણ, લાક્ષણિકતાઓ, સામાજિક – શૈક્ષણિક – સાંસ્કૃિતક ‘ગતિપ્રગતિ, અધોગતિ’  સમજવાનો પ્રયાસ છે.

આ પુસ્તકને આવકારતા આનંદ થાય છે.

Loading

...102030...2,9332,9342,9352,936...2,9402,9502,960...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved