આજકાલ જગત આખામાં જે નેતૃત્વ સામે આવી રહ્યું છે એની સર્વસાધારણ બીમારી એવી છે કે તેમનામાં સમજ ઓછી છે અને બોલે છે વધુ. બોલે એટલે આત્મવિશ્વાસ સાથે બોલે અને તથ્યો તપાસાવ્યા વિના બોલે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આવું બીજીવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં યુનોની સામાન્ય સભાની સાઈડ લાઈનમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન મળવાના હતા, એ બેઠક ભારતે ક્ષુલ્લક કારણસર રદ્દ કરી નાખી હતી. એ વિષે પ્રતિક્રિયા આપતા ઇમરાન ખાને ભારતના વડા પ્રધાનને મોટા પદ પર બેસી ગયેલા નાના માણસ તરીકે ઓળખાવ્યા હતા. તેમને એટલું ભાન નહોતું કે કોઈ દેશના વડાએ બીજા દેશના વડા વિષે કેવી ભાષામાં બોલવાનું હોય. ભાષા પરથી શાસકના સંસ્કાર ઓળખાઈ આવતા હોય છે. જો કે અત્યારે શાસકોમાં સંસ્કાર અને સભ્યતાનું સંકટ સાર્વત્રિક છે.
હવે ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં લઘુમતી કોમ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ દુય્યમ નાગરિકો જેવી છે. ઇમરાન ખાન અહીંથી અટક્યા નહોતા, તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુઓ અને અન્ય લઘુમતી કોમો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. ઇમરાન ખાને આગળ વધીને પાકિસ્તાનની ઓળખ પણ આપી છે. નવા પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો લીલાલહેર કરે છે, જ્યારે કે ૨૦૧૪ પછીના નવા ભારતમાં લઘુમતી કોમના લોકો ભયભીત છે.
આ વિવાદ ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ વિષે અને ઝડપભેર થઈ રહેલા કોમી ધ્રુવીકરણ વિષે જાણીતા ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે જે વક્તવ્ય આપ્યું એનાં કારણે પેદા થયો છે. નસીરુદ્દીનની વહારે મોટી સંખ્યામાં સેક્યુલર લિબરલ હિંદુઓ બહાર આવ્યા હતા. નસીરે કે કહ્યું છે એ સો ટકા સાચું છે. દુ:ખની વાત છે કે મુકેશ અંબાણીને ઘેર કઢી પીરસનારા મહાન અભિનેતાઓમાંથી કોઈ નસીરની મદદે બહાર આવ્યું નથી. એવી તેમની પાસે કોઈ અપેક્ષા પણ નથી. મીડિયાવાળાઓ પણ મૂલ્યોની ચર્ચા કરવાની જગ્યાએ બે રાજકારણીઓને કે એક હિન્દુત્વવાદીને તથા એક કટ્ટરપંથી મુસલમાનને સામ-સામે ભીડાવીને મુરઘા લડાઈ લડાવે છે. તેઓ પોતાની જાતને તો નહીં, પણ દેશની જનતાને છેતરે છે કે તેઓ મુક્ત દેશમાં ખુલ્લી ચર્ચા કરી રહ્યા છે. હકીકતમાં આ પડદા પાછળની સોદાબાજીનું પરિણામ છે. આ પહેલાં આમીર ખાનને પણ આવો જ અનુભવ થયો હતો. નરેન્દ્ર મોદીની ટીકા કરનારા પ્રકાશ રાજ નામના દક્ષિણના અભિનેતાને બોલીવૂડમાં કામ આપવામાં આવતું નથી.
પણ આમ હિંદુ અત્યારે જે પ્રમાણમાં અને જેટલી આક્રમકતા સાથે અઘોષિત ઈમરજન્સી અને ફાસીવાદી રાજકારણના વિરોધમાં બહાર આવ્યો છે, એ જોઇને જગત આખું મોઢામાં આંગળા નાખી ગયું છે. આ ભારત છે અને ભારતમાં જેનો કોઈ સ્વાર્થ નથી હોતો એવા સામાન્ય લોકો પરિસ્થિતિ સંભાળી લે છે. સ્થાપિત હિતો ધરાવનારાઓ વેચાઈ જાય, પણ સામાન્ય માણસને ખરીદી શકાતો નથી. તેનો વિવેક સાબૂત રહે છે અને મોકો મળ્યે ઘા મારે છે. ૧૯૭૫માં પણ આવું જ બન્યું હતું. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે ચરમબંધીઓ ડરી ગયા હતા અને કેટલાક તો ભાટાઈ કરવા લાગ્યા હતા, પરંતુ અદના ભારતીયે લોકતંત્રને બચાવી લીધું હતું. ભારતની રક્ષા સામાન્ય નાગરિક કરે છે, બાકી મોટેરાંઓ માટી પગાં હોય છે, એ આ વખતે ભારતમાં બીજી વખત સાબિત થઈ રહ્યું છે.
ઇમરાન ખાને પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈતો હતો કે આવું પાકિસ્તાનમાં કેમ નહીં બન્યું? શા માટે પાકિસ્તાનની બંધારણસભામાં પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી જિન્નાહનો પાકિસ્તાનના સ્વરૂપ વિષેનો ઠરાવ (ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન) પસાર ન થઈ શક્યો? શા માટે ખુદાના સાર્વભૌમત્વનો સ્વીકાર કરીને ઇસ્લામિક રાજ્યની દિશા પકડવામાં આવી હતી? જિન્નાહ સેક્યુલર પાકિસ્તાનની રચના કરવા માંગતા હતા. શા માટે મહમ્મદ અલી જિન્નાહને પાકિસ્તાનની સ્થાપના પછીની પહેલી અને છેલ્લી ઢાકા મુલાકાત વખતે બંગાળી ભાષાનો આગ્રહ રાખનારા બંગાળી વિદ્યાર્થીઓના દેખાવોનો સામનો કરવો પડ્યો હતો? શા માટે પૂર્વ પાકિસ્તાન અલગ થઈ ગયું? શા માટે પાકિસ્તાનમાંથી હિદુ લઘુમતી કોમે ઉચાળા ભરવા પડ્યા? ટકાવારીમાં ભારતમાં આજે જેટલા મુસલમાનો છે એનાં પાંચમાં ભાગના હિંદુઓ પણ પાકિસ્તાનમાં નથી. અને સૌથી મહત્ત્વનો સવાલ : શા માટે પાકિસ્તાનનો નાગરિક સમાજ દેશના થઈ રહેલા ઇસ્લામીકરણના વિરોધમાં રસ્તા પર ઊતરી ન આવ્યો જે રીતે અદના હિંદુઓ ભારતનાં થઈ રહેલા હિંદુકરણનો વિરોધ કરી રહ્યો છે.
આનાં બે મુખ્ય કારણો છે. એક તો એ કે હિન્દુ ધર્મ ઉદારમતવાદી છે અને અદનો હિંદુ એક હદે કોમવાદી થયા પછી પોતે જ શરમ અનુભવવા લાગે છે. બીજું કારણ એ છે કે ગાંધીજીના નેતૃત્વમાં અને એ પહેલાં પણ સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિષે સાંગોપાંગ ચર્ચા થઈ હતી અને એમાંથી સર્વસંમતિ બની હતી. એક સદી લાંબી ચર્ચાના પરિપાકરૂપે આધુનિક ભારતની રચના થઈ હતી. ભારતીય બંધારણ અને અત્યારે જે ભારતીય રાજ્ય છે એ ઉપરથી લાદવામાં નહોતાં આવ્યાં. ઇમરાન ખાને અવિભાજિત ભારતનાં, અવિભાજિત પાકિસ્તાનના અને એ પછીના વિભાજિત પાકિસ્તાનના ઇતિહાસનો અભ્યાસ કરવાની જરૂર છે.
છેલ્લે, ઇમરાન ખાનની પોતાની વાત. તેઓ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી લડતા હતા ત્યારે ચૂંટણી પ્રચાર દરમ્યાન પાકિસ્તાનના કુખ્યાત ઈશ્વરનિંદા(બ્લેસફમી)ના કાયદાને રદ્દ કરવામાં આવે કે તેને હળવો કરવામાં આવે તેનો વિરોધ કર્યો હતો. એને ઇસ્લામ વિરોધી પ્રવૃત્તિ ગણાવી હતી. આ કાયદો લઘુમતી કોમ વિરોધી છે અને તેનો લઘુમતી કોમની જમીન જાયદાદ પડાવી લેવા દુરુપયોગ કરવામાં આવે છે. ગયા ઓક્ટોબર મહિનામાં ૫૪ વરસની ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને સર્વોચ્ચ અદાલતે ઇસ્લામના પયગંબરની નિંદા કરવાના કાયદામાં નિર્દોષ છોડી મૂકી ત્યારે પાકિસ્તાનમાં તોફાનો થયાં હતા. ઇમરાન ખાને તોફાનોની નિંદા કરીને આસિયા બીબીને રાહત આપી હતી, પરંતુ એ સાથે જ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન કરવામાં આવશે એમ પણ કહ્યું હતું. વિદેશમાં આશરો મેળવવા ઈચ્છતી આસિયા બીબીને વિદેશ જવા દેવામાં નહીં આવે એમ પણ કહ્યું હતું. બ્લેસફમીના ચુકાદામાં રિવ્યુ પિટિશન શા માટે? એનો અર્થ એ થયો કે સરકારને લઘુમતી કોમને ન્યાય આપનારો ચુકાદો સ્વીકાર્ય નથી, જે રીતે ભારત સરકારને સ્ત્રીઓને ન્યાય આપનારો સબરીમાલાનો ચુકાદો સ્વીકાર્ય નથી.
આવું હશે ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન?
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 ડિસેમ્બર 2018