Opinion Magazine
Number of visits: 9968798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદીની બોડી લેંગ્વેજ કહે છે કે તેઓ પરાજયના ભયથી ઘાંઘા થયા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 May 2019

દેશ આઝાદ થયો ત્યારે કૉન્ગ્રેસના નેતાઓના મનમાં સ્વતંત્ર ભારતની એક રૂપરેખા હતી. એ રૂપરેખા ભારતના બંધારણમાં મૂર્ત સ્વરૂપ પામી હતી. મૂર્ત સ્વરૂપ પામી એમ પણ કહેવું ખોટું છે. ખરું પૂછો તો સવાસો વરસના વિમર્શના અંતે વિકસેલી કલ્પના રાજ્યનો મુસદ્દો બની હતી. નાના-મોટા મતભેદો ઓગાળી દેવામાં આવ્યા હતા અને વ્યાપક સર્વસંમતી સાથે રાષ્ટ્રીય સંકલ્પ બંધારણના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યો હતો. એ સંકલ્પને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યોમાં રચાયેલી સરકારોની હતી. એ સમયે દરેક જગ્યાએ કૉન્ગ્રેસની સરકારો હતી એટલે એમ કહી શકાય એ કૉન્ગ્રેસની હતી. જવાહરલાલ નેહરુ દેશના પહેલા વડા પ્રધાન તરીકે દર પખવાડિયે રાજ્યોના મુખ્ય પ્રધાનોને લાંબા પત્રો લખીને વિચારવિમર્શ કરતા હતા. પહેલી પ્રાથમિકતા હતી વિકાસ માટેની અને સુદ્રઢ લોકતંત્ર માટેની સંસ્થાઓ સ્થાપવાની. બન્ને પ્રકારની મળીને સો કરતાં વધુ સંસ્થાઓ નહેરુના સમયમાં સ્થપાઈ હતી. જી હાં, સો કરતા વધુ. તમને નથી લાગતું કે આવું કામ એ જ કરી શકે જેને શું કરવું છે એની જાણ હોય?

આ તો એક પક્ષ થયો. એક બીજો પક્ષ પણ હતો જેને ગાંધી અને નેહરુની કલ્પનાના ભારત સામે જ મૂળભૂત વાંધો હતો. એવા બે પક્ષો હતા : એક સામ્યવાદીઓ અને બીજા હિન્દુત્વવાદીઓ. એ સમયે હિન્દુત્વવાદીઓ કરતાં સામ્યવાદીઓનો ભય વધુ હતો. સામ્યવાદીઓ પાસે ચુસ્ત વિચારધારા છે, જગતમાં અનેક દેશો સામ્યવાદી વિચારધારા અપનાવીને સામ્યવાદી બન્યા છે અને ભારતના સામ્યવાદીઓને રશિયા અને ચીનનો ટેકો સાંપડી શકે છે. તેઓ કદાચ બંધારણપ્રણિત ભારતીય રાજ્યને ઉથલાવી શકે છે. આ ઉપરાંત સામ્યવાદીઓ બુદ્ધિશાળી હતા, તેમને તેમના વિચારો રજૂ કરતા આવડતું હતું અને યુવાનોમાં સામ્યવાદ માટે આકર્ષણ હતું. એ સમયે હિન્દુત્વવાદીઓનો જરા ય ભય નહોતો, કારણ કે તેમની પાસે કોઈ સ્પષ્ટ વિચારધારા નહોતી, જે કાંઈ હતી એ સ્પષ્ટ નહોતી અને તેમને રજૂ કરતા આવડતી પણ નહોતી. આને કારણે દેશના હિંદુઓ તેમને ઘાસ નાખતા નહોતા.

અહીં એક વાત નોંધવી જોઈએ. ડૉ. રામમનોહર લોહિયા જેવા ડાબેરી સમાજવાદીઓ અને મોટા ભાગના કૉન્ગ્રેસીઓ સામ્યવાદથી ડરતા હતા અને હિન્દુત્વવાદીઓથી નિશ્ચિંત હતા ત્યારે જવાહરલાલ નેહરુનો અભિગમ જૂદો હતો. તેઓ સામ્યવાદ કરતાં હિંદુ રાષ્ટ્રવાદને વધારે ગંભીરતાથી લેતા હતા અને તેમાં તેમને દેશ સામે ખતરો નજરે પડતો હતો. બહુમતી કોમવાદ એટલે ફાસીવાદ અને ફાસીવાદ કરતાં મોટો કોઈ માનવતાનો દુ:શ્મન નથી એમ તેઓ માનતા હતા. સંઘપરિવારને જવાહરલાલ નેહરુ અને નેહરુ પરિવાર સાથે શા માટે દુશ્મની છે એ સમજાઈ ગયું હશે. બીજા આવો સ્પષ્ટ વિચાર ધરાવનારા વિચારક વિનોબા ભાવે હતા. બાકી મોટા ભાગના લોકો હિન્દુત્વવાદીઓ કરતાં સામ્યવાદથી વધુ ડરતા હતા.

સમય વિતતો ગયો એમ સ્થિતિ બદલાતી ગઈ.

કલ્પનાને સાકાર કરનારી કૉન્ગ્રેસ ચૂંટણી લડનારી અને યેનકેન પ્રકારેણ જીતનારી બની ગઈ. એ સમયના સમાજશાસ્ત્રી રજની કોઠારીની ભાષામાં કહીએ તો કૉન્ગ્રેસ ઈલેકશન વિનિંગ મશીનમાં ફેરવાઈ ગઈ. વિચારધારા, રાષ્ટ્રનિર્માણની પ્રાથમિકતા, કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ, લોકતાંત્રિક સંસ્થાઓનું સુદ્રઢીકરણ વગેરે પાછળ ધકેલાઈ ગયાં અને ચૂંટણીમાં વિજય અને સત્તા મુખ્ય બની ગયાં. આ બાજુ સામ્યવાદ જગત આંખમાં ખતમ થવા લાગ્યો અને ભારતમાં પણ તેમનો પ્રભાવ ઘટવા લાગ્યો. હિન્દુત્વવાદીઓને સેક્યુલર લોકતાંત્રિક વિરોધ પક્ષના અભાવનો લાભ મળવા લાગ્યો.

અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ સંઘપરિવારની ભારત વિશેની કલ્પના કેવી છે? તેમનો અધિકાર છે તેમની કલ્પનાના ભારતને સાકાર કરવાની, પણ કલ્પના શું છે? આજ સુધી આપણે આ જાણતા નથી. સંઘપરિવાર જગતનું એક માત્ર રાજકીય પરિબળ છે જે શું કરવા માગે છે એ કહેવામાં આવતું નથી. અનેક અવસરે – અનેક મોઢે – અનેક વિરોધાભાસી વાતો કરવામાં આવે છે. કેટલીક વાર તો એક જ અવસરે બે જણ વિરોધાભાસી વાત કરે છે. આ ગોપનીયતા છે કે ગમારપણું એ જગત સામે કોયડો છે.

હવે વડા પ્રધાનની ચૂંટણીસભાઓ પર એક નજર કરો. જો તેમને શાસન વિષે કાંઈ કહેવાનું ન હોય તો તેમને અક્ષરશ: કાંઈ કહેવાનું નથી. ૨૦૧૪માં તેમને વિકાસની બાબતે વચનો આપવાનો મોકો હતો; ‘હું આમ કરી આપીશ કે હું તેમ કરી આપીશ’ વગેરે, એટલે ઉછળી ઉછળીને બોલતા હતા. હવે જ્યારે શ્રેય લઈ શકાય એવું કોઈ કામ કરી શકાયું નથી, ત્યારે શું બોલવું એ તેમને સૂઝતું નથી. સામ્યવાદીઓની રાજકીય સ્થિતિ બી.જે.પી. કરતા ક્યાં ય નબળી છે, પણ એ છતાં તેઓ તેમની કલ્પનાના વૈકલ્પિક ભારત વિષે બોલી શકશે. સામ્યવાદી નેતા સિતારામ યેચુરીને ચૂંટણી પ્રચાર કરતી વખતે મમતા બેનર્જીની સાત પેઢીને યાદ કરીને ગાળો આપવાની જરૂર પડતી નથી. નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીની સાત પેઢીને યાદ કરીને ગાળો આપવી પડે છે; કારણ કે જો શ્રેય લેવા માટે કાંઈ નથી અને નવા દાવા કરી શકાય એમ નથી તો, કહેવા માટે પણ કાંઈ નથી.

નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીસભાઓમાં તેમની એક પણ સિદ્ધિની વાત નથી કરતા, કારણ કે ઝોળી લગભગ ખાલી છે. જે બીજાનો શ્રેય આંચકી જાય એ પોતાના શ્રેયની યાદ ન અપાવે એવું બને ખરું? ૨૦૧૪નો ચૂંટણીપ્રચાર જાણે કે દૂરના ઇતિહાસની ઘટના હોય એમ ભૂલી જવાયો છે. આનાં કરતાં તેમણે પોતાની કલ્પનાના ભારત વિષે વિચાર્યું હોત, એ કલ્પનાને વધુને વધુ સ્પષ્ટ કરી હોત, એ કલ્પનાને આત્મસાત કરી હોત, લોકોની સાથે તેને ઈમાનદારીપૂર્વક વહેંચી હોત, મુક્ત સંવાદ સાધ્યો હોત, લોકો સાથે વિચારોની આપ-લે કરી હોત, વિરોધીઓનો વિચારથી મુકાબલો કર્યો હોત તો આજે ગાળોનો આશ્રય ન લેવો પડ્યો હોત. તેઓ પણ જવાહરલાલ નેહરુની માફક રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સાથે પંદર વરસ સુધી ૧૫ પાનાંનાં પત્રો લખીને સહચિંતન કરી શક્યા હોત. જગત આખામાં વિરોધીઓને વિચારો દ્વારા તમે લડતા જોયા હશે. વિચારની જગ્યાએ ગાળોનો આશ્રય તેને જ લેવો પડે જેની પાસે વિચારદરિદ્રતા હોય.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી સંભવિત પરાજયના ભયથી ઘાંઘા થઈ ગયા હોય એમ તેમની ભાષા ઉપરાંત બોડી લેન્ગવેજ પણ કહે છે.

08 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 મે 2019

Loading

શિવાજીને નીંદરું ના’વે માતા જીજીબાઈ ઝુલાવે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|9 May 2019

હૈયાને દરબાર

તમે હાલરડાં સાંભળીને મોટા થયાં છો? તમારાં સંતાનોને હાલરડાં સંભળાવ્યાં છે? તો જરૂર તમે આ લેખ સાથે તાદાત્મ્ય અનુભવી શકશો. મે મહિનાનો બીજો રવિવાર માતૃદિન તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આજે માતા વિશેના નહીં પણ માતાના અતુલનીય પ્રેમગીત એટલે કે હાલરડાંની વાત કરવી છે.

કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ એટલે જ લખે છે કે ;

જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી,
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી!

માતૃવાત્સલ્યનો મહિમા ગવાઈ રહ્યો હોય ત્યારે હાલરડાંનું ગાન સૌથી પહેલું આવે. બાળક હાલરડાં દ્વારા જ સાહિત્યના પરિચયમાં સૌ પ્રથમ આવે છે. ગર્ભમાં તો બાળક માતાનો અવાજ સાંભળે જ છે પણ અવતર્યા પછી માને કંઠે ગવાતું હાલરડું બાળકને એવી અપાર શાંતિ અને ચૈનની નીંદર આપે છે કે જોતજોતામાં તો એ ઘસઘસાટ ઊંઘી જાય છે. માતાનો કંઠ કંઈ લતા મંગેશકર જેવો નથી હોતો પરંતુ, બાળકને એ કંઠ જ લતાજી જેવો જ મીઠો મધુર લાગે છે. એટલે જ આપણા ગુજરાતી સાહિત્ય-લોકસંગીતમાં હાલરડાંનું આગવું સ્થાન છે.

હાલરડાં એટલે માની લાગણીનું ખળખળ વહેતું ઝરણું. હાલરડાંમાં કાવ્યતત્ત્વ ઓછું, લાગણીની સહજ અભિવ્યક્તિ વધારે. ભાષાથી એને શણગારવાની કે શબ્દોના સાથિયા પૂરવાની કોઈ આવશ્યકતા નથી. લાગણી જ બોલતી હોય ત્યાં શબ્દોની શી વિસાત? જો કે, લય-તાલનું મહત્ત્વ તો ખરું જ. હાલુ હાલુ હા … હાં …નો લયબદ્ધ લહેકો બાળકને સ્વપ્નલોકમાં વિહાર કરાવે.

હાલરડું કવિતાની જેમ કાગળ પર નહીં, સીધું લોકહૃદયમાં જ છપાઈ જાય. પાઠશાળામાં જે ન ભણી શકાય એ માના હાલરડામાં ભણાઈ જાય છે તેથી આજે જે ગીતની વાત કરવી છે એમાં માતા બાળકને જીવનનાં અઘરા પાઠ કેવી રીતે પાર પાડવા એનો કસુંબો હાલરડાનાં ગાન દ્વારા પીવડાવે છે. હાલરડાં પેઢી દર પેઢી ગળામાં જ સચવાય અને ઉછરે.

ગુજરાતી સાહિત્ય અને લોકસંગીતની સર્વકાલીન કૃતિ શિવાજીનું હાલરડું સાંભળતાં જ દેહમાં જાણે વીરરસનો સંચાર થવા લાગે છે. લોકસંસ્કૃતિનો ધબકાર જેમની રગેરગમાં ઝિલાયો છે, ધીંગી ધરા અને માભોમને કાજે જેમણે અઢળક ગીતો રચ્યાં છે, એ શબ્દના સોદાગર ઝવેરચંદ મેઘાણી કેવું અનોખું હાલરડું આપણને આપે છે. ધ્યાનથી સાંભળજો. બાળકને ઉંઘાડવા માટેનું નહીં પરંતુ જગાડવા માટેનું આ એકમાત્ર હાલરડું છે. આ વીરાંગના માતા દીકરાને પોઢાડતા શું કહે છે એ તો સાંભળો.

માતાપિતા ચોડે ચૂમીઓ, રે બાળા !
    ઝીલજો બેવડ ગાલ
                તે દિ’ તારાં મોઢડાં માથે
                ધૂંવાધાર તોપ મંડાશે.

બાળક હજુ તો તાજું જન્મેલું છે, જિંદગીનો એકેય રસ માણ્યો નથી એ નવજાત શિશુને યુદ્ધમાં શહીદ થવાની હાકલ કઈ માતા કરી શકે?

પરંતુ, આ તો રાજમાતા જીજીબાઈ! એવું સશક્ત વ્યક્તિત્વ કે જેમણે નિઝામશાહી નાબૂદ કરીને મરાઠા સામ્રાજ્ય સ્થાપવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. જીજીમાતા એક સાહસિક, ચારિત્ર્યવાન, બુદ્ધિશાળી, દીર્ઘદૃષ્ટા તથા કુશળ રાજનીતિજ્ઞ મહિલા હતાં. તેઓ સ્વતંત્ર રાજ્યના હિમાયતી હતાં, જેની ઝાંખી શિવાજીના સંસ્કારોમાં જોવા મળે છે. શિવાજીના જન્મ પહેલાં તેમણે શિવાઈ માતાની માનતા રાખી હતી એટલે એમનું નામ શિવાજી પાડવામાં આવ્યું હતું. તેમણે શિવાજીને રામાયણ, મહાભારત તથા વીરકથાઓ કહી દીકરામાં અખૂટ સાહસ, વીરતાનું સિંચન કર્યું, બહાદુરી અને આત્મસન્માનનાં ગુણો સ્થાપિત કર્યાં અને શિવાજીની અંદર સ્વરાજ્યનાં બીજ રોપ્યાં. શિવાજીએ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી એનો શ્રેય જીજીમાતાને જાય છે. શિવાજીની અનેક સફળતાઓ જોયા બાદ જીજીમાતાનું ૧૭મી જૂન ૧૬૭૪ના રોજ અવસાન થયું હતું પરંતુ, જીવનપર્યંત તેઓ પુત્ર શિવાજીની પડખે અડીખમ ઊભાં હતાં. આવી માતા દીકરાને પારણે ઝુલાવે ત્યારે શબ્દો નહીં, યુદ્ધ ટંકાર ટપકે. આ સંસ્કાર સાથે બાળક મોટું થાય અને પ્રતાપી ન નીવડે તો જ નવાઈ!

આ હાલરડું સૌપ્રથમ વિખ્યાત લોકગાયક હેમુ ગઢવીના બુલંદ કંઠે ગવાયું અને ખૂબ પ્રચલિત થયું. પછી તો લગભગ દરેક લોકકલાકાર એ ગાય છે. તાજેતરમાં મુંબઈમાં સર્જિકલ સ્ટ્રાઈક સંદર્ભમાં યોજાયેલા એક સંગીત કાર્યક્રમમાં ચેતન ગઢવીએ આ રચના પ્રસ્તુત કરીને વન્સમોર મેળવ્યો હતો. ચેતન ગઢવી આ ગીત વિશે રસપ્રદ વાત કરે છે. "આ હાલરડું મારા હૃદયની બહુ નજીક છે. હજુ એકાદ વર્ષ પહેલાં જ ફરતાં ફરતાં હું અનાયાસે મહારાષ્ટ્રમાં આવેલા જીજીબાઈના કિલ્લે પહોંચી ગયો હતો. સિંદખેડ રાજા એ જીજીબાઈનું જન્મ સ્થળ. ત્યાંની ટનલો એવી છે કે આજે પણ એમાંથી છ ઘોડા અસવાર સાથે નીકળી શકે. બહારથી ખબરેય ન પડે કે ભૂગર્ભમાં આવો જબરદસ્ત કિલ્લો છે. આ કિલ્લો આજે પણ અતીતની અનેક યાદો અને અવશેષો લઈને ઊભેલો છે જે પોતાના ઇતિહાસની ગર્વિલી વાતોનો સાક્ષી છે. શિવાજીનો જન્મ થયો એ રૂમ સુધી હું જઈ આવ્યો હતો અને આ હાલરડાની બે પંક્તિઓ મેં એ સમયખંડને અનુભવવા માટે ત્યાં ગાઈ હતી. આ હાલરડું ગાતાં પહેલાં શ્રોતાઓને સમજ આપવી જરૂરી છે કે હાલરડામાં માતા બાળકને જગાડે છે, ઊંઘાડતી નથી. જગાડવું એટલે જાગૃત કરવું એ અર્થ અહીં અભિપ્રેત છે. મા કહે છે કે દીકરા આજે તું બાળક છે એટલે ઊંઘી લે. કાલે તારે મોત સામે ઝઝૂમવાનું છે :

આજ માતાજીની ગોદમાં રે
    તુંને હૂંફ આવે આઠ પો’ર
              તે દિ’ કાળી મેઘલી રાતે
              વાયુ ટાઢા મોતના વાશે.

મેઘાણીએ શું કલ્પના કરી છે આ હાલરડામાં! પ્રસંગ મહારાષ્ટ્રનો છે અને ઉજવાય છે સૌરાષ્ટ્રના રાષ્ટ્રશાયરની ધારદાર કલમે. હેમુ ગઢવીએ જે ઢાળમાં એ ગાયું એ જ ઢાળમાં એને ગાઈ શકાય, બીજી કોઈ રીતે એનું કમ્પોઝિશન ન થઈ શકે.

આજની જનરેશનની માતાઓ હાલરડાં ગાતી હશે? ગાતી હોય તો કેવાં હશે એ સંશોધનનો વિષય છે. અલબત્ત, મુંબઈનાં હંસા પ્રદીપે હાલરડાં પર પીએચ.ડી. કર્યું છે.

બાળકને પોઢાડવાની ક્રિયામાં હાલરડાંની એક આખેઆખી સંસ્કૃતિ સમાય છે જેમાં ગાય, દૂધ, ઘી, માખણ, લાડુથી લઈ પરીરાણી અને શિવાજીના હાલરડાની જેમ વીરરસ પણ આવે છે. વાઇફાઇના આ હાઈફાઈ જમાનામાં હાલરડાં પણ દુર્લભ થતા ગયાં છે. વિલુપ્ત થઈ રહેલાં હાલરડાં પર ૩૦૦ પાનાંનો ગ્રંથ પ્રગટ કરનાર, ઇન્દોરમાં જન્મેલાં હંસાબહેન હાલરડાં વિષે વાત કરતાં કહે છે, "વિશ્વના દરેક ખૂણે, જ્યાં માતૃભાષા છે, ત્યાં હાલરડાં છે. શોધનિબંધ માટે દુનિયાભરના અનેક દેશોની ‘એમ્બેસી’ સાથે પત્રવ્યવહાર કર્યો. યુરોપના વિવિધભાષી લલબાય (હાલરડાં) મળ્યાં. ભારતનાં વિવિધ પ્રદેશોનાં વિવિધ લોકબોલીમાં હાલરડાં ઉપલબ્ધ થયાં, પણ એનાં વિષે કોઇ ખાસ ઉપયોગી લેખિત સામગ્રી ન મળી કે જેના આધારે શોધપ્રબંધ લખી શકાય. તેથી ફિલ્ડ વર્ક શરૂ કર્યું. ગુજરાત, સુરત, ડાંગ, કચ્છ બધે ફરી. આદિવાસી વિસ્તારમાં તેમનાં નેહડામાં પણ ગઈ. ગુજરાત પછી આંધ્ર, મધ્ય પ્રદેશ ગઇ. ૧૨ વર્ષો બાદ ૧૯૮૧માં મારો શોધનિબંધ ‘હિન્દી ઔર ગુજરાતી કા લોરી સાહિત્ય : તુલનાત્મક અધ્યયન’ હિન્દીમાં તૈયાર કર્યો. આ નિબંધ પુસ્તકાકારે પ્રકાશિત થયો. ત્યારબાદ આ જ શોધનિબંધ ગુજરાતીમાં પણ ‘માતૃહૃદયની સૌમ્ય વિરાસત’ નામે પ્રસિદ્ધ થયો હતો. આટલી બધી જહેમત ઉઠાવીને પીએચ.ડી. કરનાર ડો. હંસા પ્રદીપે ‘નેણલે તેડાવું નીંદરપરીને’ તેમ જ ‘હુલુ હુ…લુ… હા..લ..રે’ જેવાં હાલરડાંનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે.

ન્હાનાલાલનું, મોંઘામૂલો છે મારો વીર … પ્રસિદ્ધ હાલરડું હતું. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે … એ આજના સમયનું પ્રચલિત હાલરડું છે. એની સામે દીકરી માટે ય હાલરડું લખાયું, દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર …! મનહર ઉધાસે આ ગીત ઘણું લોકપ્રિય બનાવ્યું.

કવિ મકરંદ દવેએ દીકરી માટે ઉચ્ચ પ્રકારનું હાલરડું રચ્યું, જનનીની જોડ સખી નહીં જડે રે લોલના ઢાળમાં ગાઈ શકાય તેવું :

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે રે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
પુત્રી તો આપણી પુનાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ …

અલબત્ત, આ બધાં પોઢાડવાનાં હાલરડાં સામે બાળકને જગાડવાનું હાલરડું તો વિશ્વભરમાં માત્ર આ એક જ હશે. એટલે જ કહેવાયું છે કે,

જનની જણ તો ભક્ત જણ, કાં દાતા, કાં શૂર,
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.

કહેવાનું તાત્પર્ય એ છે કે હાલરડાંમાં બાળકને ઉમદા માનવ બનાવવાની તાકાત છે. હજુ ય મોડું નથી થયું. સંતાનને શૂરવીર, ગુણવાન અને નિષ્ઠાવાન બનાવવું હોય તો હાલરડાં જરૂર સંભળાવજો.

આગામી રવિવારે આવતા માતૃદિનની મહિલા વાચકો, માતાઓને અઢળક શુભેચ્છાઓ.

————————-

આભમાં ઊગેલ ચાંદલો ને
                  જીજીબાઈને આવ્યાં બાળ
     બાળુડાને માત હીંચોળે
     ધણણણ ડુંગરા બોલે!
     શિવાજીને નીંદરું ના’વે
     માતા જીજીબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે
     રામ-લખમણની વાત
                 માતાજીને મુખ જે દિ’થી
                 ઊડી એની ઊંઘ તે દીથી. − શિવાજીને.

પોઢજો રે, મારા બાળ !
     પોઢી લેજો પેટ ભરીને આજ
                કાલે કાળાં જુદ્ધ ખેલાશે
                સૂવા ટાણું ક્યાંય નૈ રે’શે. − શિવાજીને

ધાવજો રે, મારાં પેટ !
     ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
                રે’શે નહીં, રણઘેલૂડા !
                ખાવા મૂઠી ધાનની વેળા. − શિવાજીને.

પે’રી-ઓઢી લેજો પાતળાં રે !
    પીળાં લાલ પીરોજી ચીર
                કાયા તારી લોહીમાં ના’શે
                ઢાંકણ તે દિ’ ઢાલનું થાશે. − શિવાજીને.

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી
    ફેરવી લેજો આજ!
               તે દિ’ તારે હાથ રે’વાની
               રાતી બંબોળ ભવાની. − શિવાજીને.

લાલ કંકુ કેરા ચાંદલા ને
    ભાલે તાણજો કેસરા-આડ્ય
               તે દિ’ તો સિંદોરિયા થાપા
               છાતી માથે ઝીલવા, બાપા.− શિવાજીને.

માતાપિતા ચોડે ચૂમીઓ, રે બાળા !
    ઝીલજો બેવડ ગાલ
              તે દિ’ તારાં મોઢડાં માથે
              ધૂંવાધાર તોપ મંડાશે. − શિવાજીને.

આજ માતાજીની ગોદમાં રે
   તુંને હૂંફ આવે આઠ પો’ર
            તે દિ’ કાળી મેઘલી રાતે
            વાયુ ટાઢા મોતના વાશે. − શિવાજીને.

આજ માતા દેતી પાથરી રે
    કૂણાં ફૂલડાં કેરી સેજ
            તે દિ’ તારી વીર-પથારી
            પાથરશે વીશ-ભુજાળી. − શિવાજીને.

આજ માતાજીને ખોળલે રે
    તારાં માથડાં ઝોલે જાય
            તે દિ’ તારે ઓશીકાં
            મેલાશે તીર- બંધૂકાં. − શિવાજીને.

સૂઈ લેજે, મારા કેસરી રે !
    તારી હિંદવાણું જોવે વાટ
           જાગી વે’લો આવ, બાળુડા !
           માને હાથ ભેટ બંધાવા.

           જાગી વે’લો આવજે, વીરા !
           ટીલું માનાં લોહીનું લેવા.

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજજીબાઈ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે!

[1928]

• કવિ : ઝવેરચંદ મેઘાણી  • સંગીતકાર : હેમુ ગઢવી   • ગાયક : ચેતન ગઢવી

અહીં હેમુ ગઢવીને કંઠે માણીએ :

http://www.jhaverchandmeghani.com/voice/HG-shivaji.mp3

—————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=496472

Loading

ઇલેક્ટોરલ બોન્ડ : રાજકીય ફંડફાળાની પારદર્શિતાનો સવાલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 May 2019

૧૯૫૧ની પહેલી લોકસભાનો ચૂંટણી ખર્ચ ૧૦.૪૫ કરોડ હતો. ૨૦૧૯ની સત્તરમી લોકસભાનો ચૂંટણી ખર્ચ અ-ધ-ધ— વધીને ૭,૦૦૦ કરોડ થવાનો અંદાજ છે.

યાદ રહે આ તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાછળનો સરકારી ખર્ચ છે, તેમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા થતો ખર્ચ સામેલ નથી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ વખતે તે ૫૦ થી ૬૦ હજાર કરોડને આંબી જવાનો અંદાજ છે. રાજકીય પક્ષો આટલો મોટો ખર્ચ કઈ રીતે કરે છે, અને તેના આવકના સ્ત્રોત ક્યા છે તે કાયમ રહસ્ય રહ્યું છે. જાહેર હકીકત એ પણ છે કે રાજકીય પક્ષોને પોલિટિકલ ફંડિંગ મોટા ઉદ્યોગગૃહો અને કોર્પોરેટ્સ તરફથી મળે છે. દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષનો દાવો કરતો હાલનો સત્તાપક્ષ પણ કંઈ તેની વિશાળ સભ્ય સંખ્યાના આર્થિકબળથી નહીં, ઉદ્યોગપતિઓના રાજકીય દાનથી લખલૂટ ખર્ચ કરે છે. આ બાબતમાં ડાબેરી પક્ષોને બાદ કરતાં કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી.

લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૨૯(બી)માં, રાજકીય પક્ષોને દાનની જોગવાઈ છે પણ રાજકીય પક્ષોને મળતાં  દાન હંમેશાં વિવાદનો મુદ્દો બન્યાં છે. જે ઉદ્યોગગૃહો દાન કરે છે તે નિરપેક્ષ ગુપ્ત દાન તો કરતા નથી જ. એટલે રાજકીય ફંડફાળાની પારદર્શિતા અને જવાબદારીનો સવાલ ઊઠે છે. જાન્યુઆરી ૨૦૧૭માં દિલ્હીમાં મળેલા ભા.જ.પ.ના રાષ્ટ્રીય સંમેલનમાં વડાપ્રધાને રાજકીય પક્ષોને મળતા દાનની પારદર્શિતાની જિકર કરી હતી. તે પછી ૨૦૧૭-૧૮ના કેન્દ્રીય અંદાજપત્રમાં રાજકીય પક્ષોના દાન માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજનાની ઘોષણા કરવામાં આવી. ૨જી જાન્યુઆરી ૨૦૧૮થી અમલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનાની પારદર્શિતા સામે જ હવે સવાલ ઊઠ્યો છે અને ભર લોકસભા ચૂંટણી વચાળે દેશની સર્વોચ્ચ અદાલતે તેની કાયદેસરતા અને પારદર્શિતા ચકાસવાના આદેશ કર્યા છે.

એકાદ વરસથી અમલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનામાં રૂ. એક હજારથી એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ સ્ટેટ બેન્કની પસંદગીની ૨૯ શાખાઓમાંથી મેળવી શકાય છે. આ બોન્ડ બેરર ચેક ગણી શકાય તેવા છે. તેમાં બોન્ડ ખરીદનારે બેન્કમાં કેવાયસી કહેતાં પોતાના નામ ઠામની પૂરી વિગતો આપવાની હોય છે. સંપૂર્ણપણે બેંકિંગ પ્રણાલીને આધીન રહીને બોન્ડ ખરીદવાના હોય છે. જે રાજકીય પક્ષને બોન્ડ આપવામાં આવે તેણે ૧૫ દિવસની મર્યાદામાં આ બોન્ડ પોતાના બેન્ક ખાતામાં ભરી દેવાના હોય છે. જે વ્યક્તિ કે સંસ્થા આ બોન્ડ ખરીદે છે અને રાજકીય પક્ષને દાન કરે છે, તેણે પોતાના આવક જાવકના હિસાબોમાં તે દર્શાવવાના હોય છે. જો કે બોન્ડ ખરીદનારનાં નામો ગોપનીય રાખવાની જોગવાઈ છે. બહુ જ પારદર્શી અને ઉપરથી રૂપાળી લાગતી આ યોજના ભારે છેતરામણી છે, અને સત્તા પક્ષને જ લાભ કરી આપનારી છે.

એટલે નાણા ખરડા દ્વારા અને ચાર કાયદામાં સંશોધન કરીને લવાયેલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનાની બંધારણીયતાને એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, કોમન કોઝ અને સી.પી.આઈ.(એમ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજદારોની માંગણી તો ઇલેક્ટોરલ બોન્ડ પર સ્ટેની હતી, પણ સર્વોચ્ચ અદાલતે તમામ રાજકીય પક્ષોને તેમને ૧૫મી મે સુધી મળેલા ઇલેક્ટોરલ બોન્ડની નામ સહિતની વિગતો ચૂંટણી પંચને બંધ કવરમાં આપવાનો આદેશ કર્યો છે અને એક બંધારણી બેન્ચ ઇલેક્ટોરલ બોન્ડની બંધારણીયતા ચકાસવાની છે. ચૂંટણી પંચ પણ ઇલેક્ટોરલ બોન્ડમાં રખાતી ગોપનીયતાને સ્વીકારતી નથી અને તેણે અદાલત સમક્ષ આ બાબાત સ્પષ્ટ રીતે કહી છે. તો સરકાર વતી એટર્ની જનરલની બહુ વિચિત્ર દલીલ હતી કે મતદાર કહેતાં નાગરિકને તેના ઉમેદવાર અંગેની સઘળી વિગત જાણવાનો હક છે, પણ તેને ચૂંટણી લડવાનાં નાણાં કોણ આપે છે તે જાણવાનો હક નથી !

સરકાર શા માટે ઇલેક્ટોરલ બોન્ડથી રાજકીય પક્ષને દાન કરનારનાં નામો ખાનગી રાખવા માંગે છે તેનું એક કારણ એ છે કે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત વિગતો મુજબ માર્ચ ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન જે ૧,૪૦૭ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા, તેમાંથી ૯૯.૮ ટકા બોન્ડ રૂ. ૧૦ લાખ અને રૂ. ૧ કરોડ જેવી મોટી રકમોના હતા, અને તે પૈકીના ૯૫ ટકા ભા.જ.પ.ને મળ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી કમિશન સમક્ષ તેમની જે આવક દર્શાવે છે, તેમાંથી રાજકીય ફંડીગનો ૬૯ ટકા હિસ્સો અજ્ઞાત સ્ત્રોતોમાંથી આવ્યાનું જણાવે છે તેમ એ.ડી.આર.નો અહેવાલ કહે છે. લોકસભા ચૂંટણીના આ મહિનાઓમાં ઇલેક્ટોરલ બોન્ડ્સના વેચાણમાં ૬૦ ટકા જેટલો ધરખમ વધારો થયો છે. આ પરથી રાજકીય પક્ષો ખાસ કરીને સત્તા પક્ષ લોકસભા ચૂંટણીમાં રૂપિયાની જે રેલમછેલ કરી રહ્યો છે તેનાં કારણો સમજાય  છે.

અગાઉ ૨૦,૦૦૦ રૂપિયાના રાજકીય દાનનો સ્ત્રોત ગુપ્ત રાખવાની જોગવાઈ હતી. ચૂંટણી પંચે તેની મર્યાદા રૂ. ૨,૦૦૦/- કરાવી છે. પરંતુ હવે તો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મસ્સમોટી રકમો આપનારનાં નામો જ ગુપ્ત રાખવામાં આવે છે. અને દાન કરનાર પર કોઈ પક્ષપાતના આક્ષેપો ન થાય તેવું બહાનુ આગળ ધરાય છે. ચૂંટણી ખર્ચની મર્યાદા વધારાઈ છે તો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચનો સમાવેશ થતો નથી. વળી રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચની કોઈ સીમા પણ બાંધવામાં આવી નથી. કોર્પોરેટર ફંડને છૂટ આપવામાં આવી છે તો વિદેશી ફંડને પણ મંજૂર રખાયું છે. ૧૯૭૬ પૂર્વેના કોઈ વિદેશી ફંડની તપાસ ન કરવાની પણ જોગવાઈ છે. કોર્પોરેટ ફંડની સીમા ખતમ કરી તેને ટેક્સમાં છૂટ આપી છે . આ બધાં કારણોને લીધે ચૂંટણીઓ વધુ ખર્ચાળ અને કાળાં નાણાંના ઉપયોગની બની છે.

જ્યાં સુધી રાજકીય ફંડનો સવાલ છે તમામ રાજકીય પક્ષો આ મુદ્દે ખોરી દાનત ધરાવે છે. ક્યારેક ઉમેદવારોને સંપૂર્ણ ચૂંટણી ખર્ચ સરકાર આપે તેવી પણ માંગણી થાય છે. તો પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશીની રાષ્ટ્રીય ચૂંટણી કોશની રચના કરી તેમાંથી રાજકીય પક્ષોને મળેલા મતોની ટકાવારી પ્રમાણે ફંડ આપવાની યોજનાની તરફેણ થાય છે. કૉન્ગ્રેસ તેના ચૂંટણી ઘોષણાપત્રમાં ઇલેક્ટોરલ બોન્ડ યોજના ખતમ કરવાનું વચન આપે અને ભા.જ.પ. મતદારના રાજકીય ફંડના સ્ત્રોત જાણવાના અધિકારનો જ ઈન્કાર કરે તેની વચ્ચે મુક્ત અને ન્યાયી ચૂંટણી મતદાર ઝંખે છે. 

(તા.૦૮-૦૫-૨૦૧૯ના “સંદેશ” અખબારની ‘ચોતરફ’ કોલમમાં પ્રગટ)

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...2,9132,9142,9152,916...2,9202,9302,940...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved