Opinion Magazine
Number of visits: 9968645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુદેવ અને ગુજરાતનું ગાંઠબંધન

દીપક મહેતા|Opinion - Literature|11 May 2019

કાળચક્રની ફેરીએ

મે મહિનો એટલે કવીન્દ્ર રવીન્દ્ર(નાથ)ના પ્રાગટ્યનો મહિનો. દેશના પૂર્વ કિનારે રચાયેલા રવીન્દ્ર-સાહિત્યનો પશ્ચિમ કિનારે આવેલા ગુજરાત પર એવો તો પ્રભાવ પડ્યો કે એક જમાનામાં થોડુંઘણું બંગાળી ન આવડતું હોય તે વરણાગી (ફેશનેબલ) ગણાય નહિ એવી સ્થિતિ હતી. ૧૯૪૮માં રજૂ થયેલી એક ગુજરાતી ફિલ્મમાં પોતાની નવપરિણીત ભાભીને નાની નણંદ એક ગીતમાં કેટલીક સલાહ આપે છે. ભાભી છે જુનવાણી પરંપરાની, આજની ભાષામાં કહીએ તો મણિબહેન. પતિની અપેક્ષા ફેશનેબલ પત્નીની છે. નણંદને આ વાતનો ખ્યાલ આવી ગયો છે એટલે તે એક ગીતમાં કહે છે: “તમે થોડાં થોડાં થાવ વરણાગી” અને વરણાગી (ફેશનેબલ) બનવા માટે શું શું કરવું તેની નાનકડી યાદી પણ આપે છે. તેમાં કહે છે: “થોડું બંગાળી ને અંગ્રેજી બહુ ભણો.” એટલે કે એક જમાનામાં ગુજરાતી યુવતીએ મોર્ડન ગણાવું હોય તો થોડું બંગાળી તો જાણવું પડે એમ મનાતું.

ભૌગોલિક રીતે ગુજરાત અને બંગાળ સામસામે છેડે, છતાં કોણ જાણે કેમ, બંગાળી ભાષા અને સાહિત્ય માટે ગુજરાતના મનમાં સારું એવું મમત્વ. ગુરુદેવ ટાગોરને ૧૯૧૩માં ગીતાંજલિ માટે નોબેલ પ્રાઈઝ મળ્યું તે સાથે દેશ અને દુનિયાનું ધ્યાન ટાગોર અને સાહિત્ય તરફ ગયું. પણ બંગાળી ભાષા-સાહિત્ય સાથેનો જ નહિ, ટાગોર અને તેમના સાહિત્ય સાથેનો ગુજરાતનો નાતો ૧૯૧૩ કરતાં ઘણો પહેલાંનો છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આ સંબંધની શરૂઆત થયેલી. બંગાળના બ્રહ્મોસમાજની સીધી અસર નીચે મુંબઈમાં આત્મારામ પાંડુરંગે ૧૮૬૭માં પ્રાર્થના સમાજની સ્થાપના કરી. તેમાંથી પ્રેરણા લઈને ૧૮૭૧ના ડિસેમ્બરની ૧૭મી તારીખે ભોળાનાથ સારાભાઈએ અમદાવાદમાં પ્રાર્થના સમાજની શરૂઆત કરી. બ્રહ્મોસમાજના સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત જ્ઞાતિપ્રથાના અસ્વીકારનો હતો. પણ તે વખતે હજી પશ્ચિમ ભારતના લોકો તે માટે તૈયાર નહિ થાય એમ લાગવાથી પ્રાર્થના સમાજે એ સિદ્ધાંતથી દૂર રહેવાનું પસંદ કર્યું. તેના અનુયાયીઓ દર રવિવારે એકઠા મળીને નિરાકાર, નિર્ગુણ ઈશ્વરની – કોઈ મૂર્તિની નહિ – પ્રાર્થના કરતા તેથી નામ આપ્યું પ્રાર્થના સમાજ.

નારાયણ હેમચંદ્ર (૧૮૫૫-૧૯૦૯) નામના એક વિચિત્રવીર્ય લેખક ભોળાનાથભાઈના મિત્ર હતા. તેઓ એક  બંગાળી કુટુંબમાં ઉછર્યા હોવાથી તેમને  બંગાળી ભાષાની થોડી જાણકારી હતી. આજે તો તેમનું નામ અને કામ ભૂલાઈ ગયું છે, પણ બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી આ નારાયણ હેમચન્દ્રે. ૧૮૮૦માં ‘આર્યધર્મનીતિ’નો તેમનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો. બ્રહ્મોસમાજના આ પુસ્તકમાં નીતિબોધ વિશેના કેટલાક સંસ્કૃત શ્લોકો અને તેનો બંગાળી અનુવાદ આપ્યો હતો. નારાયણે મૂળ સંસ્કૃત શ્લોક જેમના તેમ રાખી બંગાળી પરથી તેનો ગુજરાતી અનુવાદ કરીને મૂક્યો. પછી દેવેન્દ્રનાથ ઠાકુર(રવીન્દ્રનાથના પિતા)નાં બ્રહ્મોસમાજ વિશેનાં કેટલાંક વ્યાખ્યાનોનો નારાયણે કરેલો ગુજરાતી અનુવાદ ૧૮૮૨માં પ્રગટ થયો. એ જ વર્ષે ‘બ્રહ્મધર્મ મતસાર’નો તેમનો અનુવાદ પણ પ્રગટ થયો. તેમાં બ્રહ્મોસમાજમાં ગવાતાં બંગાળી ભજનોનો ગુજરાતી અનુવાદ આપ્યો હતો. વખત જતાં નારાયણ બ્રહ્મોસમાજ સિવાયનાં બંગાળી પુસ્તકોનો પણ અનુવાદ કરતા થયા. બંકિમચંદ્રની દુર્ગેશનંદિની, દેવીપ્રસન્ન રાયચૌધરીની સંન્યાસી અને શરદચંદ્ર જેવી નવલકથાઓ, જ્યોતિરીન્દ્રનાથ ટાગોર(રવીન્દ્રનાથના મોટા ભાઈ)નાં અશ્રુમતિ અને પુરુવિક્રમ જેવાં નાટકો વગેરે સાહિત્યકૃતિઓના અનુવાદ પણ નારાયણે આપ્યા. અલબત્ત, તેમનું બંગાળીનું જ્ઞાન મર્યાદિત હતું, અને ગુજરાતીમાં તેમને આડેધડ – જોડણી કે ભાષાશુદ્ધિની દરકાર કર્યા વગર – લખવાની ટેવ હતી. આ અંગે નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે: “ભાષાની બાબતમાં નારાયણનાં ભાષાંતરોમાં દોષ આવતા હતા. હેમાં એક ખાસ કારણ એ હતું કે હેને જેમ બને તેમ જલદી અને સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કરવાની ઉતાવળ અત્યન્ત ઘેલાઈભરેલી હતી. એક દિવસમાં એક ‘ફરમા’ જેટલું ભાષાન્તર કરવું જ એમ વ્રતનિયમ જેવું જ હેને હતું – અને એ એમ કરતો જ. હેના એક પુસ્તકનું ટૂંકુ અવલોકન લેતાં મ્હેં નારાયણના પ્રયાસને પુસ્તકોના ‘કારખાના’નું નામ આપ્યું હતું, તે શબ્દશઃ ખરું હતું.” (‘મનોમુકુર, ભાગ ૧) (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) તેથી આજે તેમના અનુવાદો સંતોષપ્રદ ન લાગે, પણ વખત જતાં જે રાજમાર્ગ બની ગયો તે બંગાળી-ગુજરાતી અનુવાદોની કેડી તો નારાયણ હેમચન્દ્રે કંડારી.

એટલું જ નહિ, ભોળાનાથભાઈને કારણે નારાયણ ટાગોર કુટુંબના પ્રત્યક્ષ પરિચયમાં પણ આવ્યા. બ્રહ્મોસમાજને કારણે ભોળાનાથભાઈ અને મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર વચ્ચે નિકટનો પરિચય. દેવેન્દ્રનાથ ૧૮૮૬માં જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને પાલનપુરથી ટ્રેનમાં અમદાવાદ લઇ આવવા ભોળાનાથભાઈએ નારાયણને મોકલેલા. અત્યંત અમીર એવા દેવેન્દ્રનાથ પોતાના અલાયદા સલૂનમાં પ્રવાસ કરતા અને તેમની ઈચ્છા પ્રમાણે તે સલૂનના ડબ્બાને કોઈ પણ ટ્રેન સાથે જોડવા-છોડવામાં આવતો. નારાયણે તેમની સાથે અમદાવાદ સુધીની મુસાફરી કરી. અમદાવાદથી દેવેન્દ્રનાથ મુંબઈ જવાના હતા. ત્યાં તેમને માટે બંગલો ભાડે રાખવા ભોળાનાથભાઈએ બીજે જ દિવસે નારાયણને મુંબઈ મોકલ્યા. નારાયણે મુંબઈના વાંદરામાં બંગલો ભાડે રાખ્યો. દેવેન્દ્રનાથ ત્યાં રહ્યા ત્યાં સુધી રોજ નારાયણ તેમને મળવા જતા. એ દરમ્યાન સત્યેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ પિતાને મળવા મુંબઈ આવેલા ત્યારે નારાયણને તેમનો પણ પરિચય થયેલો. રવીન્દ્રનાથી ઉંમર એ વખતે ૨૫ વર્ષ. ‘હું પોતે’ નામની આત્મકથા(ઈ.સ. ૧૯૦૦)માં નારાયણ રવીન્દ્રનાથ વિષે લખે છે: “તે વિદ્વાન, સરળ સ્વભાવના તથા ધાર્મિક છે. તેઓની જોડે વાત કરવામાં મને બહુ રસ પડ્યો. તેમનું બોલવું બહુ મધુર છે. તેઓ લાંબા વાળ રાખતા હતા. હાડે પણ હ્રુષ્ટપુષ્ટ છે. તેના મોં પર તેજ છે.” અલબત્ત, એ વખતે બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા નારાયણ એકલા નહોતા. તેમના ઉપરાંત છગનલાલ નારાયણભાઈ મેશ્રી, કૃપાશંકર દોલતરાય ત્રવાડી, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, કૃષ્ણરાવ ભોળાનાથ, અને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનો પણ સમાવેશ થાય છે.

એટલે ૧૯૧૩માં જ્યારે ગુરુદેવને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે બંગાળી ભાષા-સાહિત્ય કે ટાગોર કુટુંબ પણ ગુજરાત માટે અજાણ્યાં નહોતાં. હકીકતમાં ૧૭ વર્ષની ઉંમરે રવીન્દ્રનાથ પહેલી વાર અમદાવાદમાં કેટલોક વખત રહ્યા હતા. તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જે સૌથી પહેલા ભારતીય સિવિલ સર્વન્ટ (ICS) હતા તેમની અમદાવાદના કમિશ્નર તરીકે નિમણૂક થઇ હતી. તે દરમ્યાન ૧૮૭૮માં તેમના શાહીબાગ(જે શાહજહાંના મહેલ તરીકે પણ ઓળખાતો)ના આવાસમાં રવીન્દ્રનાથ રહ્યા હતા. સત્યેન્દ્રનાથનાં પત્ની અને બાળકો એ વખતે ઇન્ગલન્ડ ગયાં હતાં. રવીન્દ્રનાથ અને સત્યેન્દ્રનાથ પણ થોડા વખત પછી ત્યાં જવાના હતા. એ વખતે સત્યેન્દ્રનાથ તો આખો દિવસ ઓફિસમાં હોય. વિશાળ બંગલામાં રવીન્દ્રનાથ એકલા જ હોય. અહીંના વસવાટ દરમ્યાન જ ગુરુદેવે પહેલવહેલી વાર પોતાનાં કેટલાંક ગીતોને પોતે જ સ્વરબદ્ધ કર્યાં હતાં. આમ, વખત જતાં રવીન્દ્રસંગીત તરીકે પ્રખ્યાત થયેલી તેમની પ્રવૃત્તિનો પ્રારંભ અમદાવાદમાં ૧૮૭૮માં થયો હતો. જીવનસ્મૃતિ (૧૯૧૨) નામની આત્મકથામાં ગુરુદેવ લખે છે: “ચાંદની રાતે વિશાળ અગાશીમાં હું આંટા માર્યા કરતો. અગાસીમાંથી નદી દેખાતી. આમ આંટા મારતી વખતે મેં પહેલી વાર મારાં પોતાનાં ગીતોને સંગીતમાં ઢાળ્યાં. તેમાંનું એક ગીત તો આજે પણ મારા કાવ્ય સંગ્રહમાં સમાવેશ પામ્યું છે.”

એક અગ્રણી ભારતીય કવિ તરીકે જગપ્રસિદ્ધ થયા પછી ગાંધીજીના આમંત્રણથી ગુરુદેવ ૧૯૨૦માં અમદાવાદ આવ્યા હતા અને એપ્રિલની ૨,૩,૪ તારીખે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં ગાંધીજીની સાથે હાજરી આપી હતી. મૂળ યોજના અધિવેશન પ્રેમાભાઈ હોલમાં રાખવાની હતી, પણ ગુરુદેવની હાજરીને કારણે ઘણા વધારે લોકો અધિવેશનમાં આવશે એમ જણાતાં અંબાલાલ સારાભાઈના આનંદ થિયેટરમાં અધિવેશન યોજાયું હતું.

પહેલા દિવસે બપોરની બેઠકમાં ગુરુદેવને માનપત્ર આપવામાં આવ્યું હતું જે આનંદશંકર ધ્રુવે વાંચી સંભળાવ્યું હતું. તેના જવાબમાં ટાગોરે કન્સટ્રકશન વર્સિસ ક્રિએશન નામનું છાપેલાં ૧૭ પાનાંનું અંગ્રેજી ભાષણ વાચ્યું હતું. અધિવેશનના બીજા દિવસે લાલ દરવાજા ગ્રાઉન્ડમાં ગુરુદેવે જાહેર પ્રવચન આપ્યું હતું. વિષય હતો, મેસેજ ઓફ સ્પ્રિંગ. ભાષણ પૂરું થતાં જ શ્રોતાઓમાંથી તેના ગુજરાતી અનુવાદ માટે માગણી થઇ. ગુરુદેવની સાથે મંચ પર આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા જેવા મહારથી સાહિત્યકારો બેઠા હતા. પણ તેમાંથી કોઈ અનુવાદ કરવા તૈયાર ન થયું. એ જોઈ મંચ પર બેઠેલા ગાંધીજીએ ભાષણની ટાઈપ કરેલી નકલ ટાગોર પાસેથી માગી, તેના પર એક નજર ફેરવી, અને પછી ઊભા થઈને સડસડાટ અનુવાદ કરી સંભળાવ્યો. અધિવેશનના છેલ્લા દિવસે સાંજે યોજાયેલી ગાર્ડન પાર્ટીમાં પણ ગાંધીજીની સાથે ટાગોર હાજર રહ્યા હતા. એ પાર્ટી દરમ્યાન ગુજરાતી ગીત-સંગીત-નૃત્ય પણ રજૂ થયાં હતાં. ’જળ ભરવાને ચાલો રે, મીઠડાં જળ ભરવા’ ગરબો જોઈ ગુરુદેવ અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા. ગુરુદેવે કહ્યું હતું: “આ ગરબો ગાનારી બહેનોને મારે ત્યાં શાંતિનિકેતન મોકલો. હું તેમની પરોણાગત રજવાડી ઠાઠમાઠથી કરીશ. અમારી દીકરીઓ તેમની પાસેથી ગરબા શીખી લે પછી તમારી બહેનોને હું તરત પાછી મોકલીશ.” 

ગુરુદેવ અને ગુજરાતનું જે ગાંઠબંધન ૧૯મી સદીનાં છેલ્લાં વર્ષોમાં બંધાયું તે આજ સુધી અતૂટ રહ્યું છે. તાજેતરમાં જ શ્રી જયંત મેઘાણીએ ટાગોરના ઉત્તમ અનુવાદનાં ચાર પુસ્તકો આપણને આપ્યાં છે: સપ્તપર્ણી, રવીન્દ્ર-પત્રમધુ, અનુકૃતિ, અને રવીન્દ્ર સાન્નિધ્યે. આપણી ભાષાનું એ સદ્ભાગ્ય છે કે રવીન્દ્રનાથનું સાન્નિધ્ય એને સતત રહેતું આવ્યું છે. છેક ૧૯૩૬માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું તે આજે પણ એટલું જ સાચું છે: “રવીન્દ્રનાથ એક સાહિત્યવારિધિ છે. કલાસૃષ્ટિના એ બ્રહ્માસમા છે. એમની કૃતિઓ કેવળ એક વારના વાચનનો વાર્તારસ આપીને ગોટલાંછોતરાં રૂપે ફેંકાઈ જનારી કેરીઓ નથી. એ તો અટલ રસની, ચિરાભ્યાસની, રાષ્ટ્રાભિરુચિને કણ કણ ઘડનારી રચનાઓ છે. માટે જ એના ગુજરાતી અનુવાદો ચિરકાલની આરાધનાથી અંકિત બનવા જોઈએ.”

સંદર્ભ:

૧. હું પોતે / નારાયણ હેમચન્દ્ર, ૧૯૦૦

૨. ગુજરાતી સાહિત્ય પરિષદ: છઠ્ઠા અધિવેશનનો અહેવાલ, ૧૯૨૧

૩. જીવનસ્મૃતિ / રવીન્દ્રનાથ ટાગોર, અનુ. રમણલાલ સોની,૧૯૬૦

૪. Tagore in Ahmedabad/Shailesh Parekh. Kolkata, Vishwa-Bharati, 2008

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com 

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, મે 2019]

Loading

‘સાર્થક જલસો’ છમાસિક એટલે અવનવી તાજગીસભર વાચનસામગ્રીનો ભરપૂર ચિત્રો સાથેનો ખજાનો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 May 2019

ગુજરાતીમાં અત્યારે ઓછા જોવા મળે તેવાં વિષયો અને લંબાણ ધરાવતાં સ્વકથનો, ચરિત્રલેખો, પ્રવાસવર્ણનો, સંશોધનલેખો નિષ્ઠાપૂર્ણ સંપાદકીય માવજતથી ‘જલસો’માં છ વર્ષથી પ્રસિદ્ધ થાય છે  

છમાસિક ‘સાર્થક જલસો’નો બારમો અંક શનિવારે બહાર પડ્યો.

‘જલસો’ અત્યારે ગુજરાતીમાં ભાગ્યે જ મળે તેવું અવનવું અને તાજગીસભર વાચન પૂરું પાડે છે. એકદમ રંગબિરંગી ‘હટ કે’ મુખપૃષ્ઠ સાથેના દરેક અંકમાં, ભરપૂર ચિત્રસામગ્રી અને માવજત કરેલાં લખાણો હોય છે. સાંપ્રત વિષય પર પણ કંઈક નોખું લખાણ આપવાની ‘જલસા’ની એક ખાસિયત આ નવા અંકમાં પણ મળે છે. જેમ કે, પુલવામાને પગલે શહાદત પરનાં માધ્યમ-ઘોંઘાટમાં સૌરવ આનંદનો ‘મારી શહીદયાત્રા’ લેખ મળે છે. તેમાં ભાવનાશાળી યુવા લેખકે પુલવામા પહેલાંના લશ્કરી સંઘર્ષોમાં મોતને ભેટેલા પંદર જવાનોના પરિવારોની પંજાબ, હરયાણા અને દિલ્હી જઈને લીધેલી રૂબરૂ મુલાકાતોનું બયાન છે. ખાનગી કંપનીમાં મિકૅનિકલ એન્જિનિયરની નોકરી છોડીને સૌરવે ફેબ્રુઆરી-માર્ચમાં કરેલી મુલાકાતો યુ-ટ્યુબ પર પણ મૂકી છે.

જલિયાંવાલા હત્યાકાંડ પર હમણાંના ઘણાં લખાણોની વચ્ચે આ વખતના ‘જલસા’માં ઉર્વીશ કોઠારીએ બનાવના બિલકુલ જુદાં પાસા પર લખ્યું છે. તેમણે સદી પહેલાં જલિયાંવાલા કાંડનાં બ્રેકીન્ગ ન્યૂઝ અને ફૉલોઅપ કેવી ધીમી ગતિએ થયા તે બતાવ્યું છે. નવા અંકમાં, જગમશહૂર ફ્રેન્ચ નવલકથા ‘લે મિઝરાબ્લ’ના પ્રકાશનની રોમાંચકથા ગ્રંથજ્ઞ જયન્ત મેઘાણીએ આલેખી છે, કળા-સંશોધન-દસ્તાવેજીકરણના જાણકાર ઉષાકાન્ત મહેતા પર વિજ્ઞાનના પૂર્વ અધ્યાપક પીયૂષ પંડ્યાનો ચરિત્રલેખ છે, સિત્તેરના દાયકાના યુવા સંગઠનોના કાર્યકરોમાંથી ‘રાષ્ટ્રસેવા-રાષ્ટ્રીય એકતાના જન્માક્ષર મેળવીને’ પતિ-પત્ની બનેલાં આઠ કર્મશીલ દમ્પતીઓ વિશે એવું જ નવમું યુગલ અશોક ભાર્ગવ-લતા શાહ લખે છે. અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન પરનાં એક પ્રકૃતિપ્રેમી એન્જિન ડ્રાઇવર ગણેશ કુલકર્ણીની અનુભૂતિયાત્રા પણ વાંચવા મળે છે. આ લેખો ગુજરાતીમાં તો પહેલવારકા છે.

સંપાદકીયોમાં શબ્દફેરે કહેવાયું છે તે મુજબ ‘વાચકોને બીજે ભાગ્યે જ વાંચવા મળે’ તેવા છે. ‘સાર્થક જલસો ન હોત તો આ લેખો લખાય જ નહીં’ એવો સંપાદકીય દાવો છે. તે માનવાનું મન થાય તેવા ઘણા લેખો દિવાળી 2013થી લઈને દર છ મહિને આવેલાં કુલ બાર અંકોના સવાસોની નજીક પહોંચતાં લખાણોમાં મળે છે. લેખની લંબાઈનું ધોરણ જાણે અહીં અસ્તિત્વમાં જ નથી. ચિત્રો સાથેનાં પાંચ-છ પાનાં સરાસરી છે, બાર-પંદરનો અપવાદ નથી, પચીસ-ત્રીસનું ગૌરવ છે : દરેકમાં ગુણવત્તાની શરતો લાગુ. લેખની ગુણવત્તા નક્કી કરનાર અને અનુભવસિદ્ધ મજૂરીથી તેમાં વધારો કરનાર સંપાદકો છે : ઉર્વીશ કોઠારી, દીપક સોલિયા, બીરેન કોઠારી અને છપાયેલાં નામ વિના ધૈવત ત્રિવેદી. સંપાદકમંડળની સજ્જતા અને રુચિસમૃદ્ધિના પુરાવા દરેક અંકમાંથી મળે છે. તેમાં તેમની પોતાની મહેનત તો છે જ, પણ સાથે દેશ અને દુનિયાના સામયિકોની સૃષ્ટિ સાથેનો તેમનું જોડાણ પણ વરતાય છે. ‘સાર્થક’ના અંકોમાં ‘વીસમી સદી’, ‘મૅડ’, ‘લાઇફ’, ‘ટાઇમ’, ‘ફિલ્મી દુનિયા’, ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’ ઇત્યાદિ યાદ આવે.

સંપાદકોની બીજી એક સિદ્ધિ એ છે કે તેમણે વીસથી એંશીની ઉંમરના અનેકવિધ વ્યવસાયો ધરાવતી, કહેવા જેવી વાત શેઅર કરવા મથતી કેટલી ય વ્યક્તિઓને તેમણે તદ્દન સહજ ભાવે, નિરપેક્ષ રીતે લખતી કરી છે. આ લખતા કરવાની તેમ જ લખાણોને મઠારવાની કામગીરી સહેલી નથી હોતી અને મોટાઈના ભાવ વગર તો સાવ થતી નથી હોતી. આપણા જાણીતા સામયિકોનાં સંપાદકોએ આ કામ વધારે પ્રમાણમાં કર્યું હોત તો આપણે ત્યાં લેખકોની અછત ઓછી હોત. ‘સાર્થક’ના દરેક અંકનાં પ્રેક્ષણીય નિર્માણમાં મુદ્રણનિષ્ણાત અપૂર્વ આશર અને કસબી એસ.એમ. ફરીદનો મોટો ફાળો હોય છે. ગુજરાતમાં વાચનસામગ્રીનું ધોરણે પ્રકાશન કરવાનાં જોખમનું આર્થિક પાસું કાર્તિક શાહ સંભાળે છે. 

‘ચોકઠાબદ્ધ ઓળખમાંથી બહાર નીકળવાની’ કોશિશ, ‘નવું પ્રવાહી અને ગતિશીલ સ્વરૂપ નીપજાવવાના પ્રયાસ’ પછી પણ ‘જલસા’ના બધા અંકમાં કેટલીક કૉમન બાબતો જોવા મળે જ છે. તેમાંથી એક તે ‘પોતાની વાત માંડતા લેખો’. તે એકંદરે આપવડાઈ કે ‘આઇ કૅપિટલ ન હોય તે રીતે’ અનેક સ્વરૂપે આવે છે. દલિત કર્મશીલ-અભ્યાસી ચંદુ મહેરિયા અને અગ્રણી લેખક રજનીકુમાર પંડ્યાની કલમે આવતા સીધા આત્મકથનાત્મક લેખો તો છે જ.

વ્યક્તિગત સંવેદનકથાઓ અને સાંભરણો છે : નાઝી યાતનાછાવણીમાંથી બચેલાં છ્યાંશી વર્ષનાં બે સન્નારીઓની ઝેક રિપપ્લિકમાં લીધેલી મુલાકાત (અનુષ્કા જોશી), અમદાવાદના પ્રબુદ્ધ મુસ્લિમ યુવાનની કશ્મકશ (શારીક લાલીવાલા), રસોઈના પ્રયોગો (આશિષ કક્કડ), મજૂરનાં અંતરની આગ (નરેશ મકવાણા), જ્ઞાતિભેદના ચાબખા (મૌલિક પટેલ), અવશેષ બનેલી પોળના નિવાસીની વેદના (પ્રણવ અધ્યારુ), ગોધરામાં ઘડતર (ચેતન પગી), તલોદ પાસેના રેલવે પાટા સાથે બચપણનાં સાત વર્ષની ભાઈબંધી (અમિત જોશી). કક્કડ ‘બેટર હાફ’ તેમ જ ગિરીશ પરમાર ‘કલર ઑફ ડાર્કનેસ’ ફિલ્મોનાં નિર્માણની, સલીલ દલાલ તેમના ‘આનંદ એક્સપ્રેસ’ અખબારની અને હિમાંશુ કિકાણી તેમના ‘સાયબર સફર’ માસિક નિર્માણની કથા માંડે છે. હેમન્ત મોરપરિયા એકંદર ઘડતર વિશે તો ધૈવત ત્રિવેદીની બાળપણના એક ચોટદાર અનુભવ વિશે લખે છે. જાહેર જીવનમાં સામેલગીરીનાં સ્વકથનોમાં મૂકી શકાય રમેશ ઓઝાના રામજન્મભૂમિ વિવાદના ઉકેલ, હસમુખ પટેલના ચૂંટણીમાં લોકઉમેદવાર અને બિપિન શ્રૉફના ગ્રામોત્થાનના કાર્ય માટેના પ્રયાસો. મહિલા પ્રવાસીઓએ એકલપંડે ખેડેલા પ્રવાસનાં વર્ણન ‘જલસા’નું અનન્ય પાસું ગણાય. તેમાં છે કેતકી જોશી (પ્રવાસ-પશ્ચિમ બંગાળ), જ્યોતિ ચૌહાણ (ઉત્તરાખંડ), કથક મહેતા (ગોવા અને અન્ય સ્થળો), છાયા ઉપાધ્યાય (અત્યારનું રશિયા) અને સાયકલપ્રવાસી રાજવી કોઠારી (વિયેટનામ, કમ્બોડિયા, થાઈલૅન્ડ). વિદેશવાસી હોવાના સહેજ પણ ભાર વિના પૂર્વી ગજ્જર કુવૈત અને આરાધના ભટ્ટ ઑસ્ટ્રેલિયાના વસવાટને નિરૂપે છે. ઇશાન ભારત (લતા-અશોક), લદ્દાખ (હર્ષલ પુષ્કર્ણા), નેવુંના દાયકાનું રશિયા (રાજીવ શાહ), ભૂતાન, ઇન્ગલેન્ડ અને નેધરલૅન્ડ(ઋતુલ જોશી)નાં પ્રવાસનાં અને; રવાન્ડા (વિસ્મય પરીખ) તેમ જ લંડન(આરતી નાયર)નાં નિવાસના લેખો છે. તેના લેખકો ગુજરાતી ટૂરિસ્ટો નહીં પણ સંવેદનશીલ વ્યક્તિઓ, સભાન નાગરિકો અને વિવિધ વિષયના અભ્યાસીઓ હોવાથી ‘જલસા’નું પ્રવાસલેખન જુદું પડે છે.

ચરિત્રલેખો પણ આ દ્વિવાર્ષિકનું  મહત્ત્વનું અંગ છે. તેમાં નાયકના જીવનકાર્યનો અભ્યાસ અને તેના તરફની કૃતજ્ઞતાનો સમન્વય થાય છે. કેટલાક લેખો છે : બકોર પટેલના સર્જક હરિપ્રસાદ વ્યાસ (ઉર્વીશ), લોકવિજ્ઞાન પ્રસારક રવજીભાઈ સાવલિયા (હર્ષલ), ‘એક તરબતર ઘટના’ એવા મરીઝ (જિજ્ઞેશ મેવાણી) કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટ, અનુવાદક નગીનદાસ પારેખ અને અજોડ સંપાદક યશવંત દોશી (હસિત મહેતા), સમાજવિદ્યાના અધ્યાપક તારાબહેન પટેલ (ગૌરાંગ જાની), ઇન્ગલેન્ડની કામદાર ચળવળનાં ગુજરાતી નેત્રી જયાબહેન દેસાઈ (કૅપ્ટન નરેન્દ્ર). હોમાઈ વ્યારાવાલા અને કલાગુરુ રવિશંકરનાં  વ્યક્તિત્વનાં પાસાં અનુક્રમે બિરેન કોઠારી અને વૃંદાવન સોલંકીએ તેમની સાથેના પત્રાચાર પરના લેખો થકી ઉપસાવ્યા છે. આપણા સમયના જે પાંચ વિશિષ્ટ વ્યક્તિઓનો અંતરંગ પરિચયની લાંબી મુલાકાતો છે તેમાં છે : મહેન્દ્ર મેઘાણી, પ્રકાશ ન. શાહ, નગેન્દ્ર વિજય, પ્રશાન્ત દયાળ અને દિવંગત ગિરીશ પટેલ.

સિનેમા પરના ચટપટિયા નહીં પણ અભ્યાસપૂર્ણ લેખો મળે છે. ફિલ્મ વિદ્વાન હરીશ રઘુવંશી હિન્દી સિનેમામાં ગુજરાતી વ્યક્તિઓની સૂચિ અને ‘અભરાઈ પર ચઢેલી ફિલ્મોનું આલબમ’ બતાવે છે. હિન્દી ફિલ્મોનાં વિલનોનાં નામની કહાણીઓ વર્ણવતો સલીલ દલાલનો લેખ અત્યંત રસપ્રદ છે. ફિલ્મોની જાહેરખબરોમાં ગાંધીજી નામની દુર્લભ પિક્ચર સ્ટોરી ઉર્વીશ આપે છે. રિચર્ડ એટનબરોનાં ‘ગાંધી’ ફિલ્મની સંખ્યાબંધ ભૂલો બતાવતો તેનો લેખ ઉત્તમ સંશોધનનો નમૂનો છે. અન્ય સંશોધનત્મક લેખોમાં સુશ્રુત પટેલનો ગુજરાતીમાં વિજ્ઞાનલેખન તેમ જ હેમંત દવેના ગુજરાતી શબ્દકોશો અને ગુજરાતી કક્કા પરના લેખો બતાવી શકાય. તેની સામે ધૈવતનાં સૌરાષ્ટ્રની બોલી પરનાં બે અદ્દભુત લલિત લેખો મળે છે. ફૉર ચેઇન્જ, ચાર મૌલિક કવિતાઓ અને બે પ્રતિકાવ્યો પણ છે. ઉર્વીશ-બિરેન હોય ત્યાં વિવિધ પ્રકારનાં લખાણો દ્વારા હળવાશ અને હાસ્ય ન હોય તો જ નવાઈ. ખીજ-નામ (અમિત), ખમણ (કિરણ જોશી), જમણ (બિરેન), ’મરમિયાં’ અને ‘ચિંતન ચૌદસની પ્રસાદી’ (અશ્વિન ચૌહાણ) જેવાં મજાનાં લખાણો મળે છે. પ્રકીર્ણ વર્ગમાં મૂકી શકાય તેવા લેખોની યાદી લાંબી છે.

જો કે ‘જલસા’ને માત્ર માહિતીની મિજબાની, સ્વકથનનું માધ્યમ કે ચિત્રોનું આલબમ બનાવતાં અટકાવે છે તે અત્યારનાં સમયનાં અનેક પાસાંને સ્પર્શતા શક્ય એટલી સરળ રીતે લખાયેલાં મૌલિક વિચાર-લેખો. જનરેશન ગૅપ, મા-દીકરીના સંકુલ સંબંધો, ડેટિન્ગ ઍપ્સ, ફેમિનિઝમ, સ્ટાર્ટઅપ પર લખનાર તેજસ્વી યુવતી આરતી ‘જલસો’ની શોધ છે. સર્વેલન્સ સંસ્કૃતિ, આધુનિકતા સામેની લડાઈઓ, એકવીસમી સદીમાં જ્ઞાતિવાદ એ  અર્બન પ્લાનિન્ગના સજ્જ યુવા અધ્યાપક ઋતુલના મહત્ત્વના લેખો છે. અર્થશાસ્ત્ર ભણાવનાર નિસબત ધરાવતા રંગકર્મી અધ્યાપક કાર્તિકેય ભટ્ટ શિક્ષણ વિશે અને  જાગ્રત રક્તદાતા બિનિત મોદી જીવનવ્યવહાર વિશે લખે છે. ઍક્ટિવિઝમ અને ઉદાત્ત હિન્દુત્વની શક્યતા વિશેના રમેશ ઓઝાના લેખો મહત્ત્વના છે. અનામતની જોગવાઈ વિશેના ચંદુ મહેરિયાના અને કોમવાદ વિશેના ઉર્વીશ કોઠારીના લેખોનું મોટું સંદર્ભ મૂલ્ય છે.

સાર્થકની દૃશ્ય સામગ્રી અલગ લેખનો વિષય છે. ખૂબ ઊંચી ગુણવત્તા સાથે જોવા મળતી હળવાશ પણ એક કૌતુક છે. અત્યારે આપણે ત્યાં વાચન-લેખનની જે હાલત છે તેમાં ‘સાર્થક જલસો’ આનંદ સાથેનું આશ્વાસન અને અંગુલીનિર્દેશ બંને છે. છઠ્ઠા અંકના સંપાદકીયના શબ્દપ્રયોગો ‘પુસ્તકો વંચાતાં નથી’નું વૃંદગાન’ અને ‘ભાષા મરવા પડી છે’નો કકળાટ’ નોંધપાત્ર એટલા માટે છે કે આ બંનેની વચ્ચેથી ‘જલસો’ રસ્તો કાઢે છે. ફીચર મૅગેઝીન, ડાયજેસ્ટ, ચિત્રાત્મક સામયિક જેવા અનેક પ્રકારોનો મેળાપ ‘જલસો’માં મળે છે. તેમાં વાચનનું ધન હોય છે. વિચારોની ધાર ધરાવતું વાચન પ્રશાંત દયાળના ‘વાત અનામતની’ લેખ, નીરવ પટેલની ‘પટેલ લાડુ’ જેવી કવિતા, ગિરીશ પટેલની મુલાકાત કે રમેશ ઓઝા અને ઋતુલના કેટલાંક લખાણોમાં મળે છે.

વૈચારિક ધારવાળા લેખો વધુ મળતા રહે એવી અપેક્ષા ‘સાર્થક જલસા’ પાસે રાખવી અસ્થાને ન ગણાય.  

*****

10 મે 2019

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

નવરંગપુરનો વાસીઃ સન એકવીસસો ચોર્યાસી

વિરાફ કાપડિયા|Opinion - Short Stories|10 May 2019

શ્રીમાન સોલી સબાવાલા ખીંટી પર લટકાવેલી ફેલ્ટ હેટ લેવા ગયા ત્યારે ઉપરની ભીંત પર જડેલી લટક મટક લોલકની ઘડિયાળ રાતના નવનો સમય બતાવતી હતી. હેટ પહેરી, બારી પાસે ખૂણામાં મૂકેલી વૉકિંગ સ્ટિક લઈ, બારણું વાસી એ પોતાની પ્રિય પ્રવૃત્તિ માટે તૈયાર થઈ ગયા. શહેરમાં રાતે લાંબી લાંબી લટારો મારવી એ એમનો મનગમતો ઉદ્યમ હતો.

સોલી સબાવાલા ચાર મહિના પહેલાં જ નવરંગપુર આવીને વસ્યા હતા. તે પહેલાંનો એમનો ઇતિહાસ આશ્ચર્યકારક છે, અને એક સદીથી પણ લાંબો છે. જી હાં, સદીથી પણ લાંબો, પણ એ બધી હકીકતોની એકવીસસો ચોર્યાસીના આજના જગતમાં કોઈને ખબર નથી.

જો ભૂતકાળના કેમેરાનું ફોકસ સોલી સબાવાલા પર લાવીને મૂકીએ તો કંઈ કેટલા ય જમાનાઓ પહેલાં એ હિમાલય તરફ પ્રયાણ કરી રહેલા દેખાશે. ભારત સરકાર તરફથી એમને એ જાણવા મોકલવામાં આવ્યા હતા કે હિમાલય પર માનવી કેટલા પ્રકારની ગંદકીઓ છોડી જાય છે અને તેની વાતાવરણ પર શી અસર થાય છે. ખાસ તો એવરેસ્ટ પર આરોહણ જ્યારથી એક રમત બની ગઈ હતી ત્યારથી અનેક પ્રકારની માનવીય મલિનતા ત્યાં વધી ગઈ હતી, જેના નિરાકરણનો ઉપાય તરત જ કાઢવો જરૂરી હતો.

પણ એ આવ્યા હતા કંઈ કરવા અને કરી બેઠા કંઈ બીજું. પોતાના સાથીઓનો ડેરો વટાવી એ હિમાલયની ઊંચાઈ પર જ્યાં દેવદારનાં ગીચ વનો હતાં ત્યાં પહોંચ્યા ત્યારે એક વિસ્મયવિલોકનીય ઘટના ઘટી. એમણે ૧૧૫ પ્રકોષ્ઠોનો એક મઠ જોયો. ત્યારે તો એ આગળ વધી ગયા પણ એક અઠવાડિયા પછી ફરી એ મઠ કોઈ બીજી જગ્યાએ ઊંચાઈ પર દેખાયો. હા એ જ મઠ હતો; એના જેવો બીજો કોઈ મઠ નહોતો. મઠના દરવાજા પર એક જબરજસ્ત તાળું હતું અને અંદર જટાધારીઓ વિહરતા હતા. જિજ્ઞાસુ અને બૌદ્ધિકવાદી માનસના એ માણસે મઠને દરવાજે લટકતા વજનદાર તાળાને ખેંચ્યું અને એ આપોઆપ ખૂલી ગયું. પછી એ મઠની ઇમારત તરફ ચાલ્યા અને એને પહેલે પગથિયે પગ મૂકતાં જ સીડી અને ઇમારત અને આખું દૃશ્ય બદલાઈ ગયું. એમણે પોતાને એક ઘણા જ સ્વચ્છ અને સુંદર ધોધની સામે ઊભેલા જોયા જ્યાં થોડાંક તરુણ-તરુણીઓ ધોધમાંથી પાણી સીધું વાટકામાં ભરી ભરીને પી રહ્યાં હતાં. નજીક ઊભેલા એક તરુણની પાસે જઈ સોલીએ પ્રણામ કર્યા અને પોતાની ઓળખાણ આપી.

ત્યારે એ સાલસ હૃદયના માનવી સાથે પ્રશ્નોત્તરી કરતાં સોલી સબાવાલાને ઘણી અજબ વાતો જાણવા મળી, જેનો સારાંશ આમ છેઃ આ લોકોનો નિવાસ કોઈ એક જ સ્થાન પર નથી હોતો; તમે થોડા સમય પછી આવો તો એ નિવાસ જ્યાં હતો ત્યાં તમને નહીં જડે. બહારના જગતના માનવીઓમાંથી કોઈકને જ એ મઠનાં દર્શન થાય છે. અને તે મનુષ્યને યથેચ્છા ત્યાં વસવાટ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. વળી એ નગરી કેવલ તરુણોની છે. ત્યાં રહેતા મનુષ્યો લહક નામનું પીણું પીને તરુણતા જાળવી રાખે છે, અને એમની ભોગ કરવાની શક્તિનો ક્યારેયે અંત આવતો નથી. જો કોઈ વ્યક્તિ છેવટે ભોગથી થાકીને અથવા કોઈ બીજા કારણે પણ કાયમ માટે બહારના જગતમાં જવાનો અંતિમ અને અફર ઇરાદો સેવે છે તો તેને તેમ કરેવાની પૂરેપૂરી છૂટ હોય છે.

અને બાળકોની વાત આવી ત્યારે એ સાલસ માનવીએ જણાવ્યું કે સ્ત્રી-પુરુષ જ્યારે સંયુક્ત રૂપથી ભોગ ત્યાગવાનો સંકલ્પ કરે છે ત્યારે તેઓ સંતાનની ઇચ્છા કરે છે. બાળક જન્મ્યા બાદ સ્ત્રી એક અન્ય લોકમાં, એકાંતલોકમાં, ચાલી જાય છે, જ્યાં પિતાનું આવવું અસંભવ છે. અને બાળક બોલતો થાય ત્યારે તેને ગુરુ કોટિની વ્યક્તિઓના સહવાસમાં વળી એક અન્ય લોકમાં મૂકી આવવામાં આવે છે, જ્યાં માતાપિતા માટે બાળકને મળવા જવાનો પણ નિયત સમય હોય છે. સંતાન તરુણ થઈ ગયા પછી તેમની સાથે આવીને રહી શકે છે.

એ સાલસ તરુણે સોલીને એક જળાશય આગળ લઈ જઈ નૌકામાં મૂકેલી સુરાહીમાંથી પેલું લહક પીણું એક કાચલીમાં રેડીને આપ્યું, જેને પીવાથી સોલીના કાન, ગર્દન અને આખું શરીર ગરમ થઈ ગયાં. પીણું બહુ સ્વાદિષ્ટ હતું, કેવડામાં પીસીને ઘોળેલી બદામ જેવો સ્વાદ હતો! પહાડની ઠંડીની સામે એ પીણાની ગરમી પર્યાપ્ત રક્ષણ આપતી અને હિમની મોસમમાં સહુ મઠની ઇમારતમાં જઈને રહેતા, જ્યાં એમના ભંડારો હતા.

એ ઇતિહાસ લાંબો છે, પણ ટૂંકમાં એ પછી સોલી ત્યાં જ રહી ગયા. બહારના જગત માટે સોલીનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું. ઘણી શોધ પછી પણ સોલીનો પત્તો ન જડ્યો ત્યારે સાથીદારોએ માની લીધું કે કોઈ પર્વતીય હોનારતમાં એમનું મૃત્યુ થયું હશે.

મઠવાસમાં જ્યારે દાયકાઓ પર દાયકાઓ વીતી ગયા ત્યારે સોલી સબાવાલાએ હૃદયમાં ઊંડે ઊંડે એક ઇચ્છાનો અંકુર ફૂટતો અનુભવ્યો. ધીમે ધીમે એમને બાહ્યજગતમાં જવાની ઇચ્છા કોરવા લાગી. રહી રહીને ઊમટતા એ અગમ ખેંચાણને જ્યારે સોલીએ માન આપ્યું ત્યારે મઠના વાસમાં સત્તર દાયકાઓની તરુણાઈ ગુજરી ચૂકી હતી. આપણે એમ ન કહીએ કે સોલી મઠવાસથી વિમુખ થઈ રહ્યા હતા, પણ કહીએ કે એ પૃથ્વીવાસની સન્મુખ થઈ રહ્યા હતા. એકવીસસો ચોર્યાસીના જૂનમાં એ નવરંગપુરમાં ઠરીઠામ થયા. અને હવે વર્તમાનના કેમેરાનું ફોકસ એમને લાંબી લાંબી લટારો મારવાની તૈયારીમાં ઘરથી નીકળતા બતાવી રહ્યું છે.

ફૂટપાથના પથ્થરિયા ચોસલા પર પગ મૂકી, આસપાસના ઘાસની નરમ સુંવાળપને વટાવી, એક હાથમાં વૉકિંગ સ્ટિક, બીજો હાથ તાલબદ્ધ ઝૂલતો, અને રાતની નીરવતામાં પગલાં ભરતાં આગળ વધવું એ બધું સોલી સબાવાલાને ઘણું જ ગમતું. થોડે છેટે માર્ગોના મિલનબિંદુ પર જઈ એ રસ્તો પસંદ કરતા — આજે ઊર્મિલ નદીનો રસ્તો લઈશ, કે આજે પરમહંસ પબ્લિક સ્કૂલ તરફ જઈશ.

પણ ખરેખર તો બધા જ રસ્તા સરખા હતા, એ સંસારમાં એકલા જ હતા. અને રસ્તો નિર્ધારિત થઈ જતાં એમનાં પોચાં ટેનિસ શૂઝ ધીમી પુચ પુચ કરતાં એની પર આગેકૂચ કરવા લાગતાં. એમણે એ પોચાં મંદરવ પગરખાં ખાસ તો એટલા માટે પસંદ કર્યાં હતાં કે ગલીગૂંચીમાં સૂતેલાં કૂતરાં ઊઠીને એમનો પીછો કરતાં ભસવા ન લાગે, કે કોઈ મકાનમાં એકાએક બત્તીનો ચમકારો ન થાય, કૌતુકભર્યા ચહેરાઓ કોઈ ઉઘાડી બારીઓમાં દેખા ન દે અને વિચારે નહીં કે અત્યારે વળી આ જનશૂન્ય નીરવતામાં કઈ દેહાકૃતિ એકલી અટૂલી અહીંથી પસાર થઈ રહી છે.

ખરેખર, રાતનું એ વિહરણ કોઈ સ્મશાનમાંથી ગુજરવા કરતાં કંઈ બહુ જુદું નહોતું. રસ્તાની બન્ને બાજુનાં મકાનો એમની અંધારઘેરી બારીઓ લઈને નિસ્તબ્ધ ઊભેલાં દેખાતાં, જેમના કાચ પાછળ બહુ ધીમા પ્રકાશની થોડીક લકીરો ઝબૂકતી જણાતી, યા તો પરદો હજી ખુલ્લો રહી ગયો હોય તેવા આવાસના અંદરના ઓરડામાં એકાએક કોઈ ઓળાનું હળવું હલનચલન નજરે પડતું, અથવા તો દાદરો ચડીને બારણા પાછળ ગુસપુસ કરાતી અફવાનો મર્મરધ્વનિ કોઈ કબરગાઢ મકાનની ખુલ્લી બારીમાંથી સંભળાતો.

આજના વિહરણમાં સોલીએ મધુવાસ ઉપવન તરફનો રસ્તો લીધો, જ્યાં જનેટિકલી મોડિફાઇડ ફૂલછોડનો એક આખો અલાયદો વિભાગ હતો. ત્યાં એક નવી જાતની રાતરાણી પણ હતી, અને તેની મંદ સુગંધ સોલીની ચાલમાં હમેશાં તરલતા ભરતી. સોલીએ ખ્યાલોના ખ્વાબમાં જ એ સુગંધ નાકમાં ઊંડે ખેંચી; છાની મસ્તીમાં હોઠોની નીચે ગીત ગણગણતા એ આગળ વધ્યા. એમણે ફૂટપાથ પર પડેલું એક પાકું જમરૂખ ઊંચક્યું અને રૂમાલમાં લપેટી ખીસામાં મૂક્યું.

‘સલામ, ઓ ભીતરવાસીઓ,’ એમણે જમણી કોરના મકાનો ભણી ફરીને કહ્યું. ‘કયો શો ચાલી રહ્યો છે? ચાણક્યની સિરીઝ કે ટીપૂ સુલતાનની? અને પેલા દીવાનખાનામાંથી શું મન્ના ડેનો અવાજ સંભળાઈ રહ્યો છે?’

રસ્તો એકદમ સૂનો અને ખાલીખમ હતો, ફક્ત એમનો કાળો પડછાયો હિમાલય પર મંડરાતા ગરુડની જેમ સરી રહ્યો હતો. એમણે નયન મીંચીને કલ્પનામાં હિમાલયની પેલી સૂની સળંગ તળેટી જોઈ અને આજુબાજુની જનશૂન્ય સડકોને તેની સાથે સરખાવી. આ ચાર મહિનાના વિહરણ દરમ્યાન એમને પગપાળા જતા એકે માણસનો ભેટો થયો નહોતો, એકેનો નહીં.

સોલી હવે માઇલો ચાલી ચૂક્યા હતા. મધુવાસ ઉપવનમાં ઘૂમી આવીને વિશાળ ચક્કર લગાવી ઘરની દિશામાં ચાલતા હતા. ડાબી તરફના મકાનમાં રસોડાની બારી પર બહુ બારીક પરદા હતા. એક આભાસી ઓળાએ રેફ્રિજરેટરનું બારણું ખોલ્યું, અને એકાએક અંધારાના જલરાશિમાં કોઈ મરજીવાએ ટોર્ચનો લીસોટો છોડ્યો હોય તેમ પ્રકાશ પથરાઈ ગયો. સોલીને લાગ્યું કે રેફફ્રિજરેટરના બારણામાં ખોસેલી પીણાની અને સૉસની બાટલીઓ તરવૈયાની પીઠે બાંધેલાં શ્વસનયંત્રનાં સિલિન્ડર હતાં.

એવા વિચારોમાં ચાલી રહેલા સોલી ઘરથી થોડા જ દૂર હશે તેટલાંમાં એક કાર ગલીમાંથી ટર્ન લઈને એમની સામેની દિશામાંથી પ્રકાશનો તીવ્ર પુંજ છોડતી આવી અને થોડે જ દૂર ચાલુ એન્જિને ઊભી રહી ગઈ. સોલી એકદમ અંજાઈ ગયા; સ્તબ્ધ થઈને થંભી ગયા.

ઘંટના નાદ જેવા સ્વરે એમને પોકાર્યા, ‘જ્યાં છો ત્યાં જ ઊભા રહો, એકદમ સ્થિર, જરાય હલશો નહીં.’

સોલી જડાઈ ગયા.

‘હાથ ઊંચે.’

‘પણ—‘ સોલીએ કહ્યું.

‘હાથ ઊંચે, નહીં તો ગોળી છૂટશે.’

સોલીને લાગ્યું કે આ સખત સ્વર કોઈ સરકારી સત્તાધારીનો છે. પોલીસનો જ છે. એમણે પેપરમાં વાંચ્યું હતું કે ગુનાઓની સંખ્યા ખૂબ ઘટી રહી હતી અને આ નાના નગરમાં હવે પોલીસની એક જ કાર રાખવામાં આવી હતી, જે રાતની ખાલીખમ સડકો પર ચક્કર ખાતી ફર્યા કરતી.

‘તમારું નામ?’ પોલીસની કારે ઘંટનાદના સ્વરમાં પૂછ્યું. કારની અંદર કોણ છે એ સોલી તીવ્ર પ્રકાશમાં જોઈ શક્યા નહીં.

‘બોલો તો.’

‘સોલી સબાવાલા.’

‘શું કહ્યું? એ કઈ જાતનું નામ? કયા ધરમનું?’

‘પારસી.’

‘પારસી?’ થોડીક ક્ષણો વીતી ગઈ. કારમાંથી કીબૉર્ડના બટન દબાવા જેવો ઠક ઠક અવાજ આવતો સંભળાયો. ‘અમારી જાણકારી પ્રમાણે એવો ધરમ અત્યારે પ્રચલિત નથી.’ પછી સ્વગત બોલાતા શબ્દો સંભળાયા, ‘ધરમ– કોઈ નહીં.’

સોલી ચુપ રહ્યા. એમને લાંબી વાતોમાં પડવાની કોઈ ઇચ્છા નહોતી.

‘વ્યવસાય શું?’

‘માની લો કે લેખક.’

‘વ્યવસાય — કોઈ નહીં.’ પોલીસની કારે કહ્યું. સોલીના વક્ષ પર સીધી પડી રહેલી હેડલાઇટે એમને મ્યુઝિયમના કોઈ વિરલ નમૂનાની જેમ જકડી રાખ્યા હતા.

‘હા, બરાબર,’ સોલી સબાવાલાએ કહ્યું. એમણે પૃથ્વીવાસમાં આવ્યા પછી કશું લખ્યું નહોતું, અને તે પહેલાં મઠવાસમાં જ્યારેત્યારે જે કંઈ લખ્યું હતું તેનો પૃથ્વીવાસમાં કોઈ ખપ નહોતો. અરે, સામયિકો ને પુસ્તકો તો હવે અહીં વેચાતાં જ નહોતાં. રાતે બધું કબરગાઢ ઘરોમાં જ ગુજરતું; ટીવીના ઝબૂકતા પ્રકાશથી દીપ્ત કબરોમાં લોકો મૃતકની જેમ બેસતાં, અને રંગબેરંગી રોશની એમના ચહેરાઓને સ્પર્શી જતી, પણ ખરેખર તો એમને સ્પર્શતી જ ક્યાં હતી?

‘કોઈ વ્યવસાય નહીં.’ ગ્રામોફોન જેવા સ્વરે કહ્યું, અને જીભની ટચ ટચનો ઉમેરો કર્યો. ‘તમે અહીં બહાર કરો છો શું?’

‘ચાલું છું.’

‘ચાલો છો?’

‘હા, બસ ચાલું છું,’ સોલીએ કહ્યું.

‘ચાલો છો, બસ ચાલો છો?’

‘હા જી.’

‘પણ ચાલીને જાવ છો ક્યાં? ને શા માટે?’

‘હવા ખાવા ચાલું છું, જોવા માટે.’

‘તમારું એડ્રેસ?’

’નિર્માણ કોટેજ, ૨૬ દિવ્યાનંદ રોડ.’

‘અને તમારા ઘરમાં હવા છે? એર-કન્ડીશનર છે, શ્રીમાન સબાવાલા?’

‘હા.’

‘અને તમારી પાસે જોવા માટે ટીવી છે?’

‘નહીં.’

‘નહીં?’ અને પછી જે ચચરતી ચુપકીદી છવાઈ તે સ્વયં એક આરોપ જેવી હતી.

‘તમે પરણેલા છો, શ્રીમાન સબાવાલા?’

‘નહીં.’

‘અપરિણીત,’ સળગતા પ્રકાશની પાછળથી પોલીસના સ્વરે કહ્યું. ચંદ્ર તારાઓ વચ્ચે સ્પષ્ટ દેખાતો હતો, અને ઘરો સ્તબ્ધ અને ભૂખરાં અન્યમનસ્ક ઊભાં હતાં.

‘હજુ એવું કોઈ મળ્યું નથી,’ સોલીએ સ્મિત કરીને કહ્યું.

‘તમને બોલવા કહીએ ત્યારે જ બોલવું, સમજ્યા?’

સોલી અંધકારને ભેદતા જલદ પ્રકાશની લાઇન પર સુકાવા મૂકેલા કપડા સમા લટકતા હતા.

‘બસ ખાલી ચાલો છો, શ્રીમાન સબાવાલા?’

‘હા.’

‘પણ તમે એનું કારણ તો જણાવ્યું નહીં.’

‘મેં કહ્યું તો ખરું; હવા ખાવા, જોવા, ને બસ ફરવા.’

‘આવું તમે વારંવાર કર્યું છે?’

‘રોજ રાતે કેટલાયે વખતથી.’

પોલીસની કાર સડકની વચ્ચોવચ રેડિયો કૉમ્યુનિકેશનનો ધીમો અવાજ રેલાવતી ઊભી હતી.

‘વારુ, શ્રીમાન સબાવાલા,’ કારે કહ્યું.

‘તો પછી હું જાઉં?’ એમણે વિનયથી પૂછ્યું.

‘હંઅઅ — જવાનું નથી, આવવાનું છે.’ અને ધડાક કરતું કારનું પાછલી સીટનું બારણું ખૂલ્યું. ‘અંદર બેસી જાવ.’

‘અરે, પણ મેં કંઈ કર્યું હોય તો ને!’

‘શ્રીમાન સબાવાલા, અંદર બેસી જાવ. મારી પાસે આખી રાત નથી.’

‘હું ફરિયાદ નોંધાવું છું.’

‘શ્રીમાન સબાવાલા!’

બહુ થાક લાગ્યો હોય એવી ચાલથી ચાલતા સોલી કારની લગોલગ આવ્યા. પસાર થતાં થતાં એમણે આગલી સીટ પર નજર કરી, પણ ત્યાં કોઈ નહોતું, આખી કારમાં કોઈ હતું જ નહીં.

‘અંદર આવી જાવ.’

પાછળની સીટ માત્ર સળિયાઓથી મઢેલું એક પાંજરું જ હતું, જેની ધાતુમાંથી હોસ્પિટલના વૉર્ડ જેવી વાસ આવતી હતી. ત્યાં કશું જ મુલાયમ નહોતું. સોલી એ સખત સીટ પર બેઠા ને બારણું બંધ થઈ ગયું, કાર આગળ વધી. બેચાર ટર્ન લઈ રસ્તાઓ પસાર કરતી એ એક અતિ પ્રકાશિત બિલ્ડિંગ આગળ આવીને ઊભી રહી. બધા જ રસ્તાઓ ખાલીખમ હતા, સાવ અવાજ વિનાના, કશીયે હલચલ રહિત.

‘તમે મને ક્યાં લઈ જાઓ છો?’ સોલીએ પૂછ્યું.

‘જુઓ, વાંચો, બિલ્ડિંગના પ્રવેશની ઉપર ચોખ્ખું લખ્યું છે.’

સોલીએ સીટ પરથી વાંકા વળીને ફ્લડલાઇટથી ચમકતા બિલ્ડિંગના પ્રવેશદ્વારની ઉપર નજર કરી. ત્યાં અક્ષરો ઝગમગતા હતા– दिमाग-डांवांडोल-आलय.

સમાપ્ત

(વાર્તા-વિચાર રે બ્રેડબરીની કૃતિ ઉપરથી; અસંખ્ય ફેરફારો તથા બૃહદ વિભાગનો ઉમેરો)

NJ, USA. e.mail : vkapmail@yahoo.com

[પ્રગટ : “નવનીત સમર્પણ” માર્ચ 2019; પૃ. 59-65]

Loading

...102030...2,9122,9132,9142,915...2,9202,9302,940...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved