Opinion Magazine
Number of visits: 9578325
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘બાપુ, તમારા ચરખામાં મને લેશમાત્ર શ્રદ્ધા નથી’

રંજના હરીશ|Gandhiana|13 December 2018

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-3

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી વિષયક આ લેખમાળાનો ત્રીજો મણકો એટલે એક એવી આત્મકથા લેખિકા કે જે અન્યથી સાવ ભિન્ન છે. મેં કરેલ સંશોધનના આધારે 1921થી 1991 દરમિયાન, ભારતીય સ્ત્રીઓ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ આત્મકથાઓની કુલ સંખ્યા ત્રેવીસ છે. આ ત્રેવીસ આત્મકથાઓમાંથી બાવીસ આત્મકથાઓમાં સ્ત્રીના 'સ્વ'ની પરિભાષા તથા નેરેટિવ ટેકનિક સ્ત્રી લેખનનાં પરિમાણો પ્રમાણે છે. આ બધી સ્ત્રીઓના 'સ્વ'ની વ્યાખ્યામાં ક્યાં ય 'કેપિટલ આઈ' આવતો નથી. તો વળી, આ સઘળી લેખિકાઓની આત્મકથાનાં કેન્દ્રમાં તે પોતે તથા પોતાના અનુભવોને મુકવાને બદલે પિતૃસત્તાક સમાજની અપેક્ષાઓ કે કોઈ એક વિશેષ પુરુષને સ્થાપિત કરે છે. વિજયાલક્ષ્મી પંડિત, દુર્ગાબાઈ દેશમુખ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી અત્યંત સફળ તથા પદ્મવિભૂષણ જેવું સમ્માન પ્રાપ્ત કરનાર સ્ત્રીઓ પણ એમ જ કરે છે. 70 વર્ષના સુદીર્ઘ સમયપટ પર ભારતમાં અંગ્રેજી ભાષામાં પોતાની આત્મકથા લખનાર તથા પ્રકાશિત કરનાર કુલ ત્રેવીસ સ્ત્રીઓમાંથી એંસી ટકા જેટલી સ્ત્રીઓ 1900 થી 1910 દરમિયાન જન્મેલી. અન્ય બેએક 1875ની આસપાસ જન્મેલી. આમ ગાંધી વિચારનો પ્રભાવ તે પેઢીની સ્ત્રીઓ પર હોય તે સ્વાભાવિક છે. કમલા દાસ, કૃષ્ણા હઠીસિંગ, રેણુકા રે, તારા અલી બેગ જેવી મહદંશની આત્મકથા લેખિકાઓનાં લેખનમાં ગાંધીજીની હાજરી તથા ગાંધી જીવન મૂલ્યો વિશેની સભાનતા સતત વર્તાય છે. જેની વાત આગળના લેખોમાં થઈ છે. તો વળી આ ત્રેવીસમાંથી 'દ ગર્લ ઇન બોમ્બે'ની લેખિકા ઈશ્વાની સુદ, ‘દ સિટી ઓફ ટુ ગેટવેઝ'ની લેખિકા સાવિત્રી નંદા, કે 'બિયોન્ડ દ જંગલ'ની લેખિકા સીતા રત્નમાલની આત્મકથાઓમાં સમસામયિક રાજકીય સભાનતાનો સમૂળગો અભાવ હોઈ, સ્વતંત્રતા આંદોલન કે ગાંધીજીનો ઉલ્લેખ માત્ર ન હોય તે પણ સમજી શકાય તેમ છે.

પરંતુ આ સઘળી આત્મકથા લેખિકાઓમાં ઓરિસ્સા પ્રાંતનાં કર્મઠ રાજકીય નેતા તથા પૂર્વ મંત્રી તેમ જ સ્વતંત્ર ભારતનાં સાંસદ એવાં શૈલબાલા દાસની, વર્ષ 1956માં કટકથી પ્રકાશિત આત્મકથા 'અ લૂક બિફોર એન્ડ આફટર' નોખી તરી આવે છે. આ આત્મકથાની પ્રથમ વિશેષતા છે તેની આગવા પ્રકારની કથનશૈલી. બીજી વિશેષતા છે તેમાં પ્રબળ મુખર 'સ્વ'નું કેન્દ્રસ્થાને હોવું. અને ત્રીજી વિશેષતા છે ગાંધી વિચારનો, ગાંધીવાદી જીવનશૈલીનો તથા કૉન્ગ્રેસ પાર્ટીનો વાચાળ અસ્વીકાર. ભારતીય સ્ત્રીની આત્મકથામાં ગાંધી વિષય પર થઈ રહેલ આ ચર્ચામાં ગાંધીવિચારનો અસ્વીકાર કરતી આ આત્મકથાની ચર્ચા અત્યંત આવશ્યક છે. આ એક જ એવી આત્મકથા લેખિકા છે કે જે ગાંધીજીનો તેમની હાજરીમાં વિરોધ કરે છે. એટલું જ નહીં પોતે જે માને છે તે ગાંધીજીને જણાવે છે. અને એવી ઘટનાઓને પ્રામાણિકપણે પોતાના આત્મકથનમાં વણે છે.

શૈલબાલા દાસ (1875-1968) ઓરિસ્સા પ્રાંતના મહત્ત્વપૂર્ણ ગર્ભશ્રીમંત રાજકીય આગેવાન તથા ઉત્કલ યુનિયન કોન્ફરન્સના સ્થાપક મધુસૂદન દાસના દત્તક પુત્રી હતાં. શૈલબાલાના પિતા શ્રી અંબિકાચરણ હજારા અને મધુસૂદન દાસ પરમ મિત્રો હતા. નિઃસંતાન મધુસૂદન દાસ તથા તેમનાં પત્નીને મિત્ર અંબિકાચરણની સૌથી મોટી નટખટ દીકરી પ્રિય હતી. અને તેમણે આ દીકરીને તેનાં નાનપણમાં જ દત્તક લઈ લીધેલી. સમૃદ્ધ પરિવારની એક માત્ર સંતાન બનેલ આ દીકરીને પાલક માતા-પિતાના લાડકોડે ઉદ્ધત બનાવી દીધેલી. એવી તો ઉદ્ધત કે હંમેશ પોતાનું ધાર્યું કરતી. આ એ જ નટખટ છોકરી હતી કે જેણે વર્ષ 1898માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ કટકની સુવિખ્યાત રેવનશો કોલેજ ફોર બોયઝમાં પિતાની રાજકીય વગનો ઉપયોગ કરીને બારોબાર પ્રવેશ મેળવી લીધેલો ! તેને અપાયેલ આવો પ્રવેશ ખોટો જ હતો, પરંતુ કોલેજના કોઈ સત્તાવાળાઓનું ચાલે તેમ નહોતું. દીકરીની જીદને પૂરી કરવા પિતાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને છોકરાઓની કોલેજને 'કો-એડ' કોલેજ બનાવડાવી દીધેલી. એટલું જ નહીં મિત્રવર્ગની દીકરીઓને તેમાં ઊભાઊભ એડમિશન પણ અપાવી દીધેલું ! આમ મધુસૂદન દાસની કુંવરીને કારણે વર્ષોથી ફક્ત છોકરાઓનાં શિક્ષણમાં પ્રવૃત્ત રેવનશો કોલેજ 'કો-એડ' કોલેજ બનેલી. જેનો લાભ ઘણીબધી પેઢીઓની કન્યાઓને મળ્યો.

રેવનશો કોલેજના શિક્ષણનાં થોડાં વર્ષો બાદ શૈલબાલાએ વર્ષ 1906માં લંડન જઈને ટિચર્સ ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કરેલો અને સ્વદેશ પાછાં આવ્યાં બાદ પિતા સાથે ઉત્કલ યુનિયન કોન્ફરન્સના રાજકારણમાં ઝંપલાવેલું. વિદેશમાં શિક્ષિત શૈલબાલાના લેખનમાં અંગ્રેજી સાહિત્ય પરંપરાની અસર સતત વર્તાય છે. પોતાના 'કેપિટલ આઈ'ને કેન્દ્રમાં રાખીને લખાયેલ આ આત્મકથાની લેખન પદ્ધતિ રસપ્રદ છે. અંગ્રેજી નવલકથાકાર થેકરે કે ડિકન્સની અદાથી લેખિકા અવારનવાર વાચકને સંબોધીને વાત કરે છે. દા.ત. 'હે વાચક મારા સંસ્મરણો ઉપરથી તું એટલું તો જાણી ચૂક્યો છે કે મને કોઈનીયે પાસેથી 'ના' સાંભળવાની આદત જ નથી …. એક વાર હું કોઈ કામ કરવાનો નિશ્ચય કરું એટલે થયું. મારે તે કામ કરવું જ પડે. આજ મારી તાસીર છે.' (પૃ. 205).

ભારતીય સ્ત્રીઓની અન્ય આત્મકથાઓથી વિપરીત, પ્રસ્તુત આત્મકથા એક 'સક્સેસ સ્ટોરી' છે. અનેક વિઘ્નદોડોને અંતે મળતી ઝળહળતી સફળતાની કહાણી. જેની નાયિકાને પોતાની સફળતા વિશે વાત કરવામાં લેશમાત્ર સંકોચ નથી. દુર્ગાબાઈ દેશમુખ કે રેણુકા રે જેવી સફળ સ્ત્રીઓ પોતાની આત્મકથા લખતી વેળાએ પોતાની સફળતાને મુખ્ય કથ્ય બનાવતી નથી. વિશ્વભરની 20મી સદી સુધીની આત્મકથા લેખિકાઓ પોતાની સફળતાને સતત ગોપાવે છે. જ્યારે શૈલબાલા પોતાની એકેય સફળતા વિશે લખવાનો મોકો ચૂકતાં નથી. જગન્નાથપુરી મંદિરમાં હિન્દુઓને જ પ્રવેશ આપવાની પરંપરા હોવા છતાં પૂજારીઓના સખત વિરોધ વચ્ચે તેઓ ક્રિશ્ચિયન હોવા છતાં તે મંદિરમાં પ્રવેશેલાં તે વાત તેઓ ગૌરવપૂર્વક લંબાણથી કરે છે. આજકાલ શબરીમાલામાં સ્ત્રીઓના પ્રવેશ અંગે ચાલી રહેલ આંદોલનના સંદર્ભે 1910ની આસપાસ બનેલ આ ઘટનાનું આગવું મહત્ત્વ છે.

ઉત્કલ યુનિયન કોન્ફરન્સના રાજકારણમાં સક્રિય શૈલબાલા દાસની મુલાકાત ગાંધીજી સાથે ન થઈ હોય તે તો કેમ બને ? તેઓ ગાંધીજીને અનેકવાર મળેલાં. પરંતુ ગાંધીજી સાથેની તેમની પ્રથમ મુલાકાત તેમને મન યાદગાર હતી. ઓરિસ્સા આવેલા ગાંધીજીને શૈલબાલાના પિતાએ પોતાના આવાસે નિમંત્ર્યા હતા. અને ત્યાં રાજકારણ તથા સમાજસેવામાં વ્યસ્ત તેવાં શૈલબાલાનો પરિચય તેમના પિતાએ ગાંધીજીને કરાવેલો. અન્ય રાજનેતાઓની હાજરીમાં બનેલ આ ઘટનાનું આબેહૂબ વર્ણન લેખિકા પોતાની આત્મકથામાં કરે છે. પરિચય થતાંની સાથે ગાંધીજીએ શૈલબાલાને ઓરિસ્સાની ગરીબ સ્ત્રીઓમાં ચરખા તથા ખાદીની પ્રવૃત્તિ વિકસાવવાનું કામ હાથમાં લેવા કહેલું. તેમનું માનવું હતું કે શૈલબાલાની આ પ્રવૃત્તિ ગ્રામિણ સ્ત્રીઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે. ગાંધીજીના મતે આ કામ માટે શૈલબાલા સુયોગ્ય હતાં. પરંતુ ગાંધીજીનો પ્રસ્તાવ સાંભળતાં જ સ્પષ્ટવક્તા શૈલબાલાએ વિવેકપૂર્વક, દૃઢ શબ્દોમાં, બાપુને આ કામ કરવાની ના પાડી દીધેલી ! એટલું જ નહીં પોતાને ચરખામાં કે કોંગ્રેસમાં શ્રદ્ધા નથી એ વાત કહેતાં તેઓને કોઈ સંકોચ ન હતો ! ગાંધીજી સાથેનો તેમનો આ સંવાદ લેખિકા પોતાની આત્મકથામાં નીચે પ્રમાણે અક્ષરશઃ ઉતારે છે.

શૈલબાલાઃ બાપુ તમે ચરખા તથા ખાદીની પ્રવૃત્તિ માટે મને યોગ્ય માની માટે આભાર. પરંતુ એ કામ હું કરી શકું તેમ નથી.

બાપુઃ તમને શા માટે એમ લાગે છે કે તમે એ કામ નહીં કરી શકો ? અહીં હાજર બધા તો એવું માને છે કે એકમાત્ર તમે જ આ કામ કરી શકે એમ છો.

શૈલબાલાઃ જ્યાં સુધી હું કોઈપણ કામમાં શ્રદ્ધા ન ધરાવું અને મારી સમગ્ર જાતને તેમાં પરોવી ન શકું ત્યાં સુધી હું તેને સફળ નહીં બનાવી શકું તે હું જાણું છું.

બાપુઃ શું તને ચરખામાં વિશ્વાસ નથી ?

શૈલબાલાઃ ના જી. બાપુ તમારા ચરખામાં મને લેશમાત્ર શ્રદ્ધા નથી. હું માનું છું કે ચરખો ભારતની આર્થિક સમસ્યાનો ઉકેલ નથી. (પૃ.132)

આ સંવાદ બાદ બાપુએ આવી સ્પષ્ટવક્તા સ્ત્રીને કૉન્ગ્રેસમાં જોડાઈને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાનો આગ્રહ કરેલો. તેમણે શૈલબાલાને આજીવન ખાદી પહેરવા માટે રાજી કરવાનો પ્રયત્ન કરેલો. પરંતુ શૈલબાલા એટલે શૈલબાલા. તેણે કૉન્ગ્રેસના સભ્ય બનવાની ચોખ્ખી ના પાડી દીધેલી. ખાદી પહેરવાનો સવાલ તો હતો જ ક્યાં ? શૈલબાલા બોલેલાં, 'બાપુ જ્યારે હું કૉન્ગ્રેસની નીતિ તથા કૉન્ગ્રેસના સભ્યોમાં વિશ્વાસ ધરાવતી થઈશ ત્યારે હું કૉન્ગ્રેસની સભ્ય બનવાનું પસંદ કરીશ. ત્યાં સુધી મને તમારી પાર્ટીનું સભ્યપદ ન ખપે' (પૃ. 133). અલબત્ત ઉત્તરાવસ્થામાં તેઓ કૉન્ગ્રેસમાં જોડાયેલાં. તથા 1952થી 1954 દરમિયાન રાજ્યસભાનાં સભ્ય પણ બનેલાં.

શરૂઆતના શૈલબાલા સાથેના આવા સ્પષ્ટ નકારાત્મક સંવાદ છતાં ગાંધીજીએ તેમના પ્રત્યે ક્યારે ય અશ્રદ્ધા કે અણગમો દર્શાવ્યા ન હતા. પરસ્પર સદ્દભાવનો સંબંધ હંમેશ રહેલો.

તા.ક. સામેવાળાના નકારાત્મક વિચારનું ન્યાયપૂર્ણ સ્વાગત અને તે વિચારભેદ અવગણીને અસંમતિ ધરાવનાર પ્રત્યે સદ્દભાવ જાળવવો તે ગાંધી વિચારની એક વિશેષતા હતી. જેનો એક સબળ પુરાવો એટલે ગાંધીજીનો શૈલબાલા પ્રત્યેનો આજીવન સદ્દભાવ.

E-mail : ranjanaharish@gmail.com

[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર,  “નવગુજરાત સમય”, 28 નવેમ્બર 2018]

Loading

કૉન્ગ્રેસ માટે નથી ઢાળ કે નથી કપરાં ચઢાણ

રમેશ ઓઝા|Opinion - Opinion|12 December 2018

નરેન્દ્ર મોદી માટે ઢાળ તો નથી જ, કપરાં ચઢાણ નજરે પડી રહ્યાં છે

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં બાવીસ રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે, પરંતુ અત્યારે યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણી અદકેરું મહત્ત્વ ધરાવે છે. એનાં ત્રણ મુખ્ય કારણ છે; એક તો એ કે આ પાંચ રાજ્યોની ચૂંટણી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ યોજાઈ છે એટલે લોકોનો મૂડ કેવો છે એનો એમાંથી અંદાજ આવે છે. બીજું કારણ એ છે કે આ પાંચ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યો ઉત્તર અને પશ્ચિમ ભારતનાં છે જે બી.જે.પી.નો ગઢ મનાય છે. ૨૦૧૪માં આ રાજ્યોની લોકસભાની કુલ ૬૫ બેઠકોમાંથી બી.જે.પી.એ ૬૨ બેઠકો મેળવી હતી. ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે બાકીનાં બે રાજ્યોમાંથી એક રાજ્ય તેલંગણા દક્ષિણનું છે અને મિઝોરમ પૂર્વનું છે જ્યાં બી.જે.પી. પ્રવેશવા માંગે છે. બી.જે.પી. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાંની સંભવિત ઘટ દક્ષિણ અને પૂર્વ ભારતમાં પ્રવેશીને ઘટની પૂર્તિ કરવા માગે છે.

વાત નીકળી જ છે તો પરિણામોનું વિવરણ કરતાં પહેલાં સમવાય ભારતમાં યોજાતી વિધાનસભાઓની ચૂંટણીઓ વિષે વાત કરી લેવી જોઈએ. હમણાં કહ્યું એમ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં બાવીસ અને અત્યારે યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એમ કુલ ૨૭ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ છે. બે લોકસભાની ચૂંટણી વચ્ચે જો અંદાજે અઢી ડઝન રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાતી હોય તો શાસકોએ તેને કઈ રીતે જોવી જોઈએ? આપણા અનોખા વડા પ્રધાને વડા પ્રધાન તરીકેનો તેમનો ઓછામાં ઓછો દસથી ૧૫ ટકા ટકા સમય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવામાં ખર્ચ્યો છે જે એક રેકોર્ડ છે. આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. વડા પ્રધાન ચૂંટણી-પ્રચારકના મૉડમાંથી બહાર જ નથી આવી શક્યા. ચૂંટણી પ્રચારમાં જીત મહત્ત્વની હોવાથી, ગમે તેમ બોલવાની લાલચ રોકી શકાતી નથી, જેમાં સરવાળે વડા પ્રધાનની આબરૂ ખરડાઈ છે. આ ફેડરલ ઇન્ડિયા છે જેમાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાયા જ કરે, જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રાંતોમાં ચૂંટણી યોજાતી રહે છે એટલે તેને પ્રતિષ્ઠાના જંગ તરીકે કે લોકપ્રિયતાના બેરોમીટર તરીકે નહીં જોવી જોઈએ.

પણ આપણે ત્યાં રાજ્યોની દરેક ચૂંટણીને દિલ્હીના રાજમાર્ગમાં આવતા ખાડા ટેકરા કે ઢાળ તરીકે જોવામાં આવે છે અને એમાં આ તો લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ યોજાયેલી ચૂંટણીઓ! ચૂંટણીનાં પરિણામોની ચર્ચા કરનારાઓ દર બીજા વાક્યે ૨૦૧૯માં પહોંચી જાય છે અને એ સ્વાભાવિક પણ છે. શું સૂચવે છે આ પરિણામો? અને ૨૦૧૯માં એની શું અસર પડી શકે છે?

 

યોગાનુયોગ એવો છે કે આજથી બરાબર એક વરસ પહેલા ૧૧મી ડિસેમ્બરે રાહુલ ગાંધીની કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે તાજપોશી થઈ હતી. એ પછી બરાબર એક અઠવાડિયા પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં. ત્યારે એમ લાગતું હતું ગુજરાત કૉન્ગ્રેસને તોફા તરીકે મળશે, પરંતુ નરેન્દ્ર મોદીએ એટલું જોર લગાડ્યું હતું કે બી.જે.પી. ભલે હાંફી જઈને પણ ગોલ-પોસ્ટ સુધી પહોંચી ગઈ હતી અને પાતળી બહુમતી સાથે જીતી ગઈ હતી. એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહારમાં લોકસભાની અને વિધાનસભાઓની જેટલી પેટા-ચૂંટણીઓ યોજાઈ તેમાં કૉન્ગ્રેસને અથવા તો તેના સાથી પક્ષોને વિજય મળ્યો હતો. આ વરસની મધ્યે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં પણ કૉન્ગ્રેસને વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મળી હતી.

રાહુલ ગાંધી માટે અને કૉન્ગ્રેસ માટે સૌથી મોટી કસોટી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થવાની હતી. રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસને આ ત્રણેય રાજ્યો હાથ લાગ્યાં છે. રાહુલ ગાંધી માટે આ સૌથી મોટી રાહત આપનારી ઘટના છે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને તેમની પ્રમુખ તરીકેની વર્ષગાંઠે મોટો તોફો મળ્યો છે. જો કે પરિણામો અપેક્ષા મુજબનાં નથી એ નોંધવું રહ્યું. રાજસ્થાનમાં ચૂંટણી જાહેર જાય એ પહેલાંથી જ માનવામાં આવતું હતું કે ત્યાં કૉન્ગ્રેસને પ્રચંડ વિજય મળે એમ છે, પરંતુ એવું બન્યું નથી. કૉન્ગ્રેસ માંડ સોનો આકંડો પાર કરી શકી છે અને તેને માત્ર એક બેઠકની બહુમતી મળી છે. આમ થવાનું મુખ્ય કારણ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને કૉન્ગ્રેસના યુવા નેતા સચિન પાયલોટ વચ્ચેનો અણબનાવ હતો. ચૂંટણીમાં મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના અસંતુષ્ટ ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી જેમાંથી ૨૦ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. બળવો કરનારાઓ અને ચૂંટાઈ આવનારાઓમાંના મોટાભાગના ઉમેદવારો અશોક ગેહલોતના ટેકેદારો છે. રાહુલ ગાંધી પક્ષ અંતર્ગત ખેંચતાણ મેનેજ કરી શક્યા નહોતા અને એટલે તો વિધાનસભાની ચૂંટણીમાં ગેહલોત તેમ જ પાયલોટ એમ બન્નેને ઉમેદવારી કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે રાહુલ ગાંધી કોને મુખ્ય પ્રધાન બનાવે છે એ જોવાનું રહે છે.

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચોહાણે મોટી લડત આપી હતી. ત્રણ ત્રણ મુદ્દતની એન્ટિ ઇન્કમ્બન્સી, વ્યાપમ કૌભાંડ, ખેડૂતોની નારાજગી, કેન્દ્ર સરકારે લાગુ કરેલી નોટબંધી અને જી.એસ.ટી. જેવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે શિવરાજ સિંહ ચોહાણે મુકાબલો કર્યો હતો. એમ કહેવું જોઈએ કે શિવરાજ સિંહ ચોહાણ હારીને પણ જીતી ગયા છે. છત્તીસગઢનાં પરિણામો પણ અનપેક્ષિત છે. એક તો છત્તીસગઢમાં કૉન્ગ્રેસ પાસે મુખ્ય પ્રધાનપદનો કોઈ કદાવર ઉમેદવાર નહોતો અને ઉપરથી ત્યાં અજીત જોગી અને માયાવતી વચ્ચે ગઠબંધન થયું હતું. અંદાજ એવો હતો કે કૉન્ગ્રેસ થોડા માટે વિજયથી દૂર રહી જશે, પરંતુ પરિણામો ધારણા કરતાં જુદાં આવ્યાં છે. કૉન્ગ્રેસે છતીસગઢની કુલ ૯૦ બેઠકોમાંથી ૬૫ બેઠકો મેળવી છે. બી.જે.પી.ને માત્ર ૧૬ બેઠકો મળી છે. બી.જે.પી.એ ૩૩ બેઠકો ગુમાવી છે અને કૉન્ગ્રેસે ૨૬ બેઠકો મેળવી છે. જોગી-માયાવતીને આઠ બેઠકો મળી છે. એમ લાગે છે કે જોગી-માયાવતીના ગઠબંધને કૉન્ગ્રેસને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એના કરતાં બી.જે.પી.ને વધારે નુકસાન પહોંચાડ્યું છે. જો રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં અને છત્તીસગઢમાં માયાવતીના બહુજન સમાજ પક્ષ સાથે સમજૂતી થઈ હોત તો પરિણામ હજુ ઘણાં જુદાં હોત.

તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિએ ભવ્ય વિજય મેળવ્યો હતો. આઠ મહિના વહેલી ચૂંટણી યોજીને ટી.આર.એસ.ના નેતા અને મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે જુગાર ખેલ્યો હતો. તેમનો જુગાર ફળ્યો છે. કૉન્ગ્રેસે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુના પક્ષ તેલગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન રચ્યું હતું, પરંતુ તેમાં તેને સફળતા મળી નથી. એક સમયે એમ લાગતું હતું કે કૉન્ગ્રેસનું ગઠબંધન ટી.આર.એસ.ને ભારે પડશે. મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ છેલ્લા બે અઠવાડિયા દરમ્યાન થોડા નર્વસ પણ નજરે પડતા હતા. મિઝોરમમાં કૉન્ગ્રેસનો પરાજય અપેક્ષિત છે.

આ પાંચેય રાજ્યોનાં પરિણામો એક સાથે જોઈએ તો એમ સમજાય છે કે રાહુલ ગાંધી માટે અત્યારે નથી સીધાં ચઢાણ કે નથી ઢાળ. થોડી અનુકૂળતા છે અને થોડી પ્રતિકૂળતા છે. અનુકૂળતા નરેન્દ્ર મોદીની ઘટતી લોકપ્રિયતા અને લોકોની તેમના પરત્વેની નિરાશા છે તો પ્રતિકૂળતા કૉન્ગ્રેસ પાસે જમીન પર કામ કરનારાં કાર્યકર્તાઓનો અભાવ છે. ચૂંટણી લડવા અને જીતવા માટેની યંત્રણા કૉન્ગ્રેસે પાસે નથી. ઘર ઘર સંપર્ક અને બુથ મેનેજેન્ટ આજના યુગમાં ચૂંટણી જીતવા માટેની અનિવાર્ય જરૂરિયાત છે. કૉન્ગ્રેસ અહીં માર ખાય છે. આ ઉપરાંત પક્ષ અંતર્ગત યાદવાસ્થળી પણ એક કારણ છે જે રાહુલ ગાંધી મેનેજ કરી શકતા નથી.

રાહુલ ગાંધીએ ચૂંટણી-પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. ખેડૂતોની હાલાકી અને દેવાં સિવાય કોઈ સ્થાનિક મુદ્દાઓને ચૂંટણીના પ્રચારમાં સ્પર્શવામાં નહોતા આવ્યા. સામે પક્ષે નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીને અને નેહરુ-ગાંધી પરિવારને નિશાન બનાવ્યા હતા. આ સિવાય હળવું હિન્દુત્વ, જ્ઞાતિ, ગોત્રજ, જનોઈ જેવા બાલીશ મુદ્દે પ્રચાર કરવામાં આવતો હતો. ટૂંકમાં કહીએ તો રાહુલ ગાંધીએ અને નરેન્દ્ર મોદીએ ચૂંટણી-પ્રચારને હાસ્યાસ્પદ બનાવી મૂક્યો હતો. એમાં બન્નેની બાલીશતા નજરે પડતી હતી.

૨૦૧૯ માટે જેમ રાહુલ ગાંધી માટે ઢાળ નથી તો નરેન્દ્ર મોદી માટે પણ ઢાળ નથી, પરંતુ થોડા પ્રમાણમાં સીધાં ચઢાણ જેવી સ્થિતિ બની રહી છે. બી.જે.પી. સામે પ્રતિકૂળતાઓ વધી રહી છે અને તેને માટે વડા પ્રધાન પોતે જવાબદાર છે. ખાડે ગયેલું અર્થતંત્ર, મોંઘવારી, બેરોજગારી, કૃષિસંકટ, ખેડૂતોનો અસંતોષ, યુવાનોનો અસંતોષ, પેટ્રોલના ભાવ, ડોલર સામે રૂપિયાનું તૂટવું જેવા નાગરિકોના સુખાકરીને લગતા પ્રશ્નો તરફ વડા પ્રધાન આંખ આડા કાન કરી રહ્યા છે અને તેની જગ્યાએ લીન્ચિંગ, સમાજમાં વિભાજનો પેદાં કરવાં, રામમંદિર, જે તે સ્થળોનાં નામ બદલવાં, ચેતક ઘોડાનું કુળ અને નેહરુ-ગાંધી પરિવાર પાછળ આદુ ખાઈને પડી જવું જેવાં વલણે નુકસાન પહોંચાડ્યું છે. લોકો વડા પ્રધાન વડા પ્રધાન તરીકે વર્તે એ જોવા આતુર છે. લોકો ૨૦૧૪માં આપેલાં વચનો સાકર થતાં જોવા આતુર છે. કમસેકમ પ્રયત્નો તો કરવામાં આવે! વડા પ્રધાન ચારે કોર જે અશુભ બની રહ્યું છે એ બાબતે એક શબ્દ ન બોલે અને એક પત્રકાર પરિષદ ન લે એ હવે લોકોને વડા પ્રધાન તરીકે સ્વીકાર્ય નથી લાગતું.

પાંચેય રાજ્યોનાં પરિણામો બી.જે.પી. માટે ચિંતા પેદા કરનારાં છે. એક તો ૨૦૧૪માં બી.જે.પી.ને જે ૨૮૨ બેઠકો મળી હતી તેમાં ૨૩૦ બેઠકો ઉત્તર અને પશ્ચિમ ભારતમાં થોકમાં મળી હતી. આ ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ ૬૫ બેઠકોમાંથી બી.જે.પી.ને ૬૨ બેઠકો મળી હતી. ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૧ બેઠકો મળી હતી. પરિણામો એમ સૂચવે છે કે ૨૦૧૯માં ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં બી.જે.પી.ને મોટો માર પડવાનો છે. જો ૫૦ ટકાનો માર પડે તો પણ બી.જે.પી. ૧૫૦ બેઠકો સુધી ન પહોંચી શકે. એ ઘટની પૂર્તિ કરવા માટે બી.જે.પી.એ પૂર્વ ભારતમાં અને દક્ષિણમાં વિસ્તરવું જોઈએ અને છ મહિના પહેલાં યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી તેમ જ તેલંગણા અને મિઝોરમનાં પરિણામો એમ બતાવે છે કે ત્યાં પણ બી.જે.પી. માટે બહુ અનુકૂળતા નથી. આમ ધીરે ધીરે બી.જે.પી. માટે અને અંગત રીતે નરેન્દ્ર મોદી માટે પ્રતિકૂળતાઓ આકરી બની રહી છે.વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોનાં અન્ય પક્ષો પણ આકલન કરશે. ઘણાં લોકો પ્રશ્ન કરતા હતા કે કૉન્ગ્રેસે માયાવતી, અખિલેશ યાદવ અને ગોન્ડવાણા ગણતંત્ર પાર્ટી સાથે સમજૂતી કેમ નહીં કરી? કૉન્ગ્રેસે સમજૂતી કરવી જોઈતી હતી એમ કહેવામાં આવતું હતું. આનું દેખીતું કારણ પાણી માપવાનું હતું. જો ખૂબ સારો કે ઠીકઠીક સારો દેખાવ કરવામાં આવે તો ૨૦૧૯માં રચનારા સંભવિત મોરચામાં કૉન્ગ્રેસ એક ભાગીદાર તરીકે બાર્ગેનિંગ કરી શકે. જો સફળતા ન મળે તો કાંડા તો કાપી આપવાના છે જ, પણ અત્યારથી પાણી માપ્યા વિના શા માટે કાંડા કાપી આપવા? ગઠબંધનમાં દસ બેઠકો વધુ મળે એનું પણ મહત્ત્વ હોય છે. કૉન્ગ્રેસે ઠીકઠીક સફળતા મેળવી છે એટલે તેની બાર્ગેનિંગ શક્તિ વધશે.

આ ચૂંટણી પછી વિરોધ પક્ષોની એકતાની પ્રક્રિયા જોર પકડશે અને તેમાં કૉન્ગ્રેસ એક મહત્ત્વના પક્ષ તરીકેની ભૂમિકા ભજવી શકશે. પરિણામોની પૂર્વસંધ્યાએ વિરોધ પક્ષોના નેતાઓની સંયુક્ત બેઠક મળી હતી એ સૂચક છે. બીજી બાજુ નરેન્દ્ર મોદી માટે, અમિત શાહ માટે, બી.જે.પી. માટે અને એકંદરે દેશ માટે આવતા ત્રણ મહિના નિર્ણાયક નીવડવાના છે. એ કઈ રીતે એ હવે પછી સ્પષ્ટ થતું જશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 ડિસેમ્બર 2018

કાર્ટૂન સૌજન્ય : "ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા", 12 ડિસેમ્બર 2018

Loading

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી

રંજના હરીશ|Gandhiana|12 December 2018

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં પ્રતિબિંબિત ગાંધીજીની છબિ અંગે આપણે ગયે અઠવાડિયેથી વાત કરી રહ્યા છીએ. રેણુકા રે બ્રિટિશ રાજ દરમિયાન પશ્ચિમ બંગાળના એક આઈ.સી.એસ. અધિકારી તેમ જ જાણીતા બ્રહ્મોસમાજી શ્રી સતીશ મુખર્જીનાં પુત્રી તથા કલકત્તા પ્રેસિડેન્સી કોલેજના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ ડો. પી.કે. રેના દોહિત્રી હતાં. તેઓ માતા પિતા બંને પક્ષેથી ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારનો વારસો લઈને જન્મ્યાં હતાં. તેમના નાનાજી ડો. પી.કે. રે રાજેન્દ્રબાબુ તથા ડો. રાધાકૃષ્ણન્‌ના કોલેજકાળના શિક્ષક રહી ચૂક્યા હતા. નાનીજી સરલાદેવી રે કલકત્તાની પ્રેસિડેન્સિ કોલેજમાં પ્રવેશ મેળવનાર સૌપ્રથમ યુવતી. તો રેણુકા રેનાં માતા ચારુલતા તેમના જમાનાના નામાંકિત નારીવાદી હતાં.

બ્રિટિશકાળમાં 1904માં જન્મેલ અને પાછલી ઉંમરે 'માય રેમિનન્સીઝ' (1982) નામક આત્મકથા લખનાર રેણુકા રે કદાચ એક માત્ર ભારતીય આત્મકથા લેખિકા હશે કે જેના જન્મને ઉત્સવની જેમ ઉજવાયો હતો. રેણુકા રેના નાનાજીનું કલકત્તા ખાતેનું ઘર ગાંધીજી, દાદાસાહેબ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે તથા અન્ય સ્વાતંત્રસેનાનીઓ માટે એક મિલન સ્થળ સમાન હતું. આમ નાનકડી રેણુકાનું બાળપણ ગાંધીજીના પ્રભાવમાં વીતેલું. અલબત્ત પિતા આઈ.સી.એસ. અધિકારી હોઈ તેમની નિયુક્તિ લંડનમાં થતાં રેણુકાનું ઉચ્ચ શિક્ષણ લંડનમાં થયેલું. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકમાં હેરોલ્ડ લાસ્કી તથા મેજર એટલી જેવા સમર્થક પ્રોફેસરોના હાથ નીચે તૈયાર થયેલ રેણુકા એક બાહોશ યુવતી હતાં. વિદેશી ભણતર છતાં નાનપણમાં મળેલ દેશપ્રેમના સંસ્કાર તેનામાં જળવાયા હતા. લંડનમાં તેમની મુલાકાત એક ભારતીય યુવક, સત્યેન રે, સાથે થઈ. લંડનમાં વસતો તે યુવક ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ઉત્તીર્ણ થયો હતો. બંનેને પ્રેમ થઈ ગયો, અને 1921માં તેમણે સગપણ કરી દીધાં. ત્યારબાદ 1925માં બંને ભારત પાછા ફંર્યા. ઘરે પહોંચતાની સાથે રેણુકાને સંદેશ મળ્યો કે બાપુ તેના મંગેતરને મળવા માગે છે. 70 વર્ષની જૈફ વયે પોતાની આત્મકથા લખી રહેલ પશ્ચિમ બંગાળના પૂર્વ મિનિસ્ટર રેણુકા રે ગાંધીજી સાથે તેમના ભાવિ પતિની તે વિશેષ મુલાકાતનો સંવાદ શબ્દશઃ લખે છેઃ

બાપુઃ હું માનું છું કે રેણુકા સાથે લગ્ન કરતી વખતે તમે એ તો જાણતા હશો કે એમ કરીને તમે શું માથે લઈ રહ્યા છો. રેણુકાની પ્રાથમિકતા દેશસેવાની છે.

સત્યેનઃ હા મને ખ્યાલ છે. રેણુકાની લગ્નની આનાકાની જોતાં મેં તેને ખાતરી આપી છે કે, મારી કારકિર્દી તેના દેશપ્રેમ અને સ્વતંત્રતાની ચળવળમાં આડી નહીં આવે.

બાપુઃ તમારા બંનેમાંથી એકેય માટે આ લગ્ન મુશ્કેલ ના બને તે માટે હું પૂરતો પ્રયત્ન કરીશ. અને રેણુકાને એ જાતનું કામ જ સોંપીશ કે જેમાં શક્ય હોય ત્યાં સુધી તમે બંને ભેગા રહી શકો.

ઉપરોક્ત સંવાદમાં અપાયેલ વચન પ્રમાણે બાપુ તથા સત્યેન રેએ રેણુકાને મનવાંછિત કામ કરવાની બધી જ સંભાવનાઓ પૂરી પાડી. અને રેણુકાએ દેશપ્રેમ તથા પરિવાર બંનેને સુપેરે નભાવ્યાં. એટલું જ નહીં સ્ત્રીના હક્ક માટે રેણુકા રેએ આજીવન લડત આપી. રેણુકા રેએ સ્વતંત્ર ભારતમાં 1952 થી 1957 દરમિયાન પશ્ચિમ બંગાળનાં મંત્રી તરીકે સેવાઓ આપી. 1957થી 1967 દરમિયાન તેઓ સંસદસભ્ય રહ્યાં. તથા 1958થી 1960 દરમિયાન પ્લાનિંગ કમિશનમાં ઉચ્ચ પદે સેવાઓ આપી. પરંતુ 1967માં તેમને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ટિકિટ ન અપાતા તેમણે પોતાની રાજકીય કારકિર્દી પૂરી કરી.

તેમની આત્મકથા ગાંધીજી તેમ જ ગાંધી જીવનમૂલ્યો પ્રત્યેનું તેમનાં આજીવન સમર્પણને વાચા આપે છે. 70 વર્ષની ઉંમરે લખાઈ રહેલ રેણુકા રેનું જીવનવૃત્તાંત તત્કાલીન ગાંધીમૂલ્યોના હ્રાસની ચર્ચા પણ કરે છે. પોતાની હતાશા તથા વ્યથાને અભિવ્યક્ત કરતાં લેખિકા લેશમાત્ર પણ ખચકાતાં નથી. તેઓ લખે છે કે તેમના પતિ સત્યેને તેમને ચેતવ્યા હતા. 'તારા માટે આ બધા પ્રેમાળ દેવદૂતની જેમ પાંખો પ્રસારીને ઊભા છે. અને તું પણ તેમને તારા ગુલાબી ચશ્માંથી જુએ છે… પરંતુ તારા સતત સંપર્કમાં રહેનાર આ બધાઓ મોટેભાગે ગાંધીજીથી પ્રભાવિત થઈને તેમની પાસે આવે છે. તેમનું તારા પ્રત્યેનું હૂંફાળું વર્તન બાપુના તારા પ્રત્યેના સ્નેહને કારણે છે. જ્યારે બાપુ નહીં હોય ત્યારનો વિચાર તારે કરવો જોઈએ. બાપુની ગેરહાજરીમાં શું આ લોકો અત્યારે વર્તે છે તેમ વર્તશે ખરા ?' બાપુના મૃત્યુ બાદ સત્યેન રેના આ શબ્દો સાચા પડ્યા. રેણુકાના અનુભવે તેને સમજાવ્યું કે બધાઓનો તેના માટેનો પ્રેમ ગાંધીજીથી પ્રેરિત હતો.

•••••••

85 વર્ષની જૈફ ઉંમરે પોતાની આત્મકથા 'ઇનર રિસેસીશ અ આઉટર સ્પેસીસ' (1986) લખનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય પોતાની આત્મકથામાં સ્વતંત્રતા આંદોલનના જમાનાના ગાંધીજુવાળનું દસ્તાવેજીકરણ કરે છે. તદુપરાંત તેમની આત્મકથા ગાંધીજીને એક પિતૃતુલ્ય સૌજન્ય મૂર્તિ તરીકે આલેખે છે. આજીવન ગાંધીજી સાથે સતત કાર્યરત રહ્યા છતાં કમલાદેવીએ પોતાની પારિવારીક વાતો તેમને ક્યારે ય કરી નહોતી. કમલાદેવીની આત્મકથાની એક વિશેષતા એ પણ છે કે તેમાં સ્વતંત્રતા સંગ્રામ કે કલાજગતના નાનાશા માનવની વાત કરવા માટે તેઓ છ-સાત પૃષ્ઠો લખે છે, પરંતુ સરોજિની નાયડુના ભાઈ હરીન્દ્રનાથ ચટ્ટેપાધ્યાય સાથેના પોતાના લગ્નની વાત તેઓ એક જ ફકરામાં પૂરી કરે છે. આવી આત્મકથામાં જો એક પ્રસંગ સ્મરણીય હોય તો તે ગાંધીજીએ તેમનાં પારિવારિક જીવનમાં રસ લીધાનો પ્રસંગ. એકવાર ગાંધીજીને કોઈ સુદૂર પ્રદેશમાં જઈને અમુક ચોક્કસ કામ સફળતાપૂર્વક પાર પાડી શકે તેવા સુયોગ્ય કાર્યકરની જરૂર હતી. કમલાદેવીએ આ કામ ઉપાડી લેવાની તત્પરતા બતાવી અને તરત બાપુ બોલી ઊઠ્યા, 'કમલા તારાથી નહીં બને. જે પોતાના એકમાત્ર દીકરાની સંભાળ લેતી નથી, તે આ કામ ક્યાંથી કરવાની હતી ?' કમલાને આશ્ચર્ય થયું. તેમને દીકરો છે, અને તે દીકરો બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે, તેવી વાત તેમણે તો બાપુને ક્યારે ય કરી નહોતી ! કમલાનું આશ્ચર્ય જોઈને બાપુ બોલ્યા, 'હું બધાયનું ધ્યાન રાખું છું. ગયા વખતના મારા એ વિસ્તારના પ્રવાસ દરમિયાન મેં બોર્ડિંગમાં રહેતા તારા દીકરાને બોલાવેલો અને તેની સાથે વાતો કરેલી.' પોતાનાં વ્યક્તિગત જીવન વિશે જવલ્લે જ ઉલ્લેખ કરનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય ગાંધીજીની આ વાત પ્રેમપૂર્વક આલેખે છે.

•••••••••

જે ભારતીય સ્ત્રીઓના લેખનની ચર્ચા આપણે કરી રહ્યાં છીએ તેમાંની મહદંશની સ્ત્રીઓ 1900 થી 1910ના દશકમાં બ્રિટિશ ભારતમાં જન્મેલ હતી. અને નાનપણથી જ ગાંધીજીની વિચારધારાથી પ્રત્યક્ષપણે પ્રભાવિત હતી. એમાંની ઘણી બધીએ 1920ના ઐતિહાસિક પ્રથમ કૉન્ગ્રેસ અધિવેશનમાં સ્વયંસેવિકાઓ તરીકે સેવાઓ આપી હતી. આ બધી એવી સ્ત્રીઓ હતી કે જેઓ સુશિક્ષિત, સુસંસ્કારી પરિવારોની દીકરીઓ હતી. એવાં પરિવારો કે જ્યાં ગાંધીમૂલ્યો હૃદયપૂર્વક આવકાર પામ્યાં હતાં. દુર્ગાબાઈ દેશમુખ, મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેન, વિજ્યાલક્ષ્મી પંડિત, કૃષ્ણા હઠીસિંહ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, રેણુકા રે જેવી સ્ત્રીઓ બાળપણમાં વારસામાં મળેલ ગાંધીવાદી મૂલ્યો સાથે જીવેલી. અને આઝાદી બાદ તેમાંની રેણુકા રે, વિજયાલક્ષ્મી પંડિત, દુર્ગાબાઈ દેશમુખ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી ઘણી બધી આત્મકથા લેખિકાઓને ભારતની પ્રથમ સરકારમાં સ્થાન પણ મળેલું. આમ ગાંધીચીંધ્યા માર્ગે સ્વતંત્રતા આંદોલનમાં સ્ત્રીની ભાગીદારી તેમ જ સફળ નેતૃત્વ પૂરું પાડનાર અહીં ચર્ચિત ભારતીય સ્ત્રીઓએ સત્તાની બાગડોર પણ સંભાળેલી. ઘરનો ઉંબર ઓળંગીને સ્વતંત્રતા આંદોલન તેમ જ જાહેર જીવનમાં પગ માંડનાર ભારતીય સ્ત્રીઓની આ પ્રથમ પેઢીએ ઘરના ઉંબરથી દિલ્હીના સરકારી પદ સુધીની લાંબી મજલ કાપેલી. અને આ સઘળી સફળતાનો મુખ્ય યશ હતો ગાંધીને. જેમણે સ્ત્રીની સુષુપ્ત શક્તિને પીછાણી અને તેને પ્રથમ વાર તક આપી.

તા.ક. આજકાલ નામદાર સુપ્રીમ કોર્ટ ભારતીય સ્ત્રીઓના હક્ક તેમને મળે તે માટે બનતા બધા જ પગલાં લેવા માટે પ્રતિબદ્ધ જણાય છે. આ એ જ કામ છે જે ગાંધીજીએ ભારતની આઝાદી પૂર્વે એકલા હાથે ઉપાડ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેમણે તેને પૂરતો ન્યાય પણ આપ્યો હતો. ભારતીય સ્ત્રીનાં સશક્તિકરણનો પાયાનો પથ્થર એટલે ગાંધીવિચાર. બાપુને વંદન.

E-mail : ranjanaharish@gmail.com

[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર,  “નવગુજરાત સમય”, 21 નવેમ્બર 2018]

Loading

...102030...2,9122,9132,9142,915...2,9202,9302,940...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved