Opinion Magazine
Number of visits: 9578326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ન્યાય’તંત્ર

અંબાલાલ ઉપાધ્યાય|Samantar Gujarat - Samantar|17 December 2018

ગુજરાતભરમાં હિંમતનગરમાં ચાલતા એકમાત્ર સહકારી પ્રિન્ટિંગ પ્રેસના સ્થાપક અને પ્રમુખ નૂરભાઈ લાઘાણીનું મૃત્યુ થતાં કામદારોએ મને આવીને પ્રમુખ થવા કહ્યું. મેં કહ્યું કે પ્રિન્ટિંગ પ્રેસના કામનો મને અનુભવ નથી, એટલે ઉપયોગી થઈ શકીશ નહીં. ત્યારે કામદારોએ કહ્યું કે પ્રેસનું કામકાજ અમો સંભાળી લઈશું. આપ પ્રમુખ હોવ તો પંચાયત, સહકારી અને સરકારી કામકાજ મળી શકે. મારા પ્રમુખ થયા પછી જિલ્લાની સહકારી સંસ્થાઓ સભ્ય બનાવી શૅરભંડોળ વધાર્યું. પ્રેસ ધમધોકાર ચાલવા માંડ્યો અને મોડાસામાં તેની શાખા શરૂ કરી, છ માસમાં જ પ્રિન્ટિંગ પ્રેસના મૅનેજર ઉપર પ્રોવિડન્ટ ફંડ લાગુ ન કરવા માટે પ્રોવિડન્ટ ફંડના ઇન્સ્પેક્ટરે કોર્ટમાં ફરિયાદ મૂકી, ત્યારે મૅનેજરે કહ્યું કે પ્રેસમાં પૂરા કામદારો નથી. એટલે પ્રોવિડન્ટ ફંડ દાખલ કર્યો નથી. આ તો ઇન્સ્પેક્ટર બધા પાસેથી હપતા ઉઘરાવે પણ આપણે આપીએ નહીં, એટલે ખોટો કેસ કર્યો.

કોર્ટમાં કેસ દાખલ થયા પછી ચાર મુદ્દતો પછી કોર્ટના ન્યાયમૂર્તિએ કેસમાં પ્રિન્ટિંગ પ્રેસના તમામ કારોબારી સભ્યોને તહોમતદાર તરીકે ઉમેરી લીધા. પ્રિન્ટિંગ પ્રેસના પ્રમુખ તરીકે તહોમતદારમાં મને પણ લીધો હતો. મારા ગામથી હિંમતનગર કોર્ટમાં આવતાં ૫૦ કિલોમીટરનું અંતર હતું. એટલે એક મુદ્દતે મોડો પડ્યો ન્યાયમૂર્તિએ વૉરંટ કાઢી લીધું. બીજી મુદ્દતે હાજર થતાં કેસ નીકળ્યો. એટલે ન્યાયમૂર્તિએ મને દરવાજા પાસેના પાંજરામાં બેસવાનું કહ્યું. કોર્ટનો સમય બંધ થતી વખતે ન્યાયમૂર્તિએ મને પોલીસમાં સોંપી હિંમતનગરની સબજેલમાં લઈ જવા આદેશ આપતાં મારે જેલમાં જવું પડ્યું. ઍડ્‌વોકેટને જાણ થતાં ન્યાયમૂર્તિને કહ્યું કે તે એ મુદ્દતના દિવસે હાજર હતા, પણ થોડાક મોડા પડેલા એટલે જેલમાંથી મુક્ત કરવા માંગણી કરી. ન્યાયમૂર્તિએ કહ્યું કે આવતી કાલે કોર્ટમાં જામીન રજૂ કરજો. ઉંમરલાયક હોઈ અને  કોઈ ગુનો કર્યો નથી એટલે છોડવા માગણી કરી, ન્યાયમૂર્તિએ જામીન રજૂ કરવા કહેતાં ઍડ્‌વોકેટ પોતે જામીન થયા. મને જેલમાંથી મોડી સાંજે છોડવામાં આવ્યો. ન્યાયમૂર્તિ મોડાસાની કોર્ટમાં હતા, ત્યારે તેમનાં પત્ની મેઢાસણ રેફરલ હૉસ્પિટલમાં નોકરી કરતાં હતાં. તેઓની બદલી મેઢાસણ હૉસ્પિટલમાં મોડાસા મુકામે કરવા મારા ગામના ઍડ્‌વોકેટ સાથે હું જિલ્લાપંચાયતનો પ્રમુખ હોઈ કહેવડાવાયું. તપાસ કરતાં જાણ્યું કે રેફરલ હૉસ્પિટલ સરકાર હસ્તક હતી એટલે જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે મારાથી બદલી થઈ શકે નહીં. તેમ ઍડ્‌વૉકેટ મારફતે આ કહેવડાવ્યું, ત્યારે ન્યાયમૂર્તિએ કહ્યું કે કામ કરવું નથી, એટલે બહાનું બતાવ્યું છે. તે જ ન્યાયમૂર્તિ મોડાસા કોર્ટમાંથી બદલાઈ હિંમતનગર કોર્ટમાં આવેલા, તેમની પાસે કેસ હોઈ મારું નામ યાદ રાખી વૉરંટ કાઢી બીજી મુદ્દતે જેલમાં પૂરવા આદેશ આપ્યો હતો. કેસમાં ૪થી ૫ ન્યાયમૂર્તિ બદલાયા. એક મુદ્દતે ૧૧ વાગે કોર્ટમાં આવી હાજર થયા હતા. દરમિયાન લઘુશંકા માટે કંપાઉન્ડમાં મૂતરડીમાં ગયો હતો, તે વખતે જ કેસ નીકળતાં હું સહેજ મોડો પડ્યો, એટલે ન્યાયમૂર્તિએ કહ્યું : કેમ મોડા પડ્યા છો? બાપના બગીચામાં ફરવા આવ્યા છો?

કેસ તા. ૧-૨-૧૯૯૧ના રોજ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો. કેસમાં ૧૭ વર્ષ ઉપરાંતના સમય સુધી કેસની મુદ્દતો પડ્યા કરી.

તા. ૨૭-૩-૨૦૧૮ના રોજ ન્યાયમૂર્તિએ કેસને સ્ટૉપ કરવાનો આદેશ આપ્યો અને કેસ બંધ થયો. દરમિયાન કેસ અંગે કાયદાની કલમનું પુસ્તક મંગાવી વાંચતાં જોયું, તો રાજ્યના પ્રોવિડન્ટ ફંડના અધિકારી મંજૂરી આપે તેના પર કેસ દાખલ થઈ શકે. રાજ્યના અધિકારીએ મૅનેજર ઉપર કેસ મૂકવા મંજૂરી આપી હતી. પાછળથી ન્યાયમૂર્તિએ આખી કારોબારી – સમિતિને તહોમતદારમાં લેવા આદેશ આપ્યો હતો. અમોએ કાયદાની કલમ ટાંકી સહીઓ કરી ન્યાયમૂર્તિને જણાવ્યું હતું કે રાજ્યના અધિકારીએ મૅનેજર ઉપર કેસ કરવા મંજૂરી આપેલી છે, એટલે કારોબારી સમિતિને તહોમતદારમાંથી મુક્ત કરવા માંગણી કરી હતી. ન્યાયમૂર્તિએ અમારો સદરહુ રિપોર્ટ વાંચવાની પણ તકલીફ લીધી ન હતી. કેસની દર માસે મુદ્દત પડતી હતી. એટલે અંદાજે ૨૦૪ મુદ્દતોમાં આખી કારોબારીના ૧૫ સભ્યોને કોર્ટમાં આવી બેસી રહેવું પડતું હતું. ફરિયાદી ઇન્સ્પેક્ટર કેસ મૂક્યા પછી એકેય વખત કોર્ટમાં આવ્યા ન હતા, છતાં ય તેની નોંધ લેવાયા સિવાય જેમના પર કેસ થયેલો તે પૈકી કોઈ આવવામાં મોડા પડે, તો વૉરંટ કાઢી જેલમાં પૂરવાનો પ્રસંગ બન્યો હતો. છેલ્લા ન્યાયમૂર્તિએ કેસની ચકાસણી કરતાં ફરિયાદી એકેય વખત હાજર થયેલ ન હોઈ કેસ સ્ટૉપ કરવા આદેશ આપ્યો હતો. ન્યાય માટેની કોર્ટમાં પણ ગુનો ન બન્યો. છતાં ય અધિકારીએ મૅનેજર ઉપર કેસ મુકવા મંજૂરી આપી હોવા છતાં ય ન્યાયમૂર્તિએ પોતે આદેશ આપી આખી કારોબારી કમિટીને તહોમતદારમાં લેવા આદેશ આપ્યો જેના કારણે ૧૭ વર્ષ ઉપરાંત સમયથી ૨૦૪ મુદ્દતોમાં કોર્ટમાં આવીને બેસી રહ્યા પછી કેસમાંથી છુટકારો મળ્યો. ન્યાય માટેની કોર્ટોથી જ ત્રાસજનક સ્થિતિમાં ૧૫ વ્યક્તિઓને ગુજરવું પડ્યું છે.

રાજ્યના એકમાત્ર સહકારી પ્રિન્ટિંગપ્રેસને એના કારણે ફડચામાં લઈ જવો પડ્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 08

Loading

હાશીમપુરામાંથી પદાર્થપાઠો

સંપાદકીય “ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વીકલી”|Opinion - Opinion|17 December 2018

હાશીમપુરાનો ભયાનક કસ્ટોડિયલ હત્યાકાંડ ભૂલી જવા જેવો નથી.

૧૯૮૭માં ઉત્તરપ્રદેશ (યુ.પી.) પ્રોવિન્સિલ આર્મ્ડ કૉન્સ્ટાબ્યુલરી (પી.એ.સી.) દ્વારા હાશીરામપુરામાં ૩૮ મુસ્લિમ પુરુષોની હત્યાના સંદર્ભમાં ભૂલી જઈને આગળ વધવું એ ડાહપણભર્યો વિચાર નથી. જો કે તે હત્યાકાંડ પછી ૩૧ વર્ષે દિલ્હી હાઈકોર્ટનો તાજેતરનો ચુકાદો આવ્યો તેણે ચર્ચા જગાવી છે. તે ધ્રૂજાવી દેતી ઘટનાની યાદોમાંથી ભારતીય સમાજ અને રાજકારણે પાઠ લેવા જેવો છે. હત્યામાં ભૂમિકા બદલ પી.એ.સી.ના ૧૬ નિવૃત્ત કર્મચારીઓને આજીવન કારાવાસની સજા થઈ. અન્ય ત્રણ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના ‘કાયદાકીય અમલીકરણના એજન્ટોમાં સંસ્થાકીય પૂર્વગ્રહને જાહેર કરી છે.’ કસ્ટોડિયલ અને સંસ્થાકીય હિંસાના સમાચાર એક રાષ્ટ્ર માટે ક્રૂરતા અને મુસ્લિમ વિરોધી ખુન્નસભરેલા હતા.

વાસ્તવમાં, છેલ્લા ત્રણ દાયકાથી રાજ્ય, યુ.પી. પોલીસ અને અનુગામી રાજ્ય સરકારો સામે ટ્રાયલ ચાલી રહી હતી. પ્રથમ નીચલી અદાલતમાં અને પછી ઉચ્ચ અદાલતમાં ટ્રાયલમાંથી એ અવલોકન નીકળ્યું કે કસ્ટોડિયલ હિંસા અને મૃત્યુ બંનેની વાત આવે, ત્યારે પોલીસ- અધિકારીઓને બરતરફ કરીને પોલીસતપાસ કેવી રીતે હાથ ધરવામાં આવે છે. ભયજનક હદે ‘કસ્ટોડિયલ ડેથ’ને ધ્યાનમાં રાખીને પ્રશ્ન ઊઠે છે કે પોલીસનું પોલીસ કોણ?

હાઈકોર્ટે પણ નોંધ્યું હતું કે આ કસ્ટોડિયલ હત્યાનો કેસ હતો, જ્યાં ‘કાયદાની વ્યવસ્થા માનવ-અધિકારના દુરુપયોગને અટકાવવા માટે અસરકારક રીતે કાર્યવાહી કરવામાં અસમર્થ રહી છે.’ નિરાશાવાદી ભલે લાગે, પરંતુ તે હકીકત છે કે આપણે એ જોવું જોઈએ કે હાશીમપુરાના કેસમાંથી બોધપાઠ ન લઈને તેના પર કાર્ય ન થાય તો આવા કેસ બનતા અટકશે નહીં. લાંબી લડાઈમાં સંકળાયેલા માનવાધિકાર કાર્યકરો અને વકીલોએ નોંધ્યું છે કે આ પ્રકારનું કાર્ય PACના નીચલા સ્તરના કર્મચારીઓ દ્વારા તેમની પોતાની મુનસફી પ્રમાણે થાય એ શક્ય નથી. એક જૂની વક્રોક્તિ છે કે કસ્ટોડિયલ હિંસા માટેની પ્રતીતિ સલામત હોય તો પણ સજા પામેલા લોકો વાસ્તવિક ગુનેગારો નથી.

જે સંસ્થાઓ પાસે નાગરિકોના માનવ-અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણીય અપેક્ષાઓ રાખવામાં આવે છે તે જ સૌ પહેલાં તેને કોરાણે મૂકી દે છે. કમનસીબે, આ કંઈ ભૂતકાળની વાત નથી. આ સંસ્થાઓમાં કોઈ વિકૃતિ લક્ષિત સમાજ અને સમૂહ સામે અવિરત ક્રૂરતા અને હિંસાનાં વિવિધ કૃત્યોમાં ચાલુ રહે છે અને તેને સજા નથી મળતી, ત્યારે હાશીમપુરાના પાઠોને યાદ રાખીને તેની ચર્ચા કરવી તે આ સમયની જરૂરિયાત છે.

જો કે, બચી ગયેલા પરિવારના સભ્યો અને હત્યાકાંડમાં માર્યા ગયેલાના ટેકેદારો અને કોમવાદી હુલ્લડની હિંસામાંથી બચી ગયેલા લોકોની ન્યાયીક વ્યવસ્થામાં શ્રદ્ધા અને નૈતિક વિશ્વાસને પણ ધ્યાને લેવા પડશે. મીડિયા – અહેવાલોમાં અને વડીલોએ ધ્યાન દોર્યું છે કે જ્યાંથી પી.એ.સી.ના કર્મચારીઓ દ્વારા આ પુરુષોને ઉપાડવામાં આવ્યા હતા, તેના બધા જ પડોશીઓ ઉપર ખતરનાક અને રાષ્ટ્રવિરોધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં આ માણસોને પકડવામાં આવ્યા, ત્યારે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી ન હતી. પુરાવામાં કોઈ હથિયારો મળ્યાં નહોતાં અને તેમને ખરાબ ચીતરવા માટે જુઠ્ઠાણાં ચલાવવામાં આવ્યાં હતાં. બચી ગયેલાઓને નીચલી અદાલતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમની આજીવિકા અને તેમનાં બાળકોનાં શિક્ષણને અસર થઈ હતી, છતાં લાગણી અને માનસને લાગેલા આઘાતનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કેસ લડ્યે રાખ્યો હતો.

મહિલાઓએ પણ જતું ન કર્યું અને નિષ્ઠાવાન વડીલોએ તેમનો કેસ લડ્યો. હકીકતમાં, માત્ર આ દૃઢતાના જોરે જ આખરે આરોપી પી.એ.સી.ના કર્મચારીઓને વાસ્તવિક હત્યાકાંડ સાથે જોડતા પુરાવાઓ ‘શોધવામાં’ સફળતા મળી. જે કંઈ પણ શ્રેય જાય છે, તે બચી ગયેલા લોકો, વકીલો અને માધ્યમોના એક નાનકડા ભાગને જાય છે, જેમણે ન્યાયની આશા જગાવી રાખી અને અઘરી જીત શક્ય બનાવી.

આ કેસને સ્મૃતિનાશ કરીને કોરણે મૂકવા જેવો નથી. હિંસા અને હત્યાઓથી પ્રભાવિત પરિવારો દ્વારા કરવામાં આવતી સંખ્યાબંધ રજૂઆતો ધ્યાને લેવા જેવી છે. આ માત્ર ત્યારે જ થઈ શકે, જ્યારે મીડિયા અને દેશની દિશા વિશે ચિંતિત નાગરિકોનો ટેકો મળે, તો આ કેસમાં તપાસ કરનાર પોલીસ-અધિકારી દ્વારા વર્ણવ્યા મુજબ ‘સ્વતંત્ર ભારતની સૌથી ખરાબ કસ્ટોડિયલ હત્યા’ને દૂર રાખી શકાશે.

હાશીમપુરાના મુસ્લિમ-સમુદાય માટે, આ તેમના સામૂહિક ઇતિહાસનો એક અવિસ્મરણીય હિસ્સો છે, જેની વિગતો સમાજની સ્મૃતિમાં કાયમ રહેશે. મહત્ત્વનું એ છે કે આ એપિસોડને જનસામાન્યને પણ યાદ અને પુનઃ યાદ કરાવવામાં આવે. કેમ કે જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે, ત્યારે તે પાઠનું પુનરાવર્તન થાય છે અને તે પાઠ સંભવતઃ સૌથી સામાન્ય અને સૌથી ઉપેક્ષિત હોય છે.

(સંપાદકીય, “ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વીકલી”, ૧૭ નવેમ્બર, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 09

Loading

આદિવાસીઓના આલ્બર્ટ સ્વાઇત્ઝર : ડૉ. નવનીત ફોજદાર

બકુલા ઘાસવાલા|Samantar Gujarat - Samantar|17 December 2018

પિંડવળ – ધરમપુરમાં વંચિતો માટે સેવાકાર્યની ધૂણી ધખાવીને બેઠેલા એ ચારેચાર કર્મઠો વાસ્તવમાં માનવીય મૂલ્યોને વરનારાં સાચૂકલાં જણ હતાં. ડૉ. નવનીતભાઈ ફોજદાર, કાન્તિભાઈ શાહ, હરિશ્ચંદ્ર બહેનો : કાન્તાબહેન અને હરવિલાસબહેન.

કાન્તિભાઈ શાહ તો “ભૂમિપુત્ર”, પોતાનાં પુસ્તકો અને મનન-ચિંતનના કારણે જાણીતા. ‘એકત્વની આરાધના’ દ્વારા એમણે હરિશ્ચંદ્ર બહેનોનો પરિચય પણ કરાવ્યો. સર્વોદય પરિવાર ટ્રસ્ટનાં અમારાં જેવાં શુભેચ્છકોને ક્યારથી રાહ હતી કે ક્યારેક ડૉ. નવનીતભાઈના પ્રદાનની પણ ગુજરાતને જાણ થાય. જો કે ડૉક્ટર-સાહેબ પોતાની કોઈ કદરદાની કે પ્રશંસાના ક્યારે ય મોહતાજ ન હતા. વાસ્તવમાં એનાથી અળગા જ રહેતા. કામને સમર્પિત, નિર્મોહી, અપરિગ્રહને આત્મસાત્‌ કરનાર, તૃણમૂળ વસનારાં વંચિતોની સમસ્યાને સમજનાર, જિંદગીને ચાહનાર ડૉક્ટર નવનીતભાઈ ફોજદારના જીવન-કવનને સર્વગ્રાહી છતાં સંક્ષિપ્તમાં વર્ણવીને પણ એમને ન્યાય આપનાર વિક્રમભાઈ અને ભદ્રાબહેન તો સાથે પુસ્તિકામાં સરસ, તરલ, પ્રવાહી શૈલીમાં અભિવ્યક્તિ કરનાર મુનિ દવેનો આભાર માનીએ એટલો ઓછો. વિચારવર્તુળ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકા ગુજરાતી પ્રજાને મળેલી અનોખી ભેટ છે, તો ડૉક્ટરસાહેબનું સાચું તર્પણ છે.

છેંતાળીસ પાનાંમાં સંકલિત એમની જીવનગાથા આ ક્ષેત્રની સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકટ પરિસ્થિતિ અને સમસ્યાઓના ઉકેલ માટે પ્રતિબદ્ધ-કટિબદ્ધ-સમર્પિત ડૉક્ટર સાહેબ અને એમના સહકર્મીઓએ કરેલા પ્રયાસોની વાત માંડે છે. અમારે તો વલસાડથી ધરમપુર ઢૂંકડું. સાચું કહું તો મને સતત એક પ્રશ્ન થતો જ રહ્યો છે કે આઝાદીનાં સિત્તેર વર્ષ પછી પણ આ વિસ્તાર કેમ ત્યાંનો ત્યાં જ હોય તેવું લાગે છે! રાજારજવાડાં, સર્વોદય કાર્યકર્તાઓ, મિશનરીઓ, હિંદુત્વવાદીઓ, વિકાસશીલ સંસ્થાઓ અને કલ્યાણપ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સહિત કેટલા ય લોકો સક્રિય છે. આઝાદી પછી આજપર્યંત સંસદસભ્યની બેઠક આદિવાસી અનામત જ રહી છે. ઉત્તમભાઈ પટેલથી લઈ વર્તમાન રાજકર્તાઓ સહિત સંસદસભ્યો અને ધારાસભ્યોએ સરકાર દ્વારા પણ આ વિસ્તારના વિકાસ માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા છે. અહીંની પ્રજાએ આદિવાસીઓથી વનવાસી સુધીની યાત્રા કરી લીધા પછીથી પણ હજી કેમ એ જ નિષ્કામ સેવાની જરૂર વર્તાયા કરે છે?

આઝાદ ભારતનો કદાચ પ્રથમ પ્રજાકીય સત્યાગ્રહ પણ ‘પારડી અન્ન ખેડસત્યાગ્રહ’ આ ભૌગોલિક વિસ્તારથી જ થયેલો. તમે ધરમપુર જુઓ તો સમૃદ્ધિની ઝાંખી કરાવતું નગર લાગે. અમાપ કુદરતી સૌંદર્ય વેરાયેલું છતાં મૂળ નિવાસીઓને તો ભારોભાર અભાવ ને રોટી-કપડાં-મકાનનાં વલખાં એ કેવી કુદરતી મજાક! પરંતુ એ જ સત્ય છે. ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છતાં પણ પાણીની સમસ્યા તો ખરી.

જો કે આજે પણ અહીં કામ કરનારા પ્રશ્નો પૂછ્યા વગર જે કાંઈ કામ થાય તે કર્યા જ કરે છે. પોતે લાખોની કમાણી કરી મહાનગરમાં પોતાની કારકિર્દી બનાવી શક્યા હોત કે કામ કરતાં કરતાં પોતાની મસમોટી સંસ્થા બનાવી મિલકતો વસાવી લીધી હોત, પરંતુ આ લોકોએ તો ક્યારે ય પણ પોતાની સાદગી અને સ્વીકારેલી નિમ્ન મધ્યમવર્ગીય જીવનશૈલી છોડી નહીં. હજી પણ ખડકીમાં સુજાતા કે ખોબામાં નીલેશ જેવાં કાર્યકર્તા એ જ સાદગીથી રહીને પોતાના ધ્યેયને સમર્પિત રહે છે.

નવનીતભાઈનાં કામનો પરિચય મને જ્યોતીન્દ્ર દેસાઈના કારણે થયેલો, તો કાન્તાબહેન-હરવિલાસબહેનની ઓળખાણ મારી નાનીબહેનનાં કારણે થયેલી. વરસો સુધી અમે ચાદરચારસા, ટુવાલ, નેપકિન્સ અને વસ્ત્રો માટે ખાદી પિંડવળની જ ખરીદતાં. જો કે અમે ખાદીધારી નહીં, પરંતુ અમને ખાદી ગમે અને પિંડવળની પ્રવૃત્તિઓને વેગવંત બનાવી શકાય એટલે. ઝાઝી ગતાગમ તો નહીં કે અહીં કામ કરવું કેટલું કપરું છે, પરંતુ જઈ શકાતું ત્યારે અમે ધરમપુર વિસ્તારમાં મિત્રોને શક્ય તેટલા સહાયભૂત થવાનું તો પસંદ કરતાં જ એટલે આ લોકોનાં કામને પણ જાણીએ.

છતાં આ નાનકડી પુસ્તિકાના કારણે નવેસરથી નવનીતભાઈ અને મંડળીનું જાણવાનું ગમ્યું. નાથાબાપા સાથે એમના સંબંધો કે નવનીતભાઈને  ગમતાં ભજનની ઝલક એ પાસાની જાણ તો આજે આ વાંચતાં જ થઈ. જો કે એમના અન્ય રસક્ષેત્રની ઝાંખી પણ અહીં મળે છે. જેમ કે જૂની ફિલ્મોનાં ગાયનોમાં એમનો રસ અને મધુર ગાયકી. આમ, સાદો ખોરાક છતાં સ્વાદના રસિયા હોવું, વંચિતો માટે અતિ સંવેદનશીલતા અને અભાવો વચ્ચે પણ રસ્તા કાઢવાની કુનેહ જેવી લાક્ષણિકતાઓ ધ્યાનાકર્ષક બની રહે છે. અંતિમ દિવસોમાં વેઠેલી શારીરિક પીડાઓ વચ્ચે પણ જાળવેલી સમતાની નોંધ તો એમને વિશે લખનારાં સૌએ લીધી છે. અમે પણ મિત્ર ડૉ. ઉષાબહેન મૈસેરીના કારણે જાણેલું કે એમણે હરફ ઉચ્ચાર્યા વગર કેવી પીડા ભોગવી હતી.

આજે આ પુસ્તિકા વાંચતાં સાંઈ મકરન્દ દવે-કુન્દનિકા કાપડિયા, કોકીબહેન-ભીખુભાઈ, હર્ષાબહેન, અશ્વિનભાઈ, કાન્તિભાઈ ચંદારાણા, દક્ષા અને આર્ચ ટીમ, અપર્ણા કડીકર, આદરણીય શ્રીમદ્‌ રાજચન્દ્ર-રાકેશભાઈની ટીમ, ઋષિત મસરાણી, નીતિનભાઈ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડની ટીમ, અમારી સંસ્થા અસ્તિત્વની ધરમપુર ટીમ અને ગિરિબાલા, પ્રજ્ઞા રાજા અને અન્ય કેટલાક સેવાભાવીઓ યાદ આવે છે. પુસ્તિકામાં સંસ્મરણો તાજાં કરનાર ડૉ. લતાબહેન-અનિલભાઈ, મયંકભાઈ, અશ્વિન પટેલ, અશ્વિન શાહ, અશોક ગોહિલ, મહેશ ભણસાલી, હસમુખ પારેખ, પ્રકાશ શાહ અને મુનિ દવેએ પણ નવનીતભાઈના જીવનનાં વિવિધ પાસાં વિશે પારદર્શકતાથી લખ્યું છે.

શ્રી સુરેશભાઈ પરીખ અને વિચારવલોણું વિશે પણ લખવું જોઈએ, જેથી સમાજમાં શિષ્ટવાચન વિશે જાણ થાય. આજે તો આટલું જ. મુનિ દવે, પ્રજ્ઞા પટેલ, નિરંજન શાહ, તરુણ શાહ – ‘વિચારવલોણું’ના વર્તમાન સંપાદકો છે. ફરીથી વિક્રમભાઈ અને ભદ્રાબહેનનો આભાર કે એમણે એક નવનીતભાઈના વ્યક્તિચિત્ર શબ્દસ્થ કર્યું અને મને યાદ કરી આ પુસ્તકથી પરિચિત પણ કરી. સામાન્ય રીતે હું કરતી નથી, પરંતુ આજે મિત્રોને ખાસ વિનંતી કે આ પુસ્તિકા ખરીદીને ઘરમાં તો રાખે, પરંતુ વહેંચવાની કાળજી પણ કરે. આ એવી વ્યક્તિનું જીવનકવન છે કે જ્યારે ડૉક્ટરો મન મૂકીને પૈસા પાછળ દોડે છે, ત્યારે લગભગ અકિંચન રહીને, અગવડો ભોગવીને પોતાના વંચિતબંધુ-ભગિનીઓ માટે જીવન ન્યોછાવર કર્યું. નવનીતભાઈને દિલી સલામ.

E-mail : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 10

Loading

...102030...2,9042,9052,9062,907...2,9102,9202,930...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved