Opinion Magazine
Number of visits: 9685301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૉપ્યુલિસ્ટ પૉલિટિક્સઃ લોકશાહીના પાયા પર વળગેલી ‘લોકભોગ્ય’ કાવાદાવાની ઉધઇ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 March 2019

પૉપ્યુલિસ્ટ રાજકારણ વાડાબંધી અને જૂથવાદ જ વધારે છે. સમાજમાં વૈમનસ્ય અને આર્થિક અવ્યવસ્થાએ આ પ્રકારનાં લોકભોગ્ય રાજકારણનું પરિણામ છે.

આજકાલ માફીની સિઝન ચાલી છે. ના અહીં ક્ષમાનાં સંદર્ભે માફીની વાત નથી ચાલી રહી બલકે દેવાં અને બિલ માફીની વાત થઇ રહી છે.  રાજકારણમાં પાસાં પલટાયા અને કૉન્ગ્રેસે જે – તે રાજ્યમાં સત્તા હાથમાં આવતાં તરત જ ખેડૂતોનાં દેવાં માફ કરવાની જાહેરાત કરી. આ થયું અને ભા.જ.પ. શાસિત રાજ્યોને કોઇએ ભર શિયાળે મ્હોંએ પાણી છાંટી ઉઠાડ્યા હોય એવી હાલત થઇ, અને ગુજરાત, આસામ વગેરે રાજ્યોમાં વ્યાજ-કર-બિલ વગેરે જેમાં પણ માફી અપાય એમ હતું એ બધું જાહેર થઇ ગયું. ૨૦૧૮ની સાલમાં ખેડૂતોની રેલીઓ ચર્ચામાં રહી. આ દરમિયાન ઘણાં એવાં પ્રસંગો આવ્યા જ્યાં એક કરતાં વધુ વિરોધ પક્ષો ખેડૂતોને ટેકો આપતા જાહેર કાર્યક્રમોમાં એક જ મંચ પર દેખાયા. જે બે પક્ષો વચ્ચે સ્નાન સૂતકનો પણ સંબંધ ન હોય તેવાં પક્ષો આ એક મુદ્દે એક થઇ ગયા. ચૂંટણીની આ મોસમનું અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે મોટાં ભાગનાં નેતાઓ અને વિરોધ પક્ષો માટે ખેડૂતોની પડખે ઊભા રહેવું એક બિનસાંપ્રદાયિક, વાડાબંધી વગરની તટસ્થ પસંદગી હતી. આપણે ખેડૂતોના પ્રશ્નોની ફિકર નથી કરવાની પણ ભારતીય રાજકારણમાં વર્ષોથી પગપેસારો કરીને પોતાનાં મૂળિયાં ઊંડા ઉતારી ચૂકેલા પૉપ્યુલિસ્ટ અભિગમની વાત કરવાની છે.

પૉપ્યુલિસ્ટ એટલે કે દેખીતી રીતે ‘જનતા’-લક્ષી, લોકોનાં મોટા વર્ગનાં હિતને ધ્યાનમાં રાખીને ઘડાતી રાજનીતિ કે લોકભોગ્ય નિર્ણયો, વાતો અને વહેવાર હોવાં. પૉપ્ચુલર એટલે કે લોકપ્રિય શબ્દ પરથી બનેલા પૉપ્યુલિસ્ટ તથા પૉપ્યુલિઝમ શબ્દનાં અર્થમાં ઘણું અંતર છે. પૉપ્યુલર હોવું અને પૉપ્યુલિસ્ટ હોવું એ બંન્ને અલગ બાબત છે. રાજનીતિશાસ્ત્ર અનુસાર પૉપ્યુલિઝમ એવો વિચાર છે જેમાં સમાજમાં બે સ્પષ્ટ ભાગ પડે છે – એક શુદ્ધ લોકોનો અને બીજો ભ્રષ્ટ શ્રેષ્ઠી કે ભદ્ર લોકોનો! ખેડૂતોનાં દેવાં કે ગ્રામીણ વિસ્તારોનાં વીજ બિલ માફ કરવા એ રાજનૈતિક પૉપ્યુલિસ્ટ પૉલિટિક્સની વ્યૂહરચના છે. પૉપ્યુલિસ્ટ કે લોકભોગ્ય અભિગમ લોકશાહી જેટલી જ જૂની બાબત છે. ભારતનાં સંદર્ભે આવું લોકભોગ્ય રાજકારણ બે વડાપ્રધાનો સાથે હંમેશાં જોડવામાં આવ્યું છે – એક ઇંદિરા ગાંધી અને બીજા નરેન્દ્ર મોદી – બંન્નેનાં પક્ષ અલગ – ઇંદિરા ગાંધીને ડાબેરી પૉપ્યુલિઝમ સાથે સંકળાયેલા હોવાનું કહેવાયું છે, તો નરેન્દ્ર મોદીની સફળતા પાછળ જમણેરી પૉપ્યુલિઝમ જોડાયેલું છે. પૉપ્યુલિઝમનો ઉપયોગ કોઇપણ વિચારધારાનાં રાજકારણીઓ કરી શકે છે કારણ કે અંતે તો આ એક વ્યૂહરચના છે જે સાધારણ જનતા અને શ્રેષ્ઠીઓ વચ્ચેની ખાઇને વધારે ઊંડી કરતી નીતિઓ વચ્ચેની લડાઇ છે. મજાની વાત એ પણ છે કે પૉપ્યુલિઝમમાં રાજકીય નેતૃત્વ અને મહત્ત્વના આર્થિક ટેકેદારો (ઉદ્યોગપતિ) વચ્ચે મજબૂત કડી હોય છે.

પૉપ્યુલિઝમ અલગ વર્ગને અલગ વસ્તુઓ ઑફર કરતું હોય છે. શ્રેષ્ઠી નગરની વાત કરીએ તો તેમને ચૂંટણી દરમિયાન નજીકનાં શહેરમાં જવા માટેના નવા સડસડાટ કાર દોડાવી શકાય એવા રસ્તાની અને નવી સ્કૂલનાં બિલ્ડીંગની ઑફર થાય તો સામાન્ય (ગરીબ અથવા નિમ્ન સ્તરનાં) નાગરિકોને સેલફોન કે ટેલિવિઝન સેટ ઑફર થાય. આમ જોવા જઇએ તો નિમ્ન સ્તરનાં નાગરિકને સેલફોન કે ટી.વી.ની ઉત્કંઠા હોવા છતાં ય પોતાની દીકરી માટેની સ્કૂલ કે પોતાનાં ઉત્પાદનોની હેરફેર કરવા માટેના રસ્તામાં વધારે રસ પડે પણ છતાં ય રાજકારણનાં ચોપડે શ્રેષ્ઠીઓ માટેની નીતિઓ સાધારણ માણસને ‘ઑફર’ કરાય એ રીતે નથી ઘડાતી. આમ ચાલતું આવ્યું હોવાનું સીધું કારણ આપણી રાજકીય પરંપરા છે, જેનું નિશાન વ્યક્તિગત મતદાર હોય છે, ચોક્કસ જૂથ નહીં. જાત ભાતનાં લાભનાં વચન આપનારા રાજકીય પક્ષોની આપણને જરા ય નવાઇ નથી; જેમ કે બે રૂપિયે કિલો ચોખા, લોન માફી, ઘરનું ઘર, મફક વીજળી, કલ્યાણકારી પેન્શન યોજનાઓ વગેરે વગેરે. ગરીબોના મત મેળવવા માટે એક સમયે અપાતા દારુ અને પૈસાથી આજે આવાં વચનો તરફ આપણાં રાજકીય પક્ષોની પ્રગતિ થઇ છે. મતદાર રાજકારણીઓ માટે એક રાજકીય બજારની ‘કમોડિટી’ – વેપારની જણસથી વધારે કંઇ જ નથી હોતો. પૉપ્યુલિઝમ એટલે કે પોતાને અથવા તો પોતાની નીતિઓને લોકભોગ્ય સાબિત કરવાની સ્પર્ધા વધારે તંગ થવા માંડી અને આપણાં રાજકીય વ્યવસ્થાતંત્રનો પાયો સાવ પોકળ બનતો ગયો છે. વળી આની સીધી અસર અર્થતંત્ર પર પણ પડે છે. જેમ કે જે દેવાં કે બીલો માફ કરાયાં છે તેને કારણે રાષ્ટ્રીય તિજોરીની ગોઠવણ જ હચમચી જવાની છે. અર્થશાસ્ત્રીઓ અને રાજકીય વિચારકોને મતે પૉપ્યુલિઝમની સ્પર્ધા દેશને એક કરતાં વધુ રીતે માઠી અસર કરે છે, પણ જે રીતે આપણે ત્યાં ચાલતું આવ્યું છે તે જોતાં લોકભોગ્ય રાજકારણનો અંત આવે એવી શક્યતાઓ બહુ ઓછી છે.

પૉપ્યુલિસ્ટ રાજકારણીઓનાં ચોક્કસ લક્ષણ હોય છે. જેમ કે તેઓ સંસદના બહુમતને યોગ્યતાની અનોખી મહોર અને સ્રોત માને છે. પૉપ્યુલિસ્ટ રાજકારણી કોઇપણ મુદ્દાની જટિલતાને સરળ કરી રજૂઆત કરે છે તથા ‘લોકો’ની ઇચ્છા હશે તો બધા પડકારને પહોંચી વળાશે એમ માનતા હોય છે. મતદારોનો બહુમત પૉપ્યુલિસ્ટ માટે ‘જનતા’ હોય છે અને બાકીનાઓને તે અવગણે છે. સંસ્થાકીય માળખાંઓ કે કાયદા પૉપ્યુલિસ્ટ્સ માટે અવરોધરૂપ સાબિત થાય છે અને તેમના મતે ‘જનતાનાં હિત’માં આડે આવતા હોય તો તેને હટાવી દેવા જોઇએ. સત્તાકીય જ્ઞાન કે અનુભવને ગણતરીમાં લેવાનું પૉપ્યુલિસ્ટ્સને માફક નથી આવતું. પૉપ્યુલિઝમ અંતે તો ખાતરી કે નિશ્ચિતતાનાં મજબૂત આદર્શો પણ જવાબદારીનાં નબળાં આદર્શોમાં પરિણમે છે. વળી આ રીતે ‘જનતા’નો મોટાભાગનો હિસ્સો અસંતુષ્ટ જ રહે છે.

પૉપ્યુલિઝમ માત્ર ભારતમાં છે એમ નથી. બ્રેક્ઝિટમાં પૉપ્યુલિઝમનાં કડવાં ફળ દેખીતાં છે તો ટ્રમ્પ પ્રકારનું રાજકારણ પણ પૉપ્યુલિઝમ આધારિત છે. ટર્કીમાં એર્ડોગાનની તો હંગેરીમાં વિક્ટર ઓર્બાનની આ જ વ્યૂહરચના છે, તો બ્રાઝીલમાં પૉપ્યુલિઝમને પગલે સત્તા જમણેરી પૂર્વગ્રહ ધરાવનારાઓના હાથમાં ગઇ છે. પૉપ્યુલિઝમમાં એક અનોખી વાત છે કે જ્યારે પણ એ નિષ્ફળ જાય છે ત્યારે આ નિષ્ફળઓના દોષનો ટોપલો પહેલાંની સરકારોની નકારાત્મક બાબતો પર અથવા તો કોઇ અજાણ્યા કળી ન શકાય એવા સ્રોત પર ઢોળી દેવાય છે. આપણા સાહેબે નહેરુ અને કૉન્ગ્રેસ સામેનાં ફરિયાદી ચોપડાં લખવાનું સતત ચાલુ રાખ્યું છે, તો ઇંદિરા ગાંધી અવારનવારા ‘વિદેશી તાકત’ના હાથનો વાંક કાઢતાં. મોદી અને ટ્રમ્પની સરખામણી પણ કરવી રહી. બંન્ને જણા પૉપ્યુલર વિચારો કે સંવેદનાઓનો ઉપયોગ અને ઝૂકાવ પોતાનાં પક્ષે સારી પેઠે મેનેજ કરી શકે છે. ટ્રમ્પ ‘વ્હાઇટ’ વર્કિંગ ક્લાસની ચિંતાઓ પર દાવ રમે છે, તો મોદી માટે ગરીબ અને સાધારણ વર્ગનો રોજિંદા ભ્રષ્ટાચાર પ્રત્યેનો કંટાળો ચેનલાઇઝ કરવાનો રહે છે. બિઝનેસ અને ઉદ્યોગ ક્ષેત્રનો બંન્ને જણને સારો એવો ટેકો છે. ટ્રમ્પ મેક્સીકન્સ અને આફ્રિકન્સને વરવાં ચિતરે છે તો મોદી પાસે મુસલમાનોનો વિકલ્પ છે જેને પગલે તે હિદુત્વનું કાર્ડ પણ સારી પેઠે રમી જાણે છે. ટ્રમ્પનાં ટેરીફ્સ અને મોદીનાં ડિમોનેટાઇઝેશનની વાહવાહી કરનારાં ઓછાં નથી જે બતાડે છે કે બંન્ને વડાઓએ સારી પેઠે આ પૉપ્યુલિસ્ટ પૉલિસીઝને લોકોને ગળે ઉતારી છે, પછી ભલેને તેનાથી નુકસાન જ કેમ ન થયું હોય. બન્ને વડાઓ આબાદ રીતે ભદ્ર વર્ગને વખોડે છે, ટ્રમ્પ વૉલ સ્ટ્રીટને તો મોદી પણ સ્થાપિત ભદ્ર વર્ગ એમાં ય ખાસ કરીને નેહરુ-ગાંધી પરિવારનાં સભ્યોનું બુરું બોલતા અટકતા નથી. ભક્તો ચોક્કસ એમ કહેશે કે યુ.પી.એ. સરકાર દરમિયાન જે બેફામ ભ્રષ્ટાચાર હતો એ કાબૂમાં આવ્યો છે. હા, એની ના નહીં પણ તેની સામે ઉદ્યોગપતિઓને પૉલિસી તથા કાયદાને માર્ગે અઢળક ફેવર્સ મળી રહી છે. ભારતનાં બિલ્યોનર્સની નેટ વર્થ છેલ્લાં ચાર વર્ષમાં કૂદકે ને ભૂસકે વધી છે.

પૉપ્યુલિઝમ મોટે ભાગે રાષ્ટ્રવાદનાં મ્હોરા પાછળ છુપાઇને ઘુસણખોરી કરતું હોય છે. રાષ્ટ્રવાદનું મૂળ સ્વરૂપ એકતા આધારિત લોકશાહીની સ્થાપના કરે છે, જેમાં આંતરિક અને બાહ્ય બન્ને સ્તરે ઐક્ય જળવાય છે, તેમાં સમાન હક, મૂલ્યો અને મહત્ત્વાકાંક્ષાઓ વણાયેલાં હોય છે. પરંતુ પૉપ્યુલિઝમને કારણે રાષ્ટ્રવાદની આ મૂળ સમજણ પાંખી અને સાંકડી થઇ રહી છે. આ પ્રકારની સ્થિતિ લોકશાહી માટે પણ જોખમી છે. વળી આને કારણે બે જૂદા દેશ વચ્ચેના સંબંધમાં સ્થાનિક સંજોગોને હાથો બનાવાય છે વિદેશ નીતિને વધારે પેચીદી બનાવી દે છે. જેમ કે પાકિસ્તાનની વાત આવે ત્યારે આપણે ત્યાં વિરોધપક્ષ કે શત્રુ પક્ષને પ્રો-પાકિસ્તાનીનું બિરુદ વારંવાર આપવામાં આવે છે. આ સ્થિતિમાં વિરોધપક્ષનું જે થવાનું હોય એ થશે પણ પાકિસ્તાન કોઇપણ સંજોગોમાં શત્રુ દેશ જ રહેશે અને આમ વિદેશ નીતિનાં વાટાઘાટ વધારે કપરાં બનતા જશે. વૈશ્વિકરણ વધ્યું છે ત્યારે આર્થિક અસમાનતાઓ પણ વધી રહી છે, રાષ્ટ્રોની વચ્ચે હાર-જીતનો ખેલ ચાલ્યા કરતો હોય ત્યારે પરસ્પર આધાર રાખી શકાય એવી નીતિઓની જરૂર પડે છે. પરંતુ જ્યારે દેશમાં આંતરિક સ્તરે ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી ચાલતી હોય ત્યારે રાષ્ટ્રીય પ્રશ્નો જ ન ઉકેલાતાં હોય તો પછી આંતરરાષ્ટ્રીય સ્તરનાં પડકારો કેવી રીતે ઉકેલાઇ શકે.

પૉપ્યુલિસ્ટ રાજકારણનું પરિણામ એટલે જૂથવાદ અને વાડાબંધી. કહેવાતા ગૌ રક્ષકો બુલંદેશ્વરમાં એક પોલીસ અધિકારીને રહેંસી નાખે એ આક્રમક જૂથવાદની ફળશ્રુતિ છે. આપણે ત્યાં આવી ઘટનાઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધી છે. જો આ જ સ્થિતિ રહી તો આંતરિક વિખવાદો ભારતનો વૈશ્વિક મેઇક-અપ વિખેરી નાખશે.

બાય ધી વેઃ

ખેડૂત તરીકે એક સાથે રેલી કાઢનારાઓ જ્યારે વોટ આપવા જશે ત્યારે જાતિ, જ્ઞાતિ અને ધર્મને ધ્યાનમાં રાખીને જ વોટ આપવાના છે, એ નેતાઓએ યાદ રાખવું રહ્યું. પૉપ્યુલિસ્ટ લિડર હંમેશાં પોતાને જનતાનો માણસ ગણાવે છે અને આપણે ‘પાંચ કરોડ ગુજરાતીઓ’થી માંડીને ‘મિત્રો’ સુધીનાં સંબોધનોમાં તેની ઝલક જોઇ છે. પૉપ્યુલિસ્ટ્સનો અભિગમ પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાંની લીટી ભુંસવાનો હોય છે. આ પ્રકારનું રાજકારણ એકચક્રીય સત્તા તરફ લઇ જાય છે. પૉપ્યુલિસ્ટ જાહેરમાં સ્વતંત્રતા અને લોકશાહીની વાતો કરે છે પણ તેની ગાદી પર બેસે કે તરત આ વિચારો સંકોચાઇને કોકડું વળી જાય છે. ચૂંટણી પંચ ચાહે તો તે વ્યક્તિગત લાભ આપવાની વાતો કરતા સ્પર્ધાત્મક પૉપ્યુલિઝમ પર પ્રતિબંધ મૂકી શકે છે. સમાજ અને અર્થતંત્રને લાંબા ગાળે લાભ આપનારી બાબતો રાજકારણનો ભાગ હોઇ શકે બાકી હાલમાં તો રાજકારણીઓ ‘જનતા’ની પીડાને અનુભવવાનો ડોળ કરી પોતાની રોટલી શેકવામાં પાવરધા થઇ ચૂક્યા છે.

04 ડિસેમ્બર 2018

e.mail : chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

Loading

વિદ્વાન દીવાનનું સ્વરૂપાનુસંધાન

દીપક મહેતા|Opinion - Literature|13 March 2019

કાળચક્રની ફેરીએ

“આપે મને કીમતી મણીમાલા મોકલી હોત તો તે એક સુંદર ભેટ ગણાત, પણ તેથી કંઈ મારી જાતને, મારા આત્માને લાભ થાત નહિ. પણ આપે મને કિંમતી શબ્દોની જે મણીમાલા મોકલી છે તેનાથી મને, મારા આત્મનને લાભ થયો છે. અને તેથી હું આપની ભેટને મણીમાલા કરતાં ઘણી વધુ કીમતી ભેટ ગણું છું. હા, આ જિંદગીમાં આપણે ક્યારેય એકબીજાને મળવાના નથી, પણ આપણો આધ્યાત્મિક સમાગમ આ રીતે થયો તેથી મને આનંદ થયો છે.”

આ શબ્દો લખાયા હતા ૧૮૮૪ના ડિસેમ્બરની પાંચમી તારીખે લખાયેલા એક પત્રમાં. પત્ર લખનાર હતા સંસ્કૃત અને ઇન્ડોલોજીના પ્રકાંડ પંડિત મેક્સમૂલર. અને આ પત્ર લખાયો હતો શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, દીવાન, ભાવનગર રાજ્યને. અગાઉ મનહરપદ પુસ્તક વિષે લખતાં જેમની વાત કરેલી તે જ ગગાભાઈ ઉર્ફે ગૌરીશંકર ઓઝાએ પોતાનું પુસ્તક મેક્સમૂલરને ભેટ મોકલ્યું હતું તેના જવાબમાં મેક્સમૂલરે આ પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યા પ્રમાણે મેક્સમૂલર અને ગગાભાઈ એકબીજાને ક્યારે ય મળ્યા નહોતા, મળે તેવો સંભવ પણ નહોતો. એટલે આ શબ્દો માત્ર વિવેક ખાતર લખાયા ન હોય. જો કે મેક્સમૂલર જેવા વિદ્વાન એમ કોઈને વિવેક ખાતર લખે પણ નહિ.

તો મેક્સમૂલરને પણ જે કિંમતી ભેટ જેવું લાગ્યું તે પુસ્તક કયું હતું? ગગાભાઈના એ પુસ્તકનું નામ સ્વરૂપાનુંસંધાન, જે મુંબઈના નિર્ણયસાગર છાપખાનામાં છપાઈને ૧૮૮૪માં પ્રગટ થયું હતું. દેવનાગરી લિપિમાં છપાયેલા ટાઈટલ પેજ પર પુસ્તક વિષે આ પ્રમાણે લખ્યું છે: “બ્રહ્મ આત્માના એકત્વનો સાત પ્રક્રિયાયે કરીને વિચાર, વેદાન્ત વિષયનો ગ્રંથ.” શંકાશીલને પહેલો વહેમ એ આવે કે કોઈ બીજા પાસે લખાવીને દીવાનસાહેબે પુસ્તક પોતાને નામે તો નહિ છપાવ્યું હોય ને? રાજા-રજવાડા ઓ માટે આમ કરવાની નવાઈ નહોતી, તો દીવાનસાહેબ પણ એ રસ્તે ચાલ્યા નહિ હોય ને? ના, જી. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાએ લખેલ અત્યંત વિસ્તૃત જીવનચરિત્ર કહે છે કે ધર્મ અને શાસ્ત્રોમાં ગગાભાઈને પહેલેથી જ રસ હતો. ‘સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર’ પુસ્તકમાં વિજયરાય વૈદ્ય એ વાતને ટેકો આપે છે. અંગ્રેજીમાં લખાયેલ જીવનચરિત્રમાં ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક પણ તેમ જ કહે છે. કિશોરવયે ગગાભાઈએ ધર્મશાસ્ત્રોનો થોડો અભ્યાસ પણ કરેલો. સેવકરામ રાજારામ દેસાઈ પાસેથી શિવપુરાણ, વિષ્ણુભાગવત, દેવીભાગવત, ભારતસાર વગેરે ગ્રંથોનો અભ્યાસ કરેલો. પછી મનોહરસ્વામીનો સંગ મળ્યો, તેમનો રંગ લાગ્યો. તેમની પાસે પણ ગીતા અને ઉપનિષદોનું અધ્યયન કરેલું. દીવાન તરીકે રાજકાજ ઉપરાંત તેઓ સાધુસંતોનો સમાગમ કરતા રહેતા હતા. રાજના કાજે બહારગામ જાય ત્યારે ત્યાંના જ્ઞાની વિદ્વાનોને અને સાધુસંતોને મળતા. તેમને ભાવનગરમાં આવવા આમંત્રણ આપતા. દીવાનપદેથી નિવૃત્ત થયા પછી તેમણે ફરીથી શાસ્ત્રાભ્યાસમાં વધુ રસ લીધો એટલું જ નહિ, રોજ સાંજે પોતાને ઘરે કેટલાક આમંત્રિત મહેમાનો સાથે શાસ્ત્ર-ચર્ચા પણ કરવા લાગ્યા. તેમના બહુશ્રુતપણાની પ્રતીતિ થતાં તેમાંના કેટલાકે ગગાભાઈને પુસ્તક લખવાની વિનંતી કરી, જેથી તેમની શાસ્ત્રચર્ચા વધુ બહોળા વર્ગ સુધી પહોંચી શકે. આથી ગગાભાઈએ સ્વરૂપાનુસંધાન ગ્રંથ તૈયાર કર્યો. તેમાં ઉપનિષદો, સ્મૃતિઓ, ગીતા, યોગવાસિષ્ઠ, પંચદશી, સ્વારાજ્યસિદ્ધિ, શંકરાચાર્યના પ્રકરણગ્રંથો, વગેરેને અનુસરીને વેદાન્તશાસ્ત્રનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.

લેખકે પુસ્તકને સાત ‘પ્રતિક્રિયા’(પ્રકરણ)માં વહેંચ્યું છે. પહેલી પ્રતિક્રિયામાં બ્રહ્મનાં લક્ષણ, જીવ તથા ઈશ્વરનું સ્વરૂપ, આત્મા અને દેહ, વગેરેની ચર્ચા કરી છે. દૃષ્ટા અને દૃશ્ય, સાક્ષી અને સાક્ષ્ય, કારણ અને કાર્ય વચ્ચેના વિવેકની વાત બીજા પ્રકરણમાં મળે છે. તો ત્યાર પછીના પ્રકરણમાં મુખ્યત્વે આત્મા, કર્તૃત્વ, ભોક્તૃત્વ, વગેરેની ચર્ચા કરી છે. ચોથી પ્રક્રિયામાં જાગૃત વગેરે અવસ્થા, પારમાર્થિક, વ્યાવહારિક, અને પ્રાતિભાસિક એ ત્રિવિધ સત્તાઓની છણાવટ કરી છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી પ્રક્રિયામાં શ્રુતિપ્રસ્થાનનાં ભાષ્ય, સૂત્રભાષ્ય તથા સ્મૃતિપ્રસ્થાનનાં ભાષ્યોને આધારે વેદાન્ત સિદ્ધાંતોનું, સાધનોનું, અને ફળનું પ્રતિપાદન કરી ગ્રંથનો ઉપસંહાર કર્યો છે. અલબત્ત, અહીં એ નોંધવું જોઈએ કે સર્વસાધારણ વાચકને જેમાં ગમ પડે એવું આ પુસ્તક નથી, એવા વાચક માટે એ લખાયું જ નથી. હકીકતમાં આપણી પરંપરાગત શાસ્ત્રાર્થની ભાષ્ય પદ્ધતિને અનુસરીને તે લખાયું છે.

પુસ્તકની નકલો દેશની અને પરદેશની અનેક જાણીતી વ્યક્તિઓને ભેટ મોકલાઈ હતી. તેમાંના લગભગ બધાએ ગ્રંથની એક યા બીજી રીતે પ્રશંસા કરી હતી. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ લખ્યું હતું: “આપના જેવા રાજ્યપ્રસંગમાં એક સર્વોપરી પ્રધાન, અનેક ઉપાધિ છતાં શ્રદ્ધાપૂર્વક આત્મજ્ઞાન સંપાદન કરવા પૂર્વાવસ્થામાંથી જ પ્રયત્ન કરે એ જ પ્રથમ તો વિરલતા છે … આપ જેવા ઉત્તમોત્તમ વિદ્યાના ઉપાસક જોઈ દેશાભિમાનીઓને સંતોષાનંદ થવાનું કારણ છે.” તો ‘ગુજરાત શાળાપત્ર’માં નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ લખ્યું હતું: “ભાવનગરના માજી દીવાન, અને મુંબઈ ઇલાકા ખાતે હિન્દુસ્તાનના આ એક મોટા રાજનીતિજ્ઞ પુરુષે ગ્રંથકાર રૂપે દેખાવ આપી આખી પ્રજામાં સાનન્દાશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે … રાજ્યશ્રી ગગાભાઈનું નામ યૂરોપમાં પણ અજાણ્યું નથી. પાર્લામેન્ટમાં પ્રસંગોપાત એમની રાજ્યપ્રકરણી બુદ્ધિનાં હર્ષભેર વખાણ થયેલાં છે. પણ હાલ ‘સ્વરૂપાનુસંધાન’ એ નામનું એક સમર્થ પુસ્તક વેદાન્ત જેવા ગહન વિષય ઉપર લખી એ ગૃહસ્થે પોતાનો પારમાર્થિક અભ્યાસ, અદ્ભુત સ્મરણશક્તિ, તથા વૃદ્ધાવસ્થામાં પણ અખંડિત ઉદ્યોગ એ નિર્વિવાદપણે જાહેર કર્યા છે.”

એક જમાનામાં દેશ અને વિદેશમાં જેમનું નામ જાણીતું થયું હતું તે ગગાભાઈ(ગૌરીશંકર ઉદયશંકર ઓઝા)નો જન્મ ભાવનગર નજીકના ઘોઘા ગામે (જે એ વખતે બ્રિટિશ સરકારની હકૂમત નીચે હતું) ૧૮૦૫ના ઓગસ્ટની ૨૧મી તારીખે થયો હતો. તેમની દોઢ વર્ષની ઉંમરે માતા અજબબાનું અવસાન થયું. તેથી ગગાભાઈ તેમનાં મોટાં બહેન અચીબા અને બનેવી સેવકરામ રાજારામ દેસાઈ પાસે ઉછર્યા હતા. એ વખતે હજી અંગ્રેજી પદ્ધતિની સ્કૂલો શરૂ થઇ નહોતી. ગામઠી નિશાળમાં થોડુંઘણું ભણ્યા, પણ તેમાં ગાડું ખાસ ચાલ્યું નહિ. પણ કુટુંબીનાં વડીલો પાસેથી ધર્મ, કાવ્ય, અને મુત્સદ્દીગીરીના પાઠ શીખ્યા. ત્યારબાદ તેઓ સ્વામી મનોહરદાસના પરિચયમાં આવ્યા તેની વિગતો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. શરૂઆતમાં ગગાભાઈએ કાપડનો વેપાર કરી જોયો, પણ તેમાં ઝાઝી ફાવટ આવી નહિ. તેમના બનેવી સેવકરામ દેસાઈ ભાવનગર રાજ્યની નોકરીમાં હતા. તેમના દ્વારા ગગાભાઈ પણ તે રાજ્યની નોકરીમાં મહિને સવા છ રૂપિયાના પગારે ૧૫-૧૬ વર્ષની ઉંમરે જોડાયા, અને સેવકરામના કારકૂન તરીકે કામ શરૂ કર્યું. તેમની કૂનેહથી પ્રભાવિત થઇ રાજાએ ગગાભાઈની નિમણૂક કુંડલા પરગણાના ડેપ્યુટી વહીવટદાર તરીકે કરી. કુંડલા પર થયેલા બહારવટિયાઓના હુમલાને તેમણે કૂનેહ અને બહાદુરીથી નિષ્ફળ બનાવ્યો. પછી બહારવટિયાઓની બીકે નાસી ગયેલા ખેડૂતો, કારીગર, વસવાયાં, વગેરેને રક્ષણની ખાતરી આપી ફરી વસાવ્યાં, અને તેમના ધંધા-રોજગાર ફરી શરૂ કરવામાં મદદ કરી. એક કુશળ વહીવટકર્તા તરીકે તેઓ રાજાના મનમાં વસી ગયા, અને તેથી જુદી જુદી જવાબદારીઓ સંભાળ્યા પછી વખત જતાં ગગાભાઈ રાજયના દીવાનપદે પહોંચ્યા. દીવાન તરીકે તેમણે રાજ્યના વેપાર-રોજગારને પ્રોત્સાહન આપ્યું, બંદરનો વિકાસ કર્યો, ભાવનગર શહેર સુધરાઈની સ્થાપના કરી, પાણી, રસ્તાઓ, શિક્ષણ વગેરેની વ્યવસ્થા કરી. તેમણે ભાવનગરમાં પહેલી કન્યાશાળા શરૂ કરી, પણ દીકરીને ભણાવી હોય તો તે વહેલી વિધવા બને એવા વહેમને કારણે લોકો પોતાની દીકરીઓને તેમાં ભણવા મોકલતા નહિ, તેથી ગગાભાઈએ પોતાના કુટુંબની દીકરીઓને તેમાં ભણવા મોકલી અને દાખલો બેસાડ્યો. સ્થાનિક લોકો અને કેટલાક અંગ્રેજ અમલદારોનો પણ વિરોધ હોવા છતાં ભાવનગર-ગોંડલ રેલવેની યોજના કરી ને તેને પર પાડી. ભાવનગરને કાઠિયાવાડનું એક આગળ પડતું રાજ્ય બનાવ્યા પછી ૭૪ વર્ષની ઉંમરે ૧૮૭૯માં ગગાભાઈ દીવાનપદેથી નિવૃત્ત થયા. ત્યાર બાદ ૧૮૮૬માં સન્યસ્ત લઇ સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી બન્યા. ૧૮૯૧ના ડિસેમ્બરની પહેલી તારીખે તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી મેક્સમૂલરે લખ્યું: “મિ. ગ્લેડસ્ટન(બ્રિટનના વડા પ્રધાન વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટન, ૧૮૦૮-૧૮૯૮)ની જેમ ગૌરીશંકર હિન્દુસ્તાનમાં મહાન વૃદ્ધ પુરુષ તરીકે, અથવા તો તેથી પણ વધુ તો એક ઉત્તમ સુજ્ઞ પુરુષ રૂપે વિખ્યાત થયા, અને મિ. ગ્લેડસ્ટનની જેમ તેમના ચરિતમાં તત્ત્વવિચારક અને વ્યવહાર નિપુણ, ધ્યાની અને કર્મી એ બંનેનું મનોહર મિશ્રણ જોવામાં આવે છે.” અલબત્ત, આજે વિદ્વાન દીવાન ગગાભાઈ અને તેમના પાંડિત્યપૂર્ણ પુસ્તક સ્વરૂપાનુંસંધાન સાથે અનુસંધાન ધરાવનાર બહુ ઓછા જોવા મળે.

સંદર્ભ:

૧. શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, સી.એસ.આઈ. (સ્વામી શ્રીસચ્ચિદાનંદસરસ્વતી) એમનું સપત્રચિત્ર જીવનચરિત્ર/કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા. મુંબઈ, ૧૯૦૩

૨. Gaorishankar Udayashankar, C.S.I., Ex-Minister of Bhavnagar, Now in retirement as a Sanyasi/Javerilal Umiashankar Yajnik. Bombay, Pref. 1889

૩. સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર: ગગા ઓઝા/વિજયરાય ક. વૈદ્ય. ભાવનગર, ૧૯૫૯

xxx xxx xxx

[‘શબ્દસૃષ્ટિ'નાં માર્ચ ૨૦૧૯ના અંકમાં પ્રગટ થયેલો લેખ]

https://www.facebook.com/deepak.b.mehta.1/posts/10214719651841308

Loading

મનને રમત અને ગમત આપનારી વારતાઓ

દીપક મહેતા|Opinion - Literature|12 March 2019

કાળચક્રની ફેરીએ

એવણનું નામ પેશતનજી કાવશજી રબાડી. ઠામ, બોમ્બે કહેતાં મુંબઈ. કામ? મુંબઈના અખબાર ‘જામે જમશેદ’માં રિપોર્ટર. જનમ ૧૮૨૨. પાંસઠ વરસની વયે ૧૮૮૭ના ઓક્ટોબરની બીજી તારીખે બેહસ્તનશીન થયા. આજે તેમને યાદ કર્યા છે તે તો તેમનાં કથા-વારતાનાં ત્રણ પુસ્તકોને કારણે. ૧૮૬૫ના એપ્રિલ મહિનાની ૨૯મી તારીખે પહેલું પુસ્તક ‘કેહવત મુલ’ પરતાવ્યું. તેની બીજી આવૃત્તિ ૧૮૬૮માં, ત્રીજી ૧૮૮૧માં. ૧૮૭૨ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બીજું પુસ્તક ‘મનોરંજક કથા.’ ૧૮૮૪ના જુલાઈની ૩૧મી તારીખે ત્રીજું પુસ્તક ‘મનુશ પરેમી.’ ત્રણે પુસ્તક કથાનાં, વારતાનાં, કહાણીનાં. ટૂંકી વાર્તાનાં પુસ્તક તરીકે ન ઓળખાવીએ તો વાંધો નહિ. પણ આપણા મૂળની કથા અને અંગ્રેજી કૂળની વાર્તા – સ્ટોરી – એ બંનેની મિલાવટ તેમની વારતાઓમાં જોવા મળે. ભાષા, શૈલી, રજૂઆત, વગેરેનો ખ્યાલ આવે એટલે એક વાર્તાનો ઠીક ઠીક લાંબો ઉતારો: (ઉતારામાં અને અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

હા, જી. કથનરીતિ સીધી-સાદી છે. ભાષાના શણગારનો ઠઠારો નથી. પણ જરા ધ્યાનથી વાંચીએ તો કેટલીક બાબત નોંધપાત્ર લાગશે. લેખક પોતે પારસી છે, પણ અહીં વાત કરે છે એક બ્રાહ્મણ કુટુંબની. એ સમાજના રીતરિવાજોથી લેખક પરિચિત છે. બાળલગ્નોના જમાનામાં વહુ ઉમ્મરલાયક થાય એટલે આણું કરવાનો રિવાજ હતો તેનાથી લેખક પરિચિત. પારસી બોલચાલમાં સાધારણ રીતે ન વપરાય તેવા શબ્દોનો – જેમ કે ‘બાએડી’ – ઉપયોગ લેખક કરી જાણે છે. આગળ જતાં પીછોડી, મોહલો, ભરથાર, જેવા શબ્દો લેખક યોજે છે. “ઓહો જમના વહુ આ શું થીઉંરે” એવી પોક એક પાત્ર પાસે મૂકાવે છે, એટલું જ નહિ, બૈરાંઓ પાસે મરશિયાની લીટીઓ પણ ગવડાવે છે. લેખક બિન-પારસી સાહિત્યથી પણ સારા એવા માહિતગાર હોવા જોઈએ. કારણ દરેક વાર્તા પૂરી થયા પછી, તેમણે એ વાર્તાને અનુરૂપ કાવ્યો મૂક્યાં છે. તેમાં શામળ ભટ્ટ જેવા મધ્યકાલીન કવિઓ ઉપરાંત સમકાલીન દલપતરામ વગેરેની કૃતિઓ પણ જોવા મળે છે. તો સાથોસાથ કથામાં વચમાં વચમાં ટિપિકલ પારસી હ્યુમર પણ જોવા મળે છે.

પુસ્તકનું નામ આજે થોડી ગેરસમજ ઊભી કરે એવું છે. અહીં ‘કેહવત મુલ’ કહેતાં કહેવતોના મૂળમાં રહેલી કથાઓ એવું સમજવાનું નથી. પણ દરેક કથાને અંતે કોઈ એક કહેવત સાથે સાંકળી લીધી છે. આ પ્રકારનું આ પહેલું જ પુસ્તક છે એમ તેના ‘બનાવનાર’ રબાડીએ દિબાચામાં કહ્યું છે:

૨૦૬ પાનાંનું આ પુસ્તક મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાયું હતું અને સોરાબજી જમશેદજી જીજીભાઈને અર્પણ થયું હતું. અર્પણ-પત્ર અંગ્રેજીમાં છાપ્યું છે, જ્યારે પુસ્તકનું ટાઈટલ પેજ ગુજરાતીમાં છાપ્યું છે. પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.

રબાડીનું બીજું પુસ્તક ‘મનોરંજક કથા’ મુંબઈના ‘જામે જમશેદ’ના છાપખાનામાં છપાઈને ૧૮૭૨માં પ્રગટ થયું હતું. ૪૧૯ પાનાંનું આ પુસ્તક ‘નેક નામદાર શેઠજી સાહેબ શેઠ બેહરાંમજી જીજીભાઈ’ને અર્પણ કર્યું છે. અર્પણ પત્રિકા અંગ્રેજી અને ગુજરાતીમાં જુદા જુદા પાના પર છાપી છે. આ પુસ્તકમાં કુલ ૬૨ વાર્તાઓ છે. તેમાંની ઘણી મૌલિક નથી. પણ ઘણી વાર્તાઓમાં પાત્રો-પ્રસંગો ગુજરાતી હિંદુ સમાજનાં છે, પારસી સમાજનાં નહિ. કેટલીક વાર્તાનાં નામ જ જોઈએ: ‘માણેકચંદનું તપીલું,’ હરીભાઇની શેરડી,’ ‘ભવઈઆ બનેલા વાણીઆઓ,’ ‘લલીતા નામે છોડીની ચંચલાઈ.’ ‘પરશતાવના’માં પુસ્તકના બનાવનાર રબાડી કહે છે: “એ કેતાબને મનોરંજક કથા કહીને નાંમ આપેઆમાં આવીઉં છે, જેની અંદર દીલને રમૂજ આપનારી વારતાઓનો શમાશ કીધો છે… કેટલેક ઠેકાણેથી જુદી જુદી રશીલી અને મનને રમત અને ગમત આપનારી વારતાઓનો શંઘરહ કરેઓ છે.”

હવે ત્રીજા પુસ્તક ‘મનુશ પરેમી’ વિષે થોડી વાત. ૧૮૮૪માં પ્રગટ થયેલું આ પુસ્તક ‘અંગ્રેજી તથા ગુજરાતી જાબ પ્રીંટીંગ પ્રેસ’માં છપાયું હતું, અને તેની કિંમત દોઢ રૂપિયો હતી. ટાઈટલ પેજ પર લેખક પોતાને ‘જામે જમશેદનો આગલો રીપોરટર’ તરીકે ઓળખાવે છે, એટલે ૧૮૮૪ પહેલાં ક્યારેક તેમનો એ અખબાર સાથેનો સંબંધ પૂરો થયો હોવો જોઈએ. આ પુસ્તકમાં ટાઈટલ પેજ અને અર્પણ-પત્ર બંને, ગુજરાતી તથા અંગ્રેજીમાં અલગ અલગ પાના પર છાપ્યાં છે. પુસ્તક દીનશાહજી માણેકજી પીટીટને અર્પણ કર્યું છે. પ્રસ્તાવનામાં પુસ્તક વિષે રબાડી લખે છે: “એને મનુશ પરેમી કરીને નાંમ આપીઆમાં આવીઉં છે, અને જેની અંદર દીલને રમૂજ આપનારી, અને દીલપશંદ વારતાઓનો શંઘરહ કીધામાં આવીઓ છે.” ૨૧૪ પાનાંના આ પુસ્તકમાં કુલ ૪૧ વાર્તા સંઘરાઈ છે. કેટલીક વાર્તાનાં માત્ર નામ જોઈએ: (સરળતા ખાતર નામ આજની ભાષા-જોડણી પ્રમાણે અહીં આપ્યાં છે.) શુકન લઇ જનારો માછી, પંડિતોએ આપેલું રાજ, માગેલી મુરાદ પૂરી પાડનારી દેવી, એક કાબેલ, પણ અપંગ બ્રાહ્મણ, સાચું બોલનાર વાણિયો, એક દયાળુ પાદશાહ, ચોર સોદાગર, જાનવરની બોલી જાણનાર રાજા, મિત્રોની મજા, વગેરે.

અહીં એક વાતનો ખુલાસો કરવો જરૂરી છે. આ ત્રણે પુસ્તકોમાં જે કૃતિઓ છે તેમાંની બહુ ઓછીમાં ટૂંકી વાર્તાનો ઘાટ ઘડાતો જોવા મળે છે. પરંપરાગત કથાની જેમ વાત સીધી લીટીમાં કહેવાય છે. ઘણોખરો ઝોક ઘટનાના કથન તરફનો છે. પાત્ર, સ્થળ-કાળ, વાતાવરણ, વગેરેના સભાન આલેખનનો લગભગ અભાવ છે. સંવાદો બોલચાલના છે. પણ સાથોસાથ એ પણ યાદ રાખવું ઘટે કે એ સમય અંગ્રેજી સાહિત્યના ગદ્ય પ્રકારોને આપણી ભાષામાં લાવવાની મથામણનો હતો. આપણી પરંપરાની કથામાંથી અંગ્રેજી પરંપરાની ટૂંકી વાર્તા નીપજાવવાની મથામણનો હતો. બીજું, આજે આપણે મૌલિક, અનુવાદ, રૂપાંતર, ‘પ્રેરિત’ કૃતિઓને અલગ અલગ તારવવાનો જેટલો આગ્રહ રાખીએ છીએ તેટલો એ વખતે રખાતો નહોતો. એટલે બનવા જોગ છે, કે આ પુસ્તકોમાંની ઘણી કૃતિ પૂરેપૂરી ‘મૌલિક’ ન પણ હોય. પણ આવી કૃતિઓને ટૂંકી વાર્તાનું નહિ, તો ટૂંકી વાર્તાના છડીદારનું સ્થાન અને માન તો આપવું ઘટે.

હકીકતમાં ગુજરાતી ટૂંકી વાર્તાનું પગેરું શોધવા માટે આપણે ઝાઝી મહેનત કરી જ નથી. દાયકાઓ સુધી તો કનૈયાલાલ મુનશી અને ધનસુખલાલ મહેતાની વાર્તાઓની ઉપેક્ષા કરીને મલયાનિલની ‘ગોવાલણી’ને જ પહેલી વાર્તા ગણાવતા રહ્યા. (આજે પણ એવું માનનારા-કહેનારા છે) પણ ટૂંકી વાર્તાનું પગેરું શોધવા માટે માત્ર પુસ્તકોનો આશરો લીધે ન ચાલે. ૧૮૪૦માં મુંબઈથી નવરોજી ફરદુનજીએ ‘વિદ્યાસાગર’ શરૂ કર્યું તે આપણી ભાષાનું પહેલું ‘ચોપાનિયું’ કહેતાં સામયિક. તે પછી તો ૧૯મી સદીમાં કેટલાં બધાં સામયિકો આવ્યાં અને ગયાં. એ બધાંને વાર્તા છાપ્યા વગર ચાલ્યું હશે? ગદ્યના બીજા પ્રકારોની જેમ વાર્તા-લેખનમાં પણ પારસીઓએ પહેલ કરી હોય એવું ન બને? પણ ખાટલે મોટી ખોડ એ કે ૧૯મી સદીનાં (અને ૨૦મી સદીનાં સુધ્ધાં) સામયિકોની સળંગ ફાઈલો આપણે ત્યાં ક્યાં ય એક સાથે સચવાઈ જ નથી. ક્યારેક હાથવગાં પાંચ-દસ સામયિકોમાંથી તારવીને ટૂંકી વાર્તાનાં સંપાદન થયાં છે. બીજી ખોટ એ કે સાહિત્યમાં અર્વાચીનતાની શરૂઆત નર્મદ-દલપતથી જ થઇ એવા હઠાગ્રહમાંથી હજી આપણા ઘણાખરા વિવેચક-સંશોધક-સંપાદક બહાર આવી શક્યા નથી. એટલે એ બંનેની પહેલાં, સાથોસાથ, અને પછી, પારસીઓ, પાદરીઓ અને પરદેશીઓને હાથે જે કામ થયું તે તરફ નજર નાખવાની જરૂર પણ ભાગ્યે જ જણાઈ છે. બાકી બીજી કેટલીક ભાષાઓમાં તો ‘કેહવત મુલ’ ‘મનોરંજક કથા’ કે મનુશ પરેમી’ જેવાં પુસ્તકો આખેઆખાં ફરી છપાય છે. અને છાપવાં ન હોય, તો હવે તો ડિજિટલ – ઇબુકનો રસ્તો પણ સસ્તો અને સારો છે. ભલું થજો મુંબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’નું કે તેણે ૧૯મી સદીનાં ૧૦૦ પુસ્તક સીડી પર સુલભ કરી આપ્યાં છે, તેમાં ‘કેહવત મુલ’ અને ‘મનુશ પરેમી’નો પણ સમાવેશ થાય છે. પણ આ સો પુસ્તક એ તો પાશેરામાં પહેલી પૂણી જેવાં છે. હજી તો ૧૯મી સદીનાં કેટકેટલાં પુસ્તકો, સામયિકો, દસ્તાવેજો આપણી રાહ જોઈ રહ્યાં છે. આપણામાંથી કોક તો જાગે! જાગશે? સાચું કહું તો બહુ આશા નથી.

xxx xxx xxx

[‘શબ્દસૃષ્ટિ'નાં ફેબ્રુઆરી ૨૦૧૯ના અંકમાં પ્રગટ થયેલો લેખ]

https://www.facebook.com/deepak.b.mehta.1/posts/10214485903797753

Loading

...102030...2,8872,8882,8892,890...2,9002,9102,920...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved