વર્ષ ૨૦૧૪માં સ્વામિનાથન કમિશનના અહેવાલની ભલામણોનો આવતાની સાથે જ અમલ કરીશું એવા વચન સાથે મોદી સરકાર સત્તા પર આવી. આ વચન મુજબ સરકારે ખેડૂતોને ટેકાના ભાવ આપવાની સ્થિતિમાં પાકની પડતરમાં ઓછામાં ઓછા પચાસ ટકા પોતાના તરફથી ઉમેરીને આપવાના થાય. પણ થયું એનાથી તદ્દન ઊલટું. વર્ષ ૨૦૧૫માં સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને એક આર.ટી.આઈ.માં જવાબ આપ્યો કે આ શક્ય નથી કેમ કે તેનાથી બજારમાં ફુગાવો વધવા સંભવ છે. મતલબ કે સરકારને માર્કેટની પડી છે, ખેડૂતોની નહીં. આ મોદી સરકારની પ્રાથમિકતા છે, માત્ર નફો રળવો અને એ પણ જ્યાં સરકારનું વિશિષ્ટ હિત જળવાતું હોય એમના માટે.
અને તમે જુઓ, વર્ષ ૨૦૧૪થી જે શ્રેણીબંધ ને હડહડતાં જૂઠાણાં ચાલી રહ્યાં છે …. વર્ષ ૨૦૧૬માં કૃષિમંત્રી રાધા મોહન કહે છે કે આવાં કોઈ વચનો આપવામાં આવ્યા નથી. અને વર્ષ ૨૦૧૭માં મોદી સરકાર અને તેમના કેટલાક મંત્રીઓ, સાથે મધ્યપ્રદેશના ત્યારના મુખ્યમંત્રી પણ દૃઢતાપૂર્વક એમ કહેતા જણાય છે કે તેમણે ખેડૂતોને સ્વામિનાથન રિપોર્ટની ભલામણોથીયે કંઈ વધારે અને બહેતર આપવાની યોજનાનો અમલ શરૂ કરી દીધો છે. હકીકતે અત્યારે દેશમાં કૃષિ ક્ષેત્રે ભારે કટોકટી ચાલી રહી છે, અને એ એટલી ઘેરી છે કે તેને રાષ્ટ્રીય કટોકટી કહેવામાં ય અતિશયોક્તિ નથી. અને બીજી બાજુ મોદી સરકાર દેશ આખાને મૂર્ખ બનાવવા મચી પડી છે. લાજશરમ નેવે મુકીને જૂઠાણાં ચલાવી રહી છે. કૃષિ અને તેને સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં ખેડૂતો, બજાર, કંપની, સરકાર … આ બધાંની સ્થિતિ તરફ થોડી નજર ફેરવતા આ હકીકતનો વધારે ખ્યાલ આવશે.
ખેતી : ખેડૂતો નહીં,
કોર્પોરેટને લાભ કરાવવાનો સોદો
આપણા દેશમાં ઉદારીકરણ બાદ બીજ, ખાતર, કીટનાશક અને ખેતીનાં યંત્રોની કિંમત ઝડપથી વધી છે. ગત ત્રણ વર્ષમાં ખેતીની આવકમાં જબરજસ્ત ઘટાડો થયો છે અને તેની પડતર-કિંમત આસમાને પહોંચી છે. ૨૦૦૩માં વિદર્ભમાં એક એકરમાં સિંચાઈ વિનાની જમીન પર કપાસની ખેતી કરવાનો ખર્ચ અંદાજે રૂપિયા ચાર હજાર આવતો હતો, જ્યારે સિંચાઈની જમીનમાં તેનો ખર્ચ દસથી બાર હજારનો હતો. હવે તે ખર્ચ સિંચાઈ વિનાની જમીનમાં બારથી પંદર હજારનો થયો છે, જ્યારે સિંચાઈ આધારિત જમીનમાં તે ખર્ચ ચાળીસ હજાર રૂપિયે પહોંચ્યો છે! સરકારી આંકડા મુજબ પાંચ સભ્યોના ખેડૂત પરિવારની મહિનાની સરેરાશ આવક અંદાજે છ હજાર રૂપિયા સુધીની છે.
પોતાનાં જ ખેતરોમાં ખેડૂતો આજે મજૂર થઈને કામ કરી રહ્યા છે, આ બધું કામ કૉર્પોરેટને નફો કરાવવા માટે મજબૂર થઈને કરી રહ્યા છે. ખેતીની પડતર વધી છે, આવક ઘટી છે અને તેમ છતાં, સરકાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે. આ રીતે ખેતીને નુકસાનીનો સોદો બનાવી દેવામાં આવ્યો છે, જેથી ખેડૂતો ખેતી છોડી દે અને ત્યાર બાદ કૉર્પોરેટગૃહો માટે ખેતી બેસુમાર લાભ લેવાનો સોદો બની જાય.
માત્ર દેવાંમાફી પૂરતી નથી
આપણને લાખો ખેડૂતોને આપવામાં આવેલા ચાળીસ હજાર કરોડની ચિંતા થાય છે, પણ એકલદોકલ અદાણી જેવાઓને જ અરબો ડોલરની લહાણી થાય છે, તે વિશે કોઈ ચર્ચા થતી નથી. પરંતુ આ જ સરકારો દર વર્ષે લાખોકરોડો કૉર્પોરેટની લોન માફી કરે છે. ૨૦૧૫માં સરકારે ૭૮ હજાર કરોડનો કૉર્પોરેટ ટેક્સ માફ કર્યો હતો. સરકાર પાસે વિજય માલ્યાને આપવા માટે નવ હજાર કરોડ રૂપિયા છે. મતલબ કે સરકાર પાસે પૈસા તો છે, પણ તે કોને મળી રહ્યા છે તે પ્રશ્ન અગત્યનો છે! એ અલગ વાત છે કે દેવાંમાફી ખેડૂતોને રાહત આપે છે, પરંતુ એ સમસ્યાનો કાયમી ઉકેલ નથી.
૨૦૦૮માં યુ.પી.એ. સરકારે દેવાં માફીની જાહેરાત કરી હતી, પરંતુ તેનો લાભ ખેડૂતો સુધી ન પહોંચ્યો. મોટા ભાગના ખેડૂતોએ વ્યક્તિગત કે શાહુકારો પાસેથી લોન લીધી છે. આવા કિસ્સામાં દેવાંમાફીથી તેમને કોઈ લાભ થતો નથી. દેશમાં કોઈ રાજ્યમાં પ્રથમવાર ખેડૂતોનું દેવું માફ કરનારા ચૌધરી દેવીલાલ હતા, ત્યારે તેઓ હરિયાણાના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ ૨૦૦૮માં યુ.પી.એ. સરકારે ખેડૂતોના દેવાં માફ કર્યાં હતાં. જો ખરેખર દેવાંમાફી એ ઉપાય હોય તો એક વાર કોઈ ચોક્કસ રાજ્યમાં દેવું માફ કર્યા પછી કોઈ સરકારે દેવાં માફ કરવાની જરૂર ન પડી હોત, આ વર્ષે કૉંગ્રેસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતોનાં દેવાં માફ કર્યાં, એ નોબત જ ન આવી હોત.
‘એન.સી.આર.બી.’ રિપોર્ટ અને સરકારની ભૂમિકા
ખેતીનો પડકાર ખરેખર તો સમાજનો અને આપણી સભ્યતાના અસ્તિત્વ સામેનો પડકાર છે. આ જ કારણે વિશ્વમાં નાના ખેડૂતો અને મજૂરોનો એક મોટો વર્ગ પોતાની આજીવિકા બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. ખેતીનું સંકટ હવે માત્ર જમીનના નુકસાન પૂરતું નથી; ન તો એ માત્ર માનવજીવન, રોજગારી કે ઉત્પાદનનું નુકસાન છે; પરંતુ તે આપણાં માનવીય મૂલ્યોનું નુકસાન છે. આપણી માનવતા સંકુચિત થઈ રહી છે. આપણે ચૂપ બેસીને, શોષિતોની મુશ્કેલીને એકીટસે જોઈ રહ્યા છીએ. પાછલા બે દાયકાની જ વાત કરીએ તો આ ગાળામાં ત્રણ લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ સ્થિતિને કેટલાક ‘અગ્રણી અર્થશાસ્ત્રી’ ગંભીર હોવાનું નકારે છે ને આ કોઈ સંકટ જ નથી, તેવું ય સ્થાપિત કરે છે!!
‘નૅશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરો’(એન.સી.આર.બી.)એ પાછલાં બે વર્ષમાં આત્મહત્યાનો ડેટા જાહેર કર્યો નથી. થોડાં વર્ષ પૂર્વે ઘણાં મોટાં રાજ્યોએ ખોટો ડેટા જાહેર કર્યો હતો. દાખલા તરીકે, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોએ પોતાના રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો ડેટા‘શૂન્ય’ દર્શાવ્યો હતો!! વર્ષ ૨૦૧૪-૧૫માં ‘એન.સી.આર.બી.’ રિપોર્ટની પ્રક્રિયાઓમાં ગંભીર ક્ષતિઓ રહી હતી, જેનો ઉદ્દેશ્ય આત્મહત્યાની ઓછામાં ઓછી સંખ્યા દર્શાવવાનો હતો. જો કે વાસ્તવિકતા તેનાથી વિપરીત હતી.
કેમ કે, આ દરમિયાન ખેડૂતો અને મજૂરોના વિરોધ પ્રદર્શન સતત વધ્યાં છે. ખેડૂતોની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાઓ પણ વધી છે – જે મધ્યપ્રદેશમાં થયું. સરકાર સાથે સમજૂતીઓને લઈને ખેડૂતોની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે – જે મહારાષ્ટ્રમાં થયું. એ પછી નોટબંધીને કારણે આખા દેશમાં આક્રોશ અને અરાજકતા જોવા મળ્યાં. આમાં માત્ર ખેડૂતો નથી પિસાયા, બલકે મજૂરોની પણ બૂરી હાલત થઈ. આ જ કારણે માછીમારો, આદિવાસીઓ, કારીગર વર્ગ, આંગણવાડી કાર્યકર્તાઓનો આક્રોશ પણ બહાર આવી રહ્યો છે.
હવે એ માંગ કરવી જોઈએ કે આ સંકટ અને તેને સંલગ્ન મુદ્દાઓ પર ત્રણ અઠવાડિયાંનું વિશેષ સંસદનું સત્ર બોલાવવામાં આવે. સંસદનાં બંને ગૃહોનું એક સામાન્ય સત્ર થાય. સંસદનું આ સત્ર કયા સિદ્ધાંત પર આધારિત હશે? ભારતીય બંધારણ પર. વિશેષ રીતે તેના સૌથી મહત્ત્વના ભાગ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત પર. બંધારણનો આ અધ્યાય ‘આવકની અસમાનતા ઘટાડવામાં’ અને ‘રાજ્ય, પાયાની સુવિધાઓ અને તકની અસમાનતાને નાબૂદ કરવાનો પ્રયાસ’ની વાત કરે છે.
પાક વીમા યોજના : રાફેલથી પણ મોટું કૌભાંડ
વર્તમાન સરકારની નીતિ ખેડૂતવિરોધી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના જ એક મોટું કૌભાંડ છે, જેમાં ૬૫ હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. સરકારે અનેક ખાનગી કંપનીઓને પાક વીમા યોજના આપવાનું કામ સોંપ્યું છે. સરકારે આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં આ જાળ બિછાવવાની નવા પ્રકારે ગોઠવણ કરી છે. દાખલા તરીકે ચાર તાલુકા કોઈ એક કંપનીના હવાલે, અન્ય ચાર તાલુકા કોઈ અન્ય કંપનીના હવાલે … આ રીતે કંપનીઓને ગ્રામીણ ક્ષેત્ર મુજબ વહેંચણી કરી છે. આ પૂરી યોજનામાં ૧૮ કંપનીઓ સામેલ છે. તેમાં ચાર સરકારી વીમા કંપનીઓ છે, જે ‘ટ્રોજન હોર્સ’ છે. એટલે કે તેમને પ્રથમ વર્ષે વીમાનું ઘણું બધું કામ આપવામાં આવશે અને ત્યાર બાદ તેમની પાસેથી આ વીમા લઈને ખાનગી કંપનીના હવાલે કરવામાં આવશે. સરકારે એવા નિયમો બનાવ્યા કે કોઈ પણ તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થાય તો જ વળતરનો દાવો માંડી શકાય. મહારાષ્ટ્રના એવાં ઘણાં ક્ષેત્ર હતાં જ્યાં કેટલાક ભાગોમાં જ દુકાળ પડ્યો છે. હવે કંપનીઓ એ વાતને સ્વીકારવા તૈયાર નથી કે આ ક્ષેત્ર દુકાળગ્રસ્ત છે! બીજું કે મહારાષ્ટ્રમાં રિલાયન્સની વીમા કંપનીએ ૧૭૩ કરોડ રૂપિયા પ્રીમિયમ તરીકે વસૂલ્યા જ્યારે તેમણે ખેડૂતોને માંડ ત્રીસ કરોડ જેટલું જ વળતર આપ્યું. રિલાયન્સે પાક વીમામાં ૧૪૩ કરોડનો જંગી નફો કર્યો છે. આ તો માત્ર એક જ દાખલો છે. આ વાત તાલુકે તાલુકે લાગુ પાડી શકીએ. અહીંયાં ખેડૂતોની વાત કરવા કોઈ તૈયાર નથી. પાક વીમા યોજનામાં કંપનીઓએ ખેડૂતોને જેટલું વળતર નથી આપ્યું તેનાથી અનેકગણું પ્રીમિયમ વસૂલવામાં આવ્યું છે.
દેશમાં ખેડૂતોની આ દયનીય સ્થિતિ જોતાં એવા તારણ પર આવ્યા સિવાય છૂટકો નથી કે પાક વીમા યોજના એ રાફેલથી પણ મોટું કૌભાંડ છે. રાફેલમાં છેવટે એક એ સાત્વંના તો ખરી કે હવાઈજહાજ તો મળે છે, પાક વીમા યોજનામાં તો ખેડૂતોને ગરમ લૂ સિવાય બીજું કશું મળ્યું નથી.
સ્વામિનાથન રિપોર્ટ લાગુ કરવામાં ગલ્લાંતલ્લાં
રાજકીય નેતાઓનો બહોળો વર્ગ ખેડૂતોની પરવા કરતો નથી અને તેમની સાથે દુશ્મન જેવો વ્યવહાર રાખે છે. ચૂંટણી અગાઉ કેવા વાયદા કરવામાં આવે છે, તે જરા જોઈએ.
‘ટેકાના ભાવ’ પર સ્વામિનાથન રિપોર્ટનો અમલ કરવા ખેડૂતોએ ભા.જ.પ.ને વોટ આપ્યા હતા. ૨૦૧૪માં ભા.જ.પે. આ રિપોર્ટને લાગુ કરવાનો વાયદો કર્યો હતો. તેમને સત્તા પર આવ્યા ત્યારે એક વર્ષ પણ નહોતું વીત્યું અને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું જમા કરાવ્યું અને આર.ટી.આઈ.નો જવાબ આપ્યો કે આ રિપોર્ટની ભલામણ લાગુ કરી શકાશે નહીં! સ્વામિનાથન રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી કે ઉત્પાદનની પડતરથી ૫૦ ટકા વધુ ખેડૂતને આપવામાં આવે, જેને ‘સી૨’ કહેવામાં આવે છે. આર.ટી.આઈ.ના જવાબમાં સવાલ પૂછનારને સરકારે લખ્યું કે, સ્વામિનાથન રિપોર્ટના અમલથી બજારમાં અસંતુલન સર્જાશે. સરકારના આ વલણથી કરોડો ખેડૂતોની સ્થિતિ બદતર થઈ રહી છે, પણ હવે વર્તમાન સરકાર માટે તે પ્રશ્ન અસ્થાને છે.
૨૦૧૬માં કૃષિમંત્રી રાધામોહન સિંહે એવી જાહેરાત કરી હતી કે તેમણે આવું કોઈ વચન જ આપ્યું નહોતું. ૨૦૧૭માં તેમણે કહ્યું કે અમે સ્વામિનાથન રિપોર્ટથી ઘણા આગળ નીકળી ચૂક્યા છીએ અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચવાણના મૉડેલ પર આગળ વધી રહ્યા છીએ. બે જાણીતા અર્થશાસ્ત્રીઓને સામે લાવીને મધ્ય પ્રદેશના મૉડેલને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ પણ થવા લાગ્યો.
૨૦૧૮માં નાણાં મંત્રી અરુણ જેટલીએ પોતાના બજેટના વક્તવ્યમાં કહ્યું હતું કે હા. અમે વાયદો કર્યો હતો અને તેને લાગુ પણ કર્યો છે. ૨૦૧૮માં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે અમે બધા જ પ્રકારના વાયદા કર્યા હતા પણ અમને આશા નહોતી કે અમે ચૂંટણી જીતીશું!
૨૦૧૪, ’૧૫, ’૧૬, ’૧૭ અને ૨૦૧૮માં ભા.જ.પ.ની સરકારે આ મુદ્દે અલગ અલગ મત દર્શાવ્યા છે. અરુણ જેટલીએ કહ્યું છે કે આ રિપોર્ટની ભલામણ લાગુ કરી દેવામાં આવી છે. તે બિલકુલ જુઠ્ઠાણું છે. કારણ કે ‘ટેકાના ભાવ’ની ગણતરી અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેઓ એ પ્રકારે ગણતરી કરે છે જે સ્વામિનાથન આયોગની ભલામણના આધારે કરવામાં આવેલી વાસ્તવિક ગણતરીથી ૪૦ ટકા ઓછી આવે છે.
‘એન.ડી.એ.’ના સો દિવસ : નિષ્ફળતાની ઉજવણી?
મોદી સરકારના સો દિવસની ઉજવણી મીડિયા દ્વારા કરવામાં આવી હતી. હું એ પૂછવા માંગુ છું કે આ સો દિવસમાં ગ્રામીણ ભારતમાં શું બદલાયું હતું? અને આ સો દિવસના સત્તાવાર જે આંકડા મોજૂદ છે અને તે તમને જણાવું. સો દિવસમાં ગ્રામીણ ભારતમાં ૪૦૦૬ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ચાળીસ હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વીસ હજાર લોકો આ સો દિવસમાં કાયમ માટે ખેતી છોડી ચૂક્યા હતા. આ રીતે ખેતી છોડવાનો સરેરાશ દિવસનો ક્રમ છેલ્લાં વીસ વર્ષથી ચાલ્યો આવે છે, જે આ સરકારમાં પણ બરકરાર રહ્યો છે. પૂર્ણકાલીન ખેડૂત તરીકે ઓછામાં ઓછા છ મહિના ખેતી કરવાનો નિયમ છે, જ્યારે તેનાથી ઓછા સમય ખેતી કરનારને સીમાંત ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતોની આ સંખ્યા સતત ઘટી રહી છે. ૧૯૯૧ સુધી આ સંખ્યા વધતી રહી હતી, પરંતુ ૧૯૯૧ની અને ૨૦૦૧ની વસતીગણતરીની સરખામણી કરીએ તો તેમાં ૭૨ લાખ ખેડૂતો ઘટ્યા છે અને એ જ રીતે ૨૦૦૧ અને ૨૦૧૧ની આ ઘટી રહેલાં ખેડૂતોની સંખ્યા જોઈએ તો તે વધીને ૭૭ લાખ સુધી પહોંચી છે. મતલબ કે છેલ્લા બે દાયકામાં દોઢ કરોડ ખેડૂતોએ હંમેશ માટે ખેતી છોડી દીધી છે! ભૂખમરા અને કુપોષણથી મૃત્યુ પામેલાં બાળકોના આંકડા પણ લાખોમાં છે.
આ સો દિવસમાં ગ્રામીણ ક્ષેત્રમાં જે બન્યું, તેની સામે એન.ડી.એ. સરકારે દેશના બે ટકા સૌથી માલેતુજારોને આપેલું ટેક્સમાં કન્સેશન ૧,૪૫,૭૫૩ કરોડ રૂપિયા હતું. આ તમામ આંકડા નેટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આ જ રીતે છેલ્લાં છ વર્ષમાં શ્રીમંતોને ટેક્સમાંથી ઘણી માફી આપવામાં આવી રહી છે, આ માફી બજેટની ખાધ જેટલી કે તેથી વધુ રહી છે.
ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ – પશુધનની અવદશા
ગાયની હત્યા પરના પ્રતિબંધનું સામાજિક-રાજકીય ગણિત તો સૌ જાણે જ છે. પણ તેનું આર્થિક ગણિત શું છે તે વિશેષ રીતે તપાસવું જોઈએ. જે ન થયું. મહારાષ્ટ્રમાં અત્યારે ગાયની હત્યા પરનો પ્રતિબંધ વ્યાપક પ્રમાણમાં લાગુ કરવામાં આવ્યો છે, અને તેમાં માત્ર ગાયની જ હત્યાનો નહીં, બલકે તમામ ઢોરોની હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ખરેખર તો મુસ્લિમો પર આર્થિક હુમલો કરવા માટે મૂકવામાં આવ્યો છે. પણ તેની અસર દલિતો પર પણ ખૂબ થઈ. કોલ્હાપુર ચપ્પલ ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી છે, તેનું કારણ આ પ્રતિબંધ જ છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં મહદંશે રોજગારી મેળવનારા દલિતો હતા. આ ગ્લોબલ બ્રાન્ડ હતી, આપણા વડા પ્રધાને ‘મેક ઇન ઇન્ડિયા’ શબ્દ કૉઈન કર્યો એના પરાપૂર્વથી! હવે આ ‘બ્રેક ઇન ઇન્ડિયા’ થઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં ઢોરોનું આખું માર્કેટ પડી ભાંગ્યું છે. આ માર્કેટને કોણ ચલાવે છે? મોટા ભાગના મહારાષ્ટ્રિયન ઓ.બી.સી.. કોઈ પણ ખેડૂત હવે નવી ગાય-ભેંસ ખરીદવા તૈયાર નથી, કારણ કે જ્યારે તેનું કામ પૂરું થઈ જાય તે પછી તેનું કોઈ ખરીદનાર નથી. ઢોરોની કિંમત પણ અનેકગણી ઘટી ચૂકી છે. ગ્રામીણ ક્ષેત્રની આ ગંભીર સ્થિતિ છે. એવું કહેવાય છે કે જ્યારે ઢોરોની કિંમત ત્રીસ ટકા ઘટે ત્યારે તેને કૃષિ સંકટ ગણવામાં આવે છે. ઢોર એ ખેડૂત માટે ઇન્સ્યોરન્સ જેવું કામ કરે છે અને આ માત્ર વર્તમાન સરકારમાં જ નહીં, અગાઉ કૉંગ્રેસનું શાસન હતું ત્યારે પણ પશુધનની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે, વિશેષ રીતે દેશી પશુધનમાં. ગ્રામીણ અર્થતંત્રની તે કરોડરજ્જુ છે. આ દેશી ઢોર અતિજોખમી સ્થિતિમાં છે અને જે લોકો આ માટે જવાબદાર છે તેમને તમે ખરેખર દેશદ્રોહી કહી શકો છો.
લોકશાહી પ્રક્રિયામાંથી લાખો લોકોની બાદબાકી
ગત ત્રણ વર્ષમાં લાખો લોકોને લોકશાહી પ્રક્રિયામાંથી બે-દખલ કરી દેવામાં આવ્યાં છે; બે-દખલ થવાનું કારણ છે રાજસ્થાન અને હરિયાણામાં લાગુ થયેલો પંચાયત ચૂંટણી લડવા માટેનો વટહુકમ. આ વટહુકમની અસર વિશેષ કરીને ગરીબ, આદિવાસી, દલિત, લઘુમતી અને મહિલાઓ પર થઈ છે. ડિસેમ્બર, ૨૦૧૪માં રાજસ્થાન સરકારે અને ૨૦૧૫માં હરિયાણા સરકારે પંચાયતની ચૂંટણી માટે દાખલ કરેલી ન્યૂનતમ આવશ્યક શૈક્ષણિક લાયકાતની જોગવાઈ અંતર્ગત પંચાયતની ચૂંટણી લડવા માટે અલગ અલગ પદ માટે ધોરણ આઠથી દસ સુધીની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી બની રહેલ છે. આ વટહુકમ લોકશાહી પ્રક્રિયામાં નાગરિકોના પાયાના બે અધિકારો પર તરાપ મારે છે. એક, નાગરિકનો જાહેરજીવનમાં ઝંપલાવવાનો અધિકાર અને બીજો, લોકોનો પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર. દેશમાં જ્યારે ગરીબો, દલિતો અને આદિવાસીઓને શિક્ષણ મેળવવાની કોઈ નિશ્ચિત વ્યવસ્થા નથી ત્યારે આ પ્રકારનો વટહુકમ કેવી રીતે પસાર કરી શકાય? નૅશનલ કમિશન ફોર શિડ્યૂલ્ડ કાસ્ટ્સે પણ આ અંગે વિરોધ દર્શાવીને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. આ વટહુકમ રાષ્ટ્ર અને બંધારણીય વિરોધી છે. આ જ વટહુકમ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અમલમાં આવવા વકી છે. આ સિવાય પણ જ્યાં જ્યાં આ ‘દેશપ્રેમી’ લોકો છે ત્યાં આ લાગુ થનાર છે!
આમ, ર૦૧૪નાં ચૂંટણીવચનો નિભાવવામાં મોદીસરકાર બધાં જ ક્ષેત્રે નિષ્ફળ પુરવાર થઈ છે.
[છેલ્લાં પાંચ વર્ષમાં પી. સાંઈનાથે કરેલી લેખિત-મૌખિક અભિવ્યક્તિનું સંકલન-શબ્દાંકન : કિરણ કાપૂરે]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 12-14