Opinion Magazine
Number of visits: 9968655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરુણ કોલટકર : મૃત્યુપશ્ચાત આંતરરાષ્ટ્રીય કીર્તિ

હેમાંગ દેસાઈ|Poetry|19 June 2019

[હેમાંગ દેસાઈ (1978-) કવિ, અનુવાદક અને નૉન-કનફોર્મિસ્ટ નાગરિક-ચિંતક છે. હાલમાં જ તેમણે કોલટકરના ‘કાલાઘોડા પૉએમ્સ કાવ્યસંગ્રહનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.]

અરુણ કોલટકર (૧૯૩૨-૨૦૦૪) સદીના એક મહત્ત્વના, વૈશ્વિક કદના સર્જક છે. મરાઠી અને અંગ્રેજી ભાષામાં આધુનિક અને પ્રયોગવાદી, પરંતુ સામાજિક સરોકાર અને કળાકીય કટિબદ્ધતાને વરેલી કવિતાની ધારાનો આવિષ્કાર અને પ્રસાર કરવામાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. ‘જેઝુરી’ (૧૯૭૮) કાવ્યસંગ્રહના પ્રકાશનથી ભારતીય સાહિત્યમાં ખળભળાટ મચાવી દેનાર આ એકાકી અને અંતર્મુખી કવિ ત્યાર બાદ જાણે સુષુપ્તાવસ્થામાં સરી ગયા. પરંતુ ૨૦૦૪માં અકાળ અવસાનના અમુક મહિના પહેલાં જ એમના બે મહત્ત્વના અંગ્રેજી કાવ્યસંગ્રહો ‘કાલાઘોડા પોએમ્સ’ અને ‘સર્પસત્ર’ પ્રકાશિત થયા અને પાશ્ચાત્ય સાહિત્યજગત તેમની ધારદાર સર્જકતાનું કાયલ બની ગયું. ‘જેઝુરી’ માટે ખ્યાતનામ કૉમનવેલ્થ પોએટ્રી પ્રાઇઝ મેળવનાર કોલટકરને મૃત્યુપશ્ચાત આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી છે. પ્રસ્તુત કાવ્ય એમના ‘કાલાઘોડા પોએમ્સ’માંથી લેવામાં આવ્યું છે.

મીરાં

ટોચના જીવનથી ત્રાસી,
થોડું રસનું ને/કે
થોડું ખપનું,

એવું કંઈક કરવાની આશે
મૂક્યું પડતું નાળિયેરીના નફકરા ટપરાએ,
કરવાનું શું ઉપર બેઠાબેઠા

આખો દિવસ ને આખી રાત ઠેઠાઠેઠ
ખેંચો ફોડોમરોડો ત્રણસો આંગળાં
કે પછી વારેઘડીએ ને વળીવળી

કરો ચાંદાને બગલમાં ગલીપચી –
કરી લીધી છે દોસ્તી, મળી ગયું છે એનું મન,
આપણી ખરી ગયેલાં ફૂલોની રાણી સંગ,

– શહેરના આ ભાગમાં કાર્યરત
મ્યુનિસિપાલિટીની શેરી-સફાઈટુકડીનો
ગમગીન આંખાળો અર્ધનારી પ્રભાગ. –

હવે એના હાથમાં, એના ઇશારે
શીખી રહ્યું છે બેરોકટોક,
નવી તરકીબ, નવ લોકસબ રોજેરોજ,

અને મફતના સોદામાં
માણી રહ્યું છે
ભંગુર જીવનની મોજારીમોજ.

૨.

બદલામાં આપણી રાણીને મળ્યું,
વધુ જીવંત, વધુ મજેદાર,
વધુ નહિ તો એટલું જ કામઢું ઝાડુ.

નોકરી સાથે પકડાવી દીધેલા,
પંખ-પૂંછાળા ચીલાચાલુ ઠૂંઠા કરતાં
લાંબી પહોંચ, બહોળા લસરકાવાળું,

પેલું સરકારી તો બળ્યું સાવ બરડ ને જડ,
આ ભાયડાઓને કો’જાણે કેમવધારે ફાવે એ
એય મૂઆ એવા જ ને? અડિયલ ને અક્કડ.

અલગ જ મજા છે ટપરાંને જોવાની,
ફુદકતું આમથી તેમ, રંગલાની જેમ
જાણે ખેલ કરતું રીંછ, લીલુંછમ મોરપીંછ.

એની આગળ આગળ દોડતું,
એના રસ્તે આડું ઊતરતું,
એનો માર્ગ મોકળો કરતું;

એની ગોળગોળ ફરતું,
એને માથાભેર કુદાવતું,
ને થોભે ત્યારે થોભી જતું;

જુઓ તો, કેવું ધસી જાય છે એ
માર્ગભ્રષ્ટ કાગળિયાંને તો આડે હાથે લે,
રસ્તા વચ્ચે રમતાં હલકાં પાંદડાંઓને પડકારો દે.

૩.

મોટા ભાગના કલાવિવેચક,
ખિસ્સે ઘાલેલા,
કાજુના ગુપ્ત ભંડાર સાથે,

રાત્રે ઢીંચેલા મફત દારૂનું,
ઘેન ઉતારતા, ઘોરતા
ખાટલે પડયા હોય,

ત્યારે તાજાતરીન ઇન્સ્ટોલેશનનું
કોઈ જાતની ધામધૂમ વિના
થાય શ્રેણીબદ્ધ અનાવરણ,

– હંમેશની માફક
મોઢું વકાસી ઊંઘતી –
જહાંગીર આર્ટગૅલેરી સમક્ષ,

પારખુ કાગડા ને બિલાડીનાં બચ્ચાં સિવાય
બાકી બધાથી સદંતર ઉપેક્ષિત,
સાદી સહજ કચરાની ઢગલીઓનું પ્રદર્શન.

રસ્તાની ધારેધારે પડેલી પગલી,
પંદરેક પગલાંના અંતરે માંડેલી ઢગલી,
મોટે ભાગે સૂકાં પાંદડાં, ઊડતાં કાગળિયાં

ઝીંગાના કોટલા, કાંદાબટાકાની છાલ
ગાંઠ મારેલા કોન્ડોમ ને મરેલાં ફૂલ
– ખાસ કરી ગરમાળા અને ગુલમહોર –

ઇન્સ્ટોલેશનનું શીર્ષક, રાખવું હોય તો,
રાખી શકાય,
મુંબઈને શ્રદ્ધાંજલિ એક … બે … ત્રણ …

કેમ કે ખાસ્સું એવું શહેર
સદંતર નિર્ભર છે, આવી વાળઝૂડ પર
આખેઆખું કોલાબા કે ખેતવાડી સદરબદર.

૪.

દર સવારે
ફક્ત અડધોએક કલાક
ખુલ્લું મુકાય પ્રદર્શન.

કચરાની છેલ્લી ઢગલી,
જતનથી ગોઠવાઈ રહે,
ત્યાં તો પહેલી ઊપડી જાય, ટ્રોલીમાં ઠલવાય.

ખરું પૂછો તો એ જ છે પ્રયોજન.
કળાના અનિવાર્ય ભંગુરત્વનું
સ્તવન.

૫.

યુક્લિડના દિલમાં વસી ગઈ હોત
– પેલી ખખડધજ જર્જરિત
કચરાની ટ્રોલી –

સાબિતી આપ્યા વિનાના,
પ્રમેય જેવી,
ગુ-ગાડી,

એમાં બાળકોએ કાળા ક્રેયોનથી
દોરેલા ચિત્રની
સાદગી અને સ્થિરતાનો સ્પર્શ.

આમ તો, બે બાજુએ
સમબાજુ ત્રિકોણથી જકડાયેલી,
લોન્ડરી બાસ્કેટ જેવડી,

બે નેતરની ટોપલીને
ઘોડિયે ઘાલતી
ઘડતર લોઢાની ટ્રે છે બસ.

ભોંયભેગી રહે
પ્રેમની જેમ ધકેલાય.
વાટ વિનાનાં લોખંડી પૈડે,

દડબડ દડબડ ગબડે,
ત્યારે પોતાના જ ઘોંઘાટથી,
મેહ્યુના લંડનના નરમ

ખરીને અનુકૂળ રસ્તાનાં શમણેથી
– પોતે પણ એ જ રસ્તા માટે બની હશે –
ઝબકી, થથરી જવાની સભ્યતા છે એનામાં.

આ શહેરને સાફ કરવાના
ઉમદા ઉદ્દેશથી
છેક ૧૮૭૨ કે એવી જ કોઈ સાલમાં

દરિયાકાંઠે આવી ચડેલી ટ્રૉલીઓની
પહેલી ખંતીલી પેઢીની,
વારસદાર છે આ ટ્રૉલી,

એવું બહાર આવે કોઈ દિ’
તો નવાઈ નહીં.
સંજોગો સાનુકૂળ રહે ને બધું સીધું ઊતરે,

તોયે ખાસ્સું કાઠું લાગે એ અભિયાન
ને જે રીતે દરિયામાંથી,
મૅલેરિયા ને મીઠાંના ભીનાં કડણોમાંથી,

નેશ હેર ફરતી ખાડીઓમાંથી,
બેફામ તફડાવેલી જમીન પર
તથા શહેરમાં દિવસે ને દિવસે

વધતી જતી આવી વાળઝૂડ થકી,
પચાવી પાડેલી નવી ને નવી જમીન પર
ફૂટી રહ્યું છે નવું ને નવું બૉમ્બે,

એ જોતાં તો લગભગ
અશક્ય થઇ પડ્યું છે,
આ અથાક ટ્રૉલીનું મિશન.

પરિણામ એ કે,
જેટલું વધારે સાફ કરો બૉમ્બે
એટલું જ વધારે સાફ કરવાનું રહે બૉમ્બે.

૬.

જેવી નેતરની ટોપલી ભરાય,
– લગભગ ગળા સુધી –
કે તરત એની ઉપર ચડી જાય,

એની સાંકડી પરિધિમાં
ઊભી ઊભી
ડોલવા લાગે ધીમું-ધીમું,

પ્રભુ સમક્ષ નાચતી મીરાં, કેવું રૂડું સમણું!
એકતારો નથી હાથમાં, ઊભી ઝાડુ ઝાલી,
આલી રે આલી મીરાં ઝાડુવાલી;

શરીર આખાનું વજન,
વારાફરતી
એક પછી બીજા પગ પર ધરે,

ધીમે ધીમે
જાણે પોતાની જ પ્રદક્ષિણા કરે,
પગનાં એકેએક આંગળાંને,

ઘૂંટણિયે પડી,
પહેલાં તો ચારે દિશાઓને
ત્યાર બાદ વારાફરતી,

હોકાયંત્રનાં બત્રીસેબત્રીસ
દિશાબિંદુઓને વિધિવત્‌
પ્રણામ કરવા પૂરતો સમય આપે.

એનો બીજો હાથ ખાલી,
પણ પહેલા કરતાં સધ્ધર
હવામાં ઊડતું ફ્‌લેમિંગો, અધ્ધર.

૭.

કરાંજી કરાંજી કચરાના,
ભરખમ ગર્ભને નીચે ધકેલતી,
ગૂંદીગૂંદીને સંઘટ્ટ કરતી,

હજુ થોડા વધારે,
કચરાની જગા કરવા,
કુશળ પગની જોડી વતી,

કચરાને કચડતી એ લાગે અદ્દલ
દ્રાક્ષ ભરેલા ટબમાં
કદમતાલ કરતી વાઇન યાર્ડવૅન્ચ.

છુંદાઈને ગુંદાઈને,
પોતાની ભીતર ઊતરતા જતાં
ઈંડાંના કોચલાં ને મરેલાં ફૂલ,

સૂકાં પાંદડાં ને તરબૂચનાં છોડાં,
બ્રેડનાં ટુકડા, કૉન્ડોમ,
મરઘીની હડ્ડી નેબટાકાની છાલમાંથી,

ઝરપવા માંડે અંતરતમ સત્ત્વ,
ટપકવા માંડે વ્યર્થતાનું વાઇન,
વછૂટે આભારીપણાનું અત્તર,

ઘોડાપુર તુચ્છતાનું
ફરી વળે એની
એડીઓનાં કાતરામાં,

ચાટે પગનાં તળિયાં
અને કમાન,
મલ્હમ ચોપડે,

આટણો પર અને
ફૂટી નીકળે આંગળાં વચ્ચેથી
વ્યથાના ઝરા માફક.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 08-09

Loading

ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ અને અકીરા કુરોસાવા: સાહિત્ય જ્યારે સિનેમાને સવાલ પૂછે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 June 2019

કોલંબિયન લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ (૧૯૨૭-૨૦૧૪) વિશ્વ સાહિત્યમાં મોટું નામ છે. એમની નવલકથા 'એક સો સાલનું એકાંત'(વન હન્ડ્રેડ ઈયર્સ ઓફ સોલિટ્યુડ)ને ૧૯૮૨માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. કોલંબિયામાં તો માર્કેઝને એના વાચકો પૂજતા હતા, પણ જે દેશની એ ટીકા કરતા હતા, તે અમેરિકામાં પણ એમનો દબદબો એક સુપરસ્ટાર જેવો હતો. એમના લેફટિસ્ટ ઝુકાવના કારણે બંને દેશોએ એમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

સિનેમામાં એવું જ એક નામ અકીરા કુરોસાવા. કુરોસાવા (૧૯૧૦-૧૯૯૮) માર્કેઝથી સિનિયર. જાપાની સિનેમા જગતમાંથી આ એક એવું નામ છે, જે જગતમાં તમામ કળા-સહિત્ય-સિનેમા પ્રેમીઓને ખબર છે. આપણા સત્યજીત રેએ એકવાર કહ્યું હતું કે, "અકીરાની ફિલ્મ 'રાશોમોન'થી મને વીજળીનો ઝટકો લાગ્યો હતો. મેં બીજા દિવસે ત્રણ વખત એ ફિલ્મ જોઈ અને હું અચંબામાં પડી ગયો કે આવી બીજી કોઈ ફિલ્મ હોય?" અકીરાની 'સેવન સમુરાઈ' પરથી 'શોલે' બની હતી. આમીર ખાનની 'તારે ઝમીં પર' અકીરાના જીવનચારિત્ર્ય પરથી બની હતી.

ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝે કેટલોક વખત ફિલ્મ વિવેચક તરીકે પણ કામ કરેલું. ૧૯૯૦માં કુરોસાવો ટોકિયોમાં 'રેપ્સડી ઇન ઓગસ્ટ' ફિલ્મનું શુટિંગ કરતા હતા, ત્યારે માર્કેઝ એમને મળવા ગયા હતા. બંને વચ્ચે છ કલાક સુધી સંવાદ થયો હતો. સાહિત્ય અને સિનેમાના બે મહારથી ભેગા થાય, તો શું વાત થાય? ૨૩ જૂન, ૧૯૯૧ના રોજ ‘ધ લોસ એન્જિલિસ ટાઈમ્સ’ સમચારપત્રમાં આ ક્લાસિક ઈન્ટરવ્યુ છપાયો હતો. કળાપ્રેમીઓ માટે એમાંથી થોડા અંશ અહીં આપ્યા છે. વાંચો, મઝા આવશે.

માર્કેઝ : તમે સ્ક્રિપ્ટ કેવી રીતે લખો છો? તમે ઘણા સાહિત્યને સ્ક્રિપ્ટમાં ઢાળ્યું છે.

કુરોસાવો : મારે કોઈ આઈડિયાને સ્ક્રિપ્ટમાં તબદીલ કરવો હોય તો હું કાગળ અને પેન્સિલ લઈને હોટેલના રૂમમાં પુરાઈ જાઉં. એ વખતે પ્લોટનો આછોપાતળો અંદાજ હોય. સીનની ખબર ન હોય, અને એ નેચરલી આવતા જાય.

માર્કેઝ : મગજમાં પહેલાં શું આવે, આઈડિયા કે ઈમેજ?

કુરોસાવો : છૂટીછવાઈ ઈમેજીસ હોય. અહીં જાપાનમાં સ્ક્રિપ્ટ લેખકો બહુ પદ્ધતિસર, સીન પછી સીન લખે. પણ એ બરાબર નથી. આપણે ભગવાન નથી કે બધું અગાઉથી ખબર હોય.

માર્કેઝ : શેક્સપિયર કે (મેક્સીમ) ગોર્કી કે દોસ્તોએવ્સકીનું રૂપાંતરણ કરો ત્યારે પણ સ્ફુરણા પ્રમાણે જ કરો?

કુરોસાવો : સાહિત્યિક કૃતિઓને સિનેમેટીક ઈમેજમાં ઢાળવી સહેલી નથી. દાખલા તરીકે જાસૂસી કથાનું શુટિંગ થતું હોય તો નવો-સવો ડિરેક્ટર લાશને રેલવે-ટ્રેક પાસે મૂકે, કારણ કે નવલકથામાં એવું જ હોય. હું એને કહું કે, તે વારતા વાંચી છે એટલે તને ખબર છે કે લાશ ટ્રેક પાસે છે. જે લોકોએ નોવેલ વાંચી ન હોય એમને જગ્યાથી શું ફર્ક પડે? સાહિત્યિક ઈમેજનો પાવર સિનેમેટીક ઈમેજથી અલગ હોય.

માર્કેઝ : અસલી જિંદગીમાંથી કોઈ એવી ઈમેજ યાદ છે જે ફિલ્મમાં વ્યક્ત કરવાનું અઘરું હોય?

કુરોસાવો : યેસ. લીડાચી નામનું એક ખાણિયું ટાઉન હતું. હું યુવાન હતો અને ડિરેક્ટરે એને શૂટ કર્યું હતું કારણ કે ત્યાંનું વાતાવરણ ભવ્ય અને અજીબ લાગતું હતું. પણ પિક્ચરમાં એક સામાન્ય ટાઉન જ દેખાયું. અમને ખબર હતી કે એ ટાઉન જીવ માટે જોખમી હતું અને ખાણિયાઓનાં બીવી-બચ્ચાં સલામતીને લઈને ડરમાં જીવતાં હતાં. આ ખબર હતી એટલે અમારી આંખ ટાઉનને એ રીતે જોતી હતી. પણ અમે જે અનુભવ કરતા હતા એ કેમરામાં ના પકડાયું, કારણ કે કેમેરાની આંખ અલગ હોય છે.

માર્કેઝ : અત્યારની ફિલ્મની વાત કરીએ તો, આંધીને શૂટ કરવી અઘરી પડે?

કુરોસાવો : ના. સૌથી અઘરા તો પ્રાણીઓ છે. પાણીના સાપ અને કીડીઓ બહુ અઘરી.

માર્કેઝ : ન્યુક્લિયર ઊર્જા અભિશાપ તરીકે આવી હતી, અને એ તમને ફીટ થાય તેવો વિષય છે. પણ તમે ન્યુક્લિયર ઊર્જા કરતાં એનો જે રીતે ઉપયોગ થયો છે, તેની નિંદા કરો છો.

કુરોસાવો : બંને બાબત એક નથી. ન્યુક્લિયર ઊર્જા માણસથી કંટ્રોલ થાય તેવી નથી. એને સાચવવામાં ભૂલ થઇ તો ભયાનક પરિણામ આવશે અને એની અસર અનેક પેઢીઓને નડશે. પાણી ગરમ હોય તો એની ગરમી ઓછી કરવા ઠંડું પાડવું પડે. હજારો વર્ષો સુધી જે ઉકળતું રહેવાનું છે, એ ન્યુક્લિયર એલિમેન્ટનો ઉપયોગ બંધ કરીએ તો સારું.

માર્કેઝ : તમે જે ફિલ્મ બનાવી રહ્યા છો એમાં આ બાબતે તમારા વિચારો છે?

કુરોસાવો : સીધી રીતે નહીં. (જાપાન ઉપર) બોમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે હું નવોસવો પત્રકાર હતો. મારે જે થયું એના પર લેખો લખવા હતા, પણ ત્યારે કશું પણ લખવા પર પ્રતિબંધ હતો. આ ફિલ્મ બનાવવા માટે મેં એ વિષયનો અભ્યાસ કર્યો અને તે વખત કરતાં આજે મને વધુ ખબર છે. મેં જો સીધી રીતે મારા વિચારો આ ફિલ્મમાં મુક્યા હોત તો તે આજના જાપાન કે બીજે ક્યાં ય બતાવાત નહીં.

માર્કેઝ : આપણા આ સંવાદને પ્રગટ કરાવાનું શક્ય છે?

કુરોસાવો : મને વાંધો નથી. ઇન ફેક્ટ, દુનિયામાં લોકોએ આ વિષય પર વિચારવું જોઈએ.

માર્કેઝ : થેન્ક યુ. હું જો જાપાની હોત તો તમારી જેમ જ વિચારતો હોત. પણ હું સમજુ છું. યુદ્ધ કોઈના માટે સારું નથી.

કુરોસાવો : એ જ વાત છે. મુસીબત એ છે કે એકવાર ગોળીબાર શરૂ થાય, પછી ક્રાઈસ્ટ અને ફરિશ્તા પણ સૈન્યના ચીફ ઓફ સ્ટાફ બની જાય છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=2301278993533480&id=1379939932334062&__tn__=K-R

Loading

લોકશાહી કયા માર્ગે?

ઘનશ્યામ શાહ|Opinion - Opinion|19 June 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી જીત્યા પછી જનતાનો આભાર માનતા પોતાના વિશે ત્રણ વાત કહી – વચનો  આપ્યાં : (૧) કામ કરવામાં ભૂલ થઈ જાય પણ બદઇરાદાથી નહીં કરું. (૨) હું મારા માટે નહીં કરું, જે કરીશ, ફક્ત દેશ માટે કરીશ. (૩) મારા સમયની ક્ષણ ક્ષણ અને મારા શરીરના કણ કણ દેશ માટે હશે. આ વાતમાં દેશ માટે જે કટિબદ્ધતા છે, તેમાં કોઈ જ શંકાનું કારણ નથી. એક રીતે જોઈએ તો આ ‘કર્મયોગી’નું વિધાન છે. હું માનું છું કે ગુજરાતનાં ૧૪ વર્ષના કાર્યકાળમાં તેઓએ નક્કી કરેલ ધ્યેયને સાકાર કરવાની તેમની કટિબદ્ધતા મને દેખાય છે. તેઓ પાસે મિશન છે અને તે માટે તેઓ સતત ખંતથી કામ કરે છે. આ વાત લોકોના મનમાં ઠસાવવા એમણે, તેમના સાથીઓ અને આર.એસ.એસ.ની કૅડરે જુદા-જુદા રસ્તા, વ્યૂહરચના અપનાવ્યા. એટલે જ ભારતના ૩૮ ટકા મતદારોએ એમની પર વિશ્વાસ મૂક્યો છે. ભારતના જાહેરજીવનમાં આઝાદીની લડત વખતે અને ત્યાર પછી વ્યક્તિગત પ્રામાણિક ‘સારા’ માણસ માટે વારંવાર નાગરિકસમાજના અગ્રેસરોએ ભાર મૂક્યો છે અને તેને સ્વીકૃતિ મળી છે. ગુજરાતના નવનિર્માણ અને પછી જેપીનું સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન ભ્રષ્ટાચાર કરતાં નેતા કે ઇન્દિરા ગાંધીને ભ્રષ્ટાચારના સ્રોત ગણી એમની સામે હતું. સાથે-સાથે મક્કમ અને હિંમતવાળા નેતા માટેનો ‘પ્રેફરન્સ’ જનમાનસમાં ઊભો થયો. આપણા જાહેરજીવનના ‘ડિસ્કોર્સ’માં બધાનું સાંભળીને બધાને સાથે લઈને નિર્ણય લે તેવાનું ગુણ, નેતા -‘સારા માણસ’ – માટે અપેક્ષિત નથી.

ગુજરાતના એક વર્ષના મુખ્ય પ્રધાનના કારભારના અંતે આપણા જાણીતા બૌદ્ધિકો-કટારલેખકો, ચિંતકો, સાહિત્યકારો વગેરેએ એમની કાર્યકુશળતાને બિરદાવી. તેઓએ ‘એમનાથી (મોદી) થાય એટલું બધું જ  ગુજરાત માટે કર્યું છે. એમની આંતરિક શક્તિ અને ઇચ્છાશક્તિ ગુજરાત માટે ખૂબ જ ઉપયોગી છે.’  અલબત્ત, આ વખાણ કરી સલાહ પણ અપાઈ કે “હવે મુસ્લિમોની સલામતી માટે પગલાં લેવા જરૂરી છે.” સાથે-સાથે એમની આવી ટીકા-સૂચન  પણ સરકારી મુખપત્ર છાપે છે, તેવો નિર્દેશ કરી લેખકે મુખ્ય પ્રધાનને ઉદારમતવાદીનું પ્રમાણપત્ર આપ્યું.

નરેન્દ્રભાઈનું દેશ માટેનું મિશન શું છે? કેવા રાષ્ટ્ર માટે કટિબદ્ધતા છે? એમને એમના કુમારકાળથી (૧૪-૧૫ વર્ષની ઉંમરથી) ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધના માહોલમાં પાકિસ્તાન એટલે કે મુસ્લિમવિરોધી, આર.એસ.એસ. કલ્પિત હિન્દુરાષ્ટ્રની વિભાવનાના સંસ્કાર મળ્યા. એ વાગોળ્યા, પચાવ્યા અને તેવા રાષ્ટ્રની રચના માટે કટિબદ્ધતા કેળવી. તે મિશનને સાકાર કરવા તેમની માતૃસંસ્થા આર.એસ.એસ. ૧૯૨૦ના દાયકાથી નવા નવા રસ્તા-વ્યૂહરચના અને કરેલાં કામોના મૂલ્યાંકન સાથે સતત કાર્યશીલ રહ્યું છે. બીજી બાજુએ પચ્ચાસનો દાયકો પૂરો થતા ગાંધી-નેહરુ-લોહિયા-ઇન્દુલાલની પેઢી જે સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃત્વ, સાંસ્કૃતિક વિવિધતાના જતન કરતી લોકશાહી સમાજરચના માટેની કટિબદ્ધતા ધરાવતો રાજકીય વર્ગ લગભગ ક્ષીણ થયો. વ્યક્તિગત સત્તા અને તડજોડના રાજકારણે પ્રભુત્વ મેળવ્યું. અમે સમાજવૈજ્ઞાનિકો પોઝિટિવિસ્ટ એમ્પિરિસિસ્ટ વાસ્તવવાદી  પ્રવાહમાં ખેચાયા. વિચારસરણીની વાત ઍબ્સ્ટ્રેક્ટ એકૅડેમિક ગણાઈ અને રોજબરોજના રાજકારણમાં રેટોરિક(વાગ્મિતા)નું ચલણ વધ્યું. નેહરુ પછી, પહેલી વખત વિચારસરણી આધારિત નરેન્દ્ર મોદીની ભા.જ.પ.ની સરકાર ૨૦૧૪માં બની. હિન્દુરાષ્ટ્રની વિચારસરણી ધરાવતી સરકારે પાંચ વર્ષમાં પોતાની વિચારસરણીને કટિબદ્ધતાપૂર્વક અમલ કરવા શક્ય તેટલાં પગલાં ભર્યાં. આ ચૂંટણીનાં પરિણામો આ સદર્ભમાં સમજવાં જોઈએ.

૨૦૦૪-૦૫માં હું જયારે સંઘ અને ભા.જ.પ.ના થોડાક કાર્યકરોને મળ્યો, જેઓ નરેન્દ્ર મોદીને નજીકથી જાણવાનો દાવો કરતા હતા; ત્યારે તેઓએ મને કહ્યું હતો કે મોદી સંગઠનના, ધાર્યું કામ કરવાની કુનેહવાળા માણસ છે. તેમની વ્યૂહરચના-કાવાદાવાના મુક્તકંઠે વખાણ કરતા દાખલા આપ્યા; જેવા કે આત્મારામ પટેલને (૧૯૯૬માં શંકરસિંહ વાઘેલાને ટેકો આપવા માટે) જાહેરમાં ધોતિયું કાઢી અપમાનિત કરવાનો, કેશુભાઈને કાઢી (૨૦૦૧માં) પોતે મુખ્ય પ્રધાન બન્યાનો તખતો. આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૦૨ના હત્યાકાંડ પછી ‘આપણું કોણ?’ અને સાથે મુસ્લિમોની જાહેરસભાઓમાં હાંસી ઉડાડતા – પાંચ ને તેમના પચ્ચીસ, બેગમશાહિબા, મિયાં મુશર્રફ વગેરે સાથે ગુજરાતગૌરવ સૂત્ર અને પોતાની ‘હિંદુ હૃદયનો સમ્રાટ’ની છબી એમણે ઊભી કરી. પછી સ્વપ્નોના સોદાગર બની ‘વિકાસ પુરુષ’ બન્યા, ‘છોટે સરદાર’ બન્યા અને ૨૦૦૯માં ગુજરાત મૉડેલ બ્રાંડ અહીં અને દેશમાં વેચ્યું. આ બધામાં હિંદુરાષ્ટ્રની વાત એમનાં પ્રવચનોમાં અધ્યાહાર, સબ-ટેક્સ્ટ હતી. ૨૦૧૪માં સ્વપ્નોના સોદાગરે દેશને ગુજરાત મૉડેલ દ્વારા – ‘વિકાસ’ અને ‘સબ કા સાથ સબ કા વિકાસ’ – સફળતાપૂર્વક વેચ્યું. આ બધા સાથે એમણે ૨૦૦૪થી ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ વાત ઘૂંટી. વળી, તેઓ કુટુંબ વગરના છે, વ્યક્તિગત કોઈ હિત નથી તે વાત વારંવાર લોકોને કહેવામાં આવી.  ઘણા ઉદારમતવાદીઓ પણ આ વાતોથી અંજાઈ ગયા. વ્યક્તિગત પ્રામાણિકતા, કાર્યનિષ્ઠા સાથે ૨૦૧૯માં ચૂંટણીપ્રચારનું ગિયર બદલાયું.         

આ ચૂંટણીમાં પુલવામા હત્યાકાંડ સાથે દેશને પાકિસ્તાન અને તેના આતંકવાદ સાથે હિન્દુરાષ્ટ્રવાદ-હિન્દુબહુમતીવાદને કેન્દ્ર બનાવ્યો – વિકાસને નહિ. રાષ્ટ્‌વાદની વિભાવનાચર્ચા આપણે ત્યાં સો વર્ષ પહેલાં શરૂ થઈ. ૧૯૧૭માં રવીન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદની વિભાવનાની ટીકા કરી૧. તેઓ માનતા કે સંયુક્ત અહમ્‌ (ક્લેક્ટિવ ઈગો) માનવસમાજ માટે ખૂબ જ ખતરનાક છે. તેઓ  લખે છે : “જ્યારે રાજકારણ અને વેપારનું સંગઠન જેનું નામ રાષ્ટ્ર છે, જે ઉચ્ચ સામાજિક જીવનના તાણાવાણા સંવાદિતા(હાર્મની)ને ભોગે સર્વશક્તિમાન બને, ત્યારે તે દિવસ માનવસમાજ માટે ખતરનાક બને છે.” ગાંધીજીની રાષ્ટ્રવાદની કલ્પનામાં સૌનો સમાન સમાવેશ છે. નરેન્દ્ર મોદીના હિન્દુત્વ આધારિત રાષ્ટ્રવાદમાં તે નથી. તેમાં હિંદુ બહુમતીવાદ છે. એના પરિપ્રેક્ષ્યમાં દેશભક્ત અને દેશદ્રોહી વ્યાખ્યાયિત કરી તે પ્રમાણે જનમાનસ ઘડવાનો પ્રચાર-પ્રયત્ન છે.  

છેલ્લાં પાંચ વર્ષમાં કોણ દેશભક્ત તે પર ઠીક ઠીક વિખવાદ ચાલે છે. સંઘપરિવારના ઘટકો-સ્વયંસેવકો અને તેના બીજા footloose સિપાઈઓ અને સરકાર પણ એમના વિચારવિરોધીઓને દેશદ્રોહી તરીકે ખપાવે છે અને દેશદ્રોહનો આરોપ લગાવી જેલમાં મૂકે છે – પજવે છે. આ સંદર્ભમાં ભા.જ.પ. ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરની ગોડસેને દેશભક્ત કહ્યા અંગેની ટિપ્પણી નોંધીએ. આ ટિપ્પણીથી  કેટલાક ગાંધીભક્તોની લાગણી દુભાઈ અને કૉંગ્રેસવાળાને ભા.જ.પ. સામે બાંય ચડાવવાનો મુદ્દો મળ્યો. વડાપ્રધાને કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરને એમના આ નિવેદન માટે એમનું હૃદય માફ નહિ કરે. આ સંદર્ભમાં હમણાં આપણા એક બૌદ્ધિક વિષ્ણુભાઈ પંડ્યાએ (સંઘના આઈડિયોલૉગે) કહ્યું કે “ગોડસે પણ દેશભક્ત હતા અને ગાંધીજી પણ દેશભક્ત હતા.” આ વાત કેટલાક ગાંધીભક્તોને ન ગમી – બન્નેને દેશભક્ત કેવી રીતે કહેવાય? હું પોતે વિષ્ણુભાઈ સાથે સંમત થઈ બન્નેને દેશભક્ત માનું છું. અલબત્ત, બન્નેની રાષ્ટ્રની વિભાવના  જુદી હતી. ગોડસે એમની વિરુદ્ધ વિચારસરણી ધરાવતાને મારી નાખવામાં માનતા હતા, જ્યારે ગાંધીજી સંવાદ અને સહિષ્ણુતામાં માનતા. ગોડસે ફક્ત હિંદુઓ(એમની વ્યાખ્યા પ્રમાણે જેમાં બ્રાહ્મણવાદ કેન્દ્રમાં)ના રાષ્ટ્રમાં માનતા. જ્યારે ગાંધીજી સૌના સમાવેશ સમન્વય કેન્દ્રિત, વૈશ્વિક રાષ્ટ્રવાદમાં માનતા. ગોડસે પોતાના સિવાયના બીજા ધર્મોને ધિક્કારતા અને પોતાના (એમણે વ્યાખ્યાયિત કરેલ) હિંદુધર્મને સર્વોપરી માનતા અને તેને વિશ્વભરમાં આધિપત્ય જમાવવાની આકાંક્ષા રાખતા. જ્યારે ગાંધીજી બધા જ ધર્મોને સરખા માનતા. એટલે તેઓ કહેતા કે બીજા ધર્મોને પોતાના ધર્મ જેટલું જ માન આપવું. ગાંધીજી સાધનશુદ્ધિમાં માનતા, ગોડસેના રાષ્ટ્રવાદની પરિકલ્પનામાં સાધનશુદ્ધિ નથી. ગાંધીજી માટે અહિંસા વ્યક્તિ અને સમાજના અસ્તિત્વ અને વિકાસ માટે અનિવાર્ય છે. ગાંધીજી માટે રામ મર્યાદાપુરુષ હતા, જ્યારે ગોડસેના હિન્દુત્વમાં અહિંસા કાયરતા ગણાઈ છે અને રામ અને બીજાં દેવદેવીઓને  શસ્ત્રધારી કલ્પ્યાં છે. ૧૯૦૬માં ગાંધી અને સાવરકરનો વિચારભેદ આ હતો, જે ગાંધીજીનો આજીવન રહ્યો અને તે માટે એમણે  બલિદાન આપ્યું.

*   *   *

ગુજરાતમાં ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીથી બધી જ ચૂંટણીઓ – તાલુકાપંચાયતથી લોકસભાની મોદીકેન્દ્રિત રહી છે. તે રીતે ૨૦૧૪ અને હાલની ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી. ઉપર જોયું તે પ્રમાણે ગુજરાતમાં ૨૦૦૩થી જ અને દેશમાં ૨૦૧૫-૨૦૧૬થી જુદાં-જુદાં માધ્યમો દ્વારા એવી વાતનો પ્રચાર થતો રહ્યો કે વડાપ્રધાન મોદી ૧૮-૨૦ કલાક સતત કામ કરે છે, પોતાના શરીરની પરવા કર્યા વગર. આ સંદર્ભમાં ૨૦૧૬-૧૭માં અને ફરી ૨૦૧૯ જાન્યુઆરીમાં એક મૅસેજ મને મધ્યમવર્ગના સોશિયલ મીડિયા, જુદા-જુદા બ્લૉગ અને વર્તુળમાં જોવા મળ્યા. તેમાંના એક તે – મનીષ મલ્હોત્રા (M.BA. UK) પોતાના અંગત સંબંધી, જે  ફેબ્રુઆરી ૨૦૧૪માં નિવૃત્ત થતા સિનિયર સનદી અધિકારી, પી.એમ.ઓ.ની ઑફિસના, જેઓની દીકરીનાં લગ્નમાં કૉંગ્રેસના ઘણા આગેવાનો આવ્યા હતા, એવાની ‘સત્ય કહાણી’. તેઓ વિસ્તારથી વડાપ્રધાન મોદીની કામ કરવાની પદ્ધતિ અંગે લખતા જણાવે છે કે પોતે (લેખક) ૪૪ વર્ષની સરકારી નોકરીમાં પહેલી વખત રાતે બાર-બાર વાગ્યા સુધી કોઈ પણ રજા – દિવાળી હોય કે હોળી – વગર કામ કર્યું છે. તેમના પ્રમાણે મોદી પોતે જ ૧૮-૨૦ કલાક કામ કરે છે, “કોઈ કોઈ વખત ૩૬ કલ્લાક કામ એ તો સાહજિક છે!!! પોતાની તબિયતની પરવા કર્યા વગર … તેઓ ટીકાઓની પરવા કરતા નથી અને દરેક આરોપનો જવાબ આપવાની જરૂર જોતા નથી. મોદી અધિકારીઓની મિટિંગમાં દરેકને એક જ સવાલ પૂછે છે કે “આપણે શું કરી શકીએ કે ભારત વધારે સમૃદ્ધ થાય”. તેઓ પોતે સેલ્ફ ઍક્ચ્યુલાઈઝેશનના. સ્ટેજે પહોંચ્યા છે. આ સંદેશો જાન્યુઆરી ૨૦૧૯માં મને મારા સામાજિક વર્તુળમાંથી ફરી મળ્યો, જેમાં એક વાક્ય લેખક (૨૦૧૬ અને ૨૦૧૭માં નથી) નવું ઉમેરે છે કે “એક વાત સ્પષ્ટ છે કે પાંચ વર્ષમાં તેઓ એક લિગસી મૂકી જશે. શું આપણે તેને ટેકો આપીએ છીએ?” (માર્ચ ૨૦૧૭માં ALT News આ સંદેશાની વિગતે તપાસ કરી જણાવે છે કે તે ‘બનાવટી  ફેક ન્યુઝ – છે). નોંધવાનું એ છે કે ચાર વર્ષમાં આ મૅસેજ લાખો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. તે સાથે ૩૫-૪૦ વર્ષના ઘણા પોતાને પ્રોફેશનલ હોવાનું જણાવી મૅસેજની કમેન્ટ્‌સમાં મોદીના વખાણ કરી લખે છે કે દેશમાં વડાપ્રધાનની પ્રેરણાથી કામ માટેનું સકારાત્મક વાતાવરણ થઈ ગયું છે.

આ સાથે મુસ્લિમવિરોધી ભરપૂર સામગ્રી સાથે હિન્દુત્વનું જુદા જુદા સ્વરૂપમાં વારંવાર  સોશિયલ મીડિયા અને બીજાં માધ્યમો દ્વારા રટણ કરવામાં આવ્યું. એટલે સુધી એવું જુઠાણું (આધુનિક પરિભાષામાં પોસ્ટ-ટ્રૂથ) કે કૉંગ્રેસની યુ.પી.એ. સરકાર “સચ્ચર કમિટી બિલ (હિન્દુઓનું અસ્તિત્વ ખતમ કરનાર બિલ) સંસદમાં પાસ કરવા માંગતી હતી. આ બિલના લીધે દેશમાં ગલીએ-ગલીએ મુસ્લિમ ડોન લતીફ અને દાઉદ પેદા થાત …” પછી ઉમેરવામાં આવે છે કે “હિન્દુસ્તાનને હિન્દુરાષ્ટ્ર બનાવવા બીજો કોઈ નરેન્દ્ર મોદી નહીં આવે..”

આ સાથે એવો પણ પ્રચાર થયો કે દુનિયાના બીજા શક્તિશાળી દેશોનું મોદીને હરાવવાનું ષડ્‌યંત્ર છે, કારણ કે એમને ભય છે કે “આ માણસ ભારતનો વડાપ્રધાન રહેશે, તો આપણને પાછળ રાખી દેશે અને આપણાં દેશની નિકાસ ઘટી જશે, ભારતને આગળ વધતું રોકવું પડશે. વરસોથી આ દેશને દુનિયાની આર્થિક અને રાજકીય બજારમાં કોઈ પૂછતું નહોતું, આજે હીરો થઈ ગયું છે . મોદીને પછાડો તો જ ભારત પહેલાની જેમ કંગાળ બની જશે …”

આર્થિક સવાલો જેવા કે ઉત્પાદન, બેરોજગારી, નિયમિત સામાજિક સલામતી આપતી decent નોકરીઓની તંગી, કૃષિક્ષેત્રની હાડમારી – ઉત્પાદનના વાજબી ભાવ વગરેની ચર્ચાને કુશળતાપૂર્વક ટાળવામાં આવી. પણ એ વાત એમના ભક્તો દ્વારા ઘૂંટવામાં આવી કે “મોદી દેશનો કેટલો વિકાસ કરી શકશે, તે કહી શકાય નહીં, પરંતુ તે પોતાની જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર રાખશે નહીં” આ શ્રદ્ધા મોદીભક્તો પૂરતી મર્યાદિત છે કે મોદીને મત આપનારા (૬૦ ટકા ગુજરાતી અને ૩૮ ટકા દેશના) સૌની છે તે કહેવું અત્યારે મુશ્કેલ છે. આવી શ્રદ્ધા ઘૂંટનારા ગોબેલ્સ એવો સવાલ સફળતાપૂર્વક જુદી જુદી રીતે કરતા કે આજે એવો બીજો કયો નેતા કે પક્ષ છે કે તે દેશના સવાલો ઉકેલી શકે?

પુલવામા હત્યાકાંડ પછી ચૂંટણીનો મુખ્ય મુદ્દો મુસ્લિમ/પાકિસ્તાનનો આતંકવાદ, દેશાભિમાન અને પાકિસ્તાનને સજ્જડ બોધપાઠ માટે જોઈએ શક્તિશાળી નેતા. અને ગોબેલ્સ જવાબ આપે છે કે શક્તિમાન નેતા એટલે પાકિસ્તાનને પાઠ ભણાવી શકે તે ફક્ત નરેન્દ્ર મોદી. આની સામે, કે એ સદર્ભમાં ચર્ચાનો લગભગ નિષેધ કે સવાલ કરનારને તરત જ દેશદ્રોહી તરીકે આરોપનામું મળે.

E-mail : ghanshyam.shah2008@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 03, 04 તેમ જ 15

Loading

...102030...2,8832,8842,8852,886...2,8902,9002,910...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved