Opinion Magazine
Number of visits: 9577805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાબાશ, શબ્દના બંદાઓ

રમેશ કોઠારી|Opinion - Opinion|15 January 2019

વાત કરવી છે, કે. સચ્ચિદાનંદન દ્વારા સંપાદિત પુસ્તક Words Matter : writings against silence વિશે, જેમાં આપણા પ્રથમ હરોળના સાહિત્યકારો, પત્રકારો, કલાકારો, વૈજ્ઞાનિકો, કર્મશીલો, વર્તમાન શાસનતંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જોવા મળે છે. અહીં સમાવિષ્ટ બૌદ્ધિકોએ આ કે તે પક્ષની કંઠી બાંધી નથી. અગાઉની સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીનો પણ પ્રતિકાર કર્યો હતો. ન તો તેઓ એકબીજાના સંપર્કમાં રહી, તાજેતરની વિષય વિષમ ઘટનાઓને વખોડી કાઢવા, હેતુપૂર્વક વૈચારિક હુમલો કરતા હોવાનું કહી શકાય તેમ છે, આમ છતાં, અરુણ જેટલીને આ ‘manufactured revolt’ લાગે છે. રાજનાથસિંહને મન આ માત્ર ‘કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે, તો મહેશ શર્મા આમ કહીને હદ કરે છે, ‘લેખકોને ન લખવું હોય તો ન લખે.’ આ બેજવાબદારીભર્યા વિધાનની માર્મિક ટિપ્પણી અહીં કરાઈ છે, ‘જો સફાઈ-કામદારો પોતાનો આક્રોશ વ્યક્ત કરે, તો તમે એમ કહેવાની ગુસ્તાખી કરવાના ખરા કે, ‘તેમને સફાઈ ન કરવી હોય તો ન કરે?’

જેમણે પોતાના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ મળેલા પદ્મશ્રી, પદ્મવિભૂષણ જેવા પુરસ્કારો પરત કરીને પોતાના અસંતોષ, નારાજગી, પીડાને વાચા આપી છે, તે યાદીમાં નયનતારા સહગલ, રોમિલા થાપર, ગીતા હરિહરન, સલિલ ત્રિપાઠી, કેકી દારૂવાલા, માર્કેન્ડેય કાત્જુ, પંકજ મિશ્રા, અનન્યા વાજપેયી, ગોપાલ ગુરુ જેવાં મહાનુભાવોનો સમાવેશ થાય છે.

દાભોલકર, પાનસરે, કલબુર્ગી, પેરૂમલ વગેરે અંધશ્રદ્ધા નિવારણ, શ્રમિકોના ઉત્થાન, શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ જનજાગૃતિ-અભિયાન ચલાવી રહ્યા હતા. સ્થાપિત હિતોને તે કઠે જ. આથી તેમની હત્યા કરવામાં આવી, હત્યારાઓ સામે કોઈ કાર્યવાહી ન થઈ. તેથી જનતા હચમચી ઊઠે, તો પોતાના ‘એકદંડિયા મહેલ’માં રહેતા સર્જકો કઈ રીતે ચૂપ રહી શકે?

દેશમાં જે રીતે અસહિષ્ણુતાનું પ્રમાણ વધી રહ્યું છે, બિનસાંપ્રદાયિકતા ભૂતકાળની બાબત બની ગઈ છે, નાગરિકે શું ખાવું, શું પહેરવું, શું વાંચવું, કઈ ફિલ્મ જોવી, શું બોલવું, શું વિચારવું, શું લખવું વગેરે તંત્ર નક્કી કરે; કોમવાદી તત્ત્વો શિક્ષણમાં, સાંસ્કૃતિક બાબતોમાં, ધાર્મિક બાબતોમાં ચંચુપાત કરે, ધમકીની ભાષામાં વાત કરે; વિરોધ નોંધાવનારની સલામતી જોખમાય, અપેક્ષિત હોય તેના કરતાં જુદા મનને દબાવી દેવામાં આવે, ત્યારે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યના પુરસ્કર્તા અંગત જોખમ વેઠીને ય મેદાને પડે તે સહજ છે.

વિદ્યાની દેવી સરસ્વતી કહે છે તેમ, તે જેને ચાહે છે, તેને ઉગ્ર કરે છે. સચ્ચિદાનંદન અહીં આવા, મા સરસ્વતીના લાડકવાયા, સંવેદનશીલ તેથી જ ઉગ્ર મિજાજ ધરાવતા વિદ્યાપુરુષોને લઈને આવે છે. સત્તાને કારણે છકી ગયેલાં આ સાંપ્રદાયિક તત્ત્વોના વાણીવિલાસને ‘અનિચ્છાએ મળતા મનોરંજનથી વિશેષ મહત્ત્વ આપી શકાય નહીં, એમની નિમ્નકક્ષાની હરકતોનાં થોડાં દૃષ્ટાંતો :

* ઈશ્વર માત્ર મંદિરોમાં જ છે, મસ્જિદમાં કે દેવળમાં નહીં.

* એ.પી.જે. અબ્દુલ કલામ, ‘મુસ્લિમ હોવા છતાં,’ રાષ્ટ્રભક્ત અને માનવતાવાદી હતા.

* ‘ખાન’ ત્રિપુટીની ફિલ્મો ન જોવી જોઈએ. તેમનો બહિષ્કાર કરવો જોઈએ. તેમના ‘દેહ’ અહીં છે, પણ આત્મા પાકિસ્તાનમાં.

* બી.જે.પી.ને મત ન આપે તે ‘હરામજાદા’, મોદીને મત ન આપે તે પાકિસ્તાન જાય.

* ગોડસેએ ગાંધીને બદલે નેહરુની હત્યા કરવી જોઈતી હતી. ગાંધીની પ્રતિમાઓ હટાવી ગોડસેની મૂકવી જોઈએ.

* મુસ્લિમોને મતાધિકાર ન હોવો જોઈએ.

સતત આ પ્રકારનાં થતાં રહેતાં વિધાનોથી અલ્પસંખ્યકોમાં અવિશ્વાસ, અસલામતીની લાગણી જન્મે તે સ્વાભાવિક છે. આથી જ રિબેરોને કહેવું પડ્યું, I feel reduced to a stranger in my own country’ તો શશિ થરૂર કહે છે, Cows are safer than Muslims in our country’. લોકશાહીની સફળતાનો આધાર તે પોતાની લઘુમતી પ્રજાને કેવી રીતે સાચવે છે, તેના પર છે.

અહીં બળાપો ઠાલવનારા બધાં હિંદુઓ જ છે, એટલે તેમના વિશે ગેરસમજ ફેલાવવાનો અર્થ નથી. વિનોબા ભાવેએ આપેલી વ્યાખ્યામાં તેમને મૂકી શકાય. જે હિંસાથી દુભાય તે હિંદુ શબ્દસ્વામીઓના પક્ષમાં કહેવાયું છે. ‘It is intellectuals who are the eyes of the society and without intellectuals the society is blind.’

અહીં એક મહત્ત્વપૂર્ણ વાત કહેવાઈ છે કે દેશને પોતાને કોઈ ધર્મ હોતો નથી. નાગરિક પોતે ઇચ્છે તે ધર્મનું પાલન કરી શકે. નયનતારા સહગલ પોતાના પિતાને સ્મરતાં કહે છે, ‘સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા તેમણે ચાર વાર કારાવાસ ભોગવ્યો હતો. અંગ્રેજ શાસનને પડકારવા જતાં પારાવાર વેઠ્યું હતું પણ હિટલરની સેના દ્વારા બૉબવર્ષાને કારણે અંગ્રેજોએ જાન ગુમાવ્યા ત્યારે તે રડી પડ્યા હતા. તે કહેતાં, I belong to a human race.’

આપણે ત્યાં તો ગુલઝાર કહે છે તેમ, નામ પહેલાં જાતિ પૂછવામાં આવે છે!

આમ તો, આ પુસ્તકમાં દરેકે પોતાનો મત અને મૂંઝવણ આગવી શૈલીમાં મૂક્યાં છે પણ મને, વાચક તરીકે, ગીતા હરિહરન અને કેકી દારૂવાલા વિશેષ સ્પર્શી ગયાં. An incomplete Diary શીર્ષક ધરાવતા પોતાના લેખમાં ગીતા હરિહરન, પેરૂમલ જેવા સર્જકોને જે પ્રકારના મૃત્યુનો અનુભવ કરવો પડે છે, તેની વાત કરે છે. પેરૂમલને સ્વયં પોતાના મૃત્યુની ઘોષણા કરવી પડે, પોતાનાં પુસ્તકો કોઈ ઇચ્છે તો સળગાવી શકે, પૈસા પાછા માગી શકે – એ તો કેવી કરુણતા! ગીતા હરિહરન વર્તમાન શાસનને The Republic of Ban તરીકે ઓળખાવે છે. માંસ રાખવા કે ખાવા પર પ્રતિબંધ, પુસ્તક અને ફિલ્મ પર પ્રતિબંધ, પ્રેમની અભિવ્યક્તિ પર પ્રતિબંધ, હસવા પર પ્રતિબંધ, વિચારવા પર પ્રતિબંધ તેમણે જોયેલા દુઃસ્વપ્નમાં ચારેકોર પ્રતિબંધ. તે માને છે કે, India must remain diverse if it is to hold togather.

ઉદય પ્રકાશને વસવસો એ વાતનો છે કે, સાહિત્ય અકાદેમી લેખકનું સન્માન કરી, બધું ભૂલી જાય છે. સર્જક પુરસ્કાર પરત કરે, ત્યારે દિલગીરી  વ્યક્ત કરવાના બદલે કે પડખે રહેવાના બદલે અકળ મૌન સેવે છે.

નયનતારા સહગલ The Unmaking of India શીર્ષકથી ખુલ્લો પત્ર લખીને બંધારણ દ્વારા આપવામાં આવેલા Right to Dissentની યાદ અપાવીને, તે જોગવાઈનું પાલન ન થતું હોઈ, પોતાને મળેલ ‘ઍવૉર્ડ’ પરત કરવાની ઘોષણા કરે છે, ખુદ સચ્ચિદાનંદન ઍવૉર્ડ પરત કરતાં કહે છે, ‘Annihilation Should never be allowed to replace argument, the very essence of democracy.’

હિંદુત્વના ચુસ્ત હિમાયતીઓ એ જાણતા જ હોવા જોઈએ કે, આપણે ત્યાં કહેવાયું જ છે, ‘वादे-वादे जायते तत्त्वबोध:’ પ્રજા તો સહિષ્ણુ છે જ, એ બિચારી ભ્રષ્ટાચાર સહન કરે છે, ગંદકી, પ્રદૂષણ સહન કરે છે. નકામા કુલપતિઓ સહન કરે છે, પોલીસનો સિતમ સહન કરે છે, ન્યાય મળવામાં વિલંબ સહન કરે છે, નેતાઓનાં વચનભંગ સહન કરે છે, પરીક્ષાઓમાં ગેરરીતિ સહન કરે છે. ઓછામાં ઓછું. એ જેને ‘પોતાના રોલમાં મોડેલ’ તરીકે અપનાવી શકે, એવા થોડા લોકોને તો જીવવા દેવાની વાત બાજુએ રહી, પણ સત્તાસ્થાને બેઠેલા પામર લોકો, તેમનાથી અનેકગણાં શ્રેષ્ઠ, ઉચ્ચશિક્ષણ મેળવેલા, ઝળહળતી કારકિર્દીને ઠોકર મારી, અંતરાત્માના અવાજને અનુસરનારા લોકોની ‘બુદ્ધિશુદ્ધિ’ માટે હવન કરાવે, ત્યારે હસવું કે રડવું તે જ ન સમજાય તેમને ય સહન કરે છે!

આપણે એટલું આશ્વાસન લઈએ કે દરેક ‘અનુપમ ખેર’ સામે એક ‘નસિરુદ્દીન શાહ’ ઊભો છે.

કે. સચ્ચિદાનંદને, આ પુસ્તક આપીને શિક્ષક-સર્જક તરીકેનો સ્વધર્મ અદા કર્યો છે, તે બદલ યોગ્ય દિશામાં વિચારનારા, પૂર્વગ્રહમુક્ત વાચકો તેમના ઋણી રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 08-09

Loading

સબરીમાલા : અદાલતસે આગે…

ઓમપ્રકાશ જી. ઉદાસી|Opinion - Opinion|15 January 2019

સબરીમાલા શાંત થવાનું નામ લેતું નથી. વિવાદે હિંસક વળાંક લઈ લીધો છે. દક્ષિણ ભારત શિસ્ત અને સ્ત્રી-સન્માન માટે જાણીતું છે. વર્ષો પહેલાંનો અનુભવ છે. દક્ષિણના એક શહેરની સિટીબસમાં હતો. બસ પૅસેન્જરોથી ભરચક હતી, પણ ચાર સીટ ખાલી હતી. કેમ ખબર પડી કે મહિલાઓ માટે અનામત છે!

બે કે ત્રણ બહેનોએ ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરવાના સમાચાર છે. સંતોષ જરૂર થાય પણ આનંદ તો નહીં. મંદિરનું શુદ્ધીકરણ થયું લાગે છે. એકવીસમી સદી ઉપર અઢારમી સદી હાવી થઈ ગઈ છે. આપણે બુદ્ધ અને ગાંધી … તમામ સમાજસુધારકો સામે જાણે યુદ્ધ જાહેર કર્યું છે.

એક નવા સમાચાર ઉમેરાયા. મંદિરમાં વ્યંઢળોને પ્રવેશ કરતાં અટકાવ્યા. હવે વ્યંઢળોને તો બહેનો જેવી કોઈ સમસ્યા નથી. પ્રવેશ માટે તેઓ સૌથી વધુ પવિત્ર ગણાવા જોઈએ.

ખેર, સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી બધા જ રાજકીય પક્ષોનું કામ હતું કે કેરળની બધી જ સામાજિક, મહિલા-સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓને, શાણા આગેવાનોને બોલાવીને આ સમસ્યાઓનો સકારાત્મક ઉકેલ લાવે. કેરળ સહિત દેશના સેમિનારપ્રિય સંવેદનશીલ બૌદ્ધિકોની પણ ફરજ બને છે કે તેઓ આ મુદ્દે ભેગા થઈ દિશાસૂચન કરે. ગુજરાતમાં સદ્‌ભાવના ક્ષેત્રે કાર્યરત કર્મશીલોએ પણ આ અંગે પહેલ કરવી જોઈએ. ગાંધીવાદી સંસ્થાઓ પણ આગળ આવે.

કથાકારો સૌથી વધુ પ્રભાવી હોય છે, પરંતુ કથાકારોને શ્રોતાઓની ચિંતા હોય છે અને રાજકીય પક્ષોને વોટની ચિંતા હોય છે, ત્યારે તમામ રાજકીય પક્ષોથી અલિપ્ત પૂર્વગ્રહમુક્ત થોડાંક જણ સમાજમાં આગળ આવે એ જરૂરી છે. સામાજિક સંવાદિતા અને તેના તાણાવાણા છિન્નભિન્ન થઈ જતા હોય, ત્યારે એવી સમસ્યાઓને રાજકીય પક્ષોને ભરોસે છોડી શકાય નહીં.

દરેક ધર્મ અને દરેક સમાજે પૂર્વગ્રહમુક્ત અને દુરાગ્રહમુક્ત થવાની જરૂર છે. માત્ર ભારત જ નહીં સમગ્ર પૃથ્વી દુરાગ્રહો અને પૂર્વગ્રહોથી મુક્ત થાય એ જરૂરી છે, કારણ નાના નાના વિવાદો, નાની કટુતાઓ, નાના સંઘર્ષો સમય જતાં ‘વિકરાળ રૂપ ધારણ કરે છે.’ સમાજ અને ધર્મનાં સ્થાપિત હિતો, રાજકીય પક્ષોના ક્ષુદ્ર સ્વાર્થ અને પ્રજાની અજ્ઞાનતાના કારણે પોષાતા હોય છે.

માત્ર હિંદુની જ વાત કરીએ, તો હિંદુસમાજ સમયની સાથે બદલાતો રહ્યો છે. હિંદુદર્શનના ‘અદ્વૈત’માં શુદ્ધને સ્થાન છે કે નહીં એ સવાલ હિંદુ-સમાજમાંથી જ પુછાયો હતો. આ સવાલ આજે સબરીમાલા માટે પૂછી શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિચારો અને આઇડિયાના ભંડાર છે. સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત નરેન્દ્ર મોદી કોઈ મંદિરમાં મહિલા-પ્રવેશના ‘પરંપરાના’ નામે વિરોધી હોય એમ હું માનતો નથી. એ મુખ્યમંત્રી હતા ત્યારે એક શાળાના મેદાનમાં તેમને સાંભળ્યા હતા. જાહેરસભા કરતાં એ વિચારસભા વધુ હતી. તેમની સાથે મનન આશ્રમના સ્વામી તદ્રુપાનંદજી પણ હતા. હિન્દુ કઈ રીતે સમયની સાથે તાલ મિલાવે છે, તેનું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ આપતાં જણાવ્યું હતું કે, ‘હિંદુઓ પહેલાં શબને ચંદનનાં લાકડાંથી બાળતા. પછી સાદાં લાકડાંથી અને હવે વીજળી સ્મશાન-ગૃહમાં અગ્નિસંસ્કાર અપાય છે. (અલબત્ત, હવે તો ગૅસનો ઉપયોગ થાય છે.) કોઈ હોહા કે વિરોધ વિના હિન્દુએ સ્વીકાર કરી લીધો.’

મોદીની વાત સાચી છે. મને લાગે છે હવે નરેન્દ્ર મોદી પરંપરાનું સમર્થન આપતી વખતે ખૂબ પીડાયા હશે. એ જ રીતે આર.એસ.એસ. કે ભા.જ.પ.માં હિંદુધર્મના ઉદારવાદી પ્રગતિશીલ ચહેરો ધરાવતાં અનેક સજ્જનો અંદરથી સંકટ અને દુઃખ અનુભવતાં હશે, પરંતુ રાજકીય મજબૂરીએ તેઓ મૂક હશે. બધે ધર્મસંકટ છે.

ઉત્તર ભારતના મંદિર માટે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સન્માન અને દક્ષિણ ભારતના મંદિર મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે વિરોધ. આ આંતરવિરોધ વચ્ચે મોદીજી સ્વયં દુઃખી હશે, ‘અજીબ દાસ્તાં’ હૈ.

સમાજસુધારાની ચાર રીત હોઈ શકે, પહેલી, સામાન્ય રોગો નિર્દોષ દવા – ટીકડીથી ઠીક થઈ શકે. બીજા પ્રકારની સારવારમાં ડૉક્ટર કંઈ નહીં થાય, એમ કહીને ઇન્જેક્શન આપી દે છે. ત્રીજા પ્રકારની સારવાર શલ્ય – ચિકિત્સાની છે અને ચોથા પ્રકારમાં ઉપર્યુક્ત ત્રણે ય સારવારનો સમન્વય હોય છે. ગાંધીજીની ‘હિંદ છોડો’ હાકલ શલ્યચિકિત્સા જેવી હતી.

સબરીમાલા મુદ્દે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો તે શલ્યચિકિત્સા છે, પરંતુ તેમાં પછીની સારવારનું ખૂબ મહત્ત્વ છે.

શબરી શબ્દ સાથે ભગવાન રામ યાદ આવે. અયોધ્યાના ત્યાગ પછી વનવાસી રામનું સ્વરૂપ કરુણાનિધાન અને સેતુનિર્માણનું છે. પ્રજા પ્રજા વચ્ચે, પ્રદેશ પ્રદેશ વચ્ચે સેતુ સ્થપાયા. ઉત્તરના સામે દક્ષિણમાં રામેશ્વરની સ્થાપના કરી; પછી તો ઉત્તરનું ગંગાજળ રામેશ્વરમાં ચઢતું રહ્યું. આ સંવાદપ્રેમ અને કરુણાનું પરિણામ હતું. આ શાશ્વત હતું અને આ શાશ્વત અખંડિત રહે, એ જરૂરી છે.

ભલે, દક્ષિણમાં ‘રામરાજ્ય’ સ્થપાયું, પરંતુ એ રામરાજ્ય કરુણા, પ્રેમ, સદ્‌ભાવ અને સંવાદથી સ્થપાય એવું આપણે ઇચ્છીએ. અબ દક્ષિણ કી બારી હૈ, એવું આક્રમણ સ્વરૂપ ન હોય. ભલે ૨૦મી સદીમાં પણ શબરી (સબરીમાલા) અને અયોધ્યાના શ્રીરામનું મિલન દિવ્ય રીતે થાય, ગરિમામુક્ત થાય.               

ગુરુકુળ રોડ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 09 તેમ જ 14

Loading

અહીં પણ એવું થઈ શકે

જ્યોતિભાઈ દેસાઈ|Opinion - Opinion|15 January 2019

અમેરિકાના My Book Reviewના ૨૮ જૂન, ૨૦૧૮ના અંકમાં હિટલરના સમયનાં ત્રણ જર્મન પુસ્તકોના અંગ્રેજી અનુવાદની સમાલોચના આપવામાં આવી છે. તેમાનાં મિલટન મેયરના They Thought they were free : The Germans, 1933-45 પુસ્તક વિશેની નોંધનો અનુવાદ રજૂ કર્યો છે. એ વર્ષોમાં અમે મુક્ત જ હતા ને!

મેયર જર્મન વંશના અમેરિકન પત્રકાર છે. તેમણે તો ૧૯૫૩માં હિટલરને મળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે મુલાકાત થઈ શકી નહોતી. મેયરને હિટલર વિશે વધુ જાણવામાં રસ એટલો નહોતો, જેટલો સામાન્ય નાગરિકો જે કાંઈ પરિસ્થિતિ હતી, તે વિશે શું વિચારતા કે સમજતા હતા તે જાણવું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી છ વર્ષે ૧૯૫૧માં તેઓ ફરી જર્મની ગયા અને તેમણે ધારેલી માહિતી મેળવવા પ્રયત્ન કર્યો હતો.

સામાન્ય નાગરિક, રોજ-બ-રોજ જીવી જનારાઓની દૃષ્ટિએ ત્યારે, એટલે કે ૧૯૩૩ની સાલથી ૧૯૩૯ની સાલ દરમિયાન જે બધું જર્મનીમાં થઈ રહ્યું તે વિશે શો અભિપ્રાય કે સમજણ ધરાવતા હતા તે તેમને જાણવું હતું. પહેલો તો એક જ જબરો આંચકો જે મેયરે અનુભવ્યો – ‘જર્મનીમાં દેખીતો કોઈ ‘વિરોધ’ ક્યાં ય હતો જ નહીં. ત્યારની સરકાર વિશે વિરોધ તો બહુ કાંઈ હતો જ નહીં. અમે, કોઈ એવા વિરોધ કરનારા હતા, એવું ક્યાંથી જાણીએ? કોઈ કરતા હોય તે કાંઈ જણાવે, પોતે વિચારે ને ભોગવે! જેના જેવા સંજોગ! એવા કોઈ હોય તો તે શા માટે તેમ કરે છે, તે જાહેર જ હતું ને! આપણે તો સમજી જ જઈએ ને!’ આવું તેમને કહેવાયું હતું. એક શિક્ષક ભાઈ સિવાય નવ મિત્રોએ ૧૯૩૩-૧૯૩૯ની સાલનો ગાળો એક સુવર્ણકાળ જેવો જ ભાસ્યો હતો!

૧૯૫૧માં તેમણે નાઝી પાર્ટીના દસ સભ્યો સાથે એક વર્ષ વિતાવીને,  આત્મીયતા કેળવીને સૌને શું સમજાતું હતું, કેવા કેવા વિચારો ધરાવતા રહ્યા છે વગેરે જાણવાનો જે પ્રયત્ન કર્યો, તેની વાતો પુસ્તકમાં કરી છે.

કોઈ મોટી ઇમારતના રખેવાળ ભાઈ; એક સૈનિક; એક સુથાર દફતરમાં કામ કરતો મૅનેજર; બૅકરી ચલાવનારો; ઉઘરાણી કરનાર, બિલની રકમ મેળવનાર; એક ઇન્સ્પેક્ટર; એક હાઈસ્કૂલનો શિક્ષક, એક વિદ્યાર્થી બધી જ વ્યક્તિઓ સાથેના સંપર્કથી જે વાત સ્પષ્ટ થઈ, તેની રજૂઆત મેયરે કરી છે. તેઓ તમામ અલબત્ત, પોતાને એક સામાન્ય જન જણાવતા હતા, ફ્રેન્કફર્ટ શહેરથી થોડાક અંતરે આવેલા ‘મારબર્ગ’ નામના એક યુનિવર્સિટી ધરાવતા ગામના એઓ નાગરિકો હતા.

મેયર, આ મિત્રો સાથે હળીમળી ગયા. ક્યારેક કૉફી પીવા કે શહેરના કોઈ કાર્યક્રમમાં એવા મુક્ત ને સહજા કે આયોજન કરેલી બેઠકો, મિલનો, ભોજનો, ગપ્પાં મારવાં જેવા કાર્યક્રમો દ્વારા એ મિત્રોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. એ વાત એણે જરૂર સમજાવી હતી કે એનો ઉદ્દેશ દુનિયાના લોકોને સામાન્ય જર્મન નાગરિક ત્યારની જે ઘટનાઓ હતી તે વિશેનો તમારો સાચો મત જાણે તો ગેરઅર્થભરી વાતો થતી અટકાવી શકાય. એક જ વાત મેયરે નહીં જણાવેલી કે મૂળે યહૂદી હતા, અને પોતાના દાદા બહુ વહેલા અમેરિકા જઈને વસેલા હતા.

‘મારી સાથે સહજભાવે – મૈત્રીભાવે એટલી સારી રીતે તેઓ બધાએ વાતો કરી કે મને એમ જ લાગે છે કે તે વર્ષોમાં જો હું જર્મનીમાં હોત, તો હું તેમના જેવા જ વિચારો ધરાવતો હોત! સાચું કહું, માણસને બધી વાતોની શી જરૂર? જીવતા રહીએ અને રોટલો રળી ખાઈએ’ – આ ભાવ મેયર અમેરિકા પાછો ફર્યો ત્યારેય અનુભવતો રહ્યો. ‘હું કેવળ જર્મનોને નહોતો મળ્યો, જગતભરના માણસોને જે રીતે જીવે જાય છે, તે જોઈને આવ્યો હતો.’

જ્યારે જ્યારે આપખુદ સરકારો જોહુકમી એવાં કૃત્યો કરે ત્યારે તે દેશની બહારના, ત્યાંની વાતોને ચગાવીને જ જોવાનું કરતા હોય છે. ત્યાં જાતે રહેનારા તો રોજિંદા જીવનને નભાવતા રહેવામાં વ્યસ્ત રહી શકે છે. નાઝી સત્તાએ અલબત્ત, એ ૧૯૩૩થી ૧૯૩૯ સુધીનાં વર્ષોમાં સામાન્યજનનું જીવન સરળતાથી ચાલતું રહે તે પ્રયોજતા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. ક્યાંક ગર્વ કરી શકાય એવી વાતો પણ ફેલાવાઈ રહી હતી. નોકરી કે કામ સહજ મળી રહેતાં, રહેણાકની પણ તકલીફ રહી નહીં. ‘નૉર્વે કે સ્પેન જેવા દેશની સહેલાણી તરીકે ફરવા જવાની પણ સગવડ અમને મળી હતી.’ આ જર્મનીનો ‘નવો યુગ’ નાગરિક માત્રને પ્રોત્સાહિત કરવા માટે જ ચાલી રહ્યો છે એ વિચાર પૂરો, પકડાયેલો હતો.

દસેદસ જણાંને હિટલર વિશે ઘણી સદ્‌ભાવભરી લાગણી હતી. કારણ? ‘એ તો! જનસામાન્ય માટે જ જીવનારો અમારો આગેવાન હતો. પહેલા વિશ્વયુદ્ધના શાંતિ-સમાધાનમાં જે આકરાં બંધનો જર્મની ઉપર બંધાયાં હતાં. તે તો એણે ક્યારનાયે નકારી કાઢ્યાં! અને રાષ્ટ્રને નવજીવન આપ્યું હતું. અહીંની પાર્લામેન્ટના નઠારા અને સ્વાર્થી સભ્યોને ક્યાં ય ભગાડી દીધા હતા. આખી સરકાર સ્વચ્છતાથી અને જનહિત માટે ચાલી રહી હતી. હિટલરે જે જાહેરજીવનની સફાઈ કરી એ તો ગર્વ કરવા જેવી જ સિદ્ધિ હતી!’

એક બૅંકના ક્લાર્કે કહ્યું હતું, “એમનાં વ્યાખ્યાનો અમને પૂરેપૂરાં જચી જતાં હતાં. તેઓને કુદરતની જે દેણ હતી તે સહજ વ્યક્ત થતી રહેતી હતી. એવું ક્યારેક બને કે તે સત્યથી વેગળી વાત કરી દેવાય. અરે સત્ય ‘ના’ પણ હોય! પરંતુ એક વાત પાકી, તેઓ જે કાંઈ કહેતા, તે બધી વાતો જાતે માનતા હતા તે જ કહેતા હતા!”

એક વાર આ મિત્રોને ૧૯૩૮ના છાપાંની એક કતરણ બતાવીને મેયરે પૂછ્યું હતું. નવેમ્બર, ૧૯૩૮ એક યહૂદીઓનું દેવળ નષ્ટ કર્યાના સમાચાર તેમાં છપાયેલા હતા. ‘ના ભાઈ ના ! અમે કોઈએ આવી વાત ત્યારે જાણી જ નથી. કેટલા ય યહૂદીઓને તેમની સલામતી માટે ક્યાં ય દૂર મોકલી દેવાયા હતા એ વાત હતી ખરી. અરે જેમને દૂર મોકલ્યાને તેમની મિલકતની વ્યાજબી કિંમત આપીને તેમનું ભવિષ્ય જળવાય એવી રીતે વિદાય કરવામાં આવ્યા હતા!’

જ્યારે મેયરે ૬૦ લાખ યહૂદીઓની હત્યાની વાત મૂકી, ત્યારે તે વાત તો એકેયને માન્યમાં આવતી જ ન હતી.

‘જુઓ ! દેશના કોઈ દુશ્મન હોય, તો તેને સહન કરવાનું આવે એ બન્યું હશે. બાકી ખોપરીઓનાં હાડપિંજરોના ફોટાઓ વગર જે આવે છે તેવું કાંઈ જ સાચું નથી’. બિલઉઘરાણી કરનારા મિત્રે ‘હિટલરને, પોતાને, તો તેની સાથે કશી લેવાદેવા હોઈ જ ના શકે. જેણે કહ્યું હોય કે ન હોય! થયું હોય તો ખોટું છે જ. પણ થયું નથી.’ દરજીએ કહ્યું, ‘એવું થયું હોય તો તે ખોટું છે પણ એ વાત હું તો માનતો જ નથી.’ બૅકરીવાળા ભાઈએ કહ્યું, ‘ત્યારે તો રોજ એટલી બધી વાતો આવતી રહેતી કે તેવી બધી વાતો વિશે વિચારવાનો અમારી પાસે સમય જ રહેતો નહોતો.’

જર્મનીમાં કોઈ ષડ્‌યંત્ર કરીને ‘નાઝીવાદ’ થોડો સર્જ્યો હતો. લોકોએ હોંશે હોંશે અપનાવ્યો હતો અને આનંદ-ઉત્સાહથી આવકાર્યો હતો. આપણે એવું વિચારીએ છીએ કે નાઝીવાદ ક્રૂરતાભર્યાં કદમોથી આગળ વધીને સ્થપાયો હતો, પરંતુ મેયરે જે સામાન્ય જનની ધરતી સમજવાનો પ્રયત્ન કર્યો. તેમને નાઝીવાદ કુદૃષ્ટિવાળો માન્યો જ નહોતો. આજે પણ તેઓ તે દુષ્કૃત્યો કરનારો વિચાર ગણવા તેઓ તૈયાર નથી.

મેયરને ત્યાંના એક ભાષાશાસ્ત્રીએ સમજાવ્યું હતું કે ‘જેમ જેમ દેશ આતંક તરફ ઢળતો ગયો અને તે બધું સાથે ચાલતું પણ જતું હોય છતાં તેને વિશે વિચાર કરવાને સવિનય કરવાનો સમય મળે જ નહીં તો એટલી ઝડપથી નવું નવતર કાંઈ આવીને ઊભું જ કરી દેવાનું રહેતું નથી. સત્તાધારીઓ કાંઈક નવાં નવાં નાટકો ને તમાશાઓ યોજતા રહેતા હતા. અને સાચા કે ખોટા દુશ્મનો વિશેની વાતો ફેલાવવાનું ચાલ્યા જ કરતું હતું. આવું આવું કરીને સમગ્ર પ્રજાને ધીમી ગતિએ પરંતુ ચોક્કસ દિશાની સમજણો પીરસાતી રહેતી હતી. દરેકે દરેક પગલું, નાનું કે મોટું સુનિશ્ચિત દિશાનું જ ભરાતું ગયું હતું. ખેડૂત મકાઈ વાવે, છોડ ક્યારે મોટો થયો, ક્યારે ડૂંડાં બેઠાં અને ક્યારે એને રોગ લાગ્યો એ જુએ ક્યારે ? એ તો ક્યારનો ય એને માથેથી ઉપર નીકળી જ ગયો હોયને !’ 

વેડછી / વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 10 તેમ જ 14

Loading

...102030...2,8722,8732,8742,875...2,8802,8902,900...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved