Opinion Magazine
Number of visits: 9578162
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિની ચોકી

રમેશ કોઠારી|Opinion - Opinion|3 March 2019

‘કારણ કે તેણે ઝડપથી નાસી છૂટવું પડશે’

આસામના સિલ્ચર પ્રાંતમાં ‘એશો બોલી’ સંસ્થા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્‌ઘાટક તરીકે ઉપસ્થિત બંગાળી કવિશ્રી બંદોપાધ્યાય સાથે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતાં, અસામાજિક તત્ત્વો દ્વારા જે દુર્વ્યવહાર થયો, તેમના હાથમાંથી માઇક ખેંચી લેવામાં આવ્યું. તોડફોડ કરવામાં આવી, ધમકી આપવામાં આવી, તે ઘટનાને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(જાન્યુઆરી ૧૪)માં આવરી લેતી અખબારી નોંધ આપણે આપણી મહામૂલી જણસ જેવા કવિને કેટલા સાચવીએ (!) છીએ તે અંગે ઘણું કહી જાય છે. ભગતસાહેબ કહેતા હતા ‘સમાજમાં કવિનું હોવું અને કવિતાનું થવું મનુષ્યજાતિનું સદ્‌ભાગ્ય છે.’ આ સદ્‌ભાગ્યની આપણને કદાચ પડી નથી.

શ્રી બંદોપાધ્યાયનો ગુનો એટલો જ કે એમણે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે રચેલી કવિતા ઘણાને માફક આવી નહોતી અને ત્યારે ય ખાસ્સો વિરોધ થયો હતો. બિચારા ભોળા કવિને એમ કે આટલા અંતરાલ બાદ બધું ભુલાઈ ગયું હશે. પણ આ અંગે જે તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા, ખુલાસા મંગાયા અને છેવટે વાતાવરણ તંગ બન્યું, ત્યારે તેમને આસામ સશસ્ત્ર પોલીસદળની મદદથી સલામત સ્થળે લઈ જવાયા.

ત્રિદીપ સુહૃદના પુસ્તક ‘કવિની ચોકી’માં જણાવાયું છે તેમ, કવિનું કામ ચોકી કરવાનું છે. જ્યાં ખોટું થતું જણાય, તેનો પ્રતિકાર કરવાનું છે. ટાગોર કવિ તરીકે ગાંધીજીની ક્ષતિઓ તરફ ધ્યાન દોરતા હતા. અલબત્ત બંનેનો એકમેક પ્રત્યે આદર અકબંધ રહેતો.

સિલ્ચર ઘટનાના વિરોધમાં બંગાળના સર્જકો બંદોપાધ્યાયની પડખે નિર્ભિકપણે ઊભા રહ્યા. તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો, મમતા બેનરજીએ કવિને સંપૂર્ણ સલામતી પૂરી પાડી. આ ભોગ બનેલા કવિના મતે મારા પોતાના દેશમાં હું અસલામતી અનુભવું છું. વાણીસ્વાતંત્ર્યનો અભાવ છે. અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સર્જકોએ વારંવાર દેશના અન્ય ભાગોની મુલાકાત લેવી પડતી હોય છે. જો સિલ્ચરમાં બન્યું તેમ અન્યત્ર બનવાનું હોય, તો કોણ બહાર જશે ?

એક કવિને જે સૂઝે અને શોભે એવો વિરોધ કર્યો સુબોધ સરકારે – બીજી ફેબ્રુઆરીએ યોજાનારા કવિ-સંમેલનમાં તેમણે, પોતાની કવિતાઓનું પઠન કરવાને ઘોષણા કરી. Moral Courage V/S. Physical Courage.

વિલ ડ્યુરાંએ ‘ધ સ્ટોરી ઑફ ફિલોસૉફી’માં પ્લેટો વિશેના પ્રકરણમાં, તેના શાસકો પ્રત્યેની અપેક્ષાઓની નોંધ લેતાં કહ્યું છે તેમ, તેના મતે, જો આપણે બીમાર હોઈએ, તો અનુભવી, પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત, ઉચ્ચ પદવીધારી તબીબી પાસે સારવાર માટે જઈએ છીએ – તે દેખાવડો છે કે નહીં, સારો વક્તા છે કે નહીં તે બાબત ગૌણ બની રહે છે. તો પછી આખો સમાજ બીમાર હોય, ત્યારે શ્રેષ્ઠ, સૌથી શાણા, ઈમાનદાર શાસકોનું નેતૃત્વ અને માર્ગદર્શન મેળવતાં આપણને કોણ રોકે છે?

વ્યંગમાં તે કહે છે, પગરખાં બનાવવા માટે જેને ફાવટ હોય, તેની પાસે જઈએ છીએ પણ નગર, રાજ્ય કે દેશના વહીવટની વાત આવે, ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે જે વોટ ખેંચી લાવે તે ઉત્તમ શાસક.

મારા એક મિત્ર કહેતા હતા, ‘સાચું બોલનારને ઘોડો આપો, કારણ કે તેણે ઝડપથી નાસી છૂટવું પડશે.’ કવિ બધું જુએ છે, નાના માણસનું શોષણ તેને કહે છે, તે બધું યાદ રાખે છે (સચ્ચિદાનંદના પુસ્તકની પ્રારંભિક પંક્તિઓ) આપણા અન્યથા દરિદ્ર દેશને – એક બોલનારો સર્જક સમયાંતરે મળતો રહે તો ય ઘણું.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 16

Loading

સૈફ આઝાદ

હસમુખ શાહ|Opinion - Opinion|2 March 2019

લેખક આપણા સમયના ચુનંદા ગુજરાતીઓ પૈકી છે. એમણે ત્રણ-ત્રણ વડાપ્રધાનોના દફતરમાં અગ્રપદે કામગીરી બજાવી છે, તો ઇતિહાસ સહિતના વિષયોમાં વિદ્યાવ્યાસંગી હોવું એ એમની એક વિશેષ ઓળખ છે. એમનાં પ્રવાસસ્મરણો તાજેતરમાં જ ‘નિરુદ્દેશે’ એ શીર્ષક સાથે પ્રગટ થયાં છે. ઇમેજ પબ્લિકેશન્સ દ્વારા પ્રાપ્ય આ પુસ્તકમાંથી એક સ્મરણ અહીં સાભાર ઉતારીએ છીએ.

હિઝ ઇમ્પિરિયલ મૅજેસ્ટી ધ શાહ ઑફ ઇરાન તરફથી ભારતના નાયબ વડાપ્રધાનને ઇરાનની મુલાકાત માટે નિમંત્રણ મળે છે એ વિરલ ઘટના હતી. ૧૯૬૦ અને ૧૯૭૦ના દસકાઓમાં મધ્ય પશ્ચિમ એશિયામાં શાહનું ખાસ્સું વજન પડતું હતું. વળી, અમેરિકા સાથે તો વધુ નિકટતા કેમ કે ઇરાન ત્યારે મિડલ ઇસ્ટર્ન ડિફેન્સ ઑર્ગેનાઈઝેશનનું સભ્ય હતું. પૅટ્રોલિયમ પેદાશોની અગત્ય અમેરિકા અને શાહ સૌથી પહેલાં સમજેલા. ઇરાનના પાકિસ્તાન તરફી વલણને બદલવા ભારત પ્રયત્નશીલ હતું. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ઇરાને પાકિસ્તાનના હવાઈ દળને વિના મૂલ્યે ઈંધણ ભરવાની સગવડ કરી આપી હતી, તે હકીકત ભુલાઈ ન હતી. રાજકીય મુત્સદ્દીગીરી દ્વારા ઇરાનને પડકારવાનું કે આર્થિક નીતિઓથી એને નુકસાન પહોંચાડવાનું કોઈ રીતે શક્ય ન હતું. જરૂર હતી ઇરાનને પાકિસ્તાન તરફે તટસ્થ કરવાની.

ઇરાનનું ઔદ્યોગિકીકરણ કરવાની શાહની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ હતી. ૧૯૬૮માં ઇરાનની મુલાકાત પછી રૉબર્ટ મૅકનમારા ભારત આવેલા. ત્યારે ઇરાનની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વિશે એમણે મોરારજીભાઈને વાત કરેલી. પેટ્રોકૅમિકલ ઉદ્યોગોને અગ્રિમતા આપી એમાં જંગી રોકાણ કરવાનો શાહનો ઇરાદો છે, એ મૅકનમારાએ જણાવ્યું. જ્યારે મૅકનમારાએ શાહને પૂછ્યું કે એ માટે તમે તાલીમ પામેલા શિક્ષિત કર્મચારીઓ ક્યાંથી લાવશો? ત્યારે એમનો ત્વરિત જવાબ હતો, ‘કેમ વળી? ભારતમાંથી.’ એ સમયે આર્ય મહેર ૨૭ વર્ષથી ઇરાનની ગાદી પર હતા. એમનાં છેલ્લાં રાણી ફરાહ, જેને પાછળથી શાહબાનુનો દરજ્જો આપેલો, લગ્નને પણ દસ વર્ષ વીતી ગયેલાં.

શાહ એક વિચક્ષણ અને અનુભવી મુત્સદ્દી હતા. એમને આ વિસ્તારના બૅલેન્સ ઑફ પાવરને ફરી ચકાસવાની જરૂર સમજાઈ હતી. આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મોરારજીભાઈએ ૧૯૬૮માં ઇરાનની મુલાકાત લીધી. બંને મહાનુભાવોની વચ્ચે સદ્‌ભાવના સ્થપાઈ. અમે કેટલીયે વખત જોયું કે દૃઢ સ્વભાવવાળા લોકોને એકબીજા સાથે વધુ ફાવે છે. મોરારજીભાઈ એમની આત્મકથામાં લખે છે : ‘મારે શાહ સાથે લંબાણપૂર્વક વાતો થઈ, એમણે મિત્રતા દાખવી અને મારી સાથે ખૂબ જ આદરથી વર્ત્યા. શાહ અને બીજાઓ સાથેની વાતચીતથી મને એવી છાપ પડી કે તેઓ ભારતની નજીક આવવા માગે છે.’ ‘ઇન્ડિયન ફૉરેન રિવ્યૂએ આ મુલાકાતને એક મોટી સિદ્ધિ ગણી.’

દસ વર્ષ પછી જનતાપાર્ટીના સમય દરમિયાન શાહ ભારતની મુલાકાતે આવેલા. એમના પ્રવાસને અંતે, જ્યારે બંને નેતાઓ એકલા હતા, ત્યારે ૮૨ વર્ષના વૃદ્ધ વડાપ્રધાને ૫૯ વર્ષના અક્કડ રાજવીને કહ્યું : મેં સાંભળ્યું છે કે શાવક (ઇરાનની સિક્રેટ સર્વિસ) વધારે પડતો જુમલો કરે છે. પ્રજાની નારાજી વધતી જાય છે. આપે સલામતીની દૃષ્ટિએ વિચારવું જોઈએ. વિરોધીઓ તો બધે હંમેશાં હોવાના.’ આ શબ્દો ‘આપ નામદાર’ને નહીં, પણ આપ કહીને ઉચ્ચારાયેલા. આવી સલાહ શાણપણભરી ન કહેવાય, બલકે એક મોટી ગેરસમજ ઊભી કરે, પરંતુ શરૂઆતમાં સ્તબ્ધ થઈને ખાસ્સો સમય ચુપકીદી સેવ્યા પછી શહેનશાહે એમનું મસ્તક હલાવ્યું. મોરારજીભાઈ સિવાય બીજું કોણ આવી રીતે વણમાગી સલાહ આપે? અને તે ય રાજકીય પ્રોટોકૉલને નેવે મૂકીને? અને છતાં હકારાત્મક પ્રત્યુત્તર મેળવે?

૧૯૬૮ની અમારી ઇરાનની મુલાકાત દરમિયાન મીટિંગો, કાર્યક્રમો વગેરેમાં વ્યસ્ત હોવા છતાં પહેલે જ દિવસે મોરારજીભાઈએ અછડતો ઉલ્લેખ કરીને અમને કહ્યું કે, ‘યરવાડાના જેલવાસ દરમિયાન મારી સાથે એક ઇરાનનો પત્રકાર હતો.’

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ઍક્સિસ દેશોના નાગરિકોને બંદી બનાવ્યા હતા. અને મોરારજીભાઈના કહેવા પ્રમાણે, સૈફ આઝાદ થોડાં વર્ષો જર્મનીમાં રહ્યા હોવાને કારણે નાઝીના ટેકેદાર માનીને એમને અટકાયતમાં રાખ્યા હતા.

મોરારજીભાઈએ સૈફ આઝાદને યાદ કર્યા, એ તરફ અમે ખાસ ધ્યાન ન આપ્યું. ફરી, બીજે દિવસે સવારે એમણે કહ્યું, ‘એનું નામ સૈફ આઝાદ હતું. એ એના કુટુંબ વિશે અને ખાસ કરીને એની નાની દીકરીની વાત કરતા હતા.’ લાગણીશૂન્ય મનાતા મોરારજીભાઈએ ઉપરાઉપરી બે દિવસ, વર્ષો પહેલાંના એમની સાથેના જેલના અંતેવાસીને યાદ કર્યા, એ એમનો સૈફ આઝાદમાં રસ બતાવવા પૂરતા હતા. અમે ભારતીય દૂતાવાસમાં તપાસ કરાવી. એમના સરનામાની ડાયરીમાં કોઈ સૈફ આઝાદ ન મળે. ત્રીજે દિવસે મોરારજીભાઈ ફરી બોલ્યા કે સૈફ આઝાદ અત્યારે જીવતા હોય, તો એ ૯૦ વર્ષના હોય ! મોરારજીભાઈ દ્વારા આવી લાગણી બતાવવાનું ભાગ્યે જ બને. એટલે અમે ઇરાનની માહિતી-કચેરીમાં તપાસ કરી. ઇરાનમાં વર્ષોથી વસતા ભારતીય સમુદાય દ્વારા તપાસ કરી, પણ બધેથી નનૈયો મળ્યો. શાહ સાથેની મીટિંગ કાસ્પિયન સમુદ્ર પરના નૌશહર પરના તેમના ગ્રીષ્મ મહેલમાં હતી. મહેમાનગતિ ભભકાદાર હતી. અમે ભારતીય દૂતાવાસને સૈફ આઝાદને શોધવાની સૂચના આપેલી હતી. મુસાફરી દરમિયાન મોરારજીભાઈએ ફરી વાત કાઢી. ‘હું એને ગીતા શીખવતો હતો અને એ મને કુરાન વિશે સમજાવતા હતા. અમે એકબીજાનાં કુટુંબ વિષે વાતો કરતા. હવે તો એ ક્યાંથી જીવતા હોય!’ મોરારજીભાઈ ભાગ્યે જ કોઈ માટે આવી લાગણીઓ બતાવતા, જો કે અમે જાણતા ખરા કે તેઓ સ્નેહથી લોકોની ખબર રાખતા અને એમનામાં રસ લેતા.

અમને કોઈ રસ્તો સૂઝ્‌યો નહીં.

અમે પાછા તેહરાન પહોંચ્યા. છેલ્લા દિવસે અમારા સાથીઓ ખરીદી કરવામાં અને સામાન બાંધવામાં પડ્યા હતા. ભારતીય રાજદૂત બીજે કશે રોકાયેલા હતા. ઇરાનમાં વસતા ભારતીય નાગરિકો સાથેની મીટિંગમાં મોરારજીભાઈ સાથે અમે એકલા હતા. દરેક જગ્યાએ બનતું તેમ આ બધા વિદેશનિવાસી ભારતીય નાગરિક દેશને કેમ ચલાવાતો તે વિશે ઉપપ્રધાનમંત્રીને સલાહસૂચનો આપતા હતા! જાતજાતની દરખાસ્તો આવતી હતી. કેટલાંક કવરો દૂતાવાસ તરફથી અમને આપવામાં આવેલાં, એમાં અમે સૈફ આઝાદના નામવાળું એક કવર જોયું. તરત જ ખોલ્યું, એમાં લખેલું કે ‘તમે તો હવે મોટા માણસ થઈ ગયા છો એથી હું બહુ રાજી છું. મને તો તમે ભૂલી ગયા હશો, પણ આપણે યરવાડા જેલમાં સાથે હતા. તમે મને ગીતા શીખવતા હતા. તમારો દીકરો કેમ છે, દીકરીઓ ક્યાં છે? મારી વૃદ્ધાવસ્થામાં હું ખાસ હરી-ફરી શકતો નથી. મારી દીકરી મારી સંભાળ રાખે છે. ઈશ્વર તમને તમારા દેશની સેવા કરવાનાં વધુ વર્ષો આપે અને એના આશીર્વાદ તમને મળે.’

અમે મોરારજીભાઈને એમના નિયત કાર્યક્રમથી ચલિત થતાં આ પહેલાં કે પછી ક્યારે ય જોયા નથી. એમણે કાગળ વાંચ્યો અને કહે, ‘ચાલો’, તેહરાનના જૂના વિસ્તારમાં સૈફ આઝાદને મળવા, ભારતના નાયબ વડાપ્રધાનને લઈ જવા માટે ઇરાની સલામતી રક્ષકો અને ભારતીય દૂતાવાસ વચ્ચે સંધાન-ટુકડીને સમજાવવામાં થોડો સમય ગયો.

આગળ-પાછળ આઉટરાઇડર્સની ટુકડીની વચ્ચે લાંબી મર્સિડીઝ ગાડી ગલીકૂંચીઓ વીંધીને રસ્તો પૂછતી જતી હતી, એમ અમે સૈફ આઝાદને ઘેર પહોંચ્યા. એક નાનકડું સામાન્ય ઈરાનિયન ઘર હતું. જેવું આપણે ત્યાં હોય છે – ફક્ત તુલસીક્યારો ન હતો – મધ્યમાં એક ચોક અને એની બંને બાજુ ઓરડીઓ. સૈફ આઝાદના નાનકડા ઓરડામાં એમનો ખાટલો હતો, એક લખવાનું ટેબલ અને ખુરશી, એક નાનું સ્ટૂલ અને ચારે બાજુ ધૂળે ભરાયેલાં છાપાં અને સામયિકો વેરાયેલાં. એ તો ગદ્‌ગદિત થઈ ગયા. ઊંચા અને પડછંદ પણ વ્યાધિઓને કારણે કેડમાંથી ૯૦ ડિગ્રીએ વળી ગયેલા લેંઘા-ગંજીમાં સૈફ આઝાદ અને મોરારજીભાઈ ભેટી પડ્યા. પછી લાંબો સમય એકબીજાને તાકતા રહ્યા. સૈફ આઝાદની આંખમાંથી આંસુની ધાર ચાલતી રહી. મોરારજીભાઈને નોંધ્યું છે, ‘અમે ખૂબ ભાવવિભોર થઈને મળ્યા.’

સૈફ આઝાદ એમની પથારીમાં પડ્યા અને મોરારજીભાઈ સામે ખુરશી પર બેઠા, અમે સ્ટૂલ ખેંચીને બેઠક લીધી. એમની દીકરી આવી, એટલે સૈફે એને કહ્યું. ‘મેં તને કહ્યું હતું ને કે મારો કાગળ વાંચશે, તો એ જરૂર મને મળવા આવશે?’ દીકરીનો પરિચય આપ્યો અને એ આ ભારતથી આવેલા કાકાને નમસ્તે કરીને તેમના માટે લીલા કાચનો શરબતનો ગ્લાસ અને કાચની ગોળીવાળી સોડાવૉટરની બાટલી લઈને આવી. મોરારજીભાઈ એમના ખોરાકની બાબતમાં ખૂબ જ આગ્રહી હોવા છતાં આ શરબતનો ગ્લાસ એમણે પીધો અને કુટુંબની, જેલવાસની, સૈફ આઝાદની ભારતથી પાછા ફર્યા પછીની મુશ્કેલીઓની અને બંને દેશોની પરિસ્થિતિની વાતોએ વળગ્યા. અમે જવા માટે ઊભા થયા, ત્યારે મોરારજીભાઈએ એમના મિત્રને હાથ પકડીને ઉઠાડ્યા, એમના પડછંદ શરીરને ટેકો આપીને બહાર દરવાજા સુધી લાવ્યા. બંને એકબીજાની સામે નજરમાંથી ઓઝલ થયા, ત્યાં સુધી હાથ હલાવતા રહ્યા.

કોઈ ને કોઈ કારણસર અમારે વારંવાર ઇરાન જવાનું થયું છે. સૈફ આઝાદની વાર્તા અહીં પૂરી થતી નથી. ૧૯૯૦માં એક વખત ઇરાનની નૅશનલ પેટ્રોકૅમિકલ કંપની(NPC)નું એક જૂથ એમની પેદાશોના વેચાણ અંગે તેમ જ એમના કર્મચારીઓની તાલીમ અંગે આઈ.પી.સી.એલ.ની મુલાકાતે આવ્યું. અમે એ સૌને અમારે ત્યાં ભોજનનું આમંત્રણ આપ્યું. આવી રસમથી તેઓ ટેવાયેલા નહીં. ભોજન પછી અમે ફિરદૌસ, શેખ, સાદી, હાફીઝ શિરાઝીની વાતો કરી, બંને દેશો વચ્ચે લાંબા સમયથી જોડાયેલા સંબંધની વાતો કરી અને ભારતના દરબારોમાં ફારસી ભાષાની અસરની વાતો થઈ. અમે ૨૦ વર્ષ જૂની મોરારજીભાઈ અને સૈફ આઝાદના મિલનની વાત કરી. જૂથના નેતા ઇબ્રાહિમ મિયાંની આંખો ભીની. બીજાઓ પણ લાગણી ભીના થઈ ગયેલા. ઇબ્રાહિમ મિયાં પૂછે કે એ દેસાઈસાહેબને મળી શકે? બીજી દિવસે તેઓ તેહરાન પાછા જવાના હતા, એટલે અમે એમને ફરી આવે, ત્યારે ચોક્કસ મુલાકાત ગોઠવીશું એમ કહ્યું.

ઇબ્રાહિમ મિયાંએ પાછા જઈને આ વાત બધાને કરી હશે, એટલે થોડા મહિના પછી અમે એન.પી.સી.ની મુલાકાતે ઇરાન ગયા, ત્યારે અમારે માટે તો લાલ જાજમ બિછાવેલી. દરમિયાનમાં અમે આયાતોલ્લાનાં લખાણો, વક્તવ્યો વાંચી લીધેલાં. વાટાઘાટો વખતે અમે એકલા આયાતોલ્લાના ફોટા નીચે એક તરફ બેઠેલા અને ટેબલની સામે સાત જણાં શરૂઆતમાં જ અમે કહ્યું, કે એકલો નથી, એમ કહીને ઉપર આયાતોલ્લાના ફોટા તરફ જોયું. ત્યાર પછીની વાટાઘાટમાં અમારી બધી શરતો એમણે સ્વીકારી.

એમના નાયબ પ્રધાન દ્વારા અમને ફરી ઇરાનની મુલાકાતનું નિમંત્રણ મળ્યું અને તે પણ પત્ની સાથે. જ્યારે નીલા અને હું તેહરાન પહોંચ્યાં, ત્યારે તેઓ તેમની પત્ની સાથે અમને હોટેલ પર મળવા આવ્યા અને બીજે દિવસે અમારા માટે ભોજન-સમારંભ રાખ્યો. સામાન્ય રીતે આવા સમારંભોમાં મહિલાઓને આમંત્રણ નથી હોતું. પણ અપવાદ રૂપે બાજુના રૂમમાં મહિલાઓ માટે જુદી વ્યવસ્થા કરેલી. આપણા રાજદૂત હમીદ અન્સારીએ (જેઓ હાલ આપણા ઉપરાષ્ટ્રપતિ છે) અમને પૂછ્યું. “હસમુખભાઈ, યે કૈસા જાદુ કિયા હૈ આપને? મારાં પત્નીને આજ સુધી ક્યાં ય આવી રીતે નિમંત્રણ મળ્યું નથી.’ આ જાદુ તો પેલા બે વૃદ્ધ માણસોની ઉષ્માભરી મિત્રતાનો હતો. જેઓ જુદાં-જુદાં કારણોસર યરવડા જેલમાં સાથે રહ્યા હતા.

અમે ઇબ્રાહિમ મિયાંને પૂછ્યું કે સૈફની દીકરી તેહરાનમાં રહે છે? અમારી ફરી વારની મુલાકાત વખતે તેઓ તપાસ કરી રાખશે, એવી એમણે એ બાંયધરી આપી. અમારે જ્યારે ફરી ઇરાન જવાનું થયું, ત્યારે એને માટે અમે ભેટસોગાદો લીધેલી. એ તો મસાદમાં સ્થાયી થયેલી અને માંદગીને કારણે તેહરાન આવી શકે નહીં. ઇબ્રાહિમ મિયાંએ ભેટ પહોંચાડેલી.

ઇરાનની અમારી મુલાકાતો દરમિયાન સૈફ આઝાદ અને આર્ય મહેર અમારી યાદદાસ્તમાં જડાયેલા રહ્યા છે. પણ જે સ્થળે અમને સૌથી વધુ સુખદ અનુભૂતિ થઈ તે હાફીઝ શિરાઝીની કબરે. સાવ સાદી અને પવિત્ર, કોઈ ભભકો નહીં, કોઈ ઝાકમઝાળ નહીં. એવી હાફીઝ શિરાઝીની મઝાર એક યાત્રાના સ્થળ જેવી છે. સવારના ઊગતા સૂરજનાં કિરણોમાં નારંગીનાં વૃક્ષોનાં ઝુંડ પર સોનેરી આભા છલકે. બધી ઉંમરનાં બાળકો, સ્ત્રીઓ, પુરુષો, સામાન્ય વર્ગના કે ઉચ્ચ વર્ગના બધાં જ ચુપકીદીથી પરિસરમાં પ્રવેશે, નમન કરીને હાફીઝનું પુસ્તક (ત્યાં થોડી પ્રતો રાખેલી છે) લઈને ખોલીને બેસે. માન્યતા એવી છે કે તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય, તેનો જવાબ તમે જે પાનું ખોલ્યું હોય, તેમાંથી મળી રહે. ત્યાં બેસી જ રહેવાનું મન થાય. ટાગોર પણ આ પવિત્ર ભૂમિની મુલાકાતે આવી ગયેલા.

શિરાઝનો પૂર્વમાં સંસ્કૃતિના મથક તરીકેનો ઇતિહાસ છે. તમે રસ્તા ઉપર ચાલતા હો, ત્યારે પણ મહામૂલા ઇરાની ગાલીચા પર ચાલવાનું બને. એ ગાલીચાઓ રસ્તા પર જાણીજોઈને બિછાવે, જેથી વપરાવાથી એની ગૂંથણી બરાબર સુંવાળી અને મજબૂત થઈ જાય.

એક વાર સાંજે હોટેલ પર પાછા ફરીને મારા સાથીઓ સાથે અમે ઇરાનનાં ઇતિહાસ, ભાષા અને કવિતા તેમ જ સૈફ આઝાદની વાત કરી, ત્યારે જે ઇરાની ઑફિસર અમારી સરભરા કરતો, તે લોકલ વોડકાની એક બૉટલ લઈને આવ્યો – આ ત્યારે જ્યારે મુલ્લાઓનું ઇરાન પર વર્ચસ્વ હતું.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 03 – 04

Loading

ફ્રાન્સ : ‘એ ખાકનશીનો ઊઠ બૈઠો, યે વક્ત કરીબ આ પહુઁચા…’

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|2 March 2019

ફ્રાન્સ-માનવસભ્યતાને લોકશાહીની ભેટ આપનાર, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વનાં મૂલ્યો આપનાર ક્રાંતિની ભૂમિ … ૧૯૬૮માં જબરદસ્ત વિદ્યાર્થી-આંદોલનની ભૂમિ કે જેમાં દેશના એ સમયના બુદ્ધિજીવીઓથી લઈને તમામ વર્ગના લોકોની સામેલગીરી હતી. ફ્રાન્સ … એટલે એ ભૂમિ કે જ્યાં મજદૂરોના હક્ક માટે વિદ્યાર્થીઓ સડકો પર ઊતરે છે.

ફ્રાન્સનું નામ આજે ફરીથી ચર્ચામાં છે, એની જનતાના આંદોલનના કારણે. આજે ફ્રાન્સના લોકો ફરીથી સડકો પર ઊતરી આવ્યા છે. અમેરિકાના ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ આંદોલનની જેમ ફ્રાન્સનું વર્તમાન ‘યલોવેસ્ટ’ આંદોલન આજે પોતાના દેશની સરહદો તોડીને દુનિયાના વિવિધ દેશોમાં ફેલાઈ રહ્યું છે. યલોવેસ્ટ એટલે કે પીળા રંગનાં જેકેટ – આ આંદોલનનું પ્રતીક બની ચૂક્યાં છે. ફ્રાન્સના લોકો માટે વાહન ચલાવતી વખતે આ પીળા (રેડિયમ) રંગનાં જેકેટ પહેરવા ફરજિયાત છે.

અલબત્ત, આ આંદોલનની શરૂઆત પેટ્રોલ-ડીઝલમાં થયેલા અસહ્ય ભાવવધારાના વિરોધમાંથી થઈ હતી. ફ્રાન્સમાં મોટા ભાગની કાર ડીઝલથી ચાલે છે. છેલ્લા ૧૨ મહિનામાં ડીઝલની કિંમતમાં ૨૩ ટકાનો વધારો થયો છે. તાજેતરમાં થયેલો પ્રતિ લિટરે ૧.૬૧ ડૉલરનો વધારો એ વર્ષ ૨૦૦૦ બાદના સૌથી ઊંચા સ્તરે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન, જે ૨૦૧૭થી સત્તા પર છે, તેમણે ડિઝલ પર ૭.૬ સેન્ટ અને પેટ્રોલ પર ૩.૯ સેન્ટ પ્રતિ લિટર હાઇડ્રોકાર્બન ટૅક્સ લગાવ્યો છે. ઉપરાંત જાન્યુઆરી ૨૦૧૯થી ડીઝલ પર ૬.૫ અને પેટ્રોલ પર ૨.૯ સેન્ટ પ્રતિ લીટર ટેક્સ વધારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ભાવવધારા પાછળ એવું કારણ દર્શાવવામાં આવ્યું હતું કે પરંપરાગત બળતણનો ઉપયોગ ઓછો થાય. આંદોલન શરૂ થયું, ત્યારે માત્ર આ ટૅક્સમાં વધારાનો વિરોધ હતો, પરંતુ આજે તો માંગણીઓ અનેક ગણી વ્યાપક બની છે, અને લોકો પોતાના રોજબરોજના પ્રશ્નોને લઈને ફ્રાન્સની સડકો પર ઊતરી આવ્યા છે.

ફ્રાન્સમાં હાલ સૌથી મોટો પ્રશ્ન બેરોજગારીનો છે. ફ્રાન્સ જેવા દેશોમાં બેરોજગારીનો પ્રશ્ન હોય એ સાંભળતા જ જરા અજુગતું લાગે. પણ પ્રશ્ન છે એ હકીકત છે. ૨૦૦૯થી અત્યાર સુધીમાં ફ્રાન્સમાં બેરોજગારીનો દર ૯થી ૧૧ ટકા સુધી રહ્યો છે. આ દર ૭ ટકાથી નીચે લઈ જવાનું વચન મેક્રોનના પક્ષે ચૂંટણીમાં આપેલું. આજે સત્તામાં આવ્યાને ૧૯ મહિના થઈ ગયા છતાં પણ બેરોજગારીને પ્રશ્ન ઉકેલવા માટે કોઈ અસરકારક પગલાં લેવાયાં નથી. ફ્રાન્સમાં અડધા ઉપરાંતના લોકોની માસિક આવક ૧૭૦૦ યુરોથી પણ ઓછી છે. જો કે ફ્રાન્સ સોશિયલ સિક્યૉરીટી બિલ પાછળ ૭૧૫ અબજ યુરો ખર્ચે છે. પોતાના કુલ ખર્ચનો ૧/૩ હિસ્સો લોકકલ્યાણ પાછળ ખર્ચતા હોવાનો દાવો હોવા છતાં ફ્રાન્સમાં ટૅક્સ સૌથી વધુ છે, તે પણ હકીકત છે.

ડીઝલમાં વધારાના ટૅક્સ અને તેની વધતી કિંમતો સામે શરૂ થયેલા આ આંદોલનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયેલા છે. લઘુતમ વેતનવધારાની માંગણી સાથે સામાન્ય મજદૂરો-કામદારો પણ આ આંદોલનમાં સામેલ છે, તો બેરોજગાર યુવાનો પણ આ આંદોલનમાં સામેલ છે. કારણ કે ફ્રાન્સમાં ૨૦૦૦થી ૨૦૦૭ સુધીનાં ૭ વર્ષમાં ૬૫ ટકા જેટલી રોજગારી છીનવાઈ છે, જેમાં આજ સુધી વધારો જ નોંધાઈ રહ્યો છે. આ આંદોલનમાં ખેડૂતો પણ સામેલ છે. કારણ કે ફ્રાન્સની સરકાર આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોની સ્પર્ધામાં ખેતપેદાશોની એટલી ઓછી કિંમત આપે છે કે બહારથી ઝાકઝમાળથી ભરેલ – ‘ફૅશનસેન્ટર’ ગણાતા દેશમાં રોજ સરેરાશ એક ખેડૂતની આત્મહત્યા થઈ રહી છે.

‘યલોવેસ્ટ’ આંદોલનમાં વૃદ્ધો પણ સામેલ છે કે જેઓ પેન્શન સહિતની અનેક સામાજિક કલ્યાણની યોજનાઓમાં મૂકાયેલા કાપનો વિરોધ કરી રહ્યા છે. અને સૌથી જોરદાર ભાગીદારી છે ફ્રાન્સના લડાયક વિદ્યાર્થીઓની. પોલીસના તમામ અત્યાચારો, લાઠીચાર્જ, ટિયરગૅસ, વૉટરકેનન – બધાનો સામનો કરીને વિદ્યાર્થીઓએ આ આંદોલનને વિશ્વવ્યાપી બનાવવામાં એક મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. ફ્રાન્સમાં વિદ્યાર્થી-આંદોલનનો ઇતિહાસ શાનદાર રહી ચૂક્યો છે. એ ૧૯૬૮નું આંદોલન હોય કે પછી હાલમાં ‘યલોવેસ્ટ’ આંદોલન અથવા તો ગયા દશકામાં મજદૂર-કામદાર વિરોધી નીતિઓ સામે ઉદ્‌ભવેલા આંદોલનમાં કામદારો સાથે ખભેખભા મિલાવીને લડવાની વાત હોય. શહીદ-એ-આઝમ ભગતસિંહનું એ વાક્ય સ્વાભાવિક જ યાદ આવે, ‘દરેક દેશમાં સામાજિક પરિવર્તન માટે ત્યાંના વિદ્યાર્થીઓ જ આગળ આવ્યા છે…’

આમ, પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં થયેલાં ભાવવધારાના કારણે અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો, જેથી આ આંદોલનમાં મજદૂરો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, ઑફિસ-કર્મચારીઓ, ગૃહિણીઓ, વૃદ્ધો સહુ કોઈ જોડાયેલાં છે. એક સમયે આંદોલનકારીઓ સામે સરકાર જરા ય ઝૂકશે નહીં, જરૂર પડશે તો આખા દેશમાં મિલિટરી રોકીને, કટોકટી જાહેર કરવામાં આવશે એવી ધમકી આપનાર મેક્રોન સરકારે ઘણા અંશે ઝૂકવું પડ્યું. ૨૦૧૯થી સરકારે ડીઝલ પર ટૅક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે. ઉપરાંત ચાલુ નવા વર્ષથી જ લઘુતમ વેતનમાં પણ વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે. જો કે આટલી જીત મેળવવામાં આ આંદોલનમાં ૧૦ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો ૧૮૪૩ કરતાં વધુ નાગરિકો અને ૧૦૪૮ જેટલા અધિકારીઓ ઘાયલ થયા છે.

આત્મસમ્માનપૂર્વક જીવન જીવવા માટે જરૂરી એવી પ્રાથમિક સુવિધાઓની માંગણી સાથેના આ આંદોલનના પડઘા દુનિયાના અન્ય દેશોમાં પણ પડ્યા છે. બલ્ગેરિયા, કૅનેડા, ક્રોએશિયા, ઇજિપ્ત, ફિનલૅન્ડ, જર્મની, ઇરાક, આયરલૅન્ડ, ઇઝરાયેલ, ઇટાલી, નેધરલૅન્ડ, પાકિસ્તાન, પોલૅન્ડ, પોર્ટુગલ, રશિયા, સર્બિયા, તાઇવાન, ટ્યુનિશિયા, યુનાઇટેડ કિંગ્ડમ, વગેરે દેશોમાં પણ લોકો યલોવેસ્ટ પહેરીને પોતાની વાજબી માંગણીઓ સાથે વિરોધ-પ્રદર્શનો કરી રહ્યાં છે.

રશિયન ક્રાંતિની શતાબ્દી (૧૯૧૮-૨૦૧૮) ૧૭ નવેમ્બરથી શરૂ થયેલા આ આંદોલનનું ૧૧મું અઠવાડિયું ચાલી રહ્યું છે. ૨૦મી જાન્યુઆરીએ પૅરિસમાં ‘March For Life’માં પણ લાખો લોકો જોડાયા હતા.

બેરોજગારી જીવન સસ્તું પણ જીવન જીવવાની વસ્તુઓ મોંઘી આ પ્રશ્ન આજે ફ્રાન્સના લોકોને સતાવી રહ્યો છે એવું નથી. દુનિયાના તમામ દેશોના સહુ સાધારણ લોકો આજે આ પ્રશ્નથી પીડાય છે. વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓએ આજે તમામ દેશોના અર્થતંત્રની કમર તોડી નાંખી છે. વસ્તુઓની કિંમતમાં વધારો, પણ લોકોની ખરીદશક્તિમાં ઘટાડો – સમગ્ર દુનિયાની આજે આ સ્થિતિ છે. કાર્લ માર્ક્સની વાત યાદ આવે, ‘મૂડીવાદ પોતાની કબર ખુદ ખોદી રહ્યો છે…’ દુનિયાની તમામ સરકારોની નીતિઓ પણ અમીર તરફી છે, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. ૨૦૧૧માં ‘ઑક્યુપાય વૉલ સ્ટ્રીટ’ આંદોલનમાં પણ આ જ આર્થિક અસમાનતા સામે વિરોધની વાત હતી. દુનિયાના ૯૯ ટકા સામાન્ય લોકો પર માત્ર એક ટકા અમીરોનું શાસન છે. આપણો દેશ પણ આ સત્યથી પર નથી. ઑક્સફામના અહેવાલ અનુસાર ભારતના ૫૦ ટકા કરતાં વધુ સંપત્તિ માત્ર નવ ધનિકોના કબજામાં છે. આર્થિક અસમાનતાની આ વરવી વાસ્તવિકતા ફ્રાન્સના લોકો સમજ્યા છે અને એટલે જ ઇંધણ તેલમાં ભાવવધારાથી શરૂ થયેલું આ આંદોલન આજે મેક્રોન સરકારના રાજીનામાની માંગ સાથે, બેરોજગારીના રાક્ષસી પ્રશ્ન સામે બુલંદ બની રહ્યું છે, જે બેરોજગારીનો પ્રશ્ન એ મૂડીવાદી વિષચક્રની દેણ છે. દુનિયાના મોટા ભાગના લોકોનો એ સૂર હોય છે કે ક્યાં ય કશું થતું નથી. એમની સામે ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ આંદોલન પણ એક જવાબ હતો અને ‘યલો વેસ્ટ’ આંદોલન પણ એક જવાબ છે. અલબત્ત, જવાબ હજુ અધૂરો છે. આ આંદોલનો સરહદ તોડીને દુનિયાના તમામ સાધારણ લોકોને સંગઠિત કરશે, ત્યારે આ જવાબ પૂરો થશે. એ દિવસ પણ બહુ દૂર નહીં હોય જ્યારે એ લોક જુવાળ ઊઠશે, ત્યારે જુલમી સત્તાધીશો સામે એક ચેતવણી બનીને આવશે.

એ ખાકનશીનો ઊઠ બૈઠો,
યે વક્ત કરીબ આ પહુંચા,
જબ તખ્ત ગીરાયે જાયેંગે,
જબ તાજ ઉછાલે જાયેંગે.

E-mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 08 – 09

Loading

...102030...2,8642,8652,8662,867...2,8702,8802,890...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved