Opinion Magazine
Number of visits: 9577809
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સમ્યક્‌ સાહિત્ય’ સેમિનાર

નટુભાઈ પરમાર|Opinion - Opinion|8 March 2019

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ સંચાલિત સમ્યક – સાહિત્ય અધ્યાપક સંઘ અને વિખ્યાત ઘનશ્યામ શૈક્ષણિક સંકુલ, મુકામ અંબાવ, તાલુકા ગળતેશ્વર(જિલ્લા ખેડા)ના ઉપક્રમે ‘સમ્યક્‌ સાહિત્ય ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને અવધારણા’ વિષય પરનો એકદિવસીય રાષ્ટ્રીય સેમિનાર, આ સંસ્થાના અંબાવ પરિસરમાં તારીખ ત્રીજી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ યોજાયો હતો.

રાજ્યના અધિક મુખ્ય સચિવ અને રાજ્યના મુખ્ય સેલ્સટૅક્સ કમિશનર ડૉ. પી.ડી. વાઘેલા, આઈ.એ.એસ.ના અધ્યક્ષ પદે અને અંબાવ સંસ્થાના મોવડી ડૉ. જિતુભાઈ માહ્યાવંશીના વિશેષ અતિથિ પદે યોજાયેલા આ સેમિનારમાં પ્રસિદ્ધ મરાઠી વિવેચક ડૉ. આર.બી. કામ્બલે, વિખ્યાત બંગાળી કવયિત્રી સુશ્રી મંદાકિની ભટ્ટાચાર્ય સહિત સર્વશ્રી પ્રવીણ ગઢવી (અધ્યક્ષ-ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી) હરીશ મંગલમ્‌ (સંસ્થાપક – ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી), ડૉ. પથિક પરમાર, ડૉ. રતિલાલ રોહિત, મરાઠી દલિતકવિ અને ચિત્રકાર પ્રો. સુનિલ અભિમાન અવચાર, ડૉ. વિનોદ ગાંધી, ડૉ. ધીરજ વણકર અને સંસ્થાના યોગેશભાઈ માહ્યાવંશીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સેમિનારના પ્રારંભે સૌ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં સંસ્થાના જિતુભાઈ માહ્યાવંશી અને ડૉ. પી.ડી. વાઘેલાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર સમક્ષ દીપ પ્રકટાવીને સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો.

‘દેશમાં શું થઈ રહ્યું છે અને તે સામે શું કહી શકાય, એનું આલેખન કરીને જનજન સુધી તેને પહોંચાડવાનું દાયિત્વ દલિત-સમ્યક્‌ સર્જકોનું છે એવો મત વ્યક્ત કરી પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં ડૉ. પી.ડી. વાઘેલાએ જણાવ્યું કે, સમાજમાં પણ બે વર્ગો છે, એક જેઓ પીડા-દુઃખ વેઠે છે અને બીજો જે પીડા વેઠતો નથી પણ પીડા આપે છે. આ સ્થિતિમાં દલિત-સમ્યક્‌ સાહિત્યકારોનું એ કર્તવ્ય છે કે, એવી પીડાને તેઓ ઓળખી કાઢે અને તેના નિવારણના ઉપાયો પણ સૂચવે તથા પીડિતોને તેમની પીડાનો અહેસાસ કરાવી તેમને જાગૃત કરે.

‘સમાજના પીડિત વર્ગ પર સદીઓથી જે અન્યાયો થોપી દેવામાં આવ્યા છે, તેમને પણ તે જાણે અને સામે પક્ષે પીડા આપનારા વર્ગને તો સમતા-સમાનતા લાવવી જ નથી, આ સ્થિતિ ઘણી ભયાનક છે,’ એવો મત વ્યક્ત કરી ડૉ. વાઘેલાએ થિયરી ઑફ ઑપરેશનના વૈશ્વિક વિચાર પર પ્રકાશ પાડતાં કહ્યું કે, મીડિયા, ન્યાયતંત્ર અને વહીવટીતંત્રને પણ જ્યારે પીડિતોની પીડાનો અહેસાસ નથી થતો, ત્યારે સ્થિતિ વધારે ગંભીર બને છે, કારણ કે, આવા લોકો ‘ઇન્ડોક્ટ્રિનેશન’ના ભોગ બનેલા છે.

વિદૂષી લેખિકા ગીતા મહેતાને ટાંકીને ડૉ. વાઘેલાએ એમ પણ કહ્યું કે, શોષિતો-પીડિતો પર લખીને જે લોકો મોટા – ખ્યાતિપ્રાપ્ત લેખકો બન્યા છે, તેમના મનમાં પણ અસમાનતાને પ્રેરતા જાતિવાદને દૂર કરવાની કોઈ ખેવના નથી હોતી!

સર્જકોએ લેખનકાર્યની સાથે શોષિત-પીડિત-વંચિત સમાજની વચ્ચે પણ જઈને તેમનાં દુઃખ દરદ જાણી તેમને યથાયોગ્ય મદદ કરવી જોઈએ, એવો અનુરોધ કરી ડૉ. વાઘેલાએ ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી દ્વારા ‘અન્નધમ્મ યોજના’ના સફળ અમલ દ્વારા આ દિશામાં જે ઠોસ કદમ ઉઠાવાયાં છે, તેની ભારોબાર પ્રશંસા કરી હતી. જ્યાં સુધી જ્ઞાતિવાદ રહેશે. ત્યાં સુધી આ દેશ ક્યારે ય મહાન બની શકશે નહીં, તેમ તેમણે કહ્યું હતું. ડૉ. વાઘેલાએ દલિતસર્જકો સાથે ઓ.બી.સી. સર્જકોના સાયુજ્યની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે જડ ધાર્મિક વિચારધારાની અસર હેઠળ માણસ સાચી રીતે – સાચી દિશામાં વિચારવાની ક્ષમતા પણ ગુમાવી દેતો હોય છે.

ભગવાન બુદ્ધની સમ્યક-વિચારધારાથી પ્રેરિત સમ્યક્‌ સાહિત્યની વિભાવના પર મનનીય વિચારો વ્યક્ત કરતા, આ સેમિનારમાં પોતાનું બીજવક્તવ્ય રજૂ કરતા વિખ્યાત મરાઠી દલિતવિવેચક આર.બી. કામ્બ્લેએ કહ્યું કે, સમ્યક્‌ સાહિત્ય એ છે કે જે પીડિતોની પીડા-વ્યથાને આલેખે છે. પદ્ધતિસર અને તે પણ કાયદાનો આશરો લઈને જર્મનીથી લઈ સીરિયા સુધી વિશ્વમાં માનવજાતની કેટલી મોટી કતલ થઈ છે અને હાલ પણ થઈ રહી છે. આ પીડા અને યાતના કલાકારો – સાહિત્યકારોના સર્જનમાં જો ન આવે, તો એવા સાહિત્યને સમ્યક્‌ સાહિત્ય કહી શકાય નહીં.

‘તમારા દુઃખનું કારણ હું છું, તમારા દુઃખ માટે હું જવાબદાર છું.’ – એવા ભાવ સાથે તથા આફ્રિકન નિગ્રો-હબસીઓને કાયદેસર ગુલામ બનાવીને સદીઓથી જે શોષણ થયું. તે સામે પીડાને અનુભવીને જે સાહિત્ય વૈશ્વિક સ્તરે રચાય છે. તે જ સમ્યક્‌ સાહિત્ય છે, કારણ અહીં, યાતના ખરેખર વેઠે છે તેની પીડા સાચો સર્જક આપોઆપ પોતે પણ અનુભવે છે. આ જ સાચું સાહિત્ય છે, એવાં મર્મભેદી બયાનો સાથે ડૉ. આર.બી. કામ્બલેએ એમ પણ કહ્યું કે, અન્યાય સામે જો તમે પ્રતિકાર કરો છો તો તે તમારી જીત છે. અને એવા અન્યાયમાંથી જો તમે બહાર આવો છો, તો જ તમારો સમાજ એ સમ્યક્‌ સમાજ છે, એમ કહેવાય.

નોર્મલાઇઝેશન ઑફ પેઇન – પીડાનું પણ સામાન્યીકરણ કરી દેવામાં આવ્યું છે. મતલબ કે માનવ સમાજનો અમુક વર્ગ એટલે એમણે તો અત્યાચારો – અપમાનો – યાતનાઓ વેઠવાનાં છે હોય, એવી સમાજમાં જે સર્વસામાન્ય અવધારણા બની ચૂકી છે તેના વેધક પ્રકાશ પાથરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, જે દરદ તમે વેઠો છો, એ ક્યાંથી આવ્યું તે પણ સમજવું જોઈએ.

સર્જક જ્યાં સુધી બીજાનું દરદ નહિ સમજે, ત્યાં સુધી એના સર્જનમાં અસર નહીં આવે, તેવો મત વ્યક્ત કરી ડૉ. કામ્બલેએ કહ્યું કે સમાજનો અમુક વર્ગ તો અત્યાચારો વેઠવા માટે જ છે. શોષિતો-પીડિતો-વંચિતોને એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે આ કામ તો તમારે જ કરવાનું છે અને આ કચડાયેલા સમાજના લોકોએ, કશા ય હિચકિચાટ વગર એ દુઃખને સ્વીકારી લીધુ છે. પૉતાનું કરી લીધું છે. આમ, પીડાને પોતીકી માની લીધી જે મહાયાતનામાં પરિણમી અને પેલા પીડા થોપનાર સમાજે એને ‘પેઇન ઇઝ નૉર્મલ કન્ડિશન ઑફ લાઇફ’ ગણી. એવું માનતો આ સમાજ, દલિત સર્જકો માટે એક બહુ મોટો પડકાર છે, ત્યારે સમાજના એક વર્ગની પીડાના નિમિત્ત અને કારણ બનેલાઓને ઓળખી કાઢી. તેમને ઉઘાડા કરવાનું કામ સમ્યક્‌ સાહિત્યકારોએ કરવાનું છે.

આ સંદર્ભમાં દેશના સફાઈ-કામદારોની યાતનાઓનો ઉલ્લેખ કરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, મળ-મૂત્ર-ગટર સાફ કરનારો આ દેશનો સફાઈ કામદાર માત્ર ૪૦ વર્ષનું આયુષ્ય જ ભોગવે છે અને દર સપ્તાહે બે સફાઈ કામદારો આ ગંદી કામગીરી કરતા મોતને ભેટે છે, જ્યારે કે તે આખી જિંદગી તેને પીડા આપનારાઓના મળ-મૂત્રને ઉઠાવે છે. એક જ્વલંત ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ગટર સાફ કરતા આવા સફાઈ- કામદારનું ચિત્ર લોકોની જાગૃતિ અર્થે મેં મારી કચેરીના બોર્ડ પર મૂક્યું, પરંતુ આજ પર્યંત કોઈ વિદ્યાર્થીએ એ તરફ જોવાની પણ તસ્દી લીધી નથી!

ઇચ્છાથી કે બળપૂર્વક કમાટીપુરા (મુંબઈ) સહિતના ભારતભરના વિસ્તારોમાં વેશ્યાવૃત્તિ કરતી કમનસીબ યુવતીઓનાં દોઝખભર્યા જીવન પર પ્રકાશ પાથરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, સજી-ધજીને શૃંગાર કરીને હારબંધ ઊભેલી આ યુવતીઓને જોઈને કોઈને પણ લાગે કે તેઓ ખૂબ રૂપિયા કમાતી હશે, પણ ના, એવું નથી. એ રૂપજીવિની જ્યાં વ્યવસાય કરે છે, તે ઘરનો માલિક, ત્યાંનો હોટલવાળો, વેઇટર, પાનબીડી વેચનારો ગલ્લાવાળો, ત્યાંના ડૉક્ટરો, ત્યાંના રિક્સાવાળાઓ અને ત્યાં સુધી કે ત્યાં આવેલાં મંદિરો સુધ્ધાં તગડી કમાણી કરી લે છે. વ્યવસાય આ રૂપજીવિઓનાં નામે ચાલે છે, પણ બહુ નજીવી રકમ તેના પરિવારના ભાગે આવે છે. ‘રૂપજીવિઓને તો માન હોય જ નહીં,’ એવો રૂઢ બનેલો ખ્યાલ એ પણ નૉર્મલાઇઝેશન ઑફ પેઇનનો જ હિસ્સો છે.

બંગાળથી આવેલાં કવયિત્રી મંદાકિની ભટ્ટાચાર્યે ‘એ કૉલ ટુ આર્મ્સ ઍન્ડ એમર : રીડિંગ વીમેન પોએટ્‌સ ઇન ધ ઇન્ટરનેશનલ કૉન્ટેક્સ’-આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં દલિત મહિલા કવયિત્રીઓ વિષય પરના પોતાના પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશનમાં અમેરિકન બ્લૅક લિટરેચર સહિત વિશ્વકક્ષાએ પીડિતો-વ્યથિતોની વેદનાઓને વાચા આપતી મહિલા કવયિત્રીઓ પરનું પોતાનું વિહંગાવલોકન રજૂ કરી, દુનિયાના કોઈ ખૂણે મહિલાઓનું શરીર પોતે જ એક અવિચારનું કારણ બન્યું છે અને વિશ્વમાં સર્વત્ર મહિલાઓની ગૂંગળામણ એકસમાન છે. તેમનાં દુઃખ અને વેદનાઓ વત્તેઓછે એકસમાન છે. મંદાકિની ભટ્ટાચાર્યને એ વાતની પીડા હતી કે, ભારતમાં-દલિત મહિલાઓ લેખન ક્ષેત્રે બહુ અગ્રિમ નથી અને હજુ ય આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ બની રહ્યો છે.

લલિત અને દલિતવિવેચન ક્ષેત્રે બહુ ખ્યાતિ ધરાવતા, કાવ્યશાસ્ત્રના જાણતલ એવા ડૉ. પથિક પરમારે, એ જ પરંપરાગત કલ્પનો-પુરાકલ્પનોમાં રચતા કવિ વિનોદ જોશીના કાવ્યસર્જનમાં રહેલી આંખ ઉઘાડનારી ત્રુટિઓ રજૂ કરીને સ્થળ-કાળ-સમય સમૂળગાં બદલાઈ ગયાં હોવા છતાં રમમાણ રહેતા કવિની કવિતાઓ આ સમકાલીન યુગમાં કેવી અપ્રસ્તુત કરે છે, તેને સોદાહરણ રજૂ કરીને, સભામાંના સૌની ભારે દાદ મેળવી હતી.

‘હું તો પ્રેમનાં જ ગીતો લખીશ’, એવું કહેનારા એ કવિનું જાત્યભિમાન ખરેખર તો કવિની સંવેદનશીલતા સામે પણ પ્રશ્નો ખડા કરે છે, તેમ નોંધીને આવો વૈભવ એક દલિત કવિને ન જ પરવડે, તેમ જણાવ્યું હતું.

ઘનશ્યામ શૈક્ષણિક સંકુલના સૂત્રધાર અને આ સેમિનારના યજમાન શ્રી જિતુભાઈ માહ્યાવંશીએ, સરકારની કોઈ સહાય વિના વણપથ સંઘર્ષ બાદ અસ્તિત્વમાં આવેલા આ સંકુલનો ઇતિહાસ રજૂ કરી, સૌ સર્જકો, ભાવકોને સંસ્થાના આંગણે આવકાર્યા હતા.

ગુજરાતી દલિતસાહિત્ય અકાદમીના અધ્યક્ષ પ્રવીણ ગઢવીએ ૧૯૯૭માં આવિષ્કાર પામેલી ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી અને સામયિક ‘હયાતી’ના બહુમૂલ્ય પ્રદાન માટે તેના સંસ્થાપક હરીશ મંગલમ્‌ની ભૂમિકાને બિરદાવીને, આ અકાદમી દ્વારા દલિતસાહિત્યની સેવામાં ૧૧૫ જેટલાં પુસ્તકો આટલા ટૂંકાગાળામાં પ્રકાશિત થયાં છે, તે ભારતભરની આવી (દલિત વર્ગની) અકાદમીઓમાં એક અને અજોડ ઘટના છે, તેમ જણાવ્યું હતું.

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી સંચાલિત ‘સમ્યક્‌ સાહિત્ય અધ્યાપકસંઘ’ના અધ્યક્ષ અને મુંબઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. રતિલાલ રોહિતે ભેદભાવની દૃષ્ટિ ત્યજીને સૌના શ્રેયની ભાવના જે રાખે છે, તે સમ્યક્‌ સાહિત્ય છે, એમ જણાવી સેમિનારની ભૂમિકા રજૂ કરી હતી, મનુષ્યને મનુષ્ય તરીકે જોવાય અને દ્વેષ, પીડા, ઉત્પીડન, અવમાનના નાબૂદ થાય અને બુદ્ધે પ્રેરેલી સમ્યક્‌ ભાવનાનો પ્રાદુર્ભાવ થાય તે જ સમ્યક્‌ સાહિત્યનો આદર્શ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રિ. અભય પરમારની હિન્દી ભાષામાં પ્રથમ દલિતઆત્મકથા (ગુજરાતમાં) ‘डेथ कान्ट स्टोप’ વિશે ડૉ. સુશીલા વ્યાસે અભ્યાસપૂર્ણ વક્તવ્ય રજૂ કર્યું હતું. તદુઉપરાંત, પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓએ પોતાનાં શોધપત્રો રજૂ કર્યાં હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના મહામંત્રી હરીશ મંગલમે સૌ મહેમાનોને આવકાર્યા હતા અને ‘અન્નધમ્મ – યોજના’નાં પ્રેરકબળ સમા – સદાયના સાથી એવા ડૉ. પી.ડી. વાઘેલાના યોગદાનની યશોચિત નોંધ લીધી હતી. મુખ્ય સંયોજક ડૉ. વિનોદ ગાંધીએ સેમિનારના ઉદ્ધઘાટનનું સુંદર સંકલન કર્યું હતું. સમગ્ર સેમિનારનું સુંદર સંચાલન ડૉ. આશા ગોહિલે કર્યું હતું.

આ સ્થળે મુંબઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શ્રી સુનિલ અભિમાન અવચારનાં દલિત ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.

આ સેમિનારમાં અરવિંદ વેગડા, મધુકાન્ત કલ્પિત, ડૉ. રાજેશ મકવાણાં, ડૉ. ધીરજ વણકર, ડૉ. મોહન ચાવડા, ડૉ. અમિત પટેલ, ડૉ. હર્ષદ પરમાર, ડૉ. અમૃત પરમાર, ડૉ. જિતેન્દ્રકુમાર ચૌધરી, ડૉ. ઇન્તાજ મલેક, હિતેશ ચૌહાણ, ડૉ. દિનુ ભદ્રેસરિયા, નટુભાઈ પરમાર, ડૉ. કાંતિ માલસતર, ભરત દેવમણી, ડૉ. મનુભાઈ મકવાણા, ડૉ. દિલીપ મેહરા, ડૉ. ગિરીશ રોહિત, શિવપ્રસાદ શુક્લ, પ્રો. શંકરભાઈ પ્રજાપતિ, ડૉ. રાજેન્દ્ર રોહિત, પ્રો. રાજશ્રી જોશી વગેરે નામી-અનામી સાહિત્યકારો, ભાવકો, પ્રાધ્યાપકો તેમ જ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ અને સંતરામપુર આદિવાસી આટ્‌ર્સ કૉલેજના વિદ્યાર્થીઓની હાજરી પ્રેરકરૂપ બની રહી. અંતે, વેલિડિક્ટરી સેશનમાં પ્રિ. અભય પરમાર, ડૉ. હર્ષદ પરમાર, ડૉ. વિનોદ ગાંધી અને હરીશ મંગલમ્‌ના સચોટ અભિપ્રાયો સહસંસ્થાના પુનઃ આભાર સાથે સેમિનાર સંપન્ન થયો.

સૌજન્ય  : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 13 – 15

Loading

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|8 March 2019

ઘણી બધી સ્ત્રીઓને લાગુ પડી શકે એવાં આ ગીતમાં લગ્નના આનંદના માહૌલમાં પીડાની બારીક ટશરો ફૂટે છે, જે ભાવકના હ્રદયને ભીંજવી જાય છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ, નારી સંવેદનાનું એક નાજુક-નમણું ગીત યાદ આવે છે. નવયૌવનાના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આંગણે ઢોલ-નગારાં બજી રહ્યાં છે. મહેંદી, પીઠી, ગ્રહશાંતિ જેવા પ્રસંગો ઉકેલવામાં પરિવારજનો વ્યસ્ત છે. કન્યાને શણગારવા સરખી સાહેલીઓ ભેગી થઈ છે. પણ જેના લગ્ન થવાનાં છે એનું મન તો બીજે જ ક્યાંક સ્વપ્નવિહાર કરી રહ્યું છે. લગ્ન એ સ્ત્રીના જીવનનો એકમાત્ર એવો પ્રસંગ છે જેમાં કેટકેટલાં સપનાં, અઢળક આશાઓ, અજબ-ગજબનાં અરમાન, ઉમંગ, ઉલ્લાસ અને અપાર થનગનાટ સમાયેલાં છે! મેંદીથી મધુરજની સુધીનું પરફેક્ટ પ્લાનિંગ!

પરંતુ, જે કન્યાના નામનો માંડવડો રોપાયો છે એના મનની વાત કોઈ જાણે છે? “એમાં વળી એને શું પૂછવાનું? વર તો સો ટચના સોના જેવો છે.” કો’ક ‘શુભચિંતક’ વદે‌ છે.‌ અહીં જ આપણે થાપ ખાઈએ છીએ. સ્ત્રીની મનોભાવના વ્યક્ત થતાં સદીઓ વીતી ગઈ છે. આવતીકાલે નારીદિનના નારા લગાવાશે, મહિલાઓને ‘મૂર્તિ’ બનાવીને પૂજવામાં આવશે. પરંતુ, મહાનગરોના એક નાના વર્ગને બાદ કરતાં ‘સ્ત્રી સ્વાતંત્ર્ય’ એ કાગનો વાઘ છે. આમ જુઓ તો એ એક અદ્દભુત ‘કલ્પના’ છે. આજના આધુનિક યુગમાં ય સ્ત્રી મા-બાપને મનની વાત કહેતાં અચકાય છે.‌આજના આ ગીતમાં એવી જ એક કોડીલી કન્યાની વિટંબણા વ્યક્ત થઈ છે.‌ હ્રદયના છાને ખૂણે તો મનનો માણીગર કો’ક બીજો જ છે, અને મા-બાપે લગ્ન ક્યાંક બીજે ગોઠવી દીધાં છે. મનની વ્યથા કોને કહેવી એવી મૂંઝવણ અનુભવતી કન્યા છેવટે દૂંદાળા દેવ સામે બેસીને એમને જ પૂછે છે કે, હે દેવ, તમે જ કહો, મીંઢળ બાંધું કે નહીં! મા-બાપ માનવાનાં નથી, સમાજ સાંભળવાનો નથી. ઈજ્જત અને મુહબ્બત વચ્ચેની ખેંચતાણમાં ઈજ્જત, આબરૂ અને સમાજનો જ વિજય થતો હોય છે.‌ કન્યાનું ભાવિ તો નક્કી થઇ જ ગયું છે છતાં ભગવાનને પૂછીને એ એક ચાન્સ લઇ લેવા માંગે છે. ઈશ્વરની સાક્ષીએ કબૂલાત કરી લેવા ઈચ્છે છે.

પરણવાની તૈયારી કરતી મુગ્ધ કન્યાની મનોદશા વર્ણવતું આ ખૂબ સુંદર ગીત છે. ભીંતે ચીતરેલા વિઘ્નહર્તા ગણપતિને કન્યા પૂછે છે કે તમારી પરવાનગી હોય તો જ આ મીંઢળ હું બાંધું.‌ આ કલ્પના જ કેટલી રોચક છે. લગ્ન એની મરજીથી નથી થઇ રહ્યાં. ‌મીંઢળ જાણે કે એને બેડી લાગે છે. કંચવા(કંચૂકી-બ્લાઉઝ)ને પારકી ગાંઠથી બાંધવાનો વિચાર તેને વિહ્વળ બનાવે છે. ચોરીના ચાર ફેરા ફરું તો મનથી ભવભવના ફેરા જેની સાથે ફર્યા હતા તેનું શું થશે ? એ વિચાર મૂંઝવી રહ્યો છે. જીવન લગ્નસંબંધ તરફ આગળ વધી રહ્યું છે છતાં ભૂતકાળ પીછો છોડતો નથી. ગમતી વ્યક્તિનો પડછાયો જ સામે આવી ઊભો રહે છે. પરોક્ષ રીતે એ કન્યા મા-બાપને એમ પણ કહે છે કે, તમે કહો છો તો હું કાંડે મીંઢળ તો બાંધું પણ, મારાં હૈયાને તમે કેમ કરીને બાંધશો? પારકા પુરુષના નામનું પાનેતર ઓઢીને બેસી તો જઇશ સૌના કહેવાથી, પણ મારું મનડું તો બીજે જ રમતું હશે.‌”

અતીત પાસે અવસર બનતાં રહી ગયેલી કેટલીયે ક્ષણો ધરબાયેલી હોય છે. આ ક્ષણો પાસે બોલકી ભાષા નથી હોતી. એને સાંભળવા કાન અને ધ્યાન બંને સરવા કરવા પડે. સામાજિક કારણોસર છૂટા પડવાનું આવે એવા સંબંધમાં પીડા બન્ને પક્ષે હોય છે.

કન્યાએ રેશમી સપનાં જોયાં છે, તેની લીલીછમ યાદો હજુ પાંપણમાં પોઢેલી અક્બંધ છે, હવે તેનું શું થશે? પ્રિયતમની યાદ સાતમે પાતાળ સુધી વિસ્તરેલી છે અને સપનામાં હેળવેલાં હોઠનો રાતો રંગ પણ હજુ ગયો નથી !

કવિએ સૂક્ષ્મ રીતે આ મનોવ્યથા ગીતમાં વ્યક્ત કરી છે. અમદાવાદ પાસેના અડાલજ ગામની શાળામાં આચાર્ય રહી ચૂકેલા ગીતના કવિ-નાટ્યકાર શુકદેવ પંડ્યાને આ ગીત કઈ રીતે સ્ફૂર્યુ એ કથા રસપ્રદ છે.‌

“વાત મારા બાળપણની છે. અમદાવાદ જિલ્લામાં કૌકા નામે અમારુ ગામ. એમાં રજપૂત-ગરાસિયાની વસ્તી ઘણી મોટી. એ લોકો ગામની દીકરિયું દૂર દેશાવરમાં વળાવે. એમનો એક રિવાજ એવો કે જાનમાં વર ના આવે, પહેલા ખાંડુ (તલવાર) આવે. કન્યા પહેલા બે ફેરા ખાંડા સાથે ફરે અને બીજા બે ફેરા સાસરે જઈ ફરે.‌ હવે વહેલી સવારે દીકરીને વળાવે ત્યારે ઘરની સ્ત્રીઓ જે આક્રંદ કરે એ મારા કૂમળા મનમાં ઘુસી ગયું, વિદાયરૂદન હૈયામાં ઘર કરી ગયું. બીજું, ગામના ગોર લગ્નવાળા ઘરે જઈને ભીંત ઉપર ગણપતિ ચિતરે.‌ એ હું જોયાં કરું. આ બંને બાબતો ભેગી થઈ અને ગીતનું બીજ રોપાયું. ૧૯૮૬માં મેં આ ગીતની પ્રથમ પંક્તિ લખી : ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ, તમે બોલો આ મીંઢળ હું બાંધું? અલબત્ત, એ વખતે ફક્ત બે અંતરા જ લખ્યા હતા. પરંતુ, નયનેશે જે લાજવાબ સ્વરાંકન કર્યું ત્યારે મને થયું કે ગીતમાં કંઈક ખૂટે છે. તેથી પીઠી અને ચૉરીના બે અંતરા પછીથી ઉમેર્યા.‌ આ ગીતની ખૂબી એ છે કે દરેક અંતરાનું પોતાનું અલગ મીટર છે અને નૈનેશે ત્રણેય અંતરા એવી સરસ રીતે સ્વરબદ્ધ કર્યાં છે કે ગીત પરફેક્ટ બની ગયું. લગ્નનો માહોલ આબેહૂબ તાદ્રશ્ય થાય એવા સંગીત સંયોજન દ્વારા નયનેશે ગીતને જીવંત અને લોકપ્રિય બનાવ્યું તથા નિશાએ અત્યંત ભાવવાહી રીતે રજૂ કરીને એને ઓર નિખાર્યુ.‌ છેલ્લા અંતરાની રેન્જ તો એટલી ઊંચી છે કે દરેક ગાયિકા એ ગાઈ શકે નહીં.‌”

કવિની વાતને યથાર્થ ઠેરવે એ રીતે નિશા કાપડિયાએ આ ગીતને બખૂબી નિભાવ્યું છે. નિશાની ગાયકીથી સુગમ સંગીતપ્રેમીઓ પરિચિત છે જ. ફિલ્મ સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત તાજેતરમાં મરાઠી ફિલ્મ ‘સવિતા દામોદર પરાંજપે’માં મરાઠી ગીત ગાઈને એમણે પોતાના ગાયનની ક્ષિતિજો વિસ્તારી છે.‌ એ મરાઠી ગીત મિર્ચી મ્યુઝિક એવોર્ડ માટે નોમિનેટ પણ થયું છે એ ગૌરવ લેવા જેવી વાત છે. સંગીત ક્ષેત્રે સોલી-નિશાની જોડી કેટલાંક અન્ય સંગીત યુગલોની જેમ ઉચ્ચ સ્થાને બિરાજમાન છે.‌

આ ગીતમાં નિશાએ નારીની આંતરવ્યથાને આબેહૂબ વાચા આપી છે. મહદ્અંશે રાગ કિરવાણીમાં રચાયેલા આ ગીતના સ્વરકાર નયનેશ જાની ગીતના સ્વરાંકન વિશે કહે છે, “૧૯૯૬માં અમદાવાદમાં સુગમ સંગીતના કાર્યક્રમ ‘એની સુગંધનો દરિયો’નું આયોજન થયું હતું, જેમાં ફક્ત મારાં નવાં સ્વરાંકનો રજૂ થવાનાં હતાં. આ ગીત કમ્પોઝ કરી મેં નિશાને મોકલ્યું. શબ્દો અને સ્વરાંકન બન્ને એમને સ્પર્શી ગયાં. પહેલીવાર એ ગીત સ્ટેજ પરથી રજૂ થયું અને વન્સમોર મેળવી ગયું. ગીતના શબ્દો કમાલના છે. એક બાજુ મા-બાપનાં સંસ્કાર છે, બીજી બાજુ દીકરીના મનમાં જુદો જ માળો રચાઈ ગયો છે. આ દુવિધા સુપેરે વ્યક્ત થઈ છે. કવિએ પીઠી અને ચૉરીના બે અંતરા પછીથી ઉમેર્યા એ મારે માટે ચેલેન્જ હતી. એ બે અંતરા પછીથી સ્વરબદ્ધ કર્યાં‌ અને થાગડથીગડ ન લાગે એ રીતે ગીતમાં સમાવી દીધા. કારુણ્યની પરાકાષ્ઠા દર્શાવવા છેલ્લા અંતરાની બે પંક્તિઓ મેં રાગ શિવરંજનીમાં કમ્પોઝ કરી છે. કિરવાણી અને શિવરંજની બન્ને કાફી થાટના હોવાની એકબીજા સાથે આસાનીથી ભળી શક્યા છે. પરંતુ માનું છું કે વધુ પડતી રાગદારી દ્વારા શબ્દ પર સંગીતનું ભારણ ન લાગવું જોઈએ. આ ગીત રાગ આધારિત હોવા છતાં એમાં રાગ હાવી નથી થતો. ગાવામાં અને સાંભળવામાં સુગમ હોય એ જ સુગમ સંગીત છે મારી દ્રષ્ટિએ.”

શબ્દો અને સંગીતની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ એવું આ ગીત આમ તો સંગીતપ્રેમીઓથી અજાણ્યું નથી જ, છતાં ન સાંભળ્યું હોય તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ. નારી સંવેદનાને સ્પર્શતું આ ગીત તમને જરૂર ગમશે.

******

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ
તમે બોલો આ મીંઢળ હું બાંધું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

લચી પડે છે હજુ લીલીછમ યાદો
ને પાંપણમાં પોઢી છે રાતો
હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો
જો ને અલી છે ને રંગ રાતો
અંતરમાં ઉમટેલા વ્હાલના વંટોળને
હું નાડાછડીથી કાં બાંધુ?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

પીઠી તું ચોળ પછી, પહેલા તું બોલ
આ રાતા તે રંગમાં શું ભરવું
સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા
સપનાનું મારે શું કરવું?

પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ
મનની ચોપાટ કેમ માંડું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

ચોરીના ચાર ફેરા ફરું તો કેમ?
પડે ભવભવના ફેરા નક્કામા
આગળના રસ્તાને ભાળે શું આંખ
મળે વીત્યાના પડછાયા સામા
કાડું તો બાંધું દેવ તમારા કહેવાથી
હૈયાને કેમ કરી બાંધું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

સ્વર : • નિશા ઉપાધ્યાય-કાપડિયા • કવિ : શુકદેવ પંડ્યા • સંગીતકાર : નયનેશ જાની

http://tahuko.com/?p=1524

07 માર્ચ 2019

https://nandini103.wordpress.com/2019/03/07/ભીંતે-ચિતરેલ-રૂડા-ગરવા-ગણ/?fbclid=IwAR3TDT1jpcy4z6NkdcW4sequdkuhBnt4cVootw_8t5GtgWhBx81jktVMjfg

Loading

લૉર્ડ મેઘનાદ દેસાઈ અને ભારતીય લોકશાહી વિષયક ચિંતન

ડંકેશ ઓઝા|Opinion - Opinion|7 March 2019

લૉર્ડ મેઘનાદ દેસાઈ ગુજરાતના બૌદ્ધિકોમાં અજાણ્યા નથી. મેઘનાદ માર્ક્સવાદના અભ્યાસી છે. તે અંગેના તેમનાં ઘણાં પુસ્તકો પણ છે. દિલીપકુમાર વિશે પણ તેમનું પુસ્તક છે, તો વળી ભગવદ્‌ગીતા કોણે લખી એવું પવિત્ર પુસ્તકનું બિનસાંપ્રદાયિક તપાસ કરતું પણ તેમનું પુસ્તક છે. પાકીઝા વિશે પણ તેમણે લખ્યું છે. તદ્‌ઉપરાંત ઘણાં પુસ્તકો તેમણે સંપાદિત પણ કર્યાં છે. આપણા અંગ્રેજી દૈનિક ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અને અન્ય આર્થિક પત્રોમાં તેઓ આર્થિક વિષય પર કૉલમ લખે છે.

ઑગસ્ટ ૧૯૬૧માં એકવીસ વર્ષની ઉંમરે તેઆ ભારત છોડીને વિદેશ ભણવા ગયા. તે પછી લંડનમાં સ્થાયી થયા છે. માતૃભૂમિ વિશેનો તેમનો રસ અકબંધ રહ્યો છે. થોડા દૂર હોવાને કારણે પોતે દેશના પ્રવાહો પર તટસ્થ નજરથી જોઈ શકે છે, તેવો તેમનો દાવો છે. જો કે ટી.વી. કાર્યક્રમોમાં જ્યારે ભારત વિશે તેઓ ક્યારકે ઘસાતી ટીકા કરે છે, ત્યારે તેમને પણ ‘વિદેશી’ હોવાની ગાળ ખાવી પડે છે! છેક ૧૯૬૭થી તેઓ ભારત વિશે લખતા રહ્યા છે. તેમનું ભારત વિશેનું પુસ્તક છે : ્The Rediscovery of India‌ (૨૦૦૯). તેમાં ૧૪૯૮માં પોર્ટુગીઝોનું ભારતમાં આગમન થયું, ત્યારથી ભારતના પશ્ચિમ સાથે પડેલા પનારાની વાત છે.

The Raisina Model (૨૦૧૭) એમનું નવું પુસ્તક છે, જે સિત્તેર વર્ષની ભારતીય લોકશાહીની સમીક્ષા કરે છે. પુસ્તક માત્ર ૧૯૪ પાનાંનું છે, નાનાં નાનાં સાત પ્રકરણોમાં વિભાજિત છે. ભારતીય લોકશાહી કેવા સંઘર્ષોમાં ટકી ગઈ, કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેનો સમગ્ર આલેખ બહુ ટૂંકમાં છતાં બહુ સ્પષ્ટપણે વાચકને પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશમાં લેખક સફળ રહ્યા છે. ૨૦૦૨ની જે દર્દનાક ઘટના ગુજરાતને, સહેવાની આવી, ત્યારે અંગ્રેજી સામયિક ‘સેમિનાર’માં તેમણે ‘ભસ્મિતા’ શબ્દ વાપરલો જે ગુજરાતની અસ્મિતાના વિરોધી કાકુને સ્પષ્ટ કરતો હતો. આમ છતાં મેઘનાદની એકંદર છાપ (ભલે તે સાચી કે ખોટી હોય) ભા.જ.પ.તરફીની રહી છે, જેનો પૂરતો ગેરલાભ તેમને ગુજરાતમાં મળે છે. પુસ્તકમાં પણ તેઓ વિમુદ્રીકરણના તરફદાર રહ્યા છે.

સૌથી મોટી વાત તો એ છે કે ૧૯૪૭માં આઝાદી વખતે દેશના જે ભાગલા થયા, બે દેશોમાં તેનું વિભાજન થયું. પછી પાકિસ્તાનના બે ભાગલા થયા છે. પણ ભારત ઘણાં બધાં વાવાઝોડાં છતાં એક રહી શક્યું છે. આજે ભારતને મહેચ્છા જાગી છે કે તે પણ વિશ્વની એક મહાસત્તા બને. આ વાતનો ઉલ્લેખ કરતાં મેઘનાદ દેસાઈ પુસ્તકમાં લખે છે કે આ માટે ભારતે પાડોશી દેશ ચીન સાથે યુદ્ધમાં ઊતરવું પડશે. પછી ભારત જો વિજયનેે વરે, તો સ્વપ્ન સાકાર થવાની શક્યતા, વાસ્તવિકતા બનેે! લેખક આખાબોલા છે. ગુજરાત વિવેકબૃહસ્પતિના નામે સુષ્ઠુ સુષ્ઠુ લેખન અને વક્તવ્ય કર્યા કરે છે, ત્યારે પશ્ચિમમાં જઈને અભ્યાસ કરનારા પ્રમાણમાં સ્પષ્ટવક્તા હોય છે. પાકિસ્તાન સાથે લડવાથી એક સરસાઈ સાંપડે પણ મહાસત્તાની મહેચ્છા હોય, તો તો ચીન સાથે જ જુદ્ધે ચઢવું પડે!

આવી તો ઘણી વાતો પુસ્તકમાં છે. એ રીતે આપણી લોકશાહીની તેમણે નિષ્પક્ષ તપાસ આદરી છે, તેથી આ પુસ્તક મહત્ત્વનું છે. આપણી મોટી સમસ્યા લઘુમતીની, દલિત-આદિવાસીની અને સ્ત્રી-સમાનતાની છે. આ આપણા સાચુકલા પ્રશ્નો છે. એનો ઉકેલ આપણે કેવોક કરી શકીએ છીએ, તેના પર ભાવિ અવલંબે છે. આર્થિક વિકાસ સિવાયનો આ માનવવિકાસ છે. જ્ઞાતિવાદ અને કોમવાદ, બાકીમાં રહ્યો તે મૂડીવાદ ભારતીય સમાજને આડા અને ઊભા વહેરે છે, ત્યારે એકજૂટ કેવી રીતે રહેવું, એ નહીં ઉકલાયેલો કોયડો છે. એકબીજા પર દોષારોપણ થયા કરે છે. પણ ખાસ અંતર કપાતું નથી. અનામતનો સવાલ તો આ મોટા પ્રશ્નમાં નાની રીતે સમાયેલો છે. લેખક ૨૦૧૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જે ઉદ્‌ગારો કરેલા તેનો ઊલ્લેખ કરે છે. સમય હતો કિનારે ઉભેલી બિહારની ચૂંટણીનો. ભા.જ.પ.ને તે વખતે ફેરવી તોળવું પડેલું. પણ વાત એ હતી કે જ્ઞાતિઓની ઉચ્ચાવચતા સમાપ્ત થાય, તો જ ભારતનો ઉદ્ધાર થાય, સંઘની છાપ જે કંઈ છે, તેને કારણે વિરોધપક્ષોએ અને બૌદ્ધિકોએ માનેલું કે સંઘ અનામત દૂર કરવાની વાત કરે છે એવું જ લઘુમતી સંદર્ભે પણ છે. આપણે મોટાભાઈપણું ચાલુ રાખીએ, તેથી તો સમસ્યા વકરવાનો સંભવ રહે છે, સમસ્યાનો ઉકેલ નથી આવતો. ગાંધીને આપણે રાષ્ટ્રપિતા કહ્યા, પરંતુ ગાંધીની વાત આપણને જચતી નથી. તેઓ ભારતમાં મુસ્લિમ લઘુમતીના પક્ષે હતા, તો પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીના પક્ષે હતા. આપણા જે ભારતીયો બહોળી સંખ્યામાં ગૌરવપૂર્વક અભ્યાસ અને રોજગાર અર્થે મુસ્લિમ દેશો સહિત વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થતા રહે છે, ત્યારે સ્વાભાવિકપણે જ આપણી લાગણી તો લઘુમતીના પક્ષે જ હોય છે! ઉકેલની વાત તો જવા દો, આપણે લઘુમતીની સમસ્યાને પૂરી રીતે સમજતા નથી અને સમજવાની તૈયારી પણ નથી.

આર્થિક વિકાસ, માનવવિકાસ, ભ્રષ્ટાચાર, કાશ્મીર, નાગાલૅન્ડ, નક્સલબારી આવા બધા જ પ્રશ્નોને લેખક આવરી લે છે. પ્રત્યેકને તપાસે છે. આધારભૂત વિગતો અને આંકડા સાથે તપાસે છે. બધી સમસ્યાઓના ઉકેલ અભ્યાસીઓ પાસે પણ હોતા નથી, એટલે તેઓ વાસ્તવિક પ્રશ્નો પેદા કરે છે. વાચકને યોગ્ય વિચારોનું ભાથું પૂરું પાડે છે. એમની ચિંતા તો એ છે કે આપણી પાસે વિવિધ પ્રકારના ઇતિહાસો હોવા જોઈએ. તે દિશામાં તો ભાગ્યે જ કશું થાય છે. આપણને ગાંધીએ અહિંસક રીતે આઝાદી અપાવી કે અન્ય હિંસક જૂથોનું પણ તેમાં યોગદાન હતું એ બાબતે આપણે કંઈ નહિ તો ઉદારમતવાદી પણ બની શકતા નથી. પછી પૂરું નહિ વાંચનારા ખોટા વિવાદો ઊભા કરે છે.

લેખક પુસ્તકના અંત ભાગમાં આ મુદ્દે કહે છે કે કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવન તરફથી આર.સી. મજુમદારના ઇતિહાસના અને સંસ્કૃતિના જે ૧૧ ગ્રંથો પ્રકાશિત કરાવેલા એ કક્ષાનું મહત્ત્વાકાંક્ષી આયોજન તે પછી કોઈએ કર્યું હોય એવું જાણ્યું નથી. આજની સમસ્યા તો આ છે. આપણી પાસે તટસ્થ અભ્યાસો નથી, તટસ્થ અભ્યાસીઓ નથી. હમણાં ગુજરાત યુનિવર્સિટીએ જેમને ડૉક્ટરેટ પ્રદાન કરવાના નિર્ણય લીધા અથવા તો રાષ્ટ્રભક્ત નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ‘ભારતરત્ન’ માટે જેમની પસંદગી કરી, આ બધી બાબતોના મૂળમાં સવાલ તો ઇતિહાસદૃષ્ટિ અને ઇતિહાસના અભાવનો પડેલો છે.

આ નાનકડું પુસ્તક આપણી તટસ્થ દૃષ્ટિને સંકોરે છે, યોગ્ય દિશામાં વિચારવા મજબૂર કરે છે, આપણી સમસ્યાઓના ઉકેલ આપણે જ કરવાના છે, એ વાત ઘૂંટી આપે છે. ખોટી એકતા ઉપરથી થોપવાની નથી પરંતુ વૈવિધ્યને સમજીને એકતા ઊભી કરવાની છે. આપણને તો હજી આવી વિવિધતાનું ગૌરવ સુધ્ધાં પેદા થયું નથી, જે બતાવે છે કે દિલ્હી કેટલું દૂર છે!

ભારત એટલે શું ? એ અંગેના વિવિધ ખ્યાલો વિશેનું પ્રકરણ અત્યંત રસપ્રદ છે. ઘણા બધા પ્રશ્નો ઉત્તર ભારત અને  મધ્ય ભારતના છે. નીચે દક્ષિણનાં રાજ્યોને કે ઉત્તરપૂર્વનાં રાજ્યોને એ સમસ્યા સાથે સહેજે લાગતુંવળગતું હોતું નથી. આવા એક પ્રશ્નનું  ઉદાહરણ રામમંદિર છે, એવું લેખકે કહ્યું છે. આપણી ગરજે આવાં પુસ્તકોને આપણી દૃષ્ટિની સફાઈ માટે આપણે ખપમાં લેવાં ઘટે.

E-mail : dankesh.oza@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ માર્ચ 2019; પૃ. 03 અને 04

Loading

...102030...2,8572,8582,8592,860...2,8702,8802,890...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved