Opinion Magazine
Number of visits: 9843123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જેટલાં ઘર એટલાં મંદિર !’

રમેશ સવાણી|Opinion - Opinion|3 July 2025

કહેવાય છે કે ગુજરાતમાં વિરોધ પક્ષોનું કાંઈ ચાલતું નથી. હમણાં ‘આપ’ના કેજરીવાલે ગુજરાતની પ્રજાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરી. ના, તમે 1,000 યુનિટ વીજળી આપશો તો પણ ગુજરાતીઓ તમને વોટ નહીં આપે. તમે ગુજરાતીઓને સમજ્યા જ નથી. જો તમારે ગુજરાત માટે જ ઢંઢેરો બનાવવાનો હોય તો આ રહ્યાં મારાં સૂચનો :

[1] દર મહિને પાવાગઢની એક વાર જાતરા કરનારના કુટુંબને પાંચ કિલો ચોખા આપવામાં આવશે.

[2] દર મહિને એક વાર અંબામાતાનાં દર્શન કરનારને એક કિલો તુવરની દાળ આપવામાં આવશે.

[3] દર પૂનમે પગે ચાલીને ડાકોર જતા હિન્દુઓને દર છ મહિને એક જોડી જૂતાં આપવામાં આવશે.

[4] ઘેર સત્યનારાયણની કથા બેસાડનારને ‘મુખ્યમંત્રી પ્રસાદ’ એક કિલો પેંડા આપવામાં આવશે.

[5] સંતોષીમાની કથા કરનાર તમામ મહિલાઓને પાંચસો ગ્રામ ચણા અને સો ગ્રામ ગોળ સંસ્કૃતિ રક્ષક ખાતા તરફથી આપવામાં આવશે.

[6] જો અમે સત્તા પર આવીશું તો હિન્દુ યાત્રા વિકાસ ખાતું ઊભું કરીશું.

[7] દરેક ગામમાં ઓછામાં ઓછો એક પીપળો રોપવામાં આવશે અને એનું નામ ‘રાત્રિપ્રાણપોષક’ રાખવામાં આવશે. એક સરકારી સેમિનારમાં, એક સરકારી યુનિવર્સિટીના સરકારી વિભાગના સરકારી હેડને મેં એવું કહેતાં સાંભળેલાં (અનુસ્વાર identity દર્શક છે) કે પીપળો રાતે સૌથી વધારે પ્રાણવાયુ બહાર પાડે છે. 

[8] દરેક ગાયને શિયાળામાં એક એક ધાબળો આપવામાં આવશે. માતાજીને ઠંડી ન લાગે એ માટે અમે સંવેદનશીલ બનીશું.

[9] રાજ્યની તમામ ભેંસો સમક્ષ રોજ ભાગવતનું પઠન કરી આપણી ભેંસ આગળ ભાગવત કહેવતનું આપણે પાલન કરીશું.

[10] તમામ સરકારી કર્મચારીઓને દર મહિને એક CL-casual leave ઉપરાંત ખાસ યાત્રા રજાઓ આપવામાં આવશે. રજાઓની સંખ્યા છ રાખવામાં આવશે જેથી કર્મચારીઓ સોમવારે નોકરી પર આવવા રવિવારથી માનસિક રીતે તૈયાર થઈ શકે.

[11] જે લોકો ભણેલા છે એમણે જો સ્વેચ્છાએ ‘ભક્તજન’ બનવું હશે તો એમની સર્જરી સરકાર મફતમાં કરાવી આપશે. શરત માત્ર એટલી કે ત્યાર બાદ એ ભક્તજને અમારી પૂજા કરવાની રહેશે.

[12] “વધુ બાળ, જય ગોપાળ.” અમારું સૂત્ર રહેશે. જે હિન્દુ કુટુંબમાં ત્રણ કરતાં વધારે બાળકો જનમશે એમના ઘર પર ‘હિંદુરક્ષક’ લખવામાં આવશે.

[13] જો કોઈ જ્ઞાતિ બાળકોને અને એમાં પણ ખાસ કરીને બાળકીઓને ભણાવવા પર પ્રતિબંધ મૂકશે તો અમે એવી જ્ઞાતિને સરકારી રક્ષણ આપીશું અને એમના ગામની શાળા વાજતેગાજતે બંધ કરીશું.

[14] રોજ સવારે પ્રાર્થના વખતે શાળાનાં બાળકોને મુખ્ય પ્રધાન એમના દિલની વાત કરશે અને ગઈ રાતે એમણે શું ખાધેલું એની વિગતવાર ચર્ચા કરશે.

[15] ‘જેટલાં ઘર એટલાં મંદિર’. જો અમે સત્તા પર આવીશું તો દરેક ઘરના આંગણામાં એક એક મંદિર બનાવવાની પરવાનગી આપીશું અને એમાંથી થતી આવક જે તે કુટુંબની ગણાશે.

[16] જે શિક્ષકો, ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો, પ્રામાણિક બનીને ભણાવશે એમને રોજ સવારે સો દંડબેઠક કરવાનું ફરજિયાત કરીશું. એનાથી એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. ‘તંદુરસ્ત શિક્ષક એ જ સમાજનું ઘરેણું છે.’

[17] હાઈ સ્કૂલના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરો પર અમે વાંચવા પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દઈશું. એને બદલે અમે એમને હિન્દુ ધર્મની સેવા કરવાનું કામ સોંપીશું.

[18] દરેક ગામમાં એક મુખ્ય મંદિર હશે. એના એક પૂજારી હશે. એ પૂજારી જે તે ગામની શાળાના વિદ્યાર્થીઓને પૂજાપાઠ શીખવશે જેથી ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ મોટા થઈને દેવોને સહેલાઈથી રીઝવી શકે.

[19] કાંગ્રેસે કૃત્રિમ વિર્યદાન જેવી વ્યવસ્થા કરીને આપણા દેશની ભેંસોને અને ગાયોને westernize કરી નાખી છે. આ કદી ચલવી નહીં લેવાય. જો અમે સત્તા પર આવીશું તો દરેક ગામને એક પાડો અને એક આખલો આપીશું. એ બન્નેના નિભાવ માટે અમે કુદરતી વીર્યદાન અધિકારીની નિમણૂંક કરીશું. અને એ રીતે બેકારી દૂર કરીશું.

[20] પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કાળું નાણું દેશમાં લાવી દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા આપવાની વાત કરેલી. હવે કાળું નાણું વધી ગયું છે. અમને વિશ્વાસ છે કે વડા પ્રધાન એ બધું નાણું પાછું લાવીને આપણ બધાંને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આપશે. મારા પક્ષના એકએક સભ્યો એ ત્રીસ લાખ જાતરાસ્થળોના વિકાસ માટે ખર્ચશે.

[21] છેલ્લે, દરેક ગામમાં અમે એક એક ગરબા મેદાન બનાવીશું. એનું નામ હશે ‘સરકારી ચાચર ચોક’. ત્યાં ગુજરાતીઓ રોજે રોજ ગરબા ગાઈ શકશે. પ્રવેશ ફી વગર. અમે ગરબાઓ પરના શ્રીમંતોના નિયંત્રણને ખતમ કરી નાખીશું.

[22] બીજી વાર છેલ્લે, અમે દરેક કુટુંબમાં ઓછામાં ઓછો એક એક ગઝલકાર હોય એ માટે ગઝલ સાહિત્યને ઉત્તેજન આપીશું. દરેક ગામમાં ચોતરે મહિને એક વાર ગઝલવાંચન થશે. એ વખતે અમે ગઝલકારોની વાહ વાહ કરવા માટે દરેક ગામને પાંચ પાંચ cheerleaders આપીશું.

[23] હવે સાચે સાચ છેલ્લે, ગુજરાતી સાહિત્યમાંથી વિવેચકોની category નાબૂદ કરીશું. 

[24] હજી બાકી રહી ગયું એક વચન : અત્યારે શિક્ષકો જોડણીદોષ કે વ્યાકરણદોષને દોષ ગણતા નથી. જો અમે સત્તા પર આવીશું તો વિધાનસભામાં ‘ભાષાદોષ અધિકાર કાનૂન’ પસાર કરીશું. એના ઉપક્રમે દરેક ગુજરાતીને ભાષામાં ભૂલો કરવાનો જન્મસિદ્ધ અધિકાર મળશે અને એમની ભૂલોની જે કોઈ ટીકા કરશે એને રોજે રોજ એના લખાણમાં દસ ભૂલો કરવાની સજા આપવામાં આવશે.

This is what Gujarati people want. અને હા, હજી એક આપવા જેવું વચન રહી ગયું : ગુજરાતમાં દારૂછૂટ્ટી કરવામાં આવશે અને નર્મદાની નહેરની સમાન્તરે દારૂ વહે એની સરકાર વ્યવસ્થા કરશે જેથી લોકો નિરાંતે દારૂ પી શકે ! 

સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA. 
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કટ્ટરતા પર પ્રહાર કરતી ‘ધરમપુત્ર’: યે કિસ કા લહૂ હૈ, કૌન મરા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 July 2025

રાજ ગોસ્વામી

થોડા સમય પહેલાં, આપણે અહીં ‘ધૂલ કા ફૂલ’ ફિલ્મની વાત કરી હતી. નિર્દેશક યશ ચોપરા. નિર્માતા બી.આર. ફિલ્મ્સ, એટલે મોટાભાઈ બી.આર. ચોપરા. રિલીઝ 1959. નિર્દેશક તરીકે યશજીની આ પહેલી ફિલ્મ. તે પહેલાં તે કોમેડિયન આઈ.એસ. જોહર અને મોટાભાઈના સહાયક તરીકે કામ કરતા હતા. તે વખતે, હવામાં નહેરુનાં સપનાંના ભારતની સુંગંધ હતી. સિનિયર ચોપરા સામાજિક નિસબતવાળી ફિલ્મો બનાવતા હતા. તેમના લઘુ બંધુ પણ એવી જ ભાવનાથી રંગાયેલા હતા. 

તેમણે નિર્દેશક તરીકે કમાન સંભાળી, ત્યારે તેમણે તેમની પહેલી ફિલ્મ માટે હિંદુ-મુસ્લિમ એકતાનો વિષય પસંદ કર્યો હતો. ‘ધૂલ કા ફૂલ’માં વિવાહેતર સંબંધમાંથી જન્મેલા હિન્દુ બાળકને ઉછેરતા એક મુસ્લિમ વ્યક્તિની વાર્તા હતી. 

ફિલ્મ જબરદસ્ત હિટ થઇ હતી. ચોપરાએ આ વિષયને જે રીતે સંભાળ્યો હતો તેનાથી દર્શકો બહુ ખુશ થયા હતા. મહોમ્મદ રફીના અવાજમાં આ ફિલ્મનું ગીત ‘તું હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ આજે પણ એટલું જ પ્રાસંગિક અને લોકપ્રિય છે.

ફિલ્મની સફળતાથી પ્રેરાઈને, 1961માં, યશ ચોપરા આવી જ એક બીજી ફિલ્મ લઈને આવ્યા; ધરમપુત્ર. આ વખતે તેમાં એક મુસ્લિમ લાવારિસ બાળકને એક હિંદુ પરિવાર મોટો કરે છે તેવી વાર્તા હતી. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાનના વિભાજનની વાત કરતી હોય તેવી આ પહેલી હિન્દી ફિલ્મ હતી. ઉલ્લેખનીય છે કે સિનિયર ચોપરા લાહોરમાં ફિલ્મ પત્રકાર હતા અને કોમી દંગલોમાં જીવ બચવવા માટે પરિવાર સમેત પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા હતા. પાછળ પાછળ યશજી આવ્યા હતા. 

એક જૂના ઇન્ટરવ્યુમાં યશ ચોપરાએ કહ્યું હતું, “હું લાહોરમાં ભણ્યો હતો પરંતુ પ્રાથમિક સ્કૂલ પછી જલંધર આવવું પડ્યું હતું. બેઉ જગ્યાએ સરખી જ હાલત હતી. ત્યાં હિદુઓની કતલ થતી હતી, અહીં મુસ્લિમોની. મેં મારી સગી આંખે ખૂનામરકીનું ગાંડપણ જોયું હતું. મેં જે જોયું હતું તેનો ‘ધરતીપુત્ર’માં ઉપયોગ કર્યો હતો.”

ઐતિહાસિક નવલકથાઓ લખનારા હિન્દી લેખક આચાર્ય ચતુરસેને આ જ નામની એક નવલકથા લખી હતી. ચોપરા કહે છે, “મેં જ્યારે તે વાર્તા વાંચી ત્યારે, મારી અંદર મારા એ અનુભવોએ સળવળાટ કર્યો હશે. ફિલ્મનાં દૃશ્યો વાસ્તવિક લાગતાં હતાં કારણ કે મેં એવું જોયેલું હતું. આજે કોઈ નિર્દેશકને યુદ્ધ બતાવવું હોય તો તેણે વાંચન પર અથવા સાંભળેલી વાતો પર અથવા વિદેશી ફિલ્મ પર આધાર રાખવો પડે.”

ફિલ્મની વાર્તાનો સમય, 1925ના બ્રિટિશ શાસન વખતનો હતો. તે વખતે, આઝાદી માટેના શોરબકોર વચ્ચે દિલ્હીના એક પરિવાર નવાબ બદરુદ્દીન (અશોક કુમાર) સાથે એક ઘટના બને છે; તેમના જીગરજાન દોસ્ત ગુલશન રાયનું અવસાન થાય છે અને બદરુદ્દીન તેના અનાથ પુત્ર અમૃત(મનમોહન કૃષ્ણ)ને તેમની દીકરી હુસ્ન બાનુ(માલા સિંહા)ના ભાઈ તરીકે મોટો કરે છે.

અમૃત ડોકટર બને છે અને સાવિત્રી (નિરુપા રોય) સાથે લગ્ન કરે છે. એક દિવસ, નવાબ ડોક્ટર અમૃત પાસે આવે છે અને એક સમસ્યા કહે છે; હુસ્ન બાનુ તેના શિક્ષક જાવેદ(રહેમાન)ના પ્રેમમાં પડીને પ્રેગ્નન્ટ થઇ છે પરંતુ તે નીચ જાતિનો હોવાથી ગાયબ થઇ ગયો છે. 

સાવિત્રી સાથે ચર્ચા કર્યા પછી, અમૃત એક યોજના બનાવે છે; હુસ્ન બાનુને સિમલા લઇ જવી, ત્યાં તે બાળકને જન્મ આપે અને સાવિત્રી તેને દત્તક લઇ લે. તે બાળક દિલીપ (શશી કપૂર) તરીકે મોટો થાય છે. દયાળુ નવાબ તેમની અડધી સંપત્તિ દિલીપના નામે કરે છે. ત્યાં સુધી કોઈને યાદ પણ નહોતું કે તે મુસ્લિમ સ્ત્રીના કોખે જન્મ્યો હતો. પરંતુ દેશમાં લોહિયાળ કોમી તોફાનોનાં પગલે દિલીપની મુસ્લિમ ઓળખ છતી થાય છે.

તેનાથી વ્યથિત દિલીપ તેની હિંદુ ઓળખને રાષ્ટ્રીય ઓળખ તરીકે સ્વીકારે છે અને મુસ્લિમોને ધિક્કારવાનું શરૂ કરે છે. ત્યાં સુધી કે જાવેદ સાથે લગ્ન કરીને પડોશમાં રહેતી હુસ્ન બાનુ (જે હકીકતમાં તેની માતા છે) તેને પણ તેની નફરતનું નિશાન બનાવે છે.

દિલીપ સાચે જ ધરમપુત્ર હતો. તે તેની માન્યતામાં અડગ છે. તેને તેના કૃત્યનાં પરિણામોની ચિંતા નથી, પણ તે એક પુત્ર અને ભાઈ પણ છે. તે દેશને આઝાદી ન મળે ત્યાં સુધી મીના (ઇન્દ્રાણી મુખરજી) સાથે લગ્ન કરવાનો એ ઇનકાર કરી દે છે. 

વયસ્ક સ્ટાર તરીકે શશી કપૂરની આ પહેલી ફિલ્મ હતી અને તેમણે એક કટ્ટર, ધર્માંધ યુવાનનો કિરદાર બખૂબી નિભાવ્યો હતો. કોમેડિયન દેવેન વર્માની પણ આ પહેલી ફિલ્મ હતી. ચોપરા બંધુઓ માટે ‘ધરમપુત્ર’ કેટલી મહત્ત્વની હતી તે એક હકીકત પરથી સાબિત થાય છે કે આ ફિલ્મના સૂત્રધાર તરીકે તે વખતના મોટા સ્ટાર દિલીપ કુમારે તેમનો અવાજ આપ્યો હતો. 

ધર્મપુત્ર એક અસાધારણ અને સાહસિક ફિલ્મ હતી, પરંતુ તે સમયના દર્શકો તેના માટે તૈયાર નહોતા. ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોવા છતાં, આમ દર્શકોને કોમવાદ અને લગ્ન પહેલાં સેક્સ જેવા વર્જિત વિષયને કારણે તેને પસંદ કરી નહોતી. 

એવા પણ અહેવાલો છે કે ફિલ્મ જોવા આવેલા દર્શકો થિયેટરોમાં ઉશ્કેરાઈ ગયા હતા અને અમુક દૃશ્યો વખતે લાગણીશીલ થઇ ગયા હતા. કદાચ વિભાજન અને કોમી હિંસાના જખ્મો હજુ તાજા હતા, એટલે લોકો તેને પડદા પર સહન કરી શક્યા નહોતા. પરિણામે ફિલ્મને રિલીઝ થયા પછી ઉતારી લેવી પડી હતી અને થોડા સમય પછી ફરીથી મુકવામાં આવી હતી. પણ તે ન ઉપડી તે ન જ ઉપડી.

કહેવાય છે કે આ ફિલ્મ પાસેથી યશ ચોપરાને ઘણી અપેક્ષા હતી, પરંતુ તેમાં તે પાર ન ઉતરતાં તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને આવા રાષ્ટ્રીય વિષયો પર ફિલ્મ નહી બનાવાનું નક્કી કર્યું હતું. પાછળથી આપણે જે રોમેન્ટિક યશ ચોપરાને જોયા હતા તેની શરૂઆત કદાચ આ ફિલ્મ પછી થઇ હતી.

સાહિર લુધિયાનવીએ ફિલ્મમાં એક પ્રભાશાળી ગીત લખ્યું હતું, જે તે વખતના માહોલ અંગે સવાલો ખડા કરતું હતું, પણ આજે ય એટલું જ પ્રાસંગિક છે :

ધરતી કી સુલગતી છાતી કે બેચેન શરારે પૂછતે હૈં

તુમ લોગ જિન્હેં અપના ન સકે, વો ખૂન કે ધારે પૂછતે હૈં

સડકોં કી જુબાન ચિલ્લાતી હૈ

સાગર કે કિનારે પૂછતે હૈં-

યે કિસ કા લહૂ હૈ, કૌન મરા 

એ રહબર-એ-મુલ્ક- ઓ- કૌમ બતા

યે કિસ કા લહૂ હૈ, કૌન મરા 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 02 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 July 2025

ચંદુ મહેરિયા

જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો-ઉધ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત, આદિવાસી, વંચિત, પછાત, ગરીબ માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકાર સહિતના સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતા રહે છે. જમીનદારો માટે તે ગરીબોનાં શોષણનું સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝૂમવું પડે છે. 

સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી હતી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્ય મંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાયદાનો દૃઢતાપૂર્વક અમલ થયો હતો. તેથી એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા ઘણાં પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા હતા. ૧,૭૨૬ ગામોના ૫૧, ૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલ ગણોતિયાઓને મળી હતી. આજે સર્વક્ષેત્રે પટેલોના વર્ચસના મૂળમાં તેમની આ જમીન માલિકી છે. 

જો કે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ,  ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું હતું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભાવનગરમાં ભરાયેલા કાઁગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા હતા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા હતા. 

ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિ સુધાર કાયદાઓ હેઠળ જમીનો મળવી જોઈતી હતી. ૧૯૪૮ના ગણોતધારા અને ૧૯૬૧ના જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ગણોતિયા અને જમીનવિહોણાને જમીન આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું (સાંથ) લઈને ભૂમિવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડ હક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે. 

રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીન ભૂમિહીનોને આપવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાયદાઓ તળે જમીનો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે ત્યાં  તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણા, સોઢાણા અને અન્ય દલિત હત્યાકાંડોના મૂળમાં દલિતોનો જમીનનો સવાલ રહેલો હતો. 

જંગલ સાથે આદિવાસીનો અભિન્ન નાતો છે. તેઓ પરંપરાગત રીતે પેઢીઓથી જંગલની જમીનો ખેડે છે અને વનપેદાશો પણ મેળવે છે. પરંતુ અંગ્રેજોના પગલે દેશી સરકારે પણ જંગલ જમીનો ખેડવા પર બંધી ફરમાવી હતી. ગુજરાતના આશરે ૧૮,૦૦૦ માંથી ૪,૭૩૨ ગામો વનવિસ્તારમાં આવેલા છે. પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લામોમાં જંગલ જમીન નામે કરવા લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. તેના પરિણામે ઘણા આદિવાસીઓને જંગલ જમીનની સનદો આપવી પડી હતી. ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં જંગલ જમીનો નામે કરવાનો સવાલ હતો. કેન્દ્ર સરકારના વન અધિકારોની માન્યતા અધિનિયમ-૨૦૦૬ અને નિયમો-૨૦૦૭ના આધારે જંગલ જમીન ખેડનારાઓને જમીન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ અમલના પ્રશ્નો તો છે જ. 

જમીન માલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ ટકા દલિતો જમીનો ધરાવતા હતા. તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫ ટકા થયા હતા. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯ ટક હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫ ટકા થયા હતા. ગુજરાતમાં ૬૩.૨૪ ટકા દલિતો ભૂમિહીન છે. આ હકીકતો દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીન માલિકીને સીધો સંબંધ છે. એટલે જમીન વિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીન સુધાર કાયદાઓનો અમલ થાય અને માત્ર ૫ ટકા જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦ ટકા ગરીબી ઘટી શકે છે. તેથી જ કહેવાયું છે કે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન. 

બંગાળના દીર્ઘ ડાબેરી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિ સુધાર કાનૂનોનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. પરંતુ તે ભૂમિવિહોણા માટે નથી. ગુજરાતમાં જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેત સહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ તે મેળવી લીધી છે અને તેના ખરા હકદાર ભૂમિહીન દલિતોએ તો જમીન માટે ઝૂઝવાનું જ રહ્યું છે.

નવી અર્થનીતિ, વધતા શહેરીકરણ-ઔદ્યોગિકરણ, સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અને વિકાસની રાજનીતિના વર્તમાન માહોલમાં જમીન સુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિ કાયદા કરી રહી છે. ખેતીની સમૃદ્ધ જમીનો વિકાસ અને જાહેર હિતના નામે અધિગૃહિત કરી મોટા ઉદ્યોગગૃહોને આપી દેવામાં આવે છે. ભલે ભારત સરકારને વિપક્ષી દબાણ સામે ઝૂકીને ભૂમિ અધિગ્રહણ બિલ પડતું મૂકવું પડ્યું પણ રાજ્ય સરકારોએ આવા કાયદા ઘડ્યા જ છે ને? આ કાયદાઓ થકી જમીનો ભૂમિહીનોને નહીં ઉદ્યોગોને મળી છે. 

આ સ્થિતિમાં ભૂમિહીનોનો જમીન મેળવવાનો સંઘર્ષ વધુ આકરો થઈ રહ્યો છે. ડો. બાબાસાહેબ આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતાં કહ્યું હતું કે, “જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ દઝાડી શકે છે. જમીનના મુદ્દે દલિતો અને બીજા જમીનવિહોણાઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે આપણે અને આપણું  બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે”. બાબાસાહેબની આ ચેતવણીની અવગણના સંસદ, વિધાનગૃહો, સરકારો અને સમાજ પોતાના અસ્તિત્વના ભોગે જ કરી રહી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...280281282283...290300310...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved