Opinion Magazine
Number of visits: 9553022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ …

નેહા શાહ|Opinion - Opinion|14 November 2025

નેહા શાહ

આજે ૧૪મી નવેમ્બર, બાળદિન એટલે કે જવાહરલાલ નહેરુની જન્મ જયંતી. એક સમયના લોક લાડીલા નેતા, લગભગ સત્તર વર્ષો સુધી દેશના વડા પ્રધાન રહી ચુકેલા જવાહરલાલ નહેરુ આજની તારીખમાં પ્રચલિત ચર્ચામાં એટલી પ્રિય નથી. ભારતમાં એમની નબળાઈઓને વધારી-ચડાવીને એટલી તો જોરશોરમાં રજૂ કરવામાં આવે છે કે આઝાદ ભારતના નિર્માણમાં એમના યોગદાનને અવગણવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પણ ન્યુયોર્ક સિટીના મેયર તરીકે તાજેતરમાં ચૂંટાયેલા ભારતીય મૂળના યુવાન ઝોહરાન મમદાની ચૂંટણી જીત્યા પછીના સંબોધનમાં તેમને યાદ કર્યા  અને ટ્રાયસ્ટ ઓફ ડેસ્ટીની (નસીબની અજમાઇશ) તરીકે ખૂબ પ્રચલિત થયેલા આ ભાષણનો ઉલ્લેખ કર્યો. ભારતની આઝાદી મળવાની પૂર્વ રાત્રીએ બંધારણ સભાને કરેલા સંબોધનમાં નહેરુએ કહ્યું હતું કે “એક એવી ક્ષણ, જે ઇતિહાસમાં જવલ્લે જ આવે છે, જ્યારે આપણે જૂનાથી નવા તરફ આગળ વધીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે, અને જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રના આત્માને વાચા મળે છે.” આઝાદીનો સૂરજ ઊગવાની સાથે નવા રાષ્ટ્ર માટે ઊભી થયેલી આશાસ્પદ શક્યતાઓનો એ સમય હતો. 

નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ … એમણે લીધેલા નીતિ વિષયક નિર્ણયોના સારાં તેમ જ માઠાં બંને પરિણામો તમે તપાસો, પણ એક વાત તો સ્વીકારવી જ પડે કે આઝાદીના લગભગ આઠ દાયકે આજે વિશ્વના નકશામાં ભારતનું જે સ્થાન છે એને સમજવા માટે નહેરુના યોગદાનને ગણતરીમાં લેવું જ પડે. આઝાદી પછીનાં વર્ષોમાં ભારતના વિકાસનું જે માળખું ઘડાયું એના પાયામાં દેશના ઔદ્યોગીકરણનું માળખું છે અને આત્મામાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવાની દૃષ્ટિ છે.  

નહેરુ પોતે વિજ્ઞાનને મહત્ત્વ આપતા હતા. આર્થિક વિકાસના પાયામાં ઔદ્યોગિકરણ  અને એના પાયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીકલ છે એ સ્પષ્ટ સમજ સાથે નવા જન્મેલા દેશના માર્યાદિત આર્થિક સંસાધનો વચ્ચે પણ તેમણે વૈજ્ઞાનિક સંશોધન અને નવીનીકરણને મહત્ત્વ આપ્યું. દેશમાં આઈ.આઈ.એમ., આઈ.આઈ.ટી. જેવી વૈશ્વિક સ્તરની શૈક્ષણિક સંસ્થા ઊભી કરી, જળ વિદ્યુતથી લઈને ન્યુક્લીઅર પાવરનો પાયો નાખ્યો. વીજળી ઉત્પન્ન કરતા મોટા બંધો અને મોટા ઉદ્યોગોને તેમણે આધુનિક ભારતનાં મંદિર ગણાવ્યાં એ વાત જાણીતી છે. તેઓ સમજતા હતા કે દેશમાં સમૃદ્ધિ ઔદ્યોગીકરણના જ માર્ગે આવવાની છે તેમ જ વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા મૂડીવાદી વિકાસ સાથે જો તાલ મેળવીને ચાલવું હશે તો ઉદ્યોગોના વિકાસ માટેનો પાયો મજબૂત કરવો પડશે. સમાજવાદી વિચારોથી પ્રભાવિત નહેરુએ આ માળખાકીય સવલતો ઊભી કરવાની જવાબદારી સરકારને ખભે નાખી. આ નીતિ પાછળનો હેતુ પાયાના ઉદ્યોગોમાં ખાનગી મૂડીનું કેન્દ્રીકરણની શક્યતાને રોકવાનો હતો. એટલે જાહેર એકમોના શુભ મુહરત સાથે શરૂ થયો, આયોજન સાથેના મિશ્ર અર્થતંત્રનો દોર. પંચ વર્ષીય યોજનાના રેડ ટેપીસમના એ સમયમાં ધારેલા ઘણાં લક્ષ્ય હાંસલ ન થઇ શક્યા એ વાત સાચી, પણ એક વાતનો સ્વીકાર સૌએ કરવો પડશે કે આધુનિક ઉદ્યોગોનો પાયો એ સમયે જ બંધાયો. એ સમયે બીજો વિકલ્પ શું હતો? મોટું જોખમ લઇ શકે એવા ટાટા, બિરલા, કે કિર્લોસ્કર જેવા મોટા મૂડીપતિઓની સંખ્યા મુઠ્ઠીભર જ હતી. રોડ, રેલવે, વીજળી, પાણી, સ્ટીલ, સિમેન્ટ જેવી અનેક સવલતોની માંગ ઉગતા ઉદ્યોગોને પરવડે એ કિંમતે પૂરી પાડી શકાય એટલી ક્ષમતા ધરાવતી ખાનગી મૂડી બજારમાં ક્યાં હતી? 

સક્ષમ દેશના નહેરુનાં સપનાંમાં વિજ્ઞાનની પાયાની ભૂમિકા હતી. તેમના મતે દેશમાં પ્રવર્તતા ગરીબી, નિરક્ષરતા, અંધશ્રદ્ધા, અસ્વચ્છતા જેવા અસંખ્ય પ્રશ્નોનો જવાબ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમમાં હતો. લાંબા ગાળાના વિકાસ માટે ઉત્પાદન ક્ષમતા વધારવી પડે અને એ માટે ટેકનોલોજી પણ જોઈએ અને નવીનીકરણ પણ જોઈએ. એ બંને માટે સમાજમાં વૈજ્ઞાનિક મિજાજ પણ કેળવાવો જોઈએ. જો કે નહેરુ જે વૈજ્ઞાનિક મિજાજની વાત કરતા તે માત્ર વિજ્ઞાનની નવી શોધ પૂરતો મર્યાદિત ન હતો, પણ એ જીવન જીવવાની રીતની વાત હતી. એટલે કે વૈજ્ઞાનિક ઢબે ખુલ્લા મનથી વિચારવાની ક્ષમતા, નવા પ્રયોગો અને નવાં જ્ઞાનના સર્જનની ઉત્કંઠા, જે વર્ષોથી ચાલી આવતી સમાજને પડકારવાની તૈયારી કેળવે. વૈજ્ઞાનિક મિજાજ ધરાવતો સમાજ આવિષ્કારોની સાથે સમાજ અને અર્થતંત્રની રીતોને પણ પ્રશ્નો કરે. વૈજ્ઞાનિક અભિગમની ભૂમિકા એટલે માત્ર આર્થિક ઉપાર્જન માટે નહિ પણ સમાજના પ્રગતિશીલ પ્રયાણ માટે પણ ખરી. ડીસ્કવરી ઓફ ઇન્ડિયા’ પુસ્તકમાં તેમણે ભારતના ઇતિહાસમાં રહેલા વૈજ્ઞાનિક વલણની નોંધ કરી છે – ગણિત અને ખગોળશાસ્ત્ર હોય કે ચિકત્સા પદ્ધતિ હોય, પ્રાચીન ભારતમાં એનો વિકાસ થયો એ બતાવે છે કે અહીં વૈજ્ઞાનિક અભિગમની ભાવના હતી. પણ, વૈજ્ઞાનિક અભિગમનો હાર્દ જ એ છે કે જૂની પરંપરા ગમે તેટલી મહાન હોય, નવા વિચારો સાથે એની સામે પડકાર ઊભા થાય તો વૈજ્ઞાનિક ઢબે એના જવાબ શોધવા પડે અને નવા વિચારોનો સ્વીકાર કરવો. એટલે કે કોઈ પરંપરા કે કોઈ નિયમ શાશ્વત નથી. દેખીતી રીતે જે વર્ગ ધર્મ, પરંપરા કે નિયમોના સનાતન હોવામાં વિશ્વાસ રાખે છે તેઓ સતત પ્રશ્ન પૂછતાં વૈજ્ઞાનિક મિજાજને વિકસાવવામાં માનતા નથી. નહેરુ સામે એમને પાયાની અસહમતી ઊભી થાય છે. 

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 November 2025

રવીન્દ્ર પારેખ

10 નવેમ્બર, 2025ની ઠંડી સાંજે 6.52 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનનાં ગેટ નંબર 1 નજીક ચાલતી કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને આજુબાજુનાં વાહનોનો કૂચો વળી ગયો તો, તેર લોકોનાં ચીંથરાં ઊડી ગયાં. વીસથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયાં ને તેઓ અત્યારે સારવાર હેઠળ છે. ભૂતાન પ્રવાસેથી આવીને વડા પ્રધાને ઘાયલોનાં ખબરઅંતર પૂછ્યાં, તો કેન્દ્રીય ગૃહ મંત્રી મીટિંગ પર મીટિંગ કરીને આ બ્લાસ્ટ આતંકી કાવતરું છે કે નહીં એની તપાસમાં લાગેલા છે. ગઈ કાલના સમાચારમાં વડા પ્રધાને એ સ્પષ્ટ કર્યું છે કે આ આતંકી હુમલો છે અને જવાબદાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે, એવી રાબેતા મુજબની જાહેરાત પણ તેમણે કરી છે.

પહેલગામમાં જાતિ પૂછીને આતંકીઓએ થોડા હિંદુ પુરુષોને મોતને ઘાટ ઉતાર્યા ને એનો બદલો લેવા ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવાયો, તો આતંકીઓએ દિલ્હીના લાલ કિલ્લા નજીક બોમ્બ બ્લાસ્ટ કરી તેર નિર્દોષ લોકોના જીવ લીધા. હવે ભારત આતંકીઓને સબક શીખવવા કંઇ કરશે તો આતંકીઓ વળી ક્યાંક બ્લાસ્ટ કરશે અને એમ ચાલ્યા કરશે. દિલ્હી હુમલાની સમાંતરે 6 લિટર રાઈઝિન નામનું કાતિલ ઝેર પાઈને હજારોની કતલ કરવાનો પર્દાફાશ થયો છે એ પરથી લાગે છે કે આ દેશમાં આતંકીઓ ઝેરની જેમ ફેલાયેલા છે ને એને આ દેશના ગદ્દારોનો સાથ છે, એટલે આતંકીઓને ફાવતું આવ્યું છે. આ વખતના આતંકી હુમલામાં આઘાતજનક વાત એ છે કે આમાં ડોકટરો આતંકવાદી તરીકે પ્રગટ થયા છે. જો કે, ડોક્ટર હોય કે અભણ, આતંકીઓ સરખી જ ઉગ્રતા ને આક્રમકતા ધરાવતા હોય છે.

આખો ઘટના ક્રમ જોવા જેવો છે. રવિવારે ગુજરાતમાંથી ત્રણ આતંકીઓ પકડાય છે. સોમવારે સવારે હરિયાણાના ફરીદાબાદમાંથી 2,900 કિલો વિસ્ફોટકો મળે છે ને એ જ સાંજે દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટ થાય છે. એમ લાગે છે કે ગુજરાત, હરિયાણા અને દિલ્હી આતંકવાદીઓનાં નિશાના પર છે. આ તો જાહેર થયું છે એટલે, બાકી, ખબર ન પડે એવી કેટલી જગ્યાઓ પર આતંકીઓ હુમલા માટે સજ્જ હશે તેની તો અટકળ જ કરવાની રહે છે. દુનિયા જાણે છે કે આ હુમલા પાછળ પાકિસ્તાન અને તેના પાળેલા આતંકીઓનો હાથ છે. હવે તો કોઈ પણ બ્લાસ્ટમાં પાકિસ્તાન સંડોવાયું હશે એવું આંખ મીંચીને કહી શકાય એમ છે. વિશ્વ આખામાં આતંકી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનનો હાથ રહ્યો છે. આટલા હુમલાઓ પછી પણ ભારત સર્જિક્લ સ્ટ્રાઈક કે ઓપરેશન સિંદૂરથી સંતોષ માને તે અપૂરતું છે. ખરેખર તો ઓપરેશન સિંદૂર વખતે જ આ પાર કે તે પાર કરવાની જરૂર હતી, તેને બદલે યુદ્ધવિરામ કરી લીધો તે ઠીક ન થયું. યુદ્ધ જ ન હતું, તો યુદ્ધવિરામ કેવો? એમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ભાવ ખાવાનું થયું કે યુદ્ધવિરામ તેમણે કરાવ્યો ને એ પાછું અનેક વખત અનેક ઠેકાણે તેમણે ગાયું પણ ખરું. મોડું કે વહેલું, પાકિસ્તાન નકશા પરથી નહીં ભૂંસાય, તો તે થોડે થોડે વખતે સરહદ પર કે શહેરોમાં આતંકી ઉત્પાત કર્યા વગર રહેવાનું નથી ને આટલો વખત આતંકી હુમલાઓ દ્વારા યુદ્ધ માટે ઉશ્કેરતું હોવા છતાં, ભારત લડી લેવા તૈયાર જ ન થાય તે બરાબર નથી.

આતંકી હુમલાઓ દ્વારા છાશવારે પાકિસ્તાન ભારતીય સૈનિકોને અને નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારે છે, તો ભારત પણ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરીને કે ઓપરેશન સિંદૂર દ્વારા કાળો કેર વર્તાવે છે. એમાં પાકિસ્તાનને તો જાનમાલની જે હાનિ થતી હશે તે હશે, પણ એમાં આપણા સૈનિકો અને નાગરિકો કારણ વગર મરે છે તે ભૂલવા જેવું નથી. વગર યુદ્ધે, યુદ્ધ જેટલો સંહાર થતો હોય તો યુદ્ધથી દૂર રહીને નિર્દોષોનાં લોહી ક્યાં સુધી વહાવીશું તે વિચારવા જેવું છે.

ઓપરેશન સિંદૂર હાથ ધરાયેલું ત્યારે એવા દાવાઓ કરાયેલા કે હવે પછી પાકિસ્તાન આતંકી હુમલાઓ કરતા પહેલાં હજાર વાર વિચાર કરશે ને ગમ્મત જુઓ કે બીજો આતંકી હુમલો કરવામાં પાકિસ્તાને 6 મહિના પણ રાહ જોઈ નથી. ભારતના બધા દાવાઓને લેખામાં લીધા વિના પાકિસ્તાને સામે પડકાર ફેંક્યો છે કે અમારે હજાર વાર વિચારવાનું જ નથી, અમે તો દિલ્હી જેવો હુમલો કરતા આવ્યા છીએ ને કરતા રહીશું, તમે હજાર વાર વિચારો કે અમને કેવી રીતે પહોંચી વળશો? એ ભારતે નક્કી કરવાનું છે કે તેણે ઓપરેશન સિંદૂરથી અટકી જવું છે કે પાકિસ્તાનને જમીનદોસ્ત કરવું છે? એ ખરું કે આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતે વિચારવાનું રહે, પણ ટ્રમ્પ જેવા તળિયા વગરનાં લોટા આમથી તેમ લોટતા રહેતા હોય, ઘડીમાં ભારતને વખાણતા હોય, તો ઘડીમાં પાકિસ્તાનને ખોળે લીધું હોય તેમ તેની આરતી ઉતારતા હોય, ત્યારે તેમનું માનવા કરતાં સ્વતંત્ર નિર્ણય લઈ પાકિસ્તાનનો ઘડો લાડવો કરી નાખવો જોઈએ, એવું નહીં? પાકિસ્તાને દિલ્હીમાં બ્લાસ્ટ કર્યો ત્યારે અમેરિકા કે ચીનને પૂછ્યું નથી, તો ભારતે શું કામ કોઈની પણ શરમે જાતે વેઠતાં રહેવું જોઈએ?

ભારતને પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશનો પડોશ આજ સુધી ફળ્યો નથી. બાકી, હતું તે બાંગ્લાદેશ અને પાકિસ્તાન નજીક આવી રહ્યાં છે. તે ય ઓછું હોય તેમ 11 નવેમ્બરે ઈસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આત્મઘાતી હુમલામાં બારેક લોકોનાં મોત થાય છે અને પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ શરીફ દોષનો ટોપલો ભારતને માથે નાખે છે ને દિલ્હી બોમ્બ બ્લાસ્ટને રહસ્યમય હુમલો ગણાવી હાથ ઊંચા કરી દે છે. પાકિસ્તાન એટલું જૂઠું રાષ્ટ્ર છે કે પોતાના દેશમાં જ આતંકી હુમલો કરાવીને ભારતને જવાબદાર ઠેરવતાં તે સહેજે શરમાય એમ નથી.

અધૂરામાં પૂરું પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકીઓ બાબરીનો બદલો લેવા માંગતાં હતા ને દેશભરમાં 32 કારોથી વિસ્ફોટ કરવાનું તેમનું કાવતરું હતું. દિલ્હીનો બ્લાસ્ટ એ કાવતરાનો જ એક ભાગ હતો. ટૂંકમાં, પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ ઉપદ્રવો કરીને ભારતની ઊંઘ હરામ કરવાનો જ હેતુ ધરાવે છે, તો, જેનો સફાયો કરી શકાય એમ છે, તે પાકિસ્તાનની શરમ ભારતે શું કામ રાખવી જોઈએ? ભારતે હુમલો કરવા દરેક વખતે પાકિસ્તાન હુમલો કરે એની રાહ જોવાનું કોઈ કારણ છે?

એ સાથે જ ભારતમાં જ ભારતના ગદ્દારો આતંકી હુમલાની તકો ઊભી કરી આપે છે, તે પણ ધ્યાને લેવાની જરૂર છે. દિલ્હી બ્લાસ્ટમાં કાશ્મીરના ડોક્ટરની ભૂમિકા કેન્દ્રમાં રહી છે. એ સાથે જ આતંકી ડોકટરોનાં નામ પહેલી વાર સામે આવ્યાં છે. આતંકીઓને અહીંનો સાથ ન હોય તો 2,900 કિલો વિસ્ફોટકો ફરીદાબાદ સુધી પહોંચે કઈ રીતે? કમનસીબી એ છે કે આતંકી ડોકટરોમાંની એક ડો. શાહીન શાહિદ લખનૌની છે ને મહિલા જમાત-ઉલ મોમિનીનની હેડ છે. આવા તો કેટલા ય ભારતમાં રહીને ભારતની ઘોર ખોદતાં હશે. બહારના આતંકીઓને તો મારી પણ ભગાવીએ, આ તો ઘરનાં દીવા આગ લગાડે છે, તે કેમ હોલવવી એ પ્રશ્ન છે.

આમ તો સરકારે દિલ્હી બ્લાસ્ટ આતંકવાદી કૃત્ય છે, એવું પ્રમાણિત કરી દીધું છે, પણ આ હુમલો કયાં આતંકી સંગઠને કરાવ્યો છે તે બહાર આવ્યું નથી. આ અગાઉ આતંકી હુમલો થતો, તો કોઈને કોઈ આતંકી સંગઠન હુમલો તેણે કરાવ્યો છે, એવો લહાવો લેતું હતું, પણ આ વખતે કોઈ સંગઠને જવાબદારી લીધાનું બહાર આવ્યું નથી. એમાં કોઈ શક નથી કે એ પાકિસ્તાનનાં પાળેલ સંગઠનનું જ કામ છે, એટલે ફોડ પડે કે ન પડે, ભારતે પ્રતિકાર કરવા તત્પર રહેવું જ જોઈએ. ભારતની એ કરુણતા છે કે કોઈ એજન્સી, હુમલાના પાંચ દિવસ થવા આવ્યા પછી પણ તેનાં મૂળ સુધી નથી પહોંચી. ભારતીય એજન્સીઓ એટલું જ શોધી શકી છે કે બ્લાસ્ટ થયેલ કાર જમ્મુ કાશ્મીરનો ડો. ઉંમર ચલાવતો હતો. 2,900 કિલો વિસ્ફોટકો સાથે સંકળાયેલા આતંકી ડોકટરો સાથેનું ડો. ઉંમરનું કનેક્શન પણ એજન્સીઓ કબૂલે છે, પણ આ ડોકટરોનો હેન્ડલર કોણ છે, એની કોઈ માહિતી બહાર આવી નથી.

એ પણ છે કે 2,900 કિલો વિસ્ફોટકો રોકવામાં આપણું તંત્ર સરિયામ નિષ્ફળ ગયું છે. વિસ્ફોટકો એક સાથે ભારતમાં ઘૂસ્યા નથી. તે અમુક અંતરે પ્રવેશ્યા છે ને છતાં, પોલીસ તે પકડવામાં સફળ થઈ નથી. ભારતને લડવાનું બહાનું ન મળે એટલે પણ આતંકી સંગઠનો મગનું નામ મરી ન પાડતાં હોય એમ બને. મીડિયામાં અનેક વાતો વહેતી થઈ છે, પણ હકીકતે તો દિલ્હી બ્લાસ્ટમાં તેર લોકોનો ભોગ લેવાયો છે. જે પાંચ ડોકટરો ઝડપાયા છે, એમની મદદથી આતંકનું આખું નેટ વર્ક હાથે લાગી શકે, પણ આજ સુધી આપણે કોઈ આતંકી નેટવર્કનો ભુક્કો બોલાવીને તેને ખતમ કરી શક્યાં નથી. એ જ કારણ છે કે ત્રણેક દાયકાથી આપણે આતંકી હુમલાનો ભોગ બનતા આવ્યા છીએ. સવાલોનો સવાલ એ છે કે કોઈ પણ કારણ વિના ભારતે આતંકી હુમલાઓનો ભોગ શું કામ બનવું જોઈએ? આપણે ગમે એટલી ઉદારતાથી જોઈએ તો પણ એ સમજી લેવાની જરૂર છે કે આ જાત સમજાવટથી માને એમ જ નથી. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે – એ અમથું નથી કહેવાયું …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 નવેમ્બર 2025

Loading

દિલ્હીની આતંકી ઘટનાનો માયનો : લડત બેલાશક લાંબી હોવાની છે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 November 2025

આતંકવાદ –

કોમી ધ્રુવીકરણની વરવી રાજનીતિ

સુરક્ષા તંત્ર સાવધ, સતર્ક, સક્રિય હોય એ તો જરૂરી છે જ; પણ વિચારધારાંધ  આતંકવાદને કોમી વિભાજનના માહોલમાં જેર કરવાનું આકરું છે એનો આપણને અહેસાસ હોય એ ય એટલું  જ અનિવાર્ય છે.

પ્રકાશ ન. શાહ

લાલ કિલ્લા સમીપની આતંકી ઘટના, જ્યાં સુધી પાટનગરીનો સવાલ છે, સપ્ટેમ્બર 2011 બાદની એટલે કે ઠીક ઠીક અંતરાલ બાદની ઘટના છે. સુરક્ષા પ્રશ્નને વાજબી અગ્રતાક્રમના સઘળા પ્રયાસો પછી અને છતાં, 370મી કલમની નાબૂદી સાથે કાશ્મીર સંદર્ભે અંદરબહારના આતંકસ્રોત દબાવી શકાશે એવા ખયાલ છતાં, આ દોરનું શરૂ થવું ચોક્કસ જ વિકસિત ભારતના લક્ષ્ય સામે મહદ્ પડકાર રૂપ છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસનને જે ત્વરાથી આ ઘટનાની ટીકા કરવાનું સૂઝ્યું, એની સામે પાકિસ્તાનનું વલણ બેલાશક ટીકાપાત્ર છે. પાકિસ્તાન પોતે પણ પીડિત હોઇ શકે છે, પણ પોતે પ્રેરે નહીં ત્યારે પણ નોન-સ્ટેટ એક્ટર્સને પનાહની એની રાજનીતિ ઉપખંડ માટે – બલકે ખુદના અસ્તિત્વની રીતે પણ ઘોર આત્મઘાતકી છે. 

એમોનિયમ નાઇટ્રેટનો જે જથ્થો જેકે પોલીસે ફરીદાબાદથી હસ્તગત કર્યો અને આખી એક ડૉક્ટરી સાંકળનો પર્દાફાશ કર્યો એ આતંકી સંકલનાના ભયાવહ સ્વરૂપને આપણી સામે આણે છે. એટલું જ નહીં પણ ઊંચું ભણતર પોતે કરીને વિચારધારાંધ અફીણનો ઉગાર નથી, એ મુદ્દો પણ એથી સ્ફૂટ થાય છે. પહેલગામના જખમ હજુ સાત મહિને ય રુઝાયા નથી એ સાચું, પણ ત્યારે કદાચ નહીં પકડાયેલું વાનું ફરીદાબાદની એમોનિયમ નાઇટ્રેટ જપતી સાથે જે આંતરરાજ્ય બલકે આંતર-રાષ્ટ્ર સાંકળના સગડ મળ્યા છે, એની સાથે સ્પષ્ટપણે સામે આવે છે જોવાનું છે કે મુજાહિદીન ઉછાળા સમયે ઇજનેરો સંકળાયેલા હતા. અને આ વખતે દાક્તરો સંકળાયેલા છે. ફરી કહું કે દુનિયાદારી નજરે ભણતરની જે દોમદોમ પાયરી લેખાય છે તેના પર વિચારધારાનું અફીણ ને આથો હાવી હોઈ શકે છે. 

હમણાં મુખપોથીમાં એક મિત્રે સંભારી આપ્યું તેમ પત્રકાર હૈદર નકવીએ બહુ જ સટીક એવી તત્ક્ષણ ટિપ્પણીમાં કહ્યું છે કે, આપણે વિચારવું રહે છે કે આપણાં ઘરોમાં, આપણી મસજિદોમાં ને આપણા વર્ગખંડોમાં ભણતર ને સંસ્કારને નામે શું ચાલી રહ્યું છે. ફૂટતાં કૈશોર્યને અને ખીલતી જુવાનીને આપણે કટ્ટરતાના પાઠ ભણાવીએ છીએ કે યુવાન હૈયાંને ન્યાયી નવી દુનિયાનાં સપનાં જોતાં કરીએ છીએ. 

વસ્તુતઃ આ એક વિશ્વચિત્ર છે. ક્યારેક યહૂદીહન્તા હિટલરનો જેઓ મહિમા કરતા હશે તે આજે ગાઝા પટ્ટીના આરબહન્તા યહૂદીઓનો મહિમા કરે છે. ધરમમજહબની તેમ કોમી ધ્રુવીકરણની રાજનીતિ કંઈ હદે વરવી પરિસ્થિતિ સરજી શકે છે, એની સમજ ને સુધબુધ રહે તે આવે પ્રસંગે તીવ્રપણે સમજાઈ રહે છે. ખલિલ જિબ્રાને નાગરિક સહજીવનની રીતે જે એક પાયાનું વિધાન કાવ્યમય બાનીમાં કર્યું છે તે અહીં કાળજે ધરવા જોગ છે. જિબ્રાને કહ્યું છે કે કોઈ પણ સાંકળ, છેવટે તો, એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકે છે. 

હમણાં આરંભે જ સંભાર્યું કે સપ્ટેમ્બર 2011 પછી ખાસાં 14 વરસનાં અંતરે દિલ્હીએ આતંકી ઘટના જોઈ છે. આ વિધાન નિઃશંક સાચું ને ઇતિહાસપુષ્ટ છે. પણ જિબ્રાનની કસોટીને જોઈએ તો થોડાં વરસ પર નવી દિલ્હીમાં જે હિંસાદોર ચાલ્યો હતો અને કેન્દ્ર સરકાર હસ્તકની પોલીસે જે એકતરફી કોમી રવૈયે કામ લીધું હતું તે દેખીતું લાલકિલ્લાની ઘટના જેવું આતંકિત ન પણ કરે, પણ એ આપણા નાગરિક જીવનને કોમી ઊધઈથી પ્રત્યક્ષ જણાય કે ન જણાય (ખરું જોતાં, પ્રત્યક્ષ સમજાય કે ન સમજાય) બેહદ ખોખલું કરનારું હતું અને છે. 

મનમોહનસિંહને આવે પ્રસંગે વિપક્ષ તરફથી જે બધું સંભળાવવામાં આવતું હતું એને બદલે સરવાળે ત્યારના વિપક્ષે એટલે કે હાલના સત્તાપક્ષે તેમજ કૉંગ્રેસ વગેરે વિપક્ષે ઠીક સંયમ જાળવી સાથે રહેવાની ભાવના શરૂઆતના કલાકોમાં પ્રગટ કરી તે અવશ્ય સ્વાગતાર્હ છે. આતંકી ઘટનાઓના દોર સામે જેમ સુરક્ષાતંત્રની કામગીરીનો મહિમા છે તેમ નાગરિક જીવન કોમી ધોરણે ધ્રુવીકૃત ન થાય તે પણ અનિવાર્ય છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર 2025

Loading

...1020...27282930...405060...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved