Opinion Magazine
Number of visits: 9577521
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાંગેલીઃ વંચિતધારાના ઇતિહાસનું બળોકું અને સ્ત્રી-સન્માનનું અપ્રતિમ પ્રતીક

હરપાલ રાણા|Opinion - Opinion|14 May 2019

નાંગેલી લોકસાહિત્યમાં જીવંત છે પણ સરકારી દફતરોમાં તેની નોંધ નથી. લોકજીભે જીવંત ઇતિહાસ શું ઇતિહાસ ન હોઈ શકે? હમણા મદ્રાસ હાઇકોર્ટના આદેશથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSC)એ ધોરણ-નવના સામાજિક વિજ્ઞાનના પાઠયક્રમમાંથી ‘Caste, Conflict and Dress Change’ નામનો પાઠ હટાવી દીધો છે. પાઠમાં ઈ.સ. ૧૮૦૦ના વર્ષોની આસપાસ નિમ્ન ગણાતા ‘નાદર’ સમાજની સ્ત્રીઓને સવર્ણ સમાજના ‘નાયર જાતિની સમિતિ’ના ફરમાન દ્વારા ઉપવસ્ત્ર ધારણ કરવાનો અધિકાર નહતો અપાયો અને તેઓને પોતાનું ઉપલું શરીર ખુલ્લું રાખવાની ફરજ પાડવામાં આવતી. રદ્દ કરાયેલા પાઠના અંશોઃ

૧. વસ્ત્રો પહેરવા એ સવર્ણ જાતિઓ માટે માન-સન્માનની બાબત છે અને વિશિષ્ટ અધિકાર પણ છે. પણ જો નિમ્ન જાતિઓની સ્ત્રીઓએ પોતાનું ઉપલું શરીર ઢાંકવું હોય તો ‘મુલક્કરમ’ અથવા ‘સ્તન કર’ (breast tax) આપવાની ફરજ પાડવામાં આવતી. ૧૮૨૨માં ‘નાદર’ અને ‘એઝવા’ સમાજની સ્ત્રીઓએ આ પ્રકારની અન્યાયી પ્રથા સામે બળવો કર્યો હતો અને કહ્યું કે સવર્ણ જાતિની મહિલાઓ પહેરે છે તેવા વસ્ત્ર તે પણ પહેરી શકે.

મદ્રાસ હાઇકોર્ટના આદેશથી સામાજિક વિજ્ઞાનમાંથી આ ચેપ્ટર ઉડાવી દેવામાં આવ્યું. તેની પ્રતિક્રિયામાં IIT મદ્રાસના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે “આ પ્રકારનો વિવાદ કોઈ નવો નથી. જે તે સરકાર સત્તા પર આવે છે ત્યારે સંગઠિત જાતિઓ અને ધાર્મિક જૂથોના દબાણને લઈને પાઠ્યક્રમ ઘડતરમાં પરિવર્તન કરે છે. દરેક જૂથ વર્ગખંડમાં ઇતિહાસના સંવેદનશીલ મુદ્દાઓને ભણાવાય તેના પર ભાર મૂકે છે. આ પ્રકારના ઇતિહાસલેખનમાં સમુદાયોના ભવ્ય ભૂતકાળને દર્શાવવા ફેરફારો કરવામાં આવે છે. ઇતિહાસના ક્રમિક વિકાસમાં લિંગ અને જાતિ સંબંધો (gender and caste relations) સમજવા જરૂરી છે તેને ઇતિહાસમાંથી દૂર કરવા સરવાળે ઇતિહાસને જ નુકસાન છે. વર્ગમાં વિધાર્થીઓને વસ્તુલક્ષી ઇતિહાસ ભણાવવાથી વંચિત રાખવા એ સરકાર તરફથી કરવામાં આવતો મોટામાં મોટો અન્યાય છે.”

But in this process, very important historical events and insights that are highly relevant to understand historical evolution of gender and caste relations in India are erased. Denying the opportunity to learn objective history in classrooms is one of the greatest injustices that the government can do to students.” (India Today Web Desk, December 27, 2016.)

ઇતિહાસના પુનર્લેખનમાં વસ્તુલક્ષિતા અને પ્રમાણિક્તા જાળવવી જરૂરી છે. ઇતિહાસ માત્ર રંજન કરવા માટે નથી પણ કાળક્રમે માનવ સમાજે જે કાંઈ પણ સારું-નરસું કર્યું હોય તેને યથાતથ મૂલ્યાંકન કરવા પોતાની શ્રેષ્ઠતા કે ભદ્રતા દર્શાવવા ઇતિહાસને ભૂંસવો કે રદ્દ કરવો એ યોગ્ય નથી. આજે ઇતિહાસ સાથે સૌથી મોટા ચેડાં થઈ રહ્યા છે.

નાંગેલી વંચિત સમાજની મજૂરી કરી જીવન ગુજરાતી એક સામાન્ય સ્ત્રી હતી. પણ તેણે જે કાર્ય માટે બલિદાન આપ્યું જેમાં માનવીય અધિકાર અને મનુષ્ય સમાજના મૂળભૂત હકની વાત છે. તેના બલિદાનમાં સમતા, સ્વતંત્રતાની વાત છે તો બીજી તરફ સ્વમાન, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટેની મુહિમ જોવા મળે છે. અલાઉદ્દીનને શરણે ન જનાર પદ્માવતી સ્ત્રીઓનાં સન્માન અને ગૌરવનું પ્રતીક બને છે જ્યારે બહુજનસમાજની નાંગેલી, ફુલનદેવીના અપ્રતિમ કાર્યની નોંધ સુદ્ધાં લેવાતી નથી. આપણા દંભી અને પાખંડથી ભરપૂર હિન્દુ સમાજમાં સામાજિક પરિવર્તન અને સામાજિક બદલાવ માટે લડત ચલાવવી એટલે પત્થર સાથે માથું અથડાવવા જેવી બાબત છે કારણ કે હિન્દુ સમાજનો પાયો વર્ણવ્યવસ્થા છે અને તેનું સમર્થન શાસ્ત્રો દ્વારા કરવામાં આવેલું છે. વર્ણવ્યવસ્થાનું ઉલ્લંઘન એટલે ધર્મદ્રોહ અને ધર્મનું અપમાન. આ વ્યવસ્થાના લીધે સમાજ પર ચોક્કસ સમુદાયો અને જાતિઓનું વર્ચસ્વ સ્થપાયું અને બહુજન સમાજ પર તેમનું આધિપત્ય પણ સ્થપાયું. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ, શુદ્રો, અતિ-શુદ્રો પિસાવા લાગ્યા અને અનેક અમાનવીય બંધનો ખૂબ પ્રાચીન સમયથી તેમના પર લાગુ પાડવામાં આવ્યા. સામંતવાદ, પિતૃસત્તાત્મક ભારતીય સમાજમાં સ્ત્રીઓ, શુદ્રો, અતિ-શુદ્રોની સૌથી ખરાબ અને ભૂંડી હાલત થઈ છે. તેમાં પણ સ્ત્રીઓ અને તેમાં પણ દલિત-મૂલનિવાસી સ્ત્રીઓનું જીવન નર્કાગારથી કાંઇ ઓછું ન હતું.

આજના કેરળ પણ પહેલાનું ત્રાવણકોર રાજ્યના ચેરથાલા ગામમાં નાંગેલી અને તેનો પતિ ચિરુકંદન રહેતાં હતાં. તેના જન્મ વિષે માહિતી મળતી નથી પણ ૧૮૦૩માં તે મૃત્યુ પામી હતી. નાંગેલી એઝવા (Ezava) સમાજની હતી. એઝવા નિમ્ન જાતિ ગણવામાં આવતી.

નાંગેલી અને તેનો પતિ ચિરુકંદન એઝવા જાતિના હતાં અને તાડી ઉતારવાનું કાર્ય કરતાં. ખૂબ મહેનત કરી જીવન ગુજરાન ચલાવતા. તેમને કોઈ સંતાન ન હતું. ત્રાવણકોર રાજ્યમાં રાજા દ્વારા કેટલાક એવા વેરાઓ ઉઘરાવવામાં આવતા જે માનવીય ગરિમા અને સન્માનને ઠેસ પહોંચાડતા હતા. આજે સૌથી વધુ સાક્ષરતા દર કેરળમાં છે અને કેરળ ‘ભગવાનની પોતાની ભૂમિ’ (God’s own country) તરીકે ઓળખાય છે પણ આ એ જ કેરળ છે જ્યાં સ્ત્રીઓને ‘સ્તન કર’ (breast tax) ચૂકવવો પડતો.

આ સ્તન કર નિમ્ન જાતિની સ્ત્રીઓ પાસેથી લેવામાં આવતો. ‘એઝવા’ની સાથે અન્ય નિમ્ન ‘થિઆ’ (Thia), ‘નાદર’ (Nadar) જેવી જાતિઓએ પણ આ અન્યાયી વેરો આપવો પડતો. કહેતા કે લખતા પણ કલમ શરમાય એ પ્રકારની પ્રણાલી આ દેશમાં હતી. સ્તનના આકાર, ઘેરાવા પ્રમાણે વેરો લેવામાં આવતો. આ પ્રકારની પ્રણાલી માત્ર નિમ્ન જાતિની સ્ત્રીઓ માટે હતી. સ્ત્રી અપમાનની આ દાસ્તાનનો વિશ્વ ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. સ્ત્રીઓનાં અપમાનનું આનાથી બીજું કયું ઉદાહરણ હોઈ શકે?  નિમ્ન જાતિની સ્ત્રીઓ સવર્ણ સમાજ, સામંતી સમાજ માટે ઉપભોગ અને વાસનાસંતૃપ્તિનું સાધનમાત્ર બની રહી છે. અસ્પૃશ્યતા વંચિતોના માથે લખાયેલ એક કાયમી દુર્ગુણ છે તો અસ્પૃશ્ય મહિલાઓનું જાતિય શોષણ ભદ્રવર્ગ માટે લખાયેલ કાયમી ગુણ છે. અસ્પૃશ્યના સ્પર્શમાત્રથી અભડાઇ જતા આ ભદ્ર સમાજને અસ્પૃશ્ય મહિલાઓનું શોષણ કરવામાં અસ્પૃશ્યતા નથી નડતી બલકે તેમાં તેમની જાતિય શ્રેષ્ઠતા દેખાય છે. નિમ્નવર્ગીય સ્ત્રીઓનું જાતિય શોષણ એ એમને માટે ધર્મ છે, પ્રતિષ્ઠા સંસ્કાર છે.

ત્રાવણકોર રાજ્યમાં એવા તો અમાનુષી વેરાઓ હતા જેના વિષે જાણવું ખૂબ જરૂરી છે. રાજ્યમાં જમીન વેરાનો દર સામાન્ય હતો પણ અન્ય વેરાઓ દ્વારા રાજા પોતાની તિજોરી ભરતો. જમીનવિહોણા માછીમાર પાસેથી માછલીની નેટ પર વેરો લેવામાં આવતો, મૂછ રાખવી હોય એટલે કે પોતાના ચહેરા પર વાળ ઉગાડવા હોય તો પણ રાજ્યને વેરો આપવો પડતો, જો તમે ગુલામો ધરાવતા હોવ તો પણ તમારે ગુલામદીઠ વેરો આપવાનો, માથા પર પાઘડી પહેરવી હોય તો પણ વેરો આપવાનો.

નાંગેલી અને તેના સમાજની સ્ત્રીઓને બ્રેસ્ટ ટેક્સ આપવો પાડતો. સ્તન ઢાંકવા પર વેરો સ્ત્રી સન્માન અને તેના ગૌરવને ચૂરચૂર કરતો અન્યાયી વેરો હતો. વેરો પણ માત્ર નિમ્નવર્ણીય સ્ત્રીઓ પાસેથી જ લેવામાં આવતો. આ દર્શાવે છે કે નિમ્નવર્ણીય સ્ત્રીઓ જાણે કે મનુષ્ય જ નથી. જ્યાં ખાવાના સાંસા હોય ત્યાં શરીર પર કપડું લપેટવા વેરો ક્યાંથી આપી શકાય. સ્ત્રીઓ ઉપવસ્ત્ર ધારણ ન કરી શકતી અને કરવું હોય તો વેરો આપવાનો. આવા અમાનુષી વેરા સામે નાંગેલીએ અવાજ ઉઠાવ્યો. રાજ્યના માણસો ટેક્સ લેવા આવ્યા ત્યારે નાંગેલીએ કહ્યું કે હું વેરો નહીં આપું. અન્યાયી વેરાનો તેણે પ્રતિકાર કર્યો. તેના પ્રતિકારમાં વંચિત સ્ત્રીઓના બળવાની ગુંજ હતી. તેના પ્રતિકારમાં આત્મ-સન્માનની હાકલ હતી. તેના પ્રતિકારમાં સ્ત્રી સન્માન, સ્ત્રી ગૌરવની હાકલ હતી. તેના પ્રતિકારમાં વિશ્વની તમામ મહિલાઓનું સન્માન હતું, ગૌરવ હતું. તેના પ્રતિકારમાં જુલમી અને અમાનુષી પ્રથા સામે માનવ તરીકેની હયાતી તેમ જ સમાન અને પ્રકૃતિદત્ત અધિકારની ઝુંબેશ હતી.

નાંગેલીએ અન્યાયી અને અપમાનજનક રાજ્યવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા સામે બંડ પોકાર્યું. તેણે કહ્યું કે હું આ પ્રકારના અન્યાયી અને અમાનવીય વેરાનો વિરોધ કરું છું. આ બ્રેસ્ટ ટેક્સ ‘મુલક્કરમ’ તરીકે ઓળખાતો. નિમ્નવર્ગની સ્ત્રીઓ તરુણાવસ્થામાં પ્રવેશે તેનો રાજ્ય દ્વારા સર્વે કરવામાં આવતો અને ટેક્સ વસૂલવામાં આવતો. કેટલું દોજખભર્યું જીવન દલિત-શોષિત સ્ત્રીઓને ભોગવવું પડતું? કેવી અમાનુષી વ્યવસ્થા જેમાં સ્ત્રીઓને પોતાનું શરીર ખુલ્લું રાખીને જીવવું પડતું? પુરુષવર્ગની હસીમજાક અને કામુક નજર સામે આ મહિલાઓની દશા  કેટલી દયનીય અને સોચનીય હશે? એક એક પલ એક એક ક્ષણ આ મહિલાઓ મરતી હશે. પણ નાંગેલીને આ વ્યવસ્થા મંજૂર નહોતી. પલ પલ મરવા કરતાં સ્વમાન અને સન્માન માટે લડી લેવું તેને વધુ શ્રેયકર લાગ્યું. રાજ્યના અધિકારીઓ ઘરે ઘરે જઇ ટેક્સ વસૂલતા. નાંગેલીના ઘરે આવ્યા તો તેણે કહ્યું કે હું અન્યાયી વેરો નહીં આપું. સ્ત્રીઓના જીવન અને સન્માનને ચૂર ચૂર કરતા આ વેરા સામે મારો સ્પષ્ટ વિરોધ છે. અધિકારીઓએ કહ્યું આ તો રાજ્યનો આદેશ છે અને તું તેનો અનાદર ન કરી શકે. નાંગેલીએ પોતાનો વિરોધ યથાવત રાખ્યો અને અન્યાયી વેરાની વિરુદ્ધમાં તેણે પોતાના સ્તન કાપી નાંખીને અધિકારીઓને આપ્યા. અધિકારીઓ પણ સ્તબ્ધ રહી ગયા. લોહી વહેવાથી નાંગેલી જમીન પર ફસડાઇ પડી અને થોડીવારમાં મૃત્યુ પામી.

નાંગેલીની આ લડત અન્યાયી વ્યવસ્થા સામે હતી. તેની આ લડત સન્માન, સ્વમાન અને સ્વાભિમાન માટેની હતી. વેરો એક પ્રતિક છે પણ તેની લડત સ્ત્રી સન્માન માટે અપાયેલ ઉમદા બલિદાન છે. સ્ત્રીઓનાં સન્માન અને ગૌરવ માટે તેણે બલિદાન આપી દીધું. તેના મૃત્યુ બાદ તેનો પતિ પણ પણ મૃત્યુ પામ્યો. નાંગેલીના બલિદાનથી ત્રાવણકોર રાજ્યને આ સ્ત્રી સન્માનને હણતા વેરાને રદ્દ કરવો પડ્યો હતો. નાંગેલીની આ લડત અન્યાય અને અત્યાચાર સામેની હતી. નાંગેલી એક એવી સ્ત્રી હતી જેણે પોતાનાં સન્માન, આત્મ-ગૌરવ સાથે સમાધાન કર્યું ન હતું. વેરો આપીને અપમાનિત થઈને જીવિત રહેવા કરતાં સન્માન, ગૌરવને સાચવવા મોતને વહાલું કરનાર નાંગેલી વંચિતધારાના ઇતિહાસનું ક્રાંતિકારી પાત્ર છે.

એસોસિયેટ પ્રોફેસર, ઇતિહાસ વિભાગ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”,  [વર્ષ 13 • અંક : 138-139] મે – જૂન 2019; પૃ. 08-10 

Loading

ન્યાયતંત્ર અને ‘મી ટુ’ : બહુત નાઇન્સાફી હૈ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|12 May 2019

ખાનગી કે સરકારી કોઈપણ તંત્ર ગમે તેટલું અગત્યનું કે પવિત્ર કેમ ન હોય, છેવટે તે સમાજમાંથી આવતા માણસો દ્વારા ચાલે છે અને સમાજનાં વ્યાપક મૂલ્યોનું જ પ્રતિબિંબ પાડે છે. ઉચ્ચ હોદ્દેદારો વીણીચૂંટીને, ટકોરા મારીને પસંદ કરવામાં આવે છે. તેથી તેમની પાસે સમાજની સરેરાશ વ્યક્તિ કરતાં ઊંચી અપેક્ષા હોય છે. તેમનામાંથી કેટલાંક મૂલ્યો સમાજમાં ઉતરે એવું અપેક્ષિત હોય છે અને એ શક્ય છે. સાથોસાથ, સમાજનાં ઘણાંબધાં મૂલ્યો (કે તેનો અભાવ) ઉચ્ચ હોદ્દેદારોમાં દેખાય છે ને એવું વધારે જોવા મળતું હોય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સામેની ફરિયાદની જે દશા થઈ, એ તેનો તાજો અને સૌથી શરમજનક દાખલો છે.

અમેરિકા હોય કે ભારત, ન્યાયાધીશો સામે જાતીય સતામણીની ફરિયાદ કરવાનું અઘરું હોય છે. ન્યાયાધીશોની વિશેષ સત્તા અને તેમની કામગીરીને મળેલું ગુપ્તતાનું સંરક્ષણ પારદર્શકતાનું વિરોધી હોય છે. નિષ્પક્ષ ન્યાય માટે એ ઘણી હદે જરૂરી છે. છતાં, કોઈક વખત ખુદ ન્યાયાધીશ સામે ન્યાય મેળવવાની વાત આવે, ત્યારે એ નડતરરૂપ બને છે. અમેરિકામાં ન્યાયાધીશો અને અદાલતના બીજા અફ્સરો સામે ‘લો ક્લાર્ક’ કહેવાતાં સહાયકોની કઠણાઈ કાનૂની વર્તુળોમાં જાણીતી છે. જેમ બધા ન્યાયાધીશો – અફ્સરો ખરાબ નથી હોતા, તેમ બધા એકસરખા પણ ન જ હોય. ૨૦૧૭માં અમેરિકાના એક ન્યાયાધીશ એલેક્સ કોઝિન્સ્કી સામે ફરિયાદ થઈ. આરોપ એ હતો કે તે સહાયકો માટે અભદ્ર કહેવાય એવી ભાષામાં ટિપ્પણીઓ કરે છે અને તેમને અશિષ્ટ તસવીરો બતાવે છે.

આરોપોના પગલે જાગેલાં વમળો પછી આ વર્ષના માર્ચમાં, ન્યાયતંત્રના ૨૬ સભ્યોની બનેલી અમેરિકાની જ્યુડિશ્યલ કોનફરન્સે સુધારાત્મક પગલાંની જાહેરાત કરી. ન્યાયતંત્રની સીડીના સૌથી નીચલાં પગથિયે આવતાં, કાયદાના વિદ્યાર્થી તરીકે માંડ વર્ષ-બે વર્ષ માટે ‘લો ક્લાર્ક’ બનતા લોકો માટે ફરિયાદની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. લો ક્લાર્ક ઇચ્છે તો સત્તાવાર ફરિયાદ કર્યા વિના પણ આરોપો અંગે સત્તાધીશોનું ધ્યાન દોરી શકે, એવી જોગવાઈ કરવામાં આવી. ન્યાયાધીશો માટે કયું વર્તન અયોગ્ય કહેવાય તે ફોડ પાડીને નક્કી કરવામાં આવ્યું અને કોઈપણ પ્રકારના ફરિયાદી કે અદાલતના તંત્રના કોઈપણ સભ્ય સાથે કેવું વર્તન ન કરી શકાય, તેની સ્પષ્ટતા કરવામાં આવી. આ નિયમો ન્યાયાધીશો ઉપરાંત અદાલતના બીજા અધિકારીઓને પણ લાગુ પડશે.

અમેરિકામાં અત્યાર સુધી એવો કાયદો હતો કે ન્યાયાધીશની ચેમ્બરમાં શું થયું તે જાહેર કરી શકાય નહીં. ચેમ્બરમાં જાતીય સતામણીની કે દુર્વ્યવહારની ફરિયાદ હોય તો પણ, ફરિયાદ કરવા જતાં કાયદાના ભંગ બદલ ગુનેગાર બનવાની સ્થિતિમાં મુકાવું પડે. તેમાં પણ ચોક્કસ શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી. આવા કિસ્સા વેળાસર ઓળખીને તેની સામે કેવી રીતે અવાજ ઉઠાવવો તેની તાલીમ લો ક્લાર્ક સહિતના સ્ટાફ્ને આપવાનું પણ નક્કી થયું છે. ઘણા લોકોને આટલાં પગલાં અપૂરતાં લાગ્યાં છે. બધો આળીયોગાળીયો ફરિયાદીને તૈયાર કરવા ને તાલીમ આપવા પર નખાયો હોય એવું પણ કેટલાકને લાગે છે. છતાં, રાષ્ટ્રીય સ્તરે ન્યાયતંત્રમાં જાતીય દુર્વ્યવહારની સંભાવનાનો સ્વીકાર અને તેના ઉકેલની દિશામાં કંઈક પ્રગતિ થઈ છે.

ન્યાયતંત્રના કોઈ સભ્ય, ખાસ કરીને ન્યાયાધીશ સામે ફરિયાદની મુશ્કેલી એ છે કે તેમાં વ્યક્તિ અને તંત્રને સગવડપૂર્વક એકરૂપ કરી નાખવામાં આવે છે. એટલે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામે થયેલી ગંભીર ફરિયાદની વાત કરવામાં ‘ન્યાયતંત્ર ખતરે મેં’ અથવા ‘મુખ્ય ન્યાયાધીશની કચેરી સામે કાવતરાં’ જેવી ભાષા વપરાવા લાગે છે. ખુદ મુખ્ય ન્યાયાધીશે પણ ફરિયાદની કશી તપાસ વિના, પોતે જ પોતાની સામેની ફરિયાદમાં કાજી બનીને જાહેર કરી દીધું કે આ તેમની સામેનું કાવતરું છે અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા પરનો પ્રહાર છે.

જાતીય દુર્વ્યવહારના આરોપ દરેક કિસ્સામાં સાચા નથી હોતા. પરંતુ એટલા માત્રથી અને જેમની સામે આરોપ કરવામાં આવ્યા છે તે દેશના ન્યાયતંત્રનો સર્વોચ્ચ હોદ્દેદાર હોવાથી, ફરિયાદને તપાસ્યા વિના કચરાટોપલી ભેગી કરી દેવાનું સદંતર અયોગ્ય છે. કુદરતી ન્યાયના પ્રાથમિક નિયમનો તેમાં ભંગ થાય છે. કોઈ પણ ચીલાચાલુ નેતાની જેમ મુખ્ય ન્યાયાધીશ આરોપના જવાબમાં ‘આ તો મારા વિરુદ્ધનું કાવતરું છે’ એવું પોતાના હોદ્દે ચાલુ રહીને કહે, ત્યારે તે વધારે આઘાતજનક લાગે છે.

મુખ્ય ન્યાયાધીશ સામેની ફરિયાદમાં મહિલાએ એકાંતમાં થયેલા અને સંદેહાસ્પદ લાગતા દુર્વ્યવહારના અદ્ધરતાલ આરોપ ઉછાળી મૂક્યા હોય એવું નથી. ૨૮ પાનાંના સોગંદનામામાં આખો ઘટનાક્રમ વિગતે આલેખવામાં આવ્યો છે. ફરિયાદી મહિલાના સોગંદનામાની વિગતો વાંચીને મગજ બહેર મારી જાય એમ છે. ‘દોષી પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ’ એવા સિદ્ધાંત પ્રમાણે મુખ્ય ન્યાયાધીશને નિર્દોષ માનવાનો વાંધો નથી. પરંતુ તે મુખ્ય ન્યાયાધીશ છે એટલા ખાતર તેમને નિર્દોષ માની લેવામાં ન્યાયના મૂળભૂત સિદ્ધાંતનો ભંગ થાય છે. કેમ કે, સિદ્ધાંત પ્રમાણે ન્યાયની સામે સૌ સરખા છે. સોગંદનામા પર કરાયેલી ફરિયાદ પછી એફ.આઇ.આર.થી માંડીને તપાસ અને કેસ સુધીના તબક્કા હોય છે, જે આ કિસ્સામાં જોવા મળતા નથી. સોગંદનામામાં એવી ઘણી વિગતો છે, જેમાં બીજા લોકો સંકળાયેલા હોય અને જેની ખરાઈ સહેલાઈથી ચકાસી શકાય એમ હોય. પરંતુ આ લખાય છે ત્યારે મુખ્ય ન્યાયાધીશ મહોદયને તપાસસમિતિ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે – અને તે પણ ફરિયાદની ગેરહાજરીમાં એકપક્ષીય કાર્યવાહી ચલાવીને. તપાસસમિતિમાં સર્વોચ્ચ અદાલતના ત્રણ-ત્રણ ન્યાયાધીશો સામે રજૂઆત કરવાની હોય અને તેના માટે ફરિયાદીને એક વકીલ કે સાથીની મદદ પણ આપવામાં ન આવે, ઉપરથી એવું કહેવામાં આવે કે સમિતિ સમક્ષ જે વાત કરી હોય તે બહાર કોઈને, તમારા વકીલને પણ, નહીં કહેવાની અને અમારી આખી કાર્યવાહીમાં તમે શું જુબાની આપી, તેનો કોઈ અહેવાલ તમને નહીં મળે … દેશના સર્વોચ્ચ ન્યાયસ્થાને રચેલી સમિતિ માટે આવી વર્તણૂક શરમજનક અને સર્વોચ્ચ અદાલતની ગરિમા હણનારી છે. અગાઉ સ્વતંત્રકુમાર અને અશોક ગાંગુલી જેવા નિવૃત્ત ન્યાયાધીશોના કિસ્સામાં આવા આરોપો પછી ભીનું સંકેલાઈ ગયું હતું, આ વખતે હમણાં સુધીનો ઘટનાક્રમ એ જ દિશા સૂચવે છે. પરંતુ આ કિસ્સો તેના ર્તાિકક, ન્યાયી અંત સુધી નહીં પહોંચે તો તે દેશના ન્યાયતંત્ર માટે કાયમી કલંકરૂપ બની રહેશે અને તેની જવાબદારી પ્રસાર માધ્યમોની કે ફરિયાદી મહિલાની નહીં, ન્યાયના મંદિરમાં બેસીને ન્યાયના રસ્તે નહીં ચાલનાર સત્તાધીશોની હશે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય :  ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 મે 2019

Loading

તમે બીજા માણસની સ્વતંત્રતાની કેટલી કદર કરો છો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2019

હું એવું દ્રઢપણે એમ માનું છું કે દરેક સમાજને સમાજની અંદર આંતરિક સુધારાઓ કરવા દેવાની તક આપવી જોઈએ. ૧૮૫૭માં વિદ્રોહ થયો એનું એક કારણ અંગ્રેજોએ હિંદુ સમાજમાં સુધારાવાદી હિંદુઓની પહેલથી સુધારાઓ કરવા દેવાની જોઈતી તક આપ્યા વિના પોતાની મેળે જ સુધારાઓ કરવા માંડ્યા અને ઉપરથી લાદવા માંડ્યા એ હતું. કાયદાકીય સુધારાઓ કાયદાપોથીમાં જ રહેતા હોય છે અને પ્રબોધન અને સમજાવટ પછી કરવામાં આવતા સુધારાઓ લોકો અપનાવતા હોય છે. એ પછી એવો સમય આવી શકે છે જ્યારે કાયદો કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. જેમ કે માણસે માણસનું ભક્ષણ ન કરવું જોઈએ એવો કોઈ કાયદો જગતમાં કોઈ જગ્યાએ છે?

ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે એક સરખા નાગરિક કાયદા અને એવી કેટલીક બાબતો આપણા વડીલોએ ભાવિ પેઢી પર છોડી હતી. તેમને કહેવામાં પણ આવ્યું હતું કે તેમણે પોતાના સમાજની અંદર અને વ્યાપક અર્થમાં દેશની અંદર લોકપ્રબોધન દ્વારા સર્વસંમતિ બનાવવાની છે. સમાજ તૈયાર થઈ જશે એ પછી જે ચીજ છૂટી ગઈ છે તેને બંધારણનું અને કાયદાનું અંગ બનાવવામાં આવે. સમાજ એક શક્તિશાળી વગદાર અંગ છે એ હકીકતનું ભાન માર ખાધા પછી અંગ્રેજોને થયું હતું અને આપણું બંધારણ ઘડનારાઓએ એની જાણ હતી. 

સમાજ એક શક્તિશાળી વગદાર એકમ છે અને તેની પોતાની પરિવર્તનની ગતિ હોય છે એ વાત સાચી, પરંતુ જો કોઈ સમાજમાં જોઈએ એવો કોઈ પ્રયત્ન જ ન થતો હોય અને દરેક વખતે સુધારાની વાત આવે એટલે બંધારણે આપેલા ધર્મસ્વાતંત્ર્યના અધિકારનો અને ભારતના લોકતાંત્રિક સેક્યુલર ઢાંચાની યાદ અપાવીને તેનો આશ્રય લેવામાં આવે એ ક્યાં સુધી વ્યાજબી છે? રાષ્ટ્રમાં જેમ સમાજ એક શક્તિશાળી, વગદાર, ધબકતું, ગતિમાન અને જીવંત એકમ છે તો વ્યક્તિ પણ એક ધબકતી, ગતિમાન અને જીવંત એકમ છે. વ્યક્તિ એકલ વ્યક્તિ હોવાને કારણે તેમાં શક્તિ અને વગનો અભાવ હોય છે. જો કે એમાં પણ ગાંધીજીએ કહ્યું છે એમ આત્મબળ અને આપભોગની શક્તિ હોય તો સો હાથીની તાકાત પણ તેને હલાવી શકતી નથી.

સવાલ એ છે કે સમાજની વાત સાંભળવી જોઈએ તો વ્યક્તિની શા માટે નહીં? રાષ્ટ્રનો, રાજ્યનો અને બૃહદ સમાજનો એ ધર્મ છે. માનવીએ સમાજ રચ્યો છે, સમાજે માનવીનું સર્જન નથી કર્યું. ધર્મ, જ્ઞાતિ કે બીજી કોઈ ઓળખના નામે સમાજો રચાતા હોય છે. રચાયેલા સમાજના રીતિરીવાજો દરેક યુગમાં અને દરેક પ્રદેશમાં કાયમ માટે પ્રાસંગિક હોય એ જરૂરી નથી. જ્યારે જે તે સમાજના લોકોને એમ લાગે કે ચોક્કસ રીતિરિવાજ તેમને અન્યાય કરનારા છે અથવા બદલાતા સમય સાથે વિસંગત છે અને તેઓ તેમાં પરિવર્તન કરવાની માગણી કરે ત્યારે સમાજના ડાહ્યા લોકોએ તેમના વિચારો કાને ધરવા જોઈએ. જગત આખામાં દરેક સમાજમાં સુધારાઓ એકલ દોકલ વ્યક્તિ દ્વારા અને તેમના રચાતા સમૂહો દ્વારા નીચેથી થયા છે ઉપરથી નથી થયા. જે ઉપર હોય તેને પરિવર્તનનો ખપ હોતો નથી, ઊલટું પરિવર્તન ન થાય અને યથાવત સ્થિતિ જળવાઈ રહે તેમાં તેમના સ્થાપિત હિત હોય છે.

બને છે એવું કે દબાયેલા અને ગુંગળામણ અનુભવનારા લોકો જ્યારે કેટલાક રિવાજો સામે પ્રશ્ન કરે છે ત્યારે તેમને આપણો સમાજ કેટલો પ્રાચીન છે અને કેટલો મહાન છે એની યાદ અપાવવામાં આવે છે. અરે ભાઈ જે પરિવર્તન ઈચ્છે છે એનું શું? એ પરિવર્તન એટલા માટે ઈચ્છે છે કે તેમને પ્રસ્થાપિત વ્યવસ્થાની કિમત ચૂકવવી પડે છે. કેટલાક વળી મોટા સમાજ સુધારાને વરેલા નથી, પણ તેમને કોઈક ચીજ પસંદ નથી. તેમને પરિવર્તનનો અથવા આઝાદીપૂર્વક પોતાની રીતે જીવવાનો અધિકાર ખરો કે નહીં?

ધારો કે કોઈ પુરુષ સમલિંગી હોય અને સમલિંગી સાથે સંબંધ રાખવા માગે છે, અથવા કોઈ મુસ્લિમ યુવતીને બુરખો નથી પહેરવો કે પછી કોઈ હિંદુ સ્ત્રી ઘૂંઘટ દ્વારા મોઢું ઢાંકવા નથી ઈચ્છતી અથવા બ્રાહ્મણ યુવતી કોઈ દલિતને પરણવા માગે છે, અથવા કોઈ બહોરા યુવતી ખટના કરાવવા નથી માગતી અથવા કોઈ હિંદુ ઈચ્છે કે તેને દફનાવવામાં આવે કે કોઈ મુસલમાન ઈચ્છા વ્યક્ત કરે કે તેને અગ્નિદાહ આપવામાં આવે. રોજ મંદિરે દર્શન કરવા જતી સ્ત્રી માસિકપાળીમાં પણ મંદિરમાં જવા માગે છે કારણ કે માસિક ધર્મ એ અપીવિત્ર નથી. તો આ લોકોને તેમની રીતે જીવવાનો અને મરવાનો અધિકાર ખરો કે નહીં? આ તો ભારતના સંદર્ભમાં આપેલા થોડા દાખલાઓ છે, બાકી જગતમાં વ્યક્તિ કે નાનકડા સમૂહના ઘણા આવા પ્રશ્નો છે જેના વિષે સમાજના શક્તિશાળી લોકો અસંવેદનશીલ વલણ ધરાવે છે. કારણ કે સમાજ શક્તિશાળી અને વગદાર છે એટલે રાજ્ય વચ્ચે પડીને બહુ છંછેડવાની હિંમત નથી કરતું. જે વગદાર અને શક્તિશાળી છે એ સમાજ નામના પીરામીડ પર ઉપર બેઠેલા લોકો છે, સમાજ નથી. આમ રાજ્ય સમાજના કબજામાં છે અને સમાજ વગદાર લોકોના કબજામાં છે. ગૂંગળાય એ છે જે ઉપર કહ્યા એવા લોકો છે. તેઓ પોતાની રીતે પોતાનું જીવન જીવવા માગે છે અને મરવા માગે છે.

રાજ્યના અને સમાજના વગદાર લોકોની વાત જવા દો, આપણું વલણ કેવું છે? આપણે નામના સમૂહને પણ જવા દો, વ્યક્તિગત રીતે તમારું પોતાનું વલણ કેવું છે? ઉપર કહ્યા એવા એક એક પ્રશ્ન તપાસતા જાવ અને તમારા વલણને ચકાસતા જાવ. તમે જો સમલિંગી નહીં હો અને રોમેરોમમાં નખશીખ ઉદારમતવાદી પણ નહીં હો તો તમને સમલિંગીઓની માગણી અનુચિત લાગશે, પણ તમે જો સમલિંગી હશો તો તમને આવી માગણી વાજબી લાગશે. બીજી બાજુ એવું પણ બને કે બ્રાહ્મણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવા માગે તો તેનો વિરોધ પણ કરો.  તમે જો નખશીખ ઉદારમતવાદના સંસ્કાર નહીં પામેલા હિંદુ હશો તો તમને બુરખો નહીં પહેરવાની મુસ્લિમ યુવતીની માગણી બહુ ઉચિત લાગશે; પરંતુ હિંદુ સ્ત્રીએ કેટલીક મર્યાદા જાળવવી જોઈએ અને સ્ત્રી પરિવારની પોષક હોવાથી પરિવારોને તૂટતા બચાવવા જોઈએ એમ કહેશો. તમે જો દલિત હશો તો બ્રાહ્મણ યુવતીની દલિતને પરણવાની ઈચ્છા તેનો અધિકાર લાગશે, પણ જો બ્રાહ્મણ હશો તો તેમાં સંસ્કારોના પ્રશ્નો કરશો. આવી રીતે એક એક કરીને ઉપરના પ્રશ્નો તપાસો અને તમે કેટલા ઉદાર છો એ તપાસી જુઓ.

પ્રામાણિકતાથી એક એક પ્રશ્ન લઈને તમે તમારા વલણને ચકાસો. આના દ્વારા તમને ખ્યાલ આવશે કે તમે કેટલા માણસ છો. બીજા માણસની સ્વતંત્રતાની જે કદર કરે એ માણસ.

10 મે 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 મે 2019

Loading

...102030...2,7942,7952,7962,797...2,8002,8102,820...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved