Opinion Magazine
Number of visits: 9576626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાતિવાદનું ઝેર અને બહુજન સમાજની પાયલ તડવીની હત્યા

હરપાલ રાણા|Opinion - Opinion|18 August 2019

મજબૂત, હિમ્મતવાન પાયલ તડવીની જાતિના મહા-ભોરિંગ સામે હાર થઈ અને જાતિવાદના ઝેરે તેની હત્યા જ કરી નાંખી. આજના ‘New India’માં જાતિવાદ, ઊંચ-નીચ તેની ચરમસીમા પર છે. મુથ્થુકૃષ્ણન્‌, રોહિત વેમુલાને પણ આ જ જાતિવાદી, વર્ચસ્વવાદી સંસ્કૃતિએ જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. કૃષ્ણન્‌ JNUનો સ્કૉલર હતો અને કહેવું પડ્યું કે અસમાનતા, અન્યાયે તેના સ્વપ્નોને તોડી નાંખ્યા છે. સમાનતા જેવુ કશું જ નથી તેવું તેણે અનુભવ્યું અને અન્યાયી વ્યવસ્થા સામે મોતને વહાલું કર્યું હતું. હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીના Ph.D. (UGC JRF પાસ) સ્કૉલર રોહિત વેમુલાએ પણ કહ્યું કે વ્યક્તિની કિંમત માત્ર વોટ, વસ્તુ બની ચૂકી છે. સામાજિક ન્યાય અને સમતાના સમર્થક આ દીવડાઓ જાતિવાદ, જાતિભેદ, અન્યાયી વયવસ્થાની લડાઈમાં અકાળે બુઝાઇ ગયા. આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ ? કેવા પ્રકારની માનસિકતામાં સબડી રહ્યા છીએ ? શું આ દેશ દલિતો, આદિવાસીઓ અને પછાત સમાજનો નથી ? શું આમ જ એકલવ્યો, શંબૂકોના વધ થતાં જ રહેશે ? શું આમ જ મુથ્થુકૃષ્ણન્‌, રોહિત, પાયલ જેવા બહુજનસમાજનાં હોનહાર વિદ્યાર્થીઓનો બલિ લેવાતો જ રહેશે ?

આ દેશને જાતિવાદના મહાદૂષણથી જેટલું નુકસાન થયું છે તેટલું બીજા કશાયથી થયું નથી. જાતિવાદ હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે. જાતિ વિનાનો કોઈ હિન્દુ ન હોઈ શકે અને હિન્દુ હોય એ જાતિ વિનાનો કદાપિ ન હોઈ શકે. હિન્દુ ધર્મ જ જાતિવાદ અને વર્ણ-વ્યવસ્થા પર આધારિત છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે કે “એક હિન્દુ માટે તેની જાતિ જ તેનો સમાજ છે. તેની જવાબદારી માત્ર તેની જાતિ પ્રત્યે છે. તેની વફાદારી તેની જાતિ સુધી સીમિત છે. સદ્દગુણ જાતિથી બંધાયેલા છે અને નૈતિકતા જાતિ સાથે ઘેરાયેલી છે. સુપાત્રો માટે કોઈ સહાનુભૂતિ નથી.” (ડૉ. આંબેડકર, પૃ. ૭૬) આ જ જાતિવાદના લીધે ૧૭ જાન્યુઆરી ૨૦૧૬માં રોહિત વેમુલા, પીએચ.ડી. સ્કૉલરે આત્મહત્યા કરવી પડી તો હમણાં ૨૨ મે ૨૦૧૯ના રોજ ડૉ. પાયલ તડવીને જાતિય ભેદભાવ અને અસહ્ય માનસિક પરિતાપના લીધે મોતને અકાળે ગળે લગાડવું પડ્યું.

જાતિવાદના બે પ્રકાર છે એક શારીરિક અત્યાચાર અને બીજું માનસિક ત્રાસ. શારીરિક અત્યાચારમાં મેલું ઉપડાવવું, ગંદા કામમાં જોતરી રાખવા, મળ-મૂત્ર ખાવા મજબૂર કરવા, અંગ-છેદન કરવું, નગ્ન ફેરવવા, બળાત્કાર કરવો વગેરે. જ્યારે માનસિક ત્રાસમાં અભદ્ર-અપમાનજનક શબ્દો દ્વારા જાતિય ટિપ્પણી કરવી, દ્વિઅર્થી શબ્દો દ્વારા માનહાનિ કરવી, વાણી-વર્તન-શબ્દ દ્વારા નિમ્ન હોવાનો ભાવ ઊભો કરવો, ‘અનામત’, ‘RESERVATION’ શબ્દ પ્રયોગ કરવો, ‘રીઝર્વ કેટેગરી’ – ‘મેરીટ વગરના’ – ‘અનામતિયાઓ’ જેવા શબ્દો દ્વારા આત્મ-સન્માનને ઠેસ પહોંચાડવી વગેરે વગેરે.

પાયલ તડવી જેવી હોનહાર, કાબેલ ગાનેકોલોજિસ્ટને એટલી હદ સુધી માનસિક ત્રાસ આપ્યો, અત્યાચાર કર્યો કે છેવટે તેણે આત્મહત્યા કરી લેવી પડી. પાયલની સાથે ભણતી સહાધ્યાયી ડોક્ટર મહિલાઓએ તેના ઉપર જાતિવિષયક એટલા બધા તીવ્ર પ્રહારો કર્યા, અને બેહદ અપમાન કર્યું કે એક આદિવાસી ભીલ દીકરીએ પોતાની જાન આપી દીધી. હકીકતે પાયલની આ એક હત્યા જ છે, ખૂન છે. ઉચ્ચ શિક્ષણ મેડિકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ડૉક્ટરી વ્યવસાય સ્વીકારી લોકોની જિંદગી બચાવવા જોડાતા હોય છે. પણ જ્યારે એ જ વ્યવસાય/શિક્ષણ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જ દેશના ભાઈઓ-બહેનો (દલિતો, આદિવાસીઓ) સાથે એટલો બધો ક્રૂર અને ઘાતકી વ્યવહાર કરવામાં આવે છે જેનાથી સદીઓથી શોષિત અને દબાયેલા બહુજનો મૃત્યુની કગાર પર પહોંચી જાય છે.

“મહારાષ્ટ્ર સમતા અને ન્યાયનું સ્વપ્ન જોનારા જોતિબા ફુલે, શાહુજી અને ડો. આંબેડકરની જન્મભૂમિ-કર્મભૂમિ છે, પરંતુ આ વર્ણ-જાતિ વ્યવસ્થા ને તેનાથી પેદા થનાર અન્યાયોના સમર્થક રામદાસ, તિલક, સાવરકર અને ગોડસે જેવા ચિત્તપાવન બ્રાહ્મણોની જન્મભૂમિ-કર્મભૂમિ પણ છે. આ ક્રૂર પેશવા બ્રાહ્મણોની ભૂમિ પણ છે, જેમણે અતિ શૂદ્રોને ગળામાં હડ્ડીઓ અને કમરમાં ઝાડુ બાંધીને ચાલવા માટે ફરજ પાડી હતી. તેઓ મહારો, માંગો અને ચમારોના માથા કાપીને દડો બનાવી રમતા હતા. આ જ ચિત્તપાવન બ્રાહ્મણોની પરંપરાએ એક આદિવાસી દીકરી અને તેનાં ખૂબસૂરત સ્વપ્નાંઓની હત્યા કરી દીધી છે. ફુલે, શાહુજી અને ડો. આંબેડકરની દીકરી અને તેના સ્વપ્નોની કરી નાંખી છે.” (National India News, June ૪, ૨૦૧૯) ૧૯ મી સદીમાં બહુજનસમાજની સામાજિક ક્રાંતિમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર જોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેની સ્કૂલમાં ભણતી અસ્પૃશ્ય માંગ સમાજની ૧૪ વર્ષની દીકરી મુક્તા સાલ્વે ૧૮૫૫માં ‘માંગ અને મહારના દુ:ખ’ નામે નિબંધ લખે છે જેમાં તે અસ્પૃશ્યો બહુજનોની દયનીય સ્થિતિનો ચિતાર આપે છે. આજે ૨૧ મી સદીના ‘New India’માં તેની વાત કેટલી યથાર્થ લાગે છે કારણ કે આજે પણ જાતિવાદ, ભેદભાવ એટલો જ પ્રબળ છે તો બીજી તરફ સંકુચિત હિન્દુવાદ એટલો જ ભયાનક છે. મુક્તા કહે છે કે, “હે વિદ્વાન પંડિતો તમારા ખોખલા ડહાપણની સ્વાર્થી વાતોને બંધ કરો અને હું કહું છું તે સાંભળો. બ્રાહ્મણોએ આપણને એટલા બધા પતિત બનાવ્યા છે કે તેઓ અમારા જેવા લોકોને ગાયો અને ભેંસો કરતાં પણ નિમ્ન ગણે છે.”

પાયલ તેના ભીલ (તડવી) આદિવાસી સમાજમાંથી મેડિકલ ક્ષેત્રે પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી પહોંચનાર પ્રથમ વિદ્યાર્થીની હતી. ૩૦ વર્ષ પછી ભીલ-તડવી સમાજમાંથી કોઈ વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ સુધી પોંહચી હતી. પણ જાતિવાદ, ઊંચ-નીચમાં માનનાર ભદ્ર સમાજને આ મંજૂર આજે પણ નથી કે દલિતો, આદિવાસીઓ તેની સમકક્ષ બેસે, નોકરી કરે અને સન્માનથી જીવે. ‘લંડન ક્રોસ કલ્ચરમાં શુશ્રુત જાધવ મનોચિકિત્સક છે. તેમનો ઇન્ટરવ્યુ એક મેગેઝિનમાં છપાયો હતો જેમાં ભારતમાં મેન્ટલ થિયરીની સમજ કેવા પ્રકારની છે તેની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે આ વિષય સાંસ્કૃતિક અને બૌદ્ધિકરૂપથી ‘corrupt’ બની ચૂક્યો છે, ખોખલો બની ચૂક્યો છે. ભારતમાં જાતિને લઈને જે માનસિક સંતાપ – ત્રાસ આપવામાં આવે છે જેનાથી પીડિત – શોષિત સમાજ પર કેવી વિપરીત અસર પડે છે તેને નજરઅંદાજ કરવામાં આવે છે. જાતિને લઈને વ્યક્તિના દિલોદિમાગ પર કેવી અસર પડે છે, તેના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે. મનોચિકિત્સકની દુનિયામાં જાતિને લઈને વ્યક્તિના જીવન – માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે તેને લઈને કોઈ અભ્યાસ જ થતાં નથી’ (Prime Time with Ravish Kumar, May ૨૯, ૨૦૧૯).

તાજેતરમાં C/ST/OBC સમાજના વિદ્યાર્થીઓને તેમના જખમો અને પીડાઓથી ઉગારવા BLUE DAWN નામની સંસ્થા શરૂ થઈ છે. આ એક સહિયારા પ્રયાસ દ્વારા શરૂ થયેલ સામુદાયિક નેટવર્ક છે જે પછાત જાતિઓ માટે શાનદાર કામ કરી રહ્યું છે. તેમાં દિવ્યા કંદપુરીનો એક વીડિયો છે, જેમાં તે દલિત-પીડિત-આદિવાસી વિદ્યાર્થીઓની વાત કરે છે. દિવ્યાએ Prime Timeમાં રવીશ કુમાર સાથેની ચર્ચામાં કહ્યું કે “આપણે રોજબરોજની વાતમાં કે ચર્ચામાં પીડિત સમુદાયના વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓને જાણે-અજાણે અપમાન કરતા હોઈએ છીએ. જેમ કે તું કમિનો છે, તું કમિની છે, તમે ભંગી છો, તમે અનામતવાળા કેટલા ભાગ્યશાળી છો, તમને કેમ જલદી નોકરી મળી જાય છે. ૯૦% લોકો આ પ્રકારના શબ્દો બોલે છે. નાનપણથી તમને ‘લાયકાત વિહોણા’ (Meritless), ‘યોગ્યતા વિનાના ઉમેદવાર’ (Under serving Candidate) કહીને અપમાનિત કરવામાં આવે છે. આ પ્રકારનાં વાણી-વર્તન કુમળી વયના દલિત-આદિવાસી બાળકો પર કેવી અસર થતી હશે.” વધુમાં દિવ્યાએ કહ્યું કે “મેં દેશની નામાંકિત શ્રીરામ લેડી કોલેજ, દિલ્લીમાં નવીન આશાઓ, અરમાનો, કાંઈક નવું શીખવાના આશયથી પ્રવેશ મેળવ્યો. પ્રવેશ સમયે મારે ૯૭% પર્સન્ટેજ હતા. આમ છતાં સહાધ્યાયીઓ કહેતા કે તમને SC/ST/OBC લોકોને તો અનામતના લીધે સરળતાથી પ્રવેશ મળી જાય છે. કોલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે SC/ST‌અધ્યાપકો હિન્દીમાં ભણાવે છે. પ્રિન્સિપાલ ક્લાસમાં તમામ વિદ્યાર્થીઓ સમક્ષ કહે છે કે અમે શું કરીએ અમારે તો એસસી/એસટી રીસર્વેશન પોલિસીને અનુસરવી પડે છે. એક સંસ્થાના આચાર્ય આ પ્રકારે ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ કહે છે ત્યારે ત્યાં બેઠેલા SC/ST/OBC સમાજના વિદ્યાર્થીઓને કેટલો બધો માનસિક આઘાત લાગે છે. મને પણ ખૂબ આઘાત લાગ્યો હતો.” (Prime Time with Ravish Kumar, May ૨૯, ૨૦૧૯)

પાયલ તડવી કે જેણે ડોક્ટર બનવાના અને જલગાંવમાં આદિવાસી ભીલ સમાજની સાથે સમાજના હરેક વ્યક્તિને મદદરૂપ થવા પતિ સલમાનની સાથે હોસ્પિટલ ખોલવાનું શમણું સેવ્યું હતું. પણ શમણું સાકાર થાય એ જાતિવાદી માનસિકતા ધરાવનારાઓને સહેજે મંજૂર નહોતું. પાયલની જ સિનિયર ડોક્ટર – ડો. અંકિતા ખાંડેલવાલ, ડો. હેમા આહુજા, ડો. ભક્તિ મેહરે વગેરેના જાતિવાદી માનસિક ત્રાસ સામે પાયલ હિમ્મત હારી ગઈ અને આ સાથે એક સમાજસેવી ડો. પાયલ ફાની દુનિયા છોડી ચાલી ગઈ. પાયલની માતા આબેદા કહે છે કે “પાયલ ખૂબ આત્મવિશ્વાસુ હતી. મેં તેને ક્યારે ય ગુસ્સે થતી જોઈ નથી. પણ પી.જી. હોસ્ટેલમાં પ્રવેશ બાદ તે બદલાઈ ગઈ હતી.”

પાયલ શરૂઆતમાં હોસ્ટેલમાં ડો. ભક્તિ મેહરે સાથે રહેતી હતી. આબેદા કહે છે “ભક્તિ ખાટલામાં સૂતી જ્યારે પાયલ ભોંયતળીએ સૂતી. ભક્તિ તેના પગ પાયલની ચાદર પર લૂછતી એટલે પાયલે બાજુના રૂમમાં સૂવા લાગી જેથી ભક્તિ સાથે સંઘર્ષ ટાળી શકાય.” (Indian Express, p. 7, June ૨, ૨૦૧૯) ત્રણેય ડોક્ટર મહિલાઓના ત્રાસથી પાયલ કંટાળી ગઈ હતી. પતિ સલમાને કહ્યું કે તે ફરી કામ માટે ત્યાં જવા તૈયાર નથી. આથી સલમાન પાયલના વિભાગીય વડા ડૉ. એસ.ડી. શિરોડકરને મળી ફરિયાદ કરી એટલે પાયલને બાળકોના વિભાગમાં બે મહિના માટે ફેરવવામાં આવી. મેડમે શો-કોઝ નોટિસ આપી હતી અને કહ્યું કે પોતે પાયલના કામથી ખુશ હતા. ફેબ્રુઆરી ૨૦૧૯માં જ પુનઃ પાયલને તેના જૂના ગાયનેક વિભાગમાં પાછી નિમણૂક કરી. અહીં પહેલાંની જેમ ત્રયેય સિનિયર ડોક્ટર્સ ફરી પાછા માનસિક રીતે પરેશાન કરવાનું કામ શરૂ કરી દીધું. તેઓ પાયલને કામને લઈને વારંવાર ઠપકો આપતાં, પ્રસૂતિઓ કરવા દેતાં ન હતાં તથા ધમકી આપી કે અમે તારો અભ્યાસ પૂર્ણ નહીં થવા દઈએ. આમ ગાયનેક વોર્ડમાં પાછા ફર્યા બાદ પાયલ પર ખૂબ માનસિક ત્રાસ વધી ગયો હતો. સલમાન કહે છે કે “ગાયનેકોલોજી યુનિટના હેડ ડો. વાય.આઈ. ચિંગ લિંગને આ અંગે ફરિયાદ કરી હતી. પણ એંટી-રેગિંગ રિપોર્ટ જણાવે છે કે ટી.એન. ટોપીવાલા મેડિકલ કોલેજ કે જે.બી.વાય.એલ. નાયર હોસ્પિટલ સાથે જોડાયેલ છે, ચિંગ લિંગે આ બાબતમાં કોઈ જ પગલાં લીધા ન હતા.” IE, ૨/૬/૧૯)

પાયલની સંસ્થાગત હત્યા દર્શાવે છે કે આજે પણ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એસી સી/એસ ટી/ઓ બી સી વિદ્યાર્થીઓ પ્રત્યે જાતિય ભેદભાવ રાખવામાં આવે છે. તેમને નિરુત્સાહ કરવા માટે ચોક્કસ પ્રકારે ષડયંત્ર ચાલે છે. મેડિકલ જેવા નામી ક્ષેત્રમાં પણ પાયલ તડવી, નસીમા તડવી જેવી ડોક્ટર્સને ખૂબ માનસિક ત્રાસ આપવામાં આવે છે કે જેમાં પાયલ જેવી હોનહાર દીકરીને જાન આપી દેવો પડે છે. ૩૭ વર્ષીય નસીમા તડવી પણ પોતે જ્યારે માસ્ટર્સ કરતી અને પ્રેક્ટિસ કરતી ત્યારે સિનિયર દ્વારા માનસિક રીતે પરેશાન કરવામાં આવતી. નસીમા કહે છે કે “કાંઇ પણ ખોટું થતું તો, તે મને જ બ્લેમ કરતા અને નિમ્ન હોવાનો અહેસાસ કરાવતા. ભેદભાવનો આ એક પ્રકાર છે. સદ્દભાગ્યે, મેં જ્યારે મારા સિનિયર સુધી ફરિયાદ કરી તો તેમણે તાત્કાલિક પગલાં લીધા હતા. સંસ્થાનું તંત્ર આ બાબતોને રોકે તેટલું પૂરતું નથી. કોઈ આપણું સાંભળશે નહીં તેવો ભય હોય છે.” નસીમા અત્યારે યવાલ તાલુકામાં આવેલ PHC સેન્ટરમાં જોબ કરે છે અને NGO દ્વારા બાળકોને મોટીવેશન ટોક આપવા જાય છે. તે કહે છે કે “આ વર્ષે હું વિદ્યાર્થીઓને કહેવા માંગું છું કે ચૂપ બેસી ન રહેતાં, તમારો અવાજ ઉઠાવો.”

ભારતમાતાને પૂજનારા દેશમાં પાયલ તડવીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવે છે, તો સોની સોરી જેવી માનવ અધિકાર ઝુંબેશકર્તાને પોલીસ કસ્ટડી અસહ્ય ત્રાસ આપવામાં આવે છે જ્યારે ખૈરલાંજી ગામની દલિત મહિલા સુરેખા ભોટમંગેને નગ્ન કરી સામૂહિક બળાત્કાર કરી મારી નાંખવામાં આવે છે. શું ખરેખર આપણે મુક્ત અને સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ ખરા? શું ખરેખર ભારતમાં બંધારણીય શાસન ચાલે છે ખરું? બંધારણને બદલે આજે પણ વર્ચસ્વવાદી, સામંતી, પિતૃપ્રધાન સંકુચિત સંસ્કૃતિ જ રાજ ચલાવે છે.

સંદર્ભઃ

(૧) બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, જાતિકા વિનાશ

(૨) Prime Time with Ravish Kumar, May 29, 2019

(૩) Indian Express, June 2, 2019  

(૪) National India News, June 4, 2019

ઇતિહાસ વિભાગ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 14-17

Loading

ભારતની ખરલમાં બધું વટાતું ગયું અને નવો આકાર પામતું ગયું

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2019

હિન્દી કવિ રામધારીસિંહ દિનકરે તેમના વિખ્યાત પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ‘હિન્દુત્વ કી ખરલ’ એમ કહ્યું છે. દિનકરનું હિન્દુત્વ એ હિંદુ કોમવાદીઓનું હિન્દુત્વ નથી જે પૃથકતાવાદી છે, પણ દિનકરનું હિન્દુત્વ સર્વસમાવેશક છે અને એટલે તો તેને ખરલ તરીકે ઓળખાવ્યું છે. દિનકર જો આજે લખતા હોત તો તેમણે હિન્દુત્વની જગ્યાએ કોઈ બીજો શબ્દ વાપર્યો હોત, પણ એ વાત જવા દઈએ.

કવિ દિનકર એમ કહે છે કે ભારતની સાંસ્કૃતિક ખરલમાંથી હિંદુ પેદા થયો છે. એ જે હિંદુ પેદા થયો છે એ એક-જીનસ નથી. ભારતની એ વિશેષતા રહી છે કે તે અનેક જાતિઓને ખરલમાં વાટીને એક જાતિ બનાવી દે છે અને અનેક ધર્મોને વાટીને એક ધર્મ બનાવી દે છે. નીગ્રો, ઔષ્ટ્રિક, દ્રવિડ અને આર્યના મિલનમાંથી જે મહાજાતિ પેદા થઈ એ હિંદુ (જેમાં જૈન, બૌદ્ધ, સીખ વગેરેનો સમાવેશ થાય છે) અને વેદ તેમ જ ઉપનિષદો પછી જે વિચારધારાઓની સરવાણીઓ ફૂટી એ ભારતીયદર્શન. આમ કવિ દિનકરનો હિન્દુત્વનો અર્થ સાવરકરના હિન્દુત્વ કરતાં જુદો છે એ સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે. ખરલનો ઉપયોગ જ અનેકમાંથી એક બનાવવા માટે કરવામાં આવે છે અને એ એકને પાછો બીજા સાથે વાટીને અનેક બનાવવા માટે કરવામાં આવે છે. ખરલનો ઉપયોગ કોઈ ચીજ મીટાવવા માટે નથી કરવામાં આવતો, કાંઈક નવું રચવા માટે કરવામાં આવે છે. 

આવું ભારતમાં જ કેમ બન્યું અને જો બન્યું તો એ માટે આપણે શરમાવું જોઈએ કે ગર્વ લેવો જોઈએ? બહુ મહત્ત્વનો સવાલ છે આ. કાંઈક તો આપણા પીંડમાં એવું છે કે આપણે અન્ય પદાર્થને વાટી પણ લઈએ છીએ અને જરૂર પડ્યે વટાઈ પણ જઈએ છીએ. પ્રતિકાર કરતાં સમન્વયને આપણે વધુ મહત્ત્વ આપીએ છીએ. કેમ નમાલા છીએ એટલે? એવું નથી કે આપણી પરંપરામાં પ્રતિકાર અને સંઘર્ષની ઘટનાઓ નથી બની. શોધવા જશો તો ઘણી મળશે અને અમુક વિચારધારાના લોકો ચાહીને એ કામ કરે છે, પણ અત્યારે તેની વાત જવા દઈએ. શ્રમણો-બ્રાહ્મણો, આસ્તિકો-નાસ્તિકો, આર્યો-દ્રવિડો, સવર્ણો-અવર્ણો, સંસ્કૃતનિષ્ઠો અને લોકભાષાઓની તરફેણ કરનારાઓ વચ્ચે ધીંગાણાં થયાં છે. જો પ્રતિકાર અને ધીંગાણાંના પ્રસંગો શોધવા જશો તો તે પ્રચૂર માત્રામાં મળી આવશે, કારણ કે આપણી પરંપરા હજારો વરસ જૂની છે. જેટલો લાંબો ઇતિહાસ એટલાં માફક આવતાં પ્રમાણો વધુ.

સરવાળે શું બન્યું એ વાત મહત્ત્વ ધરાવે છે અને સરવાળે ભારતની ખરલમાં બધું વટાતું ગયું અને નવો આકાર પામતું ગયું. ભારતીય સંસ્કૃતિ દર શતાબ્દીમાં નવો ચહેરો ધારણ કરતી હતી અને છતાં આપણને પરિવર્તનનો અહેસાસ પણ નહોતો થતો, આંચકો તો બહુ દૂરની વાત છે. આનું કારણ હતું સાતત્ય. ચોવીસે કલાક ખરલ ચાલતી રહેતી હતી અને પ્રતિકારો અને સંઘર્ષોની વચ્ચે સંથ ગતિથી સમન્વય થતો રહેતો હતો. કેટલી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતમાં ઓગળી ગઈ. કેટલી સંસ્કૃતિઓનો ભારતીય સંસ્કૃતિમાં સમાગમ થયો છે. કેટલી ભાષાઓ સમાંતરે વિકસી અને કેટલીકે મિલનમાંથી નવી ભાષાને જન્મ આપ્યો. હિંદુ અસ્મિતાના ભાગરૂપે કૃત્રિમ રીતે અને પ્રયત્નપૂર્વક વિકસાવવામાં આવેલી આજની હિન્દી કરતાં વ્રજ, અવધી, માગધી કે મૈથિલી તમને ગુજરાતીની વધુ નજીક લાગશે. કારણ એ છે કે ભારતની ભગિની ભાષાઓ સમાંતરે વિકસેલી ભાષાઓ છે. આજે અસ્મિતાના નામે એકબીજાથી દૂર જવું એને સાંસ્કૃતિક પરિપક્વતા કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં એ અધોગતિ છે.

દિનકર કહે છે કે આજની પરિભાષામાં આપણને યુગ-વિભાજન કરવાની લાલચ થઈ આવે છે. આ પશ્ચિમના ઈતિહાસલેખનનો પ્રભાવ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસનું કાલ-વિભાજન વૈદિક યુગ અને શ્રમણ યુગ તરીકે કરી શકાય છે, પરંતુ વ્યવહારમાં તેનો કોઈ અર્થ નથી. શ્રમણ યુગમાં વૈદિક પ્રભાવ સાવ સમાપ્ત થઈ ગયો હતો એવું નથી અને બુદ્ધ અને મહાવીર પહેલાં જે તે સ્વરૂપમાં શ્રમણ પરંપરા અસ્તિત્વ ધરાવતી હતી. મહાવીર અને બુદ્ધના પ્રભાવે પશુહિંસા કરતા યજ્ઞો બંધ થયાં હતા, પરંતુ અહિંસક અગ્નિહોત્રના સ્વરૂપમાં યજ્ઞ કાયમ રહ્યા હતા. અશોકે તેના શિલાલેખમાં શ્રમણ-બ્રાહ્મણ બન્નેને આદર આપવાની અને દાન આપવાની સલાહ આપી છે. ગયા સપ્તાહે જે જ્ઞાન, સાધના અને ભક્તિ, શક્તિ અને તંત્ર આધારિત સેંકડો સંપ્રદાય અને પેટા સંપ્રદાયની વાત કરી તેનાં સગડ પણ વૈદિક સાહિત્યમાં મળે છે. વ્યાકરણની ઘણી લાંબી પરંપરા છે. બધું સમાંતરે ચાલતું હતું. વિચારધારાઓ અને અભિગમો એકબીજાના સંપર્કમાં આવતાં હતાં, અથડાતાં હતાં અને ખરલમાં વટાઈને સમન્વય થતો હતો. એક રીતે જુઓ તો કોઈ ચીજ નવી નહોતી અને છતાં નવી ભાસતી હતી.

બૌદ્ધ ધર્મ પશ્ચિમે તુર્કી સુધી અને પૂર્વે જપાન સુધી પહોંચ્યો હતો અને તેની પણછે વૈદિક સંસ્કાર પણ ભારત બહાર પહોંચ્યા હતા. કારણ કે બૌદ્ધ ધર્મ વૈદિક ધર્મથી દૂર ગયો જ નહોતો અને વૈદિકોએ તેને બહુ દૂર જવા પણ નહોતો દીધો. ઈસ્લામ ધર્મ યહૂદી સંસ્કારને પણ વિદેશમાં લઈ જાય એવું બને? ભારતમાં એવું બને કારણ કે ખરલનું સર્જન છે.

ખરલ નિરંતર ચાલતી હતી, પરંતુ તેની સામે પહેલો મોટો અવરોધ ભારતમાં ઇસ્લામ ધર્મનો પ્રવેશ થયો ત્યારે થયો હતો. ભારતીય પ્રજાને એ પહેલાં વ્યાખ્યાબદ્ધ વિચારધારા આધારિત ધર્મનો અને ધર્મ આધારિત ચુસ્ત આગ્રહોવાળી જીવનશૈલીનો અનુભવ નહોતો. એ પહેલાં જેટલા લોકો ભારતમાં આવ્યા એ થોડુંક આપીને અને થોડુંક અપનાવીને હિંદુ બની ગયા હતા. ભારતમાં પેદા થયેલા ધર્મોમાં અને સુમેરિયામાં પેદા થયેલા ધર્મોમાં પાયાનો ફરક છે. પશ્ચિમના ધર્મો એક ઈશ્વર, એક ગ્રંથ અને એક મસીહા આધારિત ધર્મો છે. આમ છતાં ખરલે હાર નહોતી માની. અરેબિયામાં આકાર પામેલો ઇસ્લામ ભારતીય ઇસ્લામ બની ગયો હતો. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ મળીને સમન્વયનો પ્રયત્ન કર્યો હતો.

એમાં કોઈ શંકા નથી કે ખરલની ઝડપ ધીમી પડી ગઈ હતી અને અવરોધોનો સામનો કરવો પડતો હતો, પરંતુ એ અટકી નહોતી. હવે પછી ઈસ્લામ, ઇસ્લામ ધર્મનું સ્વરૂપ, ભારતમાં ઈસ્લામનું આગમન, સૂફીવાદનો પ્રાદુર્ભાવ અને સંતોના પ્રયત્નો વિષે વાત કરવામાં આવશે.  

13 ઑગસ્ટ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 ઑગસ્ટ 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 6

દીપક મહેતા|Opinion - Opinion|18 August 2019

અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું હતું

મુંબઈમાં બંધાયેલ વહાણ મિન્ડેનના તૂતક પર

૧૯મી સદીમાં મુંબઈનું બંદર અને ગોદી

આજે [17-08-2019] આપણા પારસી ભાઈબહેનોનું નવું વરસ છે એટલે સૌથી પહેલાં તો એમને નવરોઝ મુબારક. અને આજે જેમનું નવું વરસ છે તે કોમના એક ખાનદાનની વાત આજે કરવી છે. આ ખાનદાનનું નામ માત્ર મુંબઈમાં જ રોશન નથી થયું. આ ખાનદાનનું નામ માત્ર હિન્દુસ્તાનમાં જ રોશન નથી થયું. પણ આ ખાનદાનનું નામ આખી દુનિયામાં રોશન થયેલું છે. વાતની શરૂઆત આપણે ઈસવીસન ૧૭૩૫થી કરવી પડશે. એ વખતે મુંબઈમાં કંપની સરકારનું રાજ હતું. એટલે સરકાર હતી મોટી વેપારી કંપની જેવી. એનું મુખ્ય કામ વેપાર કરવાનું અને એ વખતે દેશાવર સાથેનો બધો વેપાર દરિયાઇ માર્ગે જ થતો. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે મુંબઈમાં વહાણ બાંધવાની કે વહાણનું સમારકામ કરવાની સગવડ ક્યાં ય નહોતી. એટલે એવાં કામ માટે સુરત પર આધાર રાખવો પડતો હતો.

હવે બન્યું એવું કે કંપની સરકારનું ધ ક્વીન નામનું એક વહાણ  સુરતમાં બંધાતું હતું. એના બાંધકામ ઉપર દેખરેખ રાખવાને માટે મુંબઈ સરકારે પોતાના મિસ્ટર ડડલી નામના એક અધિકારીને સુરત મોકલ્યા. એ સાહેબે સુરતમાં બંધાતું હતું તે જહાજ પર દેખરેખ તો રાખી જ પણ એમની ચકોર નજરે ત્યાં કામ કરતા એક કારીગરને ઓળખી લીધો. એ કારીગરનું નામ લવજી નસરવાનજી વાડિયા. પેલા અંગ્રેજ અધિકારીએ ધીમે ધીમે લવજીભાઈને સમજાવ્યા કે અહીં સુરતમાં પડયા રહેવા કરતાં જો તમે મુંબઈ આવો તો ત્યાં ઘણાં મોટાં મોટાં કામ કરી શકો એવી આવડત અને લાયકાત તમારામાં છે. પણ લવજીભાઈ હતા એમના શેઠ ધનજીભાઈને પૂરેપૂરા વફાદાર. એટલે એમણે કહ્યું કે મારા શેઠ જો રાજીખુશીથી મને જવાની પરવાનગી આપે તો જ હું તમારી સાથે મુંબઈ આવું. ડડલીની વાત પહેલાં તો શેઠે માની નહિ. એટલે એ અધિકારીએ પોતાના ઉપરીને કહીને સરકારનું દબાણ કરાવ્યું. એટલે શેઠે છેવટે કહ્યું લવજીભાઈને કે તમારે જવું હોય તો સાહેબ સાથે મુંબઈ જાવ, મને વાંધો નથી.

અને પોતાના બીજા થોડા સાથી કારીગરોને લઈને લવજીભાઈ નસરવાનજી ૧૭૩૫માં સુરતથી મુંબઈ આવી પહોંચ્યા. અહીં આવીને તેમણે પોતાના કામ માટે પહેલાં તો એક જગ્યા પસંદ કરી અને કંપની સરકારને કહ્યું કે આ જગ્યા મને આપો તો અહીં વહાણ બાંધવાની અને તેનું સમારકામ કરવાની સગવડ હું ઊભી કરી આપું. સરકારે એમને જમીન આપી અને આજે પણ જ્યાં મુંબઈની ગોદી આવેલી છે ત્યાં એક નાનકડા પ્લોટ પર લવજીભાઈએ મુંબઈનો પહેલો જહાજવાડો ઊભો કર્યો.

આમ કંપની સરકાર લવજીભાઈને સુરતથી મુંબઈ તો લઈ આવી પણ લગભગ એક વર્ષ સુધી વહાણનું બાંધકામ શરૂ થઇ શક્યું નહીં. કેમ? કારણ વહાણ બાંધવા માટે જે લાકડું જોઈએ એ તો મુંબઈમાં મળતું જ નહોતું. છેવટે સરકારે લવજીભાઈને જ કહ્યું કે તમે ઉત્તર હિન્દુસ્તાનમાં જઈને વહાણ માટે જરૂરી હોય તેવાં લાકડાં મેળવવાનો બંદોબસ્ત કરી આવો. અને પાછા ફરતાં તમારા કુટુંબને પણ અહીં મુંબઈમાં રહેવા માટે સાથે લેતા આવજો. આ રીતે લવજીભાઈ લઈ આવ્યા લાકડાં અને પોતાનાં કુટુંબીજનોને અને પછી શરૂ કર્યું કામ કંપની સરકાર માટે વહાણો બાંધવાનું. શરૂઆતમાં તો કંપની સરકારે લવજીભાઈને વેપાર માટે સામાન લાવવા લઈ જવા માટેનાં (કાર્ગો) વહાણો બાંધવાની વરદી આપી. પણ પછી થોડા જ વખતમાં અમલદારોએ જોયું કે આ લવજીભાઈ તો વહાણો બાંધવાના કામમાં જબરા કુશળ છે એટલે પછી તેમને સરકારના નૌકાસૈન્ય માટે લડાયક જહાજો બાંધવાનું કામ પણ સોંપવામાં આવ્યું અને લવજીભાઈએ કંપની સરકાર માટે ફ્રિગેટ પ્રકારનાં વહાણો બાંધ્યાં. વહાણોનું સમારકામ કરવા માટે લવજીભાઈ અને તેમના ભાઈ સોરાબજીએ ૧૭૫૦માં મુંબઈમાં ડ્રાય ડોક પણ બાંધ્યો જે માત્ર હિન્દુસ્તાનનો જ નહીં પણ આખા એશિયા ખંડનો પહેલો ડ્રાય ડોક હતો. હા, લવજીભાઈએ આ જહાજવાડામાં પોતાના કુટુંબીજનોને કામ પર રાખ્યા હતા ખરા, પણ એ બધાએ બીજા કારીગરોની જેમ જ હાથમાં હથિયાર પકડીને કામ કરવું પડતું અને તેમને મહિને ૧૨ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો. આ રીતે ૩૯ વર્ષ સુધી લવજીભાઈએ કંપની સરકારની સેવા કરી. ૧૭૦૨માં જન્મેલા લવજીભાઈ ૧૭૭૪માં બેહસ્તનશીન થયા ત્યારે એમની પાછળ કુટુંબને માટેનું એક રહેણાંકનું મકાન અને ૨૦ હજાર રૂપિયાની રોકડ પુંજી મૂકતા ગયા હતા.

લવજીભાઈ અને તેમનાં કુટુંબીજનોએ કંપની સરકાર માટે લગભગ ૪૦૦ જેટલાં વેપારી તેમ જ લશ્કરી વહાણ બાંધ્યાં અને એ વહાણો સાતે સમંદર ખૂંદી વળ્યાં હતાં. પણ તેમાંથી ત્રણ લશ્કરી વહાણનો પોતાનો આગવો ઇતિહાસ છે. તેમણે બાંધેલું એક વહાણ તે એચ.એમ.એસ .કોર્નવોલિસ. આ વહાણ બ્રિટિશ સરકારની નેવીમાં કામ કરતું હતું. ચીન અને બ્રિટન વચ્ચેના પહેલા અફીણ યુદ્ધ(ઓપિયમ વોર)માં ચીનની હાર થઈ. અને ચીને નાનકિંગની સંધિ દ્વારા હોંગકોંગ ઇંગ્લેન્ડને સોંપ્યું ત્યારે એ અંગેના કરાર પર સહીસિક્કા એચ.એમ.એસ .કોર્નવોલિસ પર થયા હતા, ૨૯ ઓગસ્ટ ૧૮૪૨ને દિવસે.

એચ.એમ.એસ. ત્રિન્કોમાલી

બીજું જહાજ તે એચ.એમ.એ.સ ત્રિન્કોમાલી. લવજીભાઈએ બાંધેલાં બીજાં બધાં જ વહાણોની જેમ ૧૮૧૭માં બંધાયેલું આ વહાણ પણ સાગનાં લાકડાંનું બનેલું છે પણ તેની વશેકાઈ એ છે કે  ઇંગ્લેન્ડમાં આવેલા મ્યુઝિયમ ઓફ ધ રોયલ નેવીમાં આ જહાજ હજી આજે પણ દરિયામાં તરતું જોવા મળે છે. બ્રિટનનું આ સૌથી જૂનું વહાણ છે જે આજે પણ દરિયાનાં પાણી પર તરી રહ્યું છે.

જમશેદજી વાડિયા

એચ.એમ.એસ. મિન્ડેન

અને ત્રીજું વહાણ તે એચ.એમ.એસ. મિન્ડેન. લવજીભાઈના દીકરા જમશેદજીભાઈને કંપની સરકારે ૧૮૦૧ના જુલાઈની નવમી તારીખે આ વહાણ બાંધવાનો ઓર્ડર આપ્યો અને ૧૮૧૧ના  ફેબ્રુઆરીની આઠમી તારીખે એ જહાજે મુંબઈનો કિનારો છોડ્યો. આ જહાજનું વજન ૧૭૨૧ ટન હતું અને તે સાગનાં લાકડાંનું બનેલું હતું. તેની લંબાઈ ૧૬૯ ફૂટ અને ૬ ઇંચ હતી. પાંચ લાખ રૂપિયાને ખર્ચે તે બંધાયું હતું. તેના ઉપર ૭૪ તોપ ગોઠવવામાં આવી હતી. અત્યાર સુધી આવાં મોટાં લડાયક વહાણો માત્ર ગ્રેટ બ્રિટનમાં જ બંધાતાં હતાં. પણ આ મિન્ડેન ગ્રેટ બ્રિટનની બહાર બંધાયેલું આવું પહેલું જહાજ હતું. પણ આ વહાણ અંગેની સૌથી વધુ રસપ્રદ વાત જાણવા માટે આપણે મુંબઈ છોડીને અમેરિકાના બાલ્ટિમોર જવું પડશે.

તો ચાલો, બોમ્બે ટુ બાલ્ટિમોર. જ્યારે આપણા દેશમાં અંગ્રેજ શાસનનાં મૂળ વધુ ને વધુ ઊંડાં જઈ રહ્યાં હતાં ત્યારે પૃથ્વીને સામે છેડે અંગ્રેજો એક ખૂનખાર યુદ્ધમાં સંડોવાયેલા હતા. લાંબા યુદ્ધને અંતે ૧૭૭૬માં અમેરિકાને આઝાદી તો મળી. પણ હજી અંગ્રેજો અને અમેરિકા વચ્ચે ઝઘડો ચાલુ હતો. અંગ્રેજો અમેરિકનોને બરાબરનો પાઠ ભણાવવા માગતા હતા અને એટલે તેમણે પોતાનાં કેટલાંક લડાયક વહાણોને અમેરિકા મોકલ્યાં હતાં. આ વહાણોમાંનું એક હતું મુંબઈમાં વાડિયાઓને હાથે બંધાયેલું એચ.એમ.એસ. મિન્ડેન. અંગ્રેજોએ નક્કી કર્યું કે આપણે અમેરિકાના બાલ્ટિમોરનો ફોર્ટ મેક હેન્રી નામનો કિલ્લો ઉડાવી દઈએ અને અમેરિકનોને પાઠ ભણાવીએ. અમેરિકનો સાથેની આ લડાઈમાં મેરીલેન્ડના કેટલાક અમેરિકનોને અંગ્રેજોએ બંદીવાન બનાવ્યા હતા.

ફ્રાન્સિસ સ્કોટ કી અને તેમના હસ્તાક્ષરમાં સ્ટાર સ્પેન્ગલ્ડ બેનર

તેમને છોડાવવા માટે કર્નલ જોન સ્કીનરની સાથે ફ્રાન્સિસ સ્કોટ કી નામનો એક વકીલ પણ ગયો હતો. આ વકીલભાઈ વકીલાત કરવા ઉપરાંત ક્યારેક ક્યારેક કવિતા પણ લખતા. આ બંને જ્યારે એચ.એમ.એસ. મિન્ડેન પર પહોંચ્યા ત્યારે બાલ્ટિમોરના કિલ્લા ઉપર હુમલો કરવાની યોજના ઘડાઇ ચૂકી હતી અને આ બંને અમેરિકનોને એ અંગેની ઘણી માહિતી મળી ચૂકી હતી. એટલે અંગ્રેજોએ આ બંને અમેરિકનોને પણ એચ.એમ.એસ. મિન્ડેન પર બંદીવાન બનાવીને રાખ્યા. એ જ રાતે અંગ્રેજ નૌકાસૈન્યે બાલ્ટિમોર ઉપરનો હુમલો શરૂ કર્યો. ફ્રાન્સિસ સ્કોટ કી આ હુમલો જોઈ રહ્યો, મનમાં ને મનમાં સમસમી રહ્યો, પણ એ અંગે તે કશું કરી શકે તેમ નહોતો. પણ બીજે દિવસે સવારે તેણે વહાણના તુતક પરથી જોયું કે બાલ્ટિમોરના કિલ્લા પર હજી અમેરિકાનો ધ્વજ ફરકી રહ્યો હતો. આખી રાતના હુમલા પછી પણ અંગ્રેજો એ કિલ્લાને સર કરી શક્યા નહોતા.

આ જોઈને તેના મનમાં એક પછી એક કાવ્ય પંક્તિઓ સ્ફુરવા લાગી. શરૂઆતમાં એ કાવ્ય The Defence of McHenry તરીકે ઓળખાતું હતું. છુટકારો થયા પછી આ વકીલ ઇન્ડિયન ક્વીન નામની એક હોટેલમાં ગયો અને ત્યાં તેણે આ કાવ્ય પૂરું કર્યું. ત્યાર પછી તેનું નામ બદલીને તેણે The Star Spangled Benner એવું રાખ્યું. એ પછીનાં સો વર્ષમાં આ કાવ્ય અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય બન્યું. તેને અમેરિકાનું રાષ્ટ્રગીત બનાવવા અંગેનો ખરડો છ વખત રજૂ થયો અને છ વખત નામંજૂર થયો. છેવટે ૧૯૩૧ના માર્ચની ત્રીજી તારીખે ખરડો મંજૂર થયો અને ૧૯૩૧ના માર્ચની ચોથી તારીખે પ્રેસીડન્ટ હર્બર્ટ હૂવરે એ કાયદા પર સહી સિક્કા કર્યા અને તેને અમેરિકાનું રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી જે ગીત અમેરિકાનું રાષ્ટ્રગીત બની રહ્યું છે તે રચાયું હતું એચ.એમ.એસ. મિન્ડેન પર અને આ વહાણનું બાંધકામ કર્યું હતું વાડિયા ખાનદાનના નબીરાઓએ અને એ ખાનદાનના નબીરાઓ કામ કરતા હતા મુંબઈમાં. એટલે કે મુંબઈ અને અમેરિકાના રાષ્ટ્રગીતને એકબીજા સાથે સીધો સંબંધ છે. એચ.એમ.એસ. મિન્ડેન પર આ ગીત રચાયું ઇસવીસન ૧૮૧૪ના સપ્ટેમ્બરની ચૌદમી તારીખની વહેલી સવારે.

વ્યક્તિની જેમ વહાણોને પણ જન્મ-જરા-વ્યાધિ અને મૃત્યુના ચક્રમાંથી પસાર થવું પડે છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં લડાયક કામગીરી કર્યા પછી આ વહાણ પણ હવે વૃદ્ધ થયું હતું. ૧૮૪૧માં હોંગકોંગ ખાતે આવેલ રોયલ નેવલ હોસ્પિટલનું જહાજ વાવાઝોડામાં નાશ પામ્યું એટલે તેને બદલે હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લેવા માટે એચ.એમ.એસ. મિન્ડેનને મોકલવામાં આવ્યું અને હોંગકોંગના કિનારે ઊભા રહીને ૧૮૪૨થી તેણે નેવીની હોસ્પિટલ તરીકે કામ કર્યું. ૧૮૪૬ સુધી તેની આ કામગીરી ચાલુ રહી. ત્યાર બાદ તેની જગ્યાએ એચ.એમ.એસ. એલિગેટર નામનું બીજું જહાજ આવ્યું અને મિન્ડેનનો ઉપયોગ નેવીનો માલ સામાન ભરવા માટેના ગોદામ તરીકે કરવામાં આવ્યો. છેવટે ૧૮૬૧માં તેને ભંગારવાડે મોકલવામાં આવ્યું અને એચ.એમ.એસ. મિન્ડેનની જ્વલંત કારકિર્દીનો અંત આવ્યો. પણ તેની યાદને કાયમ રાખવાને માટે હોંગકોંગના બે રસ્તાઓને તેનું નામ આપવામાં આવ્યું છે. એક રસ્તાનું નામ છે મિન્ડેન રો અને બીજા રસ્તાનું નામ છે મિન્ડેન એવન્યુ. વાડિયા કુટુંબનાં વહાણોની વિદાય લેતી વખતે મનમાં સુંદરજી બેટાઈના જાણીતા ગીતની પંક્તિઓ ગુંજ્યા કરે છે:

અલ્લાબેલી, અલ્લાબેલી, અલ્લાબેલી,
બંદર છો દૂર છે, જાવું જરૂર છે.
બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે, જાવું જરૂર છે.

પેઢી દર પેઢી નવાંનોખાં કામ કરનાર વાડિયા ખાનદાનની બધી વાત કાંઈ એક સાથે થાય નહિ. એટલે બીજા કેટલાક નબીરાઓ અને તેમનાં કામ વિશેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 17 ઑગસ્ટ 2019

Loading

...102030...2,7092,7102,7112,712...2,7202,7302,740...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved