Opinion Magazine
Number of visits: 9684093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાંકરમત જ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા કરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2019

હું જેમની પાસે વેદાંત શીખવા જતો હતો એ શ્રદ્ધેય સ્વામી કાશિકાનંદગિરિજી મહારાજને મેં પૂછ્યું હતું કે શંકરાચાર્ય કહે છે એમ જો આ આખું જગત માયા છે તો પછી તેમણે શંકરાચાર્યની પરંપરા, ચારે દિશામાં ચાર ગાદી, દશમેશ અખાડા અને એ બધા માટે આમ્નાય (અચારસંહિતા – બંધારણ) વગેરે ઘટાટોપ કરવાની શું જરૂર હતી? મહારાજે મને જવાબ આપ્યો હતો કે લોકસંગ્રહ માટે. પ્રજાના ક્લાયણ માટે અર્થાત્ સનાતન ધર્મીઓના કલ્યાણ માટે. મહાપુરુષો સદા બ્રહ્મમાં લીન રહેતા હોવા છતાં કરુણાભાવથી પ્રેરાઈને પ્રજાકલ્યાણનો વિચાર કરતા હોય છે.

ઉપનિષદો અને બ્રહ્મસૂત્રની ચતુ:સૂત્રી ભણી લીધા પછી મેં મહારાજશ્રીને કહ્યું હતું કે, ‘આ બધા ગ્રંથો વિશેનો શાંકરમત તો ભણવા મળ્યો, પણ મારે બીજા મત પણ ભણવા છે. આપે ભારતના ૨૦ દર્શનો (ષડ્દર્શન તરીકે ઓળખાતા છ દર્શનો, અદ્વૈત દર્શનની શાખાઓ, જૈન, બૌદ્ધ અને પદાર્થવાદી ચાર્વાક વગેરે દર્શન અને તેના પેટા સંપ્રદાય બધું મળીને મુખ્યત્વે ૨૦ દર્શનો થાય છે.) વિષે પુસ્તક લખ્યું છે જે થોડું અઘરું પડે છે, માટે મારે એ દરેક દર્શન તમારી પાસેથી ભણવું છે.’  

મહારાજશ્રીએ જે જવાબ આપ્યો હતો એમાં અનેક નવા પ્રશ્નો ઉપસ્થિત થશે. તેમણે મને કહ્યું હતું કે, ‘તમારે જો બાકીનાં દર્શનો વિષે જાણવું હોય તો તમારે મારું એ પુસ્તક પ્રયત્નપૂર્વક વાંચવું જોઈએ. જ્યાં સમસ્યા હોય ત્યાં પૂછી શકો છો, પણ મને જે આ મૂલ્યવાન જીવન મળ્યું છે અને ભગવાન્ શંકરાચાર્યની કૃપા મળી છે તે હું શંકરમતને લોકો સુધી પહોંચાડવા સિવાય બીજા કોઈ કામ માટે ખર્ચવા માગતો નથી. મેં તો વીસેય દર્શનો વિષે એટલા માટે લખ્યું છે કે વાચકો વિવિધ દર્શનો વચ્ચે તુલના કરી શકે.’

મહારાજશ્રીનો એ અધિકાર હતો અને તેઓ તો અધિકારી પણ હતા. મેં મારી જિંદગીમાં તેમના જેટલા વિદ્વાન અને પવિત્ર સાધુને જોયા નથી. કોઈ મળવા આવે તો એમાં તેમને વ્યવધાન લાગે. વ્યવહારબુદ્ધિ નામની જ હતી. બોલતી વખતે શ્રોતાઓનું રંજન કરે નહીં. તેઓ કહેતા પણ ખરા કે બે ટૂચકા અને બે ડુસકા જોઈતા હોય તો શ્રોતાઓએ અન્યત્ર જવું જોઈએ, અહીં એ મળી શકે એમ નથી. નક્કર તત્ત્વની વાત. ચોવીસે કલાક તત્ત્વમાં જ ડૂબેલા હોય અને મુમુક્ષુને એમાં જ ડુબાડવા અત્યંત કરુણાભાવથી રત હોય. સાચો મુમુક્ષુ કે જિજ્ઞાસુ મળે તો રાજી રાજી થઈ જાય. આવા વિદ્યાર્થીની આંગળી એવી રીતે ઝાલે જેમ બાપ સંતાનની ઝાલે.

પરંતુ તેમના ઉત્તરમાંથી અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેમાંથી એક પ્રશ્ન અહીં પ્રાસંગિક છે. એ પ્રશ્ન મેં મહારાજશ્રી સમક્ષ ઉપસ્થિત નહોતો કર્યો, પણ વાચકો સમક્ષ કરું છું. પ્રતિબદ્ધતા કોના માટે? સનાતન ધર્મ માટે કે શાંકરવેદાંત માટે? મહારાજશ્રીને મેં જો આ પ્રશ્ન પૂછ્યો હોત તો તેમનો જવાબ હોત કે શાંકરમત જ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા કરે છે અને તે જ સનાતન ધર્મનું રક્ષણ કરી શકે એમ છે.

આ સનાતન ધર્મનું સ્વરૂપ છે. આ વડવાઈઓનો બનેલો વડલો છે જેમાં થડ શોધવું મુશ્કેલ છે. જેને તમે થડ કહો એ પણ વડવાઈ હોઈ શકે છે અને દરેક વડવાઈ પોતાને જ થડ માને છે. એવું પણ બને કે મૂળ થડ લુપ્ત થઈ ગયું હોય જેમ વેદકાલીન દેવતાઓ પૂજાતા બંધ થઈ ગયા છે. રામ, કૃષ્ણ, હનુમાન વગેરેનો ઈશ્વર તરીકેનો ઉલ્લેખ વેદોમાં મળતો નથી. વેદોમાં વરુણ અને ઇન્દ્ર સર્વોચ્ચ દેવતા હતા જેની આજે નામ પૂરતી પૂજા થાય છે અને તેમનાં મંદિર તમને ભારતમાં ભાગ્યે જ મળશે. તો એ શું આપણા પૂર્વજોની બીદ્દ્ત હતી? શું અનુવર્તી દેવતાઓ શિર્ક હતા?  જૂના જમાનાની વાત છોડો, હજુ સો વરસ પહેલાં સંતોષી માતા જેવી એક ડઝન દેવીઓ અસ્તિત્વ ધરાવતી નહોતી. દશામા તો સાવ તાજાં છે. તેમનાં કરતાં મારી દીકરીની ઉંમર મોટી છે.

આદિ શંકરાચાર્ય જ્યારે થયા ત્યારે હિંદુઓને હજુ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સ્વરૂપની ખાસ જાણકારી નહોતી. કેરળના લોકોને થોડીક હતી અને શંકરાચાર્ય કેરળના હતા એ જોતાં કદાચ સનાતન ધર્મના પુનર્જીવનમાં એ વાતનો પણ થોડો પ્રભાવ હોઈ શકે છે. તેમણે ઉપર કહ્યું એમ અનુવર્તી શંકરાચાર્યની પરંપરા, ચારે દિશામાં ચાર ગાદી, દશમેશ અખાડા અને એ બધા માટે આમ્નાય (અચારસંહિતા- બંધારણ) વગેરેની રચના કરી હતી. ઉદ્દેશ હતો સનાતન ધર્મને ચુસ્ત દુરુસ્ત કરવાનો.

પણ પરિણામ શું આવ્યું? શંકર પછી થયેલા આચાર્યોએ શંકરના વિવર્તવાદ સામે પ્રશ્નો ઉઠાવ્યા. એ પછી તો રામાનુજમત, મધ્વમત, નિમ્બાર્કમત, વલ્લભમત વિકસ્યા. એમાંથી વળી પેટા સંપ્રદાયો વિકસ્યા. સનાતન ધર્મના પુનર્જીવન માટે આદિ શંકરાચાર્યે જે ભવન બાંધ્યું હતું એ શંકર ભવન બનીને રહી ગયું, સનાતન ભવન ન બની શક્યું. શાંકરવેદાંતીઓને પણ સનાતન ધર્મના દિગ્વિજય કરતાં શાંકર-દિગ્વિજય સ્થાપિત કરવામાં વધારે રસ છે. કાશિકાનંદ મહારાજે પણ શાંકર-દિગ્વિજય પર પુસ્તક લખ્યું છે અને મધ્વ સંપ્રદાયના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. ટૂંકમાં આપણે ત્યાં પ્રધાનપણે દાર્શનિક વિમર્શ સાંપ્રદાયિક છે, ખંડન-મંડન કરનારો છે. શૈવ, શાક્ત, વૈષ્ણવ વગેરેથી આપ પરિચિત છો.

આની વચ્ચે હિંદુઓને ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો નજીકથી વિશેષ પરિચય થયો. તેઓ વિદેશી તેમ જ લઘુમતીમાં હોવા છતાં હિંદુઓ પર રાજ કરી શક્યા એ જોઈને અસ્વસ્થ કરનારા પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા કે હિંદુઓમાં કોઈક તો ખામી છે જ. આ ખામી સનાતન ધર્મના સ્વરૂપમાં શોધવામાં આવી. આ ચહેરા-મોહરા વિનાનો ધર્મ છે, એમાં હદ કરતાં વધુ સ્વતંત્રતા છે, એમાં સ્વચ્છંદતાને પણ ચલાવી લેવામાં આવે છે, એમાં દયાનંદ સરસ્વતીએ કહ્યું છે એમ પાખંડીઓ પૂજાય છે, વગેરે. ટૂંકમાં સાવ ભેળાણ છે.

સમસ્યા એ હતી કે વડવાઈઓના બનેલા વડલામાં થડ કોને માનવું? થડ જડતું નહોતું એટલે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની નકલ કરીને એકેશ્વરવાદ અને ઈશ્વરના નિરાકારવાદના પ્રયોગ કરવામાં આવ્યા. બ્રહ્મ-સમાજ, પ્રાર્થના-સમાજ, આર્ય-સમાજ, આદિ-ધર્મ સમાજ વગેરે ૧૯મી સદીના આ દિશાના પ્રયત્નો હતા. એમાં કોઈ કહેતા કોઈને સફળતા મળી નહીં. સનાતની હિંદુઓએ સનાતન ધર્મનો ચહેરો કંડારવાના પ્રયાસને અપનાવ્યો નહીં. ૧૯મી સદી ચહેરો કંડારવાના પ્રયાસની સદી હતી તો વીસમી સદી તેના અસ્વીકારની સદી હતી.

આ સ્થિતિમાં એક પ્રયાસ મદનમોહન માલવિયા અને બીજા કેટલાક હિંદુઓએ કર્યો. તેમને એમ લાગ્યું કે સનાતન ધર્મનો ચહેરો કંડારી ન શકાતો હોય તો વાંધો નહીં, હિંદુનો હિંદુ તરીકેનો ચહેરો કંડારવાનો પ્રયાસ કરવો જોઈએ. હિંદુ રેનેસાં માટે પ્રયાસ કરવો જોઈએ. સનાતન ધર્મનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે જેમાંથી હિંદુ ચેતના (હિંદુ કોન્શ્યસનેસ) વિકસે. એ ચેતના હિંદુને ઓળખ પણ આપતી હોય પણ એ સાથે હિંદુ અંતર્ગત પૃથક્તાવાદી ન હોય. સમગ્ર હિંદુ ચેતના સાથે આખો હિંદુ ઘડવામાં આવે. કોઈક પ્રકારનું હિંદુઈઝમ. તેમણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું હતું કે તે પાશ્ચાત્ત્ય શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. સમગ્ર હિંદુ ચેતના સાથેનો આખો હિંદુ; સારો એન્જીનિયર, ડોક્ટર, વિજ્ઞાની, સાહિત્યકાર કે કલાકાર કેમ ન હોય! બનારસ હિંદુ યુનિવર્સિટી આવો એક પ્રયાસ હતો. આર્યસમાજીઓએ પણ દયાનંદ એંગ્લો-વૈદિક સ્કૂલો સ્થાપીને આવો એક પ્રયાસ કર્યો હતો. બીજા પણ કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા.

એનાં શું પરિણામ આવ્યાં એની વાત હવે પછી.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2019

Loading

નવરાત્રીઃ ભક્તિ અને શૃંગાર રસની પ૦૦૦ વર્ષ જૂની પરંપરા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 September 2019

ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક જ નહીં પણ રાજકીય તખ્તે પણ ગરબાની રમઝટ હંમેશાં જામી છે

આજથી પચીસ-ત્રીસ વર્ષ પહેલાં, નિશાળે ચાલતાં જતાં હોય તેવાં છોકરાંઓનું દ્રશ્ય દુર્લભ ન ગણાતું. હા, સ્કૂલ રિક્ષાઓ ત્યારે પણ હતી જ પણ છતાં ય ઘરની નજીક સ્કૂલ હોય ત્યાં માથે દફ્તરનો પટ્ટો અથવા તો બે ય ખભે દફ્તર ભેરવ્યું હોય અને સાથે એક બે ગોઠિયા કે બહેનપણી હોય અને સ્કૂલ ભણીની સફર મંડાતી હોય તેવું થતું. મને બરાબર યાદ છે કે મારા ઘરની બારીમાંથી ઘરની નજીકની સ્કૂલમાં જતાં આવાં છોકરાં દેખાતાં અને મારી મા હંમેશાં એમ કહે કે, ‘જો જો હં નવરાત્રી આવશે એટલે ચાલતી જતી છોકરીઓ તાળી પાડીને અને ઠેક મારીને, જાણે ગરબા કરતી હોય એમ જતી હશે.’ અને બિલકુલ એવું જ થતું. ધૂળિયા રસ્તા પર સ્કૂલે જતી છોકરીઓની ઠેકમાં અને આજે કરોડોનાં ખર્ચે ઇન્સ્યોરન્સ ઉતારાતાં હોય તેવાં ભપકાદાર વેન્યુઝમાં નવરાત્રી ઉજવાતી રહી છે. આજે પહેલું નોરતું છે ત્યારે ગરબાનો અર્થ, તેની ભાવના, તેની સાથે જોડાયેલી કેટલીક કથાઓ અને સામાજિક-સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં તેની પરિભાષાની ચર્ચા તો માંડવી જ રહી.

જેમ થેપલાં, ઢોકળાં અને ફાફડા ગુજરાતીઓની ઓળખ છે, એમ ગરબા પણ ગુજરાતીઓની ઓળખ છે. રમૂજમાં કહે છે ને કે ગુજરાતીઓ અંગ્રેજી પૉપ સોંગથી માંડીને ભાંગડાનાં બિટ્સ પર ગરબા કરી શકે છે – આ વાતમાં જરા ય અતિશયોક્તિ પણ નથી. વળી ગરબાની પરંપરા ગુજરાતમાં ૫,૦૦૦ વર્ષોથી ખીલી, પ્રસરી અને પ્રચલિત બની છે. ગરબા એટલે ભક્તિ અને શૃંગાર રસનું એવું મિશ્રણ જેમાં છલોછલ ઊર્જા સિવાય બીજું કંઇપણ મળવું અશક્ય છે. ગરબાનો સ્થૂળ પ્રકાર એટલે કે – દીપગર્ભ ઘટઃ જેનાં ગર્ભમાં દીવો છે તેવો માટી કે ધાતુનો છિદ્રવાળો ઘડો. ગર્ભદીપ શબ્દમાંથી અંતે અપભ્રંશ થઇને ગરબો શબ્દ ચલણમાં રહી ગયો. શાસ્ત્રો અનુસાર માટી એ પૃથ્વીનો એક ભાગ છે અને ગરબાનો દીપ તેમાં રહેલો આત્મા છે.

કલા શાસ્ત્રમાં અવારનવાર જેનો સંદર્ભ લેવાય છે તે ‘અભિનય દર્પણ’ અનુસાર ગૌરીમાએ પોતાની દીકરી ઓખાને લાસ્ય નર્તન શિખવાડ્યું હતું. શ્રાપને પગલે ઓખા, અસુરોનાં રાજા બાણાસુરને ત્યાં તેની પુત્રી ઉષા તરીકે જન્મી પણ પૂર્વ જન્મની યાદ હજી ક્યાંક સંઘરાયેલી હતી. ઉષાનો વિવાહ દ્વારકાધિશ કૃષ્ણનાં પૌત્ર સાથે થયો, પછી દ્વારકાની સ્ત્રીઓને ઉષાએ આ નર્તન શીખવ્યું. દ્વારકામાં અપાયેલી ઠેક જૂનાગઢ અને સૌરાષ્ટ્ર સુધી ગઇ અને ત્યાંથી ગુજરાત (ત્યારે આનર્ત) સુધી તેનો ઉલ્લાસ પહોંચ્યો. લાસ્ય નર્તનનું અપભ્રંશ થઇને રાસ્ય શબ્દનો ઉપયોગ થવા માંડ્યો. રાસ પહેલાં કે ગરબા પહેલાં એની કોઇ ચોખવટ હજી સુધી કોઇ વિદ્વાને કરી નથી, પણ ભાસની રચનાઓમાં અને હરિવંશ પુરાણમાં રાસનો ઉલ્લેખ છે. રાસ કૃષ્ણ સાથે જોડાયેલું નર્તન છે તો ગરબો માતાજીની ભક્તિ છે. ગુજરાતમાં ગરબા તરફ ઝુકાવ વધારે છે, પણ તેમાં ગવાતાં ગીતોમાં માતાજી અને રાધા-કૃષ્ણ બંન્નેની ભક્તિ, શક્તિ અને શૃંગારની વાત કરાય છે. પ્રાચીન ગરબા લખનારાનાં સંદર્ભે ૧૭૮૦માં થઇ ગયેલા વલ્લભ મેવાડાનું નામ મોખરે છે તો સાથે નરસિંહ મહેતા અને ભાણદાસનું નામ પણ ગરબા સાથે સંકળાયેલું છે.

અન્ય રાજ્યોમાં આ રીતે ઉજવાય છે નવરાત્રી

ગુજરાતની ઓળખાણ બનેલી નવરાત્રી, બંગાળ, આસામ અને બિહારમાં દુર્ગાપૂજા તરીકે ઉજવાય છે પણ તેમાં નર્તન નથી હોતું. પંજાબમાં આ દિવસોમાં માતાનાં જાગરણ થાય છે અને તામીલનાડુમાં દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીની પૂજા થાય છે જ્યારે રાત્રે સગાંઓ એકબીજાને ઘરે જાય છે તથા પરિણીતાઓને ચૂડી, ચાંદલા તથા અન્ય આભુષણોની ભેટ અપાય છે. કેરળમાં આઠમ, નોમ અને દશમીને દિવસે સરસ્વતિ પૂજન થાય છે. આંધ્રપ્રદેશમાં બથુકમ્મા પાંડુગા અને મહા ગૌરી માતાની પૂજા થાય છે જેમાં ફૂલોની ઢગલીઓ કરે છે અને નવરાત્રી પૂરી થવા આવે ત્યારે આ તમામ પાણીમાં પધરાવવામાં આવે છે.

ગુજરાતી ગીત સંગીતનો જેને પર્યાય કહેવાય તેવા અવિનાશ વ્યાસનું ગરબા અંગે કહેવું હતું કે કોઇપણ ગીત ગરબાનાં તાલમાં ગાઇ શકાય છે, તેમાં સૂર કે તાલની જટિલતા ઓછી હોવી જોઇએ. વર્તુળાકારે ઘુમતાં ઘુમતાં સરળતાથી ઉપાડી શકાય તે ગરબો હોઇ જ શકે. ગરબા મોટે ભાગે હિંચ, ખેમટો, કેરવો અને દીપચંદી એમ ચાર તાલમાં થતા હોય છે. એક સમયે ધાર્મિક ભાવ સાથે ગરબો અંતે સામાજિક થતો ગયો. લોકસાહિત્યમાં અને લોકગીતોમાં આ બદલાવને સમજી શકાય તેવી ઘણી વાતો છે. એક સમયે જ્યાં સ્ત્રી બોલીને પોતાની લાગણી વ્યક્ત ન કરી શકતી ત્યારે તેને માટે લોકગીતો એક અભિવ્યક્તિ બનતા.

ગરબા સાહિત્ય (સરસ્વતીચંદ્ર), ફિલ્મો વગેરેમાં અવારનવાર દેખા દેતા રહ્યાં છે. કોઇપણ હિન્દી ફિલ્મમાં ગુજરાતી પાત્ર હોય તો તે એકાદવાર તો ગરબા કરતું દેખાડાય જ છે. વળી ગુજરાતી ફિલ્મોની ગામ, ગરબો અને ગોકીરો વાળી વ્યાખ્યા દસકાઓ સુધી યથાવત્ રહી. આપણે પુરાણો અને પરંપરાની વાત કરી પણ ગરબાનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ મોટો ફાળો હતો. અંગ્રેજોના શાસનનો વિરોધ કરવા આ ધાર્મિક તહેવારમાં અંબા, દુર્ગા અને બહુચરમાને દુષ્ટોનો સંહાર કરવાની અપીલ કરતા ગરબા લખાયા. ૧૯૩૦માં રાષ્ટ્રીય નવરાત્રી રાસ નામનાં પુસ્તકમાં આવા ગરબા હતા તો હંસરાજ નામનાં નેત્રહિન કવિએ ૧૯૨૨માં લખેલા એક ગરબા-ગીતને લઇને તેમની સામે કોર્ટમાં કેસ સુદ્ધાં દાખલ થયો હતો. ચંડીદાસની રચનાઓ ‘રણચંડી’ પુસ્તકમાં છપાઇ પછી આખા ગુજરાતમાં પ્રખ્યાત થઇ, જો કે ચંડીદાસ એ ઉપનામ હતું, રચયતાનું સાચું નામ ન હતું. ‘આવાં તો રાજ શાં હોય હો બહુચરી’ ગરબામાં ગાંધીજીનાં જેલવાસથી માંડીને અંગ્રેજ શાસનનો પાયો જમીનદોસ્ત કરવાની વાત કરાઇ હતી. ‘અંબા અલબેલી’, ‘મા અંબાનો રાસ’, ‘કાળિકાને પ્રાર્થના’, ‘માનો શ્રાપ’ જેવા ગરબામાં પણ અંગ્રેજ શાસન વિરોધી વાત જ કરવામાં આવી હતી. આ ગરબા ભારત છોડો આંદોલનમાં ગવાતાં અને બોમ્બે પોલીસને આ પુસ્તક છપાવનારાનું નામ ખબર પડતાં મે પ્રિન્ટરીનાં પ્રોપરાઇટર કુંવરજી કેશવજી શાહને અટકમાં લેવાયા હતા. બેઠા ગરબાની પરંપરા પાછળ પણ ભાગલાનું ગણિત કામ કરી ગયું છે. ૧૯૪૬માં પાકિસ્તાન સાથે જોડાવા માગતા નવાબ મોહબ્બત અલી ખાને તે અરસામાં જૂનાગઢમાં નવરાત્રી પર પ્રતિબંધ મુક્યો. નવાબનાં હુકમનું ઉલ્લંઘન ન થાય તે માટે બેઠા ગરબા ગાવા એમ પુરુષોએ નક્કી કર્યું. જૂનાગઢમાં નાગરોની સંખ્યા વધારે તે આજે પણ નવરાત્રી દરમિયાન નાગરો ઘરોમાં બેઠા ગરબાની પરંપરા ચાલુ છે. જૂનાગઢમાં આજે પણ માત્ર પુરુષો જ બેઠા ગરબા ગાય છે અને પછી લ્હાણી વહેંચાય છે. જૂનાગઢનાં બેઠા ગરબા જોવા ટૂરિસ્ટો પણ પહોંચી જતા હોય છે.

ગુજરાતની નવરાત્રીનું આધુનિક રૂપ એટલે મુંબઇનાં ડિસ્કો દાંડિયા અને ગ્લેમર નગરીમાં ફિલ્મનાં ગીતો પર પણ ડિસ્કો દાંડિયા થાય છે. દરેક ગ્રુપ પોતાને ગમતી સ્ટાઇલમાં ગરબા કરતા હોય છે જે પારંપરિક તાળી અને ચપટીનાં ગરબાથી સાવ અલગ હોય છે. ત્રણ તાળી, દોઢિયું, આઠિયુંથી માંડીને બે તાળી, રમઝણિયું અને છેલ્લાં કેટલાં વર્ષોથી સનેડો સુદ્ધાં નવરાત્રીનાં મેદાનની શાન બન્યો છે. આ ઉપરાંત ઇનામ જીતવા પોતાની આગવી સ્ટાઇલમાં ગરબા કરનારાની વાત જુદી. ગુજરાતમાં વડોદરા એક માત્ર એવું શહેર છે જ્યાં એક સાથે પચાસ હજાર લોકો પણ એક સરખાં ગરબા મોટાં વર્તુળમાં કરે છે. ત્યાંની ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સનાં ગરબામાં પરંપરા બરાબર જળવાઇ છે, જ્યાં માઇકનો ઉપયોગ નથી થતો અને માત્ર પારંપરિક વાદ્યોનો જ ઉપયોગ થાય છે. અમદાવાદ, સુરતમાં સ્ટેડિયમ, ક્લબ્ઝ વગેરેમાં ગરબાનું આયોજન થાય છે અને અહીં લોકો પોતાની આગવી રીતે ગરબા કરવાનું પસંદ કરે છે. હવે ગરબા લાખો-કરોડોનાં ખર્ચે આયોજિત કરવામાં આવે છે સાથે મોંઘીદાટ ભેટ-સોગાદો, સેલિબ્રિટીઝની હાજરી બધું ગરબામાં ગ્લેમર ઉમેરતું રહ્યું છે. નવરાત્રીનાં પોશાક, ઘરેણાંથી માંડીને મેઇક-અપ પાછળ હજારો ખર્ચવામાં આવે છે. એક પરફોર્મિંગ આર્ટ સાથે જેટલું પણ સાંકળી શકાય તે બધું જ ગરબા સાથે સંકળાયેલું છે.

બીજા બધા તહેવારોમાં ઘોંઘાટ વધ્યો છે પણ કોણજાણે કેમ નવરાત્રીની ઉર્જામાં આ બહુ ધીમી ગતિએ થઇ રહ્યું છે. દરેક ઉજવણીનું આગવું ન્યુસન્સ હોય છે પણ ગરબામાં તેનું પ્રમાણ ઓછું છે. ગરબાનું સત્ત્વ જળવાય, તે ગરવો રહે અને વરવો ન બને તેવી જ આશા.

બાય ધી વેઃ

એક સમયે નવરાત્રી પછી ગર્ભપાતનાં કિસ્સા વધે છે એવી બોગસ સ્ટોરીઝ માત્ર સનસનાટી ખાતર અખબારોમાં આવતી પણ આ તહેવારમાં હજી દૂષણ ઓછું છે. હા નવરાત્રીમાં રોમાન્સ ચોક્કસ ભળે છે પણ તે ક્યારે ય બેહુદો નથી બનતો. નવરાત્રી એક માત્ર તહેવાર છે જ્યાં કોઇ પોતાની દીકરીને રાત્રે બહાર જવાની ના નથી પાડતું. બધાં શહેરોમાં શેરી ગરબા પોળ વગેરેમાં સચવાયા છે ખરા પણ તામ-ઝામ વાળા ગરબાનું આકર્ષણ ઘટ્યું નથી બધાં જ ધર્મનાં લોકો નવરાત્રીમાં એકરસ થઇને મોજ કરે છે. આપણી સરકારે દેશનો માહોલ ઉર્જામય અને પવિત્ર રાખવો હોય તો નવરાત્રીનાં સમીકરણને સમજવું રહ્યું.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2019

Loading

અનુકૂળ ઇતિહાસની અસલિયત

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2019

અનમ ઝકરિયાના અભ્યાસ મુજબ, માણસ માફક આવતું ‘સત્ય’ વારંવાર ઘૂંટતો રહે છે તે ત્યાં સુધી કે એક દિવસ તેને તે અપનાવેલું ‘સત્ય’ ખરેખર સત્ય લાગવા માંડે છે, પછી ભલે તે અર્ધસત્ય હોય અથવા સમૂળગું અસત્ય હોય. માણસને આમાં એક પ્રકારનો ખુલાસો મળે છે. જો પરાજીત થયા હોય તો પરાજીત થવા માટેનો ખુલાસો અને જો વિજય થયો હોય તો વિજયી થવા માટેનો ખુલાસો. આને કારણે માફક નહીં આવનારા નગ્ન સત્ય તરફ આંખ આડા કાન કરી શકાય છે અને કેટલાક અપરાધબોધથી બચી શકાય છે.

પણ સવાલ એ છે કે ભારતમાં નગ્ન સત્યને ઢાંકવાની અને અપનાવેલા ‘સત્ય’ની નકલી ચામડી મઢવાની શરૂઆત ક્યાંથી થઈ અને કોણે કરી? દેખીતી રીતે એ પાછળથી શોધવામાં આવેલું ‘સત્ય’ છે, પકડાવવામાં આવેલું ‘સત્ય’ છે અને તેને અપનાવીને ઘૂંટી ઘૂંટીને સત્ય માની લેવામાં આવેલું ‘સત્ય’ છે. આમ એટલા માટે કહેવું પડે છે કે જો મુસ્લિમ આક્રમણકારોએ ખરેખર હિંદુઓને જેમ માનવામાં આવે છે એમ સતાવ્યા હોત તો કોઈને કોઈ જગ્યાએ તો વિદ્રોહ થયો જ હોત. છ સદી લાંબા મુસ્લિમ શાસનમાં અને આવડા મોટા દેશમાં એક પણ જગ્યાએ પ્રજાકીય વિદ્રોહ ન થાય એવું તો બને જ નહીં. એ એક ઇતિહાસ સિદ્ધ હકીકત છે કે મુસ્લિમ શાસન દરમ્યાન દેશમાં કોઈ મોટો પ્રજાકીય વિદ્રોહ નહોતો થયો. પ્લીઝ નોટ, હું પ્રજાએ કરેલા વિદ્રોહની વાત કરું છું.

આનું શું કારણ? વિદ્રોહ કરવા માટે આપણા કરતાં તેમની પાસે મોટું કારણ હતું, કારણ કે તેઓ આજે આપણે ધારીએ છીએ એમ ભોગવતા હતા. આનાં બે કારણો છે અને તે બંને ગાંઠે બાંધી લેવાં જોઈએ.

ભારતમાં બે પ્રકારના મુસ્લિમ આક્રમણકારો આવ્યા હતા. કેટલાક લૂંટવા આવ્યા હતા અને લૂંટીને જતા રહ્યા હતા. કેટલાક ભારત પર હાથ લાગે એટલો પ્રદેશ જીતીને શાસન કરવા આવ્યા હતા અને તેઓ અહીં જ વસી ગયા હતા.

જેઓ શાસન કરવા આવ્યા હતા અને શાસન કરતા હતા તેમનો પોતાનો સ્વાર્થ હતો. એ સ્વાર્થ હતો તેમની સામે પ્રજા વિદ્રોહ ન કરે એનો. રાજાઓને તો જીતી શકાય, પણ પ્રજા વિદ્રોહ કરે તો શાસન કરવું અઘરું પડે. તેમને ઇસ્લામમાં રસ નહોતો, શાસનમાં રસ હતો. બીજું આગલા એક લેખમાં કહ્યું હતું એમ તેઓ પણ પ્રમાણમાં તાજા વટલાયેલા મુસલમાનો હતા, કબીલાઈ વાંશિક સંસ્કાર ધરાવતા હતા, લડાઈખોર હતા, ઇસ્લામની પૂરી જાણકારી તેઓ પણ નહોતા ધરાવતા, પ્રમાણમાં અસંસ્કારી જાહિલ હતા, એટલે તેઓ તેમના શાસનમાં આડા આવે એનું નિર્દયી થઈને માથું વાઢી લેતા હતા; પરંતુ તેમને ઈસ્લામને ગામેગામ પહોંચાડવામાં રસ નહોતો. તેમની ઇસ્લામ માટેની સમજ જ ખાસ વિકસી નહોતી ત્યાં પ્રતિબદ્ધતાનો સવાલ નહોતો. વળી એમાં રાજકીય જોખમ રહેલું છે એ વાત સમજવા જેટલી બુદ્ધિ તેઓ ધરાવતા હતા. હા, તેઓ તેમનો ડારો સ્થાપિત કરવા હિંદુ મંદિરોને તોડતા હતા અને એ પણ જવલ્લે જ, પ્રજાકીય વિદ્રોહ ન થાય એનું ધ્યાન રાખીને. બીજું બુતપરસ્તી(મૂર્તિપૂજા)નો નકાર એ ઈસ્લામ એવી તેમની ઈસ્લામ વિશેની જાડી સમજ હતી.

આપણે આજે માનીએ છીએ એટલા પ્રમાણમાં તેમણે હિંદુઓને સતાવ્યા નહોતા એનું બીજું પણ એક કારણ હતું. ભારત પર ચડાઈ કરનારા મુસલમાનોના એક પછી એક ધાડાઓએ રાજકીય અસ્થિરતા પેદા કરી હતી. એક ગયોને બીજો આવ્યો એવી નાજુક રાજકીય સ્થિતિમાં તેમના રાજ્યમાં પ્રજાકીય વિદ્રોહ ન થાય અથવા તો પ્રજાનો કોઈ વર્ગ દુશ્મનને મદદ ન કરે એ માટે પણ તેઓ હિંદુઓને રંજાડતા નહોતા. તેમની પ્રાથમિકતા તેમના શાસનના પાયા મજબૂત કરવાની હતી, ઇસ્લામનો પ્રચાર નહોતી. એ સમયે મુસ્લિમ શાસકો રાજકીય જરૂરિયાત મુજબ શિયા કે સુન્ની બનતા હતા. સંપ્રદાય પરિવર્તન કરતા હતા. જેમ કે શેરશાહ સૂરી સામે હારીને હુમાયુને ભારત છોડવું પડ્યું એ પછી તે ઈરાનના રાજવીની મદદ મેળવવા શિયા બની ગયો હતો અને જીત્યા પછી પાછો સુન્ની થઈ ગયો હતો. આમ તેઓ સત્તા ખાતર ઇસ્લામનો પણ ઉપયોગ કરતા હતા.

એ સમયે ઈસ્તંબુલમાં ખલીફાનું રાજ હતું અને ઈસ્લામ મુજબ ઈસ્લામનો ખલીફ મુસલમાનો પર રાજ કરવાનો ધાર્મિક-રાજકીય અધિકાર ધરાવતો હતો. આમ મુસલમાન માત્રની વફાદારી ખિલાફત માટેની હતી. ભારતમાં શાસન કરનારા મુસ્લિમ શાસકો રૂઢિચુસ્ત મુસલમાનો નારાજ ન થાય એ માટે ખલીફા પ્રત્યેની વફાદારીના સોગંદ લેતા હતા. આવા સોગંદ કલમાનો ભાગ હતો જે રોજ પઢવામાં આવતો હતો. ટૂંકમાં તેઓ ચુસ્ત મુસલમાનો નારાજ ન થાય એનું પણ ધ્યાન રાખતા હતા અને હિંદુ નારાજ ન થાય એનું પણ ધ્યાન રાખતા હતા. વાસ્તવમાં એક મુસલમાન તરીકે તેમને ઇસ્લામના પ્રચાર-પ્રસારમાં કોઈ રસ નહોતો, પણ શાસક તરીકે તેમને શાસન કરવામાં રસ હતો. તો આનો અર્થ એ થયો કે તલવારના જોરે હિંદુઓને મુસલમાન બનાવવામાં ભારતમાં આવેલા મુસ્લિમ શાસકોને રસ નહોતો. આમાં અપવાદ ખરા, પણ એકંદરે મુસ્લિમ શાસકો જબરદસ્તીએ ધર્માંતરણ કરાવવાને પ્રોત્સાહન નહોતા આપતા.

હવે અહીં આવે છે હિંદુઓનો પક્ષ. ઈ.સ. ૭૧૨માં વિદેશી મુસલમાનોએ સિંધ પર કબજો કર્યો હતો. મહમ્મદ ઘોરીએ દિલ્હીમાં સલ્તનત સ્થાપી ૧૧૯૨માં. આ બે ઘટનાઓની વચ્ચે ૪૮૦ વરસનો ફરક છે. કોઈ ઓછાં વર્ષો નથી. આ ૪૮૦ વરસ દરમ્યાન હિંદુઓએ મુસ્લિમ આક્રમણોને ખાળવા માટે કેવા ઉપાય કર્યા હતા? ત્રણેય પ્રકારનો અનુભવ હિદુઓને થઈ ગયો હતો. હિંદુઓને આ દરમ્યાન લૂંટવા આવનારા મુસલમાનોનો પરિચય થઈ ગયો હતો. કેટલાક શાસન કરવા રહેવાની તજવીજ કરે છે એનો પણ પરિચય થવા લાગ્યો હતો. જે રહી ગયા હતા તેમના એક ખાસ પ્રકારના ધર્મને કારણે ખરલમાં વટાતા નથી એનો પણ અનુભવ થયો હતો. લગભગ ચારસો વરસના આવા ત્રણેય પ્રકારના અનુભવ પછી પણ હિંદુઓએ મળીને મુસલમાનોને ભારતમાં આવતા રોકવા માટે કોઈ પ્રયત્નો કર્યા નહોતા. ચારસો વરસમાં એક પણ નહીં.

બીજું આશ્ચર્ય. કનૌજના રાજા પૃથ્વીરાજ ચોહાણનો પરાજય ૧૧૯૨માં થયો હતો. કાશીનું પતન ૧૧૯૪માં થયું. ૧૧૯૭-૯૭માં બંગાળનો આક્રમક મુસલમાનોના હાથે પરાજય થયો. માત્ર એક દાયકામાં વિદેશથી આવેલા મુસલમાનોએ પેશાવરથી લઈને ઢાકા સુધીના ભારત પર કબજો જમાવ્યો હતો. વિદેશથી આવનારા બે-ચાર હજાર મુસલમાન હિંદુ બહુમતી દેશમાં જોતજોતામાં છવાઈ જાય અને એક દાયકામાં અડધા દેશમાં કબજો જમાવે એવું કેમ બન્યું? એ સમયે યાતાયાતની આધુનિક વ્યવસ્થા પણ નહોતી.

શા માટે આવું બન્યું?

આનું કારણ એ હતું કે હિંદુ રાજવીઓ વચ્ચે સંપ નહોતો. કનૈયાલાલ મુનશીની ‘જય સોમનાથ’ નવલકથા વાંચી જાવ. આનું એ કારણ હતું કે સાતમી સદીમાં થઈ ગયેલા હર્ષવર્ધન પછીના રાજવીઓમાં સામ્રાજ્ય સ્થાપવા જેટલી મહત્ત્વાકાંક્ષા જ નહોતી. હર્ષવર્ધનનું સામ્રાજ્ય હિંદુઓનું છેલ્લું ખરું સામ્રાજ્ય હતું. આનું કારણ એ હતું કે પ્રજા સામાજિક-સાંસ્કૃતિક પ્રવાહોથી અનભિજ્ઞ હતી. હકીકતમાં એવા પ્રવાહો જ થંભી ગયા હતા. પ્રજા ગામડાંઓમાં જ્ઞાતિબદ્ધ કિલ્લાઓમાં જીવતી હતી. ગ્રામીણ જીવન સ્વાયત્ત પણ હતું અને તે સાથે કુંઠિત તેમ જ શોષિત પણ હતું. આમ પ્રજાને રાજા આવે કે જાય એનાથી કોઈ ફરક પડતો નહોતો. પ્રજામાં રાજકીય ચેતનાનો જ અભાવ હતો. સંત તુલસીદાસે એક ચોપાઈમાં કહ્યું છે, ‘કોઉં નૃપ હોય હમહિં કા હાની.’ અર્થાત્ રાજા ગમે તે હોય આપણને શું નુકસાન છે.

આનું કારણ એ હતું કે જ્ઞાતિપ્રથાને કારણે બિન-ક્ષત્રીય પ્રજાને લડવાનો પણ અધિકાર નહોતો. ક્ષત્રીય ખપી જઈને પાળિયો થઈ જાય, પણ બિન-ક્ષત્રીયની મદદ નહીં લે. તેને મન યુદ્ધમાં જીતવા કરતાં જ્ઞાતિની અટ જાળવી રાખવી એમાં વધારે મોટાપણું હતું. આનું કારણ એ હતું કે હિંદુઓ હંમેશાં સંરક્ષણાત્મક લડાઈઓ જ લડતા હતા, આક્રમક લડાઈ નહોતા લડતા. તમને દેશમાં જેટલા પાળિયા જોવા મળશે એટલા વિજય સ્મારકો જોવા નહીં મળે.

આનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ હિમાલય, હિંદુકુશ અને દરિયો ઓળંગવાની મનાઈ કરી હતી. વાત એમ છે કે બૌદ્ધો ધર્મપ્રચાર કરવા વિદેશ જતા હતા અને તેમને વિદેશ જનારા નીચા ગણવા માટે બ્રાહ્મણોએ હિંદુઓએ વિદેશ નહીં જવું એને ધર્મ માનવામાં આવ્યો હતો. બહાર જાય એ હલકા અને ઘરમાં રહે એ શ્રેષ્ઠ ઊંચા. આનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ પુરાણોમાં વિષ્ણુના કલ્કી અવતારની કલ્પના ઘૂસાડી હતી જે પ્રજાને ભ્રમણામાં રાખતી હતી. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે : “સિંધુ તટ, દાવિકોર્વી, ચન્દ્રભાગા તથા કાશ્મીર પ્રાંતોનો ઉપભોગ વ્રાત્ય, મ્લેચ્છ અને શુદ્ર કરશે. તેઓ ઓછી કૃપા અને વધારે કોપ કરનારા હશે. તેઓ સદા અનૃત ધર્મમાં રુચિ ધરાવનારા હશે અને સ્ત્રી બાકળ તેમ જ ગાયોનો વધ કરશે. ત્યારે શમ્બલ ગ્રામમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણના ઘરમાં વાસુદેવ કલ્કીનો અવતાર ધારણ કરશે અને તે તમામ મ્લેચ્છોનો નાશ કરીને બ્રાહ્મણ ધર્મની પુન:સ્થાપના કરશે.” આમ તેમનો ભરોસો ભવિષ્યમાં થનારા અવતાર પર હતો, પુરુષાર્થ પર નહોતો. હિંદુઓ કૃપાર્થી હતા, પુરુષાર્થી હતા.

મુસલમાનોએ જોતોજોતામાં પેશાવરથી લઈને ઢાકા સુધીના ભારત પર કબજો જમાવ્યો એના આ કારણો હતાં. એક નહીં અનેક કારણો. હિંદુઓની આ નિર્બળતાનો સ્વીકાર આર.સી. મજુમદાર જેવા રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને પણ કરવો પડ્યો છે. આંતરિક નિર્બળતા સિવાય બીજો ખુલાસો શું હોઈ શકે? હવે કલ્પના કરો કે મુસલમાનોએ જો તલવારની મદદથી ઈસ્લામ ધર્મ હિંદુઓ પર લાદ્યો હોત તો હિંદુઓ તેનો સામનો કરી શક્યા હોત? ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ એવું કોઈ ઉદાહરણ મળશે જેમાં ધર્માંતરણનો પ્રતિકાર કરવા હિંદુઓએ લોહી રેડીને સામનો કર્યો હોય કે પછી ઈરાનના જરથોસ્તીઓની જેમ હિજરત કરી હોય. જે આક્રમણકારો પેશાવરથી ઢાકા સુધીનો પ્રદેશ જોતજોતામાં જીતી શકે એ ભારતના ઓછામાં ઓછા ૮૦ ટકા હિંદુઓને મુસલમાન ન બનાવી શકે? તેમણે ભારત પર ૬૦૦ વરસ શાસન કર્યું હતું જે ધર્માંતરણ કરાવવા માટેનો ઓછો સમયગાળો નથી.

મુસલમાનો ભારત પર છસો વરસ રાજ કરે અને છતાં ય ભારતના ૮૦ ટકા હિંદુઓ વટલાયા વિના હિંદુ બની રહે તો જરૂર કોઈ વાત છે. એ વાત આગળ કહેવાઈ ગઈ છે. વિદેશથી આવેલા મુસ્લિમ શાસકોને રાજ કરવામાં રસ હતો, ઇસ્લામમાં નહીં. તેઓ પોતે અધૂરા મુસલમાન હતા એટલે ઇસ્લામિક અસ્મિતાનો તેમને કોઈ સ્પર્શ નહોતો થયો. આમ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને મુસલમાનો ભારતમાં આવ્યા હતા અને હિંદુઓ પર અત્યાચાર કરીને વટલાવ્યા હતા, એ સાચી વાત નથી. જો એ સાચી હકીકત હોત તો એ યુગમાં કોઈને કોઈ જગ્યાએ હિંદુઓએ બળવો કર્યો હોત. નબળામાં નબળી પ્રજા પણ જ્યારે ગળે આવી જાય ત્યારે બળવો કરે છે. હા, દલિતોએ અને શોષિતોએ શાંત વિદ્રોહ જરૂર કર્યો હતો. તેમને સવર્ણ હિંદુઓ દ્વારા સદીઓથી કરવામાં આવતા અન્યાય અને અત્યાચારથી મુક્તિ મેળવવાનો વિકલ્પ મળ્યો હતો. ભારતમાં જે હિંદુઓ મુસલમાન થયા છે એમાંના ૮૦ ટકા કરતાં વધુ લોકો પદદલિત હતા. તેમણે સામે ચાલીને શોષણથી મુક્ત થવા ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો.

તો પછી આવી માનસિકતા આવી ક્યાંથી? આગળ કહ્યું એમ જે પ્રજા પ્રત્યક્ષ ભોગવતી હતી તે પ્રજાએ ગળે આવીને મુસ્લિમ શાસકો સામે બળવો કર્યો હોય એવી તો કોઈ ઘટના ઇતિહાસમાં નોંધાયેલી જડતી નથી. તો આ પછી આવી ‘માન્યતા’ ઇતિહાસનો હિસ્સો બની કઈ રીતે? આનો જવાબ અનમ ઝકરિયાએ આપ્યો છે. અંગ્રેજોએ તેમને માફક આવે એવો ઇતિહાસ લખીને ભારતના હિંદુઓની અને મુસલમાનોની એમ બંનેની જૂઠી ચામડી મઢી આપી હતી. અંગ્રેજોએ શીખવાડેલો ઇતિહાસ ભારતની બંને કોમને માફક આવે એવો હતો.

જેમ કે હિંદુઓને એમ માનવું ગમે છે કે તેમનું પતન તેમની નબળાઈને કારણે નહોતું થયું, પણ મુસલમાનોની નીચતાને કારણે થયું હતું. એક ઝાટકે અપરાધબોધમાંથી મુક્તિ. બીજી બાજુ મુસલમાનોને એમ માનવું ગમે છે કે તેમના પૂર્વજો ક્રૂરતાભર્યા આક્રમણો દ્વારા વિજયી નહોતા થયા, પણ ઇસ્લામ ધર્મની તેમ જ મુસલમાનોની શ્રેષ્ઠતાને કારણે વિજયી થયા હતા. એક ઝાટકે તેમને પણ અપરાધબોધમાંથી મુક્તિ. ભારતીય મુસલમાનોને એ સ્વીકારવું નથી ગમતું કે ભારત પર આક્રમણ કરનારા મુસલમાનો તેમના પૂર્વજો નહોતા પણ તેઓ વિદેશી મુસલમાનો હતા. મોટા ભાગના ભારતીય મુસલમાનોના પૂર્વજો હિંદુ બહુજન સમાજમાંથી આવતા હતા. ભારત પર વિદેશી મુસલમાનોએ રાજ કર્યું હતું અને તેઓ તો હિંદુમાંથી મુસ્લિમ બનેલા ભારતીય મુસલમાનોને જાહિલ સમજતા હતા. મુસ્લિમ વહીવટીતંત્રમાં ઉચ્ચ પદસ્ત અધિકારીઓ વિદેશી મુસલમાનો હતા અથવા નાગર, ચિત્પાવન બ્રાહ્મણ કે કાયસ્થો હતા. કાયસ્થો મુસલમાનોના ખોળામાં ઘુસવા શું શું નહોતા કરતા એ જાણવું હોય તો હરિવંશરાય બચ્ચનની આત્મકથા વાંચી જાવ. તેઓ પોતે કાયસ્થ હતા. આમ મુસ્લિમ શાસકોની નજરે ભારતીય ધર્મપરિવર્તિત મુસલમાનોની કોઈ ગણના જ નહોતી. તેઓ તો હાંસિયામાં પણ નહોતા. આમ છતાં અંગ્રેજોએ તેમને શાસક કોમના વારસ તરીકેનું ચામડી મઢી આપીને સન્માન આપ્યું છે. 

આને કારણે હિંદુઓ જ્યારે મુસ્લિમ શાસકો દ્વારા શાસિત હતા ત્યારે જેટલા દુઃખી નહોતા એટલા આજે છે. અને મને એ વાતની પણ ખાતરી છે કે અહીં મેં જે મઢેલી ચામડી ખરોચવાનું સાહસ કર્યું છે એ કેટલાક હિંદુઓને અને મુસલમાનોને એમ બેઉને નહીં ગમે. માફક આવે એવી માન્યતાઓ ગુમાવવાની પીડા સંપત્તિ ગુમાવવા જેટલી જ હોય છે. નિર્વસ્ત્ર થવું કોઈને ગમતું નથી. 

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 સપ્ટેમ્બર 2019

Loading

...102030...2,7092,7102,7112,712...2,7202,7302,740...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved