Opinion Magazine
Number of visits: 9576793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે

દીપક મહેતા|Opinion - Literature|25 August 2019

ગાંધીજીની માતૃભાષા વધુ સરળ બનશે, વધુ લોકો તેને વાપરતા થશે તો ગાંધીજીને આનંદ જ થશે

આજે [24 ઑગસ્ટ 2019] વિશ્વ ગુજરાતી ભાષા દિવસ.

એટલે કે દુનિયાના કુલ ૧૯૦ દેશોમાંથી ૧૨૯ દેશોમાં વસતા લોકોની ભાષાનો દિવસ. આપણા દેશની બીજી કોઈ ભાષા બોલનાર લોકો આટલી મોટી સંખ્યામાં, આટલા બધા દેશોમાં વસતા નથી. અને છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં વારંવાર બૂમો સંભાળવા મળે છે કે ‘ગુજરાતી ભાષા મરવા પડી છે.’ પણ ૧૨૯ દેશોમાં બોલાતી ગુજરાતી ભાષા મરવા કઈ રીતે પડી હોય? લગભગ છ કરોડ લોકોની માતૃભાષા હોય તે ભાષા મરવા કઈ રીતે પડી હોય? ખાનપાન, પહેરવેશ, રીતરિવાજ, ધર્મભાવના વગેરેમાં પરદેશમાં પણ પોતાપણું જાળવી રાખવા માટે આગ્રહી હોય એવી પ્રજાની ભાષા મરવા કઈ રીતે પડી હોય? ના. ગુજરાતી ભાષા મરવા પડી નથી. મરવા પડી શકે તેમ નથી.

પણ એનો અર્થ એવો નથી કે ગુજરાતી ભાષાની સ્થિતિ રાતી રાયણ જેવી છે. હા, જેનો ઈલાજ કરવો પડે એવી માંદગી તો છે. રોજેરોજના વ્યવહારમાંથી બોલાતી ગુજરાતી ભાષાની બાદબાકી થઇ નથી, થવાની નથી. પણ જે માંદગી છે તે લખાતી, છપાતી અને વંચાતી ગુજરાતી ભાષાની છે. આજે આપણી પ્રજાનો એક ઘણો મોટો વર્ગ એવો છે જે ગુજરાતી બોલે અને સમજે છે ખરો, પણ લખવા-વાંચવામાં તેનો ઉપયોગ ઓછોમાં ઓછો કરે છે. અને આ પરિસ્થિતિ માટે માત્ર અંગ્રેજી માધ્યમના શિક્ષણને માથે દોષનો ટોપલો ઓઢાડી દેવાથી કામ નહિ સરે. હા. અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે, પણ તે મુંબઈમાં અને ગુજરાતનાં થોડાં મોટાં શહેરોમાં. તે સિવાયનાં સંખ્યાબંધ ગામોમાં, ગામડાંઓમાં તો હજી ગુજરાતી માધ્યમ જ મુખ્ય અને મહત્ત્વનું છે. અને શહેરોમાં કે બીજે જે વાલીઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મોકલતાં હોય તેમને પણ ગાળો દેવાથી કશો અર્થ સરવાનો નથી. કારણ ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે, વ્યવહારુ પ્રજા છે. એટલે જેમાં લાભ થશે એમ લાગતું હોય તે કામ પહેલું કરશે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી નોકરી-ધંધામાં ખરેખર લાભ થાય છે કે નહિ એ ચર્ચાનો વિષય હોઈ શકે. પણ અંગ્રેજીમાં જેને ‘પરસેપ્શન’ કહે છે તે તો એવું છે કે લાભ થાય છે. અને જ્યાં લાભ દેખાય ત્યાં ગુજરાતી ન જાય એવું બને નહિ. સિગરેટ કે દારુ હાનીકારક હોવા છતાં તેને વિશેના એક યા બીજા પરસેપ્શનને કારણે લોકો તેનું સેવન કરે છે. તેવી જ રીતે અંગ્રેજી માધ્યમનું પણ સેવન કરે છે. એટલે ઘણી મોટી સંખ્યાના લોકો આજે લખાતી-વંચાતી ગુજરાતી ભાષાથી દૂર થતા જાય છે.

જે લોકો દૂર ગયા છે તેમને પાછા નજીક લાવવા માટે શું કશું જ થઇ શકે તેમ નથી? આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. પણ આ માટે પહેલ કરવી પડે ગુજરાતી ભાષા લખનાર અને છાપનાર લોકોએ. સંસ્કૃતની એક ઉક્તિ કહે છે કે જેવો ભાષક તેવી ભાષા, જેવો બોલનાર તેવી બોલી. એટલે પહેલી વાત તો એ કે લખાતી-છપાતી ગુજરાતી ભાષા તેના બોલનારને પોતીકી લાગે એવી હોવી જોઈએ. એટલે કે બોલાતી ભાષા અને લખાતી ભાષા વચ્ચે બહુ મોટું અંતર હોવું ન જોઈએ. એક દાખલો: રોજિંદી બોલચાલમાં આપણે છાપું શબ્દ જ વાપરીએ છીએ, વર્તમાનપત્ર કે અખબાર શબ્દ નહિ. કોઈ પણ ગુજરાતી ઘરમાં ‘આજે છાપાં મોડાં આવ્યા’ એમ જ બોલશે. વર્તમાનપત્ર કે અખબાર મોડું આવ્યું એમ નહિ બોલે. પણ આપણા ઘણા ભણેશરીઓ લખતી વખતે સંસ્કૃત શબ્દો વાપરવાનો આગ્રહ હજી રાખે છે. રોજિંદા વ્યવહારમાં પણ વપરાતા અંગ્રેજી શબ્દોની આભડછેટ પાળે છે. આજની તારીખે પણ આપણા એક પ્રતિષ્ઠિત લેખક ‘સીડી રોમ’ને બદલે બોલવા-લખવામાં ‘ઘનાંકિતા’ જેવો કૃત્રિમ, ઉપજાવી કાઢેલો સંસ્કૃત શબ્દ વાપરવાનો આગ્રહ રાખે છે. પણ અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાના જે શબ્દો આપણા લોકોએ તેમના રોજિંદા વ્યવહારમાં અપનાવ્યા છે તેનાથી લખાતી ભાષા કેટલો વખત દૂર રહી શકશે? અંગ્રેજી ભાષા દિવસે દિવસે વધુ સમૃદ્ધ, વધુ પ્રચલિત થતી જાય છે એનું એક કારણ એ છે કે દર વર્ષે જુદી જુદી અનેક ભાષાના શબ્દોને તે અપનાવતી રહે છે. ઓક્સફર્ડ અને વેબસ્ટર જેવી પ્રતિષ્ઠિત ડિક્ષનરીઓ આવા શબ્દોની યાદીઓ બહાર પાડે છે. અને તેમાં ગુજરાતી સહિતની ભારતની ભાષાઓના શબ્દો પણ હોય છે જ. આજે હવે કિન્ગ્ઝ કે ક્વીન્સ ઇંગ્લિશનો આગ્રહ ભાગ્યે જ કોઈ રાખે છે. ઓક્સફર્ડ ડિક્ષનરી ઉથલાવતાં આજે તેમાં દાદાગીરી, બાપુ, સૂર્ય નમસ્કાર, ગુલાબ જાંબુ, ચમચા, નાટક, ચૂપ, જેવા ભારતીય ભાષાઓના અનેક શબ્દો જોવા મળશે. પણ આપણા કેટલાક કહેવાતા ભાષાભક્તો અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. (અલબત્ત, તેમનાં પોતાનાં સંતાનો ઇંગ્લન્ડ-અમેરિકામાં ભણતાં હોય છે.) પણ જો લખાતી-છપાતી ગુજરાતી ભાષાને લોકો સુધી લઇ જવી હોય તો આવું બાપના કૂવામાં ડૂબી મરવાનું વલણ બદલવું પડશે.

ગુજરાતી ભાષામાં લેખન કરવાથી આજે ઘણા ડોકટર, વકીલ, વૈજ્ઞાનિક, અને અન્ય વ્યવસાયના લોકો દૂર રહે છે તેનું એક કારણ છે તેની ખૂબ જ ગૂંચવણભરી જોડણીની વ્યવસ્થા. ગુજરાતી ભાષાનો પ્રમાણભૂત જોડણીકોશ મનાય છે એ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં જોડણીને લગતા કુલ ૩૩ નિયમ આપ્યા છે! અને લગભગ દરેક નિયમમાં પાછા અપવાદ નોંધ્યા છે! હવે તમે જ કહો, આ ૩૩ નિયમ અને તેના અપવાદ કેટલાને યાદ રહે? એ યાદ રાખીને કેટલા લોકો લખી શકે? એટલે આ અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. જેમ કે ૩૩ નિયમમાંનો પહેલો જ નિયમ કહે છે: ‘સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.’ આનો સીધો સાદો અર્થ એ થયો કે તમે ગુજરાતીમાં લખો તે પહેલાં તમને સંસ્કૃત ભાષા અને તેનું વ્યાકરણ આવડતાં હોવાં જોઈએ! પણ આજે કેટલા ગુજરાતીઓ એ જાણે છે? આપણે જેને ‘જોડણી’ કહીએ છીએ તેને મરાઠીમાં ‘શુદ્ધ લેખન’ કહે છે. મરાઠી શુદ્ધ લેખનના નિયમોમાં આ અંગે ઘણી સરળતા જોવા મળે છે. ઘણાખરા સંસ્કૃત શબ્દોને પણ મરાઠી ‘શુદ્ધ લેખન’ના નિયમો લાગુ પડે છે. જેમ કે મરાઠીમાં ‘કવી’, ‘રવી’ એમ જ લખાય છે, ‘કવિ’, ‘રવિ’ નહિ. કારણ મરાઠી શુદ્ધ લેખનનો એક નિયમ છે કે શબ્દને અંતે આવતો ઈકાર હ્રસ્વ નહિ પણ દીર્ઘ જ લખવો. અને કવિ કે રવિમાં દીર્ઘ ઈ લખાય છે તેથી મરાઠી કવિઓ નથી મરવા પડ્યા કે નથી રવિ (સૂરજ) મરાઠીભાષીઓ પર રોષે ભરાતો. ગુજરાતીમાં પણ આપણે અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દો લખતી વખતે આપણી રીતે જ તે શબ્દો લખીએ છીએ. જેમ કે કોઈ અંગ્રેજ બચ્ચો ‘ટિકિટ’ કે ‘પ્લમ્બર’ બોલતો નથી. તેનો અંગ્રેજી ઉચ્ચાર ‘ટિકેટ’ અને ‘પ્લમર’ થાય છે. પણ આપણે આ શબ્દો એ રીતે લખતા નથી. ગુજરાતીમાં જે રીતે બોલાય છે તે રીતે જ લખીએ છીએ. તો પછી સંસ્કૃત શબ્દોની જોડણી સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરવી એવો દુરાગ્રહ શા માટે? દરેક ગુજરાતીને સંસ્કૃત તો આવડવું જ જોઈએ એમ આપણે માનીએ છીએ? દાદી પાસેથી વારસામાં મળેલાં સોનાનાં ઘરેણાં આપણે વેચી ન નાખીએ, પણ આપણી જરૂરિયાત પ્રમાણે, જમાનાની માગ પ્રમાણે, એનાં ઘાટઘૂટ તો બદલી જ શકીએ ને?

પણ ના. કારણ? ૧૯૨૯માં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારથી આજ સુધી તેને પહેલે પાને ગાંધીજીનું એક વાક્ય છપાતું આવ્યું છે: “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” કમનસીબે આ વાક્યનો અર્થ આપણે એવો કર્યો છે કે આ કોશમાં જે નિયમો છાપ્યા છે, જે જોડણી આપી છે તે જ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી જેમનાં તેમ રાખવાનાં છે. તેમાં કશો ફેરફાર, સુધારો, વધારો, ઘટાડો કરાય નહિ. પણ હકીકતમાં અહીં ગાંધીજી અરાજકતાનો વિરોધ કરે છે, સ્વેચ્છાચારનો વિરોધ કરે છે, દરેક જણ મનમાની રીતે લખે તેનો વિરોધ કરે છે. ભાષામાં સહજ અને સ્વાભાવિક રીતે આવતા પરિવર્તનનો વિરોધ કરતા નથી. ગાંધીજી જેવો ડાયનેમિક માણસ કદી પરિવર્તનનો વિરોધ કરે ખરો? બીજો કોઈ ઉપાય નથી એવી ખાતરી થતાં જેણે દેશના ભાગલા પણ સ્વીકાર્યા, એ માણસ ભાષા અને જોડણીમાં ક્યારે ય કશું બદલી શકાય જ નહિ એવું કહે? ના. ગાંધીજીની માતૃભાષા ગુજરાતી વધુ સરળ બનશે, વધુ લોકો તેને લખતાં, વાંચતાં, બોલતાં, સમજતાં થશે તો ગાંધીજીને તો આનંદ જ થશે. ગાંધીજીને આનંદ થાય એવું આપણે કરીશું? ક્યારે? એવું કરવાનો નિર્ધાર કરવા માટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કરતાં વધુ રૂડો દિવસ બીજો કયો હોઈ શકે?

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

Loading

ફ્રોઇડિયન વલણ ધરાવતી સુન્દરમ્‌ની વાર્તાઓ

અરવિંદ વાઘેલા|Opinion - Literature|25 August 2019

ગાંધીયુગના સમર્પિત સર્જક સુન્દરમ્‌ની પ્રમુખ ઓળખ તો કવિ તરીકેની છે. છતાં વાર્તાકાર તરીકે તેમનું પ્રદાન પણ વિશેષ નોંધપાત્ર અને મહત્ત્વનું છે. પ્રવાસલેખક, નાટકકાર અને સાધક તરીકે પણ તેમની પ્રતિભા વિશેષ ખીલી છે. અધ્યાત્મના યાત્રી સુન્દરમ્‌ના સાહિત્યસર્જનના કેન્દ્રમાં છે 'માણસ'. માણસમાં પડેલી માનવતાની શોધ એ એમનાં કાવ્યો અને ટૂંકીવાર્તાઓનો વિષય છે. માણસના આંતરમનમાં ઝાંખતી એમની રચનાઓ ગાંધીયુગનો નવોન્મેષ ગણી શકાય. માણસની ખૂબીઓ અને ખામીઓ, તેની ગતિ અને તેની આસપાસના પરિવેશથી રચાતા Psychological fieldનું ચિત્રણ સુન્દરમ્‌ બખૂબી કરે છે. માણસ વિશેની માન્યતા, માણસના સમીકરણ યુગેયુગે બદલાતા રહે છે. વીસમી સદીનો માણસ એકવીસમી સદીમાં આવી ગયો, પરંતુ એવું ઘણું બધું એણે ગુમાવી દીધું જેનો ખ્યાલ સુધ્ધા તેને નથી ! અસ્તિત્વની લેબરિન્થમાં અટવાતો માણસ પોતાની ઓળખ માટે ઝાંવા નાખી રહ્યો છે. કદાચ એટલે જ સુન્દરમે કહ્યું હશે કે – ‘હું માનવી માનવ થાઉં તો ઘણું'. કવિ તરીકે સુન્દરમ્ પોતાની કાવ્ય રચનાઓમાં માનવ્યનો મહિમા તો કરે જ છે. પરંતુ ટૂંકી વાર્તાના સર્જક તરીકે તેઓ માણસના મનનું Psycho-analysis કરી માણસના આંતરમનને ઊંડાણથી પરખે છે.

ગુજરાતી સાહિત્યમાં વાસ્તવવાદી નવલિકાઓની શરૂઆત બકુલેશ અને સુન્દરમ્ દ્વારા થઇ. સુન્દરમ્‌ની વાર્તાકળાએ એમને સફળ અને લોકપ્રિય વાર્તાકાર બનાવ્યા. 'હીરાકણી અને બીજી વાતો' , 'ખોલકી અને નાગરિકા', 'ઉન્નયન' અને 'પિયાસી' જેવા વાર્તાસંગ્રહોમાં સંગ્રહિત જિન્સી તત્ત્વો, જાતીયતાને આલેખતી વાર્તાઓમાં સિગમંડ ફ્રોઇડની સ્પષ્ટ અસર સર્જક પર જોઈ શકાય છે. સુરેશ દલાલ સંપાદિત સંગ્રહ 'કેટલીક વાર્તાઓ'માં  ફ્રોઇડિયન વલણ ધરાવતી વાર્તાઓ પર નજર નાખીએ તો 'ખોલકી', 'લાલ મોગરો', 'પ્રસાદજીની બેચેની', 'આશા' અને 'મા ને ખોળે' આ પ્રકારની વાર્તાઓ છે. આ વાર્તાઓમાં ફ્રોઇડની અસરનો અર્થ માત્ર psycho-analysis નહિ પણ શોષણની અનૈતિકતા અને જાતીયવૃત્તિઓનો ઉન્માદ પણ ખરો. સમાજના દુરાચારો, બેફામ રીતે વધી રહેલ જાતીય વિકૃતિની વિષમ કરુણ પરિસ્થિતિ અને તે અંગેનો સમાજનો પ્રત્યાઘાત આ વાર્તાઓમાં દેખાય છે.

ગાંધીયુગમાં ઉદ્દભવેલ ટૂંકીવાર્તાનાં સ્વરૂપનું સદ્દનસીબ રહ્યું કે આ યુગમાં અને પ્રારંભિક સમયે જ તેને ધૂમકેતુ, દ્વિરેફ, ક.મા. મુનશી, ઉમાશંકર જોશી અને સુન્દરમ્‌ જેવા સમર્થ વાર્તાસર્જકો પ્રાપ્ત થયા. ગાંધીજીના પ્રભાવથી સાહિત્યમાં આલેખતું થયેલું ગામડું ધૂમકેતુ જેવા સર્જકે ભાવનાવાદી દ્રષ્ટિકોણથી આલેખ્યું. જ્યારે સુન્દરમે તેમનાથી તદ્દન વિપરીત ગ્રામીણ જીવનની કુત્સિતતા અને કુટિલતાને વાસ્તવની પરિપાટી પર આલેખી. સુન્દરમ્‌ એક અર્થમાં આ યુગના પરંપરાભંજક વાર્તાકાર છે. 'જિન્સી તત્ત્વોવાળા, નાવીન્યપૂર્ણ કથાવસ્તુને લઈને જાતીય પ્રશ્નોને જુદે જુદે રૂપે વાર્તાઘાટ આપવામાં તેઓ પ્રગલ્ભ વલણ દાખવે છે. (પૃ. ૨૪૩ શબ્દયોગ). જાતીયતાને આલેખતા પ્રસંગોના નિરૂપણમાં 'સર્જક જો કૌવતવાળો ન હોય તો એની નાની અમથી ચૂક વાર્તાના આખા નકશાને વેરવિખેર કરી નાખવા પર્યાપ્ત બની રહેતી હોય છે'.  (પૃ. ૨૪૩ શબ્દયોગ). પરંતુ સુન્દરમ્‌ તો જિન્સી વિષયોના આલેખનમાં શિષ્ટતાપૂર્ણ કળાકસબ દાખવે છે. એમની આ વિષયની વાર્તાઓ એનું ઉદાહરણ છે.

'ખોલકી' આ વિષયની ઉત્તમ કલાત્મક વાર્તા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એને 'બીભત્સ રસની બેનમૂન વાર્તા' કહે છે. (ટૂંકીવાર્તા શિલ્પ અને સર્જન) ગ્રામીણ પરિવેશમાં વિકસતી આ વાર્તામાં નાયિકા, બાળપણમાં વિધવા થયેલી મુગ્ધા ચંદનનું પાત્ર છે. અને તેની સામે બુઢ્ઢો ખખ ત્રીજવર મૂકીને વાર્તાકારે વિરોધાભાસ ઊભો કર્યો છે. ગ્રામીણ જીવનનો નકરો વાસ્તવ રજૂ કરતી આ નવલિકાની કથા એક ગ્રામીણ નારીના આત્મકથાનક રૂપે રજૂ થાય છે. ગુજરાતી નવલિકા સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ સાબિત થયેલી સુન્દરમ્‌ની આ ઉત્તમ વાર્તા છે.

અંતરના ઊંડાણમાં પડેલી દમિત વાસનાને ઉજાગર કરતી 'ખોલકી'ની વાર્તા સંરચના વિષે વિવેચન કરતાં જયંત કોઠારી એને ત્રણ ઘટકોમાં વિભાજીત કરે છે. (૧.) 'પછી ફળિયામાં કૂતરાં ભસવા લાગ્યાં 'થી શરૂ થતો પ્રથમ ઘટક નાયકના પ્રવેશ સાથે પૂરો થાય છે. (૨) બીજા ઘટકમાં નણંદ-ભાભીની મુલાકાત – 'ચાલો ચાલો બેસીએ ઘડીવાર' કહી ભાભી એને બારી પાસે લઇ જઈ બેસે છે અને વાતચીત કરે છે. ત્યાં પડોશણની બૂમ સંભળાતા ભાભી, ચંદનને જવા સમજાવે છે અને – 'જે બને તે મને રજે રજ કહેવાનું' કહી ચંદનને ભિયા પાસે મોકલવા સાથે બીજો ઘટક પૂરો થાય છે. અને (૩) – 'અને હું ગઈ' થી શરૂ કરીને 'આમ ફર ને ખોલકી' જેવા પતિ ઉવાચ સાથે ત્રીજો ઘટક પૂરો થાય છે.

વાર્તાનો પ્રારંભ 'કૂતરાં ભસવાની' ચોંકાવનારી ઘટનાથી થાય છે. ચંદન વિચારે છે કે બધાને નિરાંતે જોવા હોય તો મેડે ચડવું પડે. બાળવિધવા ચંદનને પોતાના ભાવિ પતિને જોવાની તાલાવેલી, ઉત્કંઠા છે. એક બાજુ શરમસંકોચ છે તો બીજી બાજુ આકર્ષણ. લગ્નજીવનના ભાવિ અરમાનો સાથે ચંદન બારીની તિરાડમાંથી જુએ છે. – 'બધા ભાયડા બીડીઓ પીતા પીતા આવ્યા અને આંગણામાં ઢાળેલા ખાટલા પર આડા અવળા બેસી ગયા …. ….હું બધાય ભાયડામાં એમને શોધ્યા કરતી હતી'. (પૃ.૧૩ 'ખોલકી')માં નાયિકાની એક પુરુષ માટેની પ્રતિક્ષા પ્રગટ થાય છે કેમ કે …. ભાભી ચંદનની ઇંતેજારીનો અંત લાવતાં તેના ભાવિ પતિની ઓળખ કરાવે છે.  – 'પેલો ગળાનો હૈડિયો મોટો ખારેક જેવો દેખાય સે ને તે ' (પૃ. ૧૪ 'ખોલકી') પછી નાયિકા પાણી પીતા પતિના ગળાનો હૈડિયો ઉંદરડી પેઠે ઊંચો નીચો થતો જુએ છે. પાણી પીતાં ઉધરસ આવતાં ગળફો બહાર કાઢે છે. સતત ખાંસતો, થૂંકતો અને ધુમાડા કાઢતો પતિ જોઈ જુગુપ્સા અનુભવે છે. છતાં નાયિકા રાત્રે પડોસણના ઘરમાં જાય છે.

ત્રીજા ઘટકમાં રાત્રીના સમયે નાયિકા પડોશણના ઘરમાં ભિયાને મળવા જાય છે. 'હું ગઈ' એ નાનકડા વાક્યમાં નાયિકાની તાલાવેલી, ઉત્સુકતા જોઈ શકાય છે. પડોશણનો ચોખ્ખો ચંદન જેવો ઓરડો ચંદનના કૌમાર્યપૂર્ણ વૈધવ્યની વ્યંજના પ્રગટાવે છે. જ્યારે સામે પક્ષે બે સિગારેટ પી ચુકેલો (બે વારનો વિધુર) બુઢ્ઢોખખ ત્રીજવર પ્રતીકાત્મક રીતે – ‘ઘાસતેલનો ખડિયો ભખ ભખ ધુમાડો કાઢતો હતો’. એમ વાસનાની આગમાં સળગી રહેલો નિરુપયો છે. વાસનાગ્રસ્ત વરની સામે નિર્દોષ નાયિકા ચંદનને મૂકી વાર્તાકારે વિરોધાભાસની વાસ્તવિકતા નિરૂપી છે. નાયકના આવેગની ઇન્દ્રિયપ્રત્યક્ષતા સ્પર્શની આ આક્રમક અનુભૂતિમાં દેખાય છે. – 'એમણે હાથની બે આંગળીઓ એ પહેરેલી વીંટીઓ મારા આંગળા ને કચડતી હતી'. (પૃ.૧૯ ‘ખોલકી') સિગારેટ સળગાવતાં દીવાસળીની મોટી ઝાળમાં દેખાતું ભિયાનું વ્યક્તિત્વ સર્જકે ચંદનની નજરે આલેખ્યું છે. ચંદન પણ દિલચોરી કર્યા વિના રજે રજ કહેવાની શરત નિભાવતી હોય એમ કહે છે. – '… મૂછોના આંકડા થોડા થોડા વળેલા હતા અને મોઢાના હાડકાં ઊંચા નીકળી આવ્યા હતા’. સિગારેટના ધુમાડા કાઢતા ભિયાની સહેજ વાંકી વળેલી કરોડ અને છાતીના મોટાં પાંસળા તેમ જ થૂંક ગળતાં ઊંચો નીચો થતો ગળાનો હૈડિયો અને સૂપડી જેવી મૂછો. ચંદન નિષ્ઠુર બનીને સાક્ષી ભાવે ભિયાના ખોખલા શરીરને વર્ણવે છતાં સ્ત્રી સહજ લજ્જા જાળવી યોગ્ય ક્ષણે અટકી જાય છે.

કુત્સિત અને જુગુપ્સાજનક યથાર્થ સામે આવતાં નાયિકાના આકર્ષણનું ભ્રમ નિરસન થાય છે. ભિયાના આક્રમક વલણ અને પ્રથમ સમાગમના ભયથી ડરી ગયેલી ચંદન ખાટલાની ઈસને વળગીને સૂઈ જવા મથે છે, ત્યારે વાસનામાં અંધ ભિયા ચંદનને જોરથી પોતાના તરફ ખેંચતા – 'આમ ફરને ખોલકી' કહે છે. (પૃ.૨૧ 'ખોલકી') નાયિકાનો વધતો સંકોચ અને પતિનું આક્રમક બળ, એક સ્ત્રી અને પુરુષ વચ્ચેના સમાગમ પૂર્વેની પ્રતિક્રિયાના  યથાર્થનું દર્શન કરાવે છે. ઈસ છૂટી ગયા પછી, પતિને સમર્પિત થતી નાયિકાનું ચિત્ર લેખકે ભાવક પર છોડ્યું છે. વાર્તા અશ્લીલતાની હદમાં પ્રવેશે તે પહેલાં લેખક વાર્તાનો અંત લાવે છે.

નગદ સૌન્દર્ય અને નકરા વાસ્તવના વાર્તાકાર છે સુન્દરમ્‌. ગ્રામજીવનનું સૌન્દર્ય અને નિર્દોષપણાની સાથે સાથે એની કુત્સિતતા અને કુટિલતાને પણ કલાત્મક રીતે આલેખનાર સુન્દરમ્‌ 'લાલ મોગરો' વાર્તામાં ગ્રામજીવનના યથાર્થને જુદી પરિપાટી પર રજૂ કરે છે. જાતીય વિષયોને આલેખતી સુન્દરમ્‌ની વાર્તાઓનું કથાબીજ જીવનની તરસ કે તૃષા પર આધારિત હોય છે. 'લાલ મોગરો' એ જ કથાબીજ પર રચાયેલી વાર્તા છે. પૂર્વે  'ખોલકી અને નાગરિકા' સંગ્રહમાં 'કૂતરાં' શીર્ષકથી પ્રગટ થયેલી આ વાર્તાને પ્રાણીપ્રેમ દર્શાવતાં  'ધોળા ગલૂડિયાનું નામ 'મોગરો' પાડીને વાર્તાકાર પોતે કવિ તેની પ્રતીતિ કરાવે છે .' ( પૃ. ૭૦ ટૂંકીવાર્તા શિલ્પ અને સર્જન)  એટલું જ નહિ 'લાલ મોગરો' જેવું યથાર્થ શીર્ષક પણ આપે છે.

શનિયા નામના એક સામાન્ય માણસના પોતાના કૂતરા મોગરા પ્રત્યેના પ્રેમની આ કથા છે. જે ધીરે ધીરે માણસના કૂતરાપણાની વાત સુધી પહોંચે છે. ગામમાં કૂતરાંઓને ઝેર આપી મારી નાખનાર ટુકડીનું આગમન થાય છે. ખેતરેથી આવતા શનિયાની નજર મરેલાં કૂતરાં પર પડે છે. તે પોતાના  મોગરા માટે ચિંતિત થાય છે. પરંતુ વિધિની વિડંબના એ છે કે ઝેર પાનારથી બચી ગયેલો મોગરો પરમ વૈષ્ણવ જમના ગોરાણીને હાથે મૃત્યુ પામે છે. મોગરો ઝેરથી બચવા ગોરાણીના ઘરમાં ઘૂસી જાય છે. પરંતુ પોતાની પૂજાને અભડાતી બચાવવા જમના ચંદન ઘસવાનો પથ્થર મોગરાના માથામાં મારે છે અને મોગરો મરણને શરણ થાય છે. આ ઘટનાથી દુ:ખી શનિયો સમાજ પ્રત્યે આક્રોશ દર્શાવતાં કહે છે કે – 'લો મારી નાંખો તમારા બાપને’. (પૃ.૨૭ 'લાલમોગરો') ગુસ્સામાં તલાટીના કૂતરાને મારી નાખવાને કારણે શનિયો તલાટીના ષડ્યંત્રનો ભોગ બને છે. તલાટીના કૂતરાને મારી નાખવાને કારણે ગામ લોકો શનિયાને દોષી  ગણે છે.  જ્યારે મોગરાને મારનાર ગોરાણીને નિર્દોષ !!

શનિયો અને જમના વિધિની વક્રતાએ કલેકટરને ત્યાં નોકરી નિમિત્તે ભેગા થાય છે. છતાં બંને વચ્ચે વૈમનસ્ય તો જીવતું જ રહે છે. કલેકટરના ઘરમાં તક અને એકાંત મળતાં વિધવા જમના ગોરાણી અને સાહેબ વચ્ચે જાતીય આકર્ષણ થાય છે. એકાંતના ઉદ્દીપનથી બંનેની વૃત્તિઓ બહેકી ઊઠે છે. સુન્દરમ્‌ કૂતરાંના પ્રતીક દ્વારા, અશ્લીલતાની હદ ઓળંગ્યા વગર શિષ્ટતાથી આખીયે અનૈતિક ઘટનાને કલાત્મક ઊઠાવ આપે છે. સાહેબના ધોળિયા કૂતરાના મૃત્યુ પછી શનિયો સાહેબ માટે એક કૂતરી લાવે છે. શનિયા પાસે પણ એક કૂતરો છે લાલિયો. સાથે રહેવાને કારણે સાહેબની કૂતરી અને લાલિયા વચ્ચે ઘનિષ્ઠતા વધતી જાય છે. આ નિમિત્તે વાર્તાકાર જમના ગોરાણી અને સાહેબના શરીર સંબંધને ઈંગિત કરી દે છે. જે વાર્તામાં પછીથી જમનાના બાહ્ય પરિવર્તન(Body language)થી  સિદ્ધ થાય છે. લાલચટક પોમચો પહેરીને સાહેબના ઓરડામાં જતી વિધવા જમના, દૂધવાળી રબારણની શનિયા સાથેની ચેષ્ટા, બદામી – લાલિયાનું લપાઈને બેસવું … આખોયે પરિવેશ ઉદ્દીપન સર્જે છે. જાતીયવૃત્તિઓને બહેકાવતા આ વાતાવરણમાં સાહેબ અને જમનાના મિલનમાં લાલિયો વિક્ષેપ પાડે છે, લાલિયો સાહેબના ગુસ્સાનો ભોગ બને છે અને  સાહેબની ગોળીએ વીંધાઈને મૃત્યુ પામે છે. મોગરા અને લાલિયાના મૃત્યુ માટે ધાર્મિકતાનો દંભ કરતી પરમ વૈષ્ણવ જમના નિમિત્ત બને છે. 'મરોને અહીંથી, કહીંથી આ કૂતરાં' (પૃ.૨૨ ‘લાલમોગરો') માણસની વૃત્તિઓ ખાસ કરીને સેક્સની ભૂખ અને નૈતિકતા વચ્ચેના સંઘર્ષમાં પ્રાકૃત બળો, આદિમ આવેગોનો વિજય અને નૈતિકતા કે વફાદારીનો પરાજય / મોત. કૂતરાને સંદર્ભે વાર્તાકાર માણસની મનોસ્થિતિનું યથાર્થ દર્શન 'લાલ મોગરો'માં કરાવે છે.

'પ્રસાદજીની બેચેની' વાર્તાના શીર્ષકમાં જ સર્જકે વાર્તાનો મુખ્ય ભાવ દર્શાવી આપ્યો છે. જયંત કોઠારી આ વાર્તાનું વિવેચન કરતાં એને બેચેનીની વાર્તા કહે છે. બેચેની એટલે વ્યાકુળતા, અસ્વસ્થતા, મનની અશાંત સ્થિતિ ભરતના રસસૂત્ર પ્રમાણે ‘બેચેની એ સ્થાયીભાવ નથી એને સંચારીભાવ જ ગણવો પડે.’ (પૃ. ૨૧૬ શબ્દયોગ) વાર્તાના નાયક પ્રસાદજી એક ચુસ્ત કર્મકાંડી બ્રાહ્મણ છે. ભગવાનની નિયમિત પૂજા અર્ચના કરતા શિવપ્રસાદજીને એક વિચિત્ર આદત છે વેશ્યાગમનની. આ એમનો નિત્યક્રમ છે પરંતુ એક વાર એક મુસ્લિમ સ્ત્રી સાથેના જાતીય સંબંધ પછી બનેલી ઘટનાએ એમની બેચેની વધારી દીધી . રતિસુખ પછીની નિદ્રાધીન અવસ્થામાં વેશ્યાસ્ત્રીના મુખમાંથી નીકળેલા -'યા રહીમ ! ય રસૂલ !'(પૃ.૪૮ પ્ર.ની બે.)ના ઉદ્દગાર એક હિંદુ કર્મકાંડી બ્રાહ્મણનો ભ્રમ ભાંગી નાંખે છે. ઊંઘમાં પ્રસાદજી એ રાત્રીના શૃંગારની સ્મૃતિઓમાં મસ્ત હોય છે – 'એ સુંદરીને જોતાં જોતાં થાકી જઈ પોતે ઘડી આંખો મીંચી લેતા ત્યારે એ બાઈના શરીરની હિલચાલ થતાં તેનાં કંકણ કેવાં રણકી ઊઠતા હતાં ! જાણે બુલબુલો ! અને તેની મીઠી મીઠી ઉર્દૂ જબાં, ગુલાબના અત્તરની માફક કેવી ધીમે ધીમે ફેલાતી હતી ! એના કપડાંમાંથી  મહેકી ઊઠતો હિનો ! જાણે એની મહેકને પાંખે ચડાવીને ક્યાં ય અધ્ધર લઈ જતો, એ રોશની, એ સાજ, એ મુસ્કુરાહટ, એ અદા, એ બદન', (પૃ. ૪૭ પ્ર.ની બે.) એના સુગંધીદાર પાનવાળા મોંની ખુશબોએ આ રાતને રળિયામણી કરી મૂકી હતી. શિવપ્રસાદજી રતિની આ મીઠી યાદોમાં ખોવાઈ જાય છે. તે સમયે સ્ત્રીના મુખમાંથી નીકળતા અલ્લાહને યાદ કરતા શબ્દો – 'યા રહીમ ! યા રસૂલ' પ્રસાદજીને બેચેન કરી મૂકે છે.

દરરોજ પત્ની અને બાળકોને છેતરતાં પ્રસાદજી રાત્રે જાણે કશુ જ બન્યું ન હોય એ રીતે સ્વસ્થ થઈ દેવપૂજા કરતા, પરંતુ આજે પેલી બજારુ સ્ત્રીના બે શબ્દોએ એમના મનોજગતમાં ઘમાસાણ મચાવ્યું હતું. ઘરે આવ્યા પછી પોતાના ઇષ્ટ દેવની પૂજાના સમયે – 'યા રહીમ ! યા રસૂલ !'નો નાદ સંભળાયા કરે છે. બાહ્ય કર્મકાંડ, બાહ્ય દેખાવ, બાહ્ય જીવનની ભ્રમણાઓ પર ભારે પડે છે અંતરના ઊંડાણ માંથી આવતો આ અવાજ. મુસ્લિમ સ્ત્રીનું વેશ્યાપણું એનું બાહ્ય – દુન્યવી વ્યક્તિત્વ છે. જ્યારે એનું આંતરિક વ્યક્તિત્વ તો ખુદામાં લીન છે. બીજી તરફ પ્રસાદજીને પ્રશ્ન થાય છે કે પોતે, એમની ધાર્મિકતા, પૂજા પાઠ, કર્મ કાંડ માત્ર એક ઢોંગ કે પાખંડ માત્ર છે ? બાળકો અને પત્નીને છેતરવાની દંભીવૃતિ એમના વ્યક્તિત્વ સામે પ્રશ્ન ઊભો કરે છે. પોતાના વિશેની ભ્રમણા ભાંગતા એમને સાચા વ્યક્તિત્વનું આત્મભાન થાય છે. પ્રસાદજી પ્રભુને પ્રશ્ન કરે છે – 'દયાલો, ઉસ ઔરત કો આપસે ક્યાં નિસ્બત હૈ ?’ (પ્ર.૫૦ પ્ર.ની બે.) પરંતુ ખરેખર તો આ પ્રશ્ન એમણે પોતા વિશે પૂછવો જોઈએ. સુન્દરમ્‌ આ વાર્તા દ્વારા માનવમન અને માનવહૃદયનાં ઊંડાણોને તાગે છે. 'પ્રસાદજીની બેચેની', ‘આશા', 'માને ખોળે' જેવી વાર્તાઓમાં 'પાત્રોના માનસિક જગતનો સફળ કાર્ડિયોગ્રામ સર્જકે કાઢી આપ્યો છે.’ (પૃ. ૭૧ ટૂંકીવાર્તા શિલ્પ અને સર્જન) 

'આશા' એક સુંદર, સુશીલ કન્યા છે. એના વેવિશાળથી એનું કન્યામાંથી કુલવધૂમાં રૂપાંતર થશે એ વિચારે આશા મનોમંથન અનુભવે છે. કુટુંબીજનો કોઈ સારા લખેશરી કુટુંબમાં લગ્ન થાય એમ ઈચ્છે છે.પણ આશાની ઈચ્છા કોઈ પૂછતું નથી.'સાસરે જવાનું  ન હોય તો કેવું સારું' ? એવું વિચારતી આશા સ્ત્રીત્વની પરિપૂર્તિ માતૃત્વમાં જુએ છે. આત્મીયતાના અભાવે ભાવિ પતિ પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરી શક્તિ નથી અને લગ્ન જીવનથી Escape શોધે છે. 'આશા' વાર્તા એક મુગ્ધા કન્યાનાં મનના ઊંડાણમાં તાગતી લાઘવયુક્ત  મનો વૈજ્ઞાનિક નવલિકા છે.

'માને ખોળે' ફ્રોઇડિયન વલણ ધરાવતી સુન્દરમ્‌ની શ્રેષ્ઠ નવલિકા છે. એમની વાર્તાઓની વિશિષ્ટ લાક્ષણિકતા રહી છે કે તેઓ સામાન્ય સ્તરના પાત્રો સર્જી તેમની કોઈ તીવ્ર ઝંખના કે તરસનું નિરૂપણ કરે છે. 'મા ને ખોળે' સ્ત્રીની સનાતન ઝંખના માતૃત્વ પ્રાપ્તિની અને શંકા જેવી મનોવૃત્તિના કારણે કરુણ અંજામ સુધી પહોંચે છે. સુન્દરમ્‌ સામાજિક સમસ્યાઓનું યથાર્થ આલેખન કરી વ્યંગ અને કટાક્ષ દ્વારા નગ્ન વાસ્તવનું દર્શન કરાવે છે.

'માને ખોળે'ની નાયિકા છે શબૂ, બાળલગ્નનો ભોગ બનેલી શબૂને સાસરી કરતાં પિયરમાં રહેવું વધુ પસંદ છે, કારણ એનો પતિ છે. જે માવડિયો તો છે જ પણ સાથે સાથે નમાલો અને કાયર છે. એટલે પોતાની પત્ની પ્રત્યે પ્રેમ પણ દર્શાવી શકતો નથી. શબૂનો સસરો ક્રૂર અને ઘાતકી માણસ છે. એણે મોટા દીકરાની વહુ પર બળાત્કાર કરી મોતને ઘાટ ઊતારી દીધી હતી. સસરાની બીક અને જમાઈના નમાલાપણાને કારણે શબૂના મા-બાપ એને સાસરે મોકલવા તૈયાર નથી. શબૂના પિતા ભારાડી છે, લૂંટફાટ અને ધાડ એનો ધંધો છે. એટલે જ તો એકવાર સાસરીમાં આવેલ ભિયાને તેઓ પોતાની સાથે ધાડમાં આવવા કહે છે અને ટોણો મારે છે કે  -'બાપ આગળ તો કશું બનતું નથી, ને મારી દીકરી પર શૂરવીર બનવું છે ? મારી દીકરી નહિ આવે તમારે ત્યાં … ચાલો, જોર હોય તો મારી જોડે ધાડમાં, બતાવો બહાદુરી મારી બીજી દીકરી ય તમને આપું.’ (પૃ.૧૦૪ માને ખોળે) પરંતુ ડરપોક મેઘો ડરી ગયો તે ધાડમાં ન ગયો, પણ રાત રોકાઈ ગયો. ઘણા વરસે પતિને જોઈ શબૂની વૃત્તિઓ જાગી ઊઠી, તે રાત્રે બંનેએ સમાગમસુખ માણ્યું ….પરિણામ સ્વરૂપે શબૂ ગર્ભવતી થઈ. વિધિની વક્રતા એ હતી કે ધાડમાં ગયેલા પિતાની હત્યા થઇ ગઈ તો પણ શબૂનો પતિ તો વહેલી સવારે ઊઠીને છાનો માનો ચાલ્યો ગયો. ભારાડી પિતાના જવાથી કુટુંબ અનાથ થઈ ગયું . બબ્બે દીકરીઓની જવાબદારી વિધવા માને માથે આવી, આથી તેણે શબૂને સાસરે એને તેડી જવા કહેણ મોકલ્યું. શબૂને નમાલા પતિનું ઘર માંડવું નહોતું પણ પેટ સામે જોઈ એ તૈયાર થઈ. શબૂના જીવનમાં સંઘર્ષ અને સમસ્યા સર્જાવાનો પ્રારંભ અહીંથી થાય છે.

વાર્તાની નાયિકા શબૂ મહિસાગરને કાંઠે વસતી એક ગ્રામીણ કન્યા છે. મુગ્ધા શબૂનું મન હજુ તો ચણોઠી, બોરડી અને અનુરીની આસપાસ ભમે છે. ભેંસના પોદળાને બોટવા (પોતાનો હક સ્થાપિત કરવા) દોડતી શબૂને પિયરનાં ઝાડવાં, નદીના કોતર, નદીની રેતી જાણે રોકી રાખવા પ્રયત્ન કરે છે. એના પગ આગળ વધે છે પણ મન પાછળ ખેંચે છે. શબૂની વિદાય પ્રસંગે આડી ઊતરતી બિલાડી પ્રતીકાત્મક રીતે અમંગળ ભાવિનું સૂચન કરે છે.

સગર્ભા શબૂને નદીના ભાઠામાં ચાલતાં થાક લાગે છે. તે પતિ અને સસરાને ધીમે ચાલવા વિનંતી કરે છે પરંતુ ક્રૂર સસરાનો પ્રત્યુત્તર – 'ચરી ખાવું છે … નહિ હિંડાય ?… તું મારા ઘરમાં ન હોય !’ (પૃ. ૧૦૮ 'માને ખોળે') શબૂને તરસ લાગતાં પતિને પાણી માટે કહે છે. તક મળતાં જ શબૂનો સસરો પાણીને બહાને અવળે રસ્તે, એકાંતમાં લઇ જઈ એને મારવા મેઘાને પગ પકડવા કહે છે. – 'અલ્યા એ ય હીજડા ! શું જોઈ રહ્યો છે પકડ, પકડ એના પગ .' (પૃ. ૧૦૮ માને ખોળે.) પતિ શબૂના પગ પકડી ઊભો રહે છે અને સસરો એનું ગળું દબાવી દે છે. મેઘાનો બાપ શબૂની ગર્ભાવસ્થાને પારકા હમેલ ગણી, એના પતિની હાજરીમાં કહેવાતી સામાજિક આબરૂને કારણે ગળું દબાવી હત્યા કરે છે. ઓનર-કિલિંગની આ ઘટનામાં નમાલો દીકરો બાપને, શબૂ પોતાનાથી ગર્ભવતી થઇ હોવાની સાચી હકીકત પણ કહી શકતો નથી. ખરેખર વાર્તામાં સુન્દરમે કરેલો 'બાપ દીકરો' શબ્દપ્રયોગ યથાર્થ ઠરે છે. બાપ જાણે દીકરાને ગળી ગયો છે. કાયર પતિ શબૂના જીવનની કરુણતા છે. નવલિકામાં શબૂનું પાત્ર સુરેખ બન્યું છે. ભારાડી પિતાની ભારાડી પુત્રી, પ્રકૃતિના ખોળે ઉછરતી મુગ્ધા, ગર્ભાધાનથી પ્રસન્નતા અનુભવતી, પેટમાં જીવ લગાડીને સાસરે જવા નીકળેલી એક કોડભરી કન્યા સંસારિક જીવનના પ્રથમ પગથિયે જ નિષ્ઠુર નિયતિ અને કોઈ દુરિતનો ભોગ બની, ક્રૂર અને બળાત્કારી સસરાને હાથે મોત પામી, મહિસાગર માના ખોળામાં પોઢી જાય છે.

'કેટલીક વાર્તાઓ' સંગ્રહમાંની ઉપરોક્ત ટૂંકી વાર્તાઓ સુન્દરમ્‌ને નવોન્મેષ પ્રગટાવનાર વાર્તાકાર તરીકે સ્થાપી આપે છે. સમયના સંદર્ભે સર્જકના આ પરંપરાભંજક વલણે ગુજરાતી સાહિત્યને જિન્સી તત્ત્વના આલેખનવાળી ઉત્તમ વાર્તાઓ આપી છે.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ.

સંદર્ભ ગ્રંથ :

૧. 'કેટલીક વાર્તાઓ'         સંપાદક –  સુરેશ દલાલ

૨. 'શબ્દ યોગ'               સંપાદક  મફત ઓઝા અને સુધા પંડ્યા

૩. ટૂંકીવાર્તા : સાહિત્ય -સર્જન. સંપાદક – જયંત પાઠક, રમેશ શુક્લ 

૪. ટૂંકીવાર્તા : શિલ્પ અને સર્જન . ડૉ. ભરતકુમાર ઠાકર 

e.mail : arvindvaghela1967@gmail.com     

Loading

કિસાનોના હમદર્દ, ક્રાંતિદૂત : મહાત્મા જોતીરાવ ફૂલે

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|24 August 2019

બહુરત્ના વસુંધરા ભારતભૂમિની કૂખેથી અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતી, ગુરુ નાનક, સંત કબીર, નારાયણ ગુરુ, પેરિયાર રામા સ્વામી, ડૉ. આંબેડકર જેવા અનેક નામી અનામી મહાન સમાજ સુધારકોએ ભારતીય પ્રજામાં ક્રાંતિની જ્યોત જગાવવા પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. વિશેષ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રએ સમાજ સુધારણાની દિશામાં સમગ્ર ભારતવર્ષનું માર્ગદર્શન કર્યું છે. મહારાષ્ટ્રમાં સામાજિક અને શૈક્ષણિક આંદોલનોનો પાયો જોતીરાવ ફૂલેએ નાંખ્યો. જે સમયમાં કોઈ વિચારી પણ ન શકે તેવા સમયમાં તેમણે ક્રાંતિદૂત બનીને ભગીરથ કાર્ય કર્યું. કોઈ સામાન્ય માણસ જે કામ બે જન્મોમાં પણ ન કરી શકે, તેવું સમાજ સુધારણાનું મહાન કાર્ય મહાત્મા ફૂલેએ એક જ જન્મમાં કરી બતાવ્યું .સમાજની પરંપરિત માન્યતાઓના માળખામાં ક્રાંતિની ચિનગારી મુકનાર જોતીરાવે સમાજના નિમ્ન સ્તરના દીન દલિત, પીડિત, દબાયેલા, કચડાયેલા, હરિજન, ગિરિજન, ઉપેક્ષિત, બહિષ્કૃત વર્ગના લોકો, સ્ત્રી અને ખેડૂત વર્ગનાં લોકો માટે પોતાની જાત ઘસી નાખી.

કાર્લ માર્ક્સના સમકાલીન મહાત્મા ફૂલેએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી આંદોલનો ચલાવવાની સાથે સાથે ગરીબ ખેડૂતો અને ખેતમજૂરોના સર્વાંગી ઉદ્ધાર માટે સમર્પિત ભાવે કાર્ય કર્યું. એક સમયે દેશમાં બ્રહ્મોસમાજ અને આર્યસમાજના ધાર્મિક આંદોલનો ચાલતા પણ … તે માત્ર અસ્પૃશ્યતા નિવારણ અને ધાર્મિક સુધાર માટે જ પ્રયત્નશીલ હતા. જયારે ખરો પ્રશ્ન તો દલિતો – કિસાનોની આર્થિક, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ સુધારવાનો હતો. જ્યાં સુધી આ પ્રજા તમામ ક્ષેત્રોમાં ઉન્નત ન થાય, ત્યાં સુધી તે કદી પણ સ્વમાનપૂર્વક જીવી શકશે નહિ.' વર્ણ વ્યવસ્થાથી જે સમાજ રચાયો તેની ભૂંડી અસર આજીવિકાના ક્ષેત્ર ઉપર પડે છે.ઉપરની જ્ઞાતિઓને આજીવિકાની જેટલી તકો સરળતાથી મળે છે. તેટલી ઊતરતી જ્ઞાતિઓને કઠિનાઈથી પણ મળતી નથી. (પૃ. ૨૮૭ અધો..) 'ભારતમાં મોક્ષ અપાવનારા લાખો મોક્ષના ઠેકેદારો ફરે છે પણ રોજી રોટી અપાવનારા ક્યાં જોવા મળે છે ? ગરીબ પ્રજા માટે મૂળ પ્રશ્ન રોજી રોટીનો છે, મોક્ષનો નહિ.' (પૃ. ૨૮૮ અધો..)

મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સાચું ભારત તો ગામડામાં વસે છે. 'આજે પણ ભારતના ગામડાં સ્થાયી પ્રકૃતિના છે. રાજનીતિક પરિવર્તન થાય તો પણ ગામડાંની આર્થિક સંરચનામાં કોઈ પ્રકારનો બદલાવ નજરે પડતો નથી. ગામડાંના સાધારણ લોકો ખેતીવાડી જેવા એક જ પ્રકારનાં કામમાં પ્રવૃત છે.' (પૃ. ૫ ભા.સ. સુનીલ ગોયલ) વાસ્તવમાં ખેડૂત ભારતીય સમાજનું મહત્ત્વપૂર્ણ અંગ છે. તેમની મહેનતથી પેદા થતી ઉપજથી જ સમાજનો વ્યવહાર ચાલે છે, પરંતુ તેના નસીબમાં તો લખાયેલી છે કાયમી દરિદ્રતા ! હિંદુ સમાજ વ્યવસ્થાએ પણ ખેડૂતને નિમ્ન ગણ્યો છે. ભદ્ર વર્ગના લોકો આજે પણ અન્નદાતા ખેડૂતને શૂદ્ર સમજે છે, એનું અપમાન કરે છે એટલું જ નહિ એનું આર્થિક શોષણ પણ કરે છે. કિસાનના થતા આર્થિક શોષણથી જ સમાજમાં વિષમતા પેદા થાય છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો માટે જેવી ક્રાંતિ થવી જોઈતી હતી તેવી કૃષિ ક્રાંતિ (Agrarian Revolution) ભારતમાં ક્યારે ય ન થઈ ! વિશ્વ વિખ્યાત ઈતિહાસવેત્તા ટોયન્બી  Challenge and Response(પડકાર અને પ્રત્યુત્તર)માં કહે છે કે -' જે સમાજ એની સામે થયેલા પડકારનો પ્રત્યુત્તર વાળે છે, તે સમાજને જ સંસ્કૃતિ પ્રાપ્ત થઈ છે … પડકારને ઝીલતા નથી, તેને આધીન થાય છે તે ધીમે ધીમે પોતાના પગ નીચેની ભૂમિ ગુમાવતા જાય છે.' (પૃ. ૧૬ પ્રસ્તા. મા.ભ.) ભારતનો ખેડૂત અજ્ઞાન અને નિરક્ષરતાને કારણે શોષણના ખપ્પરમાં હોમાઈને પોતાની સંસ્કૃતિ ગુમાવતો જાય છે. કિસાનોની આ પરિસ્થિતિ  જોતીરાવના ધ્યાન પર આવી.' જયારે કોઈ વ્યક્તિ સમષ્ટિની વેદના, પીડા, અન્યાય અને હડધૂતતાની સમગ્ર અનુભૂતિ સ્વયં પોતાનામાં કરતી થાય છે, ત્યારે તે વ્યક્તિ તમામ દૂષણો સામે માથું ઊંચકવાની શક્તિ પ્રાપ્ત કરે છે. અથવા એવી શક્તિને પ્રગટાવવાની ભૂમિકા પ્રાપ્ત કરે છે.’ (પૃ. ૨૯૩ અધો..)

ખેડૂતોના હમદર્દ મહાત્મા ફૂલેએ દેશના ખેડૂતોની દયનીય અને દારુણ દશા જોઈ અને એના માટે જવાબદાર કારણોની તપાસ કરી. એમના મતે ખેડૂતોની દુર્દશાનું કારણ – 'अशिक्षा ही किसान की सामाजिक, आर्थिक एवं पारिवारिक दुर्दशा का मूल कारण है ! ( पृ.९ कि.का.को)  નિરક્ષરતાના પરિણામોનું યથાર્થ દર્શન કરાવતાં તેઓ લખે છે કે – 'विध्या बिन मति गई, मति बिन गई नीति, नीति बिन गई गति, गति बिन गया वित्त, वित्त बिन तूट गया शुद्र, अविद्या ने किये ऐसे अनर्थ' (पृ.९ कि.का.को)  તેઓ જાણતા હતા કે ગ્રામીણ અને ખેડૂત સમાજ તેમ જ દેશની પ્રગતિ માટે શિક્ષણ પાયાનો પથ્થર છે. ક્રાંતિકારી વિચારોની ધધકતી મશાલ ગણાતા જોતીરાવે એટલા માટે જ ધર્મના પરંપરિત બંધનો તોડી શુદ્રો અને સ્ત્રીઓ માટે શિક્ષણના દ્વાર ખોલ્યા. Charity begins at home એમ સમજી તેમણે સૌ પ્રથમ પોતાના પત્ની સાવિત્રીબાઈને શિક્ષણ આપી શિક્ષિત કર્યાં. સાવિત્રીબાઈએ પણ પતિ સાથે ખભે ખભો મિલાવી સ્ત્રી શિક્ષણ અને નારી ઉદ્ધાર માટે પર્વતો, ખીણો, ગામેગામ અને ઘરે ઘરે ફરી  સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા માટે લોકોને જાગૃત કરવાનું ક્રાંતિકારી કાર્ય કર્યું .

કાર્લ માર્ક્સ(૧૮૧૮-૧૮૮૩)ના યુરોપમાં યંત્રયુગ હતો, માર્ક્સ યુરોપના મજૂરવર્ગને સત્તાધરી બનવા લલકારી રહ્યા હતા, ત્યારે જોતીરાવ ફૂલે(૧૮૨૭-૧૮૯૦)નું ભારત મંત્રયુગમાં હતું. મહાત્મા ફૂલે ભારતના અજ્ઞાન અને અંધકારમાં અટવાતા શૂદ્રો,અતિશૂદ્રો અને સ્ત્રીઓને જ્ઞાનના પ્રકાશ તરફ દોરી રહ્યા હતા. માટે કાર્લ માર્ક્સ મહાત્મા હતા તો ફૂલે મહાત્માઓના મહાત્મા હતા. જોતીરાવ વ્યક્તિ નહિ શક્તિ હતા. આજે સાંપ્રત સમયમાં કદાચ જોતીરાવ ફૂલેની આવશ્યકતા વધુ છે. કારણ કે આઝાદી પછીના ઔદ્યોગિકીકરણ અને આજના ઉદારીકરણ અને વૈશ્વીકરણના સમયમાં ભારતમાં ગરીબ વધુ ગરીબ અને ધનિક વધુ ધનિક બન્યો છે. શિક્ષણ ધનિકોનો ઈજારો બની ગયું છે. સમાજ આજે બહુજન સમાજ અને બહુધન સમાજમાં વિભાજીત થઈ ગયો છે ત્યારે લાગે છે કે સમાનતા અને સ્વતંત્રતાના હિમાયતી મહાત્મા ફૂલે આજે પણ એટલા જ પ્રસ્તુત છે.

મહાત્મા ફૂલે ભારતના એવા પ્રથમ સમાજ સુધારક છે કે જેઓ ખેડૂતોના પક્ષે ઊભા રહ્યા અને એમની પરિસ્થિતિ સુધરે એ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું, ખેડૂતોના આત્મસ્થાપન માટે એમનામાં આત્મ વિશ્વાસ જગાવ્યો − 'ભાઈઓ આપણે નકામા નથી, કઠણ ખડક પર ફણગો ઊગાડી શકવાની શક્તિ ધરાવતા ખેડૂતો છીએ.’ (પૃ. મા.મા.) કિસાન પ્રત્યેની હમદર્દી એમને પૈતૃક સંસ્કાર રૂપે મળી છે. ખેડૂતો પર થતા અમાનુષી અત્યાચાર અને લગાન વસૂલીની જુલ્મી પદ્ધતિથી વ્યથિત થઈને જોતીરાવના પરદાદાએ સરકારી પટવારીની હત્યા કરી નાખી હતી. જયારે પિતા ગોવિંદરાવ આજીવિકા માટે માળીનું અને સાથે ખેતીનું કામ પણ કરતા. આથી કિસાનોની સમસ્યાનો સ્વાનુભવ એમને બાલ્યાવસ્થાથી હતો.

જોતીરાવના જન્મ સમયે મહારાષ્ટ્રમાં પેશવાઓનું શાસન હતું 'આ સમય નૈતિક જડતા, સાંસ્કૃતિક ભ્રષ્ટતા અને ધાર્મિક નિષ્ઠુરતાનો હતો.' (પૃ.૧૧ મ.જો.ફૂ. મનુભાઈ મક.) પેશવા બાજીરાવ બીજાના સમયમાં ગરીબ ખેડૂતો ગુલામ કરતાં બદતર જીવન જીવતા, જમીનદારો અને નાણાં ધીરનાર વર્ગ જમીન કે ઘરેણાં ઉપર ધીરેલા નાણા માટે તેમને ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં ફસાવી જીવનભરની ગુલામીમાં જોતરી દેતા.' (પૃ.૧૦-૧૧ મ.જો.ફૂ. મ.મક.) પેશવાઓના અત્યાચારી શાસનમાં ભૂમિનો સ્વામી ખેડૂત હોવા છતાં, એની ઉપજનો મોટો ભાગ લગાન રૂપે રાજકોશમાં આપી દેવો પડતો. શત્રુઓના આક્રમણો રોકવામાંથી નવરા ન પડતા પેશવાઓ કૃષિ સુધાર કે કૃષિ વિકાસ વિશે કશું પણ વિચારતા નહિ. રાજ્યની આવક લડાઈથી થતી ધનપ્રાપ્તિ ,લૂંટફાટ અને ગરીબ ખેડૂતોના શોષણથી જ થતી. ભારે કર વસૂલાત માટે ખેડૂતો – ખેત મજૂરો પર ભયંકર અત્યાચાર કરવામાં આવતો. બાજીરાવના દત્તક ભાઈ અમૃતરાવ અને બીજા અધિકારીઓ ખંડણી ઉઘરાવતા. ખેડૂત જો ખંડણી ન આપી શકે તો અમૃતરાવ તેમનાં બાળકોનાં શરીર પર ઉકળતું તેલ રેડતો અને ખેડૂતોને મોટા ગરમ તવા પર ઊભા રાખતો. કેટલાકને તો ઊંધાં લટકાવી નાકમાં મરચાંનો ધુમાડો છોડવામાં આવતો. ખેડૂત મહાજનના વ્યાજે લીધેલા નાણાં પાછા આપવા સમર્થ ન હોય તો તેમના દીકરા -દીકરીઓને 'બંધુવા મજદૂર ' (ગુલામ) બનાવી દેવામાં આવતા, અને આખું જીવન તેમને ગુલામીમાં જ પસાર કરવું પડતું .

ગરીબ ખેડૂત અને શૂદ્ર સમાજની આવી દયનીય દશા જોઈ વ્યથિત થયેલા જોતીરાવ નવ સર્જન માટે તૈયાર થાય છે. આ અત્યાચારી વ્યવસ્થાને તોડવા તેઓ 'સુન્દરમ્‌'ની જેમ ઘણ ઉઠાવે છે.                                

'ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા
ઘણુંક ઘણું તોડવું તું ફટકાર ઘા ઓ ભુજા'

જોતીરાવ ફૂલેએ પરંપરિત સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા. અને ગરીબ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે ક્રાંતિકારી આંદોલનો ચલાવ્યા.

કિસાનોના હમદર્દ જોતીરાવે એમની સમસ્યાઓનું યથાર્થ દર્શન કરી એના નિવારણ માટે સચોટ ઉપાય બતાવ્યા. ઈ.સ. ૧૮૮૩માં આ માટે તેમણે મરાઠીમાં  'शेतक याचा असूड' નામના ગ્રંથની રચના કરી. જેનો હિન્દી અનુવાદ શ્રી વેદકુમાર વેદાલન્કાર 'किसान का कोड़ा' શીર્ષકથી કરે છે. કોડા શબ્દનો અર્થ થાય છે ચાબુક કે કોરડો. બળદ બરાબર કામ ન કરે ત્યારે ખેડૂત એની પીઠ પર ચાબુક ફટકારે છે. જેનાથી બળદ બરાબર કામ કરવા માંડે છે. ગરીબ ખેડૂતોના અજ્ઞાનનો લાભ લઈ લૂંટ ચલાવનાર શોષકો પર જોતીરાવ ફૂલેએ આવો જ કોરડો વીંઝ્યો છે. ભારતીય ખેડૂતની દુર્દશાનું વાસ્તવિક ચિત્રણ કરતો આ ગ્રંથ 'કૃષિ ગાથા' તરીકે ઓળખાય છે. ગ્રંથ વિશેની કેફિયતમાં તેઓ કહે છે કે – 'આ ગ્રંથ મેં અંગ્રેજી, સંસ્કૃત, તથા પ્રાકૃતના ગ્રંથો તેમજ વર્તમાન સમયની શૂદ્રોની દયનીય સ્થિતિને આધારે લખ્યો છે.' આ ગ્રંથના લેખન સમયે જોતીરાવ ફૂલેએ પૂણે, મુંબઈ, થાણે જેવા વિસ્તારના ગામડાંઓના શૂદ્ર સજ્જનોને વાંચી સંભળાવી વિગતો સત્ય હોવાની પુષ્ટિ કરાવી હતી. પ્રમાણભૂત તથ્યના હિમાયતી મહાત્મા ફૂલેએ આ ગ્રંથની એક હસ્તલિખિત પ્રત ગવર્નર સર ફ્રેડરિક હેમિલ્ટનને અને બીજી પ્રત વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડને મોકલાવી હતી.

'કિસાન કા કોડા'ની ભૂમિકામાં તેઓ નોંધે છે કે વર્તમાન સમયમાં ત્રણ પ્રકારના ખેડૂત છે.

(૧) જે માત્ર ખેતી પર નભે છે તે ખેડૂત;

(૨) માળી જે ખેતીની સાથે ફળ ફૂલ ઊગાડે છે તે;

(૩) પશુપાલક જે ખેતી સાથે પશુ પાલન કરે છે.

આ ત્રણેને સમાજ શૂદ્ર જ ગણે છે. જોતીરાવ ફૂલેએ વ્યંગ્યાત્મક શૈલીમાં સમાજના ચારે વર્ણનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. બ્રાહ્મણ, પુરોહિત વર્ગ દ્વારા થતું ગરીબ ખેડૂતો અને શૂદ્રોનું શોષણ, ધાર્મિક અને શૈક્ષણિક પ્રતિબંધો તેમ જ ઔદ્યોગિકીકરણની અસરોથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં ખેડૂતો કેવી દીન, દયનીય હાલતમાં જીવી રહ્યા છે તેનું સચોટ વર્ણન તેમણે અહીં આપ્યું છે.

મહાત્મા ફૂલેનું સાહિત્ય નિજાનંદ માટેનું નહિ પણ હેતુલક્ષી છે .આ ગ્રંથસર્જનના તેમના મુખ્ય ત્રણ ઉદે્‌શ્ય છે. (૧) ખેડૂતોની દયનીય સ્થિતિનાં સાચાં કારણોની તપાસ કરી તેમનામાં જાગૃતિ લાવી સત્ય ઉજાગર કરવું . (૨) શિક્ષિત ખેડૂત યુવાનોને સામાજિક કર્તવ્ય માટે જાગૃત કરવા. (૩) ખેડૂતોના ઉદ્ધાર માટે ખેડૂત સમાજમાં શિક્ષણનો વ્યાપક વિસ્તાર કરવો.

જોતીરાવ ફૂલે કૃષિ વિષયક પોતાના વિચારો રજૂ કરતા કહે છે કે કૃષિ ક્રાંતિ માટે મુખ્ય ત્રણ બાબતો અપેક્ષિત છે.

(૧) જમીનદારી પ્રથાનો અંત.

(૨) ખેડૂતોના શ્રમ અને ઉપજનું યોગ્ય મહેનતાણું, અને

(૩) વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી.

સાથે સાથે ખેડૂતોની દરિદ્રતાના કારણો તરફ પણ અંગુલિ નિર્દેશ કર્યો છે.

(૧) વધતી જતી વસતીનો ખેતી પર પડતો પ્રભાવ.

(૨) ઉચ્ચવર્ણ, મહાજન અને સરકાર દ્વારા થતું ખેડૂતોનું શોષણ.

(૩) કૃષિ ઉત્પાદનની જૂની પુરાણી પરંપરિત પદ્ધતિ. 

ઉપરોક્ત સઘળી બાબતો પ્રત્યે યોગ્ય કરવા સરકારને જોતીરાવે સૂચન કર્યું. એટલું જ નહિ, એના કાર્યાન્વયની પ્રક્રિયા પણ સમજાવી. આકાશી ખેતી પર નભતા ભારતીય ખેડૂતનું ભાગ્ય પ્રકૃતિ પર નિર્ભર રહેતું, આથી ખેડૂતને નિયમિત સિંચાઈ દ્વારા પાણી મળી રહે તેવા પ્રયત્નો તેમણે કર્યા. જળસંગ્રહના ઉપાયો સૂચવતાં ખેતરોમાં થોડે થોડે અંતરે તળાવ, ખેત તલાવડી કે આડબંધ બાંધવાના સૂચન સરકારને કર્યા. પાણીવાળા વિસ્તારોના નકશા બનાવવા, સરકારી સહાય વિના જળ અનુમાનકોની મદદથી કૂવા ખોદનાર શૂદ્ર ખેડૂતોને પુરસ્કાર આપવાની પરંપરા બનાવવા પણ સરકારને સૂચવ્યું. આજે આપણી સરકારો જળસંગ્રહ વિશે વિચારતી થઈ છે. પણ આ બાબતે મહાત્મા ફૂલેએ એક આર્ષદ્રષ્ટાની અદાથી ૧૮૮૩માં સરકાર સમક્ષ આ વિચાર રજૂ કર્યો . − ' हमारी उद्योगी सरकार को चाहिए कि काले गोरे लश्कर के साथ पुलिस विभाग के फालतू सिपाहियों द्वारा जगह जगह पर छोटे बाँध इस तरह से बनाये कि पुरवी वर्षा का पानी सरे खेतमे ज़ज्ब होने के बाद नदी नालेमें मिले ऐसा करने से खेत उपजाऊ हो जाएँगे ' I (पृ. ८ युगपुरुष ) જળસંગ્રહના આ કામ માટે પોલીસ અને સેનાના અનામત જવાનોને લગાડવાથી ખેતી અને સૈનિક બંનેને લાભ થશે. બેકાર જતી માનવ શક્તિનો રચનાત્મક ઉપયોગ કરી શકાય એવો ઉમદા વિચાર તેમણે જ આપ્યો.

ખેડૂતોમાં રહેલો સરકાર પ્રત્યેનો ડર દૂર કરવા એમણે પોતે પહેલ કરી. ખડકવાસલા પાસે સરકારે ડેમ બનાવી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડ્યું, પરંતુ ખેડૂતોને ડર હતો કે પાણી આપી સરકાર એમના ખેતરો લઈ લેશે. આ ઉપરાંત બંધનું પાણી લેવું પાપ હોવાની માન્યતા પણ હતી, આથી ખેડૂતો પાણી લેતાં નહિ. આથી જોતીરાવે પૂણેથી થોડે દૂર માંજરીમાં જમીન ખરીદી અને સારી ખેતી કરી બતાવી. જેનાથી ખેડૂતોનો ડર નીકળી ગયો અને સિંચાઈથી ખેતી કરતા થયા. અન્ય એક ઘટના એમને કૃષકોના હમદર્દ સાબિત કરે છે. પૂણે જિલ્લાના જુન્નર તાલુકાના જમીનદારો અને મહાજનો ખેડૂતો પર ભારે જુલમ ગુજારતા જેનાથી પટેદાર ખેડૂતોની હાલત ખરાબ થઈ હતી. જોતીરાવે તેમની મદદ કરી સંગઠન બનાવ્યું અને અન્યાય દૂર ન થાય ત્યાં સુધી જમીન ખેડવાનો બહિષ્કાર કર્યો. જમીન પડતર રહેતાં આખરે જમીનદારોએ સમાધાન કરવું પડ્યું. જોતીરાવ કહેતા કે – 'જ્યાં સુધી હળ હાંકનાર ખેડૂત જમીનનો માલિક ન બને ત્યાં સુધી ભારત જેવા કૃષિપ્રધાન દેશનો ન તો વિકાસ થશે, ન તો ઉત્પાદન વધશે.’ (પૃ. ૧૦૬ યુગપુરુષ)

કિસાનોના ઉદ્ધાર માટે જોતીરાવે સરકારને કરેલાં કેટલાંક સૂચનો જોઈએ તો …

– જે ગામની ગોચરની જમીન સરકારે પોતાના જંગલ વિભાગમાં સામેલ કરી લીધી છે તે સંબંધિત ગામને પાછી આપવામાં આવે .

– ખેડૂતો માટે સારું બિયારણ, ખેત ઓજાર અને ખેતીનું વૈજ્ઞાનિક જ્ઞાન યુવા ખેડૂતોને આપવામાં આવે.

– ખેડૂતોને દેવામાફી અને ઓછા વ્યાજદરની કૃષિ લોન માટે ભલામણ.

– ઉત્તમ પ્રજાતિના વિદેશી ઘેટાં બકરાં લાવી સંકરણ દ્વારા ઉત્તમ પ્રજાતિ પેદા કરવાથી નાના ખેડૂતોને લાભ થશે તેમ જ પશુઓ માટે દવાખાના શરૂ કરવા.

– વિદેશી કૃષિ વિદ્યાલયો જોવા ખેડૂતોને મોકલવા અને ભારતમાં કૃષિ વિદ્યાલયો સ્થાપવા.

– જંગલી જાનવરોથી ખેતરોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારે ઉઠાવવી, ને સંબંધિત અધિકારી બેદરકારી દાખવે તો તેનો પગાર કાપી ખેડૂતોને નુકસાન ભરપાઈ કરવું.

– ગામમાં પટેલ કે મુખીનું પદ વંશ પરંપરાગત નહિ, પણ મરાઠી છઠ્ઠું ધોરણ ભણેલ દરેક જાતિના કોઈ પણ ખેડૂતપુત્રોને આપવું.

ખેડૂતોના મસીહા જોતીરાવ ફૂલેએ ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ પ્રદર્શનો, કૃષિ હરીફાઈનું આયોજન કરી ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું. 'કૃષિ સુધાર' વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરી પુરસ્કારો દ્વારા કિસાનોનું ઉત્સાહવર્ધન કર્યું. માર્ચ ૧૮૮૮માં મહારાણી વિક્ટોરિયાના પુત્ર ડ્યુક ઓફ કનોટના વિદાય પ્રસંગે મહાત્મા ફૂલેને આમંત્રણ મળ્યું તો તેઓ મેલાં ઘેલાં, ફાટેલાં કપડાં પહેરી ગામડિયા ગરીબ ખેડૂતના વેશમાં ઉપસ્થિત રહ્યા અને અંગ્રેજીમાં જોરદાર ભાષણ કરતાં ડ્યુક ઓફ કનોટને કહ્યું કે – ‘महोदय, मै इस भेसमें इसलिए आया हुं कि आपको पता चले कि हमारे देश के किसान कैसे रहते है i (पृ.११० कि.का.को.)

ડિસેમ્બર ૧૮૮૯માં સર વિલિયમ વેડરબર્નની અધ્યક્ષતામાં મુંબઈમાં મળેલ રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ખેડૂતોની સ્થિતિ સંદર્ભે દેખાવો કર્યા. ઈ.સ. ૧૮૯૦માં શ્રમિક મજદૂરોની સ્થિતિ વિશે બોર્ડને માંગપત્ર આપ્યું જેને કારણે સરકારે ૧૮૯૧માં ફેક્ટરી એક્ટ બનાવ્યો. અને એને કારણે મજૂરોનાં કામના સમયનું નિર્ધારણ થયું તેમ જ તેમની સુરક્ષા માટે કાયદો બન્યો, આ ઉપરાંત મજદૂર આંદોલનનો પાયો નાખવાનું શ્રેય જોતીરાવ ફૂલે, લોખંડે અને સત્યશોધક સમાજને જાય છે. ખેડૂતોના હમદર્દ અને હિમાયતી મહાત્મા ફૂલે મહારાષ્ટ્રના ખેડૂતોની બહુપત્નીત્વ પ્રથા અને નિરક્ષરતા જેવી મર્યાદાઓ તથા મૂર્ખતા પર આકારો વ્યંગ અને કટાક્ષ કરતા અને કુરિવાજો છોડવા હાકલ કરે છે.

દેશના દીન દલિત પીડિતો, ગરીબ ખેડૂતો અને શ્રમિકોને સન્માન અને સમાન અધિકાર પ્રાપ્ત થાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના મૂલ્યોનું સ્થાપન થાય એ માટે આજીવન પ્રયત્નશીલ રહેલા ભારતના બુકર ટી વોશિંગ્ટન ગણાતા મહાત્મા ફૂલે સમાજ સુધારણના ક્રાંતિદૂત તરીકે ભારતીય ઇતિહાસમાં ચિરંજીવી સ્થાનના હકદાર છે.

જેમનો હાથ ક્યારે ય ન બુઝાતી ક્રાંતિની મશાલ હોય એમના વિચારોને આજે કોઈ નકારી શકે એમ નથી. કવિ સાહિલ પરમારના શબ્દોમાં કહીએ તો –         

                          થયો છે શબ્દના રૂપે નવો અવતાર પગલાંનો,
                          નહિ કોઈ રોકી શકે હવે વિસ્તાર પગલાંનો,
                          ભલે ઇન્કારની આબોહવા છે આજે જામેલી,
                          નહિ ચાલે કર્યા વિના સ્વીકાર પગલાં નો    
                       
    

સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ

સંદર્ભ ગ્રંથ

૧. યુગપુરુષ – મહાત્મા જોતીરાવ ફૂલે (હિન્દી અનુવાદ – વેદકુમાર વેદાલંકાર) 

૨.કિસાન કા કોડા – મહાત્મા જોતીરાવ ફૂલે  (હિન્દી અનુવાદ – વેદકુમાર વેદાલંકાર)

૩.ગુલામી –  મહાત્મા જોતીરાવ ફૂલે (હિન્દી અનુવાદ –  વેદકુમાર વેદાલંકાર) 

૪. મહાત્મા જ્યોતિરાવ ફૂલે – ડૉ. મનુભાઈ મકવાણા

૫. અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા – સ્વામી સચ્ચિદાનંદ

૬. ભારતીય સમાજ – સુનીલ ગોયલ (હિન્દી)

૭. માટીનો માનવી – કાલિન્દીચરણ પાણીગ્રહી અનુવાદક – નારાયણ દેસાઈ

૮. માનવીની ભવાઈ – પન્નાલાલ પટેલ (પ્રસ્તાવના – દર્શક)

e.mail : arvindvaghela1967@gmail.com

Loading

...102030...2,7032,7042,7052,706...2,7102,7202,730...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved