Opinion Magazine
Number of visits: 9684292
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશમાં રાજકીય શૂન્યાવકાશ પેદા થતો હોય તો તેને ભરવાની જવાબદારી નાગરિકની છે

રમેશ ઓઝા|Opinion - Opinion|3 October 2019

ભારતીય જનતા પક્ષ ભારતમાં રાજકીય શૂન્યાવકાશ પેદા કરવાની કોશિશ કરી રહ્યો છે કે જેથી ઓછાંમાં ઓછાં વીસ પચીસ વરસ પડકાર વિના સુખેથી શાસન કરી શકાય અને દેશને શક્ય એટલા પ્રમાણમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકાય. ન્યાયતંત્ર ક્યારે ય નહોતું એટલું ભીંસમાં છે. અનેક જજો પાણીમાં બેસી ગયા છે અને ન્યાયદાનની પવિત્ર ફરજ બજાવી શકવા જેટલી ખુમારી ગુમાવી દીધી છે. મીડિયા અને પત્રકારો ડરેલા નથી, વેચાઈ ગયા છે. તેમણે સત્યનો પક્ષ છોડી દીધો છે અને સત્તાનો અને પૈસાનો પક્ષ અપનાવી લીધો છે.

વિરોધ પક્ષો એટલા કમજોર છે કે તેઓ લોકપ્રતિનિધિગૃહોનો પણ જાહેર ઊહાપોહ કરવા માટે ઉપયોગ કરી શકતા નથી. સંસદ અને વિધાનસભાઓ ઓછામાં ઓછો સમય મળે છે, ઓછામાં ઓછી ચર્ચા કરે છે અને વગર ચર્ચાએ ખરડાઓ પસાર કરે છે. રાજકીય પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. મોટા પ્રમાણમાં પક્ષાંતર કરાવવામાં આવી રહ્યું છે. કાં ડરાવીને અને કાં ખરીદીને. રાજકીય નેતાઓ પાસે ડરવા માટે ઘણાં કારણો છે. બહુ ઓછા રાજકીય નેતાઓ હશે જેણે પાપ નહીં કર્યાં હોય. પી. ચિદમ્બરમ, શરદ પવાર અને બીજા કળશીએક શક્તિશાળી નેતાઓને જે તે કેસોમાં સંડોવવામાં આવી રહ્યા છે.

ચૂંટણીપંચ, સી.બી.આઈ., સી.એ.જી. અને અન્ય લોકતાંત્રિક સંસ્થાઓ ઘૂંટણે પડેલી છે. ગઈ લોકસભાની ચૂંટણી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા તટસ્થતાથી વર્તતા નથી, એવો આક્ષેપ કરનારા બીજા ક્રમના ચૂંટણી કમિશનર અશોક લવાસાના પરિવાર પર કેસો કરીને તેમને સતાવવામાં આવી રહ્યા છે. સરકારનો આમ કરવા પાછળનો ઈરાદો એવો છે કે તેમને મુખ્ય ચૂંટણી કમિશનર બનતા રોકી શકાય. આવી જ સ્થિતિ અન્ય સંસ્થાઓની છે. સી.બી.આઈ.ના વડા આલોક વર્માને જે રીતે રાતના બે વાગે હુકમ કાઢીને હટાવાયા એ તાજી ઘટના છે.

અને નાગરિક સમાજ? ભારતમાં નાગરિક સમાજે પ્રભાવ ગુમાવી દીધો છે. એનાં અનેક કારણો છે અને એ સ્વતંત્ર લેખનો વિષય છે, પણ હકીકત એ છે કે નાગરિક સમાજ આજે પ્રભાવી હસ્તક્ષેપ કરવાની સ્થિતિમાં નથી.

આમ ભારતીય જનતા પક્ષ માટે અનુકૂળતા અનેક રીતની છે અને છતાં તેને ડર છે કે શું ખબર ક્યારે લોકોનો મોહભંગ થાય! માટે એટલી હદે રાજકીય શૂન્યાવકાશ પેદા કરવામાં આવે કે તૂર્કીની જેમ કોઈ વિકલ્પ જ ન રહે. વાચકોને જાણ નહીં હોય, અને ભારતીય મીડિયા લોકોને જાણ થવા દેતા પણ નથી; પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના આજે જગતમાં તૂર્કીના પ્રમુખ રિસેપ તય્યીપ એરડોગેન સાથે કરવામાં આવે છે. જેવી સ્થિતિ તૂર્કીમાં છે એવી ભારતમાં બની રહી છે એ વાતે જગત ચિંતિત છે.

અહી સવાલ એ છે કે આવી સ્થિતિ પેદા કોણે કરી? નરેન્દ્ર મોદી અને અમિત શાહે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અને બી.જે.પી.એ? ના, એવું નથી. તેઓ તો જે પરિસ્થિતિ દેશમાં છે એના લાભાર્થી છે. લોકતંત્રના કમજોર કરવામાં આવેલા માળખાનો તેઓ પોતાના હિતમાં ઉપયોગ કરી રહ્યા છે. લોકતંત્રને કમજોર કરવાનું કામ કૉન્ગ્રેસે અને કૉન્ગ્રેસ કલ્ચર અપનાવનારા અન્ય રાજકીય પક્ષોએ કર્યું છે. બધાએ મળીને પોતપોતના સ્વાર્થ માટે કર્યું છે. તાત્કાલિક સ્વાર્થ માટે કર્યું છે. પક્ષ પર અને એ દ્વારા સત્તા પર કાયમ વર્ચસ્વ ધરાવી રાખવા માટે તેમણે પક્ષને પરિવારની બાપીકી મિલકતમાં ફેરવી નાખ્યા છે. ન્યાયતંત્ર, સી.બી.આઈ., ચૂંટણી પંચ, સી.એ.જી. જેવી સંસ્થાઓનો તેમણે જ્યારે તેમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે દુરુપયોગ કર્યો હતો. સત્તા અને સંતતિઅંધ હતા એ લોકો.

તેમણે સડાને જાહેરજીવનમાં અને લોકતંત્રમાં પેસવા દીધો હતો. તેમણે તેને પોષ્યો હતો. તેમણે તેનો દાયકાઓ સુધી લાભ લીધો હતો. અનેક લોકો ઊહાપોહ કરતા હતા અને ચેતવણીઓ આપતા હતા, પણ તેમણે ક્યારે ય તેની ચિંતા કરી નહોતી. જેમણે શરમ સુધ્ધાં અનુભવી નહોતી ત્યાં સુધારાઓ તો બહુ દૂરની વાત છે. તેઓ એટલી હદે સ્વાર્થી અને સત્તાંધ હતા કે જયપ્રકાશ નારાયણ જેવાઓની સલાહ પણ તેમણે માની નહોતી. આમ ખખડી ગયેલું લોકતંત્ર અને સડી ગયેલું જાહેરજીવન બી.જે.પી.ને મળ્યું છે જે તેના સર્જક આ ‘મહાન’ નેતાઓ છે. આમ પણ સંઘપરિવારની લોકતંત્રમાં અને સાધનશુદ્ધિમાં ક્યારે ય શ્રદ્ધા નહોતી અને એમાં તેમને તેના વિરોધીઓએ ભાવતી સ્થિતિ પેદા કરીને આપી. લોકતંત્રનો જીવ ગેર-બી.જે.પી. પક્ષોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો હતો અને લગભગ નિષ્પ્રાણ કલેવર બી.જે.પી.ને મળ્યું છે. વર્તમાન શાસકો માત્ર લોકતંત્રનું કલેવર ટકાવવા માગે છે, જેમ તૂર્કીમાં બની રહ્યું છે.  

આજે હવે તેમના જ કર્યા તેમને હૈયે વાગી રહ્યા છે. તેઓ આજે જ્યારે તેમણે પેદા કરેલી બીમારીનો શિકાર બની રહ્યા છે, ત્યારે એક પણ લોકતાંત્રિક સંસ્થા તેમની મદદે આવી શકવાની સ્થિતિમાં નથી. અહીં એક તુલના કરવા જેવી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તૂર્કીના પ્રમુખ રિસેપ તય્યીપ એરડોગેન અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મિજાજ, રાજકીય અભિગમ અને વિચારોમાં આમ જુઓ તો કોઈ ગુણાત્મક ફરક નથી અને છતાં ટ્રમ્પ ધારે એમ મનમાની નથી કરી શકતા. આનું કારણ એ છે કે અમેરિકન લોકતંત્ર અને ત્યાંની લોકતાંત્રિક સંસ્થાઓ મજબૂત છે. ટ્રમ્પ ધમપછાડા કરીને પાછા હટી જાય છે. આવું ભારત અને તૂર્કીમાં નથી બની રહ્યું.

આઈવર જેનીંગ્સ નામના બ્રિટિશ બંધારણવિદ્ હતા. તેમણે કહ્યું હતું કે માત્ર શ્રેષ્ઠ બંધારણ હોવાથી મહાન રાષ્ટ્ર આકાર પામતાં નથી. તેને માટે લોકશાહીનું પોષણ કરવું જોઈએ અને લોકશાહીનું પોષણ સમૃદ્ધ પરંપરા વિક્સાવાથી થાય છે. તેમણે કહ્યું હતું કે લખેલા શબ્દ કરતાં લોકતાત્રિક પરંપરા વધારે પરિણામકારક નીવડે છે. લખેલા શબ્દના અનેક અર્થો કરી શકાય છે, પણ ચીલામાં ચીલો પાડી નહીં શકાય. કાં તો ચીલો ચાતરો અથવા ચીલે ચાલો. ચીલો એવો મજબૂત હોવો જોઈએ કે ચીલો ચાતરવા માગતા માણસને ચીલો ચાતરતા ડર લાગે અને શરમ આવે. અને એ છતાં પણ જો એવો પ્રયાસ કરવામાં આવે તો લોકતાંત્રિક સંસ્થાઓ તેમ કરતાં અટકાવે. અમેરિકામાં ઠીકઠીક પ્રમાણમાં આમ બની રહ્યું છે.

૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતનું બંધારણ ઘડનારી બંધારણ સભાની છેલ્લી બેઠકમાં ડૉ. આંબેડકરે પણ તેમના શબ્દોમાં એ જ વાત કહી હતી જે સર આઈવર જેનીંગ્સે કહી હતી. સારા શાસકો નબળું બંધારણ હોય તો પણ લોકશાહીનું સિંચન કરી શકે છે અને નબળા શાસકો શ્રેષ્ઠ બંધારણ હોવા છતાં લોકતાંત્રિક રાષ્ટ્રોને નિષ્ફળ બનાવી શકે છે. ભારતને એક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે નિષ્ફળ બનાવવામાં કૉન્ગ્રેસે અને બાકી પક્ષોએ ભાગ ભજવ્યો છે. આજે તેઓ તેનો શિકાર બની રહ્યા છે ત્યારે તેમની વહારે આવનાર કોઈ નથી.

આ દેશમાં લોકશાહી ટકાવી રાખવાની જવાબદારી આપણા સહુની છે, કારણ કે આપણો કોઈ અંગત સ્વાર્થ નથી. એને માટે આપણે ‘ભારતીય નાગરિક’ બનવું પડશે. માત્ર, માત્ર, માત્ર ‘ભારતીય નાગરિક’. હજુ મોડું નથી થયું. રાજકીય પક્ષો પાસેથી કોઈ આશા નહીં રાખતા. તેઓ તો આત્મનિરીક્ષણ પણ નથી કરતા. લોકસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા પક્ષોના કોઈ રાજકીય નેતાએ ભૂલ કબૂલ કરી હોય એવું હજુ સુધી જોવા મળ્યું નથી. તેઓ હજુ પણ બચી નીકળવાના છીંડાં શોધી રહ્યા છે.

હિંદુ થવાથી રામરાજ્ય નથી મળવાનું જેમ મુસ્લિમ થવાથી પાકિસ્તાનીઓને ખુદાનું રાજ્ય નથી મળ્યું. આપણને પણ એવું જ રાજ્ય મળશે જેવું પાકિસ્તાનીઓને મળ્યું છે. માત્ર ભારતીય નાગરિક થવાથી કાયદાનું રાજ્ય મળી શકે એમ છે. માટે અત્યારે દેશને બચાવવાની જવાબદારી આપણી છે. રહી વાત રાજકીય શૂન્યાવકાશની તો લોકો જ્યારે વિકલ્પની જરૂરિયાત અનુભવવા લાગે ત્યારે શૂન્યાવકાશ ભરાઈ જતો હોય છે, એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી.

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2019

Loading

બાપુ સાથે મુલાકાત અને પાંચ સવાલ

સિદ્ધાર્થ ગુજરાતી, સિદ્ધાર્થ ગુજરાતી|Opinion - Opinion|3 October 2019

અમદાવાદ ગાંધી આશ્રમમાં હું બાપુનો ઇન્ટરવ્યુ લેવા ગયો. બાપુ ત્યાં પોતાની કુટિરમાં બેઠા બેઠા ચરખો કાંતી રહ્યા હતા. મેં કહ્યું, "બાપુ, નમસ્કાર!"

બાપુએ સહજભાવે કહ્યું, "નમસ્કાર, આવ બેટા, આવ!"

મેં કહ્યું, “બાપુ, એક પાંચ સવાલનો ઇન્ટરવ્યુ કરવો છે, આપ રજા આપો તો."

બાપુએ તરત જ ઉત્તર આપ્યો, "પહેલો સવાલ પૂછો."

મેં પણ વિલંબ વિના પૂછી લીધું, "બાપુ આજે તમારો 150મો જન્મદિન છે આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, શું કહેશો?

બાપુ બોલ્યા, "દેશમાં સરકાર મારા જન્મદિન પર પૈસા વાપરવાના આયોજન કરી રહી છે એનાથી મને સૌથી વધુ દુ:ખ છે … આ પૈસો લોકોના પરસેવાનો ખરો કે નહીં? એનાથી મારી વાહવાહી થાય એવું મને ન જ ગમે, સ્વાભાવિક છે. દુનિયા મારી સાદાઈ અને કરકસર તરફ આકર્ષાઇ છે એવા સમાચાર મળે રાખે છે, પણ મારું ભારત મારા જીવન સંદેશનું જાણે શિર્ષાસન કરી રહી છે."

મેં બીજો સવાલ પૂછ્યો, “બાપુ, તમારા હત્યારા નથૂરામ ગોડસેનાં મંદિરો, સંસ્થા અને ભક્તો બનેલા છે, વર્તમાનમાં તમારાં પૂતળાંને મારવાના કાર્યક્રમો જાહેરમાં થાય છે, આ પ્રવૃતિ વિશે બે શબ્દો કહેશો?"

બાપુએ બોખા સ્મિત સાથે કહ્યું," બિચારો નથૂરામ ગોડસે!  મને કોઈ આશ્ચર્ય નથી કારણ કે એ બિચારો તો એક રમકડું માત્ર હતો. એના પર દયા ઉપજે, મારી હત્યા પહેલાં પણ આ લોકો અને સંસ્થા મને મારવાના ચાર વાર નિષ્ફળ પ્રયત્નો કરી ચૂક્યા હતા, ત્યારે હું બચતો રહ્યો પાંચમી વખતે એ સફળ રહ્યો. પણ એક વાતનો રંજ રહી ગયો કે મારે આવા મોતે મરીને અમર નહોતું થવું પણ એ કામ એ કરતો ગયો. અને રહી વાત મારાં પૂતળાંને ગોળી મારવાના કાર્યક્રમોની, તો તું એનો મને સંપર્ક કરાવી આપે તો હું એમને જરૂર સમજાવી શકું તેમ છું."

મારો ત્રીજો સવાલ, "વર્તમાન ભારતમાં સ્વચ્છતાનો આપનો સંદેશ પૂરા ભારતમાં ગૂંજી રહ્યો છે એ વિશે કંઈક કહેશો."

બાપુએ જણાવ્યું, "સ્વચ્છતાના કામની જવાબદારી દરેકે વ્યક્તિગત રીતે ઉપાડી લેવી જોઈએ, એમ હું માનું છું. આખી જિંદગી મેં એ યજ્ઞ  કર્યો હતો, પણ આપણી કેળવણીમાં કચાશ રહી ગઈ છે એ માનવું જોઈશે. કારણ કે આપણે એને બૂરું કામ માનીને એને એક ચોક્કસ વર્ગ પર ઢોળી દીધું છે, જે દર્શાવે છે કે સડો આપણા દિમાગમાં છે. સરકારનું તો સમજ્યા, એમને એમની સત્તા માટે આખો ગાંધી પોસાય એમ નથી, એટલે ખપ પૂરતા અમુક સિદ્ધાંતો પર દળે રાખે છે એ એમનું કામ છે."

ચોથો સવાલ," બાપુ, વર્તમાન રાજકારણ પર કાંઈક ટિપ્પણી?

બાપુએ લાંબો નિસાસો નાખીને કહ્યું, "સબકો સન્મતિ દે ભગવાન! પ્રતિશોધની આગ ભારતના હાર્દરૂપ સત્ત્વને ખતમ કરી નાખશે. આ દેશ એની એ જ ઓળખ સાથે આઝાદ થયો હતો કે વિવિધતામાં એકતા છે. એને ડૂચા દેવાથી હિન્દુસ્તાનનો દેવ કોપી ઊઠશે."

પાંચમો સવાલ, "હિન્દુસ્તાનના ભવિષ્ય માટે શું સંદેશ આપશો?"

બાપુ એક ક્ષણના વિલંબ વિના કહેવા લાગ્યા, "મારાં સ્વપ્નનું સ્વરાજ પહેલાં પણ નહોતું અને અત્યારે તો કેમ કરીને રાજીપો વ્યકત કરું? જ્યાં શિક્ષણના નામે વેપાર, સ્વસ્થતાની સેવા પોતે દમ ભરી રહી છે અને પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતી પ્રજા એ હિન્દુસ્તાન માટે અભિશાપ છે … ખાલી વસ્તી વધે જાય છે. આ વસ્તીના હાથમાં કામ આપવું પડે એના કૌવતનો ઉપયોગ સરકાર કરી શકતી નથી, ત્યારે પ્રજા દુ:ખી થાય. હવે અમે ભગાડેલા અંગ્રેજોની જગ્યા મૂડીવાદીઓ લઈ લે, એ સ્વરાજ સાથે ખુલ્લો બળાત્કાર છે."

આભાર, બાપુ! આપે આજે સમય આપીને મને ઇન્ટરવ્યુનો લાભ આપ્યો એ બદલ ફરીથી આભાર.

બાપુ ફરી મારી સામે બોખું હાસ્ય વેરીને ચરખો કાંતવા માંડયા!

બાપુના ચરણોમાં વંદન સાથે 150મી જન્મજયંતિ નિમિત્તે આપ સહુને અભિનંદન!

Loading

આભને ઘડૂલે દીપે દીવડો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|3 October 2019

હૈયાને દરબાર

નવરાત્રિ આવે એટલે અવનવા ગરબાની કથા મંડાય. જૂનાં ને જાણીતાં ગરબા તો આપણને આવડે જ પણ કેટલાક ક્લાસિક ગીત-ગરબા વિશે વાત કરવી છે. પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરાંકિત એવી સ્તુતિ ‘આભને ઘડૂલે દીપે દીવડો’ સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલી ઉત્તમ રચના છે.

"કવિ રમેશ જાની રેડિયો રૂપક કરતા હતા. એમને માટે સૌથી પહેલાં આ ગીત મેં સ્વરબદ્ધ કર્યું અને આનંદકુમાર સી. પાસે ગવડાવ્યું હતું. ત્યારબાદ એચ.એમ.વી.ને સુમન કલ્યાણપુરની એક ઈ.પી. બહાર પાડવી હતી તેથી એમણે મારો સંપર્ક કર્યો. આભને ઘડૂલે તાજું જ સ્વરાંકન હતું એ મેં સુમનજીને સંભળાવ્યું. આ ગીત એમને એટલું બધું ગમી ગયું કે એમણે પંડિત હરિપ્રસાદજીને પણ આ ગીતમાં ફ્લુટ વગાડવાનું ઈજન આપી દીધું. એ વખતે સુમન કલ્યાણપુર ખારમાં રહેતા હતાં અને એમના ઘરની ઉપરના માળે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા રહે. તેથી આ ગીત માટે હરિજી પણ તરત તૈયાર થઈ ગયા. પછી તો સુમન કલ્યાણપુરના અવાજમાં જ એ લોકપ્રિય થયું.” પુરુષોત્તમ ઉપાધ્યાય જૂની સ્મૃતિઓ તાજી કરતાં કહે છે.

ગુજરાતીઓ માટે માતાજીની સ્તુતિ, આરતી, ગરબા-રાસનું મહત્ત્વ ઘણું છે. લોકગીતોની મહત્ત્વની બે સરવાણી એટલે સંતવાણી અને રાસ-ગરબા.

રાસ-ગરબા એ લોકસંગીતનું અવિભાજ્ય અંગ છે. ગુર્જર ગરબો એ સંસ્કૃતિનું મંગલમય પ્રતીક છે. ગરબામાં વસ્તુ દૃષ્ટિએ વર્ણન, કથા, સંવાદો, સંદેશ, સ્તુતિ તથા સ્થાનનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. અવિનાશ વ્યાસે અનેક ગરબા લોકપ્રિય કર્યા હતા. એ સિવાય મુંબઈનાં વીણા મહેતા, ‘વર્ણમ્‌’ તથા ‘કલાસંગમ’ના ગરબા એક સમયે ખૂબ પ્રચલિત થયાં હતાં. ૧૯૭૪માં ‘વર્ણમ્‌’ શરૂ થયું ત્યારે પહેલવહેલાં કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીનાં માતા લીલા ભણસાલી હતાં. ‘વર્ણમ્‌’ની વિશેષતા એટલે રાસ ગરબા અને પ્રયોગશીલ નૃત્ય, જ્યારે ‘કલાસંગમ’ના ગરબામાં શાસ્ત્રીયતા વધારે જોવા મળે. સંગીતકાર-ગીતકાર નિનુ મઝુમદારે ગરબામાં વિશિષ્ટ પ્રયોગો કર્યા હતા, જેમાં ‘ઋતુરંગ’ ‘નવરસ’ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા ગરબાનો પ્રયોગ ઉલ્લેખનીય કહી શકાય.

કૌમુદી મુનશી આ ગરબા વિશે કહે છે, "નિનુ મઝુમદાર ગરબામાં જુદા જુદા વિષયો વણી લઈ ઘણા પ્રયોગો કરતા. ક્યારેક પારંપરિક ગરબાની પહેલી લાઈન યથાવત જાળવી રાખીને બાકીનો ગરબો પોતાની રીતે રચતા. નારી ગૌરવના ગરબા પણ એ લખતા. જેમ કે, ઝીણી ઝીણી ઘૂઘરીઓ ઘમકે, છમકે, ઝમકેમાં છેલ્લો અંતરો ખૂબ સરસ છે :

સર્જન બિંદુ માનું પ્રગટી ઘર ઘરમાં સોહાય,
દેવ રમે છે સઘળે જ્યાં જ્યાં નારીઓ પુજાય,
કે લક્ષ્મીરૂપ થઈને આવે માડી સૌને દ્વારે દ્વારે ..!

સ્ત્રીનું માન સાચવવાની આ વાત મને બહુ ગમી ગઈ હતી. સાહિત્યિક દૃષ્ટિએ એમના ગરબા સરસ હોય છે. ઓ માડી તારાં મંદિર ઝાકમઝોળ તથા કાળી દાંડીનો ડમરો … પણ લોકપ્રિય હતા.

ગરબો એ પર્ફોર્મિંગ આર્ટ છે. એટલે જ ઘણી વાર કેવળ શબ્દોના ઠાઠમાઠવાળી કૃતિઓ, સંગીતની ભભકવાળી કૃતિઓ એ સાચા અર્થમાં ગરબો નથી હોતો. ગરબે ઘૂમતી વખતે એમાં ભાગ લેનારા કલાકારોનો વ્યકિતગત આનંદ તો જ છે, પણ એમની કલાને જોનારાં-માણનારાં સહૃદયો સાથે હોય તો એમનો આનંદ બેવડાય.

ગરબો એ સ્ત્રી સાથે અને એનાં નાજુક સંવેદનો સાથે સંકળાયો છે. એટલે એની સાથે લાલિત્ય પણ હોય જ. ‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ગર્ભમાં એટલે મધ્યભાગમાં ‘દીપ’ એટલે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો. કાળક્રમે એમાંથી દીપ પદ છૂટી ગયું. અને ગર્ભમાંથી ગરબો આવ્યો.

ગરબામાં ૨૭ છિદ્રો પાડવા પાછળનું એક અનોખું મહત્ત્વ છે, કેમ કે આપણે ત્યાં ગ્રહો અને નક્ષત્રોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં ૨૭ નક્ષત્ર હોવાથી માતાજીને પ્રિય એવો ગરબો પધરાવવામાં આવે છે.

નવ રાત્રિ અને નવ સ્વરૂપનું માહાત્મ્ય

ગરબામાં શક્તિના નવ સ્વરૂપોની આરાધના એટલા માટે કરવામાં આવે છે કે ગરબાની જનેતા શક્તિસ્વરૂપ જ છે. જ્ઞાનને ગતિ આપનાર મા શક્તિનું જ સ્વરૂપ છે. પુરાણકથા મુજબ મા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કરવા માટે સખીવૃંદ સાથે મળીને ગોળાકારે ઘૂમતાં લાસ્ય નૃત્ય કર્યું હતું માટે ગરબો પણ લાસ્ય છે જેમાં ભક્તિની સાથે લાવણ્ય છે. ગરબો નવ રાત્રિ એટલા માટે ચાલે છે કે નવ એ પૂર્ણ નવારંભનું પ્રતીક છે. વૈદિક ગણિત પ્રમાણે દશાંશ પદ્ધતિનો દસમો પૂર્ણાંક નવ છે. એમાં સંપૂર્ણ અંકન આવી જાય છે. માટે માતાજીના નવ સ્વરૂપમાં શક્તિના બધા જ સ્વરૂપ સમાવૃત્ત કરવાની પરંપરા ચાલી રહી છે.

નાગરજ્ઞાતિની બહેનોની બેઠા ગરબાની પરંપરા તથા ૧૦૦થી વધુ વર્ષ જૂનો ઇતિહાસ બેઠા ગરબા એ નાગરજ્ઞાતિમાં થાય છે. જેનો ઉદ્ભવ જૂનાગઢમાં થયો હોવાનું કહેવાય છે. ૧૦૦ વર્ષથી નાગરજ્ઞાતિમાં બેઠા ગરબાની પરંપરા છે. નવરાત્રિમાં અથવા સારા પ્રસંગોએ બેઠા ગરબા ગવાય છે. બેઠા ગરબા એક સ્ત્રી ગાય છે અને બાકીનાં ઝીલે છે. સામાન્ય રીતે ગુજરાતના ગરબા એ સૌંદર્યનું પ્રતીક છે. જે ઘૂમતો ગરબો હોય છે, જ્યારે બેઠા ગરબા એ માતાજીના સ્થાનક કે તેની છબી સામે બેસીને ગવાય છે. બેઠા ગરબા એ લોકગીત અને શાસ્ત્રીય સંગીત આધારિત હોઈ, રાજકોટના માઈ મંદિરમાં થતા બેઠા ગરબા એ સૌરાષ્ટ્ર-કચ્છમાં વખણાય છે. જૂનાગઢમાં ગિરનારા જ્ઞાતિનાં લોકો પણ બેઠા ગરબા કરે છે. મુંબઈમાં તો હવે ઘણાં પરાંમાં નાગરાણીઓ ભેગી થઈને બપોરે બેઠા ગરબા કરે છે. અંધેરી-વિલેપાર્લે-સાંતાક્રુઝ તો નાગરોનું મુખ્ય સ્થાન. હવે જો કે, બોરીવલી-કાંદિવલીમાં પણ બેઠા ગરબા પ્રચલિત થવા લાગ્યા છે.

ગરબા બેઠા હોય કે ફરતા, ગુજરાતી પ્રજાનો સૌથી ગમતો અને દેશ-વિદેશમાં ફેલાયેલો ઉત્સવ નવરાત્રિ છે. આજે જે ગરબાની વાત કરી એ આભના ઘડૂલામાં રહેલા દીવડાને લાંબા સમય સુધી ઝગમગતો રાખવો હોય તો જરૂર સાંભળજો. કવિ રમેશ જાની રચિત આ ગરબો ક્લાસિક ગરબાની કેટેગરીમાં જ મૂકવો પડે. સંગીતની મીઠાશમાં ઝબોળાઈ જવાની તૈયારી સહિત માણો આ રચનાને.

———————–

આભને ઘડૂલે દીપે દીવડો
માડી તારા તેજને અંબાર જો
લાખ લાખ તારલા ઝબૂકતા
માડી તારા રૂપ ને શણગાર જો
વાયા રે વાવલિયા માડી વ્હાલથી
વાયા વન વન મોઝાર જો
આવ્યા રે અમરાપરના દેશથી
આવ્યા ધરતીને દ્વાર જો…
નાના રે ઘડૂલા નાના દીવડા
ઝૂલતા ડૂલતા મઝદાર જો
તારા રે રખવાળાં માડી દોહ્યલાં
લાવો કાળને કિનાર જો…

•  કવિ : રમેશ જાની      •  સંગીતકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય      •  ગાયિકા : સુમન કલ્યાણપુર

https://www.youtube.com/watch?time_continue=10&v=4bjWMSYYmpA

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 ઑક્ટોબર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=589668 

Loading

...102030...2,7032,7042,7052,706...2,7102,7202,730...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved