Opinion Magazine
Number of visits: 9967316
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માત્ર નરવું હિંદુ રાષ્ટૃ શક્ય છે કે કેમ એ વિચારી જુઓ

રમેશ ઓઝા|Opinion - Opinion|15 March 2020

ભારતને આઝાદી મળી ત્યારે અને એ પછીનાં ઘણાં વર્ષો સુધી અત્યારનાં બંધારણીય રાષ્ટ્ર સામે સૌથી મોટો ખતરો સામ્યવાદનો નજરે પડતો હતો. મોટા ભાગના કૉન્ગ્રેસીઓને આમ લાગતું હતું જેમાં અપવાદ હતા; મહાત્મા ગાંધી અને ઘણે અંશે જવાહરલાલ નેહરુ. ગાંધીજીએ સામ્યવાદની જરા ય ચિંતા કરી નહોતી અને તેની વિચારધારાને ખાસ સમજવાનો પણ પ્રયાસ કર્યો નહોતો. તેમણે સામ્યવાદની લગભગ ઉપેક્ષા કરી હતી. જવાહરલાલ નેહરુએ સામ્યવાદી વિચારધારા સમજવાનો પ્રયાસ કર્યો હતો, કેટલીક બાબતોથી પ્રભાવિત પણ થયા હતા, પરંતુ તેઓ સામ્યવાદી વિચારધારાથી એટલા ભયભીત નહોતા જેટલા બીજા કૉન્ગ્રેસીઓ હતા.

એ વાત જુદી છે કે તેમણે ૧૯૫૯માં કેરળની પહેલી ચૂંટાયેલી સરકારને બરતરફ કરી હતી, પરંતુ એ નિર્ણય તેમનો પોતાનો ઓછો હતો, કૉન્ગ્રેસનો વધુ હતો. જવાહરલાલ નેહરુને સામ્યવાદ કરતાં હિન્દુત્વવાદી વિચારધારાનો ભય વધુ હતો. તેઓ જાણતા હતા કે બહુમતી કોમવાદ એટલે ફાસીવાદ અને તેનો ચહેરો સામ્યવાદ કરતાં ઓછો વિકરાળ નથી. ભારતમાં હિંદુઓ બહુમતી ધરાવે છે અને ઉપરથી ઇતિહાસમાં કાયમ પરાજિત હોવાની લઘુતાગ્રંથિ ધરાવે છે. નેહરુના સાહિત્યમાં હિન્દુત્વવાદીઓનો ભય બતાવનારાં જેટલાં કથનો મળશે એટલાં સામ્યવાદીઓનો ભય બતાવનારાં નહીં જડે. હિન્દુત્વવાદીઓને નેહરુ સાથે દુશ્મની છે એનું કારણ આ છે.

સામ્યવાદનો એ સમયે ભય હોવા માટે કેટલાંક કારણ હતાં. એક તો રશિયા અને ચીન જેવા બે મોટા દેશોએ સામ્યવાદી શાસન સ્વીકાર્યું હતું અને એ બંને દેશો ભારતની નજીક છે. એક સમયે ત્રીજા ભાગની દુનિયા સામ્યવાદી હતી. અમેરિકાએ અને રશિયાએ આખા જગતને સામ્યવાદ અને મૂડીવાદમાં વહેંચી દીધું હતું અને એવું ધ્રુવીકરણ કર્યું હતું કે જગતમાં મૂડીવાદ અને સામ્યવાદ સિવાય બીજો કોઈ મોટો પ્રશ્ન જ ન હોય. બંને પક્ષો વિચારધારાઓનો પ્રચંડ પ્રચાર કરતા હતા અને એમાં જૂઠ અને પ્રોપેગેન્ડાનો પણ આશરો લેતા હતા. ઉદ્યોગપતિઓએ સામ્યવાદનો હાઉ પેદા કર્યો હતો અને તેઓ લોબિંગ કરીને ભારત જેવા ત્રીજા વિશ્વના દેશોના શાસકોને, રાજકીય પક્ષોને, પત્રકારોને અને વિચારકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા હતા. આને કારણે એક સમયે એવું લાગતું હતું કે વર્તમાન ભારતીય રાષ્ટ્ર સામે મોટો ખતરો સામ્યવાદનો છે.

આવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ માનતો હતો. ‘બંચ ઑફ થૉટ’ નામનાં પુસ્તકમાં ગોલવલકર ગુરુજીએ એક કરતાં વધુ વખત કહ્યું છે કે હિન્દુત્વવાદીઓની આખરી લડાઈ સામ્યવાદ સામેની હશે. આવ અનેક કારણે મોટાભાગનાં કૉન્ગ્રેસીઓને એમ લાગતું હતું કે ભારત સામે સૌથી મોટો ખતરો સામ્યવાદનો છે સામ્યવાદ સામેની લડાઈમાં હિન્દુત્વવાદીઓની મદદ લેવી જોઈએ. તેમાંના કેટલાક (કેટલાક નહીં, મોટાભાગના) કૉન્ગ્રેસીઓ એમ માનતા હતા કે હિન્દુત્વવાદીઓ મૂર્ખાઓની જમાત છે એટલે તેમની ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. એ પ્રાચીન યુગમાં જીવે છે અને પ્રાચીન ભારતની મહાનતાની યાદ મમળાવીને પોતાની દુનિયામાં રાજી રહે છે. એટલે  હિન્દુત્વવાદીઓનો ઉપયોગ સામ્યવાદને ખાળવા માટે અને તેની સાથે મુસ્લિમ કોમવાદ સામે સંતુલન પેદા કરનારા સાધન તરીકે કરી શકાય છે અને તેમાં જોખમ ઓછું છે.

આમ વાસ્તવિકતા એ છે કે ભારતમાં હિન્દુત્વને જે પોષણ મળ્યું છે તેમાં મોટી સંખ્યામાં કૉન્ગ્રેસીઓનો અને સમાજવાદીઓનો હાથ છે. આમાંના કોઈએ કલ્પના કરી નહોતી કે ભારતીય રાષ્ટ્રને નકારનારાં પરિબળોમાં હિન્દુત્વવાદીઓ બાજી મારી જશે. એ સમયે ભારતીય સમાજનું આકલન કરવામાં જે ભૂલ કૉન્ગ્રેસીઓ અને સમાજવાદીઓએ કરી હતી એમ મુસલમાનોએ (મુસ્લિમ નેતાઓએ) પણ કરી હતી. તેમને એમ લાગતું હતું કે કોમી બહુમતીવાદ હિંદુઓનાં સ્વભાવમાં નથી એટલે મુસ્લિમ લઘુમતી રાજકારણ કરવામાં કોઈ જોખમ નથી. તેમને એમ પણ લાગતું હતું કે હિંદુઓ આપસમાં સંપ્રદાય, પેટા-સંપ્રદાય અને જ્ઞાતિના ધોરણે વિભાજીત છે એટલે હિંદુઓનો ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ વિકસવાની શક્યતા નહીંવત્ છે. જાણીતા મુસ્લિમ વિદ્વાન રફીક ઝકરિયાએ એક વાર મને આમ કહ્યું હતું.

પરિણામે બન્યું એવું કે કેટલાક કૉન્ગ્રેસીઓ અને સમાજવાદીઓ હિન્દુત્વવાદીઓને ગંભીરતાપૂર્વક નહોતા લેતા. તેમનો સામ્યવાદ સામે ઉપયોગ કરતા હતા, તેમનો ખાસ તો મુસ્લિમ કોમવાદ સામે ખપ મુજબ જોઈએ એટલા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, કેટલાક મુસ્લિમ નેતાઓ હિંદુઓની બાબતમાં નિશ્ચિંત રહીને લઘુમતી કોમવાદી રાજકારણ કરતા હતા, કેટલાક મુસ્લિમ નેતાઓ મુસલમાનોને વોટબેંકમાં ફેરવાવાનો પ્રયાસ કરતા હતા અને તેના પ્રતિસાદમાં સેક્યુલર રાજકીય પક્ષોના શાસકો તુષ્ટિકરણ કરતા હતા. આ એક પક્ષ થયો. બીજા પક્ષે કૉન્ગ્રેસને સત્તામાંથી હટાવવા માગતા ગેર-કૉન્ગ્રેસી રાજકીય પક્ષો જનસંઘ/બી.જે.પી.ને સાથે રાખવામાં સંકોચ કે ડર નહોતા અનુભવતા. ડૉ. રામમનોહર લોહિયાએ તો ગેર-કૉન્ગ્રેસવાદની થિસીસ વિકસાવી હતી. ખૂદ જયપ્રકાશ નારાયણે ૧૯૭૪-૧૯૭૭માં હિન્દુત્વવાદીઓની મદદ લેવામાં નહોતો ડર અનુભવ્યો કે નહોતો સંકોચ અનુભવ્યો.

ટૂંકમાં દરેકનો રાજકીય એજન્ડા હતો અને દરેકનો રાજકીય સ્વાર્થ હતો અને તેમાં હિન્દુત્વવાદીઓનો ખપ હતો. હિન્દુત્વવાદીઓનો સાથ લેનારાઓમાંથી અને તેમનો ઉપયોગ કરનારાઓમાંથી, કોઈ કહેતા કોઈને ય હિન્દુત્વવાદીઓનો ફાસીવાદી ચહેરો નજરે નહોતો પડ્યો અને જેમને એવો ચહેરો નજરે પડ્યો હતો તેણે તેની ખાસ ચિંતા કરી નહોતી. રહી વાત નાગરિક સમાજની તો તેણે પણ હિન્દુત્વવાદીઓની ઠેકડી ઊડાડીને તેમને ગંભીરતાથી લીધા નહોતા. કૉન્ગ્રેસની ઈજારાશાહી, એકાધિકારશાહી અને ભ્રષ્ટાચાર સામેનો અણગમો એટલો તીવ્ર હતો કે નાગરિક સમાજમાંથી પણ ખાસ કોઈએ હિન્દુત્વવાદીઓનો રાજકીય ઉપયોગ કરવામાં આવે અને સાથે લેવામાં આવે તેનો વિરોધ કર્યો નહોતો. બહુ દૂર જવાની જરૂર નથી. ૨૦૧૧નાં અણ્ણા હજારેનાં ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલનને યાદ કરો. કેટલા સેક્યુલર વિચારકોએ ત્યારે હિંદુરાષ્ટ્રવાદ માટે રસ્તો ખુલ્લી રહ્યો હોવાની ચેતવણી આપી હતી? આંગળીને વેઢે ગણી શકો એટલા માંડ હશે.

આમાં અપવાદ હતા જવાહરલાલ નેહરુ. નેહરુ સતત એમ કહેતા હતા કે ઘરની અંદરના દુશ્મનને ઓછો અંક્વાની ભૂલ નહીં કરતા. તેમણે હિન્દુત્વવાદીઓને ગંભીરતાથી લીધા હતા અને ક્યારે ય તેમને હસી નહોતા કાઢ્યા. હિન્દુત્વવાદીઓએ કમસેકમ એક બાબતે નેહરુનો આભાર માનવો જોઈએ. જ્યારે તેમની મદદ લેનારાઓ ઠેકડી ઊડાડીને બાજુમાં બેસાડતા અને સાથે લેતા હતા તેમ જ આપતા હતા ત્યારે નેહરુએ તેમની ઠેકડી નહોતી ઊડાડી. ક્યારે ય બાજુમાં નહીં બેસવા દીધા એનો ભલે રોષ હોય, પણ જ્યારે આખું જગત ઠેકડી ઉડાડતું હતું ત્યારે નેહરુએ ઠેકડી નહોતી ઊડાડી એની કદર તો કરવી જ જોઈએ. નેહરુએ હંમેશ તેમને ભારતીય રાષ્ટ્રના દુશ્મન નંબર એક તરીકે જ જોયા હતા. નેહરુએ હિંદુઓની સહિષ્ણુતા અને ડહાપણને પણ ગૃહિત નહોતું માન્યું. પરાજિત માનસે પેદા કરેલી લઘુતાગ્રંથિની તેમને જાણ હતી. 

આજે સ્થિતિ આપણી સામે છે. સામ્યવાદ તો ક્યારનો ય ભૂલાઈ ગયો છે. ભારતમાં સામ્યવાદીઓને ક્યારે ય મોટી સફળતા મળી નહોતી. ભારતની આઝાદીને અધૂરી ગણાવનારા અને બંધારણને નકારનારા દલિતોએ ડૉ. આંબેડકરને એકલાને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાવીને બંધારણ માટે પોરસાય છે અને બંધારણને એક દલિતની રચના તરીકે ઓળખાવે છે. દલિત નેતાઓ બંધારણ કેટલું સમજ્યા છે અને બંધારણનિષ્ઠ રહીને કેટલું રાજકરણ કરે છે એ જુદો પ્રશ્ન છે. ડૉ. આંબેડકરને ગાંધીની બરાબરી કરનારા આઇકન બનાવવા હોય તો બંધારણને તેની સાથે જોડવું જરૂરી છે, જ્યારે કે ડૉ. આંબેડકરને સામાજિક સમાનતાના પ્રતિક બનાવવા જોઈએ.

આમ કોઈએ ધાર્યું નહોતું એમ અને કોઈએ ગંભીરતાપૂર્વક જેની ચિંતા કરી નહોતી એ હિન્દુત્વવાદીઓ ભારતીય રાષ્ટ્રને અને બંધારણને નકારનારાઓમાં મેદાન મારી ગયા છે. હવે જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું. હવે શું?

ભારતના નાગરિકો પાસે ત્રણ વિકલ્પ છે.

એક છે સર્વસમાવેશક લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રમાં જો અફર નિષ્ઠા હોય તો તેને બચાવવા માટે અહર્નિશ ઊહઊહાપોહ કરતા રહેવું જોઈએ જેમ આ લખનાર કરે છે. વિરોધ બી.જે.પી.નો કે નરેન્દ્ર મોદીનો નથી, તેમની કલ્પનાના હિંદુ રાષ્ટ્રનો છે. હિંદુ રાષ્ટ્ર એટલે બહુમતી કોમવાદી રાષ્ટ્ર એટલે કે ફાસીવાદ. જે આમ માને છે તેમણે જે બની રહ્યું છે તેના પર ચાંપતી નજર રાખવી જોઈએ.

બીજો વિકલ્પ. જે નાગરિકો એમ માને છે કે હિંદુ રાષ્ટ્ર પણ કોઈને અન્યાય નહીં કરનારું, માથાભારે ન હોય એવું, દરેક રીતે નરવું રાષ્ટ્ર હોય એ સંભવ છે તો તેમણે હિંદુ રાષ્ટ્રવાદીઓને મોઢામોઢ પૂછી લેવું જોઈએ કે તમારી હિંદુ રાષ્ટ્રની કલ્પના સ્પષ્ટ કરો. કોઈ ખોટી માગણી છે? એક વાર બતાવી દો કે તમે અમારા ભારતને કેવો આકાર આપવા માગો છો. આવી રીતે ટૂકડે ટૂકડે નહીં, જે રીતે સર્વસમાવેશક, લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રને ઘડનારાઓએ રાષ્ટ્રની આખી સળંગ કલ્પના રાખી હતી એ રીતે તમે રાખો. અમને ગળે ઊતરશે તો અમે સાથ આપીશું. આ દેશમાં હિંદુ બહુમતીમાં છે એટલે કોઈને અન્યાય નહીં કરનારું પણ હિંદુઓનું વિશેષ કલ્યાણકરનારું રાષ્ટ્ર અમને માન્ય છે. નરવું હિંદુ રાષ્ટ્ર શક્ય હોય અને તેમાં તમે માનતા હો તો તમે કોઈ મોટો ગુનો નથી કરતા. માત્ર નરવું હિંદુ રાષ્ટ્ર શક્ય છે કે કેમ એ વિચારી જુઓ અને હિંદુ રાષ્ટ્રવાદીઓને પ્રશ્નો પૂછીને તેનું સ્વરૂપ સમજી લો.

અને ત્રીજો વિકલ્પ, જે નાગરિકોને અન્યાય કરનારા માથાભારે હિંદુ રાષ્ટ્ર સામે વાંધો નથી તેમણે ખુલ્લી રીતે બહાર આવવું જોઈએ. તમારો તે અધિકાર છે અને તેમાં શરમાવાની જરૂર પણ નથી. માત્ર તેનું અંતિમ પરિણામ કેવું આવશે એ કોઈ વિચારી શકનારા ડાહ્યા માણસને પૂછી જોવું જોઈએ. એવા માણસને પૂછો જેના પર તમારી શ્રદ્ધા હોય. આપ્તજનના પ્રમાણને ભારતીય ન્યાયશાસ્ત્રમાં માન્યતા આપવામાં આવી છે. આ સિવાય બહુમતી રાષ્ટ્રવાદના દુનિયામાં થયેલા પ્રયોગ પર પણ એક નજર કરી લેવી જોઈએ. બહુમતી રાષ્ટ્રવાદનો પ્રયોગ ભારત અને હિંદુઓ પહેલીવાર નથી કરી રહ્યા. જે દેશોમાં આવો પ્રયોગ થઈ ચુક્યો છે તેનાં પરિણામ તપાસી જુઓ.

એ પછી નક્કી કરવાનું કે પાછા ફરવું છે કે આગળ વધવું છે. નિર્ણય તમારો હોવો જોઈએ. કોઈ રમાડે અને આપણે રમીએ એ બેવકૂફી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2020

Loading

ઇન્ફોડેમિકઃ કોરોનાનું વાઈરલ (અ)જ્ઞાન અને આપણો ગભરાટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 March 2020

એકવીસમી સદીની વ્યાખ્યા કરવી હોય તો તેને એક એવો સિક્કો કહી શકાય, જેની એક બાજુ વર્ચ્યુઅલ દુનિયા છે અને બીજી બાજુ નક્કર દુનિયા છે. આ બંને દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે. અત્યાર સુધી આપણને આ જોડિયાપણાની આપસી અસર કેવી પડે છે તેનો અંદાજ ન હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી કોરોના વાઇરસે જે રીતે વૈશ્વિક ઉચાટ ફેલાવી દીધો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના ટાંટિયા ધ્રુજાવી દીધા છે, તેના પરથી એક અંદાજ આવી શકે છે કે એકવીસમી સદીમાં આપણી દુનિયા જેટલી સમૃદ્ધ હશે, તેટલી જ બરડ પણ હશે.

કોરોના વાઇરસ એકવીસમી સદીનો પહેલો રોગ છે, જેણે બેજિંગથી બેંગલુરુ સુધી અને ન્યૂયોર્કથી નેધરલેન્ડ સુધી વર્ચ્યુઅલ દુનિયાના માધ્યમથી લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. દુનિયાની આંકડાકીય માહિતીઓ આપતી વેબસાઈટ, વર્લ્ડ ઓમીટરના અપડેટ પ્રમાણે, દુનિયામાં કોરોના વાઈરસના ૯૮,૮૭૫ કેસ નોંધાયા છે, અને ૩,૩૯૦ મોત થયાં છે (તમે આ વાંચશો, ત્યારે સંખ્યા બદલાઈ ગઈ હશે). આ પહેલો રોગ છે, જેનાં મિનિટ-ટુ-મિનિટ અપડેટ આખી દુનિયાના લોકો તેમના ફોનમાં લઇ રહ્યા છે.

ગયા અઠવાડિયે વાઇરસ અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વમાં પહોંચ્યો, ત્યારે વૈશ્વિક બજારોમાં કડાકો આવ્યો, અને હવે આખી દુનિયામાં મંદી તોળાઈ રહી છે. અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં વેચાણ અને ઉત્પાદનને અસર થઇ છે. આયાત-નિકાસ કમજોર પડી છે. ફર્માસ્યુટિકલ ચીજોની અછત થવા લાગી છે. વૈશ્વિકીકરણના કારણે દુનિયાના દેશો એકબીજા સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલા છે, અને એટલે કોરોના વાઇરસનું ચેઈન-રિએક્શન આવ્યું છે. વિકિપીડિયા પર તો કોરોના વાઇરસની સામાજિક-આર્થિક અસરો પર એક સમૃદ્ધ પેજ પણ છે, જેમાં તમને દુનિયાભરના દેશોમાં શું અસર પડી રહી છે, તેની માહિતી મળશે.

અહીં કોરોના વાઇરસની ગંભીરતાને ઓછી આંકવાનો જરા ય આશય નથી, પરંતુ અમેરિકામાં મોસમી ફ્લૂમાં એક વર્ષમાં ૧૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. તેની સરખામણીમાં કોરોના વાઈરસ(જે એક પ્રકારનો ફ્લૂ જ છે)માં એક વ્યક્તિના મોતના સમાચાર જીવ ઊંચો કરી દે છે. તેનું કારણ આપણી આ જોડિયા દુનિયા છે. આંગળીના ટેરવે આપણી પાસે અપડેટ્સ અને ફેક ન્યૂઝ આવે છે. એક જગ્યાએ બેઠો હતો તો ઘરના લોકો દક્ષિણ કોરિયાના ‘સમાચાર’ની વાતો કરતા હતા કે કેવી રીતે સરકારે વાઈરસગ્રસ્ત એક માણસને ગોળી મારી દીધી, જેથી તે ફેલાય નહીં.

સાધારણ ફ્લૂ અને કોરોના વાઇરસમાં ફર્ક એટલો જ છે કે સાધારણ ફ્લૂ સાથે આપણો સંબંધ ચિરપરિચિત છે, અને આપણને ખબર છે કે ફ્લૂ શું છે. તેની આપણી માતાને અને દાદીને ખબર હતી અને પડોશમાં માસીને પણ જાણ હતી. કોરોના વાઇરસ વિશે આપણને કશી ખબર નથી. અથવા એવું કહો કે કોરોના વાઇરસ વર્ચ્યુઅલ જગતનો મહેમાન છે, અને શબ્દશઃ હવામાંથી આવ્યો છે. કોરોના વાઇરસ વિશે તમે જે કંઈ જાણો છો, તે ઇન્ટરનેટમાં ક્યાંકથી ઊડીને આવેલી માહિતી છે. ‘કોરોના વાઈરસની કોઈ દવા નથી’ આ જ્ઞાન દુનિયાના તમામ લોકોને માત્ર બે જ મહિનામાં થઇ ગયું છે. તમે પૂછો કે, કેવી રીતે? તમારા ઘરમાં કોઈને અનુભવ થયો છે? તો જવાબ હશે, ના, પણ અમે તો ક્યાંક વાંચ્યું હતું.

એ વાત સાચી કે તેની દવા નથી (એ વાત પણ સાચી છે કે તેની દવા શોધવા ફર્માસ્યુટિકલ કંપનીઓ ઓવરટાઈમ કરી રહી છે), પરંતુ કોરોના વાઇરસનું તમામ જ્ઞાન ઉછીનું છે અને એમાં સૂકા ભેગું લીલું બળે, તે ન્યાયે ગપગોળા, અફ્વા, ફેક ન્યૂઝ અને ગોસિપ પણ જ્ઞાન બનીને આપણને ગભરાવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હુ – WHO), જે દુનિયામાં રોગચાળા અને સ્વાસ્થ્ય સંબંધી બાબતો પર નજર રાખે છે, આજકાલ કોરોના વાઇરસના નામે અફ્વાઓના વાઇરસને રોકવા પણ ઝઝૂમી રહ્યું છે. સંગઠને તેને એપેડેમિક પરથી, ઇન્ફેડેમિક નામ આપ્યું છે. (એપેડેમિક એટલે દેશવ્યાપી રોગચાળો). તેણે ફેસબુક અને ગૂગલ જેવી ટેક કંપનીઓ સાથે સહયોગ સાધીને ગેરમાર્ગે દોરતી માહિતીઓ સામે લાલબત્તી ધરવાનું શરૂ કર્યું છે.

ભૂતકાળમાં રાજકારણીઓને ફેક ન્યૂઝનો મારો કરવાનો અવસર પૂરો પાડવા બદલ બદનામ થયેલા ફેસબુકે વિશ્વ આરોગ્ય સંગઠન અને અન્ય સંસ્થાઓની એવી જાહેરખબરો નિઃશુલ્ક પોસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં કોરોના વાઇરસ અને તેની સારવારને લઈને સાચી સમજણ આપતી માહિતી હોય. તેના સી.ઈ.ઓ. માર્ક ઝકરબર્ગે તેની વોલ પર પોસ્ટમાં લખ્યું હતું કે તેની કંપની જૂઠા દાવાઓ કરતી, લોકોને ગભરાવતી અને સ્થિતિનો ફયદો ઉઠાવવા માગતી માહિતીઓ સામે પગલાં ભરી રહી છે.

એપલનો એપ સ્ટોર, તેની સાઈટ પરથી કોરોના વાઇરસ સંબંધી એવી એપ્લિકેશન્સને રદ્દ કરી રહ્યો છે, જે જે સરકાર કે સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવી ન હોય. એપ ડેવલપરોના કહેવા પ્રમાણે એપલ એવી જ એપ્લિકેશન સ્વીકારે છે, જે અધિકૃત સંસ્થાઓ તરફ્થી આવી હોય. ગૂગલ પ્લે ‘વાઈરસ’ નામથી તમામ સર્ચને બ્લોક કરી રહ્યું છે. તેણે ‘કોરોના વાઇરસઃ સ્ટે ઇન્ફોર્મ્ડ’ નામની એક વેબસાઈટ બનાવી છે, જેમાં રેડ ક્રોસ, સેન્ટર ફેર ડિસીઝ કંટ્રોલ, સમાચાર સંસ્થાઓ અને ટ્વિટરની ઉપયોગી અને ભરોસાપાત્ર એપ્લિકેશન્સની યાદી પણ છે.

ગયા મહિને ઓનલાઈન રિટેલના બાદશાહ એમેઝોને તેના પ્લેટફેર્મ પરથી વેચાતાં ૧૦ લાખ ઉત્પાદનોને રોકી દીધાં હતાં, કારણ કે તેમણે કોરોના વાઇરસથી બચવાના ખોટા દાવા કર્યા હતા.

તેણે એવા હજારો સોદાઓ પણ ફોક કર્યા હતા, જેમાં વેપારીઓ સ્થિતિનો ફયદો ઉઠાવીને માલ-સામાનને ઊંચા ભાવે વેચતા હતા.

વેબ ન્યૂઝની સચ્ચાઈ અને પારર્દિશતા માટેનું કામ ન્યૂઝગાર્ડ નામની એક વેબસાઈટે તાજેતરમાં ‘કોરોના વાઇરસ મિસઇન્ફોર્મેશન ટ્રેકિંગ સેન્ટર’ શરૂ કર્યું છે, જે કોરોના વાઈરસ અને સાર્સને લગતી ગેરમાહિતીઓ આપતી વેબસાઈટ પર નજર રાખે છે. તેની શરૂઆત થઇ ત્યારે તેના વેબ પેજ પર અમેરિકા અને યુરોપની આવી ૩૧ સાઈટ્સ હતી, જે વધીને હવે ૧૦૬ થઇ છે.

ગંભીર બીમારીની સ્થિતિમાં પણ ઓનલાઈન કંપનીઓ અફ્વાઓ અને ફેક ન્યૂઝ કેમ ફેલાવતી હશે? કારણ કે માણસનું મગજ નકારાત્મક સમાચારોને વધુ વિશ્વસનીય ગણે છે, અને આવા સમાચારોથી વેબસાઈટ પર લોકોનો ટ્રાફિક વધુ આવે છે, જેથી સાઈટને જાહેરખબરો વધુ મળે. દાખલા તરીકે વિશ્વ આરોગ્ય સંગઠન કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ જેવી અધિકૃત સેવાઓની વેબસાઈટ પર લોકોની હાજરી નજીવી છે, પણ ભળતી-સળતી સાઈટ્સ પર લાખોની સંખ્યામાં લોકો કોરોના વાઇરસની સામગ્રીઓ વાંચી રહ્યા છે અને ફોરવર્ડ કરી રહ્યા છે.

આ ચોરની અને ભૂતની વાતો જેવું છે. ગામડામાં લોકો જમી-પરવારીને રાત્રે ભેગા થાય, પછી ચોર અને ભૂતની વાતો એવી નીકળે કે એમાં દરેક માણસ પોતાનું ‘જ્ઞાન’ ઉમેરીને તેને રસપ્રદ બનાવે. એમાં કોઈ કાચા-પોચા મનનો માણસ હોય, તો મોડી રાત્રે ઘરે જઈને બિહામણાં સપનાંનો ભોગ બનતો. અમેરિકા અને યુરોપના સ્વાસ્થ્ય નિષ્ણાતો ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે કોરોના વાઈરસને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ઝડપથી અફવાઓ અને ગેરમાહિતીઓ ફેલાઈ રહી છે, તેનાથી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ડિપ્રેશન અને વ્યગ્રતા(એન્ગ્ઝાઇટી)ના દર્દીઓની માનસિક સ્થિતિ વધુ નાજુક થઇ રહી છે. મોઢા પર માસ્ક પહેરેલા લોકોને આપણે હોલિવૂડની ફિલ્મો કે સસ્પેન્સ નવલકથાઓમાં જોતા હતા. હવે આપણે તેને રોજ સમાચારો અને બહાર સડકો પર જોઈએ છીએ અને એટલે અફ્વાને પણ સાચી માનવા સિવાય કોઈ રસ્તો નથી રહ્યો.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 માર્ચ 2020 

Loading

કોરોના વાઇરસઃ મેડિસિન ક્ષેત્રે લાખો ખર્ચાય છે પણ વાઇરસને નાથવો સરળ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 March 2020

આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું.

WHOએ કોરોના વાઇરસને પેન્ડેમિક એટલે કે વૈશ્વિક કટોકટીનાં સ્તરનો રોગ – મહામારી જાહેર કરી દીધો છે. જાહેર સ્થળોએ કાયમ કરતાં થોડી ઓછી ભીડ જોવા મળે છે જો કે જેને ચિંતા છે એ લોકો માસ્ક ચઢાવીને સેનિટાઇઝર વાપરતાં જાય છે અને સતત હાથ ધોતા જાય છે. દેશ હાથ ધોતાં શીખ્યો છે તો આખી દુનિયા નમસ્તે કરતા શીખી ગઇ છે. માળું છીંક, ખાંસી અને તાવ આટલા ડરામણા થઇ જશે એ તો ક્યારે ય નહોતું વિચાર્યું અને માટે જ અધધધ રૂપિયા જેમાં નખાય છે તેવા લાઇફ સાયન્સિઝ, ફાર્મા કંપનીઓનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં સંશોધનો આ વાઇરસની સામે અવાચક થઇ ગયા છે.  જો કે આજથી દસ વર્ષ પહેલાં હેલ્થકેર કે મેડિકલ સાયન્સિઝનાં સંશોધનોમાં જેટલો ખર્ચો થતો હતો તેના કરતાં કંઇ ગણો વધારે આજે થાય છે.

દેશમાં દુનિયામાં શું છે ફાર્માસ્યુટિકલ્સ અને ડ્રગ માર્કેટની સ્થિતિ?

ભારતમાં લાઇફ સાયન્સિઝ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા ત્રણ દાયકામાં આ ક્ષેત્રે સંશોધનો વધ્યાં છે અને નવાં ઉત્પાદનોથી માંડીને પેટન્ટ ફાઇલ કરવામાં પણ વધારો થયો છે. વિદેશમાં પણ આ ક્ષેત્રનો વિસ્તાર થયો છે, જેનું મૂળ કારણ મોટે ભાગે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જ હોય છે. વૈશ્વિક સ્તરે ભારત કુલ માગનાં ૫૦ ટકાથી વધુ વેક્સિન્સ સપ્લાય કરે છે. જનરિક ડ્રગની  વૈશ્વિક માગનાં ૪૦ ટકા યુ.એસ.એ.માં અને યુ.કે.માં ૨૫ ટકા તથા બાકી વિશ્વનો ૨૦ ટકા સપ્લાય ભારતમાંથી થાય છે. ફાઇનાન્શિયલ વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસનો આંકડો ૬.૭ બિલિયન યુ.એસ. ડૉલર્સ રહ્યો. ભારતમાં હેલ્થકેર સેક્ટર સૌથી વધુ ઝડપતી વધી રહેલું ક્ષેત્ર છે અને ૨૦૨૨ સુધીમાં તેનો આંકડો ૧૩૩ બિલિયન યુ.એસ. ડૉલર્સ સુધી પહોંચવાની વકી છે તથા નિકાસનો આંકડો ૨૦૨૦ દરમિયાન ૨૦ બિલિયન યુ.એસ. ડૉલર્સે પહોંચી શકે છે. વળી મેડિકલ ડિવાઇસિઝનું માર્કેટ પણ નાનું નથી અને તે પણ ૨૦૨૦ દરમિયાન ૫૫ બિલિયન યુ.એસ. ડૉલર્સ જેટલું થવાની શક્યતાઓ છે. ધી એસોસિયેશન ઑફ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અનુસાર ૨૦૦૭થી ૨૦૧૬ દરમિયાન ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં અંદાજે ૧.૩૬ ટ્રિલિયન ડૉલર્સનું રોકાણ થયું છે અને ૨૦૨૨ સુધીમાં આ રોકાણ ૧૮૧ બિલિયન ડૉલર્સ થઇ શકે છે. યુ.એસ.એ.માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ રોકાણ-ખર્ચ કરાય છે અને યુરોપમાં યુ.કે. આમાં અગ્રણી છે. આ આંકડાઓ નેશનલ ટ્રેડને આધારે છે જેમાં અધિકૃત સ્ટેટેસ્ટિક્સ નથી દર્શાવાયા.

કેવા વાઇરસોએ આપણને ડરાવ્યા છે?

વાઇરસ સામે લડવા અનેક સંશોધનો થઇ રહ્યાં છે પણ નવી ડ્રગ બનાવવામાં વર્ષો લાગી શકે છે અને ત્યા સુધીમાં આ મહામારી પોતે જ મરી ગઇ હોય અને કોઇ નવું જોખમ માથે નાચતું હોય. આપણી લડાઇઓ કંઇક આવી રહી છે – ૨૦૦૧માં એન્થ્રેક્સ સામે, ૨૦૦૨માં વેસ્ટ નાઇલ વાઇરસ, ૨૦૦૩માં એસ.એ.આર.એસ., ૨૦૦૫માં બર્ડ ફ્લુ, ૨૦૦૬માં ઇકોલી, ૨૦૦૯માં સ્વાઇન ફ્લુ, ૨૦૧૪માં ઇબોલા, ૨૦૧૬માં ઝિકા, ૨૦૧૮માં નિપા વાઇરસ. દર વખતે દુનિયા હવે પૂરી થઇ જશેનો હાહાકાર હતો, પણ હું અને તમે બંન્ને સાબૂત છીએ અને રહીશું. કોરોના વાઇરસ વિષે તો ૨૦૧૭માં એસ્ટ્રીક કોમિક્સમાં ય વાત હતી જેમાં આ નામનો એક સારથી હતો. કોરોના વાઇરસ તો પહેલેથી હતો જ પણ વુહાનમાંથી આ વાઇરસે પોતાનું જોર બતાડવાની કોઇ નબળી કડી શોધીને પ્રકોપ ફેલાવ્યો. જો કે આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું. વાઇરસ કરતાં વધુ ઝડપથી આ ખોટી માહિતીઓ અને ડર ફેલાય છે.

અમેરિકા જેવી મહાસત્તા, જ્યાં ફાર્મા તથા લાઇફ સાયન્સિઝમાં સૌથી વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય છે ત્યાં કોરોના વાઇરસનાં ૧,૨૬૭ કેસિઝ નોંધાઇ ચુક્યા છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં ૩૮ દર્દીઓ કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે. આખા વિશ્વનાં અત્યારના આંકડા પર વાત કરીએ તો કુલ ૧ લાખ ૨૬ હજાર અને ૧૦૦ લોકોમાં આ વાઇરસ જોવા મળ્યો છે અને લગભગ ૪,૬૦૦ જેટલા લોકો તેમાં મૃત્યુ પામ્યા છે. આ લેખ વંચાતો હોય ત્યાં સુધીમાં આ આંકડામાં વધારો ન થયો હોય તેની પ્રાર્થના જ અત્યારે તો કરવી પડે તેમ છે.

અઢળક રૂપિયા ખર્ચાતા હોવા છતાં છેલ્લા દસ વર્ષમાં આપણે જાતભાતનાં વાઇરસનાં જોખમો વેઠ્યાં છે. અત્યારે પણ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસ – કોવિડ-૧૯ની દવા શોધવા માટે જાત ભાતની ડ્રગ્ઝ પર પ્રયોગો વિશ્વભરમાં થઇ રહ્યાં છે. આ વાઇરસ સિઝનલ ફ્લુ કરતાં ૧૦ ગણો જોખમી છે તેવું વિધાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝનાં ડિરેક્ટરે તાજેતરમાં કર્યું હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ તો આ સુક્ષ્મ વાઇરસ આજે આધુનિકતાનાં નવા આયામો સર કરનારી માનવજાત સામેનાં સૌથી મોટાં જોખમો છે. અગણિત સંશોધન પછી પણ આધુનિક મેડિસિનની મદદથી આપણે હજી સુધી માત્ર એક જ વાઇરસને સંપૂર્ણપણે દૂર કરી ચૂક્યા છે અને તે છે સ્મોલપૉક્સ જેને માટે પણ દાયકા સુધીના વેક્સિનેશનની જરૂર પડી હતી.

અત્યારે જે વાઇરસ વિશ્વને ભરડામાં લઇ રહ્યો છે તે કઇ રીતે માણસનાં શરીર પર હુમલો કરે છે તે સંશોધકોએ સમજી લીધું છે અને તેને નજીક આવતો રોકવાના રસ્તા પણ તેઓ શોધી શક્યા છે. પરંતુ આ વાઇરસ અંગે થઇ રહેલા રિસર્ચની મદદથી તેના વિસ્તારને આપણે એકદમથી રોકી શકીશું કે કેમ?

વાઇરસ સામેની લડાઇ અઘરી કેમ?

વાઇરસ બહુ જ વિચિત્ર જીવાણુ હોય છે જે જરાક અમસ્તા અણુ-પરમાણુનો ઉપયોગ કરીને મનફાવે તેવા આકારમાં એક સાથે ગોઠવાઇ જાય છે અને સહેજ અમસ્તી હલન-ચલનની મોકળાશ મળે તો તે આખા તંત્રને – ઇકોસિસ્ટમને હચમચાવી શકે છે. હવા, પાણી, જમીન અને નાનકડાં છાંટામાં તે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી શકે છે, તેમનામાં ફેરફાર પણ બહુ જ ઝડપથી આવે છે. આ વાઇરસ આકાશથી માંડીને દરિયાના તળ સુધી ક્યાં ય પણ હોઇ શકે છે. વાઇરસિઝ તો બીજા જીવાણુઓને ય માંદા પાડી શકે છે પણ તે એટલા સરળતાથી બંધારણનું રૂપ લેતા હોય છે કે વૈજ્ઞાનિકો તેમને સજીવ તરીકે ગણવાનું ય જરૂરી નથી માનતા. તમે માનશો કે કોવિડ-૧૯ની પાછળ જે એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ વાઇરસ રહેલો છે તેનું કદ માત્ર ૧૨૦ નેનોમિટર્સ છે અને માનવ શરીરનાં રક્તકણ આનાથી ૬૪ ગણા મોટા હોય છે. માણસનાં શરીરને ૨૦,૦૦૦ પ્રકારનાં પ્રોટીનની જરૂર હોય છે, આ એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ માત્ર ૩૩ પ્રકારનાં પ્રોટીન વાપરે છે પણ માણસનાં નાકમાં દમ કરી શકે છે અને જીવ સુદ્ધાં લઇ શકે છે.

બેક્ટેરિયા અને વાઇરસમાં શું ફેર?

બેક્ટેરિયા અને વાઇરસમાં એક બહુ મોટો તફાવત હોવાથી તેમની સામેનાં યુદ્ધ પણ અલગ હોય છે. જેમ કે, બેક્ટેરિયામાં જે અણુઓ હોય તે અંદર બનતા રહે અને તેને કારણે જ બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે ટકી નથી શકતા, આ અણુઓ બેક્ટેરિયાને નબળા બનાવે છે, માનવ કોષને નહીં. પરંતુ એન્ટિબાયોટિક્સ વાઇરસિઝ પર અસર નથી કરતી કારણ કે વાઇરસ પોતાના જેવા બીજા વાઇરસ ઉત્પન્ન નથી કરતાં બલકે તેઓ માનવીય કોષો પર હુમલો કરે છે અને પોતાના યજમાન કોષનો જ ઉપયોગ કરીને પોતાના જેવા બીજા ક્લૉન્સ પેદા કરે છે માનવ કોષમાં વાઇરસની નકલ પેદા થતી રહે છે અને એ કારણે તે માટેની દવા શોધવી મુશ્કેલ બને છે. પ્રાણીજન્ય વાઇરસની દવા શોધવી તો બહુ જ મુશ્કેલ છે, એક સમયે ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ, મેલેરિયામાં ગામો ઉજ્જડ થઇ જતાં પણ આ તમામ પણ સમયાંતરે નાબૂદ થયાં, ઓછા થયાં કે પછી તેમની દવાઓ શોધાઇ. આ અંગેની દવાઓ કે વેક્સિન શોધવામાં પણ વર્ષો પસાર થયા હતાં અને કેટલાકને જડથી નાબૂદ કરે તેવી દવાઓ આજે પણ ઉપલબ્ધ નથી.

હાલમાં વાઇરસ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે સંશોધકો બે જ રસ્તા અપનાવે છે. કાં તો તેઓ વાઇરસથી થતા નુકસાનને ધીમું પાડે છે અને શરીરની પ્રતિકારક શક્તિને ઝડપી તથા મજબૂત બનાવે છે. એન્ટિવાઇરલ ડ્રગ્ઝ પણ એક રસ્તો છે જેનાથી વાઇરસની પ્રજોત્પત્તિ માનવીય કોષોને નુકસાન ન થાય તે રીતે અટકાવી શકાય છે. 

જો કે વાઇરસને નાથવાનો સૌથી અસરકારક રસ્તો છે ઇન્ફેકશન્સ અટકાવવું અને તે ક્વૉરેન્ટાઇન્સ અને સામાજિક અંતરો વધારવાથી જ થઇ શકે છે, અને હા વીસ સેકન્ડ સુધી હાથ ધોતા રહેવાથી પણ!

બાય ધી વેઃ 

જેમ જેમ માણસો વધુ આધુનિક સંશોધનોમાં સિદ્ધિ મેળવતા જાય છે તેમ તેમ કુદરત વધુ સંકુલ સમસ્યાઓ ખડી કરીને જાણે આખા ચક્રને સંતુલિત કરવાનો પ્રયત્ન કરતી હોય એમ લાગે છે. લાંબા લેખમાં વિજ્ઞાનની વાત કર્યા પછી પણ મને એમ કહેવું યોગ્ય લાગે છે કે અંતે તો કુદરત માણસને વખત આવ્યે તેનું સ્થાન બતાડી જ દે છે, કે ભાઇ તારે જેટલા ફાંકા રાખવા હોય એ રાખ પણ એક નહીં દેખાતા વાઇરસથી હું તને ડરને માર્યે ધ્રુજાવી શકું છું. જો આપણે તો ભારતમાં રહીએ છીએ. ગંદકી અને ઉકરડાની આપણને ટેવ છે એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘણી મજબૂત છે. ૨૦૦૩માં એસ.એ.આર.એસ. ૨૯ દેશોમાં હતો અને ૧,૦૦૦ જણા મૃત્યુ પામ્યા હતા જ્યારે આપણે ત્યાં ૩ મૃત્યુ થયા હતા. વુહાનમાંથી ભારત લવાયેલા ૩૨૭ જણાને કોઇ ઇન્ફેક્શન નહોતું. અમેરિકામાં ૨૦૧૦થી ગયા વર્ષ સુધીમાં ફ્લુને કારણે વર્ષે લગભગ ૩,૭૪૪ લોકો મૃત્યુ પામ્યા છે અને આપણે ત્યાં દસ વર્ષમાં આ આંકડો ૧,૧૦૩ છે, આ સાબિતી છે કે આપણે અન્ય દેશોની સરખામણીએ મજબૂત છીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2020

Loading

...102030...2,6282,6292,6302,631...2,6402,6502,660...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved