Opinion Magazine
Number of visits: 9576529
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્માર્ટ સિટી નહીં, સેફ સિટી બનાવોઃ શહેરોમાં સ્ત્રીઓ સલામત નથી!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 December 2019

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ ભારતનાં દસ શહેરોને મહિલાઓની સલામતી માટે સૌથી જોખમી જાહેર કરેલાં છે. અપરાધના આંકડા ૨૦૧૬ના છે. આ દસ શહેરોમાં દિલ્હી, ભોપાલ, ઔરંગાબાદ, જબલપુર, રાયપુર, કોટા, દુર્ગ-ભિલાઈનગર, ફરિદાબાદ, ગ્વાલિયર અને જોધપુરનો સમાવેશ થાય છે. રાજ્યોમાં મહિલાઓ પરના અપરાધમાં દિલ્હી સૌથી ઉપર એક નંબરે છે, જ્યારે નાગાલેન્ડમાં મહિલાઓ સામે સૌથી ઓછા અપરાધ થાય છે.

રૂટર સમાચાર સંસ્થાના સમાજસેવી સંગઠન થોમસન રૂટર ફઉન્ડેશનના ૨૦૧૮ના વૈશ્વિક સરવેમાં મહિલાઓની સલામતી માટે ભારતનો સમાવેશ સૌથી જોખમી દેશોમાં થયો હતો. આ રિપોર્ટનો બહુ વિવાદ થયો હતો, અને ઘણા લોકોએ તેને ‘હકીકત નહીં, પણ કલ્પના’ કહીને ખારીજ કર્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠનના એક રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક સ્તરે દર ત્રણ મહિલામાંથી એક મહિલા શારીરિક કે જાતીય હિંસાનો ભોગ બને છે. ૨૦૧૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘સેફ સિટિઝ એન્ડ સેફ પબ્લિક પ્લેસીસ’માં પાંચ શહેરોને સલામત બનાવવા માટે સૂચન કર્યું હતું, તેમાં દિલ્હી પણ હતું, જે મહિલાઓ માટે જોખમી ગણાય છે.

પ્રચલિત માન્યતાથી વિપરીત, ભારતનાં શહેરોમાં પુરુષોનું પ્રભુત્વ છે, અને મહિલાઓ તેમાં પોતાને સલામત મહેસૂસ કરતી નથી. ભારતની વસતીમાં આમ પણ મહિલાઓ-પુરુષોનો રેશિયો અત્યંત ખરાબ છેઃ ૧,૦૦૦ પુરુષોએ ૯૪૦ મહિલાઓ. ‘વંશમાં છોકરો તો હોવો જ જોઇને’ની જે પ્રાથમિકતા છે, તેના કારણે છોકરીઓની સંખ્યા નીચી જ રહે છે. એમાં માત્ર ૨૭ ટકા મહિલાઓ જ શહેરોમાં કામ કરવા બહાર નીકળે છે, જ્યારે પુરુષોની ટકાવારી ૭૯ ટકા છે. આની સીધી અસર એ છે કે શહેરોમાં સાર્વજનિક સ્થાનો પર મહિલાઓ ઓછી, અને પુરુષો વધારે છે. દેખીતું છે કે એમાં મહિલાની સલામતી જોખમાય છે.

૨૦૧૧ની વસતીગણતરીના આંકડા મુજબ, શહેરી વિસ્તારોમાં ઘરેથી પ્રવાસ કરીને કામ કરવા જતી મહિલાઓની સંખ્યા ૧૭ ટકા જ છે, અને દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ જેવાં મહાનગરોમાં પણ એ સંખ્યા ૨૦ ટકાથી ઉપર નથી ગઈ. મતલબ કે કામ કરવા જતા લોકોમાં એક મહિલા હોય, તો સાથે પાંચ પુરુષ હોય છે.

બીજી અસમાનતા ડ્રાઈવિંગ લાઈસન્સમાં છે. ભારતમાં દર દસ પુરુષોએ એક મહિલા પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોય છે. અમેરિકામાં બંનેની સંખ્યા સમાન છે, અથવા મહિલાઓની સંખ્યા થોડીક વધારે છે. સૌથી ઝડપી ગતિએ વિકસી રહેલી અર્થવ્યવસ્થા હોવા છતાં, ભારતમાં ૧,૦૦૦ લોકોમાં ૨૦ મહિલાઓ પાસે જ કાર છે, જ્યારે ઊંચી આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં તે સંખ્યા ૪૦૦ની છે. મતલબ કે મહિલાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કામ કરવા જાય છે, જે તેમને અસલામત બનાવે છે.

દિલ્હીમાં નિર્ભયા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટમાંથી જ જબરદસ્તી શરૂ થઇ હતી. હૈદરાબાદમાં પ્રિયંકા રેડ્ડીની સ્કૂટીમાં પંક્ચર થતાં તે નિરાધાર છે તે અપરાધીઓએ નોંધ્યું હતું, અને તેને સ્કૂટીના ટાયરનું પંક્ચર બનાવી આપવાના બહાને એકાંતમાં લઈ ગયા હતા. ત્યાં તેને નજીકની ઝાડીમાં લઇ જવાઈ હતી.

મુદ્દો એ છે કે શહેરોમાં સાર્વજનિક સ્થળો કે ટ્રાન્સપોર્ટેશનમાં મહિલાઓ સલામતી મહેસૂસ કરતી નથી. મુંબઈ સૌથી સલામત શહેર કહેવાય છે, પણ તે મહિલાઓ માટે કોઈ વિશેષ વ્યવસ્થાના કારણે નહીં, પરંતુ મુંબઈની સતત દોડધામવાળી વસતીના કારણે. બાકી મોટા ભાગનાં શહેરોની ડિઝાઇનમાં મહિલાઓની સલામતીનું બિલકુલ ધ્યાન રાખવામાં આવ્યું નથી. નિર્ભયાનો કિસ્સો બન્યો, ત્યારે એ વાત પણ ધ્યાનમાં આવી હતી કે સ્ટ્રીટલાઈટની નબળી વ્યવસ્થા ન હોત, તો આ ઘટના નિવારી શકાઈ હોત.

નિર્ભયા સાથે ભયાનક દુષ્કર્મ પછી દેશભરમાં ફાટી નીકળેલા આક્રોશના પગલે, તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમે રાજ્યોમાં મહિલાઓની સલામતી માટે ૧૦,૦૦૦ કરોડનું નિર્ભયા ફંડ ઊભું કર્યું હતું, પણ ભાગ્યે જ કોઈ મહિલા નિર્ભય થઇ હોવાનો દાવો કરી શકે તેમ છે. હૈદરાબાદની સામૂહિક બળાત્કારની ઘટના પછી સંસદમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ માહિતી આપી હતી કે સરકારે વિભિન્ન રાજ્યોને ૨,૦૦૦ કરોડ ફાળવ્યા છે, પણ એમાંથી ૨૦ ટકા ય ખર્ચાયા નથી. એમાં મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને દીવ-દમણે એક પણ રૂપિયો ખર્ચ્યો નથી. આને લાપરવાહી સિવાય બીજું શું કહેવાય?

જે તે વખતે મહિલાઓની સલામતી માટે સી.સી.ટી.વી. કેમેરા, પેનિક બટન અને જી.પી.એસ. ટ્રેકિંગ જેવી વિશેષ વ્યવસ્થાઓની વાતો કરવામાં આવી હતી. ભાગ્યે જ કોઈ મહિલાને આનાથી સલામતી મળ્યાનું આશ્વાસન લઇ શકાય તેમ છે. પશ્ચિમનાં શહેરોમાં સાર્વજનિક સ્થળોએ મહિલાઓ જે રીતે એકલી ફરી શકે છે, એવો કોઈ વિસ્તાર દિલ્હીમાં નથી.

કેન્દ્ર સરકારે ‘હિંમત’ નામની એક એપ્લિકેશન પણ શરૂ કરી હતી. કોઈ મહિલાને એવી ખાતરી નથી કે મુસીબતની ઘડીમાં આ એપ્લિકેશનનો ઘોડો દોડશે. મહિલા-બાળવિકાસ મંત્રાલયે દરેક સ્માર્ટફોનમાં પેનિક બટન મૂકવાની વાત કહી હતી. પેનિક બટન આવ્યું? દરેક સ્ત્રી પાસે સ્માર્ટફોન છે? તેની સામે, શહેરોમાં સલામતી અને અધિકારો માટે કામ કરતી સંશોધક કલ્પના વિશ્વનાથે ૨૦૧૩માં ‘સેફ્ટીપીન’ નામની ડેટા એપ્લિકેશન શરૂ કરી હતી, જેમાં એકલા દિલ્હીમાંથી ૫૧,૦૦૦ ડેટા પોઈન્ટ એકઠા થયા હતા. મતલબ કે મહિલાઓ જે તે વિસ્તારમાંથી તેમની સમસ્યા કે સલામતીના ફીડબેક આ એપમાં નાખે, અને અન્ય મહિલાઓ તેને જોઈ શકે. આમ, ‘સેફ્ટીપીન’ મહિલાઓને સલામત રોડ-રસ્તા-વિસ્તારનું માર્ગદર્શન આપતું રહે. એમાં ફોટોગ્રાફ્સ પણ હોય, અને એપની મદદથી વિશ્વાસુ વ્યક્તિ જે તે મહિલાની અવર-જવરનું ધ્યાન રાખી શકે.

અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના બર્કેલે કેમ્પસમાં થોડાથોડા અંતરે ઇલેક્ટ્રોનિક થાંભલા છે, જેની પર ઈમરજન્સીનાં બોર્ડ મારેલાં છે. અચાનક જરૂર પડે તો પોલીસથી લઈને ડોક્ટર સુધીને સેવા માટે ફોન કરવાની તેમાં વિગતો છે. તમારે ખાલી સંબંધિત બટન જ દબાવાનું. થાંભલા એટલા આસપાસમાં છે કે પસાર થતી બીજી કોઈ વ્યક્તિ પણ ઈમરજન્સી જોઈને બટન દબાવીને મદદ બોલાવી શકે.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ૨૦૧૧થી શરૂ થયેલી મહિલા પાંખે મહિલાઓએ ધ્યાનમાં રાખીને ‘સેફ સિટી’(સલામત શહેર)નો ખયાલ પ્રચલિત બનાવ્યો છે. નવાં શહેરોનું આયોજન થાય અથવા મોજુદા શહેરોના ભાવિ વિકાસનું આયોજન થાય, ત્યારે એમાં મહિલાઓની સલામતીને ધ્યાનમાં રાખવાની આખી વાત નવી છે. આપણે ત્યાં હજુ આ વિચાર આવ્યો નથી. આપણે ત્યાં સ્માર્ટ સિટી બની રહ્યાં છે. કોઈએ પૂછવા જેવું છે કે મહિલાઓ માટે આ સેફ સિટી પણ હશે? સેફ સિટી કેવાં હોવાં જોઈએઃ

૧. જ્યાં એવી સાર્વજનિક જગ્યાઓ હોય, જ્યાં મહિલાઓ મુક્તપણે અને સલામત ફરી શકે

૨. જ્યાં મહિલાઓ પર ઘરમાં કે બહાર મુસીબત આવે, તો તત્કાળ મદદ મળે

૩. જ્યાં મહિલાઓ સામે આર્થિક, સામાજિક, રાજકીય કે સાંસ્કૃતિક ભેદભાવ ન થાય અને તે અધિકારોનું રક્ષણ થાય

૪. જ્યાં મહિલાઓ તેમના સમુદાયને અસર કરે તેવા નિર્ણયો લેવામાં બરાબરની ભાગીદાર હોય

૫. જ્યાં મહિલાઓના મૂળભૂત અધિકારોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય

૬. જ્યાં મહિલાઓ સામેની હિંસા રોકવા કે અપરાધીઓ સામે પગલાં ભરવા સ્થાનિક પ્રશાસન સક્રિય હોય

આપણી પાસે પાછલા અનેક દાયકાના અપરાધોનો જે ડેટા છે, તેના આધારે આપણે શહેરોની ભૌગોલિકતા અને સામાજિકતા નહીં વિકસાવીએ, ત્યાં સુધી હૈદરાબાદ જેવી ઘટનાઓ વારંવાર થતી રહેશે. જે સમાજના રિવાજો અને રાજકારણમાં સ્ત્રી-વિરોધી માનસિકતા હોય, ત્યાં પોલીસથી કે એન્કાઉન્ટરથી બળાત્કાર ક્યાંથી અટકે?

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 ડિસેમ્બર 2019

Loading

ઉતાવળે વ્યાપક સ્તરનાં નિર્ણયો લઈ સરકારે સવાલો ખડા કર્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|15 December 2019

આ કટારલેખકના ટૂંકા વેકેશન દરમ્યાન આટલી ઘટનાઓ બની છે.

દેશનો વિકાસદર (જી.ડી.પી.) સરકારી આંકડા મુજબ સાડા ચાર ટકા સુધી નીચે આવી ગયો છે. આ તો બે વરસ પહેલાં સરકારે વિકાસદરના માપદંડો બદલીને પોતે જ પોતાના માટે બનાવેલા રિપોર્ટ કાર્ડ મુજબના માર્ક્સ છે. સાચો વિકાસદર તો અઢી ટકાની આસપાસનો હોવાનું અર્થશાસ્ત્રીઓ કહે છે.

દેશની આર્થિક સ્થિતિ વિષે નાણા પ્રધાન કહે છે કે અર્થતંત્રની ગતિ થોડી મંદ પડી છે પણ તેને મંદી ન કહેવાય. તેમણે તો એમ કહ્યું છે કે ભારતમાં મંદી ક્યારે ય આવવાની જ નથી. માત્ર વર્તમાન નહીં ભવિષ્યની બાબતમાં પણ તેઓ નિશ્ચિત છે, એટલે પ્રજાએ કેટલું નિશ્ચિત રહેવું એ પ્રજાએ નક્કી કરવાનું છે. નિર્મલાબહેનનું આ વચન જોઈને પ્રજાને ચિંતા થાય કે ન થાય, પણ નિર્મલાબહેનનો આત્મવિશ્વાસ જોઈને તેમના પતિ પરાકલા પ્રભાકર ચિંતિત થઈ ગયા. પ્રભાકર પોતે અર્થશાસ્ત્રી છે અને તેમણે ‘ધ હિંદુ’માં લેખ લખીને જાહેરમાં સલાહ આપી છે કે નાણા પ્રધાને ડૉ. મનમોહન સિંહને સાંભળવા જોઈએ, તેમની સલાહ લેવી જોઈએ અને એકંદરે પી.વી. નરસિંહરાવ – ડૉ. મનમોહન સિંહની જોડીએ ત્રણ દાયકા પહેલાં અખત્યાર કરેલો માર્ગ અખત્યાર કરવો જોઈએ. તેમણે દેશ આર્થિક સંકટમાં છે તેનો સ્વીકાર કરવાની પણ સલાહ આપી છે અને કહ્યું છે કે તેનો એક માત્ર ઈલાજ મનમોહન સિંહનો માર્ગ છે.

નિર્મલા સિતારામના પતિ ગભરાઈ ગયા એનું બીજું પણ એક કારણ છે. નિર્મલા સિતારામને લોકસભામાં કહ્યું કે તેઓ શાકાહારી છે એટલે તેઓ લસણ-ડુંગળી ખાતાં નથી એટલે આ બે ચીજો સાથે તેમને કોઈ નિસબત નથી. આને કારણે તેના આસમાને ગયેલા ભાવ વિષે તેઓ કાંઈ જાણતા નથી. પહેલી વાત તો એ કે ડુંગળી શાકાહારી છે, એ પ્રધાનસાહેબા જાણતાં નથી. શાકાહારીઓમાં કેટલાક લોકો ડુંગળી-લસણ ખાતા નથી એ જુદી વાત છે, પણ ૯૦ ટકા શાકાહારીઓ શાકાહારી હોવા છતાં ડુંગળી-લસણ ખાય છે. બીજું એ કે પ્રધાનસાહેબા છાપાઓ પણ વાંચતા હોય એવું લાગતું નથી. અર્ધાંગિનીનાં આવાં અમૃતવચનો જોઈને બાકીના અર્ધા અંગને લાગ્યું હોવું જોઈએ કે હવે જરા બોલવું જોઈએ.

આ બાજુ આપણા કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ સિનેમા ઘરોમાં દોડી ગયા અને કહ્યું કે તાજી રિલીઝ થયેલી ત્રણ ફિલ્મો સોલીડ વકરો કરે છે એટલે મંદી નથી. આના કરતાં વધારે મોટી સાબિતી જગતનો કયો અર્થશાસ્ત્રી લઈ આવવાનો હતો? આમ એકથી એક હીરામોતીથી સજ્જ આ સરકાર છે.

બીજી ઘટના કાશ્મીરની છે. કાશ્મીર વિશેનો ઐતિહાસિક નિર્ણય લેવાયો તેને આજ ૧૨૩ દિવસ વીતી ગયા છે, પણ ત્યાં મોકલવામાં આવેલા લશ્કરની એક પણ કુમક પાછી લેવામાં નથી આવી. કડકડતી ઠંડીમાં ૨૮,૦૦૦ સૈનિકો કાશ્મીરમાં ફરજ પર છે અને તેમને ઠંડીથી રક્ષણ આપવા પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચતી હશે. આનો અર્થ શું થયો? આનો અર્થ એટલો જ કે કાશ્મીરની ખીણમાં શાંતિ નથી. ગોદી મીડિયા આ વાસ્તવિકતાથી તમારું ધ્યાન અન્યત્ર ખેંચવાનો પ્રયાસ કરતા રહે છે. વિદેશી મીડિયા અને બીજી એજન્સીઓ પણ કહે છે કે કાશ્મીરની ખીણમાં શાંતિ નથી. વધારે મોડું થાય અને મદમાં ને મદમાં કાશ્મીર ભારતનું બંગલાદેશ થાય એ પહેલાં કાશ્મીરીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

ત્રીજી ઘટના ડોકલામની છે. તમે જાણો છો કે કેટલાક મહિનાઓથી ભૂતાન ભારતને બાજુએ રાખીને સીધું ચીન સાથે વાટાઘાટ કરી રહ્યું છે? નથી જાણતા ને? ગોદી મીડિયા તમને અંધારામાં રાખે છે. ભૂતાન અને ચીન વચ્ચે વાટાઘાટોના પચીસ રાઉન્ડ થઈ ચૂક્યા છે જેમાં ભારત પક્ષકાર નથી. ભૂતાન ભારતનો રક્ષિત દેશ છે. ભૂતાનના રક્ષણની જવાબદારી ભારતની છે. એટલે જ્યારે ભૂતાનના કબજાના ડોકલામ ઉપર ચીને કબજો જમાવ્યો ત્યારે ભારતે દરમ્યાનગીરી કરી હતી. ચીને ભૂતાનને ઓફર કરી છે કે જો ભૂતાન ડોકલામનો ૨૬૯ ચોરસ કિલોમીટરનો પ્રદેશ છોડે તો ચીન સામે ૪૯૫ ચોરસ કિલોમીટર પ્રદેશ આપવા તૈયાર છે. ઈ.સ. ૨૦૦૦ની સાલમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે ચીનની ઓફર ઠુકરાવનાર ભૂતાન આજે નરેન્દ્ર મોદીની સરકાર વખતે ભારતને બાજુએ રાખીને ચીન સાથે સીધી વાતચીત કરી રહ્યું છે.

જો ભૂતાન અને ચીન વચ્ચે સાટાપાટાની સંધી થઈ જશે (અને હવે એમ લાગે છે કે ઘણું કરીને થશે) તો ચીન ઇશાન ભારત સાથે તળ ભારતને જોડનારી બગલાની ડોક જેવી કોરીડોર પર આવીને બેસી જશે. ચીન જો એ ડોક કાપી નાખે તો ઇશાન ભારત ભારતથી જુદું પડી જાય. ભારતનું અત્યાર સુધીનું ભરોસાપાત્ર પાડોશી મિત્ર ભૂતાન પણ હાથથી ગયું? આવી સ્થિતિ એટલા માટે બની કે ભારત ડોકલામની વાસ્તવિકતા છૂપાવે છે. હજુ થોડા દિવસ પહેલાં અરુણાચલ પ્રદેશના બી.જે.પી.ના જ સંસદસભ્યે ડોકલામ વિષે સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ડોકલામ અક્ષરસહ: ચીનના કબજામાં છે એ વાત સાચી છે? તેમને સંસદમાં સ્પષ્ટ જવાબ આપવામાં નહોતો આવ્યો.

જો બાબરી મસ્જિદ હિંદુઓના કબજામાં હોય અને મુસલમાનોને તેનો ન્યાયી કબજો મળી શકે એમ જ ન હોય તો મુસલમાનોને ન્યાય આપવો કઈ રીતે એમ વિચારીને ભારતની સર્વોચ્ચ અદાલત જો ન્યાય કરવાની બાબતે પાણીમાં બેસી જાય, તો ભૂતાન વ્યવહારુ ભૂમિકા અપનાવે એમાં શું નવાઈ! ભૂતાન જાણે છે કે જે રીતે બાબરી મસ્જિદ પર હિંદુઓનો કબજો છે અને જેની પાસેથી ધર્મસ્થળ છીનવી લેવામાં આવ્યું છે એ તેને પાછું મળવાનું નથી એમ ડોકલામ પર ચીનનો કબજો છે અને જેની છોડાવવાની ફરજ છે એ છોડાવી શકે એમ નથી, ત્યારે વાટાઘાટ કરીને સોદો શા માટે ન કરવો? આવતા થોડા મહિનાઓમાં ભૂતાન-ચીન સમજૂતી થાય તો આશ્ચર્ય નહીં પામતા. જો એમ બનશે તો એ નરેન્દ્ર મોદીની સરકારની વાસ્તવિકતાઓને છૂપાવવાનું અને તેનાથી દૂર ભાગવાની નીતિનું પરિણામ હશે.

ચોથી ઘટના શ્રી લંકામાં બની છે. ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં શ્રીલંકામાં ગોટાયાબા રાજપકસાનો વિજય થયો છે. ગોટાયાબાએ બે મુદ્દત માટે પ્રમુખ રહી ચૂકેલા તેમના મોટા ભાઈ મહિંદા રાજપકસાને વડા પ્રધાન બનાવ્યા છે. નાનો ભાઈ પ્રમુખ અને મોટો ભાઈ વડો પ્રધાન. જ્યારે મોટો ભાઈ પ્રમુખ હતો ત્યારે તેણે નાના ભાઈ ગોટાયાબાને સંરક્ષણ પ્રધાન બનાવ્યો હતો. બંને ભાઈઓ ઝનૂની અને નિર્દયી સિંહાલા રાષ્ટ્રવાદીઓ છે, એટલે શ્રી લંકાની શું હાલત થશે એની કલ્પના કરી શકાય એમ છે. દાયકા પહેલાં બન્ને ભાઈઓએ મળીને તમિલોને નિર્દયતાથી કચડી નાખ્યા હતા. નાનો ભાઈ અને નવો પ્રમુખ ગોટાયાબા લશ્કરી પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ લશ્કરમાંથી લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયા હતા.

શ્રી લંકા ભારતની ભ્રમણકક્ષામાંથી લગભગ બહાર નીકળી ગયું છે અને હવે સાવ નીકળી જશે. બન્ને ભાઈઓ ચીનતરફી, ભારતવિરોધી અને સ્વભાવે આક્રમક ખડૂસ છે. ૨૦૧૪માં ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે મહિંદા રાજપકસા પ્રમુખ હતા અને ત્યાર પછી બે દેશો વચ્ચેના સંબંધો તળિયે ગયા હતા. ૨૦૧૫માં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ ત્યારે મહિંદા રાજપકસાએ જાસૂસો દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરવાનો ભારત પર આરોપ મૂક્યો હતો અને કોલંબો ખાતેની ભારતીય એલચી કચેરીના કેટલાક અધિકારીઓને ભારત પાછા મોકલ્યા હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી આવ્યા અને મહિંદા રાજપકસાની વરસ પછી મુદ્દત પૂરી થઈ હતી, પણ આ વખતે એવું બન્યું છે કે નરેન્દ્ર મોદી બીજી મુદ્દત માટે અને રાજપકસા બંધુઓ એક સાથે અને અનેકગણી વધુ તાકાત સાથે સતામાં પાછા આવ્યા છે. આમ શ્રી લંકા ચીન માટે રેડ કાર્પેટ બીછાવવાનું છે એ વાતમાં કોઈ શંકા જ નથી.

આની વચ્ચે પાંચમી ઘટના નાગરિક ધારામાં સુધારો કરવાની છે. કાશ્મીરમાં અશાંતિ છે. ભૂતાન ડોકલામ છોડવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાન પછી શ્રી લંકા ચીનની પાંખમાં જતું રહ્યું છે. નેપાળના બંધારણની બાબતમાં ભારતે કારણ વગર દખલગીરી કરીને નેપાળ સાથેના સંબંધો બગાડ્યા છે. અત્યારે નેપાળ પણ ચીનની નજીક છે. આની વચ્ચે નાગરિક ધારામાં સુધારો કરીને ઇશાન ભારતમાં અશાંતિ પેદા કરવામાં આવી છે. ઇશાન ભારત ભડકે બળી રહ્યું છે. સરકારની ગણતરી એવી હતી કે નાગરિક ધારામાં મુસ્લિમ વિરોધી સુધારા કરવાથી ઇશાન ભારતની અને બંગાળની ગેર મુસ્લિમ પ્રજા રાજીની રેડ થઈ જશે અને ત્યાં બી.જે.પી.ને પ્રવેશવાનો મોકો મળશે. બની રહ્યું છે એનાથી ઊલટું.

જો ભારતના ઇતિહાસની, ભારતની વર્તમાન વાસ્તવિકતાઓની અને ભારતના સામાજિક સ્વરૂપની આજના શાસકોને જાણ હોત, તો એક સાથે આટલા બધા મોરચા ખોલવાની ભૂલ ન કરી હોત. આગલા શાસકો બેવકૂફ નહોતા. તેઓ ભારતને અને દક્ષિણ એશિયાને તેના સાચા સ્વરૂપમાં જાણતા હતા એટલે હળવે હલેસે કામ લેતા હતા.

આ લખનારે ભોગવેલા વેકેશન દરમ્યાન છઠ્ઠી ઘટના સર્વોચ્ચ અદાલતમાં બની છે. બળાત્કારની ઘટનાઓ સામે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે, અને લોકો, ખાસ કરીને સ્ત્રીઓ ત્વરિત ન્યાય માગી રહ્યાં છે ત્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેસાહેબે કહ્યું છે ન્યાયની એક પ્રક્રિયા હોય છે. ન્યાય આ રીતે ચપટી વગાડતા ત્વરિત ન મળી શકે. વાત તો સાચી, પણ મોડામાં મોડો ક્યારે મળવો જોઈએ એની પણ કોઈ સમયસીમા આપવી જોઈતી હતી. કોઈ પત્રકારે તેમને આ પ્રશ્ન પૂછ્યો નહોતો. આની વચ્ચે પોલીસ બળાત્કારીઓને બારોબાર મારી નાખે અને લોકો અભિનન્દન આપે એમાં શું આશ્ચર્ય!  

સર્વોચ્ચ અદાલતે અયોધ્યા ચૂકાદાની રિવ્યુ પિટીશન ફગાવી દીધી છે એ સર્વોચ્ચ અદાલતની આજની અવસ્થા જોતાં ઘટના હોવા છતાં ય ઘટના નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ડિસેમ્બર 2019

Loading

ચોફાળ ઓઢી રોવાનો વખત

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|15 December 2019

યુનાઇટેડ કિંગ્ડમની સાર્વત્રિક ચૂંટણી 12 ડિસેમ્બરે હતી, અને 13 ડિસેમ્બરે જ પરિણામ આવી ગયાં. 2010થી શાસન કરતી કન્સર્વેટિવ પક્ષને બહુમતી સાંપડી છે. વિરોધ પક્ષોને સારુ વામણાઈ સર્જાઈ છે. કુલ 650 બેઠકોમાંથી કન્સર્વેટિવ પક્ષને 365 બેઠકો મળી છે, ગયા વખત કરતાં 67 વધુ. લેબર પક્ષને 203 બેઠકો મળી, ગયા વખત કરતાં પક્ષે 42 ગુમાવી. સ્કૉટિશ નેશનાલિસ્ટ પક્ષને 48, લિબરલ ડેમોક્રેટ પક્ષને 11, જ્યારે બીજાત્રીજા પક્ષોને ફાળે કુલ 23 બેઠકો ગઈ. તે વિગતે આમ છે : વેલ્સ માંહેની પ્લાઇડ કમરીને ચાર, ઉત્તર આયર્લેન્ડમાંના વિવિધ પક્ષોને [ડેમોક્રેટિક યુનિયન પક્ષને આઠ, શિન ફેઇનને સાત, સોશિલય ડેમોક્રેટિક ઍન્ડ લેબર પક્ષને બે તેમ જ ઍલાયન્સ પક્ષને એક] કુલ 18 તેમ જ ગ્રિન પક્ષને એક થઈને કુલ 23 બેઠકો ગઈ. ટૂંકમાં, શાસક પક્ષની કુલ 365 સંખ્યા સામે તમામ વિરોધ પક્ષોને નામ 285 સંખ્યા આવી છે.

કન્સર્વેટિવ પક્ષમાંની યુરોપિયન સંઘમાંથી નીકળી જવાની બૂમરાડને શાંત પાડવા તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરૂને ‘બ્રેક્સિટ’ને નામ 2016 વેળા લોકમત જાહેર કર્યો. આશરે 52 ટકા લોકોએ તેની તરફેણમાં અને આશરે 48 લોકોએ તેની વિરુદ્ધમાં મતદાન કરેલું. બ્રેક્સિટ તરફી ક્ન્સર્વેટિવ સાંસદોનો ઉન્માદ પછી ઘેલો થયો. ત્યારથી બ્રેક્સિટ માટેની તરફદારીએ પક્ષમાં જોર પકડ્યું. જમણેરી તત્ત્વો બોલકા થયા. હળુ હળુ રાષ્ટૃવાદનો કેફ ચડતો ગયો. ડેવિડ કેમેરૂન ગયા; થેરસા મે આવ્યાં. તે ય ગયાં અને તેની પછીતે બોરિસ જૉનસન આવ્યા. પરંતુ પેલા રાષ્ટૃવાદના કેફને વળ ચડતા જ રહ્યા; બસ, ચડતા જ રહ્યા.

“ગાર્ડિયન” દૈનિકમાં કટારચી લખતાં રોવેના મેસન કહે છે તેમ પાંચેક અગત્યના મુદ્દે કન્સર્વેટિવ પક્ષ જીતમાં રહ્યો. બોરિસ જૉનસને એક સૂત્ર સતત ઉછાળ્યા કરેલું : ‘ગેટ બ્રક્સિટ ડન’. લોકમત પછીના ત્રણેક વરસ સુધી કંઈ નિર્ણય લઈ નહીં શકાવાને કારણે આમ જનતા કંઈક અંશે થાકી હતી. એમને પરિણામ જોઈતું હતું. બોરિસ જૉનસનના સૂત્રમાં મોટા સમૂહને સધિયાોર દેખાવા લાગેલો.

courtesy : Patrick Blower; "The Daily Telegraph"; November 2019

લેબર પક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કેટકટલી પાયાગત પણ મજબૂત વાત મૂકી હતી. તેને સારુ પ્રવાર થયા કરતો હતો. જ્યારે શાસક પક્ષને સારુ એક જ વાત હતી : બ્રેક્સિટની. લોકોને તે સહજ અને સરળ અને વિશ્વાસ કરવા સમ લાગતી હતી. વળી, કન્સર્વેટિવે નાનો અમથો ચૂંટણી ઢંઢેરો આપેલો. કોઈ વચનો સુધ્ધાં નહીં. લોકોને તેમાં આધાર દેખાતો હતો.

તો બીજી પાસ, લેબર પક્ષમાંથી છૂટા પડેલાં કે દૂભાયેલાં આગેવાનો પક્ષની બ્રેક્સિટ બાબતની રજૂઆતની સતત આલોચના કરતા રહ્યાં હતાં. તેથી પણ આમ પ્રજા ગુમરાઈ રહી હતી. લેબર પક્ષની આ નબળાઈનો લાભ પણ શાસક પક્ષને મળતો રહ્યો.

ચૂંટણી પ્રચાર કરતી વેળા બારણે બારણે લેબર પક્ષના નેતા જેર્‌મી કોર્બિન માટે મતદારોમાં અભાવ વર્તાતો હતો. એમ તો બોરિસ જૉનસન માટેની વિશ્વસનિયતા માટે ય સવાલો થતા હતા. પણ  બ્રેક્સિટ માટેની તરફદારીવાળી રજૂઆત, તેનું દેખાવડાપણું, તેનો ઢોંગ લોકોને દોઝખમાં રાખતો રહ્યો.

આ જ દૈનિકમાં છાપાના રાજકીય સંવાદદાતા કેઇટ પ્રોક્ટર લેબર પક્ષને ધાર્યું પરિણામ ન મળ્યું તેને સારુ આવાં કારણો આપી જાય છે. જેર્‌મી કોર્બિનની ચાહના સામે લોકોનો અણગમો ઝાઝેરો રહ્યો. કહે છે કે 1970 પછીના ગાળાની વાત કરીએ તો આવડો અણગમો વિરોધ પક્ષના નેતા સારુ ક્યારે ય જોવા મળ્યો નથી. આયર્લેન્ડમાં શાંતિ સ્થાપી શકાય, તેને સારુ દાયકાઓ પહેલાં, આયરિશ રિપબ્લિકન આંદોલનકારીઓને એ હળતામળતા તે મોટી વયના લોકોને સાંભરી આવતું અને તેમને તેમાં અસલામતીનો ભય વર્તાતો રહ્યો. વળી, જાતિભેદનો એરુ પણ બીજા પક્ષોની પેઠે લેબર પક્ષને ય આભડી ગયેલો. આ એરુ એટલે ‘એન્ટિ-સેમિટિઝમ’ (સામપ્રજાવાદ વિરોધ). આના પડઘા દૂરગામી સાબિત થયા.

પક્ષનો ચૂંટણી ઢંઢેરો પણ પગે બેડી બાંધી હોય તેમ ઘણાને અડ્યો નડ્યો. આગામી દાયકા માટેનો કાર્યક્રમ તેમાં વણી લેવાયો હતો એ ખરું. પણ સરકાર માટે તત્કાળ શું બાબત તેની છણાવટ કેટલાકને લગીર વર્તાતી નહોતી. રાષ્ટૃીયકરણની બાબત, નેશનલ હેલ્થ સર્વિસ માટેની યોજનાઓ પેટેના ખર્ચના આંકડાઓ જેવી જેવી ઊંડી વિગતમાહિતી બારણે બારણે સમજાવતા ઉમેદવારો થાકતા હતા. યુરોપ સાથેનો સંબંધ કેટલેક અંશે તે જાળવી રાખવા ઇચ્છે; પરંતુ પક્ષમાંના થોડાએક પણ બ્રેક્સિટ તરફી સભ્યો તેમ જ સાંસદો રહ્યાં જ હોઈ, બન્ને વિચારધારાઓને સાંચવી રાખતો વિચારમત સમતોલપણું જાળવી શક્યો નહીં. વિરોધીઓને લેબર પક્ષના વિચારમતનું ખંડન કરવામાં આથી સરળતાએ સફળતા સાંપડતી આવતી હતી.

આને કારણે દાયકાઓથી લેબરપક્ષી, તેમ જ ખાણિયા વિસ્તારોમાં કન્સર્વેટિવ પક્ષે બ્રેક્સિટને નામે ભારે ગાબડાં પાડ્યાં. ઉત્તર ઇંગ્લૅન્ડમાં એકદા જે ખાણિયા વિસ્તારો હતા, તેવા રતુમડા ગઢના કાંગરા ખેરવવામાં કન્સર્વેટિવ પક્ષ આ ફેરે કામયાબ નિવડ્યો. આ પક્ષે અનેક મતક્ષેત્રોને લેબર કનેથી ખેરવી લીધા. લેબરના લંડનગરા નેતાઓ એ મજૂરિયા જમાતને હૈયાધારણા આપી શક્યાં નહીં.

બાકી રહી ગયું હોય તેમ લેબર પક્ષની ચૂંટણી પ્રચારની રીતરસમ તથા વ્યૂહરચનામાં કચાશ વર્તાવા લાગેલી. ‘માર્જિનલ’ મતવિસ્તારોને સાંચવામાં જે વખત આપ્યો, તેમાં જેમને પાયાગત જાળવવાના હતા તેવા મતવિસ્તારોને એળે મુકાયાનો અનુભવ થયો. આ તો હવેલી લેતા ગુજરાત ખોઈ હોય, તેવો ઘાટ થતો હતો !

રાજકારણ બાબતે ગુજરાતીઓની તાસીર, સમજણ અને ઊંડાણ રમૂજ પેદા કરે છે તે ખસૂસ, પણ તેથી અચરજ પણ થાય છે. જગવિખ્યાત પ્રવાસી ભારુલતા પટેલ-કાંબળેએ આ મુદ્દે આ સોશિયલ મીડિયામાં બરાબરની નાડ પકડીને ચર્ચા ઉપાડી. ફેઇસબુક માંહેની એમની વૉલ પરેથી આ દલીલ પામવા જેવી છે : I hope people recognise that this is not Indian elections or an election about India. The election results would affect Britain and the society we live in. Just because someone issues some baseless manifesto is not the reason to vote for the wrong party, who’s cuts and austerity policies has brought this country to the level where it is now. Rise in homelessness, rise in people relying on food bank, less doctor, less nurses, education system compromised, less police and general compromises on all public services to the breaking point. Rise in knife crime, rise in other crime in general such as burglary and robbery to name few additions. The list is long and it is a time for a change and to put a full stop. My husband is a NHS doctor and we the family have suffered the consequences of Conservative Party’s wrong policies and cuts.

Stop using Mr Jeremy Corbyn’s anti-India stance as an excuse to vote for the Conservatives. Stop using Modiji’s name as trump card to vote for wrong party. Stop using India’s name to vote for wrong party.

ભારુલતા પટેલ-કાંબળેએ પ્રીતિ પટેલ સરીખાંની પણ ઢોંગલીલા છતી કરી હતી. કહેતાં હતાં : પ્રીતિ પટેલ એલેક્સ સૉયર[Sawyer]ને પરણ્યાં છે અને દંપતીને ફ્રેડી નામે દીકરો છે. અને ખપ પડે તેથી પરણ્યાં પહેલાંની અટકનો ભરપેટ ઉપયોગ તે બાઈ કરી જાણે છે. એમના મતે, Conservatives have deliberately made her the Home Secretary with an eye on the advantage of gaining extra Hindu voters in this general election and to strengthen their position for trade deal with India. UK is in more need of the trade deal with India than India with the UK. We British Indian already had strong ties back home with India and never needed any political parties to build any bridges, which the Conservatives claims to have built.

આવું છતાં, લેબર પક્ષ બાબત તેમ જ જેર્‌મી કોર્બિન અંગે કોઈક પ્રકારના પૂર્વગ્રહે બાંધેલા અભિપ્રાયમાં વીંટ્યા વિચારમતનું જોરશોરથી આદાનપ્રદાન થતું રહ્યું. ભારતીય બંધારણની 370મી કલમ નાબૂદી અંગે લેબર પક્ષના છેલ્લા અધિવેશનમાં પસાર થયેલા ઠરાવથી હિન્દુત્વ રાજકાજમાં પરોવાયેલા લોકોને નારાજગી લાગેલી. એ જમાતને ભારતની રાજનીતિ અહીં રહેતા, વસતા છતાં વિશેષ વહાલી લાગતી હતી. કેટલાકનું માનવું છે કે ભારતીય જનતા પક્ષ તેમ જ હિન્દુ સ્વયંસેવક સંઘની દોરીસંચારે આ નાવ ચાલતી હતી. તેમાં હિન્દુ મંદિરોની, તથા જ્ઞાતિજાતિની સંસ્થાઓની ગજબની સામેલગીરી જોવા મળતી હતી. આનો લાભ જમવાનું કન્સર્વેટિવ પક્ષે આંખ મીંચીને કર્યું. તેમાં પ્રીતિ સૉયરે, પ્રીતિ પટેલ રહીને, ભરપેટ લાભ લૂંટ્યા જ કર્યો છે.

courtesy : Chris Riddell; "The Observer", December 2019

કન્સર્વેટિવ પક્ષમાં ‘ઈસ્લામાફોબિયા’ (ઈસ્લામ પ્રજા તથા ધર્મ પ્રત્યેની ઘૃણા) દેખાયા કરી છે. આ અંગેની ટીકાટિપ્પણ પણ થયા કરી છે. એમ તો બોરિસ જૉનસને પોતાના પત્રકારત્વજીવનમાં આવી ઘૃણાને વાચા આપેલી, તેના દાખલાઓ સંસદ સમેત રજૂ કરાયા છે. હોઈ શકે કે આપણી આ જમાતને આમાં મીઠાં મધ સરીખું મેળાપીપળાપણું લાગતું હોય. અને તેથી ય કન્સર્વેટિવ પક્ષ તરફી વલણ કર્યું હોય.

આપણી વસાહતે આફ્રિકે સમેત અન્યત્ર કરેલી ભૂલો અહીં પણ ચાલુ રાખી, તેનું આ વરવું ચિત્ર છે. લિબરલ ડેમોક્રેટ પક્ષે ય 370 કલમની નાબૂદી અંગે જેમ ટીકા કરેલી તેમ બોરિસ જૉનસન સરકારના તત્કાલીન વિદેશ પ્રધાન ડોમિનિક રાબે ય સંસદમાં આ બાબત આલોચના કરેલી તેને આ જમાતે નજરઅંદાજ કરી છે તેનું આશ્ચર્ય છે. અનેકાનેક ધાર્મિક સ્થળોએથી કન્સર્વેટિવ પક્ષની તરફેણમાં મતદાન કરવાનો ભક્તજનોને આદેશ અપાતો તેની ભારે તાજૂબી છે.

આ દેશમાં, 2016ના લોકમત વેળા, રશિયાની દરમિયાનગીરી હતી તેવી શંકાકુશંકા સતત રહ્યા કરી છે. આ ફેરેની આ સાર્વત્રિક ચૂંટણીમાં બીજાઓની પેઠે ભારતના શાસક પક્ષની પણ દરમિયાનગીરી હોય તો તેનું અચરજ છે; અને તેની દૂરગામી અસરો ભોગવવાની થવાની તે ય સમજાય છે.

જેર્‌મી કોર્બિન વિદ્રોહી રાજકારણી જરૂર છે. તે સમાજવાદી છે અને લોકશાહી રસમમાં પૂર્ણપણે માને છે. આજના ગ્રાહકવાદ તેમ જ બજારવાદના સ્વાભાવિક એ ટીકાખોર પણ છે. પણ વ્યક્તિ તરીકે પ્રામાણિક છે, વિવેકી છે, અને વ્યક્તિનિંદામાં પડતા નથી. એમની દલીલો વિચાર આધારિત, મુદ્દાલક્ષી હોય છે. પ્રિન્ટ મીડિયામાં હિતશત્રુઓએ  જેર્‌મી કોર્બિન માટેનો પોતાનો વિરોધ સતત ગાજતો રાખેલો. આ જમણેરી પાંખના વિરોધમાં ઇલેકટૃોનિક મીડિયા તેમ જ સોશિયલ મીડિયા ય પૂરેવચ્ચ ભળેલું રહ્યું. ઊફરેટા રહેતા, વિચારતા લોકોને જે પરેશાની સેવવાની થાય છે, તેવી જાહેર પરેશાનીનો વિરોધ એમને પણ સહેવાનો થયો છે. તેમ છતાં, એમણે ક્યારે પણ વિવેક છોડ્યો નહોતો. બીજી પાસ, બોરિસ જૉનસનની વિશ્વસનિયતા તળિયાઝાટક રહી. અબી બોલા, અબી ફોકના એક નહીં અનેક વરવા દાખલા સામે પછડાયા જ કરે. સ્વકેન્દ્રી તેમ જ આળસુપણાનો સ્વભાવ. તેમ છતાં, પેલા ઢોંગી નગારા પીટાતા રહ્યા તેમાં એમણે પોતાનું ભાણું પાકું કરી જાણ્યું.

ભારુલતા પટેલ-કાંબળે કહેતાં હતાં તેમ આ દેશમાં 2010થી વરવી પરિસ્થિતિ વકરતી રહી છે. આર્થિક આકરાપણાં(ઑસ્ટેરિટી)ને કારણે રોજગારી વિનાના, ઘરબાર વિનાના જમાતની સંખ્યા માઝા મૂકતી હોય તેમ વર્તાય છે. જગતને ચોક એકદા જે આગેવાન હતું તે દેશને આજે ધ્યાનમાં ય લેવાતું નથી તેવી હાલત, કેમ ભલા, આપણી જમાતને દેખાતી નહીં હોય ? આ જમાતનો અહીં વસવાટ છતાં, ઊંટ જેમ મારવાડ ભણી મોં ફેરવતું રહે તેમ સાંપ્રત ભારતનું હિત હૈયે રાખી અહીં આ જમાત જીવે, નભે અને લીલાલહેર કરે તે હાલત અચરજ પેદા કરી જાય છે. 

… અને તેથીસ્તો, ચોફાળ ઓઢીને રોવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ અનુભવાઈ રહ્યો છે. − શું કરીએ ? કોને કહીએ ??

હેરૉ, 13-15 ડિસેમ્બર 2019

e.mail : vipoolkalyani.opinion@btinternet.com 

Loading

...102030...2,5952,5962,5972,598...2,6102,6202,630...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved