Opinion Magazine
Number of visits: 9966524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિષદ-પ્રમુખની ચૂંટણી સંદર્ભે થોડા સ્ફુટ વિચાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 June 2020

અનલૉકડાઉનનાં આરંભિક અઠવાડિયાં ગુજરાતનાં અક્ષરજીવન અને જાહેરજીવનના સંદર્ભમાં વળી એક પડકાર અને વિચારમુદ્દા સાથે ઉપસ્થિત થયાં છે. નવું ‘પરબ’ (જૂન ૨૦૨૦) જોગાનુજોગ ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી તરેહના એક સમાચાર લઈ નવા પરિષદ-પ્રમુખ માટેની ચૂંટણીના સમયપત્રક સાથે આવ્યું છે. સામાન્યપણે ‘પરબ’ અને સાહિત્ય પરિષદ પોતપોતાના ગોખલામાં સક્રિય હોય, પણ અક્ષરજીવન અને જાહેરજીવન સાથેલગાં સામે આવી ઊભે, ત્યારે આવા મુદ્દા કોચલા/ કુંડાળા છાંડી ચાચરચોક મોઝાર આવી ઊભે છે. વાસ્તે, થોડીએક સહવિચાર કોશિશ.

દેખીતી રીતે જ, વર્તમાન પરિષદ-પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રની પારી પૂરી થવામાં છે. ચાલુ પ્રવૃત્તિઓને એમણે ‘આનંદની ઉજાણી’ અને ‘નૉળવેલની મહેક’ જેવા ઉપક્રમોથી, ખાસાં ભારઝલ્લાં તેમ વ્યાપક એટલાં જ ઊંડળમાં જઈ શકતાં જ્ઞાનસત્રોથી ચોક્કસ જ એક ગરવાઈ આપી છે. ઇ-ક્ષેત્રને વિશેષ સક્રિય કરવાની એમની કોશિશ પણ ધ્યાનાર્હ છે. અહીં એમના કાર્યકાળની કોઈ હેવાલનોંધ આપવાનો ખયાલ સ્વાભાવિક જ નથી. માત્ર, જે એક ઉલ્લેખ અધોરેખિતપણે કરવો જોઈએ તે એ છે કે ધીરુ પરીખ તથા ચંદ્રકાન્ત ટોપીવાળા, એ બે પૂર્વપ્રમુખોની પરંપરામાં સિતાંશુ પણ ટટ્ટાર ઊભા છે અને સ્વાયત્તતાને મુદ્દે ઢીલ નહીં મૂકતાં વળગી રહ્યા છે. એને પરિષદનું ને સવિશેષ તો ગુજરાતના સારસ્વત સમાજનું સદ્‌ભાગ્ય ગણવું જોઈએ કે આ ગાળામાં પૂર્વપ્રમુખ અને ટ્રસ્ટી, આપણા એકના એક નિરંજન ભગત, આયુષ્યના નવમા દાયકામાં પણ અડીખમ ઊભા રહ્યા અને સ્વાયત્તતાનું મૂલ્ય ઘૂંટતે ઘૂંટતે બૂટ સોતા સોલ્જરની પેઠે મૃત્યુને ય નવજીવન આપતા ગયા.

હમણાં નિર્દેશ કર્યો તે ટટ્ટાર પ્રમુખપરંપરાએ જો સ્વાયત્તતાના મૂલ્યનો નંદાદીપ પ્રજ્વલિત રાખ્યો છે, તો પરિષદના સર્વસામાન્ય સભ્યોને પણ આપણે એના યશભાજન તરીકે બિરદાવવા રહે છે. જ્યારે ધીરુ પરીખના અનુગામીનો પ્રશ્ન ઊભો થયો ત્યારે તેણે આ મૂલ્ય બાબતે પ્રતિબદ્ધ ટોપીવાળાની સાથે રહેવું પસંદ કર્યું. રાજ્યના સંબંધિત મંત્રીએ અન્ય ઉમેદવારની તરફેણમાં બળ નાખ્યું, તે છતાં. ત્યાર પછી નવા અનુગામી ચૂંટવાનો પ્રસંગ આવ્યો ત્યારે પણ મતદારોએ પક્ષપરિવાર સમર્થિત હોઈ શકતા ઉમેદવારને બદલે – એમની સોબતમાં સંભવિત વગ અને વર્ચસ્‌ની સંભાવના ઓળાંડી જઈ – સ્વાયત્તતાનિષ્ઠ સિતાંશુની સાથે રહેવું પસંદ કર્યું.

આ ચર્ચા જરી ઉતાવળે પણ અહીં છેડવાનું કારણ એ પણ છે કે થોડા મહિના પરના પાલનપુર પ્રસ્તાવને પગલે સ્વાયત્તતા આંદોલનને લોકમોઝાર લઈ જવાની જે સંભાવના હતી, તે લૉકડાઉનવશ સ્વાભાવિક જ પાળી શકાઈ નથી. નહીં તો, પેલો મતદારસીંચ્યો નંદાદીપ જરી ઓર પ્રજ્વલિત બની રહ્યો હોત.

વાચક જોશે કે મેં પ્રમુખ અને મતદાર પર મૂક્યો છે એવો ને એટલો ભાર પરંપરાગત પરિષદમંડળ પર મૂક્યો નથી. ૨૦૦૩થી અકાદમીના ચૂંટાતા પ્રમુખની પ્રક્રિયા અભરાઈએ મૂકી દેવાઈ તે પછી ખાસાં બાર વરસનો મોટો હિસ્સો નામ કે વાસ્તે એક-બે પત્રો કે એક-બે ઔપચારિક અનૌપચારિક મુલાકાતો સિવાય પડ લગભગ સૂતું અને સૂનું રહ્યું. બેશક, વચમાં નારાયણ દેસાઈ જેવા પ્રમુખ આવી ગયા અને એમણે ગાંધીનગરમાં, રિપીટ, ગાંધીનગરમાં ૨૦૦૭માં સ્પષ્ટ શબ્દોમાં ૨૦૦૨ના મહાપાતક અને સ્વાયત્ત અકાદમીના લોપ વિશે કહેવા જેવું કહ્યું, ખોંખારીને કહ્યું અને અકાદમી બાબતે જે ઠરાવ તે મધ્યસ્થ કે કારોબારીમાં સીમિત નહીં રાખતા સમસ્ત ગૃહ સમક્ષ જઈ ખુલ્લા અધિવેશનમાં પસાર કરાવ્યો. પણ એ નિયમ નહીં, નિયમસિદ્ધ કારી અપવાદ જેવો એક હ્રસ્વકાળ બની રહ્યો. ક્યારેક સરકારે લટકાવેલી પ્રક્રિયા હાથ ધરાશે અને અકાદમી ચૂંટાયેલો પ્રમુખ પામશે, એવા એક અંજીરપાંદ (ફિગલીફ) આશાવાદ સાથે સંબંધિતોએ ગજાસંપત મુજબ રોડવ્યું, જોગવ્યું, ગોઠવ્યું. જો કે ૨૦૦૩ અને ૨૦૦૭ના ઘોર ઘંટનાદ સાંભળ્યા નહીં સાંભળ્યા વૅકપ કૉલ બાદ એપ્રિલ ૨૦૧૫માં પેરેશૂટ પ્રમુખની નિમણૂક સાથે સ્વાયત્તતાના નામે રહ્યાસહ્યા ફિક્‌શનનું બાષ્પીભવન થયું. તે સાથે હમણાં લગી સુસ્ત જેવી પરિષદથી ઉફરાટે-સ્વાયત્તતા આંદોલનનો સૂત્રપાત થયો. ગામેગામના લેખકોની સહીઝુંબેશ સાથેની એ પ્રક્રિયા ધીરુ પરીખને બળ આપનારી તો એમના અનુગામીની ચૂંટણીને સર્વસામાન્ય મતદાર તરફથી નિર્ણાયક વળાંક આપનારી બની રહી.

પરિષદના સર્વસામાન્ય મતદારે ૨૦૨૦ ઊતરતે, ટ્‌વેન્ટી ટ્‌વેન્ટીના માહોલમાં ગુજરાતના વ્યાપક પ્રજામતને સમજાય તે રીતે પ્રમુખની તેમ જ બાકી ચૂંટણીઓ પરત્વે સવિશેષ સક્રિય બનવાપણું છે. ચૂંટણી પર અસર પાડવાની સરકારની પરોક્ષ કોશિશો હમણાં લગી પાછી પડી છે તે તો પાછી પડવી જ જોઈએ પણ સોયના નાકામાંથી પસાર થઈ જતી પોઠોની પોઠો બાબતે બેફિકર, બેજવાબદાર સૌને પણ પોતે આટઆટલાં વરસથી શું દરગુજર કહી રહ્યા છે ને શેમાં હિસ્સેદાર છે એ ય સમજાવું જોઈએ.

કેમ કે આપણે પરિષદ પ્રમુખની ચૂંટણીનું નિમિત્ત લઈ વાત શરૂ કરી હતી, એટલે એવી છાપ ઊઠવા સંભવે છે કે આ પ્રશ્ન પરિષદ અને અકાદમી વચ્ચેનો છે. પણ હકીકતે એવું નથી. આ પ્રશ્ન પરિષદ સહિત સર્વ સાહિત્ય સંસ્થાઓનો છે, કેમ કે આપણો સંદર્ભ કોઈ પરચક્રનો નથી, સ્વચક્રનો – અને તે પણ પ્રજાસત્તાક સ્વરાજનો છે. ખરું જોતાં અકાદમીનો ઉલ્લેખ પણ અપૂરતો છે. યુનિવર્સિટી આદિ શૈક્ષણિક સંસ્થાનો પણ ઉત્તરોત્તર સ્વાયત્તતા ગુમાવી રહ્યાં છે. સારસ્વતસમાજ કહો, વિદ્યાસમાજ કહો, એ જો આ સંદર્ભમાં સક્રિય નિસબત નહીં દાખવી શકે, તો તે લોકશાહીના  ધોવાણને ખાળી પણ નહીં શકે.

જ્યાં સુધી પરિષદ-કારણનો પ્રશ્ન છે, અક્ષરજીવન અને જાહેરજીવન સંદર્ભે છાત્ર પ્રકાશનું પહેલું સ્મરણ ૧૯૫૫માં નડિયાદમાં ગોમાત્રિના શતાબ્દી વર્ષે મળેલ પરિષદનું છે. સાહિત્ય પરિષદે, ત્યારે મુનશીની ‘આજ્ઞાંકિતા’ મટી ઉમાશંકર આદિનું ‘સખીકૃત્ય’ સ્વીકાર્યું હતું. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતનાં અક્ષરજીવન અને જાહેરજીવનની એ એક મોટી ઘટના હતી. છાત્ર પ્રકાશ ત્યાં પ્રત્યક્ષ ઉપસ્થિત નહોતો પણ અધિવેશનોત્તર જે નોંધ ઈ.ર.દ.(ઈશ્વરલાલ ર. દવે)એ ‘ગુજરાત સમાચાર’ની એમની કૉલમમાં લીધેલી એમાં થયેલા આ બે પ્રયોગો એને યાદ રહી ગયા છે. વળી વ્યક્તિગત સાંભરણ અંબોળું તો કૉલેજ-છાત્ર પ્રકાશ ત્યારે મુનશીની નવલકથાઓનો ઉત્કટ ચાહક-વાચક હતો અને એટલો જ એ ૧૯૫૫ના અમદાવાદમાં ઉમાશંકર ને જયન્તિ દલાલ જેવાની જે સ્ફૂર્તિપ્રદ હાજરી હતી – ઉમાશંકર કહેતા કે દલાલ એટલે સનશાઇન – એનોયે ચાહક હતો. પાછળ નજર કરતાં તે વાતે રાજીપો અનુભવું છું કે બંને ખેંચાણ લગભગ બરોબરીનાં છતાં પસંદગી નિઃસંશય ઉમાશંકર માટે હતી. કારણ, તે વખતે મને છેક આછુંપાતળું જે સમજાતું હતું, તે પશ્ચાદ્‌વર્તી ધોરણે આજની પ્રગલ્ભ હોઈ શકતી ધાટીએ કહું તો પરિષદ-કારણ કોઈ વ્યક્તિગત સત્તા-પ્રતિષ્ઠાનને વશવરતીને ચાલે એ ક્યારેક વિવેકબૃહસ્પતિ કહેવાયેલ ગુજરાતને – અને તે પણ પ્રજાસત્તાક સ્વરાજવર્ષોમાં – શોભીતી વાત નહોતી તે નહોતી.

પછીથી જ્યારે ઉમાશંકરનો ક્ષર-અને-અક્ષર-પરિચય વધ્યો ત્યારે સમજાયું કે એમનામાં શી વાતે સંગતિ અને ધૃતિ હશે. મુનશીગત પરિષદમાં ગાંધીજીએ પ્રમુખપદ લેવાની સ્વીકાર્યું ત્યારે ઉમાશંકરે કહેવાજોગ વિનયપૂર્વક પણ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું. (હવે સ્વાતિ જોશી સંપાદિત પત્રસંચયમાં એનો સમગ્ર પાઠ સુલભ છે.) તે પછી બે’ક દાયકે, ૧૯૫૫માં, નડિયાદમાં ઉમાશંકરે ધ્વજ ઉપાડ્યો (આગળ ચાલતાં ધ્વજદંડ સાહ્યો) એ લાંબી દાસ્તાંમાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે એમાંથી પરિષદનું લોકશાહી રૂપ ખીલ્યું.

ઉમાશંકરનાં અંતિમ વર્ષોમાં આ પ્રશ્ને એમના બાહ્યાભ્યંતર સંઘર્ષનો કંઈક ખ્યાલ આવે છે. ગુજરાતના લોકમતે નોંધવો જોઈતો મુદ્દો અને પરિષદના સર્વસામાન્ય મતદારને પકડાવો જોઈતો મુદ્દો કદાચ એ છે કે અકાદમીની સ્વાયત્તતાનો સંઘર્ષ ખેલી રહેલ પરિષદને સારુ આ બધાં વર્ષ આંતરિક સ્વાયત્તતાની મથામણના પણ રહ્યાં છે.

અક્ષરજીવન અને જાહેરજીવનને શો સંબંધ એવો એક સલામત અંતરનો નિષેધાત્મક સવાલ ઘણી વાર અજબ જેવી માસૂમિયતથી પુછાય છે. એનો મને જડેલો ઉત્તર ગોમાત્રિ અને ઉમાશંકરની સાખે આપું? ઉમાશંકરે ૧૯૫૩ના મે મહિનામાં દર્શક કૃત ‘દીપનિર્વાણ’ વિશે ‘મનહર અને મનભર’ એ મથાળે પ્રાસ્તાવિક વચનો લખતાં નોંધ્યું હતું : આ કૃતિ ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાક્ષરજીવન’ના ઉચ્ચ આદર્શની કાંઈક ઝાંખી કરાવે એવા એક લેખકની છે. કર્મશીલ ને કલમશીલ એવી જે એક ઉજમાળી પરંપરા તે, એમ તો, ઉમાશંકરનાં પોતાનાં વચનોમાં પણ સરસ ઝિલાઈ છે : ‘સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે. મને એવી લાગી નથી – કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી.’ [આત્માની માતૃભાષા, (સમગ્ર કવિતા’ની પ્રસ્તાવના) ૧૯૮૧]

રણજિતરામની પ્રજાસૂય પહેલથી ૧૯૦૫માં ગોવર્ધનરામના પ્રમુખપદે પહેલી પરિષદ મળી. તવારીખની તેજછાયામાં રિનેસાંસની પરંપરામાં તપતે તપતે આયુર્યાત્રાને એકસો પંદરમે ગુજરાતની પ્રજાસૂય પરિષદ એકંદર જાહેર મતને અને સવિશેષ તો પોતાના સર્વસામાન્ય મતદારને કેમ જાણે એક ખરા જિગરનો જાસો આપે છે કે ગોમાત્રિ-ગાંધી શી ગરવી પરંપરામાં પરિષદને એવું નેતૃત્વ સંપડાવવામાં સહાયરૂપ થાઓ જે વ્યક્તિગત કે જૂથગત મહત્ત્વાકાંક્ષાથી અધિક તો સાર્વજનિક ઉચ્ચાકાંક્ષાથી પરિચાલિત હો. નિઃસ્વાર્થ, કર્મઠ ને સત્યને પડખે ટટાર ઊભું રહી નિર્ભયપણે કાર્યરત રહે. આ સંદર્ભમાં સહિયારું દાયિત્વ ને ઉત્તરદાયિત્વ બેઉ સાદ દે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ.23 તેમ જ 22

Loading

જે પ્રક્ષાલન થઈ રહ્યું હતું એ ઈજારાશાહી માટેનું હતું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 June 2020

ગયા વખતના લેખમાં પ્રશ્ન પૂછ્યો હતો કે પોતાના વતનથી છ હજાર માઈલ્સ દૂર થોડાક હજાર અંગ્રેજોની હાજરી દ્વારા ભારતનું વધારેમાં વધારે પ્રમાણમાં અને વધારેમાં વધારે સમય શોષણ કઈ રીતે થઈ શકે એ વિશે અંગ્રેજો વિચારતા હતા અને ઉપાયો શોધતા હતા તો સામે પક્ષે અંગ્રેજોનું વલણ જોઇને કોઈ ભારતીયના મનમાં એવો સવાલ કેમ પેદા ન થયો કે આપણે કોઈ એવો ઉપાય શોધવો જોઈએ કે જેથી અંગ્રેજો આપણું ઓછામાં ઓછું અને ઓછામાં ઓછો સમય શોષણ કરી શકે? એ પછી પણ નહીં જ્યારે અંગ્રેજોએ હિંદુ અને મુસલમાન એમ બે બાધા રૂપિયા જ નહીં હવે તો રૂપિયાના પરચૂરણને પણ લડાવવાનું શરૂ કર્યું હતું! હિંદુની સામે હિંદુ ઊભો થાય અને હિંદુનો છેદ ઊડાડે, પણ ક્યારે ય કોઈ હિંદુના મનમાં એવો વિચાર નહીં આવ્યો કે આપણી સામે જે માણસ ઊભો થયો છે એ આપણો છે અને આપણા કરતાં જુદી વાત કરે છે તો આપણે તેમને સાંભળવા જોઈએ.

આવો એક શક્તિશાળી અવાજ હતો મહાત્મા જ્યોતિરાવ ગોવિંદ ફુલેનો જેમની એ સમયે રાષ્ટ્રીય સ્તરે સરાસર ઉપેક્ષા કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રમાં તેમના ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા અને એના કરતાં પણ વધુ ઉપહાસ કરવામાં આવ્યો હતો. આશ્ચર્ય થવું જોઈએ કે વિશ્વવિખ્યાત બ્રિટિશ વિદ્વાન જે.એસ. મિલ છેક ૧૮૫૮માં લખેલા ‘મૅમોરેન્ડમ ઑફ ધ ઈમ્પ્રુવમેનટ્સ ઇન ધ ઍડમિનિસ્ટ્રેશન ઑફ ઇન્ડિયા ડ્યોરિંગ ધ લાસ્ટ થર્ટી ઈયર્સ’માં જ્યોતિબા ફુલે અને તેમનાં પત્ની દ્વારા કરવામાં આવેલી સ્ત્રીશિક્ષણની પહેલનો ઉલ્લેખ કરે છે, પણ કોઈ હિંદુ સવર્ણ નેતા/વિચારક (પછી સુધારક હોય કે સનાતની) જ્યોતિબા ફુલેની નોંધ નથી લેતો. આગળ કહ્યું એમ મહારાષ્ટ્રમાં તેમનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો અને બાકીના ભારતમાં તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી.

સનાતનીઓ તેમની નોંધ ન લે અને વિરોધ કરે કે ઉપહાસ કરે એ તો સમજી શકાય છે, પણ પોતાને સુધારક ગણાવનારાઓ પણ તેમની નોંધ ન લે એનું કારણ શું? કયા ભરોસે તેઓ આવું વલણ ધરાવતા હતા? આ અત્યંત મહત્ત્વનો સવાલ છે, મિત્રો, વિચારી જુઓ; કયા ભરોસે તેઓ છેવાડેના હિંદુઓમાંથી ઉઠતા અવાજોની ઉપેક્ષા કરતા હતા? ઉપર જેમનો ઉલ્લેખ કર્યો છે એ જે.એસ. મિલનો ૧૮૫૯માં પ્રકાશિત થયેલો ‘ઓન લિબર્ટી’ નામનો શકવર્તી ગ્રંથ ભારતના હિંદુ સુધારકોનો બાઈબલ હતો. લંડનમાં બેસીને જે.એસ. મિલ ફુલે દંપતીના કામની નોંધ લે છે, પણ  મિલ પાસેથી પ્રેરણા મેળવનારા અને નવા યુગનો બુંગિયો ફૂંકનારા સર્વણ સુધારક હિંદુઓ તેમની નોંધ ન લે તો એ કયા ભરોસે? કોઈક તો ભરોસો તેમની પાસે હોવો જ જોઈએ જેને કારણે તેમને એમ લાગ્યું હશે કે છેવાડેથી, હાંસિયામાંથી ઉઠતા અવાજોને સાંભળવાની જરૂર નથી. કયો એ ભરોસો હતો?

હિંદુ સવર્ણ સુધારકોને એમ લાગતું હતું કે પહેલાં ‘આપણે’ સજ્જ થવાનું છે. પણ આ ‘આપણે’ એટલે કોણ? ‘આપણે’ એટલે એવા લોકો જે સજ્જ થવાની ક્ષમતા રાખે છે. લોચો અહીં પડ્યો હતો. જેમની પાસે પાત્ર છે અને જે હિંદુ નવજાગરણનું પાન કરી શકે એમ છે તેમણે ભરીભરીને તેનું પાન કરવું જોઈએ. આપણે પશ્ચિમના જેવા બનવું છે, જેવા શું તેમનાથી સવાયા બનવાની આપણે ક્ષમતા ધરાવીએ છીએ, આપણે વિશ્વગુરુ બની શકીએ એમ છીએ, આપણી પાસે શું નથી; બસ આપણે આપણી થોડી બદીઓ છોડવી જોઈએ અને નવું કેટલુંક અપનાવવું જોઈએ. આપણે આપણાં વાસણ ઉપર જે મેલ ચડ્યો છે એ ધોઈ નાખીએ તો વાસણ ઊજળું થઈ શકે એમ છે, કારણ કે એ છે જ ઊજળું. આ વાસણ એટલે હિંદુ સામાજિક શરીર અને તે શરીરના અંગોમાં સમાવેશ થતો હતો માત્ર અને માત્ર સવર્ણ હિંદુઓનો. મુખ્યત્વે બ્રાહ્મણોનો અને બ્રાહ્મણોની સમકક્ષ જ્ઞાતિઓનો. આપણે પશ્ચિમની બરોબરી કરવાની છે અને તેમનાથી ચડિયાતા નીવડી શકીએ છીએ, જો આપણે કેટલુંક છોડીએ અને સુધારાઓને અપનાવીએ.

હિંદુ સવર્ણ સુધારકો જે.એસ. મિલ જેવા ઉદારમતવાદી વિચારકો પાસેથી પ્રેરણા તો લેતા હતા, પરંતુ ‘આપણે’નો પરિઘ વિસ્તારતા નહોતા. તેમને એવો વિચાર પણ નહોતો આવ્યો, કારણ કે તેમણે એવી જરૂરત નહોતી અનુભવી. જરૂરત એ અનુભવે જેને જરૂરત હોય. જોડાનો ડંખ એને વાગે જેણે જોડો પહેર્યો હોય. દયાનંદ સરસ્વતીને એવો વિચાર પણ નહોતો આવ્યો કે છેવાડેનો માણસ હવે બોલતો થયો છે તો તેને સાંભળવો જોઈએ, રાજી થવાનું તો બહુ દૂરની વાત છે. મહાત્મા ફુલે જેવા સવર્ણ સુધારકોને ન ગમે એવા ભિન્ન અવાજ કાઢવા લાગ્યા ત્યારે સુધારકોમાં અગ્રીમ સ્થાન ધરાવતા ગોપાલ ગણેશ આગરકરે તેમને ‘રેવરન્ડ ફુલે’ તરીકે ઓળખાવીને તેમનો ઉપહાસ કર્યો હતો. સ્વામી વિવેકાનંદે પણ એ અવાજો તરફ ખાસ નજર નહોતી કરી. જરૂર નહોતી વર્તાઈ.

સમજ એવી હતી કે સવર્ણ હિંદુઓએ – ખાસ કરીને બ્રાહ્મણોએ અને હજુ વધારે ઉદાર બનો તો શ્રમણ-બ્રાહ્મણે મળીને હિંદુદર્શન, જીવનદર્શન અને હિંદુસંસ્કૃતિનો જે ગાભો વિકસાવ્યો છે એ જ હિંદુ ધર્મની ટકોરાબંધ ઓળખ છે, એ જ એનો પાયો છે, એના ઉપર જ ચણતર થઈ શકે એમ છે અને દરેક શક્યતાઓ એમાં જ રહેલી છે. એણે જ આક્રમણોનો સામનો કર્યો છે, એણે જ સમયની થપાટો ખાધી છે અને સહન કરી છે અને એણે જ ગમે તેવા અવરોધોની વચ્ચે ટકી રહેવાનું રસાયણ વિકસાવ્યું છે. આ જ એક માત્ર સમયસિદ્ધ, ટકાઉ, ભરોસાપાત્ર પદાર્થ છે એટલે નવજાગૃત હિંદુએ આને જ પરિષ્કૃત કરવો રહ્યો. હજુ તો ૯૦ ટકા બ્રાહ્મણો જ નવજાગૃત થયા નથી અને તેમાંના મોટા ભાગના સનાતનીઓ નવજાગરણનો પ્રતિકાર કરે છે અને હિંદુ-પ્રક્ષાલન પ્રવૃત્તિને તેઓ સનાતન ધર્મ સાથે કરવામાં આવતાં ચેડાં તરીકે ઓળખાવે છે, ત્યાં ગર્ભના પરિઘને વિસ્તારવાની વાત જ ક્યાં આવી? પહેલાં હિંદુમંદિરનાં ગર્ભગૃહને તો સાફ કરીએ! એ પછી આગળ જોશું.

આમ જે સજ્જ બની શકે એમ છે એ સજ્જ બને અને તેમાં માત્ર બ્રાહ્મણો અને બીજી તેની સમકક્ષ જ્ઞાતિઓનો જ સમાવેશ થતો હતો. આ પહેલી વાત. બીજું કેટલાક લોકો સજ્જ બની શકે એમ છે પણ તેનો પ્રતિકાર કરે છે એટલે પહેલી જરૂરિયાત તેમની આંખ ખોલવાની છે. આને કારણે આખી ૧૯મી સદીમાં જે વિવાદ કે વિમર્શ ચાલતો હતો એ એક બાજુ સજ્જ થયેલા કે થયા હોવાનો દાવો કરનારા અને બીજી બાજુ સજ્જ થવાની પ્રવૃત્તિનો પ્રતિકાર કરનારાઓ વચ્ચે થતો હતો. આ પડખે પણ બ્રાહ્મણ અને આ પડખે પણ બ્રાહ્મણ. ત્રીજું, જે બ્રાહ્મણો સજ્જ થવા માગતા હતા તેઓ તેમાં અંગ્રેજોની મદદ લેતા હતા અને ચોથું સજ્જ થયેલાઓ અંગ્રેજો દ્વારા મળતા લાભ લેતા હતા. એક સુધારક બ્રાહ્મણ સુધરવાનો પ્રતિકાર કરનારા સનાતની બ્રાહ્મણને કહેતો હતો કે જો સુધરશો તો આવા લાભ મળશે.

ટૂંકમાં મૂળશંકર જટાશંકરને કહેતો હતો કે છોડ સનાતની કુ-રૂઢિઓ અને ચડી જા બસમાં, મેં તારા માટે જગ્યા રોકી રાખી છે. કેટલાક જટાશંકરોએ સુધારો અપનાવ્યો અને બીજા કેટલાક જટાશંકરોએ અંગત જીવનના અને ખાનગી જીવનના એમ બે ચહેરા અપાવ્યા. સરકારી નોકરી કરી આવે અને ઘરે આવીને છાંટ નંખાવીને પવિત્ર સનાતનીનું રૂપ ધારણ કરી લે. આ બાજુ કેટલાક સુધારકો એવા પણ હતા જે વિચારથી પ્રમાણિક હતા, પણ સનાતનીઓનો વિરોધ ખમી નહીં શક્યા અને પાણીમાં બેસી ગયા.

જ્યોતિબા ફુલે જેવાઓ આ બધું દૂરથી જોતા હતા. અંગ્રેજી શિક્ષણ મેળવીને સજ્જ તો એ પણ થયા હતા, પરંતુ એ ગર્ભગૃહની બહાર મંદિરના પરિસરમાં ધીરે ધીરે આકાર લેતી સજ્જતા હતી. ગર્ભગૃહની અંદર મૂળશંકર-જટાશંકર વચ્ચે ચર્ચા, ઝઘડા અને ભાગીદારી તેઓ જોઈ રહ્યા હતા. તેમના મનમાં શંકા ગઈ કે આ લોકો હિંદુ-સાંસ્કૃતિક પરિઘનું મજબૂતીકરણ કરી રહ્યા છે અને ફરતે કિલ્લેબંધી કરી રહ્યા છે કે જેથી આપણે પ્રવેશી ન શકીએ. જે પ્રક્ષાલન થઈ રહ્યું છે એ ઈજારાશાહી માટેનું છે.

તેમની આ શંકા વ્યાજબી હતી. વ્યાજબી એટલા માટે હતી કે સમયે જે ઈમારતને ટકાઉ સાબિત કરી છે એને ઠીકઠાક કરવા દો અને પછી તેમાં વિસ્તાર કરવામાં આવશે એમ દયાનંદથી લઈને વિવેકાનંદ સુધી કોઈ તેમને કહેવા નહોતા ગયા. તેઓ સનાતનીઓને સમજાવતા હતા અને બહુજન સમાજ તરફ નજર નહોતા કરતા અને તેમના અવાજને કાન નહોતા આપતા. આને કારણે મહાત્મા ફુલેને એમ લાગ્યું હતું કે આતો મૂળશંકર-જટાશંકર વચ્ચેની ઈજારાશાહી માટેની જદ્દોજહદ છે.  

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 જૂન 2020

Loading

આત્મનિર્ભર ભારત અભિયાનઃ વાસ્તવિકતા અને વાતો વચ્ચે આભ-જમીનનું છેટું છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 June 2020

અત્યારે આપણે આર્થિક સૂઝ અને સ્થિરતાથી જોજનો દૂર છીએ. આત્મનિર્ભર ભારતનાં સ્તંભોમાં અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વહીવટ, લોકશાહી અને માંગની વાત થઇ પણ કમનસીબે શિક્ષણનો ઉલ્લેખ ન થયો. શિક્ષણ વ્યવસ્થામાં જો ધરમૂળથી હકારાત્મક બદલાવ નહીં લવાય તો પછી આત્મનિર્ભરતાની શક્યતા બહુ મર્યાદિત છે એ નક્કી છે.

કોરોના વાઇરસનાં આ સમયે આપણને ઘણું બધું આપ્યું, એમાં ય ખાસ કરીને નવા શબ્દો આપ્યા અથવા તો આપણે એવા શબ્દોનો ઉપયોગ કરતાં થયા જે પહેલાં હતા તો ખરા પણ આપણે તેનો ઉપયોગ નહોતા કરતા. જેમ કે લૉકડાઉન, સંક્રમણ, આઉટબ્રેક વગેરે અને આત્મનિર્ભર અભિયાન અને સાથે વૉકલ ફોર લોકલનાં પ્રાસનું છોગું પણ. હવે આત્મનિર્ભરતાની વાત કરીએ તો આ જે શોરબકોરથી તેનાં ગાણાં ગવાઇ રહ્યાં છે પણ શું ખરેખર આત્મનિર્ભર ભારત અભિયાન વાસ્તવિકતામાં ફેરવાઇ શકશે ખરું? જો હા તો ક્યાં સુધીમાં? અને બસ અહીં બીજો જે સવાલ છે એનો જવાબ આપવામાં કોઇ આત્મનિર્ભરતા અને નિર્ભયતા પણ કામ નથી લાગતી. આ અભિયાનની જાહેરાત સાથે જે પેકેજ એનાઉન્સ કરાયું તે આપણી આખી અર્થવ્યવસ્થા માટે સરકારનાં પોતાના કોષમાંથી બહુ જ ઓછી રકમ અપાવાની છે એ સમજી લેવું બહુ જરૂરી છે.

દેશને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવાનો હોય તો સૌથી અગત્યનું છે કે આપણો દેશ, આપણું રાજકારણ માત્ર શબ્દોમાં નહીં પણ વિચારોમાં, ધરમૂળથી આત્મનિર્ભર બને. આત્મનિર્ભર બનવાની વાતનું મૂળ છે કોરોના વારઇસની ગર્ભનાળ ચીન સાથે જોડાયેલી હોવી અને માટે જ ચાઇનિઝ વસ્તુઓના બહિષ્કાર અને આત્મનિર્ભરતાનો અવાજ એક સાથે ઊઠી રહ્યો છે. બીજા દેશોની વાત તો પછી પણ આપણે ચીન હવે વાસ્તવિકતા પર નજર કરીએ તો ચીનમાંથી સૌથી વધુ કન્ઝ્યુમર ગુડ્ઝ કોઇ દેશમાં આયાત કરાતા હોય તો તે ભારત છે. ભારત જેટલી નિકાસ કરે છે તેના કરતાં સાત ગણી વધારે આયાત ચીનમાંથી કરે છે. 2018-19ની વાત કરીએ તો ભારતે ચીનમાં 16.7 બિલિયન ડૉલર્સની નિકાસ કરી હતી તો આયાત 70.3 બિલિયન ડૉલર્સની કરી હતી જેને પગલે 53.6 બિલિયન ડૉલર્સની ટ્રેડ ડેફિસીટ સર્જાઇ હતી.

હવે આ આંકડા વાંચીને જો તમારી આંખો પહોળી થઇ ગઇ હોય અને ચાઇનિઝ વસ્તુઓનો બૉયકોટ કરવાનું તમે વિચારતા હો તો હજી એક આંકડો વાંચો. ચીનની ટોટલ નિકાસ, એટલે કે એક્સપોર્ટનો આ તો માત્ર 2 ટકા હિસ્સો જ છે, અને માટે જ આપણે ચાઇનીઝ વસ્તુઓ વાપરવાનું સદંતર બંધ કરી દઇએ તો ચીનને એટલો બધો ફેર તો નથી જ પડવાનો. વળી જે રીતે વ્યાપર નીતિઓ છે, તે બધી ચીનની તરફેણમાં છે અને ચીન સાથેના ટ્રેડ વૉરથી ભારતને કોઇ મોટો ફાયદો થવાની શક્યતા નથી. વળી ભારત ચીનથી અધધધ વસ્તુઓની આયાત કરે છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન્સ, ઉદ્યોગિક ચીજો, વાહનો, સોલાર સેલ્સ તથા ટી.બી.થી માંડીને લેપ્રસી સુધીનાં શારીરિક દરદીની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને એન્ટિબાયોટિક્સ પણ આપણે ત્યાંથી જ મંગાવીએ છીએ.

2017-18માં ભારતને જેટલી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ચીજોની જરૂર હતી તેમાંથી 60 ટકા તો ચીને જ પૂરી પાડી હતી. ભારતમાં જે સ્માર્ટફોન્સ સૌથી વધારે વેચાય છે, ઝાઓમી, વીવો, રિયલમી અને ઓપ્પો – એ ચારેચાર ચાઇનીઝ બ્રાન્ડ્ઝ છે, જે ભારતનાં સેલફોન માર્કેટનો સાંઇઠ ટકા હિસ્સો છે. બીજી તરફ ભારતની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનાં 30 ટકા કોમ્પોનન્ટ્સ ચીન પૂરા પાડે છે તો દેશનું 90 ટકા રમકડાં માર્કેટ ચાઇનીઝ ઉત્પાદનોની ચાવી પર જ ચાલે છે. વળી ભારતની ટેક સ્પેસમાં ચીનનું રોકાણ પણ કંઇ ઓછું નથી. વળી બીગ બાસ્કેટ, ઝોમેટો, પેટીએમ, સ્નેપડીલ, પેટીએમ મૉલ વગેરેમાં એક માત્ર ચાઇનીઝ કંપની અલીબાબાનું જ અધધધ રોકાણ છે. આ તમામ રોકાણમાં કોઇ 200 મિલિયન ડૉલર્સનું છે તો કોઇ 700 મિલિયન ડૉલર્સનું છે. આ તો એક ઝલક છે, જેને માટે હિમશીલાની ટોચ છે એવો વાક્યપ્રયોગ કરવો પડે. પણ જે હાઇડ્રોક્લોરોક્વિનની માંગ વધી છે તેને માટે જે કાચો માલ વપરાય છે તેનું ઉત્પાદન કરવામાં પણ ચીન મોખરે છે.

આત્મનિર્ભર થવા માટે આ બધાનો બહિષ્કાર કરીએ ખરાં પણ એ પહેલાં વિચારવું પડે કે શું આપણા દેશની ક્ષમતાની ધાર જેટલો ઝડપથી બહિષ્કારનો ઘોંઘાટ કરી શકાય છે એટલી ઝડપથી કાઢી શકાશે ખરી? પ્રેક્ટિકલ બ્લુ પ્રિન્ટની, મૌલિક વિચારધારાની અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પૂરતાં રોકાણોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકાય તો ય બહુ છે, અને આ ભારતને આત્મનિર્ભર થતાં નડે તેવા કેટલાક શરૂઆતી પડકારો છે.

ભક્તોને કદાચ ન ગમે પણ હકીકત એ છે કે પચાસના દાયકામાં આત્મનિર્ભરતાના વિચાર પર કામ થઇ ચુક્યું છે. એ સમયે શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ દેશ તરફ આકર્ષાયા હતા અને જે પ્રયાસ થઇ રહ્યો હતો તેને સમજવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. અત્યારે આપણે આર્થિક સૂઝ અને સ્થિરતાથી જોજનો દૂર છીએ. આત્મનિર્ભર ભારતનાં સ્તંભોમાં અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર,વહીવટ, લોકશાહી અને માંગની વાત થઇ પણ કમનસીબે શિક્ષણનો ઉલ્લેખ ન થયો. શિક્ષણ વ્યવસ્થામાં જો ધરમૂળથી હકારાત્મક બદલાવ નહીં લવાય તો પછી આત્મનિર્ભરતાની શક્યતા બહુ મર્યાદિત છે એ નક્કી છે.

બાય ધી વેઃ

જિંગોઇઝમ કે અતિ-રાષ્ટ્રવાદ ક્યારે ય કોઇ સમસ્યાનો ઉકેલ ન હોઇ શકે, ખાસ કરીને એવી સમસ્યાનો તો નહીં જ જે માથે ચડી હોય અને તેનો તાગ મેળવવો જરૂરી હોય. છાતી ઠોકીને બોલાતા સ્લોગન્સથી લોકોનાં પેટ નહીં ભરાય. કેપિટાલિઝમ એટલે કે મૂડીવાદનાં ઇતિહાસનું એક સત્ય એ પણ છે કે તેનાં મૂળમાં સરકારો અને મોટી કંપનીઓ વચ્ચેની કડીઓ રહેલી છે. પ્રાદેશિક કંકાસ દૂર કરવા માટે સંવાદ સાધવો જરૂરી છે, પછી એ ભલે ચીન સાથે કરવો પડે તો પણ. હા મુત્સદ્દી થવાની કોઇ ના નથી પાડતું પણ આત્મનિર્ભરતા એક એવી દંતકથા છે અથવા તો ચમત્કારિક શબ્દ છે જેને સાકાર થતો જોવા આપણે ઘણું ઉંજણ પૂરવું પડશે અને તે રાતોરાત નહીં જ થઇ શકે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2020 

Loading

...102030...2,4222,4232,4242,425...2,4302,4402,450...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved