Opinion Magazine
Number of visits: 9966380
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વપ્નસિક્ત સંઘર્ષના દોરમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 June 2020

કોરોનારણ્યે અભયની ખોજમાં જડેલી એક બુટ્ટી કથિત સામાજિક અંતર – સોશ્યલ ડિસ્ટન્સની છે. ખરું જોતાં, વાજબી રીતે જ, સૂચવાયું છે તેમ મુદ્દો ફિઝિકલ ડિસ્ટન્સનો છે. આપણે ત્યાં, દલિતવંચિતશ્રમિકસર્વહારા જે કહો એની પાસે શારીરિક કે ભૌતિક અંતરનો અવકાશ નથી, અને બીજી બાજુ એક નાનકડા ટાપુલોકથી એને અંતર જ અંતર છે. વિલાસવૃદ્ધ, સુવિધાસમૃદ્ધ ટચુકડા મુંબઈની ખોળાધરી, તમે જુઓ, વિશ્વવિશ્રુત સ્લમખદબદ ધારાવી છેઃ એની કને જણ જણ વચ્ચે જરૂરી શરીરઅવકાશ કે જગામોકળાશ નથી; પણ પેલું જે ‘મુંબઈ’, એને મુકાબલે સામાજિક અંતર? એ તો બેહિસાબ છે – એની વાંસોવાંસ આ લખતે લખતે સૂઝેલો પ્રયોગ ‘બેનકાબ’ છે. બેહિસાબ-બેનકાબ એ પ્રાસ તાલમેળ લાગે, અને છે પણ; પરંતુ આ દિવસોમાં વિકૃત વિકાસનું દુર્દૈવ વાસ્તવ બિલકુલ બેનકાબ થઈને સામે આવ્યું છે તે આવ્યું છે. ગુજરાતમાં વખતોવખત એક તબકાને જેનું એકાવનમું રાજ્ય થવાનો સોલો ઉપડતો રહે છે એ અમેરિકામાં, જોગાનુજોગ, આ જ દિવસોમાં ફરી એક વાર ગોરાકાળાનું સોશ્યલ ડિસ્ટન્સ કહેતાં નસલવાદ/ જાતિવાદ/ વંશવાદ ઉભરી આવેલ માલૂમ પડે છે.

… પણ ૨૦૨૦ની આ સાલને જરી જુદી રીતે પણ સમજવા ને બૂજવા જેવી તો છે સ્તો ! એ બેઠી શાહીનબાગની બુલંદી સાથે, અને એનો અધવચનો ઉભાર સાગરને પેલે પારથી ‘બ્લૅક લાઇવ્ઝ મૅટર’નો છે. બેઉ ઘટના સમાનતા અને ન્યાય માટેની મનુષ્યજાતિની છટપટાહટની સાહેદી છે. અને એ અર્થમાં એમ પણ કહેવાની ઊર્મિ સહજ જ થઈ આવે કે આપણો આ દોર વસંતગર્ભા શિશિર શો કે પછી સ્વપ્નગર્ભ બલકે સ્વપ્નસિક્ત સંઘર્ષનો છે.

ફરિયાદ અને વેદનાને ધોરણે લખવા જેવું અલબત્ત ઘણુંબધું છે. જ્યોર્જ ફ્લોય્‌ડ ઘટનાએ નસલવાદને મામલે આપણ સૌને ઝંઝેડ્યા ને ઝકઝોર્યા છે. અમેરિકામાં ઓબામાના ઉદય સાથે થયું હતું કે લિંકનની શહાદત બે સૈકા વટીને રંગ લાવી રહી છે. કેવાં હતાં વચલાં વરસો – સાડા ચાર દાયકા પરનાં એક કાર્ટૂનદર્શનનાં સંભારણાં આ મિનિટે પણ દૂઝતાં અનુભવું છું. કાર્ટૂનિસ્ટે સ્વાતંત્ર્યદેવીનું પૂતળું દર્શાવવા સાથે એનો પડછાયો પણ રજૂ કર્યો હતો. સાથેલગી બોલકી એટલી જ અંદર અંદર શારતી એકપંક્તિકા હતી – સ્વાતંત્ર્યદેવીનો પડછાયો કાળો છે!

ના, લિંકન – માર્ટિન લ્યુથર કિંગ – ઓબામા પરંપરા નકામી નથી ગઈ. જ્યોર્જના શ્વેત પડોશીઓએ (કિંગના અમેરિકન ડ્રીમ અને માલ્કમ એક્સના માફ્રિકન ડ્રીમ વચ્ચે આફ્રિકી-અમેરિકી મેળની પ્રક્રિયા ભલે તનાવમાંથી પસાર થઈ રહી હોય) ઘૂંટણિયે પડી સૌ આફ્રિકી અમેરિકી સાથી નાગરિકોની ખિદમતમાં ક્ષમાપ્રાર્થનાનો ઉપચાર કરતાં સંકોચ નથી કર્યો. ઉત્કટ હૃદયભાવ અને ઇતિહાસબોધ વિના આ ન જ બને. પ્રમુખ ટ્રમ્પને સારુ તે બાવનબહારની બીના હશે તો હશે. પણ વિપરીત સંકેતો અને પ્રવાહો છતાં ‘અન્કલ ટૉમ્સ કેબિન’(હેરિયટ બીયર સ્ટો)થી માંડીને ‘બ્લૅક લાઈક મી’ (જ્હોન હાવર્ડ ગ્રિફિન) પ્રકારની સાહિત્યધારાનો એક આખો સિલસિલો રહ્યો છે, તો ‘બ્લૅક ઇઝ બ્યુટીફૂલ’ જેવો આફ્રિકી-અમેરિકી ઉદ્‌ઘોષ (અને અમેરિકી સમાજનું નવ્ય એસ્થેટિક્સ) પણ વચલાં વર્ષોમાં વિકસેલ છે.

કમાલ તો તમે જુઓ, સ્વપ્નસિક્ત સંઘર્ષ અને વસંતગર્ભા શિશિર શી, મેરિયમ-વેબ્સ્ટર ડિક્શનરી નવસંદર્ભમાં શબ્દાર્થવિકાસ અને શબ્દાર્થસુધારની રીતે વિચારે છે. કોઈકે વેબ્સ્ટર દફતરને લખ્યું કે જુઓ ચોમેરચોફેર આ શું ચાલી રહ્યું છે. કોશમાં નસલવાદ / વંશવાદ (રેસિઝમ)નો અર્થમાં કેટલો સીમિત છે – નથી લાગતું તમને કે નસલવાદ જરી ઓર સમજૂત માગે છે. શી છે કોશમાંહેલી પરંપરાગત સમજૂત? જે તે મનુષ્ય સમુદાય બાબતે એનાં ગુણલક્ષણ સઘળું નક્કી કરનાર પ્રાથમિક પરિબળ એની જાતિ/વંશ/નસલ (રેસ) છે, એવી માન્યતા તે નસલવાદ. નસલ, નસલ વચ્ચેનું જે અંતર તે અમુકેક ચોક્કસ નસલને જન્મગત શ્રેષ્ઠતા (ઇન્હેરન્ટ સુપિરિયોરિટી) બક્ષે છે, એવી માન્યતા. હવે વર્તમાન સંદર્ભને અનુલક્ષીને મેરિયમ વેબ્સ્ટર કોશ કાર્યાલયની સંપાદક મંડળીમાંથી એકે આપેલ પ્રતિભાવ મુજબ નસલવાદની સમજૂતમાં બે વિગતમુદ્દા બિનચૂક ઉમેરવાનું વિચારાઈ રહ્યું છે. એક તો, નસલગત કારણોસર કોઈ ચોક્કસ પ્રજાવર્ગ સાથે સંસ્થીકૃત ભેદભાવ. બીજું, જે તે દેશમાં કે રાજ્ય હેઠળ નસલગત ધોરણે અસમાન સત્તાવહેંચણી.

આ દિવસોમાં, આમ, જો અમેરિકાની મર્યાદાઓ દેખાઈ આવી તો લિંકન અને કિંગની પરંપરામાં એની સમાનતાલક્ષી ક્ષમતા પણ વધુ એકવાર અંકિત થઈ અને ભલે ઇંચ બ ઇંચ પણ વિશ્વમાનવતાનાં આગેકદમની સંભાવના પણ અંકે થઈ. શાહીનબાગ ઘટનાએ સ્થાપિત કરેલ કીર્તિમાન ૨૦૨૦ના વરસનું યશોજ્જવલ પ્રભાત હતું જેમાં લઘુમતી મહિલાઓ દેશના બંધારણ અને તિરંગાની સાખે પૂરા કદની નાગરિકતા વાસ્તે શાંતિમય નિદર્શનમાં ઊતરી હતી.

જો કે, એની બધી જ સર્જનાત્મક શક્યતાઓમાં રહેલી ઇતિહાસતકને જાણે રોળીટોળી નાખવી હોય એમ ઇશાન દિલ્હીમાં આપણે પ્રાયોજિત કોમી કાંડ પણ જોયો. ચારેકોર કોરોના કોરોના ઓથાર વચ્ચે ઇશાન દિલ્હીમાં હાલ મોડે મોડે જાગેલ દિલ્હી પોલીસે જે બધી એફ.આઈ.આર. દર્જ કરવા માંડી છે એમાં તે વખતે જેઓ ચોખ્ખા જવાબદાર જણાતા હતા એ તો બાજુએ જ રહી ગયા છે. વાચકને યાદ હશે કે એ દિવસોમાં દિલ્હી હાઇકોર્ટે (ન્યાયમૂર્તિ મુરલીધરે અને બીજાઓએ) ૨૬મી ફેબ્રુઆરીએ ઉશ્કેરણીકારો સામે એફ.આઈ.આર. કેમ નથી દર્જ કરી એવો સોંસરો સવાલ પૂછ્યો ત્યારે સોલિસિટર જનરલે લાળા આવ્યા હતા કે હજુ એ માટે ‘કન્ડ્યુસિવ’ અને ‘એપ્રોપિયેટ’ સમય પાક્યો નથી. કોણ હતા એ ઉશ્કેરણીકારો? ભા.જ.પ. અગ્રણી કપિલ મિશ્રા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પરવેશ સિંહ વર્મા. શું હતી એમની ઉશ્કેરણી? ‘વિરોધ પોકારનારાઓને ખદેડો.’ (પોલીસને અલ્ટિમેટમ). મંત્રીએ પૂછ્યું – ‘દેશ કે ગદ્દારોં કો’; ટોળું બોલ્યું, ‘ગોલી મારો.’ વળી, ‘આ લોકો (સમજ્યાને ?) તમારા ઘરમાં ઘૂસી બહેનદીકરીને મારશે.’ ‘ન્યાયમૂર્તિએ આલા પોલીસ અફસર અને સૉલિસિટર જનરલને કહ્યું કે તમારાં  દફતરોમાં ટી.વી. છે તો આ બધું જોતા નથી? છતાં, તમે જુઓ, આ લખાઈ રહ્યું છે ત્યારે ય ઉશ્કેરણીકારો એફ.આઈ.આર.થી સદંતર મુક્ત છે!

નિરાશા કે નિઃસારતાની રીતે નહીં પણ સર્જનાત્મક ક્ષણો વચ્ચે પણ કેવાં બધાં યથાસ્થિતિનાં અને પ્રતિગામી બળો ઇતિહાસમાં દુર્નિવારપણે હોય છે એ દર્શાવવા આ દાખલો લગરીક વિગતે આવ્યો છે. શ્રમિકોના પ્રશ્નો દેશની સર્વોચ્ચ અદાલત ભલે મોડેથી પણ સુઓ મોટો લેતી થઈ અને ૧૯૯૧ની નવી આર્થિક નીતિમાંથી આવેલો નવમધ્યમ વર્ગ શ્રમિકો વિશે કિંચિત સ-ભાન બન્યો એ આ ગાળાની જરૂર એક લબ્ધિ લેખાશે. પચાસ કરોડ લગોલગની એમની સંખ્યામાં આર્થિક-સામાજિક સુરક્ષા સમેતની નોકરી આખા ચારપાંચ કરોડ પાસે છે. હમણાં સુધી એ આંકડા હતા, હવે જીવતા માણસ છે.

જો કે, સંસદના ચોમાસુ સત્રમાં સર્વ કામદારોને સુરક્ષા બક્ષતા કાયદાને નામે રજૂ થઈ રહેલો ખરડો ૧૯૨૩થી ૨૦૦૮ દરમ્યાન આ સંદર્ભે થયેલા નવ કાયદાઓના (જે છતાં ચાળીસ-પિસ્તાળીસ કરોડ શ્રમિકો હજી અરક્ષિત છે, એના) એકત્રીકરણથી આગળ નથી. મતલબ, શ્રમિકો પૂરા કદના નાગરિક બને એ મજલ હજુ લાંઆઆબી હોવાની છે, અને નવજાગ્રત સભાનતાનો જખમ દૂઝતો રાખવાની જવાબદારી નાગરિક સમાજ કર્મશીલોની છે. કાશ, સરકાર આ કર્મશીલોને રાજકીય હરીફના ખાનામાં નાખી રંજાડવાને બદલે જુદી રીતે વિચારી શકે! ગમે તેમ પણ કોવિડ પર્વે કર્મશીલ તબકા ઉપરાંતના વ્યાપક પ્રજાવર્ગને શ્રમિકોના દુર્દૈવ વાસ્તવ બાબતે ઝંઝેડ્યો છે તે મોડેવહેલે પણ પરિણામદાયી બન્યા વગર નહીં રહે.

આ બધા મુદ્દા વિમર્શમાં સ્થાન પામે અને પડ જાગતું રહે તે તટસ્થ મીડિયાએ જોવું જોઈશે. સોશ્યલ ડિસ્ટન્ટસ(વાસ્તવમાં ફિઝિકલ ડિસ્ટન્સ)ની ચર્ચા આપણે ત્યાંના દલિત વાસ્તવને કેન્દ્રમાં લઈ આવી તો અમેરિકામાં વળી આફ્રિકન-અમેરિકન મુદ્દો એકદમ જ જાગી ઊઠ્યો. બને કે ટ્રમ્પ એમાં સામી ચૂંટણીએ ‘રોકડી’ કરી આપતું ધ્રુવીકરણ જોતા હોય. પણ વેબ્સ્ટરે નસલવાદનો અર્થ સામ્પ્રતમાં સ્ફૂટ કરવાની જે માનવીય ચેષ્ટા દાખવી એ વૃક્ષ પરની ટગલી ડાળીનો નવ્ય ઇતિહાસ-રોમાન્સ છે. અને એ સ્તો સ્વપ્નસિક્ત સંઘર્ષના આ દોરમાં આપણું સંબલ છે.

જૂન ૧૪, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ. 01-02

Loading

– તો, ગુજરાતની માતૃભાષા અંગ્રેજી હશે!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 June 2020

ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શનિવારે સાંજે ૧૦માં ધોરણની પરીક્ષામાં લાખેકથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા એ સંદર્ભે મોબાઇલ પર, મારે વાતો થઈ. એમાં એમણે વિદ્યાર્થીનો ગુજરાતીમાં પાયો જ કાચો રહી જાય છે એ વાત આગળ કરી તો મારે એ કહેવાનું થયું કે બીજા બધા વિષયમાં પાયો કાચો નથી રહેતો તો ગુજરાતીમાં જ કેમ એવું થાય છે?અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનના વિષયમાં પૂરતા માર્ક્સ આવે ને ગુજરાતીમાં જ ન આવે એ કેવું? પાયો કાચો રહે તો બધામાં જ રહેને! મંત્રીશ્રીનું કહેવાનું એ હતું કે નવ ધોરણ સુધી લગભગ કોઈ જ ચકાસણી વગર વિદ્યાર્થી આગળ જતો હોય ને દસમાંમાં બોર્ડની પરીક્ષા ઘેરી વળે તો નબળો દેખાવ થાય તેમાં નવાઈ નથી. ખરેખર તો પરીક્ષા વગર ઉપલા ધોરણમાં મોકલવાની વાત જ પુનર્વિચાર માંગે છે.

એમ લાગે કે પરીક્ષા વગર પાસ કરવાનો તુક્કો સફળ નથી થયો ને સરકાર ફરી પરીક્ષાઓ લેવાનું શરૂ કરે તો કોણ હાથ પકડવાનું હતું? થયું છે શું કે શિક્ષણને મામલે સરકારે એટલા (અ)ખતરાઓ કર્યા છે કે શિક્ષણ વિશ્વસનીય રહ્યું નથી. દસમાં ધોરણમાં વિદ્યાર્થી આવે છે ત્યારે પરીક્ષાઓ આપવાની નવી ટેવ પાડવાનું તેને અઘરું લાગે છે. મુખ્ય વિષયોનું શિક્ષણ તો વિદ્યાર્થી વર્ગમાં કે ટ્યૂશન રાખીને મેળવી લે છે, પણ ગુજરાતીનું તેટલી ગંભીરતાથી તે શિક્ષણ કે ટયૂશન મેળવતો નથી. એ પણ ગુજરાતી કાચું રહી જવાનું એક કારણ છે. વાલીઓ, વિદ્યાર્થીઓ ને શિક્ષકો પણ ગુજરાતી વિષય બાબતે બહુ જ ઓછા ગંભીર હોય છે. સૌથી વધુ દારિદ્રય ગુજરાતીના શિક્ષકોનું છે. તે પોતે જ ભૂલો કરે તો વિદ્યાર્થી પણ ખોટું જ શીખશેને! મંત્રીશ્રીએ બીજી અનેક યોજનાઓ આ મામલે વિચારાઈ રહી હોવાનું જણાવીને એકમ કસોટીઓ શરૂ કર્યાની વાત પણ કરી જે આવકાર્ય બાબત છે. તેમણે ૧૫ જૂનથી જ ‘હોમ લર્નિંગ’ શરૂ થઈ રહ્યું હોવાની વાત પણ ઉમેરી, જેમાં ‘ક્નેક્ટિવિટી’ ન હોય ત્યાં ‘હાર્ડ મટિરિયલ’ પહોંચાડવાની વાત પણ આવી જાય. (ઓનલાઈન શિક્ષણનો વાંધો ઉઠાવતો મેઈલ પણ મેં એમને મોકલ્યો છે, તે સહજ જાણ ખાતર.)

સાહેબને મેં એટલું ભારપૂર્વક કહ્યું કે બારમાં ધોરણ સુધી ગુજરાતમાં ગુજરાતી ફરજિયાત થવું જોઈએ એટલું જ નહીં, કોઈ પણ કોલેજ પ્રવેશ વખતે અન્ય વિષયની ટકાવારીમાં ગુજરાતીની ટકાવારી ફરજિયાત રીતે ગણતરીમાં લેવાવી જોઈએ. એમણે એ સ્વીકાર્યું કે તો જ વિદ્યાર્થી ગુજરાતી તરફ ધ્યાન આપતો થશે. મંત્રીશ્રીનું એ બાબતે પણ ધ્યાન દોર્યું કે અંગ્રેજીનું મહત્ત્વ ઓછું આંક્યા વગર જો ગુજરાતી તરફ ધ્યાન નહીં અપાય તો આવનારા સમયમાં ગુજરાતની માતૃભાષા અંગ્રેજી હશે.

એક વાત ક્યાંક વાંચેલી તે યાદ આવે છે. ભારત અને ઇઝરાયલ લગભગ સાથે સાથે સ્વતંત્ર થયા. ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આપણા તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને પૂછ્યું કે તમે પ્રજાને શિક્ષણ કઈ ભાષામાં આપશો? તો રાષ્ટ્રપ્રમુખે કહ્યું શિક્ષણ તો માતૃભાષામાં જ હોયને! નહેરુએ કહ્યું, પણ ઉત્તમ સામગ્રી તો અંગ્રેજીમાં છે તો હિબ્રુમાં તે કેવી રીતે આવશે? ઈઝરાયલમાં લગભગ સાત વર્ષ શિક્ષણ બંધ રખાયું. ત્યાના વિદ્વાનોએ એ ગાળામાં બધું સાહિત્ય અંગ્રેજીમાંથી હિબ્રુમાં અનૂદિત કર્યું ને એમ માતૃભાષામાં શિક્ષણ આપવાનું શરૂ થયું. આટલી કાળજી ગુજરાતી માટે આપણી નથી જ. જગતની કોઈ પણ પ્રજાએ પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે એ નિર્વિવાદ છે. એમાં આપણે ગુજરાતીઓ જ માતૃભાષાની ઉપેક્ષા કરી રહ્યા છીએ એ કેવળ ને કેવળ શરમજનક છે. કેટલીક સરકારી નીતિઓ પણ એને માટે જવાબદાર છે. એ સાચું છે કે આપણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મૂકાયા છીએ ને વિશ્વ જોડે સંપર્ક ને સ્પર્ધા માટે અંગ્રેજી જ કામ લાગે એમ છે. એનો અર્થ એવો ન જ થાય કે વિશ્વ સાથેના સંપર્ક માટે પોતાનાં ઘર પર દીવાસળી મૂકવી. ક્યાં ય પણ હોઈએ, રહેવાનું તો ઘરમાં જ છે. વિશ્વને ઘર માનીએ તો પણ ઘર તો જોઇશે જ. વિદેશમાં જનમીએ તો જુદી વાત છે, પણ જન્મવાનું ગુજરાતમાં થયું હોય તો પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ ગુજરાતીમાં જ થાય, એમાં બીજા મતને અવકાશ જ નથી, પણ સરકાર ને પ્રજા અંગ્રેજી માધ્યમને વિશેષ મહત્ત્વ આપીને ગુજરાતી માધ્યમ અને ભાષાને બીજે ક્રમે મૂકી રહી છે, ઉતરતી ગણી રહી છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી.

એ મોટો ભ્રમ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ જ્ઞાન વધશે. જ્ઞાન માતૃભાષામાં જેટલું સહજ છે એટલું અન્ય ભાષામાં નથી જ નથી. એ સમજી લેવાનું રહે કે જગતનો કોઈ પણ મહાન માણસ માતૃભાષામાં ભણવાને કારણે મહાન થયો છે. ભારતની વાત કરીએ તો મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, અમર્ત્ય સેન, આંબેડકર જેવા અંગ્રેજી માધ્યમની પેદાશ નથી. આ બધાએ માતૃભાષામાં શિક્ષણ લીધું છે. ગાંધીજી ગુજરાતી સ્કૂલમાં ભણ્યા છે ને તેમનું અંગ્રેજી, અંગ્રેજોના અંગ્રેજી કરતાં કોઈ રીતે ઉતરતું ન હતું. તેમણે અંગ્રેજીમાં ય ઘણું લખ્યું, પણ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખી ને પછી તે અનેક ભાષાઓમાં અનૂદિત થઈ. ટાગોરનું પણ એવું જ થયું. તેમણે કાવ્યો બાંગ્લામાં લખ્યા ને જરૂર પડી તો તેનો અંગ્રેજીમાં અનુવાદ પોતે જ કર્યો ને તેને નોબેલ પારિતોષિક મળ્યું. બંગાળીમાં ભણવા છતાં તેમનું અંગ્રેજી નબળું ન હતું. નબળું હોત તો અંગ્રેજી નોબેલ સુધી પહોંચ્યું ન હોત. એટલે એવું કંઈ નથી કે માતૃભાષામાં ભણનારનું અંગ્રેજી સારું ન હોય. ખરેખર તો જે માતૃભાષા સારી રીતે જાણે છે તે બીજી ભાષા પણ સારી રીતે શીખી જ શકે છે.

પણ ગુજરાતીઓ લઘુતા અનુભવે છે ને તેનાથી ય વધુ લઘુતા સરકાર અનુભવે છે, તે વગર અંગ્રેજી માધ્યમનો વેપલો તે કરે જ નહીંને! આપણા કેટલાક ગુજરાતી વાલીઓ તો એટલા ભીરુ છે કે અંગ્રેજી માધ્યમમાં બાળક નહીં ભણે તો તે દુનિયામાં ટકી નહીં શકે એવું માને છે. એમાં જો વાલી અભણ હશે તો તેનું સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ઝનૂન વધારે તીવ્ર હશે. ભૂલેચૂકે જો પૈસા ઉભરાતા હશે તો લાખોનો ધૂમાડો કરવામાં તે ગૌરવ અનુભવશે. એને કારણે અંગ્રેજી તરફની દોટ વધી છે. એનું જોઇને સાધારણ કમાણી કરતા વાલીઓ પણ અંગ્રેજી તરફ ખેંચાય છે ને કોઈ પણ રીતે સંતાનને અંગ્રેજી માધ્યમમાં ઘાલીને જ જંપે છે. આજે તો ગુજરાતીમાં ભણાવવા વાલીઓ ખાસ તૈયાર જ નથી. એનું પરિણામ એ આવ્યું છે કે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા થતી નથી ને તેના અભાવે ઢગલો પ્રાથમિક શાળાઓ બંધ પડી છે. જો આ ગતિ ચાલુ રહી તો ગુજરાતી માધ્યમની બધી શાળાઓ બંધ પડશે તે નક્કી છે. અંગ્રેજોએ ધાર્યું હોત તો પ્રાદેશિક ભાષાઓમાં ચાલતી શાળાઓ બંધ કરાવી હોત, પણ જે તે પ્રદેશની માતૃભાષામાં શિક્ષણ મળી રહે એ માટે તે ચાલુ રાખી ને કમાલ તો એ છે કે ગુજરાતી માધ્યમની અંગ્રેજોના વખતમાં ચાલતી સ્કૂલો સ્વતંત્રતા મળ્યા પછી આટલે વર્ષે બંધ કરવાની આવી છે. દાખલો આપીને કહું તો અમદાવાદની ૧૯૩૪થી ચાલતી ગુજરાતી માધ્યમની સાધના સ્કૂલ ૨૦૧૬માં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે બંધ કરવી પડી. આના પરથી તો ભવિષ્યમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ જ હશે એવું લાગે છે. આવામાં ગુજરાતી ભણવાનું જ ન રહે તો ગુજરાતી ભાષા મરવા જ પડશે કે બીજું કંઈ? એ સ્થિતિમાં ગુજરાતની માતૃભાષા તરીકે અંગ્રેજીની જ આરતી ઉતારવાનું આવે એમ બને. આ થવા દેવાનું છે?

ગુજરાતી માધ્યમને ન સ્વીકારનારા ગુજરાતી ભણવાની અઘરી પડે છે એવી વાતો કરે છે. એની જોડણી ભણનાર અને ભણાવનાર ને અઘરી લાગે છે. અંગ્રેજીમાં હ્રસ્વ ઇ કે ઉ કે દીર્ઘ ઈ કે ઊ કે અનુસ્વાર નથી, એટલે એ સહેલી છે એવું ઘણાં માને છે. આ બરાબર નથી. કેટલાક ગુજરાતીના શણગાર ઉતારવાની ફિકરમાં પણ છે. એક જ ઉ કે ઈ રાખવાનો જુવાળ પણ આવ્યો. એટલે કે પિતા નહીં, પીતા કે ઊંઝા નહીં, પણ ઉંઝા લખીએ તો બીજી ઇ કે બીજા ઊનો બોજો ઘટે. વારુ, આ એક ઉ કે ઈ રાખીએ ને એ જ સાચું ઠરાવીએ ને કોઈ, બાકી ઊ કે ઇનો આગ્રહ રાખી એની ઝુંબેશ ઉપાડે તો શું એ પણ સ્વીકારીશું?

આ બોજો સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગાળીને નથી લાગ્યો. એમાં સૌથી મોટી બૂમરાણ તો હિન્દીમાં ઊઠી શકી હોત, કારણ એ રાષ્ટ્રભાષા છે ને વધારે ફરિયાદો એ ભાષામાંથી આવી હોત, પણ ગુજરાતીને બાદ કરતાં અન્ય ભાષામાં એવો ઊહાપોહ થયો નથી. એનો અર્થ એવો નહીં જ કે ત્યાં બધાં જોડણી સાચી જ કરે છે. ત્યાં ય ભૂલો થાય જ છે. ગુજરાતી સરલીકરણના બીજા પ્રયત્નો પણ થયા, પણ ઈરાદાપૂર્વક લખવાના પ્રયત્નોને બાદ કરતાં, ખોટી જોડણી સાથે પણ ઇ, ઈ કે ઉ, ઊ લખાય તો છે જ. જો આ લખવાનું ચાલુ રહ્યું હોય તો પ્રયત્ન કરવાથી આ બધાં સાથે સાચું ન જ લખી શકાય એવું નથી. જરૂર છે તે ગંભીરતાની. એવું નથી કે સાચી ગુજરાતી કદી કોઈએ લખી જ નથી. એ બેદરકારી આજની છે. શિક્ષક સાચું જાણે તો વિદ્યાર્થી સાચું લખી જ શકે એમાં શંકા નથી. અંગ્રેજીમાં સાયકોની કે ન્યુમોનિયાની સ્પેલિંગ ‘P’થી શરૂ થાય એ યાદ રાખી શકતા હોઈએ કે but ને બટ ને put ને પટ ન કહેતાં, પુટ બોલી શકતા હોઈએ તો ગુજરાતીમાં થોડી કાળજી રાખવાની આવે તેટલા માત્રથી તેનો કાંકરો કાઢવાની વાત ઠીક નથી.

આપણી ભાષા ગુજરાતી આટલા અનાદરને પાત્ર નથી જ!

૦૦૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર”, 15 જૂન 2015

Loading

ચિત્રકાર છબિકાર કવિ પ્રદ્યુમન તન્ના

અભિજિત વ્યાસ|Opinion - Opinion|15 June 2020

હમણાં દસ જૂનના રોજ જયંતભાઈ મેઘાણીએ લખેલ લેખ "રોમ રોમ નર્યો આનંદ – નઘરોળ" વાંચીને અનેક સ્મૃતિઓ સળવળી ઊઠી. જયંતભાઈનો લેખ એટલો બધો ભાવવાહી હતો કે વાંચવાની ખૂબ મજા આવી. એટલે મને પણ મારી સ્મૃતિઓ લખવાની ઈચ્છા થઇ.

પ્રદ્યુમ્ન તન્ના ગુજરાતીના એક ઉત્તમ કવિની સાથે સાથે એક ઉત્તમ ચિત્રકાર પણ હતા. પણ ગુજરાતમાં આ બંને ક્ષેત્રે એમની જેવી અને જેટલી નોંધ લેવાવી જોઈએ તેટલી નથી લેવાઈ એ પણ એક હકીકત છે. આપણે ત્યાં કેટલાક લોકો એમ માને છે કે પ્રદ્યુમ્ન તન્ના અહીં ભારતમાં જ રહ્યા હોત તો ગુજરાતી ચિત્રકલાનો ઇતિહાસ કંઈક જુદો જ હોત. અલબત્ત આ એક ચર્ચાનો વિષય છે. એટલે એમાં ન જતા કેટલીક એમના વિષે વાત લખું. પ્રદ્યુમ્નભાઈ ખૂબ પ્રેમાળ. એમનાં પત્ની રોઝાલબા પણ એટલાં જ પ્રેમાળ. એમને ત્યાં ગયા હોઈએ ત્યારે બહુ પ્રેમથી જમાડે. ઇટાલિયન સન્નારી હોવાં છતાં ગુજરાતી વાનગીઓ બનાવે. એમને બાજરાનો રોટલો બહુ ભાવે. દાળઢોકળી પણ બનાવે.

અહીં ઉપર જે રંગીન – કલર ફોટો છે તેમાં તેમનું સમગ્ર કુટુંબ જોવા મળે છે. પણ આ ફોટો બહુ જૂનો છે. એમનાં બાળકો નાનાં હતાં ત્યારનો. તો અન્ય જે શ્વેત શ્યામ – બ્લેક & વાઈટ છે તેમાં પ્રદ્યુમ્નભાઈ અને રોઝાલબા નાની એન્ટોનેલા સાથે જમતાં જોવા મળે છે. એ ફોટો મારે ત્યાં એક પ્રસંગમાં જમવા આવ્યા હતા ત્યારનો છે. એમની બાજુમાં “નવનીત–સમર્પણ”ના તંત્રી ઘનશ્યામ દેસાઈ બેઠેલા હતા. આ ફોટો લગભગ ચાળીસેક વર્ષ જૂનો છે. ત્યારે એમનો પુત્ર નિહાર એકાદ વર્ષનો જ હતો. ત્રીજા ફોટામાં તન્ના દંપતી સાથે જોવાં મળે છે તે મારે ઘેર સવારના ચાના સમયે મેં પાડેલો છે. આ ફોટામાં પાછળ મારા પિતાશ્રી પણ ઊભેલા છે. એમણે એમની મોટી પુત્રીના લગ્ન અહીં મુંબઈ આવીને ભારતીય વિધિ મુજબ કરેલા.

અમદાવાદમાં તેઓ વાર્તાકાર અંજલીબહેન ખાંડવાળાને ત્યાં ઊતરતા. એક વખત એમને ઘેર હું પ્રદ્યુમ્નભાઈને મળવા ગયો હતો તેવું મને યાદ છે. એમનું અમદાવાદમાં પ્રદર્શન યોજાયેલું ત્યારે તેનું ઉદ્ઘાટન એમના ચિત્રકાર મિત્ર અમિત અંબાલાલ કરવાના હતા, પણ અમિતભાઇ કોઈ કારણસર નહોતા આવી શક્યા તેથી તે પ્રદર્શનનું ઉદ્ઘાટન મારા પિતાશ્રી[શરદભાઈ વ્યાસે]એ કરેલું. એમનું એન.આઈ.ડી.માં વર્કશોપ યોજાયેલું ત્યારે હું અને પ્રદ્યુમ્નભાઈ એન.આઈ.ડી.ના ગેસ્ટ હાઉસમાં એક જ રૂમમાં સાથે રહેલા. આ બધો સમય એમની સાથે વાતો કરતાં ઘણું જાણવા મળતું. મારે માટે ખાસ, ફૅલ્લિની પરનું દળદાર પુસ્તક ઈટાલીથી લઇ આવેલા.

પ્રદ્યુમ્નભાઈના અવસાન પછી પણ એમાં કુટુંબે અહીંના મિત્રોનો સંપર્ક રાખેલો છે. હમણાં જ કુન્દનિકાબહેન કાપડિયાના અવસાન નિમિત્તે એન્ટોનેલાએ મકરન્દભાઈ અને કુન્દનિકાબહેન સાથેનો એનો ફોટો ખાસ મને મોકલેલો. અને લખેલું કે મને એમના પ્રત્યે ખૂબ માન છે.

પ્રદ્યુમ્ન તન્નાનાં રંગીન ચિત્રો વિષે ખાસ માહિતી મળતી નથી. લલિત કલા અકાદમી (દિલ્હી) પાસે એમનાં ત્રણેક ચિત્રો છે, પણ તેઓ તેનો ઉપયોગ કરવા આપતા નથી. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ પાસે પણ એમનું એકાદ ચિત્ર છે, તેવું જાણવામાં આવ્યું છે. પણ ત્યાંથી પણ કોઈ એ માટે સહકાર આપતું નથી. અન્ય કોઈ પાસે હોય તો મને જણાવે તેવી વિનંતી કરું છું. જ્ઞાનેશ્વર નાડકર્ણી પાસે એમના સંગીતકારોના કરેલા પોટ્રેઈટ છે પણ હવે તેઓ ગુજરી ગયા છે, તેથી એ કેમ મેળવવા એ એક પ્રશ્ન છે. એમને ઘણાં ચિત્રો કરેલાં તે ક્યાંક તો હશે જ.

એમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો અનેરો શોખ હતો. પછીથી પ્રદ્યુમ્નભાઈ ફોટોગ્રાફી તરફ વળી ગયા હતા, અને તેના પણ પ્રદર્શન કરેલા. મુંબઈમાં યોજાયેલા આવા એક પ્રદર્શન વખતે દશેક દિવસ એમની સાથે ગેલેરી પર રહેલો. એ દિવસોનો આનંદ અનેરો હતો. આમ તો તેઓ મારા પિતાશ્રીના મિત્ર અને એમની જ ઉંમરના, પણ મારી સાથે પણ મિત્રભાવથી જ સદ્દભાવ રાખ્યો છે. અને ક્યાં ય વડીલપણું નથી જોવા મળ્યું. એમની ચિત્રકલા વિષે ખાસ લખવાની ઈચ્છા છે પણ એમનાં ચિત્રો મળવાં મુશ્કેલ છે.

Loading

...102030...2,4212,4222,4232,424...2,4302,4402,450...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved