Opinion Magazine
Number of visits: 9966524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોરારિબાપુએ ખોટું તો નથી કહ્યું પણ તેમની ભાષાનું બિયારણ હવે જરૂર બદલાયું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 June 2020

મારા માટે આ જગતમાં સૌથી આદરણીય વ્યક્તિ ગાંધીજી છે. જેમને આદર આપવો જોઈએ અને જેમની જિંદગી સમજવી જોઈએ એવા દુનિયાના મહાનુભાવોનો મેં મારાથી બને એટલો અભ્યાસ કર્યો છે અને હું એવા તારણ પર આવ્યો છું કે માનવસભ્યતાના જ્ઞાત ઇતિહાસમાં અખંડ મનુષ્યતાની સૌથી પ્રામાણિક આરાધના ગાંધીજીએ કરી છે. આમ છતાં ય મને એક સવાલ હંમેશાં થતો હોય છે કે જો હું ગાંધીજીનો સમકાલીન હોત તો હું તેમનો અનુયાયી હોત ખરો? મને નથી લાગતું કે હું તેમનો અનુયાયી હોત. શંકા કર્યા વિના, પ્રશ્ન કર્યા વિના અને સમીક્ષા કર્યા વિના હું કોઈ વાત કે વ્યક્તિને સ્વીકારી શકતો નથી. ઈશ્વરના અનન્ય ભક્ત અને શ્રદ્ધાવાન ગાંધીજીએ પોતે જ આ તાવીજ આપ્યું છે. તેમણે તેમના એક ચાહકને સલાહ આપી હતી કે કોઈ વ્યક્તિ માટેની ભક્તિ એ મરે નહીં ત્યાં સુધી અનામત રાખવી. માણસ છે, એ ગમે ત્યારે આઘાત આપી શકે. માટે તો ગાંધીજીએ કોઈને ગુરુ બનાવ્યા નહોતા.

પણ આપણે માણસ છીએ. આપણને આપણી માફક વિચારતા, આપણી ભાષામાં બોલતા, આપણને ગમે એવું કામ કરતા કે કામની કદર કરતા હમસફર વટેમાર્ગુની જરૂર પડે છે. આવો કોઈ માણસ મળે તો આપણે રાજી રાજી થઈ જીઈએ છીએ. એમાં ય ખાસ કરીને તમે માણસાઈનું વાવેતર કરવાનો અને ટકોરાબંધ માણસાઈયુક્ત અખંડ માણસ પેદા કરવાનો અઘરો માર્ગ પસંદ કર્યો હોય ત્યારે તો સૌથી એટલો મીઠો લાગે કે વાત ન પૂછો. હિંદુ, મુસલમાન, બ્રાહ્મણ, ઈસાઈ, ગુજરાતી-મરાઠી પેદા કરવો બહુ સહેલું છે, માણસ પેદા કરવો એ અઘરું કામ છે.

૨૦૦૨નાં આયોજનપૂર્વકના નરસંહાર કરનારા ગુજરાતકાંડ પછીથી મોરારિબાપુને મેં આ રીતે જોયા છે. દૂર રહીને એમ લાગતું હતું કે મોરારિબાપુ મારી જેમ વિચારે છે, મારી ભાષામાં બોલે છે અને માણસાઈનું વાવેતર કરનારા લોકોનું અને કામનું કદર કરે છે. તેમને અખંડ મનુષ્ય પેદા કરવામાં રસ છે અને સંકુચિત ઓળખોના આગ્રહો કેટલા ઘાતક છે એ સમજાઈ ગયું છે. દૂરથી જોતો હતો (અલબત્ત ઝીણી નજરે) અને મનોમન કદર કરતો હતો. શંકા કરનારાઓને કહેતો પણ ખરો કે શંકા ભલે રાખો પણ સાથે શ્રદ્ધા પણ રાખો. મોરારિબાપુ ઘણો મોટો પ્રભાવ ધરાવે છે અને તેઓ જો પ્રામાણિકતાપૂર્વક માણસાઈના પક્ષે ઊભા રહેશે તો ઘણું મોટું કામ થઈ શકે છે. ખાસ કરીને ગુજરાતમાં જે હિન્દુત્વની લેબોરેટરી ગણાય છે. થોડો નજીક જવાનો અને માણસાઈના વાવેતરમાં એક નમ્ર ખેતમજૂર થવાની પણ કેટલોક વખત કોશિશ કરી હતી.

થોડાં વરસો પછી સમજાયું કે મોરારિબાપુને વ્યાસપીઠ પરથી બોલીને માણસાઈનું વાવેતર કરવા પૂરતો જ રસ છે. તેમની ભાષામાં વ્યાસપીઠની મર્યાદામાં રહીને. આની સામે કોઈ ફરિયાદ ન હોઈ શકે. દરેકને પોતાની મર્યાદા બાંધવાનો અધિકાર છે. તેમની વ્યાસપીઠ પણ માનવતાના પક્ષે ઊભી રહેતી હોય તો એટલું પણ ઘણું છે. એ પછી ધ્યાનમાં આવ્યું કે મોરારિબાપુને ઇવેન્ટો યોજવામાં જ રસ છે. આખું કેલેન્ડર ભરચક રહેવું જોઈએ અને ભારતમાં જે માણસ ખ્યાતિ ધરાવતો હોય એ મહુવા આવવો જોઈએ. ગ્રેટ ગુજરાતી ઇવેન્ટ ફિનોમેનનની જન્મભૂમિ ગાંધીનગર નથી, મહુવા છે. છેલ્લો ઝટકો ૨૦૧૪ પછી લાગ્યો જ્યારે વ્યાસપીઠનો સૂર બદલાવા લાગ્યો. માણસાઈનું વાવેતર પારવું થતાં થતાં સાવ ઘટતું ગયું અને ચાસમાં સલામત ભાષામાં સિફતપૂર્વક હિંદુ ઘાસ ઊગવા માંડ્યું. ૨૦૧૯ પછી તો બાપુએ બિયારણ જ બદલવા માંડ્યું.

આપણે ક્યાં આંગળી પકડી હતી! નજર ફેરવી લીધી. નજર તો હંમેશાં ખુલ્લી રાખવાનો સંકલ્પ છે પછી ખુદ ગાંધીજી સદેહે સામે કેમ ન હોય!

હવે હું જોઉં છું કે છેલ્લા છ મહિનામાં બાપુ બીજી વખત વિવાદમાં સપડાયા છે. પહેલાં તેમણે શુદ્ધ સનાતન ધર્મમાં જે ભેળાણ અને ઉમેરણ થાય છે તેની સામે સ્વામિનારાયણ સંપ્રદાયને ધ્યાનમાં રાખીને પ્રકોપ ઠાલવ્યો હતો. ત્યારે મેં આ કોલમમાં લખ્યું હતું કે ભેળાણ અને ઉમેરણ રોકવાના રસ્તા છે, પણ જોખમી છે. બીમારી કરતાં ઈલાજ વસમો પડે એવો છે. મેં ઇસ્લામનું ઉદાહરણ આપીને આ વાત સમજાવી હતી. હવે તેમણે ભગવાન કૃષ્ણના વારસદારો વિલાસી હતા એમ કહ્યું, એનો વિવાદ જાગ્યો છે. બાપુના બચાવમાં કહેવું જોઈએ કે બાપુએ ખોટું કાંઈ જ નથી કહ્યું. ગ્રંથો આમ કહે છે. મહાભારતના યુદ્ધ પછી ગાંધારીએ શાપ આપ્યો હતો તેનું આ પરિણામ હતું. આમ પણ મહાપુરુષને તેમના વારસદારો અને અનુયાયીઓ જ મારતા હોય છે. સોક્રેટીસથી લઈને ગાંધી સુધીનો ઇતિહાસ આમ કહે છે.

બાપુએ ખોટું કાંઈ નથી કહ્યું અને છતાં વિવાદ પેદા થયો. જે અખંડની ઉપાસના કરે છે તેને કોઈનો પણ કાન આમળવાનો અધિકાર છે. ગાંધીજીએ કોનો કાન નથી આમળ્યો? એક અપવાદ બતાવો? સાંભળનાર જાણતો હોય છે કે વક્તા માણસાઈની વિશાળ અને અખંડ ભૂમિકાએથી બોલી રહ્યો છે અને તેના મનમાં કોઈ પક્ષપાત નથી. મનુષ્યતાથી ભરેલો માણસ નામનું એક જ ઓળખબીજ એવું છે જે અખંડ છે, જેનાં ફાડિયાં ન થઈ શકે, પરંતુ જો તમે તેમાં હિંદુ નામની કે મુસ્લિમ નામની નાની ઓળખનાં બીજ ઉમેરીને તેનું સંકર કરો કે તરત તેનાં ફાડિયાં થવા લાગે કારણ કે તે બિયારણની ભાષામાં તે દ્વિદલ છે. એ પછી તમને ચોક્કસ ધર્મના, પેટા-સંપ્રદાયના તરફદાર હોવાના લેબલ લાગવા માંડે. મોરારિબાપુ સાથે આજકાલ આવું બની રહ્યું છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2020

Loading

અસમાનતા દૂર કરવાનો એક ઉપાય, યુનિવર્સલ બેઝિક ઇન્કમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2020

ઇંગ્લેન્ડના બર્કશાયર પ્રાંતમાં આવેલું સ્પીનહામલેન્ડ [Speenhamland] નામનું ગામડું એટલું નાનું છે (અથવા હતું). હવે તો તે બર્કશાયરના જિલ્લા શહેર ન્યૂબરીનો એક વિસ્તાર ગણાય છે. ૨૨૫ વર્ષ પહેલાં અહીં, ‘ધ પેલિકન’ નામના પબમાં એક ક્રાંતિકારી આર્થિક ધારણા વિકસિત કરવામાં આવી હતી, જેની આજે આખી દુનિયામાં ચર્ચા છે; યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે ન્યૂનતમ માસિક આવક.

આજે દુનિયામાં જેમ કરોડો લોકો બેરોજગાર છે, તેવી જ રીતે ત્યારે ૧૭૯૫-૯૬માં પણ બ્રિટનમાં લાખો લોકો નવરા થઇ ગયા હતા. ફ્રેંચ ક્રાંતિ અને નેપોલિયન યુદ્ધોમાં બ્રિટન સામેલ થયું હતું, અને પરિણામે બ્રિટનને આર્થિક માર પડ્યો હતો. એમાં એક તરફ ઋતુ ખરાબ આવી, એટલે ખેતી પાયમાલ થઇ ગઈ અને અનાજના ભાવ આસમાને પહોંચી ગયા. તો બીજી તરફ યુદ્ધના કારણે જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહાખોરી, કાળાબજાર અને બેરોજગારીએ બળતામાં ઘી હોમ્યું.

સ્પીનહામલેન્ડના મુખિયાઓએ જુદી જ રીતે આ કટોકટીનો સામનો કરવા વિચાર કર્યો; બેકાર હોય કે ના હોય, બધા જ લોકોને વિના શરતે નિયમિત પૈસા આપો. ૭ મે, ૧૭૯૫ના રોજ ગામના અધિકારીઓ ‘ધ પેલિકન’ પબમાં ભેગા થયા અને એક યોજના બનાવી કે વ્યક્તિ દીઠ દરેકને પ્રતિ માસ લઘુત્તમ ત્રણ શિલિંગ કે અધિકતમ ૭ શિલિંગ અને ઘરમાં આશ્રિતો હોય તો ૬ પેન્સ ચુકવવા. એ કોઈ બહુ મોટી રકમ ન હતી. એક પાંવ રોટીની કિંમત એક શિલિંગ હતી, પણ યોજના એવી હતી કે પાંવના ભાવ વધે, તેમ ચૂકવણીની રકમ વધે. એમાં બીજો એક સામાજિક-માનસિક ફાયદો એ થયો કે ભિખારી હોવાનું કલંક નાબૂદ થઇ ગયું, કારણ કે બધા જ 'ભિખારી' હતા. દરેક પરિવારને આહારની અને ગરિમાની ગેરંટી હતી.

આને સ્પીનહામલેન્ડ સિસ્ટમ અથવા બર્કશાયર બ્રેડ ધારો કહે છે. ઈંગ્લેંડનાં ગામડાઓમાં એ વ્યવસ્થા બહુ પ્રચલિત થઈ હતી. પછીના ચાર દાયકા સુધી ઇંગ્લેન્ડના ગરીબ લોકોના ખિસ્સામાં નિયમિતપણે શિલિંગ આવતા રહ્યા અને તેના કારણે સ્થાનિક અર્થવ્યવસ્થા તૂટી ના પડી અને નેપોલિયને બ્રિટન સામે આર્થિક ઘેરાબંધી કરી હતી, તેનો સામનો કરી શકાયો.

થોમસ પેઈન નામના ઇંગ્લિશ-અમેરિકન ક્રાંતિકારી વિચારકે સૂચન કર્યું હતું કે દેશના તમામ વયસ્ક નાગરિકોને, ચાહે તે ગરીબ હોય કે તવંગર, રોજગાર કરતા હોય કે બેકાર, રાજ્યએ સમાન પૈસા ચુકવવા જોઈએ. ૧૭૯૭માં, એગ્રેરિયન જસ્ટિસ, એટલે કે કૃષિ ન્યાય નામથી એક પેમ્ફલેટમાં, થોમસ પેઈને કહ્યું હતું કે પૃથ્વી માનવ જાતની સહિયારી સંપતિ છે, અને જે તેને ખેડતા હોય, તેમણે સમુદાયને ભાડું ચુકવવું જોઈએ.

આજે આ ધારણાને યુનિવર્સલ બેઝિક ઇન્કમ કહે છે. ઘણા દેશોમાં તે અલગ-અલગ સ્વરૂપે અમલમાં છે. અમેરિકન કૉન્ગ્રેસે પાસે એક પ્રસ્તાવ છે, જેમાં પ્રત્યેક વયસ્ક અને પ્રતિવર્ષ ૧,૩૦,૦૦૦ ડોલરથી ઓછી કમાઈવાળા અમેરિકન નાગરિકના બેંક ખાતામાં પ્રતિ માસ ૨,૦૦૦ ડોલર જમા કરવામાં આવશે. સ્વીત્ઝરલૅન્ડમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ પર જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો છે. કેનેડાએ તાજેતરમાં દર બે અઠવાડિએ દરેક નાગરિકને ૯૦૦ ડોલર આપવાની યોજના જાહેર કરી છે. બ્રાઝીલમાં ગરીબી ઓછી કરવામાં આ યોજના કારગત નીવડી છે.

૧૯૬૨માં અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રાઈડમેને ‘નેગેટિવ ઇન્કમ ટેક્સ’ની ધારણા આપી હતી. તેમાં જે લોકો ચોક્કસ રકમથી નીચે કમાતા હોય, તેમને સરકાર અમુક રકમ આપે. મતલબ કે આ લોકોએ ટેક્સ નહીં ચુકવવાનો, પણ સરકાર તેમને ‘ટેક્સ’ ચૂકવે. તર્ક એવો હતો કે તેનાથી જે લોકો કામ નથી કરતા તે ‘ટેક્સ’નો ફાયદો લેવા માટે નિર્ધારિત આવક માટે કામ કરશે. અમેરિકામાં આ યોજનાને અર્નેડ ઇન્કમ ટેક્સ ક્રેડીટ અને બ્રિટનમાં વર્કિંગ ફેમિલીઝ ટેક્સ ક્રેડીટ તરીકે લાગુ કરવામાં આવી હતી.

અમેરિકામાં ૨૦૦૧માં નાઈન-ઈલેવનના હુમલા પછી જેમણે ટેક્સ રિટર્ન ભર્યાં હતાં તે મોટા ભાગના અમેરિકાનોને ૩૦૦ ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. ૨૦૦૮ની વૈશ્વિક મંદી વખતે પણ એવું જ કરવામાં આવ્યું હતું, પણ તે મુખ્યત્વે ટેક્સ રિબેટ હતી. જેમણે રિટર્ન ભર્યા ન હતાં, તેમને કશું મળ્યું ન હતું, અને તેમાં એક મોટો ગરીબ વર્ગ હતો.

સમાજોમાં જે અસમાનતા છે, તેને દૂર કરવાના ઘણા બધા પૈકીને એક ઉપાય તરીકે યુનિવર્સલ બેઝિક ઇન્કમની તરફદારી થાય છે. દુનિયામાં વેલ્ફેર સ્ટેટ, એટલે કલ્યાણ રાજ્યનું મહત્ત્વ ઘટતું જઈ રહ્યું છે. સરકારો ઉત્તરોતર એવી અપેક્ષાઓ વધારી રહી છે કે, ગરીબ હોય કે તવંગર, દરેકે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન કરવું જોઈએ. આર્થિક યોજનાઓ એવી ઘડવામાં આવે છે, જેમાં સરકારો તેની ‘ધર્માત્મા’ની ભૂમિકા છોડી રહી છે. અર્થશાસ્ત્રીઓને આની ચિંતા છે, કારણ કે નોકરીઓ ઘટી રહી છે, બેરોજગારી વધી રહી છે, નવી રોજગારીઓની તકો ઊભી થાય છે, પરંતુ સામે પક્ષે ઓટોમેશનનો ઉપયોગ વધી રહ્યો છે, તેવા સંજોગોમાં રાજ્યોએ બેઝિક ઇન્કમના મોડેલ પર જવું જ પડશે.

બેઝિક ઇન્કમની ધારણા પાછળ ત્રણ તર્ક છે. એક, તમામ લોકો પાસે જો કોઈને કોઈ પૈસા હશે, તો તેમની ખરીદ શક્તિ વધશે, જેનાથી બજારમાં માંગ વધશે, જેથી તેને પહોંચી વળવા ઉત્પાદન અને વેપાર વધશે, જેના પગલે રોજગાર વધશે, જે આર્થિક વિકાસને ધક્કો મારશે અને પરિણામે સરકારના ટેક્સ વધશે.

બીજો તર્ક એ છે કે ન્યુનતમ આવકની ગેરંટી હોવાથી પરિવારોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, સંતાનોનું શિક્ષણ ચાલુ રહશે, લોકો અપરાધ કરવાથી અટકશે, જેથી સમાજમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને પરિણામે આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રમાં સરકારનું ભારણ ઓછું થશે.

ત્રીજો તર્ક એ છે કે આનાથી ટેકનોલોજીલ વિકાસને ગતિ મળશે. અત્યારે આખી દુનિયામાં આર્થિક વિકાસમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ બેરોજગારીના ભયથી સમાજનો નીચલો વર્ગ તેનો વિરોધ કરે છે, જેના કારણે અનેક શ્રમિક મુદ્દાઓ ઊભા થાય છે, ન્યુનતમ આવકની જો ગેરંટી હોય, તો સમાજ કોઈ પણ પ્રકારના બદલાવને ખુશી-ખુશી સ્વીકારશે અને દેશ બાકી દુનિયા સાથે કદમ મિલાવી શકશે.

દુનિયામાં અત્યારે બેરોજગારી મ્હો ફાડીને ઊભી છે, અને લાખો-કરોડો લોકોને તેમાં સ્વાહા થઇ જવાનો ડર છે, ત્યારે બેઝિક ઇન્કમની ધારણા આકર્ષક બને તો નવાઈ નહીં.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 જૂન 2020

Loading

ચલ મન મુંબઈ નગરી—48

દીપક મહેતા|Opinion - Opinion|13 June 2020

મરાઠી મુલગી અને બંગાળીબાબુની પ્રેમકથા

અલ્લડ અન્નપૂર્ણા બની રવિપ્રેમી નલિની

ગુરુદેવ ટાગોર મુંબઈના જમાઈરાજા બન્યા હોત?

જે જે પ્રેમકથાની વાત માંડવાની છે તેને ગયા શનિવારની ધર્મકથા સાથે સીધો સંબંધ છે. પ્રાર્થના સભાના પહેલા અધ્યક્ષ ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરને બે દીકરા અને ત્રણ દીકરી, અન્નપૂર્ણા, દુર્ગા અને માણેક. એ જમાનામાં પણ પિતાએ બધાં સંતાનોને ભણવા માટે વિલાયત મોકલેલાં. અન્નપૂર્ણા વીસેક વરસની ઉંમરે તો વિલાયતથી પાછી આવી ગયેલી. બીજી બાજુ દેશના પૂર્વ કિનારે બંગાળના મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરનાં કુલ ૧૫ સંતાનોમાંથી સૌથી નાનો દીકરો રવીન્દ્રનાથ. ૧૮૬૧માં તેનો જન્મ. એ જમાનાના ચાલ પ્રમાણે રવીન્દ્રનાથને બેરિસ્ટર બનાવવાની પિતાને હોંશ. ઇંગલન્ડની બ્રાઈટન કોલેજમાં એડમિશન પણ લઈ લીધું. રવીન્દ્રનાથના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ આઈ.સી.એસ. બનનારા પહેલવહેલા હિન્દી. એ માટેની પરીક્ષા આપવા એ વખતે ગ્રેટ બ્રિટન જવું પડતું. એટલે તેઓ વિલાયત ગયેલા અને આઈ.સી.એસ. થઈને  ૧૮૬૪માં સ્વદેશ પાછા ફરેલા. તેમનું પહેલવહેલું પોસ્ટિંગ ચાર મહિના માટે મુંબઈમાં થયેલું. એ પછી તેમની બદલી અમદાવાદ થયેલી. ટાગોર કુટુંબ બ્રહ્મોસમાજી, અને ડો. આત્મારામ પ્રાર્થનાસમાજી. ડો. આત્મારામનો જન્મ ૧૮૨૩માં, સત્યેન્દ્રનાથનો જન્મ ૧૮૪૨માં. એટલે બંને વચ્ચે ઉંમરનો ખાસ્સો ફરક. પણ ઉચ્ચ શિક્ષણ, એકેશ્વરવાદ અને સમાજ સુધારાની ધગશને કારણે બંને વચ્ચે સમજણનો સેતુ રચાયો હશે. એટલે બંને વચ્ચે ચાર મહિનાના ટૂંકા ગાળામાં અંગત અને કૌટુંબિક સંબંધ બંધાયો. સત્યેન્દ્રનાથની બદલી અમદાવાદ થયા પછી પણ તે વધતો ગયેલો.

રવીન્દ્રનાથ ટાગોર ૧૭ વર્ષની ઉંમરે

બીજી બાજુ રવીન્દ્રનાથ કરતાં સત્યેન્દ્રનાથ લગભગ ૧૯ વરસ મોટા, એટલે પિતાતુલ્ય. રવીન્દ્રનાથનું વિલાયત જવાનું નક્કી થયું એટલે પિતાએ બ્રિટિશ રહેણીકરણી અને વ્યવહારુ અંગ્રેજી શીખવા માટે તેમને સત્યેન્દ્રનાથ પાસે અમદાવાદ મોકલ્યા. ૧૮૭૮ના મે મહિનાની ૧૫મી તારીખે રવીન્દ્રનાથ અમદાવાદ પહોંચ્યા. મહેલ જેવા શાહીબાગમાં સત્યેન્દ્રનાથ રહેતા હતા, પણ એકલા. એ બંગલામાં સુખસગવડનાં બધાં સાધનો હતાં, પણ સત્યેન્દ્રનાથ તો આખો દિવસ ઓફિસમાં હોય. ઘરે રવીન્દ્રનાથ એકલા. અલબત્ત, નોકર-ચાકરનો પાર નહીં, પણ પોતાનું કહી શકાય એવું આખો દિવસ ઘરમાં કોઈ નહિ. એટલે રવીન્દ્રનાથનો જીવ સોરાયા કરે.

અન્નપૂર્ણા ઉર્ફે નલિની તર્ખડકર

સત્યેન્દ્રનાથ જેવા વિચક્ષણ માણસના ધ્યાનમાં આ વાત આવ્યા વગર રહે? રવીન્દ્રનાથ જો કોઈ કુટુંબમાં રહે તો તેની એકલતા દૂર નહિ તો ય ઓછી તો થાય. અને સત્યેન્દ્રનાથના ધ્યાનમાં આવ્યું મુંબઈના મિત્ર ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરનું કુટુંબ. આખું કુટુંબ ભણેશરી. રહેણીકરણી પર અંગ્રેજોની ખાસ્સી અસર. અને અન્નપૂર્ણા તો હજી હમણાં જ વિલાયતથી પાછી આવેલી. એટલે સત્યેન્દ્રનાથે પોતાના ભાઈને મુંબઈ ડો. આત્મારામને ઘરે રહેવા મોકલવાનું નક્કી કર્યું. ટાગોર કુટુંબ અને તર્ખડકર કુટુંબ વચ્ચેનો સંબંધ સારો એવો ગાઢ ન હોય તો કોઈ પોતાના સત્તર વર્ષના ભાઈને આ રીતે બે-એક મહિના માટે રહેવા મોકલે નહિ.

સત્યેન્દ્રનાથ ટાગોર

પિતાતુલ્ય ભાઈ જે નક્કી કરે તે પ્રમાણે વર્તવાનું રવીન્દ્રનાથ માટે સ્વાભાવિક. એટલે તેઓ અમદાવાદથી નીકળીને ૧૮૭૮ના ઓગસ્ટમાં મુંબઈ પહોંચ્યા અને તર્ખડકર કુટુંબના કાંદાવાડીના ઘરે મહેમાન બની રહ્યા. અંગ્રેજોની રીતભાત, તેમના આચારવિચાર, ખાણીપીણીની ખાસિયતો, બોલાતી બ્રિટિશ અંગ્રેજી, વગેરેમાં તેમને પલોટવાનું કામ ડો. આત્મારામે વીસેક વરસની દીકરી અન્નપૂર્ણાને સોંપ્યું. અગાઉ આપણે આ કાંદાવાડી ઉર્ફે ખાડિલકર રોડની વાત કરી ત્યારે તેને અંગે બે વાત નોંધેલી : મુંબઈના સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત અહીંથી થયેલી અને ખાડિલકરે ‘નવાકાળ’ નામનું મરાઠી દૈનિક પણ અહીંથી શરૂ કરેલું. કાંદાવાડીના મુગટમાં હવે ત્રીજું પીછું ઉમેરાય છે : ગુરુદેવ ટાગોર ૧૭ વરસની ઉંમરે મુંબઈની પહેલી મુલાકાત વખતે આ કાંદાવાડીમાં જ રહેલા. એ વખતે પ્રાર્થના સમાજનું મકાન બંધાઈ ગયેલું એટલે ડો. આત્મારામ સાથે કંઈ નહિ તો બે-ચાર વાર ત્યાં ગયા પણ હોય. ગિરગામ રોડ પર ફર્યા પણ હોય. કદાચ ચોપાટી સુધી ફરવા ગયા હોય – એકલા કે કોઈની સાથે? કોઈની સાથે તો કોની સાથે? અન્નપૂર્ણા સાથે? આપણે નથી જાણતા, કારણ કોઈએ આવું કશું નોંધ્યું નથી. પણ આવું બન્યું હોય એવો સંભવ તો ખરો જ. કારણ સમૃદ્ધ કહી શકાય એવું તર્ખડકર કુટુંબ પોતાના મોંઘેરા મહેમાનની આગતાસ્વાગતા કર્યા વગર તો ન જ રહ્યું હોય.

એ જમાનાનો શબ્દ વાપરીને કહીએ તો અન્નપૂર્ણા થોડી અલ્લડ હશે, આજનો શબ્દ વાપરીએ તો થોડી બિન્દાસ હશે. અંગ્રેજોની રીતભાત, રહેણીકરણી વગેરે અંગે વાતો કરતાં એક વખત તેણે રવીન્દ્રનાથને કહ્યું કે વિલાયતમાં એવો રિવાજ છે કે કોઈ યુવતી સૂતી હોય એ વખતે કોઈ યુવક તેનાં હાથ મોજાં ચોરી લે, તો એ યુવતીને ચુંબન કરવાનો અધિકાર પેલા યુવકને મળી જાય. આ વાત કરીને થોડી વાર પછી પોતાનાં હાથમોજાં કાઢીને અન્નપૂર્ણા સૂઈ ગઈ – કે તેણે સૂવાનો દેખાવ કર્યો. થોડી વાર પછી જાગીને જોયું તો તેનાં હાથમોજાં મૂક્યાં હતાં ત્યાં જ હતાં, રવીન્દ્રનાથે તેને હાથ પણ અડાડ્યો નહોતો.

પછી વાતવાતમાં રવીન્દ્રનાથે કહ્યું કે હું કવિતા લખું છું. તેમનું પહેલું કાવ્ય ‘અભિલાષા’ તેમના નામ વગર ‘તત્ત્વબોધિનીપત્રિકા’ના નવેમ્બર ૧૮૭૪ના અંકમાં છપાયેલું. તેમના નામ સાથે પહેલું કાવ્ય ‘અમૃતબજાર પત્રિકા’ના ૨૫ ફેબ્રુઆરી ૧૮૭૫ના અંકમાં પ્રગટ થયેલું. ૧૮૭૭ના જુલાઈમાં રવીન્દ્રનાથના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોરે ‘ભારતી’ નામનું સામયિક શરૂ કર્યું ત્યારે તેના પહેલા જ અંકમાં રવીન્દ્રનાથની બે ગદ્ય કૃતિ અને એક કાવ્ય છાપ્યાં હતાં. પણ રવીન્દ્રનાથ મુંબઈ આવ્યા ત્યાં સુધીમાં તેમનું એકે પુસ્તક છપાયું નહોતું. તેમનું પહેલું પુસ્તક ‘કવિ-કાહિની’ ૧૮૭૮માં પ્રગટ થયું. (પદ્યકથાઓના આ પુસ્તકમાંની ૧૮ કૃતિઓનો ગદ્ય અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ ‘કુરબાનીની કથાઓ’ નામે કરેલો, જે ૧૯૨૨માં પ્રગટ થયો હતો.) છતાં બંગાળમાં રવીન્દ્રનાથનું નામ થોડું જાણીતું થયું હતું.

રવીન્દ્રનાથ કવિતા લખે છે એ જાણ્યું એટલે અન્નપૂર્ણાએ કહ્યું કે મને તમારાં કાવ્યો સંભળાવો. પહેલાં તો થોડાં બંગાળી કાવ્યો ગાઈ સંભળાવ્યાં, પણ દેખીતી રીતે જ અન્નપૂર્ણાને તેમાં ઝાઝી સમજ પડી નહિ, એટલે રવીન્દ્રનાથ અંગ્રેજીમાં અનુવાદ કરીને સંભળાવવા લાગ્યા. આમ, કવિતાને કારણે બંને વધુ નજીક આવ્યાં. રવીન્દ્રનાથે ખાસ નલિની માટે એક કાવ્ય લખ્યું અને તે ગાઈને સંભળાવ્યું. એ સાંભળીને નલિનીએ કહ્યું: ‘કવિ, મને લાગે છે કે જો હું મરણ પથારીએ પડી હોઉં ને, તો ય તમારાં કાવ્યો સાંભળીને મને તેમાંથી જીવી જવાનું બળ મળે.’ નલિનીએ રવીન્દ્રનાથને એક સલાહ પણ આપી : ‘કવિ, તમારો ચહેરો સ્ફટિક જેવો નિર્મળ છે. એ ચહેરાની રેખાઓ ઢંકાઈ જાય એવું કશું ક્યારે ય કરશો નહિ. ક્યારે ય દાઢી વધારશો નહિ.’ વર્ષો પછી રવીન્દ્રનાથે લખ્યું : ‘સૌ કોઈ જાણે છે કે મેં તેની સલાહ માની નથી, અને દાઢી વધારી છે. પણ એની સલાહની અવગણનાની ચાડી ખાતો મારો ચહેરો જોવા એ જીવતી રહી નહિ.’

એસ.એસ. સિટી ઓફ પૂના

પછી અન્નપૂર્ણાએ કહ્યું કે મારે માટે બીજું કોઈ સરસ નામ પાડો ને! એટલે રવીન્દ્રનાથે તેનું નામ પાડ્યું નલિની. આ નામ – અને તે પાડનાર પણ – અન્નપૂર્ણાના મનમાં વસી ગયાં. બંને ધીમે ધીમે વધુ નિકટ આવતાં ગયાં. પણ એ બંનેમાંથી કોઈએ આ વિષે લખ્યું નથી એટલે તેમની નિકટતાની વિગતો મળતી નથી. અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે મોટાભાઈ સત્યેન્દ્રનાથ સાથે ગ્રેટ બ્રિટન જવા રવીન્દ્રનાથ મુંબઈથી ૧૮૭૮ના સપ્ટેમ્બરની ૨૦મીએ તારીખે નીકળ્યા. એસ.એસ. સિટી ઓફ પૂના નામની સ્ટીમર સાંજે પાંચ વાગે મુંબઈથી ઊપડી. છ દિવસ પછી તે એડન પહોંચી. આ બધા દિવસ રવીન્દ્રનાથને દરિયો લાગ્યો હતો અને એટલે તેઓ કેબિનની બહાર નીકળ્યા જ નહોતા. એડનથી સુએઝ પહોંચતાં બીજા પાંચ દિવસ લાગ્યા. સુએઝના બંદરેથી સુએઝ રેલવે સ્ટેશને ગયા અને એલેકઝાન્ડ્રિયા જતી ટ્રેનમાં બેઠા. આખે રસ્તે ઊડતી ધૂળ રવીન્દ્રનાથના શરીર પર એવી તો જામી ગઈ હતી કે તે કોઈ ભભૂતિ ચોળેલા બાવા જેવા લાગતા હતા. એલેકઝાન્ડ્રિયાથી તેઓ ‘મોંગોલિયા’ નામની સ્ટીમરમાં બેઠા. પહેલું કામ નહાવાનું કર્યું. પાંચ દિવસ પછી આ સ્ટીમર ઇટલીના બ્રિનડીસી બંદરે પહોંચી. બીજે દિવસે ઘોડા ગાડી ભાડે કરીને ગામ જોવા નીકળ્યા. થોડું ફરીને બપોરે ત્રણ વાગે પેરિસ જતી ટ્રેનમાં બેઠા. ત્યાં માત્ર એક દિવસ રોકાઈને લંડન જવા નીકળ્યા. ત્યાં ફક્ત બે કલાક ગાળી બ્રાઈટન પહોંચ્યા. પછી અનેક વાર દુનિયાના જુદા જુદા દેશોની મુલાકાત લેનાર રવીન્દ્રનાથની પહેલી વિદેશની મુસાફરી મુંબઈની કાંદાવાડીથી શરૂ થઈ હતી.

દેવેન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથના ગયા પછી નલિની ઉર્ફે અન્નપૂર્ણાનાં કુટુંબીજનોને બંને વચ્ચેના પ્રેમસંબંધની ખબર પડી. મરાઠીમાં આ અંગે જે લખાયું છે તેમાંથી જાણવા મળે છે કે ૧૮૭૯ની શરૂઆતમાં નલિનીને લઈને ડો. આત્મારામ કલકત્તા ગયા હતા અને એ બંને જોડા સાંકોના ઘરે રવીન્દ્રનાથના પિતા દેવેન્દ્રનાથને મળ્યાં હતાં. અને બંનેના લગ્નની દરખાસ્ત રજૂ કરી હતી. પણ રવીન્દ્રનાથ કરતાં નલિની ઉંમરમાં ત્રણેક વર્ષ મોટી છે એ કારણ આગળ ધરી દેવેન્દ્રનાથે એ માગું સ્વીકાર્યું નહિ. જો કે આ અંગેનું ખરું કારણ દેવેન્દ્રનાથની ચુસ્ત જ્ઞાતિપરસ્તી હતું. ટાગોર કુટુંબ પીરાલી (પીર+અલી) બ્રાહ્મણ હતું. બ્રાહ્મણોની આ ઉપજાતિ આજના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં જ જોવા મળે છે. દેવેન્દ્રનાથની હયાતી દરમ્યાન કુટુંબમાં જેટલા છોકરાઓનાં લગ્ન થયાં તે બધાની પત્ની પીરાલી બ્રાહ્મણ કુટુંબની જ હતી, પછી ભલે તે અત્યંત ગરીબ કુટુંબની હોય. એટલે રવીન્દ્રનાથની પત્ની તરીકે દેવેન્દ્રનાથ નલિનીને સ્વીકારી શકે તેમ નહોતું.

૧૮૮૦ના માર્ચમાં કોઈ પણ ડિગ્રી મેળવ્યા વગર રવીન્દ્રનાથ હિન્દુસ્તાન પાછા આવ્યા. થોડા વખત પછી, ૧૮૮૦ના નવેમ્બરની ૧૧મી તારીખે અન્નપૂર્ણા ઉર્ફે નલિનીનાં લગ્ન એક સ્કોટિશ યુવક સાથે થયાં. એ વડીલોએ ગોઠવેલાં હતાં કે પ્રેમલગ્ન? જાણવા મળતું નથી. એ યુવકનું નામ હેરોલ્ડ લિટલડેલ. ૧૮૫૩ના ઓક્ટોબરની ત્રીજી તારીખે ડબ્લિનમાં જન્મ. પિતા હતા સોલિસિટર. ડબ્લિનની ટ્રિનિટી કોલેજમાં બી.એ., એમ.એ., અને પીએચ.ડી. થયા. હિન્દુસ્તાન આવી વડોદરાના મહારાજાએ ૧૮૮૧માં શરૂ કરેલી બરોડા કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર અને વાઈસ પ્રિન્સિપલ તરીકે જોડાયા. પછી ૧૮૭૯થી વડોદરા રાજ્યના કેળવણી ખાતાના ડિરેક્ટર તરીકે કામ કર્યું. એ દરમ્યાન યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા. પણ પછી સ્વદેશ પાછા જઈ યુનિવર્સિટી કોલેજ ઓફ સાઉથ વેલ્સ એન્ડ મોનમાઉથશાયરમાં અંગ્રેજીના પ્રોફેસર બન્યા. ૧૮૯૧માં અન્નપૂર્ણા ઉર્ફે નલિનીનું એડનબરામાં અવસાન થયું.

પણ નલિની અને રવીન્દ્રનાથ એકબીજાંને ભૂલી શક્યાં હતાં? ના. છેવટ સુધી અન્નપૂર્ણાએ રવીન્દ્રનાથે આપેલા ‘નલિની’ નામથી જ ઓળખાવાનું પસંદ કર્યું હતું. પોતાના એક ભાઈને ત્યાં પુત્રજન્મ થયો ત્યારે તેનું નામ નલિનીએ પાડ્યું રવીન્દ્ર. તો બીજી બાજુ લગભગ ૮૦ વર્ષની ઉંમર સુધી લખાયેલાં ટાગોરનાં કાવ્યોમાં અવારનવાર નલિની નામ ડોકાતું જોવા મળે છે. એટલું જ નહિ, ૧૮૮૪માં તેમણે નલિની નામનું નાટક પણ લખ્યું અને તેનું અર્પણનું પાનું કોરું રાખ્યું હતું. આમ, નામ લખ્યા વગર તેમણે નાટક નલિનીને અર્પણ કર્યું. એંસી વરસની ઉંમરે ટાગોરે લખ્યું હતું: 'એ વખતે મેં જિંદગીમાં ખાસ કશું મેળવ્યું નહોતું. એટલે તેણે મારી ઉપેક્ષા કરી હોત તો એમાં એનો વાંક ન કાઢી શકાયો ન હોત. પણ તેણે એમ ન કર્યું. કવિતા એ એકમાત્ર પૂંજી મારી પાસે હતી જેનાથી હું તેનું ધ્યાન ખેંચી શકું. અને મારી કવિતા તરફ અને તેથી મારા તરફ તે આકર્ષાઈ હતી.’

ડો. આત્મારામ તર્ખડકરે કલકત્તા જઈ મહર્ષિ દેવેન્દ્રનાથ પાસે જે માગું નાખ્યું હતું તે તેમણે સ્વીકાર્યું હોત તો? તો ગુરુદેવ ટાગોર તર્ખડકર કુટુંબના અને તેથી મુંબઈ નગરીના જમાઈરાજા બન્યા હોત! પણ શું જીવનમાં કે શું ઇતિહાસમાં, જો-તોને ક્યારે ય સ્થાન હોતું નથી. એટલે મરાઠી મુલગી અને બંગાળી બાબુની પ્રેમકથાની વાત અહીં જ પૂરી કરીએ. આવતે શનિવારે નવી ગિલ્લી, નવો દાવ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 જૂન 2020

Loading

...102030...2,4232,4242,4252,426...2,4302,4402,450...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved