Opinion Magazine
Number of visits: 9663923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યમાં પરિવેશ નિરૂપણ 

સંગીતા પટેલ|Opinion - Literature|29 June 2025

સંગીતા પટેલ

“મારે તો ઘણી ભાષામાંથી ગુજરાતી પ્રજાને તરજુમા આપવા છે. તે કરવામાં હું શબ્દાર્થને નથી વળગતો. ભાવાર્થ આપું એટલે મને સંતોષ. મારા પછી બીજાઓ ભલે વધારે આપે. હું તો વગર વ્યાકરણે મરાઠી જાણું, હિન્દી જાણું અને હવે અંગ્રેજી જાણતો થવા લાગ્યો. મારે તો શબ્દભંડાર જોઇએ. અને તમે ન જાણતા કે એકલી અંગ્રેજીથી મને સંતોષ થવાનો છે. મારે તો ફ્રાન્સ જવું છે, અને ફ્રેન્ચ પણ શીખી લેવું છે. હું જાણું છું કે ફ્રેન્ચ સાહિત્ય બહોળું છે. બનશે તો જર્મની પણ જઇશે ને જર્મન પણ શીખી લઇશ.”

મહાત્મા ગાંધીએ તેમની આત્મકથા “સત્યના પ્રયોગોમાં” આ વાત મૂકીને જુદા જુદા આંચલિક પરિવેશનો અભ્યાસ કરવા માગતા નારાયણ હેમચંદ્રનો અનોખો પરિચય આપ્યો છે.  સાદી સરળ બાનીના હિમાયતી ગાંધીજી પર નારાયણ હેમચંદ્રનો ઘણો પ્રભાવ હતો. 

એ પછી તો યુગ શરૂ થયો ઝીલી શકાય તેટલી ગાંધી અસર ઝીલવાના ગાંધીયુગનો. પંડિત યુગ આથમ્યો અને આઝાદીના આંદોલન સાથે સાહિત્ય લખાતું ગયું અને યુગપ્રવર્તક ગાંધી અસર સાહિત્યમાં વરતાવા માંડી. આ પ્રવાહ લાંબો ચાલ્યો અને તેમાં ઘણાં નામ ઉમેરાતાં ગયા. 

દેશ આઝાદ થયો 1947માં, યોગાનુયોગ એ જ વર્ષે પન્નાલાલ પટેલ “માનવીની ભવાઇ” લઇને આવ્યા. એક ખાસ સ્થાનિક પ્રદેશનું યથાતથ જાનપદી નિરૂપણ કરતી આ બેનમૂન કૃતિ છે. 1899 થી 1900ના એ છપ્પનિયા દુકાળ સામે ઝઝૂમતા જોશીલા પાત્રો આપણા સ્વાતંત્ર્ય સેનાની જેટલા જ શૂરવીર છે. આંચલિક પરિવેશનું નિરૂપણ કરતા પન્ન્લાલે ખાસ શાળા અભ્યાસ કર્યો ન હતો પણ, જીવનના અભ્યાસમાં આગળ નીકળી ગયા. ધરતીના મનેખનું તેમણે જે નિરૂપણ કર્યું તેનું જ્ઞાન તો જિંદગીની નિશાળમાંથી જ મળે. જીવનને સંવેદનાથી ભરી દો તો કલમ આપોઆપ બોલતી થઈ જાય છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની ભૂમિ પર દુકાળ સામે આકરું તપ કરતાં એ હાડમાંસનાં ધબકતાં પાત્રો પન્નાલાલ પટેલની કલમે એવા તો અવતર્યાં કે તત્કાલીન કાળક્રમ યથાતથ આપણી સામે આવીને ઊભો. પુત્ર જન્મની આશ રાખતા સાઠ વર્ષના વાલજી ડોસાથી શરૂ થતી વાર્તામાં કાળુ-જીવીનો પ્રવેશ થયો અને એની આજુબાજુના પાત્રોની વણથંભી વણઝાર ચાલી. માલી, પરમો, નાથો, શંકર, ફૂલ ડોશી, ભગો, કોદર, રણછોડ, મનોર, પેથા પટેલ, ભલીથી આખો એક વિશિષ્ટ સમુદાય ઊભો થયો. 

ભવાઈનો અર્થ થાય છે મિલકત. એ મિલકતમાં આવે છે આસપાસનો પરિવેશ, જીવતા જાગતા માણસો અને સમગ્ર કાળક્રમ. એમાં ય નાત પંચાયતના મેળાવડા, લોકમેળા, મેળામાં હરખાતા માણસો, એમનાં મિલન, પહેરવેશ, યુવાનોનો તરવરાટ આ બધું મળીને આપણી સામે ખડું થતું ચિત્ર એની અમીટ છાપ છોડી જાય છે. અને આ બધાની વચ્ચે છે છપ્પનિયા દુકાળની વિપદા અને જીવનની એ સૌથી કરમી કહાણી. એ કારમા દિવસોમાં સ્ત્રી દેહવિક્રય, મૃત પશુનું માંસ ખાવું, પોતાના મૃત બાળકને ખાતી માતા અને એની સામે કાળુનો સખાવતી અનાજ લેવાનો ઇનકાર. આ તમામ ઘટનાઓમાંથી પન્નાલાલની કલમે અવતરતું વાક્ય “ભૂંડામાં ભૂંડી ભીખ નહિ પણ ભૂખથી યે ભૂંડી ભીખ છે” જીવનસૂચક બની ગયું. કાળુ અને રાજુની વસમી જુદાઇથી આગળ જતી આ વાર્તામાં તેમના સ્નેહ મિલનમાં સુખાન્ત એક મોરલ સ્ટોરી પણ બની જાય છે. 

લગભગ આ જ સમયકાળમાં કોશો દૂર કાકેસસની પહાડીમાં કાસ્પિયન સમુદ્ર તટે “દાઘેસ્તાનની” વાત આકાર પામે છે. માંડ પાંત્રીસ-ચાલીસ લાખની વસતી ધરાવતા આ મુલકમાં જુદી જુદી ચાળીસેક ભાષાઓ બોલાય છે, તેમાં સૌથી પ્રચલિત ભાષા છે “અવાર” . અવાર ભાષામાં દાઘનો અર્થ થાય છે પર્વત, સ્તાન અર્થાત સ્થળ, પહાડી મુલક, ગર્વીલો દેશ દાઘેસ્તાન. 

દાઘેસ્તાનના પર્વતોની તળેટીમાં વિસ્તૃત વનરાજીના એક છેડે ત્સાદા નામનું અવાર ગામ છે. ગામમાં એક ઘર છે. એ આજુબાજુના ઘરથી જુદું નથી, પણ આ પહાડી ઘરના બે કવિઓના નામે ઊડીને દુનિયામાં દૂરદૂર વિહાર કર્યો. પહેલું નામ છે દાઘેસ્તાનના જનકવિ હમજાત ત્સાદાનું અને એમની વિરાસત ઝીલતા બીજા કવિ રસૂલ હમજાતોવનું.

રસૂલ હમજાતોવની અવાર કલમે તેમના મલકની ભાષા, સંસ્કૃતિ, વેશ, પરિવેશની કોઇપણ વાત સ્પર્શયા વગર રહી નથી. પારણાં-બારણાં વિષેની કહેવતો, પહાડો, પવન, મ્યાન, કટાર, અવાર સ્ત્રીઓના ખાટાંમીઠાં ઝઘડાં, અવાર ટોપી, જડચેતન કશું જ રસૂલથી છાનું રહ્યું નથી. 8 સપ્ટેમ્બર 1923માં જન્મેલા રસૂલની કલમે અવતરેલું દાઘેસ્તાન તો માનવીય લાગણીઓથી ધબકતું હતું પણ, 3 નવેમ્બર 2003એ તેમનો દેહ વિલય થયો ત્યાં સુધીમાં તો હિંસાની ઝપેટમાં આવી ગયું. 

આત્મકથા લખતી વેળા લેખક ઘણી અસમંજસમાંથી પસાર થયા છે. એમને ખબર છે કે મારી આ કથા મારા જીવનની જ નથી પણ મારા માદરે વતનની, મારી માતૃભાષાની અસ્મિતાની છે. એક સુંદર રૂપક સાથે તે આગવી ઓળખની વાત કરે છે. “વિષય તો ભરી સંદૂક જેવા છે શબ્દ એ સંદૂકની ચાવી છે પણ, એ સંદૂકમાં દોલત પોતાની હોવી જોઇએ. કોઇની નહિ.” રસૂલ બે પક્ષીની પણ વાત કરે છે. “એક તો સાગર પક્ષી જેનો મનગમતો વિષય છે નીલસાગર અને બીજું છે કાગ, એનો વિષય છે યુદ્ધના મેદાને પડેલી લાશો. સાહિત્યને પણ પોતાનું પક્ષી છે જટાયું.”

લેખકે રવીન્દ્રનાથ ટાગોરના પક્ષીનો પણ વિહાર જોયો છે. તે કહે છે, રવીન્દ્રનાથના આત્મામાં પોતાનું એક પક્ષી હતું જે, બીજા પક્ષીઓથી જુદું હતું અને પહેલા તેનું ક્યારે ય અસ્તિત્વ ન હતું. તેમણે કલા ક્ષેત્રે તેને સ્વતંત્રપણે એવી ઉડાન ભરવા દીધી અને બધાયે જોયું કે આ ટાગોરનું પક્ષી છે. 

લેખક પહેલી વાર ઘર છોડી સફરે નીકળેલા. માએ બારીએ દીવો પ્રગટાવી રાખેલો. થોડું ચાલે અને પાછું વળી જુએ, પાછા આગળ વધે. ઝાકળની ધૂંધળાશમાં એમના ઘરના ચિરાગની નાની થતી ઝલક જોતા તેઓ પ્રવાસે આગળ વધ્યા. નાનકડી બારીમાં રાખેલો ચિરાગ વિશ્વસફરમાં એમની આંખ સામે ટમટમતો રહ્યો. ઘરે પહોંચી બારીએ જોયું તો એ ઘૂમી વળ્યા હતા એ દુનિયા બારીએ આવી ગઇ. ગુજરાતીમાં ઉમાશંકર જોશીએ  આ જ કહ્યું છે, “વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની”.

ગરૂડને લેખક પૂછે છે – ગરૂડ, તારું મનગમતું ગીત કયું ? તો ગરૂડનો જવાબ છે ઊંચા પહાડો. લેખક કહે છે પહાડી સ્ત્રી કે આંસુમાં પણ આગ છે. બંદૂકની નળી અને મ્યાનમાંથી કાઢેલા ખંજરમાં પણ આગ છે. માના હ્રદયમાં, દરેક ઘરના ચૂલામાં આગ છે. બે પહાડી સ્ત્રીઓ વચ્ચે કલહ થાય તો એકબીજાને બૂમો પાડીને કહે – તારા ચૂલામાં ક્યારે ય આગ ન રહે. તારા ચૂલામાં સળગતી આગ હોલવાઇ જાય. પહાડોની બર્ફીલી ઠંડીમાં ઉષ્માની આવશ્યકતાનું દ્યોતક છે, આ કહેવતો. ભાષા અને ભૂગોળનો નાતો જ અનેરો છે. કલમની શક્તિની વાત લેખક વેધક શબ્દોમાં કહેતા જણાવે છે કે, “શસ્ત્રની જરૂર એક જ વાર પડે પણ સાથે રાખવું પડે. કવિતાઓ જીવનભર ગવાતી રહે પણ લખાય એક જ વાર.” 

શબ્દશક્તિનો મહિમા તેમના આ વાક્યોમાં છે – “દુનિયામાં શબ્દ ન હોત તો, આજે છે એવી ન હોત. ભાષાજ્ઞાન વગર કવિતા કરતો કવિ એવો પાગલ છે કે જાણે તરતા આવડતું ન હોય તો પણ તોફાની નદીમાં કૂદી પડવું.” એકવાર પેરિસમાં દાઘેસ્તાનના ચિત્રકાર સાથે લેખકનો ભેટો થઇ ગયો. તે ચિત્રકારને ઇટાલીની છોકરી સાથે પ્રેમ થયેલો અને તેની સાથે લગ્ન કર્યા. ચિત્રકાર જ્યાં જતો ત્યાં એને ઘરની યાદ આવતી રહી. લેખકે એનું એક ચિત્ર જોયેલું. ચિત્રનું નામ હતું – માતૃભૂમિની યાદ. ચિત્રમાં હતી તેની ઇટાલિયન પત્ની. જૂના અવાર પોશાકમાં. કાંગરી વાળી ગાગર લઇને પહાડી ઝરણા પાસે ઊભી હતી. પાસે પહાડના ઢોળાવ પર પત્થરોનું ઉદાસ અવાર ગામ ચિતરેલું અને ગામ પરનો પહાડ તો એથી ય ઉદાસ હતો.

સ્થળકાળ બદલાય, ભૂપૃષ્ઠ બદલાય, ભાષા લખનાર બદલાય, પણ અચળ તો છે માનવ સંવેદના. વિવિધ ભાષાના તરજુમાઓથી ઐક્ય સાધવાનું કહેતા નારાયણ હેમચંદ્રથી પ્રેરિત થઇને ગાંધીજીએ કોશિયો સમજે તેવી ભાષા આત્મસાત કરીને સંવાદી સાહિત્ય આપ્યું. ગાંધીવાદી અસર હેઠળ ઉમાશંકર જોશીએ વિશ્વશાતિનું ગાન કર્યું. આ હતી ભારતીય ઉપખંડની વાત અને એ જ વાતનો પડઘો રસૂલ હમજાતોવના દાઘેસ્તાનમાં સંભળાયો. પન્નાલાલ પટેલે તેમના પાત્રો કાળુ અને રાજુમાં આવી જ નૈતિકતા ભાળી. આ તમામના સૂરોનો એક રાગ લોકજીભે ગુંજે તો, સર્વજન હિતાય, સર્વજન સુખાયની સ્થિતિ ખાસ દૂર નથી. 

આજે યુદ્ધોના ખપ્પરમાં હોમાતા વિશ્વને જોતાં આ આશા સાવ ઠગારી તો નહિ નિવડે ને?

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

કટોકટીના પાંચ દાયકાઃ ‘બરોડા ડાયનામાઇટ કેસ’ની વાત એ વ્યક્તિના શબ્દે જેણે જેલ બહાર જિંદગીની કટોકટી વેઠી

Opinion - Opinion|29 June 2025

કઠિન સંજોગોમાં સાંપડેલી નિરાશા સ્થાયીભાવ ન બનવો જોઇએ, બલકે તે સમયે કરાતું ચિંતન, ઝીલવો પડતો ઝુરાપો અને સંઘર્ષ તમને વધુ હકારાત્મક દૃષ્ટિકોણથી જિંદગી જીવતાં શીખવે છે. ધીરજ, આશા અને પ્રેમ અચોકસાઈના દરિયામાં જિંદગીના હોડકાંને સ્થિર રાખી શકે છે.

કિરીટ ભટ્ટ અને પ્રજ્ઞા ભટ્ટ લગ્રનગ્રંથિથી બભધાયાં ત્યારની છબિ

ઇન્દિરા ગાંધીએ 1975માં કટોકટી જાહેર કરી. આ વર્ષે કટોકટીને 50 વર્ષ પૂરાં થયાં અને લોકશાહીના એ અંધારયુગને જીવનારા, જાણનારા અને જોનારા તમામે તેને કોઈને કોઈ રીતે યાદ કર્યો. કટોકટી – એટલે કે ઇર્જમન્સીના એક 21 મહિનાના સમયગાળાને ભારતનો સૌથી વિવાદી સમય માનવામાં આવે છે. જો કે સત્તાએ બેઠેલાઓને મનફાવે ત્યારે કટોકટી પ્રકારનો માહોલ કે પાછલા બારણેથી કટોકટી પ્રકારના નિયમો લાગુ કરી દેવામાં કોઈ શરમ નથી નડતી. છતાં ય ઇન્દિરા ગાંધીની સરકારે જે કર્યું તેમાં સરમુખત્યારશાહીની તમામ હદો પાર કરી દેવાઈ હતી. કટોકટી ભારતમાં સરમુખત્યારશાહીની પરકાષ્ઠા હતી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આ પહેલાં પણ મેં લખ્યું છે કે મારા પિતા, પત્રકાર કિરીટ ભટ્ટ પણ કટોકટી દરમિયાન બરોડા ડાઇનામાઇટ કેસ દરમિયાન 14 મહિના જેલમાં હતા. આજનો આ લેખ કટોકટીની વિગતોને ફરી ઘૂંટવાના આશયથી નથી, પણ એ વાત જે મારાં મમ્મી પ્રજ્ઞા ભટ્ટે મને અનેકવાર કહી છે તે ટાંકવાના હેતુ છે. આજનો લેખ મેં લખ્યો છે એમ નહીં કહું કારણ કે શરૂઆતના આ માહોલ બાંધનારા ફકરાની નીચે જે લખાયું છે તે મારાં મમ્મી પ્રજ્ઞા ભટ્ટે આજથી દસેક વર્ષ પહેલાં મારી સતત વિનંતીઓ(આમ તો કકળાટ અને જીદ જ કહેવાય)ને પગલે ફૂલસ્કેપનાં ચાર પાનાઓમાં લખ્યું હતું. કટોકટીને 50 વર્ષ પૂરાં થયાં છે તે નિમિત્તે મારી મમ્મી, જેની વિદાયને ચાર વર્ષ થયાં છે તેના અક્ષરોમાં લખાયેલી તેની યાદોને અહીં રજૂ કરવાનું મેં નક્કી કર્યું છે. આગળનાં શબ્દો પ્રજ્ઞા ભટ્ટનાં છે;

“1976, 8મી માર્ચની ખૂબ વહેલી સવાર અને બારણે ભારેખમ ટકોરા – બારણું ખોલતાં જ રાયસિંઘાણી પોલીસ ઑફિસર અને તેમની પલટન – જોઇને થોડી નવાઈ લાગી – ત્યાં તો પાછળ જશવંતસિંહ ચૌહાણ – ઊંઘમાંથી જાગીને સંપૂર્ણ સ્વસ્થતાથી કિરીટભાઇ તો તરત જ સાવધ થઇ ગયા કારણ કે આ ઘટના અંગે પોતે તૈયાર જ હતા. હું તો આ બાબતથી અજાણ જ હતી. શું થયું? એનો જવાબ હતો જ નહીં. થોડી પૂછપરછ – ઘરમાં થોડી તલાશ-તપાસ કંઇ વાંધાજનક ન મળ્યું પણ જે વાંધાજનક હતું તે રૂમમાં બાળકો સૂતા હતાં – તેથી પોલિસ તે રૂમમાં ગઈ નહીં. પરંતુ જતા-જતા કિરીટભાઇ એટલું કહીને ગયા કે, “આ બધું” જયંતભાઈ શુક્લને ત્યાં પહોંચતું કરી દેજે. રાયસિંઘાણીએ કહ્યું કે અમે કિરીટભાઈને પોલીસ સ્ટેશને લઇ જઇએ છીએ, કલાક બે કલાકમાં આવી જશે. પણ આ કલાક બે કલાકનો સમય તો પૂરા જ 14 મહિનાનો નીકળ્યો.

સવારે છાપામાં હેડલાઇન સાથે જણીતા પત્રકાર અને બીજાઓની ધરપકડ સમાચાર જાણી લોકોના ફોન કૉલનો મારો ચાલુ થઇ ગયો અને મને તો કોઈ માહિતી જ નહીં એટલે જવાબ આપવો મુશ્કેલ હતું. બરોડા ‘સુરંગ પ્રકરણ’ તરીકે દેશમાં સમાચાર પ્રસરી ગયા. દેશદ્રોહ જેવો ગુનો કર્યો હોય એ રીતે એની ચર્ચા ‘મૂર્ખ’ માણસો કરતા. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી સામેની આ પહેલી સિંહગર્જના હતી.

કિરીટ ભટ્ટ – પ્રજ્ઞા ભટ્ટ

મેહુલ-સિબીલ પ્રાથમિક શાળામાં હતા. નાનો અવનીશ હજી આ આપત્તિથી અજાણ હતો. બાળકોના પ્રશ્નોનો એક જવાબ હતો કે, ‘તમારા પપ્પા દેશહિતમાં જેલમા ગયા છે.’ હવે મોટો પ્રશ્ન જીવનનિર્વાહનો હતો. આનો ઉકેલ પણ મિત્રોના સહકારથી સમયાંતરે મળ્યો. સ્વ. ભાઇલાલભાઇ કોન્ટ્રાક્ટરના પ્રયાસથી પ્રતાપ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં પાર્ટ ટાઇમ નોકરી મળી. તેમ જ ડૉ. સ્વ. મણિભાઈ પટેલ, સ્વ. મહેન્દ્રભાઈ દેસાઇ તેમ જ જયંતભાઈ, નિલેશભાઈ – શુક્લ પરિવારના આ વિશાળ વડલાએ અમને ખૂબ રાહત આપી. નાના મોટા તહેવારોમાં મારા બાળકોને પપ્પાની ખોટ સાલવા ન દીધી. લોકો મળવા આવવાનું પણ ટાળતા. ડૉ. ઉમાબહેન વૈષ્ણવ અને ડૉ. હર્ષદ વૈષ્ણવે પરિવારની તબિયત બાબતે કાળજી લીધી. આમ નિર્વહનનો પ્રશ્ન બધાના સહકારથી સરળ બન્યો.

એસ.આઇ.બી.ના ચીફ પી.પી. મારુનો વ્યવહાર ખૂબ મૈત્રી ભર્યો રહ્યો. સી.બી.આઇ.ના યાજ્ઞિક, જ્યોર્જનાં કાગળો કે વાંધાજનક સાહિત્ય હોય તો ખૂબ જલદી તેનો નાશ કરી દેવો તેવાં સલાહ-સૂચન આપી જતા. સી.બી.આઇ.ની રેડ ઘરમાં પડી ત્યારે આ સર્વનો વ્યવહાર ખૂબ સારો હતો. ઘરની ચીજોને નુકસાન પહોંચાડ્યું ન હતું. પણ શ્રી યાજ્ઞિકે બેંકની પાસબુકો, જે થોડી ઘણી હતી તે જોઇને ટીકા કરી કે કિટીભાઈએ તમારે નામે લાખ રૂપિયા મૂકીને પછી આ બધું કામ કરવું જોઈએ.

કિરીટ ભટ્ટ અને જ્યૉર્જ ફર્નાડિસ

કટોકટીકાળ ક્યારે પૂરો થઇ એ કહેવું મુશ્કેલ હતું. જેલમાં મળવા જવું કે કોર્ટની તારીખ હોય ત્યરે કોર્ટમાં મળવા જવું આ ક્રમ બની ગયો હતો. જામીન મંજૂર ન થયા પણ આ કેસ લડવા માટે સ્વ. પ્રબોધભાઇ ભટ્ટજીને કેમ ભૂલાય? આ કેસની કારવાઇ જેલમાં જવાની તૈયાર સાથે જ શરૂ કરી હતી. કિરીટભાઇ, વિક્રમ રાવ, સ્વ. ગોવિંદભાઈ સોલંકી, મોતીભાઈ કનોજિયા, પ્રભુદાસ પટવારી આ સર્વને જ્યારે દિલ્હી તિહાર જેલમાં ખસેડ્યા ત્યારે ખૂબ ચિંતા થઇ – કટોકટીના નામે અને કામે કેટલા ય લોકોના જીવ ગયા છે. અને જૂની અદાવતોની વસૂલાત પણ કદી થતી હતી એટલે આનું પરિણામ શું હશે? તેની કલ્પના માત્ર ધ્રૂજાવી દેતી હતી. વળી છાપામાં સમાચાર સેન્સર થઇને આવતાં. બૉક્સમાં ‘આજનો સુવિચાર’ ઇન્દિરા ગાંધીને નામે અપાતો. આમ ગાડરિયા પ્રવાહની જેમ બધું ચાલતું. અહીંના ‘લોકસત્તા’ને જીવંત રાખ્યું હોય  તો સ્વ શિવ પંડ્યાના કાર્ટૂનોએ. એં ઘણું કહી દેવાતું હતું. 

કોઇ શુભ ચોઘડિયામાં ચૂંટણી જાહેર થઇ. લોક જુવાળ, પ્રજાની જાગૃતિ અને ઉત્તેજનાએ ચૂંટણીના સમીકરણો બદલી નાખ્યાં. કેટલાક મહાનુભાવો જેલમાંથી ચૂંટણી લડ્યા કટોકટી હોવા છતાં કોઈ હિંસા કે અથડામણ વગર ચૂંટણી થઇ. અભૂતપૂર્વ મતદાનથી ન ધારેલા પરિણામો આવ્યા. ટ્રાન્ઝીસ્ટર સાથે જ રહેતો અને વહેલી સાવરે ઇન્દિરા ગાંધીની હારના સમચાર આવ્યા, ત્યારે મેહુલ-સિબિલને અવનીનો એક જ પ્રશ્ન હતો, હાશ, હવે પપ્પા ઘરે આવશેને? રાજનારાયણ સામેના ચૂંટણી લક્ષી કેસમાં ઇન્દિરાની હાર થઇ. ભગવાને ભારતમાં બાળકો, માતાઓ, પત્નીઓ અને બહેનોની પ્રાર્થના સાંભળી અને લોકસભાએ ઇતિહાસ સર્જ્યો.

મોરારજીભાઈની સરકાર રચાઇ – સુરંગ પ્રકરણ સમેટાઇ ગયું અને બધા સાથીઓ માનભેર છૂટીને વડોદરા પાછા આવ્યા, ત્યારે રેલવે સ્ટેશને અભૂતપૂર્વ સ્વાગત થયું. કેટલાક મિત્રોને વસવસો રહી ગયો કે અમને પણ સાથે લીધા હોત તો?”

જેલમાંથી છુટ્યા કેડે વડોદરા સ્ટેશન પરે લેવાયેલી છબિ

***

આ ઉપર તમે જે વાંચ્યું તે મારા મમ્મી પ્રજ્ઞા ભટ્ટે લગભગ એક દાયકા પહેલાં લખ્યું હતું. કિરીટ ભટ્ટ, ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’માં ચાર દાયકાથી વધુ સમય પત્રકાર તરીકે કામ કરનારા મારા પિતાની ઓળખ કટોકટી દરમિયાન જ્યારે તે શરૂઆતમાં વડોદરામાં હતા ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલના કાચ કેદી નંબર 1211 તરીકેની હતી. તિહાર જેલમાં પણ તેમણે જેલવાસ ભોગવ્યો. મેં મારા મોટા ભાઇ-બહેન અને મમ્મીને મોંએ સાંભળ્યું હતું કે રાજકીય કેદી – પૉલિટીકલ પ્રિઝનર હોવાને નાતે એક સમયે તેમની સાથેને વહેવાર સહેજ ઠીક થયો હતો પણ છતાં બરફની પાટો પર સુવાડવાથી માંડીને આંખો આંજી દે તેવી રોશનીના બલ્બો વચ્ચે, પોલીસનો માર પણ તેમણે વેઠ્યો હતો. મારાં માતા-પિતાએ આ સમય દરમિયાન એક બીજાને સતત પત્રો લખ્યાં. એ પત્રો વાંચીને સમજાય છે કે તેમની વચ્ચેનો સંબંધ કદાચ આ એક આધાતને કારણે બહેતર બન્યો. હું કટોકટીનાં અમુક વર્ષો પછીની પેદાશ છું, મેં જે સાંભળ્યું, જોયું એ મારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો કારણ કે પત્રકારત્વમાંથી નિવૃત્તિ લીધા પછી મારા પિતા સતત સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા. મારાં મમ્મી-પપ્પા વચ્ચેની દોસ્તી મેં જોઈ છે, તેમના ક્યારે ય નિરાશ ન થતા ચહેરાઓ તેમણે કરેલા સંઘર્ષની ચાડી ન ખાતા. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અનેક પરિવારો માટે કસોટી હતી, બીજા કોઈ વિશે બોલવાનો મને કોઈ અધિકાર નથી પણ મારાં માતા-પિતાએ જિંદગીના આ વળાંકને પોતાના સંબંધનું એક એવું સીમાચિહ્ન બનાવ્યું, જ્યાંથી બધું હંમેશાં બહેતર જ રહ્યું અને તેમણે એ જ અભિગમ અમને વારસામાં આપ્યો. કઠિન સંજોગોમાં સાંપડેલી નિરાશા સ્થાયીભાવ ન બનવો જોઇએ, બલ્કે તે સમયે કરાતું ચિંતન, ઝીલવો પડતો ઝુરાપો અને સંઘર્ષ તમને વધુ હકારાત્મક દૃષ્ટિકોણથી જિંદગી જીવતાં શીખવે છે. ધીરજ, આશા અને પ્રેમ અચોકસાઈના દરિયામાં જિંદગીના હોડકાંને સ્થિર રાખી શકે છે.

બાય ધી વેઃ

પ્રજ્ઞા ભટ્ટ

અહીં મારાં મમ્મી પપ્પાએ એકબીજાંને લખેલાં પત્રોનો અંશ રજૂ કરું છું. પત્ની  જે નામ બદલીને નોકરી કરે છે, માથા ભારે સાસરિયાંઓનાં મ્હેણાં વચ્ચે ત્રણ સંતાનોને સાચવી રહી છે, જેને ખબર નથી કે પતિ ઘરે પાછા ફરશે. તેના કાગળોમાં નિરાશા, આશા, પ્રેમ, ઝંખના બધું જ દેખાઇ આવે છે. મારાં મા-બાપનો રોમાન્સ મને બહુ કિંમતી લાગે છે કારણ કે મમ્મીના કાગળની પહેલી લીટી કંઇક આવી છે … “કિરીટ, પત્રાવલી, મિલન, મુલાકાત આ બધું સ્મરણીય બની રહેશે. ક્યાંયે શબ્દાડંબર નહીં છતાં યે, શબ્દે શબ્દે ને વાક્યે વાક્યે લાગણીઓ ટીપે ટીપે ટપકે, લાગણીઓ સુક્ષ્મ અને શબ્દાતીત છે તેની સાચી અનુભૂતિ થાય છે. ઘર અને બાળકોની ફિકર કરશો નહીં, ગાડું ગબડે છે અને ગબડશે જ ! ભગવાન પર પૂરો ભરોસો છે છતાં ય 10મીની રાત્રે થોડું રડી લીધું છાનુંમાનું!” એક પિતા જેને નથી ખબર કે તે તેના સંતાનોને ફરી ક્યારે મળશે, તે ઇચ્છે છે કે તેના સંતાનોમાં અમુક ગુણ ચોક્કસ વિકસે અને એ માટે તે પોતાના પત્રમાં લખે છે કે, “બાળકો તંદુરસ્ત રહે, પ્રામાણિક, મહેનતુ, મહાત્ત્વાકાંક્ષી, હેતુલક્ષી, હિંમતવાળા અને ગૌરવશીલ થાય એવી ભાવના સાથે ઉછેરજે અને સંભાળજે. બાકીનું બધું આપોઆપ ઠીક થઇ જશે.”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જૂન 2025

Loading

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કોનો વિજય થયો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 June 2025

રમેશ ઓઝા

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કોનો વિજય થયો? વિજયની વાત જવા દઈએ તો કોનો હાથ ઉપર રહ્યો? કોણ કોના પર ભારી પડ્યું ? ખરું પૂછો તો યુદ્ધમાં અમેરિકાએ પણ ભાગ લીધો હતો, એટલે ઉક્ત પ્રશ્ન ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન એમ ત્રણેયને લાગુ પડે છે. આનો પહેલો ઉત્તર તમે કઈ ચેનલ કે અખબાર જૂઓ છે / વાંચો છો એના પર નિર્ભર છે. મીડિયા દુનિયામાં શું બની રહ્યું છે એનાં ન્યુઝ નથી આપતાં, શું ખોટું થઈ રહ્યું છે અને કોણ ખોટું કરી રહ્યું છે એના વિષે વાત નથી કરતાં, ઊંડે ઉતરીને સત્ય જાણવાનો પ્રયાસ નથી કરતાં કે વિશદ ચર્ચા નથી કરતાં પણ ગ્રાહકોનું મનોરજન કરે છે. વાચક કે દર્શક નાગરિક નથી, ગ્રાહક છે. અને ગ્રાહક વહેંચી લેવામાં આવ્યા છે. કેટલાક નરેન્દ્ર મોદીનું સુંદર પેકેજીંગ કરીને વેચે છે અને કેટલાક તેમની ઠેકડી ઉડાડીને વેચે છે. બન્ને પાસે ગ્રાહક છે અને બીજા પ્રકારના ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. અમિત માલવિયા માટે આ ચિંતાનો વિષય છે. 

પણ સત્ય બન્નેમાંથી કોઈ જગ્યાએ મળતું નથી. એવું નથી કે પ્રામાણિક પત્રકારત્વ કરવાવાળા કોઈ બચ્યા જ નથી. એ છે અને મોટી સંખ્યામાં છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે ગ્રાહકમાંથી માણસ બનવું પડે, નાગરિક બનવું પડે. આ દુનિયામાં હું પણ એક નાનકડો ભાગીદાર છું એવી એક સમજ હોવી જોઈએ. આવી સમજ અને માણસ તરીકેની જવાબદારી તમને સાચી જગ્યાએ લઈ જઈ શકે. 

બાકી ટી.વી. ચેનલ નામનાં જલસાઘરોમાં શું નથી બતાવવામાં આવતું! ઓપરેશન સિંદુર વખતે કેટલાક લોકોએ ભક્તોને પેટ ભરીને જલસા કરાવ્યા હતા. પણ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે જલસાઘરોએ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વખતે પણ જલસા કરાવ્યા. કેમ જાણે યુદ્ધ સાથે ભારતને કોઈ સીધો સંબંધ હોય! ભક્તોની ઘરાકી ધરાવનારા જલસાઘરોને લાગ્યું કે તેમના ગ્રાહક ઇઝરાયેલ ઈરાનનો કચ્ચરઘાણ કાઢે એવું ઈચ્છે છે એટલે તેમણે ઓપરેશન સિંદુર વખતે જોવા મળ્યું હતું એમ ઈરાનની તબાહીના દૃશ્યો બતાવ્યાં અને બીજા છેડાના જલસાઘરોએ ઇઝરાયેલની તબાહીનાં દૃશ્યો બતાવ્યાં. કેટલાક ગ્રાહકોને એમ લાગે છે કે યુદ્ધમાં વિજયની વાત જવા દઈએ તો ઇઝરાયેલનો હાથ ઉપર રહ્યો અને બીજા વર્ગના ગ્રાહકોને એમ લાગે છે કે ઈરાનનો હાથ ઉપર રહ્યો છે. 

હકીકતે શું બન્યું એની વાત કરતાં પહેલાં એક પ્રશ્ન અહીં પૂછવો રહ્યો. તમને માણસમાંથી ગમાર ગ્રાહક બનવામાં શરમ નથી આવતી? એ પણ નથી સમજાતું કે જૂઠાણાં પીરસીને તમને ગદગદિયાં કરવામાં આવે છે? અને એનાથી વાસ્તવિકતા બદલાઈ જવાની છે? ક્યાં સુધી ગમારની જિંદગી જીવશો? પણ ખેર, એ વાત અહીં પૂરી કરીએ. 

સવાલ એ છે કે ઇઝરાયેલ ઈરાન (અને અમરિકા પણ) વચ્ચેના યુદ્ધમાં કોણે સરસાઈ મેળવી અને કઈ રીતે? 

વિજય ઈરાનનો થયો છે, કારણ કે ઇઝરાયેલનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે એવી ઇઝરાયેલ અમેરિકાની જે સમજ હતી અને દુનિયામાં એવી માન્યતા હતી એ બન્નેનો ભાંગીને ભૂકો થઈ ગયો. કહેવાતા આયર્ન ડૉમને ચીરીને ઈરાને ઇઝરાયેલ પર હુમલા કર્યા. ઇઝરાયેલ અને અમેરિકાએ આની કલ્પના નહોતી કરી. બીજું ગાઝાને કારણે ઇઝરાયેલે આ પહેલાં જ જગતની સહાનુભૂતિ ગુમાવી દીધી હતી અને હવે કારણ વગર ઈરાન પર હુમલો કરીને એકલું  પડી ગયું. ઈરાનના અણુકાર્યક્રમ વિષે છઠ્ઠા રાઉન્ડની ચર્ચા શરૂ થવામાં હતી ત્યારે ઇઝરાયેલે શા માટે હુમલા કર્યા? એમ કહેવાય છે કે ઇઝરાયેલનો અમેરિકાને યુદ્ધમાં ઉતારવાનો ઈરાદો હતો. એકવાર અમેરિકા યુદ્ધમાં ઉતરે તો ઈરાનની અણુતાકાતની વાર્તા કાયમ માટે પૂરી થઈ જાય અને એ રીતે ઇઝરાયેલ પરના એક માત્ર ભયનો અંત આવે. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલની આણ સ્થાપિત થઈ જાય, ગાઝા અને વેસ્ટ બેંકનો વિસ્તાર કાયમ માટે કબજે કરી શકાય, ત્યાંના મુસલમાનોને ખદેડી શકાય, અને ઈરાનમાં ખૌમેનીને હટાવીને કે મારી નાખીને અનુકૂળ નેતૃત્વ સ્થાપિત કરી શકાય. બસ પછી ભયોભયો. નેતાન્યાહુ દુ:શ્મનમુક્ત ઇઝરાયેલના આર્કિટેક્ટ તરીકે અમર થઈ જાય. 

પણ આવી કોઈ યોજના અમેરિકાને વિશ્વાસમાં લીધા વિના ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુએ અમલમાં મૂકી હોય એ શક્ય છે? શક્યતા નથી એમ જો તમે માનતા હો તો શું અમેરિકા ફરી ગયું? મારી દૃષ્ટિએ શક્યતા બન્ને છે. નેતાન્યાહુ ક્રૂર હિંસક માણસ છે જે કાંઈ પણ કરી શકે અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘડીકનો માણસ છે જે ફરી જઈ પણ શકે. ટ્રમ્પે પહેલાં ઈરાનને ધમકી આપી. શરણે થવાની અને તેહરાન ખાલી કરવાની વાત કરી. ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન કરવાની અને ખૌમેનીને મારી નાખવાની પણ વાત કરી. બે દિવસ પછી પીછેહઠ કરી અને ઈરાનને બે અઠવાડિયાની મોહલત આપી. એ દરમ્યાન ઇઝરાયેલમાં પોસ્ટર લાગ્યાં કે અમેરિકા ઈરાન પર હુમલો કરે અને ઈરાનના ચેપ્ટરનો અંત લાવે. એ પછી અમેરિકાએ ઈરાનના અણુમથકો પર હુમલા કર્યા. ઈરાને વળતા હુમલા કર્યા અને અમેરિકાએ બન્ને દેશો વચ્ચે યુદ્ધતહકુબી જાહેર કરી. ઇઝરાયેલે એ પછી પણ ઈરાન પર હુમલા કર્યા તો ટ્રમ્પે નેતાન્યાહુની ખરાબ શબ્દોમાં નિંદા કરી. ઈરાને ઇઝરાયેલને ઢીબી નાખ્યું એવું પણ કહ્યું. આ તો ભાઈ ગાંડો છે અને દુનિયામાં પણ ગાંડાઓની વણઝાર જોવા મળી રહી છે. ફારસ તો ત્યારે થયું જ્યારે ઈરાનના અણુમથકોનો વિનાશ કરવામાં આવ્યો છે એવી ટ્રમ્પની ડંફાશને અમેરિકાના જ લશ્કરી વડાએ નકારી. અમેરિકન મીડિયાએ ઈરાનના અણુમથકોની હુમલા પહેલાંની અને પછીની સેટેલાઈટ તસ્વીરો આપી અને પ્રશ્ન કર્યો કે વિનાશ બતાવો. અમેરિકન મીડિયા હજુ ગોદાસીન નથી. ટ્રમ્પની મીડિયાને અપાતી ગાળોની વીડિયો ક્લિપ્સ તમે યુટ્યુબ પર જોઈ શકો છો. ટૂંકમાં ઇઝરાયેલ ઈરાન યુદ્ધમાં ઇઝરાયેલ અને અમેરિકાનું નાક કપાયું છે અને ઈરાન અણધાર્યું વિજેતા નીવડ્યું છે. ઈરાને હવે તેની અણુનીતિમાં પરિવર્તનનો પણ ઈશારો કર્યો છે અને કહ્યું છે કે જો બહુ દાદાગીરી કરવામાં આવશે તો ઈરાન એન.પી.ટી. (નોન પ્રોલિફરેશન ટ્રીટી) અર્થાત અણુપ્રસારણ નહીં કરવાની સંધી તોડી નાખશે. આનો અર્થે થયો કે અણુશસ્ત્રો પણ બનાવશે. 

એમ કહેવાય છે કે ઈરાને ૪૦૦ કિલો એનરીચ્ડ કરેલું યુરેનિયમ અણુમથકોમાંથી કોઈક અન્ય સ્થળે સગેવગે કરી નાખ્યું છે. એમ પણ કહેવાય છે કે ઈરાનનું યુરેનિયમ બંકરોમાં એટલે અંદર સુધી દટાયેલું છે કે તે ખતમ કરવા માટે જોખમ ખેડીને લાંબા સમયનું યુદ્ધ કરવું પડે. અમારી પાસે એવી ટેકનોલોજી છે કે કોઈ અમારા ઘરની નજીક પણ ન આવી શકે અને અમારી પાસે એવી ટેકનોલોજી છે જે તમારી ધરતી પર ફરતા ઉંદરની ગતિવિધિ પર પણ નજર રાખી શકે છે એ ઈરાને, ઉત્તર કોરિયાએ, અફઘાનિસ્તાને, પાકિસ્તાને, ઈરાકે અને ત્રાસવાદીઓએ ખોટી પાડી છે. દસ વરસ સુધી ઓસામા બિન લાદેન ક્યાં છૂપાયો છે એ અમેરિકા જાણી શક્યું નહોતું. આ બધા પેદા કરવામાં આવેલા ભ્રમ ભાંગી ગયા છે. શું ગુનો કરનારા બેવકૂફ છે કે ગુનો કર્યા પછી પોતાના અડ્ડા પર બેસી રહે? મુંબઈના ગુંડાઓ પણ ગુનો કર્યા પછી પોતાના અડ્ડા પર પાછા જતા નથી. ત્રાસવાદીઓની છાવણીઓ પ્રત્યેક ત્રાસવાદી હુમલા પછી નવી જગ્યાએ શિફ્ટ થતી હોય છે. એમાં કોઈ અબજો રૂપિયાનું રોકાણ નથી હોતું કે જગ્યા બદલી ન શકાય. 

તો પછી આવા બધા ઉધામા શા માટે કરવામાં આવે છે? રાષ્ટ્રવાદની પ્રાસંગિકતાને કારણ આપવા માટે. માનવીય એકતા આધારિત માનવીય વિકાસને કેન્દ્રમાં રાખનારો જવાહરલાલ નેહરુનો નરવો રાષ્ટ્રવાદ તામસિક પ્રકૃતિ ધરાવનારાઓને માફક આવતો નથી. ફાયદો હોવા છતાં ય. તેમને તે ફિક્કો લાગે છે. તેમને તામસિક રાષ્ટ્રવાદ માફક આવે છે પછી ભલે પોતાનું નુકસાન થાય. આજકાલ તામસિક રાષ્ટ્રવાદની બોલબાળા છે. 

આ સિવાય ઇઝરાયેલ અને અમેરિકામાં એક બીજી ચીજ જોવા મળી રહી છે. આ બન્ને દેશોમાં પ્રજાકીય વિભાજન મોટા પ્રમાણમાં થયું છે અને તામસિક રાષ્ટ્રવાદનો વિરોધ કરનારાઓ અને માનવકેન્દ્રી સાત્ત્વિક રાષ્ટ્રવાદનો પુરસ્કાર કરનારાઓ સામસામે આવી ગયા છે. માત્ર ગોદીમીડિયાનું સેવન કરનારા ભક્તજનોને જાણ નહીં હોય, પણ બીજા પ્રકારના લોકો ઇઝરાયેલ અને અમેરિકામાં રસ્તા પર ઉતરી રહ્યા છે. વિશ્વપ્રસિદ્ધ વિચારક ડેવિડ એટનબરો કહે છે કે ઈઝરાયેલની સ્થાપના પછી પહેલીવાર ઇઝરાયેલમાં ઇઝરાયેલના હોવાપણા વિષે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. આવા ઇઝરાયેલ માટે ઇઝરાયેલની સ્થાપના કરવામાં આવી હતી? ૧૯૪૮ પછી ઇઝરાયેલમાં આવી વસેલા લોકો ઇઝરાયેલ છોડીને જઈ રહ્યા છે. આવા યહૂદી રાષ્ટ્રની કલ્પના તેનાં સ્થાપકોએ નહોતી કરી. વિરોધ ઉત્તરોત્તર પ્રબળ થઈ રહ્યો છે એટલે નેતાન્યાહુ પણ પોતાના સમર્થકોને પકડી રાખવા વધારે આક્રમક થયા છે. નેતાન્યાહુ માટે વાઘસવારી જેવી સ્થિતિ પેદા થઈ છે. અમેરિકામાં પંદર દિવસ પહેલાં ‘નો કિંગ’ આંદોલન થયું હતું. અમેરિકાનાં ૧,૧૦૦ નાનાં મોટાં શહેરોમાં નરવા રાષ્ટ્રવાદના પુરસ્કર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા અને તેમની સંખ્યા પચાસ હજારથી પાંચ લાખ સુધીની હતી. ટ્રમ્પની એ વીડિયો પણ જોવા મળશે જેમાં તે નો કિંગમાં ભાગ લેનારાઓને ગાળો આપે છે. 

અને ભારત? ભારતના વર્તમાન શાસકોની સહાનુભૂતિ ઇઝરાયેલ માટે છે. આજથી નહીં, ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી. હિન્દુત્વવાદીઓ માટે પ્રેરણાસ્થાન છે. પણ ભારત માટે ઈરાન એટલું જ ઉપયોગી છે જેટલું ઇઝરાયેલ છે અને ખરું પૂછો તો વધારે ઉપયોગી છે. ભારતના શાસકો નિર્ણય જ ન લઈ શક્યા કે શું કહેવું? હંમેશની ચૂપકીદી. તેમને એમ હતું કે ઈરાન પરાજિત થશે અને સત્તાપરિવર્તન થશે. આજે ઈરાનના શાસકો સાથે નરેન્દ્ર મોદી આંખ પણ મેળવી શકે એમ નથી. વૈશ્વિક રાજકારણમાં ગમાઅણગમા કેન્દ્રમાં નથી હોતા સ્વાર્થ કેન્દ્રમાં હોય છે. પણ અગેન એક ઈમેજ બનાવી અને એ ઈમેજને પસંદ કરનાર સમર્થકોની એક જમાત પેદા કરી પછી એ જમાતને રાજી રાખવી પડતી હોય છે. આ પગની બેડી છે અને અત્યારના રાષ્ટ્રવાદી શાસકો તેમાં જકડાયેલા છે. સોનિયા ગાંધીએ ‘ધ હિંદુ’માં લેખ લખીને સવાલ પૂછ્યો હતો કે ભારતની વિદેશનીતિ ક્યાં ખોવાઈ ગઈ છે? 

જવાબ શોધવો અઘરો નથી; એ નકલી રાષ્ટ્રવાદનો શિકાર બની ગઈ છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જૂન 2025

Loading

...102030...230231232233...240250260...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved