Opinion Magazine
Number of visits: 9456391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ – ૫

રામચંદ્ર ગુહા [અનુવાદ : ડંકેશ ઓઝા]|Gandhiana|3 March 2025

નહેરુને વખોડવાની કસરત જેમને ભારતના ઇતિહાસની કોઈ સમજણ કે દૃષ્ટિ નથી તેઓ કર્યા કરે છે. એ લોકો અનાયાસ કેટલાકને સારા અને કેટલાકને ખરાબ ઠેરવતા રહે છે. સામાજિક કર્મશીલોને કોઈકને કાળા, કોઈકને ધોળા ચીતરવાનું ગમતું હોય છે. અગાઉ આ લક્ષણ માકર્સવાદીઓનું હતું, હવે દુ:ખ સાથે કહેવું પડે છે કે તે પ્રબુદ્ધ પર્યાવરણવાદીઓનું પણ બન્યું છે. વ્યક્તિઓના વિચારો અને કાર્યોને સાચા સંદર્ભમાં રજૂ કરવાં જોઈએ. આ કામ ઇતિહાસકારનું છે. એવું કરતી વખતે ઇતિહાસકાર પણ ઓછાવત્તા અંશે કર્મશીલની માન્યતાઓ મુજબ કરી બેસતો હોય છે. આ અર્થમાં જ પર્યાવરણવાદીઓએ નહેરુનું ચિત્રણ કાળા રંગે કર્યું છે, જેનો હું પ્રતિવાદ કરું છું.

એ જ ભાવના સાથે ગાંધીનું જે ચિત્રણ કર્યું છે તેની પણ વાત કરી રહ્યો છું. મેં અગાઉ જણાવ્યું છે તેમ ગાંધીનું ઐતિહાસિક વ્યક્તિત્વ વિચારવૈભવથી ભરેલું છે, એમાં અન્યાયી કાયદાઓ સામેનો વિરોધ પણ છે. આ વાત પર્યાવરણ ચળવળને અંગે પણ મહત્ત્વની સાબિત થાય છે. આટલી વાત તો બિનવિવાદાસ્પદ છે. પણ હવે કદાચ એ પૂછવાનું રહે છે કે ગાંધીનો વિચાર-વારસો એવું કંઈ ધરાવે છે, જે આ ચળવળને મર્યાદિત કરે ? અથવા એથી સરળ રીતે એવું પૂછી શકાય કે આજે પર્યાવરણ અને સમાજ પુનર્નિર્માણના બધા સવાલોના જવાબ ગાંધી આપી શકે એમ છે ? કેટલાક પર્યાવરણવાદીઓ દૃઢપણે માને છે કે ગાંધીમાં બધા સવાલોના જવાબ છે. તાજેતરમાં એક મિત્રે દાવો કરેલો કે, “પ્રત્યેક પર્યાવરણ ઘટના, કટોકટી કે પડકાર સમયે ગાંધીમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે તેમ છે.” એમણે ભલે જે કહ્યું હોય તે, મારું માનવું છે કે ગાંધીમાં બધા સવાલોના જવાબ મળતા નથી અને ક્યારેક તો તેમણે સાચા પ્રશ્નો પણ ઊભા કર્યા નથી.

હવે હું મારી સ્પષ્ટતા કરું છું. પર્યાવરણ ચળવળ બાબતે મહાત્મા ગાંધીનો વારસો ખાસ કરીને બે બાબતોએ ઘણો મર્યાદિત રહ્યો છે. મોટાભાગના આપણા પર્યાવરણવાદીઓની નજર ખાસ કરીને ગ્રામીણ ક્ષિતિજો તરફ કેન્દ્રિત છે. ગાંધીની માફક તેમના આજના અનુયાયીઓને નગરના સંદર્ભની ઓછી ખબર છે. નગરના સામાજિક અને પર્યાવરણીય પ્રશ્નો વિશે તેઓ બહુ સ્પષ્ટ નથી. તેઓ જ્યારે ઉગ્રતાપૂર્વક શહેરી-ઔદ્યોગિક જીવનશૈલીની ટીકા કરે છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે સમય બદલાતાં ભારત પણ બહુ મોટી શહેરી વસતિ ધરાવતું થયું છે. જે નગરના મિત્રોના આમંત્રણથી હું અહીં આવીને બોલી રહ્યો છું તેણે આપણને આ અંગેના ઘણા પ્રશ્નોથી સભાન પણ કર્યા છે.

ઝડપી અને આડેધડ થતા શહેરીકરણને કારણે જે પર્યાવરણીય સમસ્યાઓ પેદા થાય છે તે આપણે બધા જાણીએ છીએ : ભયંકર પ્રદૂષણ, એની સાથે વધતી ગીચતા અને પેદા થતો રોગચાળો, પાણીની તીવ્ર અછત, આરોગ્ય અને ગૃહનિર્માણ અંગેની અત્યંત અપૂરતી સુવિધાઓ, ભારે બિનકાર્યક્ષમ વાહનવ્યવહાર વ્યવસ્થા – આ બધું જ ઊર્જા બચાવ, ઊર્જા સંચયન અને પર્યાવરણની દૃષ્ટિએ જોવાનું રહે છે. આ સમસ્યાઓ સામે સક્રિયતાથી ઝૂઝવામાં અને આપણાં શહેરો અને કસબાઓને સારી રીતે રહેવા યોગ્ય બનાવવામાં આપણા પર્યાવરણવાદીઓને ગાંધીમાંથી મદદ મળી શકે એમ નથી. કારણ એટલું જ કે એમની નજર ગામ તરફ હતી અને પીઠ શહેર તરફ.

નગરની માફક જંગલનું પણ ગાંધીને કોઈ આકર્ષણ નથી. પરિસર વ્યાખ્યાનમાળાના ગત વર્ષના વ્યાખ્યાનમાં બિટ્ટુ સહેગલે વિચારવંત રીતે કહેલું કે આપણા કેટલાક પર્યાવરણીય કર્મશીલો પાસે પ્રકૃતિના સંવર્ધન માટે કોઈ સમય નથી. તેઓ તે બાબતને અગ્રવર્ગની ઘેલછા તરીકે જુએ છે. વક્રોક્તિ કહી શકાય તે હદે ગાંધીને આવા ઉજ્જડ પ્રદેશ કે જંગલોની કશી પડી નથી. એ ખરું કે એમના શાકાહારીપણા અને અહિંસાની જીવનશૈલીને કારણે એમને બધા જીવો પ્રત્યે સન્માન હતું. પણ વણખેડાયેલા કુદરતી પ્રદેશોની ભવ્યતા તરફ તેમની કોઈ નજર ન હતી. એવું એ કારણે પણ હોઈ શકે કે ગાંધી અત્યંત વ્યવહારુ માણસ છે. એમને રોમેન્ટિક બાબતો સાથે ભાગ્યે જ કંઈ લેવાદેવા છે. બીજી તરફ નહેરુ બંનેમાં સૌથી વધુ રોમેન્ટિક છે. ભારતના કુદરતી સૌંદર્યથી અભિભૂત મુદ્રામાં છે. નહેરુના મૃત્યુ પૂર્વેના પોતાની ઇચ્છા દર્શાવતા લખાણમાં પણ એમને અહીંની ભૂમિ, પર્વતો, નદીઓ વગેરે સાથે કેવો અનન્ય લગાવ છે એ સુપેરે વ્યક્ત થયો છે.

ગાંધી અને નહેરુ વચ્ચેના વિરોધાભાસ દર્શાવતો એક ટુચકો એડવર્ડ થોમ્સનનો છે. તેઓ અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી અને લેખક હતા. ગાંધી અને નહેરુના ગાઢ મિત્ર પણ હતા. જ્યારે ૧૯૩૭ના અંગ્રેજ ભારતમાં જુદા જુદા પ્રાંતોમાં કૉંગ્રેસનાં મંત્રી મંડળો રચાઈ રહ્યાં હતાં ત્યારે થોમ્સને ખૂબ પ્રયત્ન કરેલો કે આ રાષ્ટ્રવાદી નેતાઓ નાશના આરે આવેલી વન્ય પ્રજાતિઓ બાબતે પણ કંઈક રસ લે. જ્યારે આ મુદ્દે થોમ્સને ગાંધી સાથે વાતચીત કરી ત્યારે મહાત્માએ એને મજાક ગણી હસી કાઢતાં કહેલું : “અમારે તો કાયમ બ્રિટિશ સિંહ જ જોઈશે.” પછી થોમ્સન તરફ જોતાં લાગ્યું કે તે નિરાશ થયા છે તેથી આગળ ઉમેર્યું કે તમે જવાહરલાાલને વાત કરો. એમને એમાં રસ પડશે. નહેરુએ ખરેખર રસ લીધો. કૉંગ્રેસશાસિત બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે એની ચર્ચા પણ કરી. વળી નહેરુએ કંઈક ગૌરવ સાથે થોમ્સનને થોડા સમય બાદ અહેવાલ આપતાં કહ્યું પણ ખરું કે મદ્રાસ પ્રાંતના મુખ્ય પ્રધાન સી. રાજગોપાલાચાર્યે હમણાં જ પેરિયાર નેચર રીઝર્વની યોજના અમલમાં મૂકવા વિચાર્યું છે.

આમ, કુદરતપ્રેમીઓ અને શહેરી પર્યાવરણવાદીઓને મહાત્મા ગાંધી તરફથી કોઈ સીધી સહાય મળે તેમ લાગતું નથી. પણ ગાંધી જંગલો અને શહેરો વચ્ચેનાં સાત લાખ ગામોમાં ખૂબ ફર્યા છે અને એ વિશે ખૂબ બોલ્યા પણ છે. એમના જીવનમાં વિચાર કરતાં અમલ વધુ મહત્ત્વનો રહ્યો છે. ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ અર્થતંત્ર અને કુદરતી પર્યાવરણ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા અને પર્યાવરણનો નાશ કરતી વિનાશક યોજનાઓનો તેમણે પ્રતિકાર પણ કર્યો છે. આમાંથી આપણે શીખવા જેવું એ છે કે આપણે શહેરમાં રહેતા હોઈએ કે જંગલમાં પણ વ્યક્તિગત રીતે આપણે સાદગીપૂર્ણ જીવન જીવીએ. તે માટે પ્રયત્ન કરીએ અને ધરતી પાસેથી શક્ય તેટલું ઓછું લઈએ. આમ એક અર્થમાં પર્યાવરણની ચળવળે મહાત્મા ગાંધી તરફ હંમેશ માટે પાછા ફરવાપણું છે. તો બીજી રીતે એમનાથી આગળ પણ જવાનું છે.

સંદર્ભો વિશે નોંધ –

ગાંધીજીનો સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથાવલીના ૯૦ જેટલા ગ્રંથો અભ્યાસપૂર્ણ છે અને પાયાની વિગતો પૂરી પાડનાર છે. મારા ગાંધીના પર્યાવરણવાદી તરીકેના પુનર્મૂલ્યાંકનના મર્યાદિત હેતુ અર્થે મેં ત્રણ મૂલ્યવાન સંપાદનો પર આધાર રાખ્યો છે.

૧.      ઇન્ડસ્ટ્રીયલાઈઝ એન્ડ પેરિશ ! – સંપાદન : આર.કે. પ્રભુ (નવજીવન, ૧૯૬૬)

૨.      વિલેજ સ્વરાજ – સંપાદન : એચ.એમ. વ્યાસ, (નવજીવન-૧૯૬૨)

૩.      માય પિક્ચર ઓફ થ્રી ઇન્ડિયા. સંપાદન : આનંદ ટી. હિંગોરાની (પર્લ પબ્લિકેશન્સ-૧૯૬૫)

જે.સી. કુમારપ્પાનાં બે મહત્ત્વનાં પુસ્તકો :

૧.      વ્હાઈ ધ વિલેજ મુવમેન્ટ ? બીજી આવૃત્તિ, હિન્દુસ્તાન પબ્લિશિંગ, ૧૯૩૮.

૨.      ધ ઈકોનોમી ઓફ પરમેનન્સ, બીજી આવૃત્તિ અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ, ૧૯૪૮

કુમારપ્પાના વિચારો વિશે મેં વિગતે ઈકોનોમીક એન્ડ પોલિટિકલ વીકલીના ૪-૧૧-જાન્યુઆરી, ૧૯૯૨ના અંકમાં લખ્યું છે.

અંતે મીરાંબહેનનાં લખાણોનું એક સુંદર પુસ્તક એમનાં સાથીદાર કૃષ્ણામૂર્તિ ગુપ્તાએ સંપાદિત કર્યું છે, જેનો મેં આધાર લીધો છે. તે વિશે ખાદી ગ્રામોદ્યોગ સામયિકના નવેમ્બર ૧૯૯૨ના અંકમાં મેં લખ્યું છે.

મીરાંબહેનના લેખોમાંથી અને અંજલિ લેખોમાંથી ચયન કરેલું પુસ્તક કૃષ્ણામૂર્તિ ગુપ્તાએ સંપાદિત કર્યું છે, જેનું શીર્ષક છે – મીરાંબહેન : જન્મ શતાબ્દી ગ્રંથ (હિમાલય સેવા સંઘ, ૧૯૯૨)

ઉપસંહાર

આ આખું વ્યાખ્યાન ૧લી ઑક્ટોબર ૧૯૯૩ના રોજ પૂણે ખાતે પરિસર વ્યાખ્યાનમાળામાં અપાયેલ, જેમાં તે પછી બહુ ઓછા ફેરફાર કરવામાં આવ્યા છે. વ્યાખ્યાને તે સમયે પણ સારી ચર્ચા જગવેલી. શ્રોતાગણમાંથી ઘણાએ વેધક ટિપ્પણીઓ – ટીકાઓ કરેલી. આ ચર્ચાઓના સંદર્ભે મેં લેખિત વ્યાખ્યાનમાં ચર્ચા સંદર્ભે કોઈ ફેરફાર કરવાનું યોગ્ય માન્યું નથી. તેમ છતાં આગળ પણ એ મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલતી રહે તે માટે ચર્ચામાં ઉપસ્થિત થયેલા મહત્ત્વના મુદ્દા નીચે રજૂ કરું છું.

સૌથી પહેલો પ્રશ્ન વસતિનો છે. એવું સૂચવાયેલું કે વસતિ વધારો નાથવામાં આપણે પૂરા સફળ થતા નથી, એ મુદ્દા પર જરૂરી ભાર મૂકી શકતા નથી. આપણી પર્યાવરણ ચળવળને તેથી પણ ઘણી અસર થાય છે. તેથી તે નિષ્ફળ રહે છે. તેનું એક કારણ એ છે કે ગાંધી પોતે જન્મદર અટકાવવાની આધુનિક પદ્ધતિઓ બાબતે ઘણું સંકુચિત વલણ ધરાવતા હતા. જો કે આ વાતનો શ્રોતાગણમાંથી જ અન્ય સભ્યોએ વિરોધ કરેલો. કહેલું કે ગાંધી જિંદગીની પવિત્રતામાં માનતા હતા. એ અર્થમાં માનવ-શરીરનું કુદરતી સન્માન જળવાવું જોઈએ તેવું માનતા હતા. તેથી જ ગર્ભનિરોધના વિરોધી હતા. આજે હોર્મોન શરીરમાં દાખલ કરવા અને ફળદ્રુપતા પેદા થાય તેવી સર્જનાત્મક ટેકનોલોજી જે પ્રમાણમાં વધી છે, તેનાથી આખરે તો મહિલાઓના અધિકારની અવગણના થાય છે. એ બધું તેમણે જોયું હોત તો ગાંધીને પોતાનો વિરોધ બળવત્તર જણાયો હોત.

વસતિના પ્રશ્નને હું સ્પર્શ્યો ન હતો. પણ મેં નગર અને ગ્રામીણ જીવનની જે વિસંવાદિતાની વાત કરી હતી તેને કેટલાકે ગાંધીના વિચારોનું અતિસરલીકરણ ગણાવ્યું હતું. એક મિત્રે ખૂબ સુંદર રીતે કહ્યું કે ગાંધીએ નગર પ્રત્યે પીઠ નહોતી કરી. તેઓ માત્ર ગામના પ્રશંસક ન હતા. પણ તેઓ પેલી વિસંવાદિતાથી ઉપરનું વિચારતા હતા, જેમાં ગામ અને શહેર બંનેનું એવું સંયોજન થાય કે ગામ અને શહેરના ભેદ ઓગળી જાય.

નહેરુ અને કુમારપ્પા વચ્ચેના મતભેદ અંગે અને સ્વતંત્ર ભારતના તે બંનેના આયોજન વિશેના વિચારો અંગે એક મિત્રે સરસ સૂચવ્યું કે તમે વિનોબા ભાવેના વિચારોની ઉપેક્ષા કરી છે. આયોજનને પેલા બે ઉપરાંત વિનોબાની નજરે પણ જોવાની જરૂર છે. એવું પણ સૂચવાયું કે કુમારપ્પા ચોખલિયા હતા અને એમની ગાંધી વિશેની સમજ ઘણી સંકીર્ણ હતી. એમાંથી એમનું એક આગવું કલ્પનાજગત ઊભું થયેલું હતું. જેને પરિણામે તેઓ નહેરુના આધુનિક વિકાસના વિચારોને સ્વીકારી નહિ શકેલા. વિનોબા આ વાત બરાબર સમજેલા. ૧૯૫૦ના દસકમાં ભારત વ્યાપક રીતે નહેરુના વિચારોની તરફેણમાં હતું તે સમજી શકેલા. પરિણામે વિનોબાએ આર્થિક વિકાસની તરાહને સમયોચિત માનીને તેનો ઇન્કાર પણ નહોતો કર્યો અને તેની ઉપેક્ષા પણ નહોતી કરી. પરંતુ વિનોબાનો પ્રયાસ વિકાસને ઊંચે લઈ જવાનો અને તીવ્રતાને મૃદુ બનાવવા તરફનો રહ્યો. આ અર્થમાં એવું પણ કહી શકાય કે વિનોબા ગાંધી અને નહેરુના વિચારોની વચ્ચે કડીરૂપ બની રહ્યા.

એકંદરે મને મિત્રો દ્વારા એ યાદ દેવડાવવામાં આવ્યું કે નહેરુની સાથે જે વ્યાપક બૌદ્ધિક સર્વસંમતિ હતી એ વધુ પડતા મોટા ઔદ્યોગિકીકરણની આવશ્યકતા સંદર્ભે જ ન હતી. પણ ખાસ તો વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંદર્ભે એ સર્વસંમતિ હતી. બૌદ્ધિકો માનતા હતા કે માનવને જ્ઞાનમાં અમર્યાદ રીતે આગળ વધવામાં આધુનિક વિજ્ઞાન જરૂરી છે. આધુનિક ટેકનોલોજીથી જ વ્યાપક સમાજનું કલ્યાણ શક્ય બનશે. એટલે નહેરુ મોડેલને વિકાસના મોડેલ તરીકે જોવાય છે ત્યારે તેના પાયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સંયોજનની સ્વીકૃતિ પડેલી છે. વિકાસ પ્રક્રિયાનો એ માર્ગ છે. જો કે આજે બની એવું આવ્યું છે કે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના દાવાઓ પોકળ પુરવાર થયા છે. કારણ કે તે બે દ્વારા વ્યાપક પ્રજાનું વ્યાપક કલ્યાણ થયું નથી. પણ કેટલાક અગ્ર વર્ગના હાથમાં સત્તા અને સમૃદ્ધિ કેન્દ્રિત થયાં છે. એ વર્ગ પર્યાવરણના સામૂહિક વિનાશ માટે જવાબદાર છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ફેબ્રુઆરી 2025; પૃ. 09-10

Loading

સોક્રેટિસ ઉવાચ-૪ : સોક્રેટિસ અને એક ભારતીય મુસ્લિમ વચ્ચે વધુ એક કાલ્પનિક સંવાદ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|3 March 2025

પ્રવીણભાઈ જે. પટેલ

સોક્રેટિસ અને એક ભારતીય મુસ્લિમ વચ્ચેના આ પહેલાંના એક કાલ્પનિક સંવાદમાં ભારતના મુસલમાનોની સ્ત્રીઓમાં  હિજાબ અને બુરખો પહેરવાના તથા પુરુષોમાં દાઢી રાખવા જેવા રિવાજ વિષે ચર્ચા થઈ હતી. અને સોક્રેટિસે બહુ સરસ દલીલો કરીને પોતાના ભારતીય મુસ્લિમ મિત્રને સમજાવ્યું હતું કે વર્તમાન સમયમાં જો આવી પ્રથાઓથી મુસ્લિમ સ્ત્રીઓના વ્યક્તિગત પસંદગીના અધિકાર પર કાપ મુકાતો હોય, શીલ-મર્યાદાની રક્ષા માત્ર સ્ત્રીઓની જ જવાબદારી બની જતી હોય, અને વ્યાપક સમાજ સાથેના મુસ્લિમ સમુદાયના જોડાણમાં અવરોધો ઊભા થતા હોય તો તે અંગે તેમણે ગંભીરતાથી પુનર્વિચાર કરવો જોઈએ. વધુમાં, સોક્રેટિસે એમ પણ સમજાવ્યું હતું કે જો ભારતીય મુસ્લિમોની આગવી પહેચાન દેખાડનાર આવાં બાહ્ય ચિહ્નોથી સામાજિક-રાજકીય તણાવ ઊભો થતો હોય તો તેમણે તેવાં ચિહ્નો જાળવી રાખવાનો આગ્રહ છોડીને તેમની આજુબાજુના સમાજ સાથે અનુકૂલન વધારવાના રસ્તા વિચારવા જોઈએ.

હવે અહીં આપેલા બીજા કાલ્પનિક સંવાદમાં મુસ્લિમ સમુદાયની ગૌમાંસ ખાવાની, બહુ પત્નીત્વની અને તીન તલાક જેવી કેટલીક પ્રથાઓના વાજબીપણાની સમીક્ષા કરવામાં આવી છે. સોક્રેટિસ આવી પ્રથાઓની આધુનિક સમાજમાં સુસંગતતા વિશે તેમની આગવી ઈલેન્કસ (elenchus) શૈલીમાં  ઊલટ તપાસ કરે છે. અને સંવાદનો અંત, સોક્રેટિસના આવા સંવાદોની ખાસિયત મુજબ, એક બૌદ્ધિક મડાગાંઠ એટલે કે એપોરીયા(aporia)માં પરિણમે છે, જે આવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે વધુ ગહન ચિંતન કરવા પ્રેરે છે.

•••••

પાર્શ્વ ભૂમિ : સોક્રેટિસ સ્વર્ગના એક બગીચામાં ટહેલતા હતા ત્યાં એમનો પરિચિત ભારતીય મુસ્લિમ આવી ચઢે છે અને સોક્રેટિસ સાથે વાતોએ વળગે છે.

ભારતીય મુસ્લિમ : સોક્રેટિસ, તમારી વાતો વાજબી લાગતી હોવા છતાં મને હજુ પણ કેટલાક પ્રશ્નો મૂંઝવે છે.

સોક્રેટિસ : કઈ એવી સમસ્યાઓ છે જે તમને મૂંઝવે છે? ચાલો આપણે તેની પણ ચર્ચા કરીએ. કારણ કે, સંવાદથી જ શાણપણ વધે છે.

ભારતીય મુસ્લિમ : અમારી આસપાસના વ્યાપક સમાજ સાથે અનુકૂલન સાધવા માટે અમારે કેટકેટલી બાંધછોડ કરવાની ! અમારી એવી ઘણી પરંપરાઓ છે જે બીજા સમુદાયોથી જુદી પડે છે. જ્યારે અમારી આવી બધી પરંપરાઓ પર હુમલા થાય છે, ત્યારે મને તો ક્યારેક એમ લાગે છે કે આવી પરિસ્થિતિમાં અમારે અમારી પરંપરાઓને મક્કમ થઈને વળગી રહેવું જોઈએ, એ જ એકમાત્ર વિકલ્પ છે. સમાધાનને ક્યારેક નબળાઈ માની લેવામાં આવે છે. થોડું પણ સમાધાન જાણે કે વધુ ને વધુ સમાધાન કરવા માટેનું આમંત્રણ બની જાય છે. કહે છે ને કે, ‘આ બૈલ મુઝે માર.’

સોક્રેટિસ : ખરેખર, આ એક વિચારવા જેવી સમસ્યા છે, મારા મિત્ર. પરંતુ પહેલાં, મને તમે જણાવો કે તમને તમારી બીજી કઈ પ્રથાઓ વિષે ચિંતા છે?

ભારતીય મુસ્લિમ : અમારી ગૌમાંસ ખાવાની આદત તથા બહુપત્નીત્વ અને તીન તલાક જેવી પ્રથાઓ અમારી સંસ્કૃતિના અભિન્ન ભાગો છે. તેથી ઘણા લોકો અમારા પર આધુનિક સમાજમાં ન ભળી જવાનો એટલે કે પછાત હોવાનો આરોપ લગાવે છે. પણ આવા રિવાજોનો ત્યાગ કરવો એટલે અમારી ઓળખ જ છોડી દેવા જેવું મને લાગે છે.

સોક્રેટિસ : તમે માનો છો કે આ પ્રથાઓ તમારી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા માટે જરૂરી છે?

ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. આ રિવાજો અમારી માન્યતાઓ સાથે જોડાયેલી છે. અમે સદીઓથી તેમનું પાલન કરતા આવ્યા છીએ.

સોક્રેટિસ : બિરાદર, તમે માનો છો કે આ પ્રથાઓ સદીઓથી ચાલી આવતી તમારી માન્યતાઓ સાથે જોડાયેલી છે. પરંતુ ચાલો આપણે એ વિષે વિચારીએ. શું આ રિવાજોનું પાલન એ તમારી ધાર્મિક ઓળખને જાળવવાનો એકમાત્ર રસ્તો છે?

ભારતીય મુસ્લિમ : પરંતુ જો અમે ગૌમાંસ ખાવાનું છોડી દઈએ, બહુપત્નીત્વ અને તીન તલાક જેવી પ્રથાઓ છોડી દઈએ તો અમારી વિશિષ્ટતા શું રહે?

સોક્રેટિસ : કદાચ તમારા ધર્મનો સાર આવા બાહ્યાચારોમાં નહીં પણ ન્યાય, કરુણા, અને ધર્મનિષ્ઠા જેવા મુખ્ય સિદ્ધાંતોમાં રહેલો છે. શું કોઈ વૃક્ષનાં મૂળિયાં મજબૂત હોય તો તેની કેટલીક ડાળીઓ કાપી નાંખવામાં આવે તો તે  ટકી ન શકે?

ભારતીય મુસ્લિમ : વિચારમાં પડી જાય છે.

સોક્રેટિસ : શું તમારે બીફ જ ખાવું એવો દૈવી આદેશ છે?

ભારતીય મુસ્લિમ : ના. કુરઆનમાં બીફનો ઉલ્લેખ નથી.૧

સોક્રેટિસ : તો એ એક રિવાજ છે. તમે વિચાર કરો કે ઘણા હિન્દુઓ ગાયને માતા સમજે છે. તેઓ ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવા છાશવારે માંગણી પણ કરે છે. અને ભારતનાં ઘણાં રાજ્યોમાં, હિન્દુ બહુમતીની માન્યતાઓનો આદર કરવા માટે, ગૌમાંસ કે ગૌહત્યા પર પ્રતિબંધ છે. તો બીફથી દૂર રહેવાથી, શું તમારો ધર્મ નબળો પડે છે?

ભારતીય મુસ્લિમ : તમે એમ સૂચવો છો કે અમે ગૌમાંસ ખાવાનું છોડીને પણ અમારી ધાર્મિક આસ્થાને  જાળવી શકીએ છીએ?

સોક્રેટિસ : ચોક્કસ. કેમ નહીં?

ભારતીય મુસ્લિમ : પરંતુ આવી છૂટછાટ સ્વીકારવી એટલે બહુમતીના સામાજિક દબાણ સામે ઝૂકી જવા જેવું લાગે છે.

સોક્રેટિસ : શું આવા અનુકૂલનમાં નમ્રતા પણ નથી?  જ્યારે પર્વતોની સાથે અથડાવાનું થાય છે ત્યારે સૌથી મોટી નદી પણ માર્ગ બદલી નાખે છે. અને ભયાનક તોફાન સામે ઘેઘૂર વૃક્ષ પણ ઝૂકી જાય છે. આવું અનુકૂલન હારની નિશાની નથી; તે શાણપણનું ચિહ્ન છે.

ભારતીય મુસ્લિમ : તો પછી અમારા બહુપત્નીત્વ અને તીન તલાક જેવા રિવાજોનું શું? આ રિવાજો તો અમારા કાયદા અને પરંપરા દ્વારા માન્ય છે.

સોક્રેટિસ : ચાલો, આપણે તેની પણ ચર્ચા કરીએ. તમે માનો છો કે બહુપત્નીત્વને કુરઆનની મંજૂરી છે.

ભારતીય મુસ્લિમ : ચોક્કસ, સોક્રેટિસ. કુરઆન સ્પષ્ટપણે તેની મંજૂરી આપે છે. એક પુરુષ વધુમાં વધુ ચાર પત્નીઓ રાખી શકે છે. અનેક પુરુષો આમ કરતા આવ્યા છે. અને તેમાં મોહમ્મદ પયગંબર સાહેબનો પણ સમાવેશ થાય છે.

સોક્રેટિસ : ઓહ, તમે માનો છો કે પયગંબર મોહમ્મદના જમાનામાં થયેલ લગ્નો બહુપત્નીત્વને ન્યાયી ઠેરવવા માટે એક ઉત્તમ ઉદાહરણ ગણી શકાય?

ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. પયગંબર સાહેબે વિધવાઓનું રક્ષણ કરવા અને બીજા કબીલાઓ સાથે સામાજિક-રાજકીય ગઠબંધન બનાવવા માટે એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં.૩ અને તે અમારા માટે એક મિસાલ છે. બહુપત્નીત્વની છૂટ અમુક ચોક્કસ પરિસ્થિતિઓના વ્યવહારુ ઉકેલ તરીકે ઉપયોગી છે. ખાસ કરીને યુદ્ધ અથવા અંધાધૂંધીના સમયમાં જ્યારે અનેક સ્ત્રીઓ વિધવા થાય અને બાળકો અનાથ થઈ જાય ત્યારે તેમને રક્ષણની જરૂર હોય છે. બહુપત્નીત્વ આવી સ્ત્રીઓ અને બાળકોને આશ્રય અને રક્ષણ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે. પુરુષો એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરીને તેમને જરૂરી સલામતી પૂરી પાડી શકે છે.

સોક્રેટિસ : તો એવું લાગે છે કે બહુપત્નીત્વ, ઐતિહાસિક રીતે વાજબી હતું. તે જૂના સમયની કેટલીક ગંભીર સામાજિક સમસ્યાઓનું સમાધાન હતું. પરંતુ, જો યુદ્ધ અને રાજકીય અસ્થિરતા તથા તેમાંથી પેદા થતી કેટલીક સામાજિક અને આર્થિક હાડમારી ન હોય, પરિસ્થિતિઓ અલગ હોય, તો પણ શું બહુપત્નીત્વ જરૂરી રહેશે?

ભારતીય મુસ્લિમ : કદાચ નહીં, સોક્રેટિસ. જો સમાજ બધા લોકો માટે સમાન તકો અને રક્ષણ પૂરું પાડવા સક્ષમ હોય, વિકસિત હોય, તો બહુપત્નીત્વનું ઐતિહાસિક વાજબીપણું રહે નહીં.

સોક્રેટિસ : તો પછી શું એમ નથી લાગતું કે તમારા સમાજે આજની બદલાયેલી પરિસ્થિતિઓમાં, ઐતિહાસિક ઉકેલોને વળગી રહેવા કરતાં પોતાની પ્રથાઓને બદલવી જોઈએ?

ભારતીય મુસ્લિમ : હા. એમ થઈ શકે. પરંતુ બહુપત્નીત્વનો વિકલ્પ એવા લોકો માટે રહે છે જેઓ ખરેખર માને છે કે તેઓ ન્યાયની શરત પૂરી કરી શકે છે. કુરઆનમાં આદેશ છે કે પુરુષે પોતાની બધી પત્નીઓ સાથે ન્યાયી વ્યવહાર કરવો જોઈએ.૪

સોક્રેટિસ : ચાલો, આપણે આ વિશે વધુ જાણીએ. તમે કહો છો કે બધી પત્નીઓ સાથે ન્યાયી વ્યવહાર કરવો એ બહુપત્નીત્વ માટેની  મુખ્ય શરત છે. શું ‘ન્યાય’નો તમારો મતલબ દરેક પત્ની સાથે બધી બાબતોમાં સમાન વર્તન કરવાનો નથી?

ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની શરત એ છે કે પતિએ તેની બધી પત્નીઓ પર એકસરખું ધ્યાન આપવું જોઈએ, તેમને એક સરખો પ્રેમ કરવો જોઈએ અને આદર આપવો જોઈએ.

સોક્રેટિસ : અને શું ન્યાયની આ શરત બધા કિસ્સામાં સરળતાથી પૂરી થાય તેવી છે?

ભારતીય મુસ્લિમ : જરૂરી નથી. હકીકતમાં, કુરઆન ચેતવણી આપે છે કે જો કોઈ પુરુષને ડર હોય કે તે ન્યાયી વ્યવહાર ન કરી શકે, તો તેણે ફક્ત એક જ લગ્ન કરવું જોઈએ.૫

સોક્રેટિસ : તો, કુરઆન પરવાનગી પણ આપે છે અને પ્રતિબંધ પણ લગાવે છે. બરાબર?

ભારતીય મુસ્લિમ : હા. પરંતુ જેઓ માને છે કે તેઓ આ શરત પૂરી કરી શકે છે તેમના માટે આવી પરવાનગી તો છે જ.

સોક્રેટિસ : અને કોણ નક્કી કરે છે કે કોઈ માણસ આ શરત પૂરી કરી શકે છે કે નહીં? શું જે માણસ એકથી વધુ લગ્ન કરવા માંગે છે તે પોતે જ આ નક્કી કરતો નથી?

ભારતીય મુસ્લિમ : હા, આખરે તો તે માણસે જ નક્કી કરવાનું છે.

સોક્રેટિસ : તો મને કહો, મિત્ર, શું કોઈ માણસ પોતે જ પોતાને ન્યાયી ઠેરવતો ન્યાયાધીશ થઈ શકે ?

ભારતીય મુસ્લિમ : ના, સોક્રેટિસ. મનુષ્ય પક્ષપાત કરી શકે છે, પોતાની જાતને છેતરી પણ શકે છે.

સોક્રેટિસ : તો પછી, જો માણસ પક્ષપાતનો કે આત્મવંચનાનો શિકાર બની શકતો હોય, તો શું એવો ભય નથી રહેતો કે કોઈ માણસ ખરેખર ન્યાયી ન હોવા છતાં પણ એક કરતાં વધુ પત્નીઓ કરવાની લાલચ રાખતો હોય?

ભારતીય મુસ્લિમ : તેવો ખતરો તો રહે જ છે.

સોક્રેટિસ : તો, આપણે એક વિરોધાભાસ પર આવીએ છીએ. કુરઆન કડક શરતો હેઠળ બહુપત્નીત્વની મંજૂરી આપે છે, છતાં માનવીનો સ્વભાવ આવી શરતોને પૂર્ણ કરવાનું ખૂબ જ કપરું બનાવે છે.

ભારતીય મુસ્લિમ : તમે એમ કહી શકો છો, સોક્રેટિસ. આદર્શ તો એકપત્નીત્વ જ હોઈ શકે છે. પરંતુ અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં આવી પરવાનગી મળી શકે છે, જો પુરુષ તેની બધી પત્નીઓ સાથે ન્યાય કરી શકતો હોય તો. પયગંબર સાહેબનું વલણ નિશંક તેમની પત્નીઓ સાથે ન્યાયી હતું.

સોક્રેટિસ : મિત્ર, બહુપત્નીઓ ધરાવતા પુરુષના પરિવાર પર આર્થિક બોજો વધુ નથી હોતો?

ભારતીય મુસ્લિમ : હા, વધુ પત્નીઓ અને બાળકો હોવાથી પુરુષ પર ભારે આર્થિક ભારણ પડી શકે છે. પણ કુરઆનના આદેશ મુજબ પુરુષે તેની બધી પત્નીઓને સમાન રીતે ખોરાક, કપડાં, આશ્રય, અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ.

સોક્રેટિસ : મને કહો, મિત્ર, જો કોઈ પુરુષ પાસે મર્યાદિત સંસાધનો હોય, તો શું તે વાસ્તવમાં તેના મોટા પરિવારનું સારી રીતે પાલન કરી શકે ?

ભારતીય મુસ્લિમ : ના, સોક્રેટિસ. જો સંસાધનો ઓછાં હોય, તો મોટા કુટુંબનું પાલન કરવું મુશ્કેલ થઈ પડે.

સોક્રેટિસ : અને જ્યારે પૂરા કુટુંબને પહોંચી ન વળાય ત્યારે શું થાય? શું કેટલીક પત્નીઓ અને બાળકોને તેમની જરૂરિયાત કરતાં ઓછું ન મળે ? અને જો પત્ની કે બાળકને મૂળભૂત જરૂરિયાતોનો અભાવ હોય, તો શું આનાથી રોષ અને અસંતોષ પેદા ન થાય?

ભારતીય મુસ્લિમ : હા, સોક્રેટિસ. નાણાંકીય મુશ્કેલીઓને કારણે પરિવારમાં કંકાસ થઈ શકે છે.

સોક્રેટિસ : તો પછી શું બહુપત્નીત્વ, જ્યારે આર્થિક મુશ્કેલીઓમાં પરિણમે છે, ત્યારે પરિવારોને ગરીબી અને દુ:ખના ચક્રમાં ફસાવાનું જોખમ નથી ઊભું કરતું?

ભારતીય મુસ્લિમ : વિચારમાં પડે છે.

સોક્રેટિસ : ચાલો હવે આપણે બહુપત્નીત્વની માનસિક અસરો પર વિચારીએ. બહુપત્નીઓ ધરાવતા કોઈ પુરુષની કોઈ એક પત્નીને જ્યારે લાગે કે તેનો પતિ બીજી પત્નીને વધુ પ્રેમ કરે છે, ત્યારે શું થાય?

ભારતીય મુસ્લિમ : તે સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે. તેને માનસિક ત્રાસ થાય, અને કદાચ તેને ઇર્ષ્યા થાય કે રોષ પણ આવે. અને આવી લાગણીઓને કારણે કદાચ કૌટુંબિક સંબંધોમાં ભંગાણ પણ પડી શકે છે.

સોક્રેટિસ : તો શું તેની અસર બાળકો પર ન પડી શકે?

ભારતીય મુસ્લિમ : ચોક્કસ. બાળકો ઘણાં સમજદાર હોય છે; તેઓ તેમનાં માતાપિતા વચ્ચેના તણાવ અને તકરારને અનુભવી શકે છે. જો કુટુંબમાં સતત તણાવ રહેતો હોય તો તેથી બાળકોની માનસિક અને વર્તણૂક સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

સોક્રેટિસ : તો પછી, મારા સાહેબ, તમને એવું નથી લાગતું કે બહુપત્નીત્વની પ્રથામાં ફક્ત જીવનસાથીઓ પર જ નહીં પરંતુ ભાવિ પેઢીને પણ નુકસાન પહોંચાડવાનું જોખમ રહેલું છે? શું આથી પરિવારની સુખાકારીને નુકસાન નથી થતું?

ભારતીય મુસ્લિમ : તો પછી તીન તલાકનું શું? આ તો અમારા કાયદા અને પરંપરા દ્વારા માન્ય છે. ઇસ્લામમાં લગ્ન એક પવિત્ર કરાર છે, પરસ્પર આદર અને સમજણ પર આધારિત ભાગીદારી છે. અને જ્યારે આ ભાગીદારી મુશ્કેલીમાં મુકાય ત્યારે કુરાનમાં છૂટાછેડાની જોગવાઈ છે.૬

સોક્રેટિસ : આ જોગવાઈમાં શું તીન તલાકનો સ્પષ્ટ ઉલ્લેખ છે?

ભારતીય મુસ્લિમ : ના. માત્ર છૂટાછેડાનો ઉલ્લેખ છે. પરંતુ, મુસલમાનોમાં પુરુષ ત્રણ વખત તલાક બોલીને તેની પત્નીને છૂટાછેડા આપી શકે તેવી પ્રથા છે.

સોક્રેટિસ : તો તલાકની છૂટ છે, પણ તીન તલાકની નહીં. એટલે, આ એ એક પરંપરા છે, કુરાનનો સ્પષ્ટ આદેશ નથી. બરાબર?

ભારતીય મુસ્લિમ : હા, તે સાચું છે. કુરાનમાં છૂટાછેડાની અનુમતિ છે. પણ તેમાં તીન તલાકનો ચોખ્ખો ઉલ્લેખ નથી.  તેથી મુસ્લિમ સમુદાયમાં પણ તે એક વિવાદાસ્પદ પ્રથા ગણાય છે.

સોક્રેટિસ : અચ્છા. તો પણ ચાલો આપણે આ પ્રથા વિષે વિચારીએ. મને કહો, મિત્ર, શું ત્રણ તલાકની પ્રથા સ્ત્રીને પણ તેના પતિને છૂટાછેડા આપવાનો અધિકાર આપે છે?

ભારતીય મુસ્લિમ : ના, એવું નથી. આવો અધિકાર ફક્ત પુરુષને જ આપવામાં આવ્યો છે.૭

જો કે, ઇસ્લામમાં સ્ત્રીઓને ખુલા તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા છૂટાછેડા મેળવવાનો અધિકાર છે.

સોક્રેટિસ : તો, પુરુષો તાત્કાલિક લગ્નનો અંત લાવી શકે છે, પરંતુ સ્ત્રીઓ નહીં. આવી પ્રથા શું પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતા દર્શાવે છે?

ભારતીય મુસ્લિમ : ના. પરંતુ કેટલાક લોકો માને છે કે પરિવારમાં પુરુષોએ વધુ જવાબદારીઓ નિભાવવાની હોવાથી તેમને વધુ અધિકાર મળવા જોઈએ.

સોક્રેટિસ : હા, કેટલાક કિસ્સાઓમાં પરિવારમાં પુરુષોની જવાબદારીઓ વધુ હોય છે. પણ મને કહો, શું આવી જવાબદારીઓને કારણે પુરુષોને સ્ત્રીઓ પર જોહુકમી કરવાનો અધિકાર મળે છે? જો કોઈ પુરુષ તેની પત્નીની સંમતિ વિના તાત્કાલિક જ લગ્ન બંધન તોડી શકે, તો શું આ તેની  સ્ત્રી ઉપરની જોહુકમી ન કહેવાય?

ભારતીય મુસ્લિમ : ના, તેવું ન હોવું જોઈએ.

સોક્રેટિસ : ચાલો, આપણે બીજા મુદ્દા પર વિચાર કરીએ, મિત્ર. જ્યારે કોઈ પુરુષ તેની પત્નીને ત્રણ તલાક દ્વારા છૂટાછેડા આપે છે, ત્યારે શું સ્ત્રીને પોતાનો કેસ રજૂ કરવાની અથવા સમાધાન કરવાની કોઈ તક મળે છે?

ભારતીય મુસ્લિમ : ના, પુરુષનો આવો નિર્ણય અંતિમ ગણાય છે અને તે તાબડતોબ લાગુ પડે છે.

સોક્રેટિસ : તો તમે મને કહો, શું કોઈ સ્ત્રીના સમગ્ર જીવનને અસર કરતા નિર્ણયમાં તેનો પક્ષ રજૂ કરવાનો ઇન્‌કાર કરવો તે અન્યાય ન કહેવાય?

ભારતીય મુસ્લિમ : હા, તે નાઇન્સાફી છે.

સોક્રેટિસ : અને જો ન્યાયનો ઇન્‌કાર કરવામાં આવે તો શું તેથી સ્ત્રીને દુ:ખ અને રોષ ન થાય? શું તેથી સ્ત્રીના આદર અને ગૌરવને હાનિ ન પહોંચે? અને જો કોઈ પ્રથા સ્ત્રીના આદર અને ગૌરવને નબળી પાડતી હોય, તો શું તેના પર સવાલ ઉઠાવવો જોઈએ નહીં?

ભારતીય મુસ્લિમ :  હા, તે થવું જોઈએ. અને ઘણા સમજુ મુસલમાનો તેનો વિરોધ કરે છે.

સોક્રેટિસ : તો પછી, મિત્ર, શું તમારા સમાજ માટે એવી વ્યવસ્થા શોધવી જરૂરી નથી કે જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનું ગૌરવ જળવાય અને બંને સાથે ન્યાયી વ્યવહાર કરવામાં આવે?

ભારતીય મુસ્લિમ : હા, તે વધુ સારું રહેશે. પરંતુ પરંપરાઓ બદલવી મુશ્કેલ છે.

સોક્રેટિસ : ખરેખર, પરિવર્તન મુશ્કેલ છે. પરંતુ મને કહો, શું કોઈને અન્યાય કરવો તે વાજબી કહેવાય? જો કોઈ સ્ત્રીને અચાનક છૂટાછેડા આપી દેવામાં આવે, તો શું તેની પાસે પોતાને અને તેનાં બાળકો માટે નાણાંકીય સહાય મેળવવા માટે કોઈ સાધન હોય છે?

ભારતીય મુસ્લિમ : ના, ક્યારેક એવું નથી હોતું. ક્યારેક પુરુષો તલાક પછી નાણાંકીય સહાય પૂરી પાડવાનો ઇન્‌કાર કરે છે. કેટલીક સ્ત્રીઓ ગરીબીમાં સરી પડે છે અથવા તેમના પૈતૃક પરિવાર પર નિર્ભર બની જાય છે.

સોક્રેટિસ : અને મને કહો, શું આવું પરિણામ સ્ત્રીના નિર્ણયનું છે કે પુરુષના નિર્ણયનું?

ભારતીય મુસ્લિમ : તે પુરુષના નિર્ણયનું પરિણામ છે.

સોક્રેટિસ : હવે, તમે વિચારો કે જે સ્ત્રીને અચાનક તેનો પતિ  ત્રણ વાર તલાક, તલાક, તલાક કહીને છોડી દે અને તે સ્ત્રી એકદમ નિરાધાર થઈ જાય તો તેની માનસિક સ્થિતિ કેવી થઈ જાય?

ભારતીય મુસ્લિમ : ખરાબ. તેને માટે આવું  અપમાન આઘાત-જનક અને અસહ્ય થઈ પડે.

સોક્રેટિસ : અને બાળકોનું શું? જ્યારે તેમનો પરિવાર અચાનક વિખેરાઈ જાય ત્યારે તેમને કેવું લાગે?

ભારતીય મુસ્લિમ : હા, તેમને ખૂબ પીડા થઈ શકે છે. તેમનામાં મૂંઝવણ, ચિંતા, અને અસુરક્ષાની ભાવના પેદા કરી શકે છે.

સોક્રેટિસ : તો, ત્રણ તલાક માત્ર સ્ત્રીને જ નહીં પણ બાળકોને પણ નુકસાન પહોંચાડે છે?

ભારતીય મુસ્લિમ : હા, તે આખા પરિવારને અસર કરે છે.

સોક્રેટિસ : શું આ સ્ત્રીઓ અને બાળકોને થતું નુકસાન તમારા ધર્મમાં રહેલા કરુણા અને દયા, જરૂરિયાતમંદોની સંભાળ, ક્ષમા અને સમાધાન જેવા માનવીય સિદ્ધાંતો અનુસાર કહેવાય?૮

ભારતીય મુસ્લિમ : ના, હરગિજ નહીં.

સોક્રેટિસ : હવે આપણે બીજો પણ વિચાર કરીએ. જો કોઈ પુરુષ આટલી સરળતાથી ત્રણ તલાક બોલીને છૂટાછેડા લઈ શકે, તો શું તેનો દુરુપયોગ થવાનું જોખમ નથી? કદાચ ગુસ્સામાં કે નાની નાની બાબતોમાં મતભેદ થવાથી તેની પત્નીને છૂટાછેડા આપી દે તે યોગ્ય કહેવાય?

ભારતીય મુસ્લિમ : હા, એવું થાય છે.

સોક્રેટિસ : જો કોઈ પ્રથા માત્ર સ્ત્રીને જ નહીં પણ સમગ્ર પરિવારને આર્થિક રીતે નુકસાન પહોંચાડે, માનસિક તકલીફ આપે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે તો શું તમારા પવિત્ર કુરાનમાં જે ન્યાયીપણાનો આદેશ આપવામાં આવ્યો છે તેની સાથે સુસંગત છે?

ભારતીય મુસ્લિમ : ના, હરગિજ નહીં.

સોક્રેટિસ : તો પછી, મિત્ર, ન્યાય અને કરુણા માટે પ્રતિબદ્ધ સમાજે આવી પ્રથાનો અંત લાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ?

ભારતીય મુસ્લિમ : તમે સાચા છો, સોક્રેટિસ. મારે કબૂલ કરવું પડશે કે તમારી દલીલોનો કાટ શોધવો મુશ્કેલ હોય છે. પરંતુ, તકલીફ એ છે, સોક્રેટિસ, કે અમારી કોમના કેટલાક લોકોને ડર છે કે જો અમે વધારે પડતું અનુકૂલન કરીશું, તો અમે અમારી પહેચાન બિલકુલ ગુમાવી દઈશું.

સોક્રેટિસ : મિત્ર, સાચી ઓળખ પુરાણા અને નિરર્થક રિવાજોના પાલનમાં છે કે માનવતાનો સંદેશ આપતા પોતાના ધર્મના સનાતન સિદ્ધાંતોના પાલનમાં છે?

ભારતીય મુસ્લિમ : હા, કદાચ અમે તે સિદ્ધાંતો પર વધુ ધ્યાન આપીએ તો અમારી આગવી ઓળખ ગુમાવ્યા વિના પણ અનુકૂલન સાધી શકીએ.

સોક્રેટિસ : મિત્ર, સમાધાન એ શરણાગતિ નથી. જો તમારો ધ્યેય શાંતિ અને સુમેળમાં રહીને પ્રગતિ કરવાનો હોય તો શું સતત અથડામણ કરતા રહેવા કરતાં વ્યાપક સમાજ સાથે સમાયોજન કરવું વધુ હિતાવહ નથી?

ભારતીય મુસ્લિમ વિચારે ચઢી જાય છે.

નોંધ સૂચિ

૧.      કુરઆનમાં માન્ય (હલાલ) અને પ્રતિબંધિત (હરામ) ખોરાક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને તે મુસ્લિમોને ઇસ્લામિક આહાર કાયદાઓ અનુસાર કતલ કરવામાં આવેલ પશુઓનું માંસ ખાવાની મંજૂરી આપે છે. પરંતુ, તેમાં ગૌમાંસ ખાવાનો કોઈ ઉલ્લેખ નથી (૨:૧૭૩, ૫:૩)
૨.      ભારતનાં અનેક રાજ્યોએ  ગૌહત્યા અને ગૌમાંસ પર પ્રતિબંધ મૂકેલો છે.
૩.      (i) કુરઆન પુરુષોને વધુમાં વધુ ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની મંજૂરી આપે છે. પરંતુ બધી પત્નીઓ સાથે ન્યાયી વ્યવહાર કરવા પર ભાર મૂકે છે. અને જો તેઓ એમ ના કરી શકતા હોય તો તેમણે ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરવાં જોઈએ (૪:૩). પયગંબર મોહમ્મદને અગિયાર પત્નીઓ હતી. તેમનાં નામ નીચે મુજબ છે :  ૧. ખદીજાહ બિન્ત ખુવાયલિદ (Khadijah bint Khuwaylid), ૨. સવદાહ બિન્ત ઝમાઆ (Sawdah bint Zam’ah), ૩. આયશા બિન્ત અબી બક્ર (Aisha bint Abi Bakr), ૪. હફસા બિન્ત ઉમર (Hafsa bint Umar),, ૫. ઝૈનબ બિન્ત ખુઝાયમા (Zaynab bint Khuzayma), ૬. સલમા બિન્ત અબી ઉમય્યા(Salma bint Abi Umayya) ૭. ઝૈનબ  બિન્ત જહશ (Zaynab bint Jahsh), ૮. જુવેરિયા બિન્ત અલ-હરિથ (6 Juwayriya bint al-Harith), ૯. સફીયા બિન્ત હુયાય (Safiyya bint Huyayy), ૧૦. હબીબા બિન્ત અબી સુફયાન(Bint Abi Sufyan), અને ૧૧. મયમુનાહ બિન્ત અલ-હરિથ (Maymunah bint al-Harith). કુરઆનમાં જણાવ્યા મુજબ (૩૩:૬) મુસ્લિમો પયગંબર મોહમ્મદની બધી પત્નીઓને ‘આસ્થાવાનોની માતા’ (ઉમ્મ-અલ-મુ’મિનીન) તરીકે ઓળખે છે. (ii) જોકે, તુર્કી અને ટ્યુનિશીયા જેવા કેટલાક મુસ્લિમ દેશોએ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકેલો છે.
૪.      કુરઆનમાં લગ્નને સ્થિર અને નૈતિક સમાજના પાયા તરીકે જોવામાં આવે છે. કુરઆન ન્યાય, પ્રેમ, કરુણા અને પરસ્પર સહાયને પ્રોત્સાહન આપે છે (૪:૧, ૪:૧૩૫, ૨૧:૧૦૭, ૩૦:૨૧).
૫.      કુરઆન (૪:૩).
૬.      કુરઆન (૨:૨૨૯, ૨૩૧, ૬૫:૧).
૭.     (i) ત્રણ તલાકનો રિવાજ, ઇસ્લામિક કાયદામાં તાત્કાલિક છૂટાછેડાનો એક પ્રકાર છે. પરંપરાગત રીતે એક મુસ્લિમ પુરુષ એક સાથે ત્રણ વખત ‘તલાક’ (છૂટાછેડા) ઉચ્ચારીને લગ્નને તાત્કાલિક અને કાયમી અસરથી તોડી શકે છે. આ પ્રથાનો કુરઆનમાં ઉલ્લેખ નથી. પરંતુ, ઇસ્લામિક ન્યાયશાસ્ત્ર અને હદીસ (પયગંબર મોહમ્મદનાં કથનો) દ્વારા સમય જતાં તે રિવાજ વિકસ્યો છે. જો કે, આ પ્રથા મહિલાઓ માટે અન્યાયી હોવાથી તેની વ્યાપક ટીકા કરવામાં આવે છે અને તેના દુરુપયોગની સંભાવના અને તે માટેની યોગ્ય પ્રક્રિયાના અભાવને કારણે તેના વિષે મોટા વિવાદ ચાલે છે. (ii) તાજેતરનાં વર્ષોમાં, તેમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ઉદાહરણ તરીકે, ભારતની સુપ્રીમ કોર્ટે ઈ.સ. ૨૦૧૭માં ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. વધુમાં, મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ આ પ્રથાને ગુનાહિત બનાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે તાત્કાલિક ત્રણ તલાક હવે ભારતમાં કાયદેસર રીતે માન્ય નથી, અને તે મુસ્લિમ મહિલાઓને વધુ અધિકારો અને સુરક્ષા પૂરી પાડે છે.
૮.      કુરઆનમાં કરુણા અને દયા (૨૧:૧૦૭) , જરૂરિયાતમંદોની સંભાળ (૧૦૭:૧-૩), ક્ષમા અને સમાધાન (૭:૧૯૯) જેવા માનવતાવાદી સિદ્ધાંતોનું મહિમામંડન કરવામાં આવ્યું છે.

સંદર્ભ ગ્રંથ: 

(i) મૌલાના અબુલઆ’લા મૌદૂદી (રહ.), ૨૦૨૧, દિવ્ય કુરઆન (ગુજરાતી અનુવાદ), ઇસ્લામી સાહિત્ય પ્રકાશન, અહમદાબાદ. (ii) https://en.wikipedia.org/wiki/WivesofMuhammad
૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા-390 002
ઈ-મેલ:pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ફેબ્રુઆરી 2025; પૃ. 04-08

Loading

નવી જન્મેલી મા

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|3 March 2025

વર્ષોથી કેનેડામાં વસી ગયેલી પન્નાએ બહુ હોંશ કરીને બાને અહીં બોલાવ્યાં હતાં. બાની વધતી જતી ઉંમર જોતાં એને થતું હતું કે, હમણાં નહીં આવે તો બા ક્યારે ય એનો સુખી સંસાર જોવા નહીં આવી શકે. થોડી આનાકાની પછી બા આવવા તૈયાર થયાં હતાં અને આવીને ખુશ પણ હતાં. પહેલેથી જ એમને દરેક વસ્તુમાં રસ એટલે પન્નાનાં બાળકો પાસે રોજ અંગ્રેજી શીખવાની કોશિશ કરતાં અને પન્ના સાથે મોલમાં પણ જતાં.

બાને આનંદમાં જોઈને પન્ના રાજી હતી કે, ચાલો, અહીં બાનો સમય સરસ પસાર થઈ જશે. એના પતિ વિપુલને અમેરિકા જવાનું થયું ત્યારે પન્નાએ કહ્યું, “તું તારે નિરાંતે જા. અહીંની ચિંતા ન કરીશ. બાને ફાવી ગયું છે,” પણ હજી તો એને ગયાને માંડ બે દિવસ થયા ત્યાં અડધી રાતે બાને પેટમાં દુ:ખાવો ઊપડ્યો. એટલો સખત દુ:ખાવો કે એ બેવડ વળીને રડવા લાગ્યાં. પન્નાનો જીવ તાળવે ચોંટી ગયો. હંમેશાં હસતાં રહેતાં બા આ રીતે રડે એ ચિંતા ઉપજાવે એવું હતું. જે સૂઝ્યા એ બધા ઘરના ઉપચાર કરી જોયા પણ એમની સ્થિતિમાં કંઈ ફરક ન પડ્યો.

સવાર પડતાં સુધીમાં તો સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે, પન્નાએ એમને હૉસ્પિટલમાં લઈ જવાં પડ્યાં. ફરજ પરના ડોક્ટરે તપાસીને કહ્યું, “એમને સ્ટમક ફ્લુ થયો છે. બહુ હેવી ઈંફેક્શન છે, વળી ઉંમર પણ વધારે છે એટલે અહીં રાખીને જ સારવાર આપવી પડશે. ઓછામાં ઓછા ચાર-પાંચ દિવસ તો રહેવું જ પડશે.”

પન્ના ગભરાઈ ગઈ. હવે શું કરીશ? વિપુલ પણ નથી, છોકરાંઓને સ્કૂલે મોકલવાં, રસોઈ બનાવવી, જોબ પર જવું – આ બધામાં મારાથી આખો દિવસ બા પાસે થોડું બેસી રહેવાશે? એક મીઠડી નર્સે એને હિંમત આપતાં કહ્યું, “ડોંટ વરી. વી વીલ ટેક કેર ઓફ હર.”

પન્ના જાણતી હતી કે, બાને આ નવા વાતાવરણમાં સ્પેશિયલ રૂમમાં તદ્દન એકલાં રહેવું નહીં ફાવે. એ પોતે તો હવે જોબ પરથી છૂટીને સાંજે જ આવી શકશે. એણે બાને પૂછ્યું, “બા, તમને બીજા કોઈ સાથે રૂમ શેર કરવાનું ગમશે?”

અત્યાર સુધીમાં મળેલી સારવારને કારણે બાને થોડી રાહત લાગતી હતી. એમણે કહ્યું, “હા હોં બાપા, હાવ એકલાં પડ્યાં રે’વાનું તો મને જરા ય નો ગમે. કોઈ રૂમમાં હોય તો જરા વસ્તી ય લાગે ને બોલો-ચાલો ય રે.’

વસ્તી લાગે એ તો બરાબર, પણ બોલવા-ચાલવાનું રહે એવી બાની અપેક્ષા ફળે એમ નહોતું કેમ કે, બાના રૂમના બીજા ખાટલામાં એક ચીનો હતો. કદાચ એ થોડું-ઘણું અંગ્રેજી જાણતો હતો પણ બોલતો એવી રીતે કે, ચીની ભાષા બોલતો હોય એવું જ લાગતું. પહેલો દિવસ તો બંનેના જાત જાતના ટેસ્ટ અને સારવારમાં ગયો એટલે એકમેક વિશે જાણવાની જિજ્ઞાસા થાય એવું નહોતું. સાંજે પન્ના આવી એ ભેગી બાએ ફરિયાદ કરી, “આ ચીનાનું નામ શું હશે, ભગવાન જાણે પણ આખો વખત બેલ મારી મારીને નર્સને જ બોલાવ્યા કરે છે. વારે-ઘડીએ પથારી પણ બગાડી મૂકે છે. પેલી ય બચાડી થાકે કે નઈ?”

પન્નાએ હસીને કહ્યું, “એનું નામ તો મને ય નથી ખબર, પણ ચીનો છે એટલે આપણે એને ચેન કહીશું, ને બા, તમને એની સાથે ન ફાવતું હોય તો રૂમ બદલાવી નાખીએ.”

“ના રે, ઈ મને કંઈ નડતો નથ, ને મારે ક્યાં એની હારે જન્મારો કાઢવો છે?”

બીજે દિવસે બાની તબિયતમાં સારો એવો સુધારો લાગતો હતો એટલે એ ચેન વિશે વિચારવા લાગ્યાં. ‘કોણ જાણે કેટલા દિવસથી અહીં પડ્યો હશે! એને કોઈ મળવા ય આવતું હોય એવું લાગતું નથી. એને એકલતા લાગતી હશે એટલે જ વારે-ઘડીએ વગર કારણે નર્સને બોલાવ બોલાવ કર્યા કરે છે. હશે, એનું એ જાણે, મારે શું?’ આવું બધું વિચારતાં બપોરના સમયે બાની આંખ જરા મળી ત્યાં તો ચેને એકધારી બેલ વગાડીને એમની ઊંઘ ઉડાડી મૂકી.

“એ ય ચેન્યા, ચૂપ કર. તારા સિવાય રૂમમાં બીજું પણ કોઈ છે એનું ભાન નથી?” બાના ગુજરાતીમાં બોલાયેલા વાક્યમાં તો ચેનને કંઈ સમજ ન પડી પણ એમણે જે રીતે હોઠ પર આંગળી મૂકીને ગુસ્સાથી કહ્યું એનાથી એ ગભરાઈને શાંત થઈ ગયો. એના ચૂપ થવાથી બાને તાન ચઢ્યું હોય એમ બોલ્યાં, “ખબરદાર જો હવે મારી ઊંઘ ખરાબ કરી છે તો! ઊંચકીને રૂમની બહાર ફેંકી દઈશ.”

જાણે ચમત્કાર થયો હોય એમ બીજા દિવસથી ચેને બેલ મારવાનું સાવ ઓછું કરી નાખ્યું. પોતાનાથી આ અજાણ્યા છોકરા પર ગુસ્સો થઈ ગયો એ બદલ પસ્તાતાં હોય એમ બાએ ઈશારાથી પૂછ્યું, “તને કાં કોઈ મળવા નથી આવતું?”

હવે બેઉ વચ્ચે ભાષા અંતરાયરૂપ નહોતી બનતી. એણે કહ્યું, “મારું કોઈ નથી. આ દુનિયામાં સાવ એકલો છું. બાને લાગ્યું, જાણે બોલતી વખતે એની આંખો ભીની થઈ ગઈ હતી.”

“હશે ભાઈ, આ દુનિયામાં જેનું કોઈ નથી એનો ઉપરવાળો છે. ચાલ, ચેનુડા, હવે થોડી વાર સૂવાની કોશિશ કર.”

“કેવી રીતે સૂઉં? ઊંઘ નથી આવતી.”

“જો, આમ કરીને આમ.” બાએ આંખો મીંચીને એવી રીતે બતાવ્યું જાણે એ નાનું બાળક હોય.

“તમને જોઈને મને મા યાદ આવે છે. એ પણ તમારી જેમ જ મને ધમકાવતી ને પછી આમ જ પ્રેમથી સમજાવતી. આ મા પોતાના સંતાનને મૂકીને જતી કેમ રહેતી હશે?”

“મા કદી પોતાના બાળકથી દૂર જતી નથી. જો, તું આંખો બંધ કર. જ્યાં સુધી તારી માનો ચહેરો ન દેખાય ત્યાં સુધી ખોલતો નહીં.”

થોડી વારમાં તો બાને ચેનનાં નસકોરાંનો અવાજ સંભળાયો. બાએ ઊંડા સંતોષથી ગાઢ નીંદરમાં સૂતેલા ચેન સામે જોયું અને મનોમન બોલ્યાં, “રોયા, મને મા કહીને તેં તો મને બાંધી લીધી. એવું લાગ્યું કે, જાણે આજે જ મારી સુવાવડ થઈ છે ને આજે ફરીથી હું મા બની છું – દીકરાને ઠપકો આપવામાંથી જન્મેલી એક મા.”

એમના ચહેરા પર મમતાભર્યું સ્મિત હતું.

(હંસા દીપની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 24

Loading

...102030...230231232233...240250260...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved