Opinion Magazine
Number of visits: 9663926
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 July 2025

સેમ્યુઅલ હંટિંગ્ટનનો ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’નો મુદ્દો ખાસો ચગ્યો છે, પણ નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આદિને સંભારીને ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન’ની સંજીવની આપણને સાંભરતી નથી

પ્રકાશ ન. શાહ

વાત અલબત્ત 26મી જૂન 1975થી 2025ની પચાસ વરસી આસપાસ ચાલતી હશે. પણ તવલીન સિંહે એમની કોલમમાં 1963ની 26મી જૂન યાદ કરી : તે તારીખે તત્કાલીન અમેરિકી પ્રમુખ કેનેડીએ પશ્ચિમ બર્લિનમાં યાદગાર પ્રવચન કર્યું હતું. કેનેડીએ સરસ કહ્યું હતું ત્યારે કે ‘સ્વતંત્રતાના મારગમાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે, અને લોકશાહી પણ કંઈ સર્વાંગસંપૂર્ણ નથી; પણ આપણે કદાપિ આપણા લોકોને મુલકમાં બાંધી રાખવા સારુ દીવાલ ખડી કરવી પડતી નથી.’

કેનેડી તે દિવસે બર્લિનમાં બોલી રહ્યા હતા. એ એવા દિવસો હતા જ્યારે સોવિયત રશિયાના પ્રભાવક્ષેત્ર એટલે કે પૂર્વ જર્મનીએ બે’ક વરસ પર (1961 અધવચ) પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે 155 કિલોમીટર લાંબી દીવાલ ચણી લીધી હતી; કેમ કે પૂર્વની કંઈક બંધ દુનિયામાંથી પશ્ચિમ બર્લિનમાં અને તે વાટે યુરોપ-અમેરિકામાં ખુલ્લી દુનિયામાં નોકરીધંધાના ઉઘાડ વાસ્તે, કંઈક મુક્ત શ્વાસ સારુ જવા માટે એકધારો ધસારો ચાલુ હતો. દીવાલ ઊભી કરાઈ તે પૂર્વે સહેજે પાંત્રીસ લાખ લોકો પૂર્વ જર્મની છોડી ગયા હશે એવો અંદાજ છે.

જ્હોન કેનેડી

વસ્તુત: બેઉ બાજુએ હતા તો જર્મનો જ. પણ બીજા વિશ્વયુદ્ધને અંતે રશિયાએ અને બાકી મહાસત્તાઓએ જે વહેંચણી સમજૂતી કરી તેને અન્વયે જર્મનીના ભાગલા પડ્યા હતા અને એ રીતે પૂર્વ જર્મની સામ્યવાદી શૃંખલામાં હતું. કેનેડીએ 1963માં દીવાલનો ઉલ્લેખ કર્યો તે જેમ હકીકત હતી તેમ એક રૂપક પણ હતું.

1990માં બર્લિનની દીવાલ પણ ગઈ અને બેઉ જર્મની પણ એક થઈ ગયા. પણ હું 1985માં બંને જર્મનીમાં ફર્યો ત્યારે સામાન્ય નાગરિકને ભાગ્યે જ કલ્પના હતી કે અમે એક થઈ શકીશું. જે પણ સંવાદતકો મને મળી એમાં સાંભળવા મળતો સૂર અલગ રાજકીય એકમ પણ ભાવનાત્મક એકતા તરેહનો હતો. 

પૂર્વ જર્મનીમાં મેં જોયું કે મોટી સંખ્યામાં રૂસના યુવા સૈનિકો સતત તૈનાત હતા. પશ્ચિમ જર્મનીનાં ટી.વી. પ્રસારણ પૂર્વ જર્મનીમાં ઝીલી શકાતાં હતાં અને તે આ સૈનિકો તબિયતથી જોતા હતા. એટલે પશ્ચિમ બર્લિનમાં મીડિયાકર્મીઓ જોડે વાત કરવાનું થાય ત્યારે મેં કહ્યું કે ‘રૂસી યુવાનોને ખુલ્લી દુનિયાનો પરિચય થાય છે તે કેટલું સારું છે! વતન પાછા ફરશે ત્યારે જરૂર મુક્તિનો સ્પંદ લઈને જશે.’ 

એક બુઝુર્ગ જર્મને જો કે વિરોધસૂર નોંધાવ્યો: ‘અમારા ટી.વી. કાર્યક્રમોમાં મેટ્રોસેક્સ્યુઅલ ખટાટોપ હોય છે જે વાસ્તવમાં ‘મુક્ત સમાજ’નો એક અંશ માત્ર છે. અમારી લોકશાહીની ધડકન, એના ચડાવઉતાર, સામાન્ય માણસની રોજમર્રાની જદ્દોજહદ … બધું મેટ્રોસેક્સ્યુઅલ ઢોલનગારાં વચ્ચે દબાઈ જાય છે. એટલે પૂર્વ જર્મનીમાં તૈનાત રૂસી યુવા સૈનિકો ‘મુક્ત દુનિયા’નું વિકૃત નહીં તો પણ ખંડદર્શન લઈને જશે, એનું શું.’

આ તો સમાજદર્શન થયું. પણ સમાજ અને મુલક બંધાય કેમના, તમે પૂછશો. જવાબમાં વળી કેનેડી પાસે જઉં. એમણે એક વક્તવ્યમાં એ મુદ્દે રાજીપો ને કૌતુક પ્રગટ કીધાં હતાં કે ‘આપણો દેશ, આપણું આ અમેરિકા, વાસ્તવમાં ‘વિદેશી નાગરિકોનો દેશ’ છે. ક્યાં ક્યાંથી આવ્યા અને ઠલવાયા છીએ આપણે … યુરોપભરમાંથી, લેટિન અમેરિકાથી, વળી આફ્રિકી-અમેરિકા એશિયાઈ, કેટકેટલા.’ 

પરંતુ આ જે બહુલતાનો સમાદર, કેટલું કાઠું કામ છે. અમેરિકાની સિવિલ રાઈટ્સ ચળવળનો જ વિચાર કરો ને. દર્શકે એમના અંતિમ પર્વમાં ‘મુક્તિમંગલા’ નવલકથા લખવા માંડી હતી. 2001માં એ ગયા ત્યારે સાહિત્ય પરિષદના પત્ર ‘પરબ’માં એ પાંચ હપ્તે અટકી ગઈ હતી. એમને આ નવલકથા લખવાનું ખેંચાણ એ મુદ્દે હતું કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, લિંકન કાળમાં, આફ્રિકી-અમેરકી બાંધ‌વોના બચાવ બાબતે (અને ગુલામી નાબૂદીનાં દ્વાર ખોલવા બાબતે) સામસામે બે ગોરી ફોજ ટકરાઈ હતી. એક રીતે, આ કૌરવ-પાંડવના મહાભારતને કદાચ બાજુએ મૂકી દે એવું મહાભારત હતું અને છે. 

વાત લિંકનથી અટકી નથી. આગળ ચાલતાં કેનેડીના સમયમાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં નવી ભોં ભાંગી અને પછી 2009-2017નાં વર્ષોમાં તો આફ્રિકી-અમેરિકી બરાક હૂસેન ઓબામાને આપણે પ્રમુખ તરીકે જોયા.

જે એક ચર્ચા ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’(સેમ્યુઅલ હંટિંગ્ટન, 1996)ને ધોરણે ચાલે છે એનુંયે કંઈક વજૂદ હોઈ શકે છે. પણ તે સાથે, તમે જુઓ, પ્રજાઓ, સમાજો પોતાની અંદરની મથામણથી ગુણાત્મક રીતે આગળ વધે છે. વિનોબા જેને ક્રાંતિની લલિતકળા તરીકે ઓળખાવવાનું કદાચ પસંદ કરે એવી આ ઇતિહાસ પ્રક્રિયા ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ની છે. નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આ બધાં ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ના ઉત્તમ નમૂના છે.

ગમે તેમ પણ નવી દુનિયામાં પ્રજાઓની આવનજાવન એવી ને એટલી હોવાની છે કે એમાં નાગરિક માત્રના અધિકારના સ્વીકાર-સમાદર પર સ્થિત બંધારણીય રાષ્ટ્રવાદની રૂએ જ ચાલવાપણું હોવાનું છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 09 જુલાઈ 2025

Loading

સ્વતંત્રતાનાં પગરણ સમયે

મનુબહેન ગાંધી|Gandhiana|8 July 2025

મનુબહેન ગાંધી અને ગાંધીજી

સાડા નવે ટ્રેન ઊપડ્યા પછી મેં બાપુજીને ખાવાનું આપ્યું. બધો સામાન બાજુના નાનકડા ખાનામાં મૂક્યો હતો. હું ખાવાનું લઈને આવી ત્યારે બાપુજીએ મને કહ્યું, “તું ક્યાં હતી?” મેં કહ્યું, “હું આપના માટે દૂધ ગરમ કરતી હતી.” બાપુજીએ બહાર જોવાનું કહ્યું, પણ હું સમજી નહીં. મને બાપુજીએ પૂછ્યું, “આ બીજા ખાના માટે તેં કોઈને કંઈ કહ્યું હતું?” મેં કહ્યું : “હા, બાપુજી, આપણે અહીં બધું રાખીએ તો આપને ગરબડ થશે, આથી મેં શ્રીબાબુને કહ્યું હતું કે બે ખાનાં હોય તો વધુ સારું.” 

આથી બાપુજી વધુ નારાજ થયા. “કેવો લૂલો બચાવ ? આંધળો પ્રેમ તે આનું નામ. તને ખબર છે ને કે વાઇસરોયે મને એરોપ્લેનમાં આવવાનું આગ્રહપૂર્વક કહ્યું, અને તેની મેં ના પાડી. એથી બિચારી મૃદુલાએ સ્પેશિયલ જોડાવવાની હું હા પાડું એટલા માટે પોતાની અનેક યુક્તિઓ અજમાવી, આજીજી કરી. પણ મેં સમજાવ્યું કે, એમાં કેટલી બધી ગાડીઓને મારી ગાડી માટે થોભવું પડે અને ખર્ચના ખાડામાં ઊતરવું પડે ! હિન્દુસ્તાનના હજારો ગરીબો જો એરોપ્લેનમાં ન બેસે તો મારાથી કેમ બેસાય ?”

“આથી સ્પેશિયલની તો ના જ પાડી. તેં આજે જેમ એક ખાનું વધારે માગ્યું છે તેમ જો મારા માટે સલૂન માગ્યું હોત તો તે પણ મળત. પણ એ તને અને મને શોભત? હું જાણું છું કે, તું મારા પરના પ્રેમને વશ થઈને મારી કાળજી રાખી રહી છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પાડવી.”

બાપુજી ખૂબ દુઃખથી—વ્યથાથી એકશ્વાસે બોલતા હતા. મારી આંખમાંથી આંસુની ધાર ચાલી. મેં મન ખૂબ મક્કમ રાખવા પ્રયત્ન કર્યો, પણ ન રહી શકયું.

બાપુજી કહે, “જો તું સમજી ગઈ હોત તો રડવું ન આવત.” મને ભય તો એ હતો કે, મારી ભૂલને માટે બાપુજી રખેને કંઈક આકરું પગલું ભરે – ઉપવાસ કરશે તો ? કારણ કે બાપુજી હંમેશાં બીજાની કરેલી ભૂલને પોતે જ ભૂલ કરી છે એમ માનતા અને એનું પ્રાયશ્ચિત્ત પોતે કરતા.

આમ કરતાં મિરજાપુર સ્ટેશન આવ્યું. માસ્તરને બોલાવ્યા. મારી બધી વાત કહી : “મારી પૌત્રી છે, બિચારી ભોળીભલી છે. મારા ઉપર પ્રેમ અને ભક્તિ રાખે છે, એટલે મને કેમ ઓછી તકલીફ થાય તે માટે પોતાની અક્કલ દોડાવ્યા કરે છે.  પણ એને ખબર નથી કે આમાં મને વધુ તકલીફ છે. હવે આ સામાન લઈ આ ખાનાનો ઉપયોગ બીજાં પૅસેંજરો માટે કરો.”

પરંતુ સ્ટેશન-માસ્તરે આજીજી કરી કે, “આપ કહો તો હું બીજો ડબો જોડી આપું.”

બાપુજી કહે, “બીજો ડબો તો જોડો જ; પણ જરૂરિયાત કરતાં વધુ ચીજો વાપરવી એ પણ હિંસા છે, ચોરી છે, પરિગ્રહ છે. અને મળતી ચીજોનો દુરુપયોગ કરાવી આ છોકરીને બગાડવા માગો છો?” અંતે સ્ટેશન-માસ્તર બિચારા શરમાઈ ગયા અને મેં તો ચુપચાપ સામાન ફેરવી નાખ્યો. અમારા ડબ્બામાં ભીડ તો થઈ છે, પણ તે બાપુજીને ગમ્યું. મને કહે, “મેં તને કેટલો મોટો પાઠ આપ્યો? તું એને સમજપૂર્વક લેવાને બદલે રડી પડી એ મને ન ગમ્યું.”

મેં કહ્યું,  મને બીક એ લાગી કે, મારા વાંકને આપ પોતે માથે ઓઢી લઈ ઉપવાસ કે કંઈક એવી જાતનું પગલું ભરો તો ?” મને પ્રેમથી થાબડીને કહે, “ એવો હું ગાંડો છું?”

**

પ્રાર્થનામાંથી આવીને બાપુજીએ પ્રવચન લખ્યું. ખૂબ ગરમીને કારણે ઠંડા પાણીને સ્પંજ કર્યો, માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂક્યાં. ડૉકટર સાહેબે તો બરફ જ મંગાવ્યો હતો, પણ બાપુજીએ એવું ખોટું ખર્ચ કરવાની ના કહી અને માટલા ઉપર ભીના પાણીનો કટકો બંધાવ્યો. એ પાણીનાં જ પોતાં માથા પર મૂકાવ્યાં. એટલે અર્ધા-અર્ધા કલાકે બાપુજીનો ટુવાલ અને માટલાનો ટુવાલ બદલવાને રહે છે. ડૉ. સાહેબ મને કહે, “બાપુજીએ તારી પ્રવૃત્તિ વધારી દીધી. રોજ એક રૂપિયાને બરફ મંગાવી લે તો આખો દહાડો ચાલે ને ? અને બાપુજીને પણ ઠંડક વધુ મળશે.”

બાપુજીની સામે જ આ વાત કહી એટલે બાપુજી ખડખડાટ હસતા હસતા કહે, “તમે તો કમાઓ છો, તમારા દીકરાઓ પણ કમાય છે. પણ આ છોકરીને કે મને કોઈ પગાર દેતું નથી, એટલે એ છોકરી બરફ ક્યાંથી મંગાવે? અને આપણે ક્યાં એવાં સુંવાળાં છીએ કે એટલી બધી જરૂર પણ હોય? આ ભીનું કપડું વીંટાળીએ એટલે બરફનાં પાણીનું કામ સરે.”

08 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 357

Loading

આ બધા પુરસ્કાર શેના માટે?

રમેશ સવાણી|Opinion - Opinion|8 July 2025

રમેશ સવાણી

કોઈ પણ વ્યક્તિનું સન્માન થાય ત્યારે તેના ગામ / સમુદાય / દેશનું સન્માન થતું હોય છે. સન્માન માટે હંમેશાં અભૂતપૂર્વ કામગીરી / માનવ સમાજ માટે ઘસાઈને ઊજળા થવા માટે થતું હોય છે. સન્માન તો પરિશ્રમનો બદલો છે, મૂલ્યાંકન છે. 

નોબેલ પારિતોષિક જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી માટે આપવામાં આવે છે. જેમને આ સન્માન મળે છે તે વિશ્વ કક્ષાએ સન્માન પામે છે. સ્વીકૃતિ પામે છે. મેગ્સેસે પુરસ્કાર પણ જુદા જુદા ક્ષેત્રોમાં નોંધનીય કામગીરી માટે અપાય છે. જે પત્રકારત્વ ક્ષેત્રમાં રવિશકુમારને મળેલ છે. જો કે મેગ્સેસે પુરસ્કાર યોગ્ય વ્યક્તિને જ મળે છે એવું નથી. સામાજિક નેતૃત્વમાં પાંડુરંગ શાસ્ત્રીને મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો તે ખોટી પ્રચાર ઝૂંબેશના કારણે મળેલ. જો કે મોટાભાગે આ પુરસ્કારો યોગ્ય વ્યક્તિઓને મળતા હોય છે. 

દેશના વડા પ્રધાનને પણ બીજા દેશ તરફથી સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે છે. આ પ્રકારના સન્માન / પુરસ્કાર કોઈ વિશિષ્ટ કામગીરી માટે નહીં પણ સન્માન મેળવનાર વડા પ્રધાનના હોદ્દા પર છે, એટલે આપવામાં આવે છે. આ એક પ્રોટોકોલ-રાજદ્વારી શિષ્ટાચાર છે. વડા પ્રધાન મોદીજીને જુલાઈ 2025 સુધીમાં 25 દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માન કે અન્ય સન્માનથી સન્માનિત કરેલ છે જેમાં Saudi Arabia / Afghanistan / Palestine / Maldives / United Arab Emirate s/ Bahrain / United States of America / Fiji / Papua New Guinea / Egypt / France / Greece / Bhutan / Russia / Nigeria / Dominica / Guyana / Kuwait / Barbados / Mauritius / Sri Lanka / Cyprus / Ghana / Trinidad-Tobagoનો સમાવેશ થાય છે. આ ઉપરાંત honorary doctorate degree આપવાનો પણ શિષ્ટાચાર છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરનું કામ જ મોદીજી માટે પુરસ્કારની ભિક્ષા માંગવાનું હોય એવું લાગે છે !

2014માં, સધર્ન યુનિવર્સિટી તરફથી મોદીજીને માનદ્દ ડોક્ટરેટનું સન્માન આપવામાં આવેલ પણ તે સન્માન સ્વીકારવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. 2016માં બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી માનદ્દ ડોક્ટરેટ ઓફ લો સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો હતો. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઘણી યુનિવર્સિટીઓએ માનદ્દ ડોક્ટરેટની પદવી આપવાનો નિર્ણય  કરેલ પણ તેમણે આ સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કદાચ યુનિવર્સિટીના નામથી જ મોદીજી ભડકી જાય છે !

મોદીજી વડા પ્રધાન છે એટલે આ સન્માન મળે છે. તેઓ RSSના માત્ર પ્રચારક હોત આ સન્માનો મળ્યા ન હોત ! એટલે કે આ સન્માનો સત્તાથી ખરીદાયેલા છે, કોઈ વિશિષ્ટ કામગીરી માટેના નથી. એટલું જ નહીં, જ્યારે ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું ત્યારે આ 25 સર્વોચ્ચ નાગરિક સન્માન આપનાર દેશો ભારતની પડખે ઊભા રહ્યા ન હતાં ! મોદીજી વડા પ્રધાન બન્યા બાદ 89 દેશોના મહેમાન બન્યા. આ 89 દેશોમાંથી પણ કોઈ ભારતની પડખે રહ્યા નહીં ! ટૂંકમાં વિદેશ પ્રવાસનો અને સન્માનનો ભારતને કોઈ લાભ થયો નહીં ! આ આપણી વિદેશનીતિની ભયંકર નિષ્ફળતા હતી. ‘મોદીજીએ ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે’ તે માત્ર અંધશ્રદ્ધા છે. 

સન્માન મળે સારી બાબત છે, પરંતુ તે કામગીરીના આધારે મળે તો સોનામાં સુગંધ ભળે. મોદીજીએ 2014થી 2025 દરમિયાન દેશ માટે કોઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી? માનવ સમાજ માટે ઘસાઈને ઊજળા થયા? તેમણે જે વચનો આપેલ તેમાંથી એકપણ વચનનો અમલ કર્યો? શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત બન્યો? મોંઘવારી ઘટી? બેરોજગારી ઘટી? લોકશાહી મૂલ્યો મજબૂત થયાં? લોકોના હક્કો વિસ્તૃત બન્યા? શું ન્યાયતંત્ર / ચૂંટણીપંચ સ્વતંત્રપણે કામ કરી શકે છે? શું ભષ્ટ્રાચાર સહેજ પણ ઓછો થયો? શું યૌન શોષણની ફરિયાદ પોલીસ નોંધતી થઈ? શું વિપક્ષોનું ચરિત્રહનન ઓછું થયું? શું જૂઠાણાં ઓછા થયાં? શું ખેડૂતોની આવક બમણી થઈ? શું શ્રમિકોની સ્થિતિ સુધરી? શું સમાજમાં પ્રવર્તતા ઊંચનીચના ભેદભાવો ઓછા થયા? શું સમાજમાં પ્રગતિશીલ મૂલ્યો / વૈજ્ઞાનિક અભિગમની સ્થાપના થઈ? શું મીડિયા સ્વતંત્રપણે કામ કરી શકે છે? શું સરકારી ખર્ચે યોજાતી રેલી / સભામાં પક્ષનો પ્રચાર કરવાની અનૈતિકતા ઓછી થઈ? શું કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર કરનારને સજા થઈ? શું મહિલાઓની સુરક્ષા વધી? અનુસૂચિત જાતિ-જનજાતિ / નબળા વર્ગના લોકોની પ્રગતિ થઈ? જો આ બધાં પ્રશ્નોના જવાબ ‘ના’ હોય તો આ 25 સર્વોચ્ચ પુરસ્કાર શેના માટે અપાયા હશે?

નેતાનું સાચું માપ તેમની આંતરરાષ્ટ્રીય છબીમાં નથી, પરંતુ પોતાના રાષ્ટ્ર અને તેના લોકોના ઉત્થાનમાં રહેલું છે. વડા પ્રધાનને સત્તા મળે પણ લોકો માટે એનો ઉપયોગ ન થાય તો પુરસ્કારનો કોઈ અર્થ ખરો? રાજાનો વેશ ધારણ કરવાથી રાજા બની શકાતું નથી ! વડા પ્રધાનનો હોદ્દો મળે છતાં કોરાધાકોર રહી જવાય !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...221222223224...230240250...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved