Opinion Magazine
Number of visits: 9965496
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાવાઇરસઃ રખે માનતા કે વાઇરસે તમારી જિંદગીમાંથી એક્ઝિટની તૈયારી કરી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 November 2020

હાલમાં તો તમારી પાસે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને મનોબળ જ છે જેનાથી વાઇરસ સામે લડવાનું છે

કોરોના વાઇરસની પકડ મજબૂત બની ગઇ અને લૉકડાઉન આખી દુનિયા માટે એક રૂટીન થઇ ગયું. આપણા દેશમાં ક્યાંક અનલૉક થયું તો ક્યાંક ફરી લૉકડાઉનના એંધાણ માથે ભમવા માંડ્યા. યુરોપિયન દેશોમાં સૌથી પહેલાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઇ અને તાજા રિપોર્ટ અનુસાર યુરોપમાં કોરોના વાઇરસે ફરી એકવાર પોતાનો કાળમુખો ચહેરો બતાડ્યો છે. સ્પેન, ફ્રાંસ, ઇટાલી અને જર્મની જેવા દેશો જ્યાં આ રોગચાળો કાબૂમાં આવ્યો હતો ત્યાં બીજા લૉકડાઉનની જાહેરાતો અને ચેતાવણીઓ અપાઇ છે. આ તો વિદેશની વાત થઇ પણ આપણી વાત કરીએ તો પાટનગર દિલ્હીમાં હોટસ્પોટ પર લૉકડાઉન લાગુ કરવાની તજવીજ રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે. તો ગુજરાતમાં પણ અમુક વ્યાપારી એસોસિયેશન્સ સ્વૈચ્છિક લૉકડાઉન પાળશે તેવા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં અધિકારીઓએ કોવિડ-૧૯ના ટેસ્ટિંગમાં વધારો કરવા તાકીદ કરી છે કારણ કે સેકન્ડ વેવની વકી છે. કર્વ ફ્લેટ થયો હોવા છતાં ય આ પગલાં લેવાઇ રહ્યાં છે. આંધ્ર પ્રદેશનાં જગન મોહન રેડ્ડીએ પણ નાગરિકોને સેકન્ડ વેવ માટે તૈયાર રહેવા કહ્યું છે.

વૈશ્વિક સ્તરે કોરોનાવાઇરસને કારણે મૃત્યુ આંક ઘટી રહ્યો છે છતાં ય યુરોપમાં શિયાળાની શરૂઆત એટલે કે ઇન્ફ્લુએન્ઝા અને હે ફિવરની મોસમ માથે આવી અને ત્યાં કેસિઝ વધવા માંડ્યા. આપણે ત્યાં પણ શિયાળાની શરૂઆત છે અને આખા એશિયા માટે ઇનફ્લુએન્ઝાની આ મોસમ ચિંતાનો વિષય છે. અમુક ગતિએ ઘટેલા વાઇરસનો મૃત્યુ આંક ફ્લુની મોસમમાં પાછો વકરે એવી પૂરી શક્યતા છે તેવું વિશેષજ્ઞોનું માનવું છે. જો કે કોરોનાવાઇરસનું ભવિષ્ય અત્યારે ભાખવું અઘરું છે પણ વૈશ્વિક સ્તરે મૃત્યુ આંક ચોક્કસ ઘટ્યો છે. જો કે કોરોનાવાઇરસને રાષ્ટ્રોની સમજણ, આવક, સવલતો બધા સામે સવાલ પણ ખડા કર્યા છે. યુ.એસ.એ. જ્યાં પર કેપિટા આવક મોટી છે અને સ્વાસ્થ્ય પર ખૂબ ખર્ચ કરાય છે ત્યાં મૃત્યુ આંક દર છ અઠવાડિયાને ગાળે પણ ૩૦ ટકા જેટલો રહ્યો છે. બીજી તરફ ભારતે અન્ય એશિયાઇ દેશો કરતાં આ મામલે બહેતર દેખાવ કર્યો છે. આપણે ત્યાં કોવિડથી થતાં મૃત્યુનો આંકડો અન્ય પશ્ચિમી અને પૂર્વીય એટલાન્ટિક પ્રદેશો કરતાં ઓછો રહ્યો છે પણ ઑક્ટોબર ૨૧ પહેલાનાં છ અઠવાડિયાના ગાળામાં મૃત્યુ આંક વધ્યો. આખા વિશ્વમાં જેટલા ટેસ્ટ થાય છે તેના કરતાં જેટલા કેસિઝ સામે આવે છે તે આંકડા મોટા હોય છે જે વાસ્તવિકતા બધાએ જ સ્વીકારવી રહી. એરોસોલ અને પાણીનાં ટીપાં દ્વારા પ્રસરતા આ વાઇરસનો ફેલાવો એસી વાતાવરણને કારણે થાય છે કે પછી એકની એક હવાના બંધ માહોલમાં ફરતા રહેવાથી થાય છે કે પછી બહારની હવાથી થાય છે. બહાર કદાચ વાઇરસનું રિસ્ક ઓછું છે પણ તેનો ફેલાવો હજી પણ સાવચેતીનાં પગલાં સતત ભરવાથી રોકી તો શકાશે જ. આપણે ત્યાં નાકની નીચે અને દાઢી પર માસ્ક લટકાવીને ફરનારા કોવિડિયટ્સ (કોવિડ ઇડિયટ્સ), માસ્કને વારંવાર હાથ અડાડનારાઓ અને બીજી બધી છૂટ લેનારાઓની સંખ્યા ઓછી નથી. હર્ડ ઇમ્યુનિટીની વાતો કરનારાઓએ સમજવું રહ્યું કે એ મેળવવું આસાન નથી કારણ કે અહીં વાઇરસ પણ એ જ ઝડપે પ્રસરે છે.

વાઇરસ તો કાળમુખા જેવો બેઠો છે પણ તેને નાથવાનાં વેક્સિનને મામલે ફાઇઝર અને મોડેર્ના વચ્ચે જાણે રેસ લાગી છે. વેક્સિનના સમાચાર સાંભળવા આખી દુનિયા તત્પર છે પણ નવા જમાના, નવા રોગ સાથે એક નવી તકલીફ એ પણ છે કે એક નવો ફોબિયા લોકોમાં વિકસી રહ્યો છે. એવા ઘણાં લોકો હોય છે જેમને કોઇ પણ પ્રકારની વેક્સિનથી વાંધો હોય અને તેઓ કોઇ પણ વેક્સિન લેતાં ખચકાય. એક તરફ વેક્સિન શોધાઇ રહ્યાં છે તો બીજી તરફ લોકોમાં તે ટાળવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. લોકોને કશું પણ ટાળવાનું ગમે છે, એ પ્રકૃતિ બહુ સાહજિક રીતે માણસ જાતમાં રહેલી છે. જો વેક્સિન સરળતાથી નહીં મળતી હોય તો લોકો તેને બિંધાસ્ત ટાળશે. બીજી બાબત છે ઑપ્ટિમિઝમ બાયસ, એટલે કે લોકોની જાત અંગે માન્યતા કે, “હું તો બહુ જ ધ્યાન રાખું છું મને તો ચેપ લાગવાનો જ નથી” – આવું માનનારાએ વેક્સિનની અગત્યતા ઘટાડી દે છે. ત્રીજું પાસું છે આત્મવિશ્વાસ – લોકો મોટેભાગે વેક્સિન ટાળતા હોય છે કારણ કે તેમને તેની પર વિશ્વાસ નથી હોતો. એમાં ય પાછું એક જ વર્ષના ગાળામાં તૈયાર થયેલા વેક્સિન પર ભરોસો કરવાનું લોકોને બહુ ગમશે નહીં. વળી સોશ્યલ મીડિયાના જમાનામાં જાતભાતની સાચી-ખોટી માહિતી માથે થોપાયા કરશે એમાં લોકોને વેક્સિન અંગે શંકા કુશંકાઓ પણ થયા કરશે. આ સંજોગોમાં વેકિસન અંગે સ્પષ્ટ માહિતીઓ, સરળ ઉપલબ્ધિ, અગત્યતા પર ધ્યાન આપવાનું રહેશે જેથી લોકોના મનમા કોઇ અસમંજસ ન રહે અને લોકો કોરોનાને નાથવાના કોઇ પણ પ્રયત્નોમાં પાછી પાની ન કરે.

પડકાર અને અવસર બન્ને એ છે કે વેક્સિનને મામલે પણ બધાંએ અજાણ્યા પાણીમાં ઊતરવાનું છે અને માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. વાઇરસ સામે બચવા આપણે ઘણી આદતો બદલી છે, ઘણું બધું ત્યજ્યું છે તો વાઇરસની વેક્સિનને સ્વીકારવાની તૈયાર માટે અભિગમ બદલવાની તૈયાર પણ રાખવી પડશે.

બાય ધી વેઃ

આપણે આકરા ઉનાળામાં વાઇસનો પ્રકોપ જોયો છે પણ શિયાળામાં તેનું જોર બમણું હશે એ ભૂલતા નહીં. ૧૯૧૮ના સ્પેનિશ ફ્લૂની વાત કરીએ તો તેનું પહેલું વેવ માર્ચમાં આવ્યું હતું અને તે યુરોપમાં કામ કરતા ચાઇનિઝ કામદારોને કારણે ફેલાયું હોવાની ધારણા છે. તે યુરોપમાં ફેલાયો અને પછી જૂન સુધીમાં તે ઑસ્ટ્રેલિયા, રશિયા, ચીન, ભારત, જાપાન અને મોટા ભાગનાં યુરોપમાં વકર્યો હતો અને જુલાઇમાં તેનું જોર ઘટ્યું અને સપ્ટેમ્બરમાં તેનું બીજું વેવ આવ્યું અને શિયાળામાં તેને કારણે બધી જ વયનાં લોકોનો મૃત્યુ આંક આભે આંબ્યો. પહેલા વેવ પછી સમાજમાં એક પ્રકારની આળસ – જેને માટે અંગ્રેજીમાં કોમ્પ્લિસન્સી શબ્દ છે એટલે કે (ઠીક હવે, જોયું જશે) અને વાઇરસનો કંટાળો પેસે છે જે બહુ જોખમી સાબિત થઇ શકે છે. માણસ પાસે આધુનિક વિજ્ઞાન છે પણ સ્વભાવની લાક્ષણિકતાઓ હજી પણ ૧૦૨ વર્ષ પહેલાં હતી તેવી હોઇ જ શકે છે, કાનેથી એક બાજુ લટકતાં માસ્ક તેનો પુરાવો છે. આપણો સાવચેતી ભર્યો વહેવાર આ સામેનું એક માત્ર શસ્ત્ર છે. ૨૦માંથી ૧૯ વેક્સિન શરૂઆતમાં પ્રોમિસિંગ હોય છે અને પછી ટ્રાયલના છેલ્લા તબક્કામાં તે પ્રભાવી પુરવાર નથી થતા. વેક્સિન આવી જશે તો ય તે તમારા સુધી પહોંચશે તેમાં સમય લાગશે, તેની વહેંચણી સૌથી મોટો પડકાર રહેશે. માટે જ યાદ રાખજો કે ત્યાં સફળ વેક્સિન ન શોધાય અને એ તમારા સુધી પહોંચે ત્યાં સુધી તમારી પાસે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને મનોબળ જ છે જેનાથી વાઇરસ સામે લડવાનું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 નવેમ્બર 2020

Loading

ચંપારણની લડાઈ ગાંધીજીએ કૉન્ગ્રેસના નામ વગર લડી હતી !

રમેશ ઓઝા|Opinion - Opinion|22 November 2020

ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં ભાષણ આપ્યું હતું ૧૯૧૬ના ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જેણે એક સાથે સરકારને, દેશના પ્રસ્થાપિત નેતાઓને, હવે પછી જેનો ઉદય થવાનો હતો એવા નેહરુ-પટેલ-રાજેન્દ્રબાબુ-રાજાજી જેવા નેતાઓને અને પ્રજાને ચોંકાવી દીધા હતા. દેશભરમાં એ ભાષણની ચર્ચા ચાલતી હતી. એ જ વરસમાં એટલે કે ૧૯૧૬ના ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં બનારસની નજીક લખનૌમાં કૉન્ગ્રેસનું અધિવેશન મળ્યું હતું જેમાં લોકમાન્ય તિલક અને મહમ્મદ અલી ઝીણા વચ્ચે સમજૂતી થઈ હતી જે લખનૌ કરાર તરીકે ઓળખાય છે. એ સમજૂતી વાસ્તવમાં કૉન્ગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થઈ હતી અને એમ પણ કહી શકાય કે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે થઈ હતી.

કૉન્ગ્રેસના એ અધિવેશનમાં ગાંધીજી હાજર હતા, પરંતુ લગભગ નિષ્ક્રિય સાક્ષી તરીકે. ગાંધીજી ભારત આવ્યા એ પછીનાં શરૂઆતનાં બે-ત્રણ વરસ તેમની પાસે કૉન્ગ્રેસના અધિવેશનોમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓના પ્રશ્ન વિશે બોલવાનું કહેવામાં આવતું હતું અને દક્ષિણ આફ્રિકા વિશે એક ઠરાવ પસાર કરવામાં આવતો હતો. લખનૌમાં પણ ગાંધીજીની આટલી જ ભૂમિકા હતી અને ખરું પૂછો તો એનાથી વધારે તેમની ભૂમિકા હતી સંડાસ સાફ કરવાની હતી.

કનૈયાલાલ મુનશીએ તેમના ‘પિલ્ગ્રીમેજ ટુ ફ્રિડમ’ નામના ગ્રંથના પહેલા ભાગમાં લખ્યું છે કે ભારતીય નેતાઓએ મોરલે-મિન્ટો સુધારા તરીકે વધારે જાણીતો ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ-૧૯૦૯’નો સ્વીકાર કર્યો એ સાથે ભારતનાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં. એ કાયદાકીય સુધારા હેઠળ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓને ધારાસભાઓમાં સ્થાન મળ્યું હતું, પણ ચૂંટણીનું સ્વરૂપ કોમી હતું. મુસલમાનો માટે અલગ મતદાર સંઘ આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર મુસલમાનો જ મતદાન કરી શકે. ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં કૉન્ગ્રેસ તરફથી અથવા એમ કહો કે હિંદુઓ તરફથી લોકમાન્ય તિલકે અને મુસ્લિમ લીગ તરફથી અથવા કહો કે મુસલમાનો તરફથી મહમદઅલી ઝીણાએ વિભક્ત મતદાર સંઘની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી હતી. મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં ઘણી વધુ બેઠકો અલગ મતદાર સંઘ તરીકે મંજૂર રાખીને ફાળવવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી તેમના ગ્રંથમાં લખે છે કે એ સમજૂતી આગળ જતા દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં પરિણમશે એની ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી. માત્ર મદનમોહન માલવિયાએ લખનૌ કરારનો વિરોધ કર્યો હતો.

વરસ હતું ૧૯૧૬. ૧૯૧૬ના પ્રારંભમાં ગાંધીજીએ બનારસમાં ભાષણ આપીને નવા રાજકારણનો શંખ ફૂંક્યો હતો અને ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં આગલી પેઢીના નેતાઓએ લીધેલો છેલ્લો નિર્ણય હતો અને છેલ્લી સમજૂતી હતી. કનૈયાલાલ મુનશીના કહેવા મુજબ ૧૯૦૯ના સુધારાનો સ્વીકાર કરીને અને લખનૌની સમજૂતી કરીને કૉન્ગ્રેસના નેતાઓએ મુસલમાનોને એટલું બધું આપી દીધું હતું કે તેના દ્વારા વિભાજનનાં બીજ વવાયાં હતાં અને મહમદઅલી ઝીણાને એમ લાગવા માંડ્યું હતું કે તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના આર્કિટેક્ટ છે. આખા દેશને એમ લાગવા માંડ્યું હતું અને એ રીતે તેમને વધાવવામાં પણ આવ્યા હતા. વિધિનો ખેલ એવો નીવડ્યો કે ઝીણાનું પણ એ છેલ્લું ગિર્યારોહણ સાબિત થયું. એ પછી ઝીણા બે દાયકા સુધી ભારતીય રાજકારણની બહાર ધકેલાઈ ગયા હતા.

હમણાં કહ્યું એમ લખનૌમાં ગાંધીજી હતા ખરા પણ લગભગ સાક્ષીની ભૂમિકામાં. સફાઈ અને નેતાઓની સેવા કરવા સિવાય તેમની બીજી કોઈ ભૂમિકા નહોતી. એની વચ્ચે એક રાજકુમાર શુક્લ નામનો બિહારનો ખેડૂત ગાંધીજીને શોધતો ગાંધીજીની રાવટીમાં આવી ચડે છે. એકથી એક દિગ્ગજ નેતાઓ લખનૌમાં હાજર હતા, પરંતુ એ ગાંધીજીને શોધતો હતો અને એનું કારણ બનારસનું ભાષણ હતું. એણે કોઈના મોઢે બનારસના ભાષણની વાત સાંભળી હતી અને પછી તે વાંચ્યું પણ હતું અને તેને સમજાઈ ગયું હતું કે આ માણસ ભડવીર તો છે જ પણ તે સાથે ગરીબોની પીડાને તે એટલી જ તીવ્રતાથી અનુભવી શકે છે જેટલી તીવ્રતા પીડા ભોગવતો ગરીબ અનુભવતો હોય. સત્ય અને ન્યાયનો તકાદો હોય તો કોઈ પ્રશ્ન તેના માટે નાનો નથી અને કોઈ માણસ તેના માટે મોટો નથી. આ વાત એક ગ્રામીણ, લગભગ અભણ ખેડૂતને સમજાઈ ગઈ હતી. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારતની પ્રજાને સમજાઈ ગયું હતું કે કોઈ દમદાર માણસ આવ્યો છે જે ગરીબ-રાંક પ્રજાના કામનો છે.

રાજકુમાર શુક્લએ ગાંધીજીને કહ્યું હતું કે બિહારમાં ચંપારણ નામનો એક પ્રદેશ છે જ્યાં ગળી ઊગે છે. કેટલાક અંગ્રેજ વેપારીઓ અમારે ત્યાં કોઠીઓ સ્થાપીને બેઠા છે અને અમારી પાસે બળજબરી ગળીનું વાવેતર કરાવે છે. સરકાર પણ તેમાં અંગ્રેજ કોઠીવાળાઓને મદદ કરે છે અને જમીનના એક હિસ્સમાં અમારે ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડે છે. ગળી ઉગાડવાથી જમીનને નુકસાન થાય અને સામે કોઈ ખાસ વળતર મળતું નથી. જો કોઈ ગળીનું વાવેતર કરવાની ના પાડે તો ગોરાઓની ખાનગી સેના બળવાખોર ખેડૂતો સાથે અત્યાચાર કરે છે. તેમણે ગાંધીજીને કહ્યું કે આપ અમારે ત્યાં આવો, તમારી સગી આંખે અમારી યાતના જુઓ અને અમને તેનાથી મુક્ત કરો. 

ગાંધીજીએ કૉન્ગ્રેસના અધિવેશનમાં આવેલા બિહારના નેતાઓ સાથે આ પ્રશ્ને વાત કરી તો દરેકે કહ્યું કે હા ચંપારણમાં આવું બની રહ્યું છે ખરું, પણ કોઈની પાસે પાકી વિગત નહોતી. પ્રજાના નેતા બનવા માટે પ્રજાની વચ્ચે જવું જોઈએ અને એમાં પણ ગામડે જવું જોઈએ એવી ત્યારે કોઈ કલ્પના જ નહોતી. નેતા બનવા માટે ભાષણ કરતા આવડવું જોઈએ, વધારે મોટા નેતા બનવું હોય તો અંગ્રેજી આવડવું જોઈએ, કૉન્ગ્રેસના અધિવેશનોમાં પ્રતિનિધિ તરીકે અને પ્રતિનિધિઓને લઈને જવું જોઈએ, સરકાર સાથે જે તે માગણી લઈને પત્ર-વ્યવહાર કરવો જોઈએ, પ્રતિનિધિમંડળોમાં જોડાવું જોઈએ વગેરે પૂરતું હતું.

ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં ગરીબોની લડાઈ ગરીબોમાંથી પેદા થતા બિરસા મુંડાઓ લડતા હતા અને શહીદ થતા હતા, કોઈ કૉન્ગ્રેસી કે મુસ્લિમ લીગી નેતાએ લડી હોય એવું બન્યું નહોતું. આ નિવેદન હું અત્યંત જવાબદારીપૂર્વક કરી રહ્યો છું. ગરીબોની તેમના શોષણ સામેની લડાઈનો ઇતિહાસ પણ આપણા ધોરીમાર્ગના ઇતિહાસકારોએ લખ્યો નથી, એ પણ કેટલાક ઇતિહાસકારોએ ‘સબાલટર્ન સ્ટડીઝ’ તરીકે અલગથી લખ્યો છે. ગરીબોએ શોષણથી કંટાળીને અને ઉશ્કેરાઈને કેટલી બધી લડાઈઓ લડી હતી જેની કૉન્ગ્રેસી-લીગી નેતાઓએ ઉપેક્ષા કરી હતી. તેમનું નેતૃત્વ તો બહુ દૂરની વાત છે. ગાંધીજી પહેલા એવા કૉન્ગ્રેસી નેતા હતા જેણે ગરીબોની લડાઈ લડી હતી અને આ માણસ લડશે એની રાજકુમાર શકલને ખાતરી હતી. એટલે તો રાજકુમાર શુક્લે ગાંધીજીની પૂંઠ પકડી હતી. ગાંધીજીને વિનવણી કરતા પત્રો લખ્યા, અમદાવાદ જઈ આવ્યા, ગાંધીજી જ્યાં જ્યાં જાય ત્યાં તેઓ પાછળ પાછળ જતા અને ગાંધીજી કલકત્તા જવાના હતા તો ત્યાં પણ પહોંચી ગયા.

૧૯૧૭ના એપ્રિલ મહિનામાં ગાંધીજી ચંપારણ જાય છે અને ભારતીય રાજકારણમાં એક નવો યુગ શરૂ થાય છે. યાદ રહે, ગાંધીજીએ ચંપારણની લડાઈ કૉન્ગ્રેસનું નામ વાપર્યા વિના લડી હતી, કારણ કે કૉન્ગ્રેસી નેતાઓ માટે તો આ માફક ન આવે એવા દમદાર માણસનું શું કરવું અને તેની સાથે કેમ કામ પાડવું એનો કોયડો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 નવેમ્બર 2020

Loading

બિદાય શૌમિત્રોદા

રૂપાલી બર્ક|Poetry|22 November 2020

સૌમિત્ર ચૅટરજી રવિવાર, 15 નવેમ્બર, 2020ના રોજ 85 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા, ઘૂઘવતા દરિયા જેવા પ્રભાવી અવાજના સ્વામી, રાષ્ટ્રીય તથા આંતર-રાષ્ટ્રીય નામના મેળવેલા સૌમિત્રદાની વિદાયથી ના કેવળ બંગાળી સિનેમાને, પરંતુ વિશ્વ સિનેમાને ન પુરાય એવી ખોટ પડી છે. બંગાળી સિનેમા, બંગાળી અને અંગ્રેજી રંગમંચના દિગ્ગજ અભિનેતા હોવા ઉપરાંત તેઓએ નાટ્યકાર, પઠનકાર, કવિ, લેખક, તંત્રી, ચિત્રકાર, સંગીતકાર, કર્મશીલ જેવી અનેક ભૂમિકાઓમાં છ દાયકા દરમ્યાન ખૂબ દીર્ઘકાલીન અને ચિરંજીવી પ્રદાન કર્યું છે. હૉસ્પિટલમાં દાખલ કરાયા એના આગલા દિવસ સુધી કાર્યરત સૌમિત્રદા માટે યોગ્ય રીતે કહેવાયું છે કે ‘એમના શિયાળામાં પણ એ સિંહ હતા’. એમની કવિતા ગુજરાતીમાં આપણા સુધી પહોંચી નથી, માટે એમના શબ્દ દેહને ગુજરાતીમાં પ્રસ્તુત કરીને એમને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનું વિચાર્યું.

— રૂપાલી બર્ક


સૌમિત્ર ચૅટરજીનું કાવ્યવિશ્વ

બંગાળીમાંથી અંગ્રેજી અનુવાદ : અરુનવા સિંહા — ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

~ ૧ ~

સ્વર્ગના દ્વારે
પ્રવાસનનું પોસ્ટર લટકે છે
એની નીચે ઊભો છું
હાથમાં દેશાગમનના કાગળિયા લઈ

સંગીત વાગતું નથી હવે
તારા ગણાતાં નથી હવે
પરીઓ અને અપ્સરાઓના સર્કસમાં.

બૅન્ડ વાગી રહ્યું છે
ઘણાં હિપ્પો, ઘણાં જિરાફ
અને એક વૉલરસ
લાઇનબંધ વધી રહ્યાં છે
સ્વર્ગના દ્વાર તરફ

પ્રવાસનના પોસ્ટર નીચે
સ્વપ્નમાં તરતો વિચારું છું
ક્યારે જાગીશ ને કહીશ
ચાની કીટલીવાળા છોકરાને
ગરમ પાણીથી કપ ધોઈને
થોડી ચા આપ મને

~ ૨ ~

વાયોલિન વગાડતા પુરુષની
હું માત્ર આંખો જોઈશ
વગાડી રહ્યા પછી
દિવાલની પાળી પર ચાલતી બિલાડી સાથે
એ વાત કરશે
બિલાડી ગાયબ થઈ જશે
પછી એ વાયોલિનને સુવડાવી દેશે
ને કાવ્યને પ્રેમના શબ્દો કહેશે
હું માત્ર એની આંખો જોઈશ
ઑક્ટોબર જે આંખોમાં તગતગતો હોય
વાયોલિન વગાડતો એ પુરુષ

~ ૩ ~

આ બિંદુ પર બપોરનો અંત આવેલો
પડઘાઓથી ત્રસ્ત ચાર રસ્તે

એ પૂર્વે
ખૂબ ટૂંક સમયમાં
તારી પ્રતિમાનો સાર
મારું હૃદય સ્પર્શી ગયો
ને એક પડઘાની માફક
કંપનમાં ગાયબ થઈ ગયો.

આ સંતાપગ્રસ્ત ચાર રસ્તે
બપોરનો અંત આવેલો

ટ્રાફિક લાઇટ લીલી થાય ત્યારે
કદાચ આ જ સ્થિતિમાં હોવું  શ્રેષ્ઠ હોય છે
સંતાપગ્રસ્ત ચાર રસ્તાથી, બે પડઘા
પોતપોતાની દિશામાં ગાયબ થઈ ગયા

~ ૪ ~

બેન્જો સાથેનો એક અશ્વેત પુરુષ
ગિટાર સાથેનો સ્પૅન્યાર્ડ
એમને સાંભળતા
એ કોંક્રીટના ફ્રી-વે પર ચઢે છે
ટાયરના થડકાર એને સંભળાય છે
માથા પર ટૅકસસનો બળતો સૂરજ
સળગતી વેળાએ પણ જે સળગતું નથી
એની શોધમાં એ આવ્યો છે
આકાશ તરફ નજર કરતા એ કહે છે
આવો, વાદળો, અમને થોડો છાંયો આપો

અશ્વેત લોકોનું જૅઝ
નવા વિશ્વની શ્વેત સિમ્ફની
ફ્રી-વે પરથી વિદાય લે છે
એક પછી એક વિસ્તરવા
સમગ્ર ખંડમાં

હવે એ
વ્હિટમૅનની કવિતાની ઉપાસના કરે છે
આવો, કવિ, અમને થોડો છાંયો આપો
કહો અમને
આવા તોફાનો અને પ્રવાહો વચ્ચે
શી રીતે ગીત રચીએ અમે

~ ૫ ~

આ પર્વત, આ તળાવ
એવું દૃશ્ય રચે છે
કે હું ખાતરીપૂર્વક યાદ રાખીને
તમને એક દિવસ કહીશ

હું ખાતરીપૂર્વક યાદ રાખીશ
મારાં માંસ અને લોહીનું સંગીત
જે ધોધની માફક ગાજી ઉઠેલું
આ વિશાળ ક્ષેત્રમાંથી નીકળેલા નિસાસાએ
મારા હૃદયમાં ઘર કર્યું
લઈ આવીશ એ બધું તારા માટે

આ શેરીઓ, થોભોનું આ ચિહ્ન
આર્કિટૅક્ટનું ઑટૉમોબાઇલ સ્વપ્ન
પુરુષ ને સ્ત્રી ગુલામોની સ્મૃતિઓનું આ હાર્લૅમ

અંધકારનું આ વાદળી ગીત
તારી એક સાંજની
તને યાદ અપાવીશ
જ્યારે એક દિવસ હું મારો પ્રેમ
તારી સમક્ષ ધરીશ

~ ૬ ~

સૂરજને આવજો કહેતા મને બહુ મોડું થઈ ગયું
નગરના પરામાં ભીડ ઓછી થઈ ગઈ છે
રસ્તાના કિનારે બેઠેલા એક કે બે જણને
હું બોલાવતો હતો
મારી ઉંમરના છે હવે એ

હું ધારું છું
કે તમે મારી યુવાનીને એ જ રીતે જોતા હતા
જે રીતે સાઇડવૉક પર ઝડપથી ચાલતાં પેલાં બધાં લોકોને જુઓ છો

લાંબા વીકઍન્ડ પછી ઘરે જવાનો સમય થયો છે
ચંદ્ર ૫૦મા માળની ઉપર આવી અટક્યો
બાંકડા પરથી ઊઠી
હિલિયમના ફૂગ્ગાની માફક તરતી
થાકથી લદાયેલી મારી પાંપણો પરથી
મારી ઊંઘ
ઉપર ચડવા લાગી ચંદ્રને સ્પર્શવા

~ ૭ ~

થોડેક જ આગળ નદીની
ગતિ તેજ થઈ જશે
ઑટૉમૅટિક ટ્રાન્સમિશન એને
ઝડપી જલપ્રપાતમાં
ને પછી પ્રચંડ ધોધમાં ફેરવી નાખશે

પછી
લવચીક મેઘધનુષની ઉત્કંઠા સાથે
એ કૂદી પડશે અનંત અનિશ્ચિતતામાં

સહેજ જ આગળ, નદી
ભૂલી જશે પોતાને
ને સાગરમાં ફેરવાઈ જશે

~ ૮ ~

હવે હું કહી શકું છું
આથમતો સૂરજ વાત કરતો હોય મારી સંગે તે દરમ્યાન
ભૂલથી બહાર જવાનો ખોટો રસ્તો લઈ શકું છું
થોડા સમય માટે માર્ગ ભૂલી શકું છું
ને પાછો ફરી શકું છું તારી પાસે
સોનેરી સંધ્યા વાત કરતી હોય મારી સંગે તે દરમ્યાન

સાંજના સમયે છોટા નાગપુરનો પ્લૅટૉ
આના જેવો
તારે ત્યાં પણ પહોંચવું હતું શું?
અહીં આ પથરાળ હાઈવેના લીધે બહુ વાર લાગી અમને
ને તો ય અમારી આંખો આશાની શોધ કરતા ઘસાઈ ગઈ છે
તેમ છતાં અત્યારે કહી શકાય કે હું કહી શકું છું
આથમતો સૂરજ વાત કરતો હોય મારી સંગે તે દરમ્યાન

~ ૯ ~

એ પુરુષ કદાવર છે
અશ્વેત — કે કદાચ શ્વેત — કે બદામી
એ પુરુષ બહુ વજનદાર છે
એનો પડછાયો એનાથી ય વધુ વજનદાર છે
વ્યથિત લોકોનું વજન વધારે જ હોય છે

એ પુરુષ એના ટૅલિવિઝનની શોધમાં
ખૂબ ઝડપે ગાડી ચલાવી રહ્યો છે
રાતનું એનું ભોજન
એ ગાડીમાંથી બહાર દોટ મુકશે
ને ટી.વી. સામેની પાટ પર બેસી જશે
એક શહેર
ખોવાઈ જશે પછી એક પડછાયામાં
એક વ્યથિત પુરુષના પડછાયો

સબવેની બહાર ને સ્ટ્રીટકારની અંદર
પડછાયાં એમના ટૅલિવિઝનની શોધમાં
વૉટરફ્રન્ટ પરના શનિવાર બજારમાં
યુવાન પુરુષોનાં ફૅશનેબલ વસ્ત્રોની દુકાનમાં
ખરીદી કરતી યુવાન સ્ત્રીઓ
ઉલ્લાસી યુવાન સ્ત્રીઓ
પડછાયાં વગરની

એક વ્યથિત પુરુષનો પડછાયો
એ કદાવર છે, અશ્વેત — કે કદાચ શ્વેત — કે બદામી
ખૂબ વજનદાર
એનો પડછાયો એનાથીય વધુ વજનદાર છે.

~ ૧૦ ~

ઘર પછવાડેના તૂતક સુધી
જંગલ આવી પહોંચ્યું
ને ખુરશી ખેંચી

એક કાળી ડિબાંગ ખિસકોલી દેખા દેશે
વૃક્ષ પરથી પૅર તોડીને ખાશે
સફરજનની ડાળીઓ પર ઉપર-નીચે દોડશે
સફરજનની વાડીમાં ગુલામીનો યુગ
કાળી ખિસકોલીને જાણ છે શું?

ક્યારેક ટ્રાફિકનો ઘોંઘાટ
પછવાડેના રસ્તે હળવે પગલે
આવશે તૂતક સુધી
જંગલ સાથે વાત કરવા

નદીના ધીમા સ્વર કાને પડશે
જે દિવસે બાર્બેક્યુ ધકધકશે
રણકતા ધ્વનિ પાર્ટીમાંથી આવશે
હાસ્યની અલ્લડ છોળો

~ ૧૧ ~

સ્વપ્ન રચવા માટે દિવસને ઠેરવી દેવાયો છે
જેના પછી એક વિચરતો અંધકાર
મારી છાતીમાં પથરાઈ રહ્યો છે
પેલાં સ્વપ્નો જોવાનું હવે અશક્ય બની ગયું છે
મારો રસ્તો સર્પાકાર થઈ ફરે છે
એક અંધકારમાંથી બીજા અંધકારમાં
એક હિંસામાંથી બીજી હિંસામાં

ઘૅટોમાં પેલી સ્ત્રી દારૂ પીધેલી છે
અન્ય જીવનમાં કે અન્ય ભૂમિ પર
એ મારી પત્ની હોઈ શકતી હતી
પેલા સશસ્ત્ર હરામીનું નામ જો ખબર હોત મને
મારા દીકરા જેવો કોઈ હોઈ શકત

વિપુલતાના સ્વાંગમાં
પૃથ્વીને એક છેડેથી બીજે છેડે કટિબંધ કરી શકાય
એટલું ભોજન દરરોજ ફેંકી દેવામાં આવે છે
ભોજનની સોડમ સીગલ્સને ભૂલાવી દે છે
દરિયા કિનારો ને અંતર્દેશીય આકાશ
ને રડવા માટે શિશુઓના અવાજ ઉછીના લેવડાવે છે

નવી દુનિયાનું સ્વપ્ન જોતાં
ચારેબાજુથી પરજનો આવી પહોંચે છે
પેલાં સીગલ્સની પેઠે
એમનાં જૂનાં પવિત્ર સ્થાનો અગ્નિમાં હોમી
ને એમની અંત્યક્રિયાઓ પતાવી
એક દિવસ એ લોકો એમના રૂદનનું ગળું
એ મરી જાય ત્યાં સુધી દબાવી રાખશે
એક હિંસાના આંતરડામાંથી
હું બીજી તરફ પ્રયાણ કરું છું

હું સ્વપ્ન બનાવું છું તે દરમ્યાન
કંગાલ અંધકાર
મારી છાતીને ભીંસમાં લઈ લે છે
મારે જોવું હતું એ સ્વપ્ન નથી આ
હું લાંબા અંતરોની મુસાફરી કરું છું
એક ખંડથી બીજા ખંડ
પ્રેમનું સ્વપ્ન લઈ
જેથી હું તને પ્રેમ કરી શકું
એક વાર, ના, બે વાર
ના, લાખો કરોડો વાર.

સ્રોત : scroll.in

‘વૉકિંગ થ્રુ ધ મિસ્ટ’માંથી સૌમિત્ર ચૅટર્જીનાં અમુક કાવ્યો

અંગ્રેજી અનુવાદ : અમિતવ નાગ • ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

અમુક દિવસોએ

અમુક દિવસોએ
આ શરીરમાં એક નદી જાગી ઊઠે છે,
કિનારા તોડી નાખે છે,
જે બધાં સુરક્ષિત હતાં
તે વહી જાય છે પૂરમાં,

અમુક દિવસોએ
પ્રેમ ભરતીના મોજા ઉછાળે છે મનમાં
બજારો
ઑફિસો
દુકાનો
સુનામીમાં ધોવાઈ જાય છે,

અમુક દિવસોએ
સૌંદર્ય માટેનો વિલાપ
આકાશ અને પવનને ભરી દે છે
વસંતના ગીતો —

અમુક દિવસોએ
જાગેલી નદી ઢોલ પીટવા લાગે છે
તમને ઊંઘમાંથી જગાડવા
વસંતનાં ગીતો તમને ખાતરી આપવાનો પ્રયાસ કરે છે — જે બધું ચાલ્યું ગયું છે
ખોવાઈ ગયું હોય એવું જરૂરી નથી,

અમુક દિવસોએ સ્મૃતિઓ વાસ્તવ બની જાય છે,
સ્મૃતિઓ સત્યમાં ફેરવાઈ જાય છે.

*

કેદી, જાગે છે કે?

સ્વપ્ન જોવાં માટે કોઈનો આભાર માનવાનો રિવાજ નથી,
માનવોને હાશ થાય છે
જ્યારે સ્વપ્નો તૂટે છે,
કારણ સ્વપ્ન વિનાના માણસ માટે
જાગરણ વ્યક્તિગત છે,
ગાઢ રાત્રિ મોટેથી પોકારે છે
બારીના લોખંડના સળિયા ઝાલી —
“કેદી, જાગે છે કે?”
ચંદ્ર ધીરેથી અનિદ્રામાં પગ મૂકે છે,
કઠિન રસ્તો પાર કરે છે
અંધારામાં સ્વપ્નહીન ફટાબાર આંખો
આભાર માનવા કોઈને શોધે છે,
ગહેરી રાત, ઉત્કટ
બારીના લોખંડના સળિયા ઝાલી બૂમ પાડે છે —
“કેદી, જાગે છે કે?”

*

વિષાદ, લાંબા સમય માટે

લાંબા સમય માટે
મારા હૃદય-પિંજરમાં વિષાદ વસેલો રહ્યો
આજે, પરોઢમાં
એને ઊડાડી મુકવા હું દરવાજો ખોલી દઈશ,
પિરોજી રંગના વાસંતી આકાશમાં તરતાં વાદળાંની જેમ

જેમ જેમ સાંજ ઈશારો કરી બોલાવે છે
પંખી પોતાની મરજીથી પાછું ફરે
એ માટે હું પીંજરું ખુલ્લું રાખીશ,
ભલે ઊડીને આવતું અંદર
હળવી ચાંદનીથી પસવારેલી પાંખે લઈ — આસમાની

વૈતરાથી પીડિત દિવસો,
થકાવટના ઊહકારા,
નિર્થકતાની પીડા
— સઘળું ડૂબી ગયું છે હવે,
પેલું પ્રેમ-પંખી ગાવા જ્યારે પાછું ફરશે
સળંગ સીવેલી છ ઋતુઓનો પવાડો,
મારા હૃદય-પિંજરમાં લાંબા સમયથી આરક્ષિત
વ્યથાઓને મારી વેદના બુઝાવી દેશે.

*

તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
(સત્યજીત રાયને સમર્પિત)

અમારી અને ડાહપણ વચ્ચે
તમે સેતુ છો માટે તમારી તંદુરસ્તી ઇચ્છું છું,
અમે, માનવો, નથી પાછા વળ્યા મા પ્રકૃતિ પાસે
અમારા ઋણ કે કલા સાથે,
તરસ્યા અને ભટકેલા અમે એટલા લાંબે સુધી
ચમકતા મૃગજળનો પીછો કર્યો છે ફોગટમાં.
તમે એ રસ્તો છો જેના માટે હું ઉત્કંઠિત છું,
મારાં સ્વપ્નોના ડિવિડન્ડ લઈને આવું તમારી પાસ અનંત,
તમે સાજા રહેજો
મહેરબાની કરીને.
અસ્તિત્વના નકશા પર,
તમે હંમેશાં,
સૌંદર્યનો મારો માર્ગ રહ્યા છો.

*

શાંત વહે છે કોપાઈ

કોપાઈમાં ખલાસી* ટ્રક ધોઈ રહ્યો છે
નદીનું પાણી
ટપકે છે ને પીડા નીતારી જાય છે.
એક દિવસ આવશે
હું હવે નથી અહીં,
એક જુદો ખલાસી
નવેસરથી કોપાઈનું અભિવાદન કરે છે.

*ટ્રક ડ્રાઈવર માટે નાના ટાંપા કરી આપનાર મદદનીશ

*

ધુમ્મસ વચ્ચેથી ચાલતા

આ ધુમ્મસ વચ્ચેથી ચાલું તો કદાચ
તારી એકલતા સુધી પહોંચી શકું, અથવા
ક્યારે ય નહીં.
ઉનાળા બાદની આ મંથર બપોરે
હું યાદ કરી શકું છું, મારો દિવસ પૂર્ણ થઈ ગયા પછી
જ્યારે મારા કાર્યમાં અને અન્યોની વચ્ચે વ્યસ્ત હતો,
ઓહ, મારા સૌથી દીર્ઘકાલીન કાર્યની આવરદાની પાર
તારી આંખોમાં વ્યાકુલ નજર પારખી શક્તો હતો, પરંતુ
તારા એકાંતને કદી સ્પર્શી શક્યો નહીં.
હવે, ધુમ્મસ વચ્ચે શોધવા મથું છું
ખોવાયેલો સમય
તારી ને મારી વચ્ચે.

સ્રોત : learning and creativity.com

Loading

...102030...2,1952,1962,1972,198...2,2102,2202,230...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved