Opinion Magazine
Number of visits: 9965627
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (44)

સુમન શાહ|Opinion - Opinion|24 November 2020

આ કોરોનાકાળમાં અમેરિકાના અમારા સબડિવિઝનની શેરીઓમાં અમારી શેરી ‘ડનમોર ડ્રાઇવ, નૉર્થ’ જેટલું શાન્ત કશું નથી, એને પ્ર-શાન્ત કહો તો પણ ઓછું પડે. સામેનાં મકાનોમાં મનુષ્યો હશે પણ હાલ તો બંધ બારીબારણાં સિવાયનું ત્યાં કોઈ નથી. ફૉલ છે. પાનખરનો માભો સાચવવા પર્ણહીન થઈ ઊભેલાં અસ્થિપિંજર-વૃક્ષો વિન્ટરના બર્ફિલા સમયની રાહ જોતાં ખડાં છે. એમને બળીઝળીને પતી જવું છે. ઉપર પથરાયેલું આકાશ કોરુંધાકોર છે, એકેય પંખી ઊડતું નથી. માળા છોડીને એ જીવો તડકાની શોધમાં નીકળી ગયા છે. મને બારીમાંથી દેખાયા કરતો રસ્તો સૂનકારમાં સૂઈ ગયો છે. સામેના વૉક-વે પર આ એક લીશ્ડ્ ડૉગી ડોક ધુણાવતું આગળ આગળ ચાલતું છે, ફોનસ્ક્રીનમાં ગ્રસ્ત ગોરી છોકરી અનુસરતી છે. કોઈ કોઈ કાર ઘરની ગમગીનીમાંથી બહારની ગમગીનીમાં ધપી રહી છે … મને સમજાતું નથી કે આ સૂમસામ પરિદૃશ્ય ક્હૅ છે શું -? એ, વિના વાણીએ બોલે છે. હું સાંભળી શકતો નથી. મને તો ભાષા જ સંભળાય. ભાષા તે શબ્દો ને શબ્દો તે અવાજો. અવાજો વિનાની આ શેરીનું શું કરું? કેમ સાંભળું કેમ સમજું શું ક્હૅ છે મને …

મને બૅકેટ યાદ આવે છે. મેં એમના સમા કોઈ ભાષામરમીને જાણ્યો નથી. એ માણસે ભાષાને ન છૂટકે વાપરી. ક્હૅતા કે શબ્દો તો બધું અંદાજે કહી શકે છે, તન્તોતન્ત કશું નહીં. ‘વેઇટિન્ગ ફૉર ગોદો’-માં પાત્રો બોલે છે એથી અનેકગણું કરે છે. ‘ઍક્ટ વિધાઉટ વર્ડ્ઝ’-માં તો શીર્ષક સૂચવે છે એમ ક્રિયા જ ક્રિયા છે, શબ્દો નથી.

મેં ‘ગોદોની રાહમાં’ શીર્ષકથી કરેલા અનુવાદ સાથેના લેખમાં, નાટકમાં જેટલી કંઈ ક્રિયાઓ છે એ લગભગ બધી શોધી બતાવી છે : હાંફવું, ચમકીને પાછા હઠી જવું, ભડકવું, આંચકા ખાવા, ઉછાળા મારવા, એક પગે ચાલવું, લથડવું, પડવું-આખળવું, કણસવું, ઢસળાવું, અમળાવું, ભેટવું, ચીસો પાડવી, પછાડા નાખવા, ભાંખોડિયાં ભરવાં, વગેરે.

ધ્યાન આપશો તો સમજાશે કે આ બધી જ ક્રિયાઓ લગભગ પ્રાથમિક છે. મનુષ્યશરીર અને તે વડે જિવાતા અર્થ-ભાવોની સાવ લગોલગ છે; એ માટે વપરાયેલા શબ્દો ન છૂટકે વપરાયા છે.

Act without Words: Pic Courtesy: YouTube

એક વાર બૅકેટે કહેલું કે ‘ઇટ સીમ્ડ્ ટુ મી ધૅટ ઑલ લૅન્ગ્વેજ વૉઝ ઍન ઍક્સેસ ઑફ લૅન્ગ્વેજ. ભાષા એમને ભાષા પરનો થથેડો લાગેલી. એમણે એમ પણ કહ્યું છે કે ‘ઍટ લાસ્ટ આઈ બીગેન ટુ થિન્ક, ધૅટ ઇઝ ટુ સે ટુ લિસન હાર્ડર’. પોતે માનવા લાગેલા કે બસ વિચારવું, એટલે કે કઠિન ચીજોને પૂરી સાંભળવી. અને એમનું કહેવું મને સાચું લાગે છે, હું વિચારતી વખતે જ મને સાંભળતો હોઉં છું. જીવન-મરણ જેવા કટોકટીભર્યા પ્રશ્નો જન્મ્યા હોય છે ત્યારે મારાથી બોલાતું નથી, ચિત્તના સરોવરમાં ડૂબી જવાય છે. એ ડૂબ ઘણું બોલતી હોય છે અને હું એને સુણતો હોઉં છું. એ શ્રવણ મને એક અનોખા ડહાપણમાં દોરી જાય છે.

આપણે સૌ બોલીએ છીએ વધારે ને એકબીજાને સાંભળીએ છીએ ઓછું. કેટલાયે સાહિત્યકારો બોલવાની કળા જાણે છે પણ સાંભળવાની? એમને બીજાનું બોલ્યું કે લખ્યું સાંભળવાની કે વાંચવાની કશી તમા નથી હોતી. વિચિત્રતા તો એ છે કે એ જ લોકો 'કમ્યુનિકેશન ગૅપ'-ની ચર્ચાઓ ઉછાળતા હોય છે.

જુઓ ને, ફોનમાં સહેલી બોલે એ સાથે જ વીર જણ બોલતો હોય છે અથવા સહેલી ખુલ્લા નળની જેમ અટકતી નથી, ત્યારે શબ્દો સામસામા સૈનિકોએ મચાવેલી ટપાટપીની જેમ અથડાતા રહે છે. કયો આ બાજુનો, કયો પેલી બાજુનો, નથી સમજાતું. એ તડાતડી છે, જીભાજોડી છે. કોણે શું કહ્યું, નથી ખબર પડતી. કેમ કે શબ્દો મરણશરણ હોય છે, શું કહી શકે? પણ ડાહ્યો જણ તો તરત પોતાના વાક્યને પડતું મેલીને સહેલીના વાક્યને સાંભળતો થઈ જાય છે કેમ કે એણે તો પ્રેમ પ્હૉંચાડવા જ ફોન કરેલો ને એમાં ફોન ને શબ્દોની કશી જરૂરત હતી જ નહીં. બન્નેને ન છૂટકે વાપરેલા.

એક વાર કોઈકે મને કોરો કડકડતો પ્રેમપત્ર મોકલેલો ! કશું જ લખ્યું ન્હૉતું !

લેખક તરીકે મને પણ કેટલાક સમયથી થયા કરે છે કે શબ્દો હું ન છૂટકે વાપરું ને મારા વ્હાલા એ પોતાનું કામ કરીને જપી જાય. પણ, ઇટ ઇઝ ટૂ ડિફિકલ્ટ ટુ ગો થ્રૂ લૅન્ગ્વેજ ટુ રીચ બીયૉન્ડ લૅન્ગ્વેજ …

બૅકેટ માનતા હતા કે આ વિશ્વ શાન્તતામાંથી પ્રભવ્યું છે. મને પ્રશ્ન થાય છે – શું મારી શેરીનો એ સૂનકાર એ શાન્તતાનો અવતાર હશે? મને પ્રશ્ન એ પણ થાય છે – શું આ કોરોના કશા વિજન વગડાની ચિર શાન્તતામાંથી સંભવ્યો છે? શું એ માનવજાતને કશી શાન્તતા ભણી દોરી રહ્યો છે? પૃથ્વી પરના બધાં જ માનવીય તન્ત્રોને સભ્યતાઓને અને સંસ્કૃતિઓને નાકામયાબ બનાવી દઈને એ આપણને શું સૂચવી રહ્યો છે? મને નથી ખબર …

પણ પેલી ગોરી છોકરી પાછી ફરી રહી છે. એનું લીશ્ડ્ ડૉગી ડોક ધુણાવતું આગળ આગળ ચાલતું છે ને એ ફોનસ્ક્રીનમાં એ જ પ્રમાણે ગ્રસ્ત છે. એ ઘેર જઈ રહી છે – કદાચ …

= = =

(November 23, 2020: Peoria, IL, USA)

Loading

યે તો હોના હી થા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 November 2020

આપણે બેઝિકલી રઘવાઈ, અધીરી પ્રજા છીએ. એમાં એટલી જ અધીરી અને રઘવાઈ સરકાર મળે તો આખા રાજમાં હોહા થઈ જાય તો નવાઈ નહીં. આપણે જાણતા હતા કે દિવાળી આવી રહી છે. તે કૈં નવાઈની આવતી ન હતી. આમ તો દર વર્ષની જેમ જ એ આવી હતી, પણ, આ વખતે કોરોના પણ લાવી હતી ને બધાંને લાગ જોઈને તે વહેંચતી પણ જતી હતી. દેશ આખામાં હજારો જીવ કોરોનાને કારણે ગયા હતા, પણ આપણને તેની કૈં પડી ન હતી. જેનું ગયું તેનું ગયું, એમાં આપણું કૈં ગયું ન હતું એટલે બેફામપણે રખડવાનો કોઈને વાંધો ન હતો. મહિનાઓ પછી માંડ ધંધાધાપા શરૂ થયા હતા, બજારો, હોટેલો, સિનેમા ગૃહો ખૂલ્યાં હતાં, ત્યાં દિવાળી આવી ધમકી ને લોકો સફાળા જાગ્યા. બેઠા થયા. ઊઠ્યા. દોડ્યા. બજારો ભરી દીધાં. પૈસા ન હતા, પણ ખરીદી નીકળી હતી અને ધૂમ નીકળી હતી. ઠેર ઠેર લોકો ખડકાયા હતા. કપડાંલત્તાનું, બિસ્કિટ-મીઠાઈનું, રોશની-બોશનીનું, આવવા-જવાનું, ખાવાપીવાનું એવું ચાલ્યું કે રસ્તાઓ, માર્કેટો, શોપિંગ મોલ્સ, હોટેલો, ઘરો, મંદિરો માણસોથી ખદબદતાં થયાં. જાણે રસ્તા પર સાપ, નોળિયા, વીંછી, અળસિયાં નીકળી આવ્યાં હતાં ! ઘડીભર તો કોરોના પણ વિચારમાં પડી ગયો કે કોને થાઉં ને કોને ન થાઉં ! આટલી બધી ચોઈસ તો એને આઠેક મહિનામાં મળી જ ન હતી. એણે પણ નક્કી કરી લીધું કે ઓટલા, રોટલા, ચોટલા-ખાટલા, પાટલા, બાટલા-માંથી જ્યાં તક હોય ત્યાંથી લોકોને વળગવું ને વગર પથારીએ જ પથારી ફેરવવા માંડવી.

બીજી તરફ સરકાર, સંસ્થાઓ, ડોક્ટરો, કમિશનરો, સલાહ આપતાં જ રહ્યાં કે સાચવજો, હોં ! માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ રાખજો, સાબુથી હાથ ધોજો, સેનેટાઈઝ થજો, પણ માને એ બીજા ! ડોસાઓ કરગર્યા, પણ ફટાકડા ફૂટયા જ ! અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ … બધું ઉજવાયું. ખડખડિયા ખખડ્યા, થાપડા થાપડની જેમ તૂટ્યા, ઘારી ભારી પડી, તો પણ ઠાંસી. ઠોસા વાગ્યા તો પણ ઢોસા ખાધા, ચીનને ગાળ દઈ દઈને મંચુરિયન ને ભેળનો મેળ પાડ્યો. બ્લેઝર ને રેઝર, થ્રી-પીસ ને કટ-પીસ, જર્સી ને મર્સી , ડ્રીમ ને ક્રીમ એમ જે સેટ થયું તે કર્યું ને છેલ્લે બધું અપસેટ થઈને રહ્યું.

ઉજવણું, ઉઠમણું થઈને રહે એવા દિવસો આવ્યા.

હોસ્પિટલો ઉભરાવા લાગી. બેડ ભરાવા લાગ્યા, ટેસ્ટ વધવા લાગ્યા ને કોરોનાએ લોકોનો કસ કાઢવા માંડ્યો. કોરોનાનું જોર નરમ પડ્યું હતું તે ગરમ થયું. ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું. વેન્ટિલેટરની તપાસ ચાલવા લાગી. ડોક્ટરો “પોઝિટિવ” થયા, કેટલાક હડતાળ પર પણ ગયા. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, સુરત વગર મૂરતે કોરોનાનો ભોગ બન્યા. ચોપડાં પૂજનનાં મૂરતે જ કોરોનાનું મૂરત પણ કાઢી આપ્યું. મૂરખ બનવાની સ્પર્ધાઓ ચાલી.

આ માત્ર ને માત્ર પ્રજાની બેવકૂફીને કારણે થયું. સૌ કોરોનાની ઉઘરાણીએ નીકળ્યાં ને આંકડાઓ વધવા માંડ્યા. દિવાળીએ દાટ વાળ્યો. આમ પણ દિવાળીના દિવસોમાં દવાખાનાઓ ઉભરાતાં હોય છે. ખાંસી, શરદી, તાવનું જોર વધતું જ હોય છે, ત્યાં આ વખતે તો જાણે કોરોનાની લોટરીઓ ફાટી હતી. તે પોતાની જાત બતાવ્યા વગર કેમ રહે? એ પૂરેપૂરી જાત બતાવી શકે એ માટે લોકોએ બહુ મહેનત કરી. તો કોરોનાએ પણ પાછું વળીને જોયું નહીં ! શહેર, રાજ્ય અને દેશમાંથી બહાર નીકળી જવા માટે તેણે બહુ પ્રયત્નો કર્યા, પણ લોકો તેણે છોડવા રાજી ન હતા. આમ તો છ સાત મહિનાની આળસ ચડી ગયેલી. બધું પાટે ચડે એમ હતું, ત્યારે જ કોરોનાને ન જવા લોકોએ આજીજીઓ કરવા માંડી. લોકોએ બહુ કહ્યું કે જોઈએ તો અમે બજારમાં જઈએ, ભીડ કરીએ, ટોળેટોળાં કરીએ, માસ્કની ઐસીતૈસી કરીએ, હાથ ધોવાનું બંધ કરીએ, એન્ટિ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, સેનેટાઈઝ કરવાને બદલે સેન્સેટાઈઝ કરીએ, જોઈએ તો ડિસેન્સેટાઈઝ કરીએ, પણ કોરોના માઇબાપ, આમ અમને અધવચ, મઝધારમાં છોડીને ન જાવ. તમે કહો તો પગે પડીએ ને તમે કહો તો માથે પડીએ, પણ આ રીતે તો તમને નહીં જવા દઈએ. કેટકેટલાં કાલાવાલાં કર્યાં ત્યારે કોરોના એ “કોરો” ના રહેવાની પ્રતિજ્ઞા કરી. તેણે સામે શરતો કરી કે ઠેર ઠેર ભીડ કરો તો જ હું તો રહીશ ! લોકોએ બધુ કબૂલમંજૂર કર્યું ને બજારોમાં તીડનાં ટોળાં જેવી ભીડ ઉતરવા લાગી. બસ ! પછી તો પૂછવું જ શું?

લોકોએ હોટેલોમાં ખાવાનું ખુટાડવા માંડ્યુ. બજારોમાં માલસામાનનો ઉપાડ વધ્યો, અજવાળાં વધ્યાં, ઘોંઘાટો વધ્યા, ધુમાડા ફેલાયા ને એમ જ કોરોના પણ ફેલાવા લાગ્યો. ચૂંટણીની ચટણી વહેંચાઈ. ભાષણો, પ્રદૂષણો બન્યાં, હૈયે હૈયું દળાય એવી મેદનીઓ ઊમટી ને કોરોનાએ શહેરનાં શહેરો પર લહેરો વધારી. હોસ્પિટલોમાં ખાટલાઓ ખૂટવા લાગ્યા. આજના જ સમાચાર છે કે અમદાવાદનો આંકડો 354 પર અને સુરતનો આંકડો 211 પર પહોંચ્યો છે. 1515ના આંકડાએ રાજ્યનો રેકોર્ડ બનાવ્યો છે.

આવું થાય તો સરકાર શું કરે? એ “સુ સુ” ના કરે, સીધો કરફ્યુ જ નાખે. નાખ્યો. શુક્રવાર રાતના નવથી સોમવાર સવારે છ સુધી સળંગ કરફ્યુ લાદવામાં આવ્યો. આમ તો પહેલાં શુક્રવારે રાતથી શનિવારે સવારે છ દરમિયાન કરફ્યુની વાત હતી, પણ સરકારને લાગ્યું કે લોકો નહીં ગાંઠે એટલે વીક એન્ડ કરફ્યુ લાદવામાં આવ્યો. યે તો હોના હી થા ! એ સાથે જ સુરત, વડોદરા, રાજકોટ પણ રાત્રિ કરફ્યુ હેઠળ લાવવામાં આવ્યાં. જો કોરોના કાબૂમાં નહીં આવે, તો કરફ્યુની મુદ્દત લંબાતી જશે. કરફ્યુએ સડકો સૂની કરી દીધી. લોકો ચુમાઈને ફરી ઘરે બેસવા લાગ્યા.

આમ તો આજથી સ્કૂલ, કોલેજો ખૂલી જવાની હતી, પણ દિવાળી વેકેશન લંબાયું હોય તેમ કોરોનાના વકરાટને પગલે સ્કૂલ, કોલેજો હવે નહીં ખૂલે. એક તબક્કે શિક્ષણમંત્રીએ શુક્રવારે સાંજે પાંચેક વાગે નિર્ણય લઈ લીધો હતો કે સ્કૂલ, કોલેજો સોમવારથી ખૂલશે જ, પણ સૂરસૂરિયું થયું. બે જ કલાકમાં નવી જાહેરાત કરવામાં આવી કે સ્કૂલ, કોલેજ ખૂલવાનો નિર્ણય મોકૂફ રાખવામા આવ્યો છે. આ નિર્ણયથી કેટલાક રાજી થયા, તો વર્ષ બગાડવાની બીકે કેટલાંક નારાજ પણ થયાં. તેમનું માનવું છે કે જ્યાં સુધી કોરોનાની રસી નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ પણ સ્કૂલ, કોલેજ ન આવવું જોઈએ.

જો કોઈ ચમત્કાર નહીં થાય તો બીજી ટર્મના અંત સુધીમાં રસી આવવાની નથી. એ જુદી વાત છે કે કેન્દ્રીય આરોગ્યમંત્રી રસીની આગોતરી વરદી અને જાહેરાત કરતાં રહીને પોતાનું અસ્તિત્વ સાબિત કરતાં રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ રસીની, રોગનાં જોખમોની વખતોવખત જાહેરાતો ઝીંકયે રાખી છે ને વિશ્વની પ્રજાને તલવારની ધારે રાખી છે. માસ્ક, રસી, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝરથી સાવચેતી રખવાનું કહીને “હુ”એ દુનિયાને ભયત્રસ્ત રાખી છે ને એ જ હવે એવી જાહેરાત પણ કરી રહ્યું છે કે કોરોના શરદી, ખાંસીથી વધારે કૈં નથી. તેને માટે માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવી કોઈ સાવચેતી રાખવાની જરૂર નથી. જો આ રોગ ભયંકર નથી તો સવાલ એ થાય કે કોરોનાને નામે બારેક લાખ લોકો જગતમાં મર્યાં કેવી રીતે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશને તેની વિશ્વસનીયતા ન રહે એ માટે કમર કસી છે. એણે જે રમવું હોય તે ભલે લોકોના ખર્ચે ને જોખમે રમે, પણ આ રોગની ભયાનકતા ઠસાવીને તેણે જગતનું શિક્ષણ દાવ પર લગાવ્યું છે. આ અંગે તેણે પ્રમાણિક મત પ્રગટ કરવો જોઈએ. ભારતનો સવાલ છે ત્યાં સુધી ગ્રેજ્યુએશન ને તેથી વધુ ઉચ્ચ વર્ગોનાં શિક્ષણ અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટ થઈ જવું જોઈએ. આ વર્ષ ભણતર માંડી વાળવાનાં દૂરગામી પરિણામો આવી શકે એમ છે. માસ પ્રમોશનની આડ અસરો ગુજરાતે જોઈ છે ને તેને લીધે હોંશિયાર વિદ્યાર્થીઓએ ઘણું નુકસાન વર્ષો સુધી વેઠયું છે. આ ફરી થવા દેવાનું છે? રસીની રાહ જોવામાં વિદ્યાર્થીઓ પર કોરોનાથી મોટું જોખમ ઊભું કરવા દઈ શકાય નહીં !

લોકો જો સ્વયંશિસ્ત પાળે તો વિદ્યાર્થીઓનું વર્ષ બચે એમ છે. વિદ્યાર્થીઓને તેનાં ભવિષ્યથી વંચિત ન રાખવા હોય તો પ્રજાએ કોરોનાને ભગાડવા શકય તે તમામ પ્રયત્નો કરવા જોઈએ. એ અત્યંત દુખદ છે કે કોરોનાએ શિક્ષણની નૌકા પૂરેપૂરી ડુબાડવા માંડી છે ને શિક્ષણ વિભાગ નહીં જાગે ને પ્રજાહિતમાં નહીં વિચારે તો કોરોના વગર પણ ઘણા શૈક્ષણિક આપઘાતો ભવિષ્યે થશે … વિચારીએ …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 23 નવેમ્બર 2020   

Loading

ચંપારણની લડાઈ ગાંધીજીએ કૉન્ગ્રેસના નામ વગર લડી હતી !

રમેશ ઓઝા|Opinion - Opinion|22 November 2020

ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં ભાષણ આપ્યું હતું ૧૯૧૬ના ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જેણે એક સાથે સરકારને, દેશના પ્રસ્થાપિત નેતાઓને, હવે પછી જેનો ઉદય થવાનો હતો એવા નેહરુ-પટેલ-રાજેન્દ્રબાબુ-રાજાજી જેવા નેતાઓને અને પ્રજાને ચોંકાવી દીધા હતા. દેશભરમાં એ ભાષણની ચર્ચા ચાલતી હતી. એ જ વરસમાં એટલે કે ૧૯૧૬ના ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં બનારસની નજીક લખનૌમાં કૉન્ગ્રેસનું અધિવેશન મળ્યું હતું જેમાં લોકમાન્ય તિલક અને મહમ્મદ અલી ઝીણા વચ્ચે સમજૂતી થઈ હતી જે લખનૌ કરાર તરીકે ઓળખાય છે. એ સમજૂતી વાસ્તવમાં કૉન્ગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થઈ હતી અને એમ પણ કહી શકાય કે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે થઈ હતી.

કૉન્ગ્રેસના એ અધિવેશનમાં ગાંધીજી હાજર હતા, પરંતુ લગભગ નિષ્ક્રિય સાક્ષી તરીકે. ગાંધીજી ભારત આવ્યા એ પછીનાં શરૂઆતનાં બે-ત્રણ વરસ તેમની પાસે કૉન્ગ્રેસના અધિવેશનોમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓના પ્રશ્ન વિશે બોલવાનું કહેવામાં આવતું હતું અને દક્ષિણ આફ્રિકા વિશે એક ઠરાવ પસાર કરવામાં આવતો હતો. લખનૌમાં પણ ગાંધીજીની આટલી જ ભૂમિકા હતી અને ખરું પૂછો તો એનાથી વધારે તેમની ભૂમિકા હતી સંડાસ સાફ કરવાની હતી.

કનૈયાલાલ મુનશીએ તેમના ‘પિલ્ગ્રીમેજ ટુ ફ્રિડમ’ નામના ગ્રંથના પહેલા ભાગમાં લખ્યું છે કે ભારતીય નેતાઓએ મોરલે-મિન્ટો સુધારા તરીકે વધારે જાણીતો ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ-૧૯૦૯’નો સ્વીકાર કર્યો એ સાથે ભારતનાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં. એ કાયદાકીય સુધારા હેઠળ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓને ધારાસભાઓમાં સ્થાન મળ્યું હતું, પણ ચૂંટણીનું સ્વરૂપ કોમી હતું. મુસલમાનો માટે અલગ મતદાર સંઘ આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર મુસલમાનો જ મતદાન કરી શકે. ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં કૉન્ગ્રેસ તરફથી અથવા એમ કહો કે હિંદુઓ તરફથી લોકમાન્ય તિલકે અને મુસ્લિમ લીગ તરફથી અથવા કહો કે મુસલમાનો તરફથી મહમદઅલી ઝીણાએ વિભક્ત મતદાર સંઘની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી હતી. મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં ઘણી વધુ બેઠકો અલગ મતદાર સંઘ તરીકે મંજૂર રાખીને ફાળવવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી તેમના ગ્રંથમાં લખે છે કે એ સમજૂતી આગળ જતા દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં પરિણમશે એની ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી. માત્ર મદનમોહન માલવિયાએ લખનૌ કરારનો વિરોધ કર્યો હતો.

વરસ હતું ૧૯૧૬. ૧૯૧૬ના પ્રારંભમાં ગાંધીજીએ બનારસમાં ભાષણ આપીને નવા રાજકારણનો શંખ ફૂંક્યો હતો અને ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં આગલી પેઢીના નેતાઓએ લીધેલો છેલ્લો નિર્ણય હતો અને છેલ્લી સમજૂતી હતી. કનૈયાલાલ મુનશીના કહેવા મુજબ ૧૯૦૯ના સુધારાનો સ્વીકાર કરીને અને લખનૌની સમજૂતી કરીને કૉન્ગ્રેસના નેતાઓએ મુસલમાનોને એટલું બધું આપી દીધું હતું કે તેના દ્વારા વિભાજનનાં બીજ વવાયાં હતાં અને મહમદઅલી ઝીણાને એમ લાગવા માંડ્યું હતું કે તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના આર્કિટેક્ટ છે. આખા દેશને એમ લાગવા માંડ્યું હતું અને એ રીતે તેમને વધાવવામાં પણ આવ્યા હતા. વિધિનો ખેલ એવો નીવડ્યો કે ઝીણાનું પણ એ છેલ્લું ગિર્યારોહણ સાબિત થયું. એ પછી ઝીણા બે દાયકા સુધી ભારતીય રાજકારણની બહાર ધકેલાઈ ગયા હતા.

હમણાં કહ્યું એમ લખનૌમાં ગાંધીજી હતા ખરા પણ લગભગ સાક્ષીની ભૂમિકામાં. સફાઈ અને નેતાઓની સેવા કરવા સિવાય તેમની બીજી કોઈ ભૂમિકા નહોતી. એની વચ્ચે એક રાજકુમાર શુક્લ નામનો બિહારનો ખેડૂત ગાંધીજીને શોધતો ગાંધીજીની રાવટીમાં આવી ચડે છે. એકથી એક દિગ્ગજ નેતાઓ લખનૌમાં હાજર હતા, પરંતુ એ ગાંધીજીને શોધતો હતો અને એનું કારણ બનારસનું ભાષણ હતું. એણે કોઈના મોઢે બનારસના ભાષણની વાત સાંભળી હતી અને પછી તે વાંચ્યું પણ હતું અને તેને સમજાઈ ગયું હતું કે આ માણસ ભડવીર તો છે જ પણ તે સાથે ગરીબોની પીડાને તે એટલી જ તીવ્રતાથી અનુભવી શકે છે જેટલી તીવ્રતા પીડા ભોગવતો ગરીબ અનુભવતો હોય. સત્ય અને ન્યાયનો તકાદો હોય તો કોઈ પ્રશ્ન તેના માટે નાનો નથી અને કોઈ માણસ તેના માટે મોટો નથી. આ વાત એક ગ્રામીણ, લગભગ અભણ ખેડૂતને સમજાઈ ગઈ હતી. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારતની પ્રજાને સમજાઈ ગયું હતું કે કોઈ દમદાર માણસ આવ્યો છે જે ગરીબ-રાંક પ્રજાના કામનો છે.

રાજકુમાર શુક્લએ ગાંધીજીને કહ્યું હતું કે બિહારમાં ચંપારણ નામનો એક પ્રદેશ છે જ્યાં ગળી ઊગે છે. કેટલાક અંગ્રેજ વેપારીઓ અમારે ત્યાં કોઠીઓ સ્થાપીને બેઠા છે અને અમારી પાસે બળજબરી ગળીનું વાવેતર કરાવે છે. સરકાર પણ તેમાં અંગ્રેજ કોઠીવાળાઓને મદદ કરે છે અને જમીનના એક હિસ્સમાં અમારે ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડે છે. ગળી ઉગાડવાથી જમીનને નુકસાન થાય અને સામે કોઈ ખાસ વળતર મળતું નથી. જો કોઈ ગળીનું વાવેતર કરવાની ના પાડે તો ગોરાઓની ખાનગી સેના બળવાખોર ખેડૂતો સાથે અત્યાચાર કરે છે. તેમણે ગાંધીજીને કહ્યું કે આપ અમારે ત્યાં આવો, તમારી સગી આંખે અમારી યાતના જુઓ અને અમને તેનાથી મુક્ત કરો. 

ગાંધીજીએ કૉન્ગ્રેસના અધિવેશનમાં આવેલા બિહારના નેતાઓ સાથે આ પ્રશ્ને વાત કરી તો દરેકે કહ્યું કે હા ચંપારણમાં આવું બની રહ્યું છે ખરું, પણ કોઈની પાસે પાકી વિગત નહોતી. પ્રજાના નેતા બનવા માટે પ્રજાની વચ્ચે જવું જોઈએ અને એમાં પણ ગામડે જવું જોઈએ એવી ત્યારે કોઈ કલ્પના જ નહોતી. નેતા બનવા માટે ભાષણ કરતા આવડવું જોઈએ, વધારે મોટા નેતા બનવું હોય તો અંગ્રેજી આવડવું જોઈએ, કૉન્ગ્રેસના અધિવેશનોમાં પ્રતિનિધિ તરીકે અને પ્રતિનિધિઓને લઈને જવું જોઈએ, સરકાર સાથે જે તે માગણી લઈને પત્ર-વ્યવહાર કરવો જોઈએ, પ્રતિનિધિમંડળોમાં જોડાવું જોઈએ વગેરે પૂરતું હતું.

ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં ગરીબોની લડાઈ ગરીબોમાંથી પેદા થતા બિરસા મુંડાઓ લડતા હતા અને શહીદ થતા હતા, કોઈ કૉન્ગ્રેસી કે મુસ્લિમ લીગી નેતાએ લડી હોય એવું બન્યું નહોતું. આ નિવેદન હું અત્યંત જવાબદારીપૂર્વક કરી રહ્યો છું. ગરીબોની તેમના શોષણ સામેની લડાઈનો ઇતિહાસ પણ આપણા ધોરીમાર્ગના ઇતિહાસકારોએ લખ્યો નથી, એ પણ કેટલાક ઇતિહાસકારોએ ‘સબાલટર્ન સ્ટડીઝ’ તરીકે અલગથી લખ્યો છે. ગરીબોએ શોષણથી કંટાળીને અને ઉશ્કેરાઈને કેટલી બધી લડાઈઓ લડી હતી જેની કૉન્ગ્રેસી-લીગી નેતાઓએ ઉપેક્ષા કરી હતી. તેમનું નેતૃત્વ તો બહુ દૂરની વાત છે. ગાંધીજી પહેલા એવા કૉન્ગ્રેસી નેતા હતા જેણે ગરીબોની લડાઈ લડી હતી અને આ માણસ લડશે એની રાજકુમાર શકલને ખાતરી હતી. એટલે તો રાજકુમાર શુક્લે ગાંધીજીની પૂંઠ પકડી હતી. ગાંધીજીને વિનવણી કરતા પત્રો લખ્યા, અમદાવાદ જઈ આવ્યા, ગાંધીજી જ્યાં જ્યાં જાય ત્યાં તેઓ પાછળ પાછળ જતા અને ગાંધીજી કલકત્તા જવાના હતા તો ત્યાં પણ પહોંચી ગયા.

૧૯૧૭ના એપ્રિલ મહિનામાં ગાંધીજી ચંપારણ જાય છે અને ભારતીય રાજકારણમાં એક નવો યુગ શરૂ થાય છે. યાદ રહે, ગાંધીજીએ ચંપારણની લડાઈ કૉન્ગ્રેસનું નામ વાપર્યા વિના લડી હતી, કારણ કે કૉન્ગ્રેસી નેતાઓ માટે તો આ માફક ન આવે એવા દમદાર માણસનું શું કરવું અને તેની સાથે કેમ કામ પાડવું એનો કોયડો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 નવેમ્બર 2020

Loading

...102030...2,1942,1952,1962,197...2,2002,2102,220...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved