Opinion Magazine
Number of visits: 9574279
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કળાઃ સાહેબની અને મોરની

દીપક દેસાઈ|Opinion - Opinion|3 September 2020

ફેન્સી ડ્રેસમાં શોભીતા વડાપ્રધાને મોરને ચણ ખવડાવ્યું ને પછી વડાપ્રધાન આંટા મારતા હતા ત્યારે મોરે કળા કરી — એવો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ ચર્ચાસ્પદ બન્યો કેટલાકને તેમાં એવો વાંધો પડ્યો કે દેશ કોરોના સહિત અનેક મુસીબતો સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે વડાપ્રધાનને આવી નાટકબાજી ને દેખાડાબાજી કેમ સૂઝતાં હશે? આ સવાલ જ વડાપ્રધાનની કાર્યપદ્ધતિ સમજતા લોકો માટે અસ્થાને છે. વડાપ્રધાન તેમના ટીકાકારો માટે કશું કરતા નથી. એ તો તેમના ચાહકવર્ગને વખતોવખત લડવાનાં ને પોરસાવાનાં નિમિત્ત આપતા રહે છે. તેમના ચાહકોની સમજ વિશેની વડાપ્રધાનની સમજ બહુ પાકી છે. તેમને ખાતરી હશે કે ચાહકો મોરવાળો વીડિયો જોઈને આફરીન પોકારી જશે અને જે નહીં પોકારે, તે તેની ટીકા સાંભળીને તો મેદાનમાં ઉતરી જ પડશે. એથી વધારે બીજું શું જોઈએ?

તદ્દન બિનસત્તાવાર રીતે એવું પણ સાંભળવા મળ્યું કે મોર સાથે શૂટિંગ કરતાં પહેલાં બીજાં પ્રાણીઓ વિશે પણ વિચારાયું હતું. મામલો મૌલિકતાનો અને ખેલ પાડવાનો હોય તો વિચાર તો કરવો જ પડેને? આ કંઈ નોટબંધી થોડી જાહેર કરવાની છે કે વગર વિચાર્યે કરી દેવાય? પહેલાં કોઈએ સૂચવ્યું કે ‘કલર સ્કીમ પ્રમાણે કાચિંડો લઈએ તો કેવું? તે હથેળીમાં પણ સમાઈ જાય અને સાહેબ તેને હથેળીમાં દાણા ખવડાવતા હોય, કાચિંડો પણ સાહેબ સામે ભક્તિભાવથી તાકી રહ્યો હોય … જોરદાર કામ થઈ જાય.’

પણ પછી એક સંશયાત્માએ મુદ્દો ઉઠાવ્યો કે ‘એ તસવીરમાં કોઈને કાચિંડો ઓળખવામાં તકલીફ પડે કે ગુંચવાડો થાય તો? લોકોની વિચારશક્તિને તસ્દી આપવાનું જોખમ ન લેવાય.’ એટલે કાચિંડાવાળો આઇડિયા પડતો મૂકવામાં આવ્યો.

પછી કોઈકે પેંગ્વિન વિશે સૂચવ્યું. પેંગ્વિન દિલ્હીમાં ન લવાય તો કંઈ નહીં, સાહેબને દક્ષિણ ધ્રુવ તો લઈ જવાયને? આમ પણ સાહેબને ત્યાં જવાનું હજુ સુધી બાકી જ છે અને ત્યાંથી આમંત્રણ મળે એવી કોઈ સંભાવના નથી.

પણ ગુજરાતના એક સલાહકારે કહ્યું કે ‘અમારો અનુભવ છે, સાહેબને કશું બ્લેક એન્ડ વ્હાઇટમાં નથી રુચતું.’ એટલે એ વિચાર માંડવાળ કરાયો. પછી ગુજરાતના જ સલાહકારે કહ્યું કે ‘સિંહ સાથે સાહેબનું મેચિંગ કેવું રહેશે?’ વિચારતાં લાગ્યું કે પ્રભાવ તો પડશે, પણ સિંહને દાણા તો ખવડાવી શકાય નહીં. તેને ખવડાવવા જતાં શાકાહાર-માંસાહારના અને સંસ્કૃતિના પ્રશ્નો ઊભા થશે. સાહેબ સાથે જે હોય તે સિંહ પણ સંસ્કારી-શાકાહારી અને ગાયને માતા ગણીને નમન કરનારો હોવો જોઈએ. એ વિકલ્પ પર ચોકડી મુકાયા પછી મોરના વિકલ્પ પર પસંદગી ઊતરી.

નક્કી થયું કે સાહેબ મોરને દાણા નાખશે, મોર એ દાણા ચણશે ને પછી કળા કરશે. આ ઘટનાક્રમમાં કોઈને સાહેબનું મીડિયા મેનેજમેન્ટ સમજવું હોય તો એ પણ સમજી જશે કે સાહેબ મીડિયા સાથે કેવી રીતે કામ પાડે છે અને વળતા વ્યવહારે મીડિયા કેવી કળા કરે છે. કળા કરતા મોરના શૂટિંગ વખતે એક સલાહકારે કહ્યું હતું કે ‘જરા ધ્યાન રાખજો, કળા કરતા મોરનું આગળથી જ શૂટિંગ કરજો. પાછળ જશો તો મોર દિગંબર દેખાશે.’ પરંતુ તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે ‘ચિંતા ન કરતા, કોમી હિંસા જેવી બાબતોમાં પણ લોકો આગળથી જ, આપણે જેટલું બતાવીએ તેટલું જ શૂટિંગ કરે છે. તો મોરની કળા જેવી નિર્દોષ બાબતમાં એવી શંકા રાખવાની જરૂર નથી.’

સાહેબના વીડિયોમાં પાત્રપસંદગી વિશેનો ઘટનાક્રમ સદંતર કાલ્પનિક છે. પરંતુ સાહેબ એટલા કલ્પનાશીલ છે કે તેમના વિશેના કાલ્પનિક વિચારો પણ સુજ્ઞ જનોને વાસ્તવિક લાગી શકે. તેમાં સાહેબ શું કરે, સુજ્ઞો શું કરે ને મોર પણ શું કરે?

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 16

Loading

નવો પર્યાવરણ મુસદ્દોઃ બકરું કાઢ્યા વિના ઊંટ પેસે એવી ભીતિ

મહેશ પંડ્યા|Opinion - Opinion|3 September 2020

૨૦૧૪નાં રોજ સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાને લાલ કિલ્લાની રાંગેથી “મેઇક ઇન ઈન્ડિયા, મેઈડ ઇન ઇન્ડિયા”નું સૂત્ર આપ્યું હતું. તેની સાથેસાથે “ઝીરો ડિફેક્ટ એન્ડ ઝીરો ઈફેક્ટ“ પણ કહેવાયું હતું. વિદેશોને કહેવામાં આવ્યું કે, “ભારતમાં આવો, મૂડીરોકાણ કરો, તમને અમારા કોઈ કાયદા (ખાસ કરીને પર્યાવરણ અને કામદાર કાયદા) નહીં નડે અને પ્રવર્તમાન કાયદાઓની અડચણ દૂર કરીશું.”

પર્યાવરણ કાયદામાં સુધારા માટે સમિતિ

આ સંદર્ભે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ ભારત સરકારના વન, પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયનો કાર્યાલય હુકમ બહાર પડ્યો હતો, જેમાં ભૂતપૂર્વ કેબિનેટ સેક્રેટરી ટી.એસ.આર. સુબ્રમણ્યમ્‌ના અધ્યક્ષપદે ઉચ્ચ કક્ષાની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમિતિએ વિવિધ પર્યાવરણ કાયદાઓની સમીક્ષા કરવાની હતી. ચાર તજ્જ્ઞ સભ્યો અને બે સચિવોની બનેલી આ સમિતિમાં (૧) ટી.એસ.આર. સુબ્રમણ્યયમ્‌ (ચેરમેન) (૨) વિશ્વનાથ આનંદ (ભૂતપૂર્વ સેક્રેટરી), વન અને પર્યાવરણ મંત્રાલય (૩) જસ્ટિસ એ.કે. શ્રીવાસ્તવ (નિવૃત્ત જજ, દિલ્હી હાઈકોર્ટ) અને (૪) સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ કે.એન. ભાટનો સમાવેશ થતો હતો. સમિતિના બે સચિવોમાં વન અને પર્યાવરણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિશ્વનાથ સિંહા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલીન સભ્ય સચિવ હાર્દિક શાહનો સમાવેશ કરાયો હતો.

આ ઉચ્ચસ્તરીય સમિતિને એન્વાયરમેન્ટ (પ્રોટેકશન) એકટ, ૧૯૮૬, ફૉરેસ્ટ (કન્સર્વેશન) એકટ, ૧૯૮૦, વાઇલ્ડ લાઇફ (પ્રોટેકશન) એકટ, ૧૯૭૨, ધ વોટર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એકટ, ૧૯૭૪ અને ધ એર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એકટ, ૧૯૮૧ — એ પાંચ કાયદાઓનું મૂલ્યાંકન કરીને સુધારા સૂચવવા માટે બે માસની મુદ્દત આપવામાં આવી હતી.

આ સમિતિએ પર્યાવરણ કાયદાઓના હાલના અમલીકરણની સ્થિતિ, જુદી જુદી અદાલતો દ્વારા આપેલા ચુકાદાનું અવલોકન, કાયદાઓના મૂળ ઉદ્દેશોને લક્ષમાં રાખીને કાયદામાં કરવાપાત્ર સુધારા અને સૂચવેલ ભલામણોને પહોચી વળવા સુધારાઓનો કાચો મુસદ્દો તૈયાર કરવાનો હતો. સમિતિની રચના અને ઉદ્દેશ દર્શાવતો સરકારી ઑર્ડર  વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો અને એક મહિના સુધીમાં નાગરિકો પાસે મંતવ્યો મંગાવાયાં હતાં ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સમિતિના કાર્યમાં ઇન્ડિયન ફૉરેસ્ટ એક્ટ ૧૯૨૭નો સમાવેશ કરતો સુધારો, તો ૨૮ ઓક્ટોબર ૨૦૧૪થી સમિતિની મુદ્દતમાં એક મહિનાનો વધારો કરવા આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા અંગે  નીચે મુજબના પ્રશ્નો ઊભા થયા હતા.

સમિતિની કાર્યવાહી અંગે સવાલો

• આટલા મોટા પર્યાવરણના કાયદાઓ સુધારવાના હોય તેમ છતાં કોઈ જાહેર સૂચના અખબારો કે અન્ય માધ્યમો દ્વારા આપવામાં આવી ન હતી. માત્ર વન, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ મંત્રાલયની વેબસાઇટ દ્વારા જ જાહેરાત કરવામાં આવી.

• વેબસાઇટ પર કેટલાંક શહેરોમાં પબ્લિક કન્સલ્ટેશનની વાત પણ કરવામાં આવી હતી. અલબત્ત, તેમાં હંગામી તારીખો જણાવાઈ હતી અને સ્થળ વિશેની કોઈ જાણકારી ન હતી.

• પર્યાવરણના પ્રશ્ને કામ કરતી અમારી સંસ્થા ‘પર્યાવરણ મિત્ર’એ પત્ર લખીને સરકારને બહોળા પ્રમાણમાં લોકમત ઊભો કરવા માટે વિવિધ અખબારો, ટી.વી. ચેનલો જેવાં માધ્યમોનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તે પછીના પત્રમાં જણાવ્યું હતું કે હંગામી તારીખો અને શહેરોનાં નામ લોકસંપર્ક બેઠક હેતુ મૂકવામાં આવ્યાં છે. પરંતુ ચોક્કસ સ્થળ અને સમય બતાવાયો નથી. આ પત્ર પછી પણ મંત્રાલયે સમય/સ્થળ જણાવ્યાં ન હતાં. આમ કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો.

• ઉચ્ચસ્તરીય સમિતિએ તેના અહેવાલમાં સમયની મર્યાદાનું ગાણું ગાયું છે. પરંતુ, અહેવાલ નિયત તારીખ કરતા વહેલો સુપ્રત કરી દીધો.

• આ અહેવાલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ એન્ડ ફૉરેસ્ટ વિભાગની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીને સોપવામાં આવ્યો. તેના દ્વારા ૧૯ ડિસેમ્બરના રોજ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા વેબસાઇટ પર જાહેરાત મુકાઈ કે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી લોકોએ પોતાનાં મંતવ્યો સંસદીય સમિતિને આપવાં. પર્યાવરણવાદીઓએ તેની સામે સખત વાંધો લેતાં અશ્વિનીકુમાર(સાંસદ)ના નેતૃત્વ હેઠળની સ્ટેન્ડિંગ કમિટીએ એન્વાયર્નમેન્ટલ લૉ મેનેજમેન્ટ એક્ટને નામંજૂર કર્યો. સરકાર આટલેથી અટકી નહિ અને “મેઇક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા”ને સાકાર કરવા ઔદ્યોગિક ગૃહોને પર્યાવરણની મંજૂરી મેળવવામાં કાયદાઓનું કોઈ બંધન આડે ન આવે તેનું જ માત્ર ધ્યાન રખાયું છે. ‘ઝીરો ઇફેક્ટ’ના રૂપાળા સૂત્રને ઓથે પર્યાવરણની ઐસી કી તૈસી કરીને ભારત સરકાર દ્વારા પર્યાવરણના કાયદાઓને હળવા કરી ઉદ્યોગોને લાવીને પ્રદૂષણ અને પર્યાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને માટે EIA નોટિફિકેશનમાં સુધારો લાવવાનું જાહેરનામું તારીખ ૧૦-૦૫-૨૦૧૬ના રોજ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયું હતું.

પર્યાવરણ ભંગની છૂટ આપતો નવો મુસદ્દો

નવા મુસદ્દામાં જોગવાઈ છે કે પર્યાવરણનો ભંગ કરો તો કંઈ વાંધો નહીં. પરંતુ, સરકાર એક તજ્જ્ઞ સમિતિ બનાવે છે. તેના કહેવા મુજબ એન્વાયર્નમેન્ટ સપ્લિમેન્ટ પ્લાન તૈયાર કરો એટલે બધા ગુના માફ. મતલબ કે જો કોઈ પ્રકલ્પે પર્યાવરણની સંમતિ ના લીધી હોય અને ઉદ્યોગ કે કોઈ પ્રકલ્પ ચાલુ કરી દીધો હોય તો તેની મંજૂરી રદ્દ નહીં થાય. તેની કાનૂની કાર્યવાહી નહીં થાય. માત્ર સપ્લિમેન્ટ પ્લાન મંજૂર કરાવી દો. પ્રદૂષણ કરો, પર્યાવરણને નુકસાન કરીને પૈસા ભરી દો એટલે ગુનો માફ.

દેશમાં જ્યારે હરિયાળી અદાલત (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ) મજબૂત બની છે ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા સરકારે આ રસ્તો અપનાવ્યો છે. સરકારની રચના થયાની શરૂઆતમાં છ પર્યાવરણીય કાયદાને એક કાયદામાં રૂપાંતર કરવાની પહેલ કરેલી. પરંતુ, દેશભરમાં થયેલા વિરોધને પગલે સરકારે એન્વાયર્નમેન્ટ લો મેનેજમેન્ટ કાયદાને પડતો મૂકયો હતો. અલબત્ત, તે કાયદાનું એક પ્રતિબિંબ આ મુસદ્દામાં છે. ૧૫ એપ્રિલ, ૨૦૧૯ના રોજ મંત્રાલયનું IA નોટિફિકેશન સરકારી વિભાગોમાં આંતરિક સૂચનો માટે મુકાયું જેનું પણ અમલીકરણ ના થયું.

વડાપ્રધાને  ૧૫ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા કહ્યું હતું કે, આપણો દેશ કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. કુદરતી સંસાધનોનો વ્યાપક ઉપયોગ કરીને આપણે દેશનો વિકાસ કરવો છે. ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યોનો વિકાસ. આ વરસની ૧૫ ઓગસ્ટના ભાષણમાં કહ્યું કે, દેશ પાસે અઢળક કુદરતી સંપદા છે તેનો ઉપયોગ થકી વિકાસ કરો. હાલના ડ્રાફ્ટ એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ (EIA) નોટિફિકેશન ૨૦૨૦માં વડાપ્રધાનશ્રીના ભાષણોનો અમલ કરવાનો પ્રયાસ કરાયો છે. ૨૩ માર્ચ, ૨૦૨૦ના રોજ ડ્રાફ્ટ એન્વાયર્નમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન-૨૦૨૦ જાહેર કરાયું. પરંતુ, લોકોના સૂચન માટે તે ૧૧ એપ્રિલ, ૨૦૨૦ના રોજ વેબસાઇટ પર મુકવામાં આવ્યું અને ૧૧ જૂન, ૨૦૨૦ સુધીમાં સૂચનો મંગાવવામાં આવ્યા.

આ ગાળામાં સમગ્ર દેશ લૉક ડાઉન હેઠળ હતો જેથી સમગ્ર દેશમાંથી વિરોધ થયો કે આ નોટિફિકેશન પાછું ખેચી લો. અલબત્ત, ભારત સરકારે આ નોટિફિકેશન માટે સૂચનો મંગાવવાની તારીખમાં ૩૦ જૂન, ૨૦૨૦ સુધીનો વધારો કરી આપ્યો. દરમ્યાન, દિલ્હીની વડી અદાલતે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી સૂચનો સ્વીકારવા આદેશ કર્યો.

ડ્રાફ્ટ EIA 2020નો વિરોધ કેમ થઇ રહ્યો છે?

હાલના ૨૦૦૬ના પર્યાવરણ નોટિફેકશનમાં શરતોને આધીન આપેલી પર્યાવરણીય સંમતિનો ભરપાઈ અહેવાલ દર છ મહિને આપવાનો હોય છે, જ્યારે ૨૦૨૦ના ડ્રાફટ નોટિફેકેશનમાં મુદ્દત વધારીને એક વરસની કરી છે. હાલમાં બધા જ પ્રકલ્પોના મૂલ્યાંકનની જોગવાઈને બદલે નવા ડ્રાફટમાં બાંધકામ, નેશનલ હાઈવે, વૉટર વે જેવા કેટલા ય પ્રકલ્પોને મુક્તિ આપી છે. પર્યાવરણીય શરતોના ભંગની ફરિયાદ કોઈ પણ ભારતીય નાગરિક કરી શકે છે, તેવી હાલની જોગવાઈ રદ્દ કરી શરતોના ભંગ બદલ સ્વયંભૂ ઉદ્યોગો અને સરકારી તંત્ર ધ્યાન દોરશે તેવી જોગવાઈ કરી છે. પર્યાવરણીય લોકસુનાવણીનો સૂચના-સમય ૩૦ દિવસથી ઘટાડીને ૨૦ દિવસનો કરી દીધો છે. બાંધકામ પ્રકલ્પ જો ૨૦,૦૦૦ ચો.મી.થી વધારે હોય તો હાલમાં ફરજિયાત પર્યાવરણીય સંમતિની જોગવાઈ છે. તેમાં વધારો કરીને ૧,૫૦,૦૦૦ ચો.મી.ના બાંધકામની જોગવાઈ સૂચવાઈ છે. તેનાથી નાના પ્રકલ્પોને સંમતિની જરૂર નહીં રહે. સ્થળ પર કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાતી હાલની પર્યાવરણીય લોકસુનાવણી હવેથી વીજાણુ માધ્યમ દ્વારા યોજવાની જોગવાઈ કરી છે. હાલના મજબૂત માળખાને નબળું બનાવતા અને લોકોની મહદ્ અંશે બાદબાકી કરતા સુધારા પણ સૂચવાયા છે.

આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો ઉદ્દેશ તો ખૂબ જ ઉમદા બતાવ્યો છે. (૧) ઝારખંડ હાઈકોર્ટે પર્યાવરણીય કાયદાઓમાં થઈ રહેલા ભંગ બદલ કેન્દ્ર સરકારની ભારે ટીકા કરી (હિન્દુસ્તાન કોપરના કેસ અંગે, તા. ૨૮ નવેમ્બર, ૨૦૧૪), (૨) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સંદીપ મિત્તલ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં જણાવ્યું કે, પર્યાવરણીય સંમતિમાં આપવામાં આવતી શરતોનું પાલન થતું નથી. એટલે તે શરતોનું પાલન કરવા સુદૃઢ વહીવટી માળખાની જરૂરિયાત છે. આ હકીકતોને ધ્યાને લઈને ભારત સરકાર પર્યાવરણીય કાયદાઓના થઈ રહેલા ભંગને બક્ષવા માગતી નથી કે જેનાથી મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થાય છે. પરંતુ, ઉપરોક્ત હેતુઓ અને પ્રસ્તુત ડ્રાફ્ટ EIA Notification 2020 જોતા લાગે છે કે, બકરું કાઢતા ઊંટ પેઠું કહેવત બદલાઈ ગઈ છે અને બકરા અને ઊંટ બંને સાચવવાની વાત જોવા મળે છે. લોકોને બાકાત કરીને ઉદ્યોગો જાતે જ પોતાના નિરીક્ષક બને તેવો અભિગમ અપનાવાયો છે. 

પર્યાવરણને નુકસાન કરતા સુધારા

જો આ ડ્રાફ્ટ નોટિફિકેશનનું અમલીકરણ થશે તો પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થશે તેમ જ કુદરતી સંસાધનો આધારિત જીવતા લોકોની પણ મુશ્કેલીઓ વધી જશે. એટલે ચોમેરથી આ ડ્રાફ્ટ નોટિફિકેશન પાછું ખેંચી લેવાની માગ ઊઠી છે. ઈ.આઈ.એ. ૨૦૦૬ પ્રમાણે ૮ પ્રકારની કેટેગરી માટે પર્યાવરણીય સંમતિ (એન્વાયર્નમેન્ટ ક્લીયરન્સ) લેવાનું હતું. નવા નોટિફિકેશનમાં આ કેટેગરી દૂર કરીને ૪૩ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય સંમતિ લેવાનું નક્કી કર્યું છે. પહેલી નજરે એવું લાગે કે, બહુ બધા પ્રકલ્પને એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ માટે આવરી લેવામાં આવ્યા છે. હકીકતમાં, કેટેગરી બી-૨નો ઉમેરો કરીને મહદ્ અંશે ઉદ્યોગોને એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ અને એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

અચરજ એ વાતનું છે કે, ડ્રાફ્ટ ઈ.આઈ.એ. ૨૦૨૦માં બી-૨ કેટેગરીના પ્રકલ્પોને એન્વાયર્નમેન્ટલ પરમિશન લેવાની થાય, જે સામાન્ય રીતે વહીવટી મંજૂરી છે. એન્વાયર્નમેન્ટલ પરમિશનથી પર્યાવરણનું જતન કરવાને સ્થાને ઉદ્યોગો જલદી કાર્યરત થાય તેવો હેતુ છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં ૪૦ જેટલી પ્રવૃત્તિઓને મુક્તિ મળે છે. (૧) જેમાં સોલાર પાવર પ્લાન્ટ્સ, સોલાર થર્મલ પ્લાન્ટ્સ, સોલાર પાર્ક્સ વગેરેને એન્વાયર્નમેન્ટલ પરમિશન પણ લેવાનું નથી થતું. દેશમાં વ્યાપક ફરિયાદો ઊઠી છે કે વિશાળ જમીનમાં પથરાયેલા સોલાર પાર્કોથી સામાજિક આર્થિક અને પર્યાવરણને  વ્યાપક નુકસાન થયું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ આ બાબતના કેસ નોધાયા છે. (૨) આ ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા કમર્શિયલ પ્રોજેક્ટ ઉત્પાદન ન હોય તેવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને મુક્તિ આપવામાં આવી છે. સવાલ કમર્શિયલ ઉત્પાદન હોય કે ન હોય તેનો નથી. પરંતુ, પોલ્યુશન પોટેન્શિયલ અને એડવર્સ ઈમ્પેક્ટ (ખરાબ અસરો) કેટલી થાય છે તેને આધારે નક્કી કરવું જોઈએ. (૩) દેશમાં મોટી જગ્યામાં અને વિશાળ સંખ્યામાં પથરાયેલા પવનચક્કી પ્રોજેક્ટ અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન ચુપકીદી સેવે છે. પવનચક્કી પ્રકલ્પોને લીધે સામાજિક અને પર્યાવરણને આર્થિક વિપુલ માત્રામાં નુકસાન થવાના બનાવો નોધાયા છે.

આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં એક જ પ્રકારના ઉદ્યોગોનો જો કોમન ટ્રીટમેન્ટ પ્લાન બનાવવાના હોય તો આ પ્રકારના CETPને પર્યાવરણીય સંમતિમાંથી મુક્તિ જાહેર કરી છે. ખરેખર, આ પર્યાવરણીય નુકસાન કરનાર પગલું છે. લીનિયર પ્રોજેક્ટ જેવા કે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે વગેરેના એક્સપાન્શન માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. લાઈન ઑફ એક્ચ્ચુલ કંટ્રોલથી ૧૦૦ કિ.મી.ના અંતરે બનનાર રોડ રેલવેને પણ મુક્તિ આપવામાં આવી છે.   ડિફેન્સને લઈને કરવામાં આવતા પ્રકલ્પો તેમ જ સરકાર જેને સ્ટ્રેટેજીક પ્રોજેક્ટ તરીકે ઓળખાવે તેવા પ્રકલ્પોને પણ મુક્તિ બક્ષવામાં આવી છે. આ નોટિફિકેશનમાં ૧૦ ટકા જેટલી ક્ષમતા વધારતા પ્રકલ્પો હોય, તેમને વધારાના ઉત્પાદન માટે પર્યાવરણીય સંમતિમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે ખૂબ ગંભીર છે. લાર્જ સાઈઝના પ્રોજેક્ટમાં ૧૦ ટકાના વધારાથી પર્યાવરણનું નુકસાન થતું હોય છે

ગુનેગારને સજા નક્કી કરવાની સત્તા

આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરતા ઉદ્યોગો સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ, ઉદ્યોગ/પ્રકલ્પ સ્વયંભૂ રીતે સરકારને જાણ કરે કે તેમણે પર્યાવરણના કાયદાનો ભંગ કર્યો છે તો, દંડની રકમમાં અને એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં મોટી રાહતો જાહેર કરી છે. જેમ કે, ઉદ્યોગ સ્વયંભૂ જાહેર કરે કે તેમણે પર્યાવરણીય કાયદાનો ભંગ કર્યો છે તો, દિવસનો માત્ર રૂ. એક હજારનો દંડ. પરંતુ સરકાર ભંગ કરતા પકડે તો દિવસનો રૂ. બે હજારનો દંડ. જેનાથી સ્પષ્ટ ફલિત થાય છે કે, સરકાર ઉદ્યોગોને પર્યાવરણના ભોગે છાવરવાની અને પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરવા પ્રોત્સાહન આપી રહી છે.

આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જિલ્લા સ્તરે એન્વાયર્નમેન્ટલ એસેસમેન્ટ કે એન્વાયર્નમેન્ટલ  મેનેજમેન્ટ પ્લાનને જમા થયેલા ડિસ્ટ્રીકટ મિનરલ ફંડનો ઉપયોગ કરવા છૂટ આપી છે જે બરાબર નથી. જેના માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે તે જ હેતુ માટે ફંડ વપરાવું જોઈએ. આ ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા ભંગ કરનાર ઉદ્યોગો પાસેથી બૅન્ક ગેરંટી લેવાનું નક્કી કર્યું છે. પરંતુ, જમા થયેલ બૅન્ક ગેરંટીનો ઉપયોગ શું કરવો તે બાબતે ડ્રાફ્ટ નોટિફિકેશન મૌન છે. બૅન્ક ગેરંટી અને નોનકમ્પ્લાયન્સ કરનારા પાસેથી દંડનીય રકમ મેળવવાનો મતલબ આવા ઉદ્યોગોને ન્યાયપ્રક્રિયામાંથી બચાવી લેવાનો અને પર્યાવરણ સુરક્ષા ધારો-૧૯૮૬ને બુઠ્ઠો કરી દેવાનો છે.

પર્યાવરણીય લોકસુનાવણીના માધ્યમથી લોકોને પ્રકલ્પો અંગે પોતાના અભિપ્રાયો/સૂચનો/વાંધા રજૂ કરવાની તક મળતી હતી, તે મહદ્ અંશે છીનવી લેવામાં આવી છે. લગભગ ૧૫ જેટલા પ્રકલ્પો જો નોટિફાઇડ એરિયામાં આવતા હોય ઉપરાંત કેટેગરી-એમાં આવતા હોય તો તેમને પર્યાવરણીય લોકસુનાવણીમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

નેશનલ પાર્ક/સેન્ચુરી/ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકલ્પ આવતો હોય તો તે પ્રકલ્પોને લોક-સુનાવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખરેખર તો પર્યાવરણીય સંવેદનશીલ પ્રકલ્પો માટે લોકોના વિશેષ અભિપ્રાય લેવા જોઈએ. પર્યાવરણીય લોકસુનાવણી અંગેની જાહેરાત, જે એક મહિના પહેલા કરવામાં આવતી હતી, તે ઘટાડીને ૨૦ દિવસ કરવામાં આવી છે જેનો મતલબ એ થયો કે ઊંડાણના વિસ્તારોમાં લોકોને સમયસર સૂચનાઓ નહીં મળે.

આમ, ડ્રાફ્ટ EIA-૨૦૨૦ દ્વારા પર્યાવરણ અને કુદરતી સંસાધનો પર નભતા લોકોને પારાવાર નુકસાન થશે.

e.mail : paryavaranmitra@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 11-14

Loading

દિલ્હીમાં હિંસાનું નગ્ન તાંડવ સાથે માનવતાનું ખુલ્લેઆમ ખૂન

કમલેશ ઓઝા|Opinion - Opinion|3 September 2020

રાજકીય પડદા પર ભારત

ભારતીય રાજ્ય વ્યવસ્થા અને તેની લોકશાહી અદ્દભુત છે. અને પરદેશમાં તેની ગણના એક નોંધપાત્ર દેશની યાદીમાં જરૂર આવી જાય છે તેમાં કોઇ શંકા નથી.

પણ ભારતીય રાજ્યવ્યવસ્થા અને તેની લોકશાહી વ્યવસ્થામાં બનતાં કોઇ એક ધર્મી અને કોઇ અમુક લોકો તરફની નફરત અને હિંસાજનક હુમલાઓ ભારતની લોકશાહી વ્યવસ્થામાં એક મોટું કલંક છે – આ સાંપ્રદાયિક તનાવનો પાયો ૧૯૯૨, ૬ ડિસેમ્બરે જ્યારે બાબરી મસ્જીદ ધ્વંસ થઇ ત્યારથી નંખાયો છે. એ વાત દરગુજર ધ્યાન બહાર કરવા જેવી નથી કે આ કોલમ લેખકને સ્પષ્ટ લાગે છે.

સ્વતંત્રતા મળ્યા પછી પહેલી ચૂંટણી વખતે નહેરુ પહેલા વડાપ્રધાન થયા, ત્યારે હિન્દુ મહાસભા હિન્દુ કટ્ટરવાદીઓ આખા દેશમાં માત્ર ૧૦ જ પાર્લામેન્ટ મેમ્બર તરીકે ચુંટાવાની બીના અને આજે તે જ આર.એસ.એસ.ની હિન્દુરાષ્ટ્રની ભૂમિકાવાળા કટ્ટર હિન્દુવાદી તત્ત્વોએ આ દેશનું સુકાન હાથમાં લીધું છે. ત્યારે આખા દેશમાં આજે ભયનું વાતાવરણ ફેલાતા, સંવેદનશીલ નાગરિક કે તટસ્થ વિચારક તરીકે અને તેમ જ આ દેશના બુદ્ધિજીવીઓ વગેરે અસમંજ સ્થિતિમાં મુકાઇ ગયા હોય, તેવો ભાવ થતાં આ દેશ આજે જે નફરતની ભૂમિકા પર ચાલી રહ્યો છે તે ક્યાં જઇને અટકશે તે કહેવું મુશ્કેલ છે.

દિલ્હી હિંસાના નગ્ન તાંડવ પર નજર કરતાં કરતાં એક તટસ્થ પત્રકાર તરીકે એટલું કહીશ કે આ હિંસાના મૂળમાં બી.જે.પી.ના સત્તાધારી નેતાઓનાં બેફામ વાણીવિલાસ અને ઉશ્કેરણીજનક ભાષણો જવાબદાર છે. યે દેશકે ગદ્દારો કો ગોલી મારો – પોલીસ કે ગદ્દારો કો ગોલી મારો – આવા બેફામ વાણી વિલાસ કરતાં અનુરાગ શર્મા, કપિલ મિશ્રા, પરવેશ શર્મા વગેરે લોકો પર આજ સુધી પોલીસ ખાતું એફ.આઇ.આર. કરી શક્યું નથી. અને ન્યાયાલય પણ સરકારના દબાણ નીચે આ બનાવને એકદમ નજર અંદાજ કરી સરકારને એક એક મહિનાનો જવાબ આપવાનો સમય આપે છે. ત્યારે ન્યાયતંત્ર તરફ આશાની નજરે જોનારો સામાન્ય નાગરિક હત:પ્રભ બની આ દેશની લોકશાહી વ્યવસ્થા તરફ આશંકા  સેવી રહ્યો છે. જસ્ટીસ મુરલીધરે પોલીસ ખાતાને વેધક પ્રશ્નો પૂછી આ બધા જ લોકો જે ઉશ્કેરણીજનક ભાષણો કરનાર છે તેમની સામે તાત્કાલિક એફ.આઇ.આર. કેમ ન કરી તેવું પૂછતાં અને તેમની સામે એફ.આઇ.આ.ર કરવી, તેવું કહેતા તેમની રાતોરાત બદલી કરી પટણા હાઇકોર્ટ મોકલી દેવામાં આવ્યા – ત્યાં ભા.જ.પ. દ્વારા ચાલતી સરકાર સરમુખત્યારશાહી તરફ જતી હોવાનું આ કોલમ લેખકને સ્પષ્ટ લાગે છે.

આજે દેશમાં આ સરકાર સામે વિરોધ કરે, સાચી વાત કરે તેને દેશદ્રોહીનો ઇલકાબ આપી, પાકિસ્તાન ચાલ્યા જવાનું કહેવામાં આવે છે, અને ભડકાઉ ભાષણો કરી ઉશ્કેરાટ ફેલાવતા પોતાના નેતાઓને છાવરે છે – ત્યારે આપણી જીવંત લોકશાહી ડગમગાતી હોવાનું આ કોલમલેખકને લાગે છે.

આ દેશના તોફાનોને ૧૯૮૪ના શિખવિરોધી થતી કત્લેઆમ હોય કે ૨૦૦૨ના ગુજરાતના ગોધરા અને અનુગોધરાનાં રમખાણો હોય ત્યારે પોલીસ હંમેશાં સત્તાની સાથે રહીને જવાબદારો સામે પગલાં લેતા, નિષ્ક્રીય બનતી હોવાના અસંખ્ય બનાવો આખા દેશે અનુભવ્યા છે. ૧૯૮૪માં શિખવિરોધી દંગલમાં પોલીસે નિષ્ક્રિય રહીને તે વખતની કૉન્ગ્રેસ સરકારની જી હજૂરી કરી હતી. તે જ રીતે ૨૦૦૨માં ગોધરામાં થયેલાં ગુજરાતનાં દંગલો અને દિલ્હીના થયેલા હિંસાના નગ્ન તાંડવમાં એ જ રીતે પોલીસ સત્તાની સાથે રહી નિષ્ક્રિય બની હતી, તેના અસંખ્ય દાખલા દિલ્હી હિંસામાં આપણને જોવા મળ્યા છે.

આ કોલમ લેખકે અનુગોધરાનાં કોમી રમખાણોમાં ગુજરાતમાં અને અમદાવાદમાં મુસ્લિમોની દુકાનો સળગાવતા લોકોની સામે પોલીસ ઊભી હતી છતાં તોફાનો પોલીસની હાજરી હોવા છતાં કરવામાં આવ્યા હતા તે નજરોનજર જોયું છે.

પૂર્વ ડી.જી.પી. અજયરાજ શર્માએ (૧૯૯૯-૨૦૦૨) સુધી દિલ્હીના પોલીસ કમિશ્નર રહી ચૂક્યા હતા. તેમણે કહ્યું છે કે દિલ્હીના તોફાનોમાં પોલીસે જો સમયસર પગલાં લીધાં હોત, તો અકુદરતી હિંસાથી થયેલી મોતની સંખ્યા ૫૬ થઇ છે, તે નહિવત્ હોત. સી.એે., એન.સી.આર. વિરુદ્ધની લડત આપતા લોકો તેમ જ અમુક ધર્મી બાદ કરીને મુસ્લિમ વસ્તીમાં આયોજિત હુમલો, ચાંદબાગ ગોકળપુરી ચમનપાર્ક બધા મુસ્લિમ વસ્તી ધરાવતાં મહોલ્લામાં શેરીઓમાં ખુલ્લેઆમ તલવાર જેવાં તિક્ષ્ણ હથિયારો લઇને કટ્ટર હિંદુવાદી લોકોએ હિંસાનું નગ્ન તાંડવ કર્યા પછી પણ આ સરકાર મૂંગી છે. આયોજનપૂર્વક હુમલામાં મુસ્લિમ ઘરો, મસ્જીદો, દુકાનો સળગાવવાના અનેક કિસ્સા સાથે તેમની બાજુમાં જ આવેલા મંદિરો તેમ જ હિન્દુ વસાહતો ને હેમખેમ સલામત રહ્યા. ત્યારે એક સંવેદનશીલ નાગરિક તરીકે આપણે વિચારવું રહ્યું કે આ નફરતની આગ કેટલી યોજનાબદ્ધ હતી કે અનેક મુસ્લિમ પરિવારો આજે તે આ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે. શિવવિહારમાં બચી ગયેલા રમખાણોગ્રસ્ત લોકોનું સર્વસ્વ ભસ્મિભૂત કરી નાખવામાં આવતાં તેઓ કુદરતના ભરોસે જીવતા થઇ ગયા છે. ઘર નહીં, દુકાન નહીં, કોઇ આશરો નહીં. બધા જ લોકો રસ્તા પર આવી ગયા છે. આ હિંસાનું તાંડવમાં કેટલી નફરતની આગ ફેલાયેલી હશે તે અંગે કોઇ કલ્પના કરવી અશક્ય છે.

આસિફા નામની બહેન કહે છે કે હું ચાંદબાગના CAA NRC વિરુદ્ધનાં પ્રદર્શન સ્થળે ઊભી હતી, જ્યાં બે પ્રદર્શનકારીઓને પોલીસે પકડી લીધા. મહિલાઓ પોલીસનો વિરોધ કરવા બહાર આવતાં તેમને ક્યાં લઇ જાય છે, તેવું પૂછતાં આ પ્રદર્શનકારી મહિલાઓ સામે હિન્દુ કટ્ટરવાદી લોકોનુ એક જૂથ જય શ્રી રામના નારા સાથે ચાર વ્યક્તિઓએ તેમના પેન્ટ ઉતારી ગુપ્તાંગ દેખાડીને કહ્યું, "યે લો આઝાદી”. આ બીના અને આવું હિચકારી કૃત્ય ભારતીય સંસ્કૃતિમાં એક કલંક સમાન છે. એક રિપોર્ટ એવો પણ છે કે કોઇ એક જમણેરી જૂથને પોલીસે એમ કહ્યું કે "મુસ્લિમો પર પથ્થરમારો કરો. આ કબૂલાત કોમી હિંસામાં ભાગ લેનાર જમણેરી જૂથે બી.બી.સી.ના સંવાદદાતા સમક્ષ કરેલી તેની વીડિયો બી.બી.સી.એ તે વીડિયો રિલીઝ કરેલો જેમાં વ્યક્તિ દેખાય છે, તે હિમાંશુ રાઠોડ છે જેને પોલીસે પથ્થરો પૂરા પાડી મુસ્લિમો તરફ પથ્થરમારો કરો તેવી સૂચના આપેલી.

આમ દિલ્હીની હિંસામાં પોલીસ માત્ર નિષ્ક્રીય નથી રહી, પણ સહભાગી બની હોય તેવાં પૂરાવા બી.બી.સી.ના સંવાદદાતાએ લોકોના અભિપ્રાયો લઇ રેકોર્ડ કર્યા છે.

હિન્દુ મુસ્લિમ બન્ને પક્ષે ગુનેગાર તરફ જરા પણ સહાનુભૂતિ રાખ્યા વિના આ ગુનેગારોને સખતમાં સખત સજા થવી જોઇએ તેવું આ કોલમ લેખકનું માનવું છે.

આ હિંસાના નગ્ન તાંડવમાં તાહિર હુસેન નામનો મુસ્લિમ યુવક પણ સામેલ હતો. તેની સામે પોલીસ તપાસ પણ થઇ ગઇ હતી અને તે પોતે હાઇકોર્ટ સમક્ષ આજે તા. ૫-૪-૨૦૨૦ના રોજ સરેન્ડર થઇ ગયો હતો, પણ એક રિપોર્ટ પ્રમાણે પોલીસખાતુ આજ સુધી કોઇ નક્કર પુરાવા એકઠા કરી શક્યું નથી, છતા તે આજે પોલીસ કસ્ટડીમાં છે. આમ બન્ને પક્ષે હિન્દુ તેમ જ મુસ્લિમ જૂથોની કટ્ટરતાની હાજરી પણ ભડકાવનારી અગનખેલ થનારી હોઈ શકે, એટલે પોલીસે નિષ્પક્ષ રહી આ બનાવની કાર્યવાહી કરવી જોઇએ. તે મુજબ આજે લોકસભામાં વિરોધપક્ષ દ્વારા દિલ્હીના હિંસાની ન્યાયીક તપાસ થવી જોઇએ, એવી રજૂઆત કરવામાં આવી છે.

ટૂંકમાં હું આ કોલમનું સમાપનન કરતાં એમ કહીશ કે ભારતીય રાજ્યવ્યવસ્થા સમાજ વ્યવસ્થા જે દુનિયાની નજરે ઉત્તમ છે તે વ્યવસ્થા આજે ડગમગાતી જોવા મળે છે. સી.એ.એ., એન.આર.સી. વિરુદ્ધ અનેક બહારના દેશોએ ઇરાન, બ્રિટન વિગેરે ૧૫ દેશોએ વિરોધ દર્શાવ્યો છે. ત્યારે એક તટસ્થ પત્રકાર તરીકે એટલું કહીશ કે લોકશાહી રસમે સૂંટાયેલી આ મોદી સરકારની એન.ડી.એ.ની સરકાર અનેક કસોટીમાંથી પસાર થઇ રહી છે. દેશનું અર્થતંત્ર ભાંગું ભાંગું થઇ રહ્યું છે અનેક નવયુવાનો નોકરી મળવાની આશાએ અસમંજ સ્થિતિમાં ઊભા છે. આપણો જી.ડી.પી. દર નીચો ગયો છે. આપણો દેશ ૨૦૧૪માં ભૂખમરાની રેંકમાં ૫૫ નંબર હતો તે આજે ૧૦૩ નંબર પર આવીને ઊભો છે. દેશમાં કપૂષોણથી દરરોજ અનેક બાળકોનાં મોત થાય છે. ખેડૂતવર્ગ પણ નિરાશ છે ત્યારે દેશનું અર્થતંત્ર પાટે ચડે, જી.ડી.પી. દર વધી આપણું એક્સપોર્ટ વધે અને બજારમાં થતાં ભાવવધારા પર સરકાર કંઇક કંટ્રોલ કરે તો અનેક લોકોએ નરેન્દ્ર મોદી સાહેબની વકતૃત્વશક્તિથી આંજી હિપ્નોટાઇઝ કરી અનેક નાગરિકોને આકર્ષીને થોકડે થોકડે મત લીધા છે. તેમનામાં થોડીક શાંતિની પળ આવશે. લોકોની આશાઓ પૂરી કરી સ્વસ્થ લોકશાહીમાં આ વ્યવસ્થા પરિણામે અને નફરતની ફિલોસોફીને તિલાંજલી આપી સી.એ.એ., એન.આર.સી.ના ગતકડાને હાલ પૂરતાં અટકાવી દઇ સુદ્રઢ વ્યવસ્થા તરફ પ્રયાણ કરે તો ૨૦૧૯માં આ ચૂંટાયેલી સરકાર ૨૦૨૪ સુધી ગુડ ગવર્નરની વાત તરફ પ્રયાણ કરતી દેખાશે, અને આપણી આ ડગમગાતી લોકશાહીનાં પાયો ફરીથી મજબૂત બને, પણ કટ્ટર હિન્દુવાદ અને હિન્દુરાષ્ટ્રની આર.એસ.એસ.ની ભૂમિકાના પાયામાં, રાષ્ટૃવાદના ઘેલછાયુક્ત મનોભૂમિમાં મોદીસાહેબ અને તેની સરકાર હજુ પણ નફરતની નીતિ તરફ આગળ વધશે અને આજ સિલસિલો ચાલુ રાખશે, તો ૨૦૨૪માં તેમને જોરદાર લપડાક મળશે. એ બાબતમાં શંકાને સ્થાન નથી. આજે પણ, મહારાષ્ટ્ર સ્ટેટ તેમ જ કૉન્ગ્રેસે ધારાસભાની ચૂંટણીમાં વિજય મેળવતા સ્ટેટ, રાજસ્થાન, મધ્યપ્રદેશ – છત્તીસગઢ, ઝારખંડમાં બી.જે.પી.ની હાલની સરકારના પ્રભાવની અસર મોળી પડતી જાય છે. તે વાત સ્વીકાર્યા વિના છૂટકો નથી. આવનારી ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ જનમત એન.ડી.એ.ની સામે રહેવાનો છે. તે આજની સ્થિતિને દરગુજર ધ્યાન બહાર રાખવા જેવું તો નથી જ તે વાત તેમના કહેવાતા મોભીઓ નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહે સ્વીકારવું જ પડશે અને નફરતની રાજનીતિ બંધ કરવી પડશે. તો જ આ લોકશાહી વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા સુદ્રઢ બનશે. નહિતર આવી જ કલંકિત છબી ચાલુ રહેશે તો દુનિયાની નજરે ભારતની પ્રતિભા ઝાંખી પડશે તે વાત સ્પષ્ટ છે. જે આજે લગભગ ઝાંખી પડી ચૂકી છે.

ભારતીય સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા એક ધર્મનિષ્પેક્ષ વ્યવસ્થા છે. જેમાં દરેક વ્યક્તિનું સંપૂર્ણ પ્રદાન છે. ચાહે તેઓ મુસ્લિમ હોય, હિન્દુ હોય, પારસી હોય કે ખ્રિસ્તી હોય. આપણી કલા, સાહિત્ય, સંગીત, ફિલ્મી દુનિયામાં હિન્દુઓ તેમ જ મુસ્લિમોનો એક સરખો ફાળો છે. બિસ્મીલ્લા ખાનની શરણાઇ વગરનું ભારત એ ભારત ન જ હોઈ શકે. અબ્દુલ કલામ વગરનું ભારતની કલ્પના ન થઇ શકે. આપણી શેરો શાયરીમાં ઉર્દૂ ગઝલકારોનો ફાળો તેટલો જ રહ્યો છે, જેટલો આપણા હિન્દુ શાયરોનો રહ્યો છે. કૈફી આઝમી વગરનું ભારત તમે કલ્પી ન શકો, હરિવંશરાય બચ્ચન વગરનું ભારત પણ તેમ કલ્પી ન શકો. એટલે આ દેશને તમે ધર્મને નામે કદી વિભાજીત નહી કરી શકો. આપણી લોકશાહીના પાયામાં ડૉ. આંબેડકર, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, રફીક અહમદ કીડવાઇ વગેરેનો જબરદસ્ત ફાળો છે. આ વાત દેશના દરેક નાગરિકે ભૂલવી ન જોઇએ અને ધર્મને નામે વિભાજીત થતો આ દેશ કદી સ્વસ્થ લોકશાહીવાળા ભારતની પરિભાષામાં નહીં આવે તે વાત મૂકી વિરમું છું.

e.mail : koza7024@gmail.com

પ્રગટ : “ગુજરાત ટુડે”, 17 માર્ચ 2020

Loading

...102030...2,1932,1942,1952,196...2,2002,2102,220...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved