Opinion Magazine
Number of visits: 9965469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—72

દીપક મહેતા|Opinion - Opinion|28 November 2020

ગુજરાતમાં અર્વાચીનતાનું અજવાળું પથરાયું મુંબઈથી, મુંબઈ થકી

અંગ્રેજો પહેલાં મુંબઈમાં આવી વસ્યા પારસીઓ

ગુજરાતી મુદ્રણની શરૂઆત થઇ મુંબઈમાં 

‘દીપે અરુણું પરભાત’ એ શબ્દો લખતી વખતે કવિ નર્મદની નજર સામે કયું ‘પરભાત’ હતું? સંભવ છે કે તેની નજર સામે પશ્ચિમ ભારતમાં – આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં – ૧૯મી સદીના આરંભથી જે અર્વાચીનતાનાં અજવાળાં પથરાવા લાગ્યાં હતાં તે હોય. અર્વાચીનતાના સૂર્યરથના આગમનની છડી પોકારનાર સારથી અરુણ નજરે પડતો હતો. અરુણ આવ્યો છે તો તેની પાછળ રાત્રીની જવનિકાનું છેદન કરનાર સૂર્યનું આગમન તો અનિવાર્ય. અર્વાચીનતાના એ સૂર્યરથના સાત અશ્વો તે કિયા? એ સાત અશ્વો હતા : ૧. મુદ્રણકળા ૨. તેને પરિણામે શક્ય બનેલાં મુદ્રિત પુસ્તકો, અખબારો, અને સામયિકો. ૩. મુદ્રિત પુસ્તકોને લીધે શક્ય બનેલ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ ૪. મુદ્રણને પરિણામે શક્ય બનેલ લેખનના માધ્યમ તરીકે ગદ્યની પ્રતિષ્ઠા ૫. આ બધાંના સાથથી શરૂ થયેલ નવજાગૃતિ માટેની ચળવળ ૬. નવા શિક્ષણને પરિણામે અંગ્રેજી સાહિત્યનાં પરિચય, પ્રેરણા અને પ્રભાવ ૭. પરદેશોના પ્રવાસ, તેને કારણે થયેલ નવી દુનિયાનો પરિચય, અને તેમાંથી મળેલ પ્રેરણા. આ બધાંને પરિણામે વીતી ગઈ છે રાત. હા, હજી મધ્યાહ્ન થયો નહોતો નવા જીવનનો, નવા સમાજનો, નવી વ્યવસ્થાનો. પણ તેનાં શુભ શકુન તો દેખાઈ રહ્યાં છે. અને એટલે જ કવિને આશા જ નહિ, શ્રદ્ધા છે કે ‘મધ્યાહ્ન શોભશે’. પણ અર્વાચીનતાનું આ અજવાળું આજના ગુજરાતમાં ફેલાયું ક્યાંથી? જવાબ જરા અગવડભર્યો છે, પણ અર્વાચીનતાનું અજવાળું આજના ગુજરાતમાં પથરાયું મુંબઈથી, મુંબઈ થકી, મુંબઈ દ્વારા.

બોમ્બે પ્રેસિડન્સી — પીળા રંગવાળો પ્રદેશ દેશી રાજ્યોનો

પણ આમ થયું કેમ કરીને? એ સમજવા માટે ૧૯મી સદીની પશ્ચિમ ભારતની રાજકીય ભૂગોળ સમજવી પડશે. પશ્ચિમ ભારતમાં મુંબઈ કરતાં પહેલાં અંગ્રેજો સુરત જઈ વસ્યા હતા. મોગલ શહેનશાહ જહાંગીરની પરવાનગીથી અંગ્રેજોએ ઠેઠ ૧૬૧૩ના જાન્યુઆરીના અરસામાં સુરતમાં પોતાની ફેક્ટરી કહેતાં ઓફિસ શરૂ કરી હતી. પણ તે વખતે અંગ્રેજોને માત્ર વેપારમાં રસ હતો. એ માટે ખપ પૂરતા જ તેઓ સ્થાનિક ગુજરાતીઓના સંપર્કમાં આવતા હતા. તેમના જીવનમાં ન તો અંગ્રેજોને કશો રસ હતો કે ન તો ત્યાંના ગુજરાતીઓને અંગ્રેજોનાં જીવન, રહેણીકરણી, ભાષા વગેરેમાં રસ હતો. પછી ધીમે ધીમે બ્રિટિશ સત્તા પશ્ચિમ ભારતમાં ફેલાવા લાગી ત્યારે વેસ્ટર્ન પ્રેસિડન્સીની સ્થાપના થઇ, જેનું વડું મથક હતું સુરત. પોર્ટુગીઝો પાસેથી દાયજામાં મળેલું મુંબઈ જ્યારે ગ્રેટ બ્રિટનના તાજે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વરસના ૧૦ પાઉન્ડથી ભાડે આપ્યું ત્યારે મુંબઈનો કબજો સુરતના ગવર્નરે લીધો હતો અને કબજો લીધા પછી તે તરત સુરત પાછો ગયો હતો અને પછી ફરી તેણે ક્યારે ય મુંબઈમાં પગ મૂક્યો નહોતો. ૧૬૬૮થી ૧૬૮૭ સુધી મુંબઈ સુરતના ગવર્નરના તાબા નીચે હતું, પણ મુંબઈનો વહીવટ ડેપ્યુટી ગવર્નરો સંભાળતા. ૧૬૮૭માં પશ્ચિમ ભારતનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડાયું અને વેસ્ટર્ન પ્રેસિડન્સી બની બોમ્બે પ્રેસિડન્સી. અને તે દિવસથી સુરતનો સૂર્ય આથમવા લાગ્યો, અને મુંબઈનો ઊગતો થયો. આ જોઇને હતાશ થયેલા સુરતપુત્ર કવિ નર્મદે ગાયું :

આ તે શા તુજ હાલ સુરત, સોનાની મૂરત,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત! 
મુંબઈથી અંજાઈ, લોક તો વસ્યા જઈ તહીં,
અસ્ત થયો તુજ સુરજ, રાત તો પડી ગઈ અહીં.

પણ અંગ્રેજોએ મુંબઈમાં પહેલી વાર પગ મૂક્યો તે પહેલાં જ સુરત બાજુથી આવેલા પારસીઓ મુંબઈમાં વસવાટ કરતા અને તેનાં વેપારવણજ, કારભાર, વગેરેમાં મહત્ત્વનો ભાગ લેતા થયા હતા. છેક ૧૬૪૦માં પહેલવહેલા પારસીએ મુંબઈમાં વસવાટ કર્યો હતો. તેમનું નામ દોરાબજી નાનાભાઈ. સુરત પાસેના સુમારી ગામથી આવીને તેઓ મુંબઈમાં વસ્યા હતા. વખત જતાં તેમનું કુટુંબ પટેલ ખાનદાન તરીકે ઓળખાતું થયું. તેમના વંશજ કાવસજી પટેલે ૧૭૭૫માં ભૂલેશ્વર નજીક પોતાને ખર્ચે તળાવ બંધાવ્યું હતું જેથી એ વિસ્તારના લોકોની પીવાના પાણી અંગેની હાડમારી દૂર થઇ હતી. પહેલાં એ તળાવ કાવસજી પટેલ તળાવ તરીકે અને પછી સી.પી. ટેંક તરીકે ઓળખાતું થયું. આજે હવે એ જગ્યાએ તળાવનું નામોનિશાન નથી, છતાં લોકો એ વિસ્તારને સી.પી. ટેન્ક તરીકે જ ઓળખે છે – મ્યુનિસિપાલિટીને ચોપડે ભલે બીજું ગમે તે નામ નોંધાયું હોય.

બહેરામજી છાપગરે બનાવેલાં પહેલવહેલાં ગુજરાતી બીબાં

મુંબઈ આવ્યા પહેલાં પણ દોરાબજી પોર્ટુગીઝ વેપારીઓ સાથે વેપાર કરતા હતા અને એટલે પોર્ટુગીઝ ભાષા જાણતા હતા. અને ગુજરાતી તો તેમની જ ભાષા. એટલે મુંબઈની રાજવટ ચલાવવામાં દોરાબજી પોર્ટુગીઝ શાસકોને એટલા તો મદદરૂપ થઇ પડેલા કે તેમણે જ્યારે મુંબઈનો ટાપુ અંગ્રેજોને સોંપ્યો ત્યારે કારભારમાં દોરાબજીની મદદ લેવા, અને તે માટે કોઈ સારા હોદ્દા પર તેમની નિમણૂંક કરવા પોર્ટુગીઝોએ અંગ્રેજ પ્રતિનિધિને ખાસ ભલામણ કરી હતી, અને તે પ્રમાણે દોરાબજી મુંબઈમાંના અંગ્રેજ શાસન સાથે પહેલેથી જ જોડાયા હતા. ૧૬૮૯માં તેઓ બેહસ્તનશીન થયા.

અર્વાચીનતાના રથનો પહેલો અશ્વ હતો ગુજરાતી મુદ્રણ. અને એની સગવડ પહેલી વાર ઊભી કરી હતી એક પારસી નબીરાએ. એવણનું નામ બહેરામજી છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝિટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય. પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. એક: પારસીઓ અને તેમના પ્રદાન અંગેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિષે નોંધ્યું છે કે ‘મિ. એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.’ બે: બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું: ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક ‘બોમ્બે કુરિયર’ પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી. અને આ બીબાં એટલે અર્વાચીનતાના પહેલા અશ્વ સમા મુદ્રણનાં પનોતાં પગલાં.

બહેરામજીને હાથે બીજું પણ એક મોટું કામ થયું – જાણ્યે કે અજાણ્યે, એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઇ તે પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯ તારીખે જે જાહેર ખબર ‘બોમ્બે કુરિયર’માં છપાઈ તેમાં પણ હિન્દી-મરાઠીની જેમ ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા હતી. પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં ‘બોમ્બે કુરિયર’માં બીજી એક ગુજરાતી જાહેર ખબર છપાઈ. તેમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ તે ગઈ. હાથે લખાયેલાં લખાણોમાંથી પણ પછી ધીમે ધીમે શિરોરેખા દૂર થઇ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી. 

આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. આજે હવે હેન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો અને એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં બંધ થયાં છે. પણ તેથી કાંઈ બહેરામજીએ એકલે હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી.

અંગ્રેજી અખબાર ‘બોમ્બે કુરિયર’ની શરૂઆત ૧૭૯૦માં વિલિયમ એશબર્નર નામના અંગ્રેજે કરી હતી. ૧૭૮૯માં શરૂ થયેલ ‘બોમ્બે ગેઝેટ’ અને આ ‘બોમ્બે કુરિયર’ તે મુંબઈથી પ્રગટ થયેલાં પહેલવહેલાં અખબાર – માત્ર અંગ્રેજીનાં જ નહિ, કોઈ પણ ભાષાનાં. હવે જરા વિચાર કરો: મુંબઈની સરકારને અંગ્રેજી છાપામાં ગુજરાતીમાં જાહેરાત છપાવવાની જરૂર કેમ જણાઈ હશે? અઢારમી સદીના અંત સુધીમાં મુંબઈના જીવનમાં – ખાસ કરીને ધંધા-રોજગારના ક્ષેત્રે – ગુજરાતીઓનું સ્થાન મહત્ત્વનું હોય તો જ આમ કરવાની જરૂર પડે. એ વખતે હજી કોઈ ‘દેશી’ ભાષાનું અખબાર તો હતું નહિ, એટલે સરકારે અંગ્રેજી છાપામાં ગુજરાતીમાં જાહેરાતો છપાવવાનું નક્કી કર્યું હોય.

શરૂઆતમાં હતો તે શિરોરેખાનો ભાર પછીથી દૂર થયો

માનશો? અમદાવાદ જેવા અમદાવાદમાં છેક ૧૮૪૫ સુધી એક પણ છાપખાનું નહોતું! છાપખાનું નહોતું એટલે છાપેલાં પુસ્તકો નહોતાં, અખબારો નહોતાં, ચોપાનિયાં (મેગેઝીન માટે એ જમાનામાં વપરાતો શબ્દ) નહોતાં. આમ થવાનું એક કારણ એ કે છેક ૧૮૧૮માં અમદાવાદ બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. એટલે ત્યાં સુધી અર્વાચીનતાના વાયરાનો સ્પર્શ અમદાવાદને ભાગ્યે જ થયો હતો. મુંબઈથી વાતા અર્વાચીનતાના વાયરાને ગુજરાતમાં બીજો પણ એક અવરોધ ઘણા વખત સુધી નડતો રહ્યો. આજના ગુજરાતનો ઘણો મોટો હિસ્સો એ વખતે જુદાં જુદાં, નાનાં-મોટાં દેશી રજવાડાઓમાં વહેચાયેલો હતો. અને બે-ચાર અપવાદોને બાદ કરતાં ઘણાખરા દેશી રાજાઓ છાપખાનાં, પુસ્તકો, અખબારો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ વગેરેના ભલે અંદરખાનેથી, પણ વિરોધી હતા. કારણ તેમને બીક હતી કે આપણા રાજમાં આ બધું આવશે અને રૈયતને રાજવટ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરશે. ૧૮૬૭માં આખા મુંબઈ ઇલાકામાં ૧૦૮ છાપખાનાં કામ કરતાં હતાં. તેમાંથી ફક્ત ચાર જ ગુજરાતનાં દેશી રાજ્યોમાં હતાં. રાજકોટમાં એક, ભાવનગરમાં એક સરકારી અને એક ખાનગી એમ બે, અને નવાનગરમાં એક. અને તેમાંનાં ત્રણ ૧૮૬૫થી ૧૮૬૭ વચ્ચે શરૂ થયેલાં. દેશી રાજ્યોમાંનાં ખાનગી છાપખાનાં પણ રાજા કે પ્રધાનની ઇચ્છા વિરુદ્ધ કશું છાપી શકતાં નહિ. કવિ નર્મદનો ‘નર્મકોશ’ ભાવનગરના ચંદ્રોદય નામના ખાનગી પ્રેસમાં છપાતો હતો. પણ તેમાંનું કશુંક વાંચીને કે જાણીને દિવાન ગૌરીશંકર ઓઝા એટલા તો નારાજ થયા કે એ જ ઘડીએ તેમણે એ છાપવાનું અટકાવી દેવાનો હુકમ કર્યો અને અડધું છપાયેલું પુસ્તક એ પ્રેસે નર્મદને મોકલી દીધું.

ગુજરાતીમાં જાહેરાતો છાપતું ‘બોમ્બે કુરિયર’

અલબત્ત, એનો અર્થ એવો નથી કે આજના ગુજરાતમાં ૧૮૪૫ પહેલાં એકે છાપખાનું નહોતું. ગુજરાતનું પહેલવહેલું છાપખાનું શરૂ થયું ૧૮૨૧માં. લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરન્ડ જેમ્સ સ્કિનર અને રેવરન્ડ વિલિયમ ફાઈવીએ એ શરૂ કર્યું. પછીથી તે સુરત આઈરિશ મિશન પ્રેસ તરીકે ઓળખાતું થયું હતું. ‘નર્મકોશ’નું કામ ભાવનગરના છાપખાનાએ અધવચ્ચે અટકાવ્યું તે પછી તેનો બાકીનો ભાગ આ પ્રેસમાં જ છપાયો હતો. સુરતનું આ છાપખાનું ૧૩૮ વરસ સુધી ચાલીને ૧૯૫૯માં બંધ થયું હતું.

ગુજરાતીમાં છાપખાનાં આવ્યાં તે પછી આવ્યાં છાપેલાં ગુજરાતી પુસ્તક, અને તેની શરૂઆત પણ થઇ મુંબઈથી. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 28 નવેમ્બર 2020

Loading

લૂંટાયેલી કવિતા

‘બાબુલ’|Poetry|28 November 2020

લૂંટાયેલી
એક કવિતા
જેની ચીરહરણની ચિચિયારીઓથી 
ચકલીઓની ઊડાઊડનો ફફડાટ
અસ્તાચળના આખરી પ્રકાશમાં 
ક્યારનો આથમી ચૂક્યો હતો

એની
પિંખાયેલી કડીઓ, ચૂંથાયેલી 
દેહલતા મેલી
તૂટેલા મણકા: 
વેધાયેલી જિહ્વા
પર
મૂંગી વેદનાનું લોહી ગંઠાઇ ગયું હતું  
સીમની પેલે પાર
…
… પાદરે જામેલી મહેફિલમાં
અલંકૃત ગઝલના 
ચૂંટાયેલા શેર
વાહવાઇના મદમાં દોહરાતા રહ્યા
કંઠસ્થ થતા ગયા.
…
કાગળ સમેત સળગી ચૂકેલી 
એ કવિતાની ભસ્મ
અલોપ થઇ ચૂકી છે
ને કોઇ સભામાં 
એની નોંધ પણ લેવાતી નથી
…
બાકી કવિતાઓ  હજી ગવાયા કરે છે
ઘવાયા કરે છે …

Loading

છળકપટથી કરાવાતાં ધર્મપરિવર્તનથી મોટો બીજો અધર્મ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 November 2020

મનુષ્યને માતાપિતા ને ધર્મ જન્મની સાથે જ મળે છે. એમાં સંજોગો અનુસાર પાછળથી માતાપિતા ક્યારેક બદલાય તો પણ, તેમાં સંતાનની પસંદગી કામ લાગતી નથી ને જન્મ આપનાર તો બદલાતાં જ નથી તે હકીકત છે. ધર્મનું એવું નથી. કોઈક તબક્કે કોઈ પુખ્ત વયની વ્યક્તિને લાગે કે જન્મથી મળેલો ધર્મ બદલવો છે તો તે તેમ કરી શકે છે, તો ક્યારેક લાલચ આપીને, ભયથી, છેતરીને પણ ધર્મપરિવર્તન કરાવાય છે. એનો હેતુ તો ધર્મ પ્રચારનો જ હોય છે, પણ એમાં ધર્મ સિવાય ઘણું હોય છે. ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિ વર્ષો સુધી ચાલી ને આખી ને આખી જાતિનો ધર્મ બદલવામાં વિધર્મીઓ સફળ રહ્યા. એનું ભાન સંબંધિત સરકારોને થયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

કેટલાક વિધર્મી શાસકોએ પણ તલવારને જોરે ધર્મ પરિવર્તનના પ્રયત્નો કરીને ભારતીય પ્રજાને કેવળ ત્રાસ જ આપ્યો છે. ભારત સ્વતંત્ર થયું તે પછી પણ એક યા બીજા કારણે ધર્મ પરિવર્તનના પ્રયત્નો થતા જ રહ્યા છે. બંધારણના અનુચ્છેદ 25 મુજબ દરેકને ઇચ્છિત ધર્મ પાળવાનો અધિકાર છે. કોઈ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરે ને જાણી સમજીને, શુદ્ધ બુદ્ધિથી કરે તેનો તો શો વાંધો હોય, પણ ધર્મ પરિવર્તન કોઈનાં ભોળપણનો કે કોઇની મજબૂરીનો લાભ લઈને કે લાલચ આપીને કે બળજબરીથી કરાવવામાં આવે તો તેને કાનૂની રાહે પડકારવામાં પણ ધર્મ જ છે.

એવું બન્યું છે કે કોઈ ધર્મની વ્યક્તિને વટલાવવામાં આવી હોય કે તેનો પોતાના ધર્મમાં લાવીને દુરુપયોગ કરવામાં આવ્યો હોય કે તેનો આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય કે પોતાના ધર્મની વસતિ વધારવાનો બદઈરાદો એ ધર્મ પરિવર્તનનાં મૂળમાં હોય તો એવું કરનાર કોઈ પણ વ્યક્તિ કે સમૂહનો કાનૂની રાહે વિરોધ થવો જ જોઈએ અને એ પ્રવૃત્તિ બીજું કૈં પણ હોય, પણ ધર્મ નથી તે સ્વયં સ્પષ્ટ છે.

ઉત્તર પ્રદેશમાં કે મધ્ય પ્રદેશમાં એવા કિસ્સા સામે આવ્યા છે કે કોઈ વિધર્મીએ હિન્દુ યુવતી જોડે લગ્ન કર્યાં હોય ને તે યુવતીને પોતાનો ધર્મ છોડવાની ફરજ પાડવામાં આવી હોય. આવું હિન્દુ યુવતીઓ સાથે જ થયું હોય એવું નથી, હિન્દુ યુવકે વિધર્મી યુવતી જોડે લગ્ન કર્યાં હોય ને તેનો વિધર્મી સમુદાયને વાંધો પડ્યો હોય એવું પણ બન્યું છે. આમાં યુવક કે યુવતી કોઈ પણ ધર્મનાં હોઈ શકે છે. એની ટકાવારીમાં બહુ મોટો ફરક ન હોય એમ બને. આમાં જ્યાં પણ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન થયું હોય ને પરિણીત યુવક કે યુવતીને તેનો વાંધો ન હોય ત્યાં તો મુશ્કેલી નથી, પણ જ્યાં મુશ્કેલીઓ સર્જાઈ છે ત્યાં, તેને “લવ જેહાદ”નું નામ આપીને કાયદા બદલવાની કે નવો કાયદો લાવવાની હિલચાલ છે. આમ તો લવ અને જેહાદ બંને અનુક્રમે અંગ્રેજી અને અરબી ભાષાના શબ્દો છે, પણ આ બંને ભાષામાં આ મુદ્દે કોઈ મુશ્કેલી સર્જાઈ હોવાનું બહાર આવ્યું નથી. હા, ભારતમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ જેવાં રાજ્યોમાં લવજેહાદને નામે હિંસક તકરારો થઈ છે. કેરળમાં 2009માં 4,500 યુવતીઓનું ધર્મ પરિવર્તન થયું હતું, તો કર્ણાટકમાં એ આંકડો 30,000નો હતો. આ બધાં સ્વૈચ્છિક ધર્મપરિવર્તન ન હતાં એ કહેવાની જરૂર નથી. એટલે ધર્મ પરિવર્તનનો મુદ્દો નવો નથી.

એવું બન્યું છે કે વિધર્મીઓએ હિન્દુ યુવતીઓને ફોસલાવીને, છેતરીને લગ્ન કર્યાં હોય. એ વળી કોઈ કાવતરાનો ભાગ હોય એવું પણ બન્યું છે. હિન્દુ યુવતીઓને પોતે વિધર્મી છે એની જાણ જ ન કરી હોય ને હિન્દુ હોવાનું નાટક કરીને એક પર બીજી પત્ની હિન્દુ કરી હોય એવું પણ નોંધાયું છે. તો, એવું પણ થયું છે કે એક વિધર્મી યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં હોય ને તેણે સ્વેચ્છાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો હોય ને વિધર્મીઓને એ મંજૂર ન થતાં તેમણે કનડગત કરતાં યુવતીએ પોલીસનું રક્ષણ માંગ્યું હોય ને કોર્ટે પણ યુવતીની ઇચ્છાથી ધર્મ પરિવર્તન થયાનું લાગતાં દખલ ન કરી હોય, આવું પણ થયું છે. એ જ રીતે હિન્દુ યુવતીના કુટુંબીજનો માટે દીકરીનું વિધર્મીમાં જવું સહન ન થયું હોય ને દીકરીને પરત લાવવા સંઘર્ષ કર્યો હોય અને વાત દીકરીની ને અન્યોની હત્યા સુધી પહોંચી હોય. આની વિચિત્રતા એ છે કે જે બે વિધર્મીઓ લગ્નમાં સંડોવાયા હોય એની ઇચ્છાનું મહત્ત્વ તો સ્વીકારાયું જ ન હોય.

courtesy : Surendraji; "The Hindu", 26 November 2020

ઉત્તર પ્રદેશની સરકારે તો તાજેતરમાં જ લવજેહાદને મામલે વટહુકમ બહાર પાડ્યો છે જેમાં ગુનો સાબિત થાય તો ત્રણથી દસવર્ષની સજા અને પંદર હજારથી પચીસ હજાર સુધીનો દંડ થઈ શકે એવી જોગવાઈ છે. મધ્ય પ્રદેશમાં તો કાયદો છે જ, પણ તેમાં પણ સુધારો લાવવાની વાત છે. જોવાની ખૂબી એ છે કે આ મામલે કેન્દ્ર સરકારને પોતાનો મત આપવાનું ખાસ બન્યું નથી. આંતરધર્મી લગ્ન મુખ્યત્વે રાજય સરકારોનો મામલો જ વધુ રહ્યો છે. એક તરફ કેટલીક રાજ્ય સરકારો લવજેહાદને મામલે કડક કાયદો લાવવાની વેતરણમાં છે ને ધર્મ ચુસ્તીનો આગ્રહ રાખે છે તો ઉત્તરાખંડની સરકાર અન્ય ધર્મ કે જાતિમાં થતાં લગ્નમાં રાષ્ટ્રીય એકતા જુએ છે. રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના એક અધિકારીએ 22મી નવેમ્બરે જાણકારી આપતા કહ્યું કે ઉત્તરાખંડ સરકાર બીજા ધર્મ અને જાતિમાં લગ્ન કરનારા યુગલોને 50,000ની રોકડ રકમ આપશે. જેના લગ્ન કાયદેસર રીતે રજિસ્ટર્ડ હશે એવાં યુગલોને આ રકમ પ્રોત્સાહન રૂપે અપાશે. જો કે આ મામલે પણ વિવાદ થયો છે ને એમાં સુધારો આવશે એવું લાગે છે. આપણે આંતરધર્મી લગ્નોને માન્ય કરીને ધર્મને મામલે બહુ વિશાળ દૃષ્ટિકોણ રાખ્યાનો દેખાડો કરીએ છીએ, પણ મૂળભૂત રીતે આપણે બહુ જ સંકુચિત અથવા તો ઝનૂની વિચારો ધરાવીએ છીએ. એમાં કોઈ ધર્મ બાકાત નથી. સૌથી વધારે અનુદાર આપણે ધર્મને મામલે છીએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે એ ખરું, પણ વાત લગ્નની આવે છે ત્યારે વાત બદલાય છે. તેમાં પણ યુવકને તો ધર્મ બદલવાનો ખાસ આવતો નથી, પણ યુવતીનાં આંતરધર્મી લગ્નની આવે છે તો ધર્મ બદલવાની તેને ફરજ પડે છે. અહીં ધર્મ તેની કહેવાતી સઘળી વિશાળતા ગુમાવીને એક કુટુંબ પૂરતો જ સીમિત થઈ જાય છે. સર્વધર્મ સમભાવ જેવી ભ્રામક વાત ભારતમાં બીજી નથી. જે કિસ્સામાં યુવતી સ્વેચ્છાએ ધર્મ બદલવા તૈયાર હોય ત્યાં તો પ્રશ્ન નથી, પણ જ્યાં ફરજ પડે કે પાડવામાં આવે ત્યાં કેવળ અધર્મ જ બચે છે. માનવધર્મ પણ ધર્મ જ છે ને તેની સૌથી વધુ ઉપેક્ષા દરેક ધર્મીઓ કરે છે.

બનવું તો એવું જોઈએ કે પરણનાર કોઈ પણ વિધર્મી ઇચ્છે તો પોતાનો ધર્મ ન બદલે અને જે ધર્મ પાળે છે તે ચાલુ રાખે. પરણ્યા પછી ધર્મની વાત તો બાજુએ રહી, યુવતીને પૂછ્યા વગર જ તેનું નામ પણ બદલી કાઢવામાં આવે છે ને આ તો એક જ ધર્મનાં લગ્નોમાં બને છે. તે પછી પરિણીતાની અટક બદલાઈ જાય છે. જ્યાં સમાનધર્મી લગ્નોની આ સ્થિતિ છે ત્યાં વિધર્મી લગ્નોમાં ધર્મ કેટલોક સચવાય તે સમજી શકાય એવું છે. વિધર્મી લગ્નોમાં પતિ કે પત્ની ઈચ્છે તે ધર્મ પાળી શકે એટલી સમજ જો સમાજ દાખવે તો કોઈ નવા કાયદા લાવવાની કે બદલવાની જરૂર ન રહે, પણ તેવું થતું નથી. મોટે ભાગે એને પ્રતિષ્ઠાનો, અહમ્‌નો પ્રશ્ન બનાવવામાં આવે છે ને એમાં પછી સંબંધીઓ, મિત્રો ને રાજકારણીઓ જોડાય છે ને પરિણામ બે જૂથો ને ધર્મો વચ્ચેની તકરારમાં આવે છે. આ તકરાર નાની હોતી નથી. ઘણીવાર તો એ પરંપરામાં પરિણમે છે ને ધર્મને નામે થાય એટલો અધર્મ આચરવામાં આવે છે.

સાચું તો એ છે કે બે પુખ્ત વયની વ્યક્તિને લગ્ન અંગેનો નિર્ણય કરવાનો અંગત અધિકાર છે, પણ તે એટલો જાહેર થાય છે કે એમાં એ બે વ્યક્તિના અધિકારોનો સર્વનાશ ન થાય ત્યાં સુધી કોઈ જંપતું નથી. એ દુખદ હકીકત છે કે ધર્મની એક જ સમજ આપણામાં છે ને તે છે, અધર્મ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 27 નવેમ્બર 2020  

Loading

...102030...2,1922,1932,1942,195...2,2002,2102,220...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved