Opinion Magazine
Number of visits: 9965324
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્રૂરતા કોરોનાની:

મૂકેશ પરીખ|Opinion - Opinion|24 December 2020

અચાનક છોડીને જતા જ રહ્યા તમે,
તમને જતા બસ જોતાં જ રહ્યા અમે.

અગણિત તારાઓમાં છુપાઈ ગયા તમે,
તમારી યાદમાં ખુદને ખોતા જ રહ્યા અમે.

ન ભૂલવા છે અને ન કદી ભુલાશો તમે,
અશ્રુઓ વડે ઘાવોને ધોતા જ રહ્યા અમે.

કેટલું ય લખી ગયા અમારા જીવનમા તમે,
ભૂંસાઈ ગયું સઘળું ય કોરા જ રહ્યા અમે.

ન રોકી શક્યા, ન સાથે અવાયું ‘મૂકેશ’
યાદ કરી કરી બસ રોતા જ રહ્યાં અમે.

નવેમ્બર ૧૭, ૨૦૨૦

e.mail : mparikh@usa.com

Loading

મુશ્કેલ સમયમાં (46)

સુમન શાહ|Opinion - Opinion|23 December 2020

કોઇક વાર દિવસે કે રાતે જો કોઈ ડીમન – રાક્ષસ – ચોરીછૂપીથી તમારામાં ઘૂસે, જ્યારે તમે તમારી નરી એકલતામાં સાવ એકલા હોવ, અને તમને કહે :

આ જીવન જે તું જીવું છું ને જીવતો આવ્યો છું એ તારે ફરી એક વાર અને અસંખ્યવાર, વારંવાર  જીવવાનું છે, અને એમાં નવું કશું હશે નહીં, પણ એ જ  દુ:ખ એ જ સુખ એ જ વિચાર એ જ નિસાસા અને તારા જીવનની કહી ન શકાય એવી નાની-મોટી દરેક વાત એ જ ક્રમે-ઉપક્રમે તારી પાસે / સામે પાછી આવશે –

તો તમે એવું કહેનારાને ઊછળીને દાંત પીસીને શાપ નહીં આપો? 

અથવા તમે અનુભવી હોત એ મહાન ક્ષણ, જ્યારે તમે એને કહ્યું હોત : આપ ઈશ્વર છો ને આથી વધારે દિવ્ય મેં કશું સાંભળ્યું નથી.

Nietzsche : Courtesy : Google

મને નિત્શે ગમે છે. આ છે મને ગમતી એમની eternal récurrence-ની વિભાવના, અને એ માટે એમણે નિરૂપેલી એક કલ્પનાયુક્ત ઉક્તિ.

વિભાવનાનો અર્થ એ છે કે જગતની તમામ ઘટનાઓ અવિરત ફર્યા કરતા ચક્રની જેમ એ-ના-એ જ ક્રમે પુનરાવર્તિત થયા કરે છે.

નિત્શે પોતાના વાચકને કહે છે :

દરેક વસ્તુ પાછી આવતી હોય છે. સૌથી વધુ પ્રકાશતો આકાશનો તારો sirius અને કરોળિયો, અને આ ક્ષણે પ્રગટેલા તારા વિચારો, અને આ તારો છેલ્લો વિચાર પણ, બધું જ પાછું ને પાછું આવ્યા કરે છે.

આ પરત્વે નિત્શે વાચકને વધારામાં એમ પણ કહે છે કે :

તું ગમે તે હોય – ગમતીલું પણ અજાણ્યું જન – તને હું અહીં પહેલી વાર મળ્યો, તું આ સુખદ ઘડીને તથા આપણી આજુબાજુની ને આપણી ઉપરની આ સ્તબ્ધતાનો લાભ લઈ લે; અને મને હમણાં જ એકાએક સૂઝેલો વિચાર, ચમકતા પણ ગમે ત્યારે ઓલવાઈ જનારા કોઈ આકાશી તારા જેવો, મને તને કહેવા દે કે હે મનુષ્ય ! તારું આખ્ખું જીવન રેત ભરેલી પેલી કલાક શીશી જેવું છે જેને હંમેશાં ઊંધી કરાય છે ને જે હંમેશાં ભરાવા માંડે છે. જેમાં તું સંડોવાયો છું એ વૈશ્વિક પ્રક્રિયાચક્રની એકોએક અવસ્થા પસાર ન થઈ જાય ત્યાં લગીની એક લાંઆંબી ક્ષણ …

અને ત્યારે તને દરેક સુખ ને દરેક દુ:ખ, દરેક મિત્ર ને દરેક શત્રુ, દરેક આશ ને દરેક ક્ષતિ, દરેક તણખલું ને દરેક સૂર્યકિરણ, ફરી એક વાર ભળાશે, અને તને તારી જિન્દગીને ઘડનારી ચીજોનું પોત પણ પરખાશે.

જેમાં તું માત્ર એક મામૂલી કણ છું એ આ ring – બન્ધન – દરેક વેળા પહેલાંની જેમ જ ચળકશે. અને માનવજીવનના દરેક ચક્રમાં એક એવી ઘડી આવશે, પહેલી વાર, અને પછી વારંવાર, ત્યારે તું, માણસ, વસ્તુઓના અનન્ત પુનરાવર્તન-વિચારને પામી શકીશ. માનવજાત માટે હંમેશાં એ મધ્યાહ્નની ઘડી હોય છે.

Demon : Courtesy : Screen-A-Geddin

વાચકને માટેનાં આ વચનો ‘નોટ્સ ઑન ધ ઇટરનલ રીકરન્સ’-માંથી છે. નિત્શેના ‘ગે સાયન્સ’ તેમ જ ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં પણ આ વિભાવના સામેલ છે. ડીમનની પૂર્વોક્ત ઉક્તિ ‘ગે સાયન્સ’-માંથી છે.

નિત્શેની આ વિભાવનાએ કરીને આપણે ત્યાં કાયમથી બોલાયા કરતા ‘જનમ-મરણના ફેરા’ ‘લખચૉર્યાસીના ફેરા’ ‘ઘાંચીના બળદિયા જેવું જીવન’ પ્રયોગો યાદ આવી જશે. જો કે નિત્શે તો વસ્તુમાત્રના વારંવારના ફેરાની વાત કરે છે.

એ પ્રયોગોને તેમ જ નિત્શેની આ વિભાવનાને મારી દષ્ટિએ 'ગ્રાન્ડ નૅરેટિવ' કહેવાય, 'મૅટા નૅરેટિવ' પણ કહેવાય. એને ‘મહા વૃતાન્ત’ કહી શકીએ. એવું વૃતાન્ત જેમાં જિવાયેલા ઇતિહાસો પછી સંભવેલી એક સમગ્રદર્શી સમજ કે સમજદારી સંઘરાઈ હોય. એને માનવજીવનને વિશેની ‘મોટી વારતા’ પણ કહી શકીએ. એવી વારતા જેમાં સંસારનો સર્વસાર કે અર્ક સંભરાયો હોય.

આજકાલ આ કોરોના-કોવિડ-૧૯ નામની વિશ્વવ્યાપી વાસ્તવિક મહામારીએ લગભગ બધાં જ ગ્રાન્ડ નૅરેટિવ સામે પ્રશ્નાર્થ ખડો કર્યો છે. માણસ કયા સર્વસારને પકડે એ, પ્રશ્નોનો પણ પ્રશ્ન છે. નિત્શે હોત તો એમ જ કહેત કે આવા ને આવા પ્રશ્નો જ વારંવાર થયા છે ને થયા કરવાના છે …

બીજાં ગ્રાન્ડ નૅરેટિવ વિશે હવે પછી …

(December 22, 2020: USA)

Loading

અલવિદા, જોહ્ન લે કાર …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 December 2020

સહિત્યના એક પ્રકાર તરીકે ગુજરાતીમાં ઉત્તમ જાસૂસી નવલકથાઓ લખાઈ નથી. જાસૂસી સાહિત્ય વિશેષ કરીને વીસમી સદીમાં વિકસેલી શૈલી છે. વીસમી સદીમાં ઔદ્યોગિકરણનાં પગલે દુનિયાની મહાસત્તાઓ વચ્ચે આર્થિક-રાજકીય-લશ્કરી પ્રતિસ્પર્ધાઓ ફાટી નીકળી, તેનાં પગલે ભેદ-ભરમ, ગુપ્ત ગતિવિધિ, ષડ્યંત્ર, કપટ જેવાં તત્ત્વો સાથે નવલકથાઓ લખવાની શરૂઆત થઇ હતી. દ્વિતીય મહાયુદ્ધ અગાઉ ફાસીવાદ અને સામ્યવાદના ફેલાવાનાં કારણે જાસૂસી સાહિત્યને બળ મળ્યું હતું. ભારત બહુધા આવા આંતરરાષ્ટ્રીય કાવાદાવાઓથી અછતું રહ્યું હતું, એટલે વાચકોમાં ખુફિયા વિભાગોનાં કામો અને તેના માણસોની જિંદગીઓ વિશે કુતૂહલ પેદા થયું ન હતું. પરિણામે, ભારતમાં જાસૂસી નવલકથાઓ ટાઇમ-પાસ મનોરંજનથી આગળ જઈ ના શક્યું.

એટલા માટે, ૧૨મી ડિસેમ્બરે જેમનું અવસાન થયું તે બ્રિટિશ જાસૂસી લેખક જોહ્ન લે કારનું નામ ગુજરાતી વાચકોમાં અજાણ્યું હોય તે સંભવ છે. તમે જો અંગ્રેજી ફિલ્મો જોવાના શોખીન હો, તો તમને ૧૯૬૫માં આવેલી રિચાર્ડ બર્ટન, ક્લેઈર બ્લૂમ અને ઓસ્કાર વેર્નની ‘ધ સ્પાઈ હૂ કેઈમ ઇન ફ્રોમ ધ કોલ્ડ’ ફિલ્મનું નામ યાદ હશે. કદાચ જોઈ પણ હશે.

૧૯૬૩માં પ્રગટ થયેલી, જોહ્ન લે કારની એ જ નામની નવલકથા પરથી આ મશહૂર ફિલ્મ બની હતી. તેમાં એલેક લીમાસ નામનો એક બ્રિટિશ જાસૂસ ડબલ એજન્ટ બનીને પૂર્વ જર્મનીના ગુપ્તચર વિભાગમાં જોડાઈ જાય છે. તેનું કામ પૂર્વ જર્મન જાસૂસોને ગેરમાહિતીઓ પૂરી પાડવાનું હોય છે. છેલ્લે, તે બ્રિટિશ એજન્ટ તરીકે કામ કરતો હોવાની દગાબાજી પકડાઈ જાય છે, પણ લીમાસ એ જાણીને સ્તબ્ધ થઇ જાય છે, અસલી મિશન જ તેને આવી રીતે ઉઘાડા પાડવાનું હતું. પ્રસિદ્ધ બ્રિટિશ સાહિત્યકાર ગ્રેહામ ગ્રીને કહ્યું હતું કે, “મેં વાંચેલી આ શ્રેષ્ઠ જાસૂસી નવલકથા હતી.”

ઇયાન ફ્લેમિંગે તેમની નવલકથાઓમાં સુશીલ, ભદ્ર, દેશ માટે વફાદાર અને જાત-ભાતની મુશ્કેલીઓમાં (અને સ્ત્રીઓમાં) ભરાઈ પડતા બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડનું સર્જન આ એલેક લીમાસ પરથી કર્યું હતું. બોન્ડની ‘ધ ડેડલી અફેર’ ફિલ્મ તો જોહ્ન લે કારની નવલકથા ‘કોલ ફોર ધ ડેડ’ પરથી બની હતી. જોહ્ન લે કારે એકવાર જેમ્સ બોન્ડને ‘એક નંબરની વેશ્યા’ ગણાવ્યો હતો. તેમના કહેવાનો મતલબ એ હતો કે વાચકોને બોન્ડ વિશે બહુ ખબર નથી. એ એક રહસ્યમય જાસૂસ છે, અને લોકો તેમની કલ્પના અને ઈચ્છા પ્રમાણે બોન્ડનું ચિત્ર ઊભું કરીને એવો અહેસાસ કરે કે એ આપણા જેવો જ છે.

જેમ્સ બોન્ડ અને જોહ્ન લે કારની નવલકથાઓમાં એક માત્ર સામ્ય જાસૂસીનાં સાહસોનું હતું, પણ જોહ્ન લે કાર જાસૂસીની લલચામણી ઘટનાઓથી અટકી ગયા ન હતા. તેમની વાર્તાઓના પ્લોટ શીત યુદ્ધવેળાના જીઓપોલિટીકલ સંઘર્ષ, એકહથ્થુ સત્તાઓ, આતંકવાદ અને પશ્ચિમના રાષ્ટ્રોના નૈતિક પતનની ગહેરાઈમાં જતા હતા. ૮૯ વર્ષના જોહ્ન લે કારે ૨૩ નવલકથાઓ લખી હતી, જેમાંથી ૧૧ને ફિલ્મી પડદે રૂપાંતરિત કરવામાં આવી હતી.

લે કારનું જીવન પણ એવું જ રંગીન હતું, જેવું તેમણે તેમના જાસૂસોનું ચીતર્યું હતું. એક તો, તેમનું મૂળ નામ ડેવિડ જોહ્ન મૂર કોર્નવેલ હતું. એ પોતે બ્રિટિશ જાસૂસી સંગઠન એમ.આઈ.-સિક્સમાં કામ કરતા હતા, એટલે સરકારી નિયમ મુજબ સાચા નામથી જાહેરમાં આવી ન શકે તેમ ન હતા. ૧૯૬૦માં તેમને જર્મનીના બોન શહેર સ્થિત બ્રિટિશ એમ્બેસીમાં સેકન્ડ સેક્રેટરી તરીકે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે ૧૯૬૧માં ‘કોલ ફોર ધ ડેડ’, ૧૯૬૨માં ‘અ મર્ડર ઓફ ક્વોલિટી’ અને ૧૯૬૩માં ‘ધ સ્પાઈ હૂ કેઈમ ઇન ફ્રોમ ધ કોલ્ડ’ લખી હતી, અને લેખક તરીકે તેમાં નામ રાખ્યું હતું જોહ્ન લે કાર. એમાં ‘ધ સ્પાય…’ને તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી, ત્યાંથી લે કારે ફૂલટાઈમ જાસૂસી નવલકથાઓ લખવાનું શરૂ કર્યું હતું.

કાર એક જગ્યાએ કહે છે, “મેં ૩૦ વર્ષની ઉંમરે, અત્યંત સ્ટ્રેસ અને એકાંતમાં ‘ધ સ્પાય …’ લખી હતી. હું જુનિયર ડિપ્લોમેટના સ્વાંગમાં ઈન્ટેલિજન્સ ઓફિસર હતો. મને ‘ફોરેન સર્વન્ટ’ કહીને બોલવવામાં આવતો હતો. હું કોણ હતો એ મારા સાથીઓ તો ઠીક, મને ય ખબર ન હતી. અગાઉ મેં ઉપનામથી એકાદ-બે નવલકથાઓ લખી હતી અને સર્વિસની પરવાનગી પછી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે પતંગિયાં પર ચોપડી લખો તો ય, સાચું નામ તો નહીં જ લખાય. હું એક દિવસ બસમાં જતો હતો તો દરજીની એક દુકાન બહાર તેનું નામ વાંચ્યું – લા કાર. એ મને ગમી ગયું અને ઉપનામ બનાવી દીધું. ‘ધ સ્પાય …’ને પરવાનગી આપતાં પહેલાં તેમણે બહુ વિચાર-વિમર્શ કર્યો હતો. આજ સુધી મને ખબર નથી કે તેમણે એ પરવાનગી ન આપી હોત, તો હું શું કરતો હોત.”

દક્ષિણ ઈંગ્લેંડમાં પૂલ નામના શહેરમાં જન્મેલા કોર્નવેલ ઉર્ફે જોહ્ન લે કારના પિતા કાયમ દેવામાં જીવતા હતા અને એકવાર વિમાની છેતરપિંડીમાં જેલમાં જઈ આવ્યા હતા. લા કાર પાંચ વર્ષના હતા, ત્યારે તેમની માતા ઘર છોડીને જતી રહી હતી. કાર ૨૧ વર્ષના થયા, ત્યારે માતાને મળ્યા હતા. તે બર્કશાયરના પંગબર્ન ગામ પાસે આવેલી સરકારી સ્કૂલમાં ભણ્યા હતા. સ્કૂલની જાલિમ શિસ્તના કારણે તેમને તેના પ્રત્યે નફરત થઇ ગઈ હતી.

ત્યાંથી નીકળીને તે સ્વીત્ઝરલૅન્ડની બર્ન યુનિવર્સિટીમાં ફોરેન લેંગ્વેજ ભણવા જોડાયા હતા, અને એમાંથી તેમને જર્મન ભાષા પ્રત્યે પ્રેમ થઇ ગયો હતો. એટલે જ તેમની નવલકથાના જાસૂસ જ્યોર્જ સ્માઈલીને જર્મન સાહિત્યનો શોખ હતો. ૧૯૫૦માં તેઓ મિત્ર-દેશોના કબ્જા હેઠળના ઓસ્ટ્રીઆમાં બ્રિટિશ સૈન્યના ઈન્ટેલિજન્સ કોર્પસમાં જર્મન દુભાષિયા તરીકે જોડાયા હતા. ઈંગ્લેંડ પાછા આવીને તે ઓક્સફર્ડની લિંકન કોલેજમાં ભણવા જોડાયા હતા. ભણવાનું તો નામ હતું, મૂળ કામ તો  એમ.આઈ.-ફાઈવ જાસૂસી વિભાગ તરફથી ડાબેરી અને સોવિયત એજન્ટોની જાસૂસી કરવાની હતી. પાછળથી તેમને એમ.આઈ.-સિક્સમાં મુકવામાં આવ્યા હતા, જ્યાં ફોન ટેપ કરવાનું, ઊલટતપાસ કરવાનું અને એજન્ટો નીમવાનું કામ શીખવા મળ્યું હતું.

શીત યુદ્ધ પછી જે રીતે બ્રિટન અને બીજાં રાષ્ટ્રો કામ કરતાં હતાં, તેનાથી કારને બહુ ચીઢ હતી. તે વૈચારિક રીતે ડાબેરી ઝોક ધરાવતા થઇ ગયા હતા અને અમેરિકા-બ્રિટનની આંતરરાષ્ટ્રીય નીતિઓની કડક ટીકા કરતા હતા.

અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો, ત્યારે કારે ‘ધ ટાઈમ્સ’ સમચારપત્રમાં એક લેખ લખીને કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ પાગલ થઇ ગયું છે. સપ્ટેમ્બર ૧૧ના હુમલા પછી જ્યોર્જ બુશે જે રીતે અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડ્યું હતું, ત્યારે લા કારે કહ્યું હતું કે આ વિયેટનામ યુદ્ધ કરતાં પણ દુષ્ટતમ યુદ્ધ છે. ૨૦૧૭માં તેમણે કહ્યું હતું કે દુનિયામાં લોકતંત્ર મુશ્કેલીમાં છે અને ફાસીવાદનો ચેપ ફેલાઈ રહ્યો છે.

લા કારને આજના રાજકારણીઓ માટે માન ન હતું. ૨૦૧૯માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “રાજકારણીઓને અંધાધૂંધી ગમે છે. કોઈ ભ્રમમાં ના રહેતા. તેમનામાં તમારાં સર્વે દુઃખો દૂર કરવાની ક્ષમતા છે, તેવા વિચારથી તેમને સત્તા મળે છે, તાકાત મળે છે. રાજકરણીઓ અતીતના ગૌરવને વેચી રહ્યા છે, જે આપ પણ હતું નહીં.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ડિસેમ્બર 2020

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબુક દિવાલેથી સાભાર 

Loading

...102030...2,1652,1662,1672,168...2,1802,1902,200...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved