કોઇક વાર દિવસે કે રાતે જો કોઈ ડીમન – રાક્ષસ – ચોરીછૂપીથી તમારામાં ઘૂસે, જ્યારે તમે તમારી નરી એકલતામાં સાવ એકલા હોવ, અને તમને કહે :
આ જીવન જે તું જીવું છું ને જીવતો આવ્યો છું એ તારે ફરી એક વાર અને અસંખ્યવાર, વારંવાર જીવવાનું છે, અને એમાં નવું કશું હશે નહીં, પણ એ જ દુ:ખ એ જ સુખ એ જ વિચાર એ જ નિસાસા અને તારા જીવનની કહી ન શકાય એવી નાની-મોટી દરેક વાત એ જ ક્રમે-ઉપક્રમે તારી પાસે / સામે પાછી આવશે –
તો તમે એવું કહેનારાને ઊછળીને દાંત પીસીને શાપ નહીં આપો?
અથવા તમે અનુભવી હોત એ મહાન ક્ષણ, જ્યારે તમે એને કહ્યું હોત : આપ ઈશ્વર છો ને આથી વધારે દિવ્ય મેં કશું સાંભળ્યું નથી.
Nietzsche : Courtesy : Google
મને નિત્શે ગમે છે. આ છે મને ગમતી એમની eternal récurrence-ની વિભાવના, અને એ માટે એમણે નિરૂપેલી એક કલ્પનાયુક્ત ઉક્તિ.
વિભાવનાનો અર્થ એ છે કે જગતની તમામ ઘટનાઓ અવિરત ફર્યા કરતા ચક્રની જેમ એ-ના-એ જ ક્રમે પુનરાવર્તિત થયા કરે છે.
નિત્શે પોતાના વાચકને કહે છે :
દરેક વસ્તુ પાછી આવતી હોય છે. સૌથી વધુ પ્રકાશતો આકાશનો તારો sirius અને કરોળિયો, અને આ ક્ષણે પ્રગટેલા તારા વિચારો, અને આ તારો છેલ્લો વિચાર પણ, બધું જ પાછું ને પાછું આવ્યા કરે છે.
આ પરત્વે નિત્શે વાચકને વધારામાં એમ પણ કહે છે કે :
તું ગમે તે હોય – ગમતીલું પણ અજાણ્યું જન – તને હું અહીં પહેલી વાર મળ્યો, તું આ સુખદ ઘડીને તથા આપણી આજુબાજુની ને આપણી ઉપરની આ સ્તબ્ધતાનો લાભ લઈ લે; અને મને હમણાં જ એકાએક સૂઝેલો વિચાર, ચમકતા પણ ગમે ત્યારે ઓલવાઈ જનારા કોઈ આકાશી તારા જેવો, મને તને કહેવા દે કે હે મનુષ્ય ! તારું આખ્ખું જીવન રેત ભરેલી પેલી કલાક શીશી જેવું છે જેને હંમેશાં ઊંધી કરાય છે ને જે હંમેશાં ભરાવા માંડે છે. જેમાં તું સંડોવાયો છું એ વૈશ્વિક પ્રક્રિયાચક્રની એકોએક અવસ્થા પસાર ન થઈ જાય ત્યાં લગીની એક લાંઆંબી ક્ષણ …
અને ત્યારે તને દરેક સુખ ને દરેક દુ:ખ, દરેક મિત્ર ને દરેક શત્રુ, દરેક આશ ને દરેક ક્ષતિ, દરેક તણખલું ને દરેક સૂર્યકિરણ, ફરી એક વાર ભળાશે, અને તને તારી જિન્દગીને ઘડનારી ચીજોનું પોત પણ પરખાશે.
જેમાં તું માત્ર એક મામૂલી કણ છું એ આ ring – બન્ધન – દરેક વેળા પહેલાંની જેમ જ ચળકશે. અને માનવજીવનના દરેક ચક્રમાં એક એવી ઘડી આવશે, પહેલી વાર, અને પછી વારંવાર, ત્યારે તું, માણસ, વસ્તુઓના અનન્ત પુનરાવર્તન-વિચારને પામી શકીશ. માનવજાત માટે હંમેશાં એ મધ્યાહ્નની ઘડી હોય છે.
Demon : Courtesy : Screen-A-Geddin
વાચકને માટેનાં આ વચનો ‘નોટ્સ ઑન ધ ઇટરનલ રીકરન્સ’-માંથી છે. નિત્શેના ‘ગે સાયન્સ’ તેમ જ ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં પણ આ વિભાવના સામેલ છે. ડીમનની પૂર્વોક્ત ઉક્તિ ‘ગે સાયન્સ’-માંથી છે.
નિત્શેની આ વિભાવનાએ કરીને આપણે ત્યાં કાયમથી બોલાયા કરતા ‘જનમ-મરણના ફેરા’ ‘લખચૉર્યાસીના ફેરા’ ‘ઘાંચીના બળદિયા જેવું જીવન’ પ્રયોગો યાદ આવી જશે. જો કે નિત્શે તો વસ્તુમાત્રના વારંવારના ફેરાની વાત કરે છે.
એ પ્રયોગોને તેમ જ નિત્શેની આ વિભાવનાને મારી દષ્ટિએ 'ગ્રાન્ડ નૅરેટિવ' કહેવાય, 'મૅટા નૅરેટિવ' પણ કહેવાય. એને ‘મહા વૃતાન્ત’ કહી શકીએ. એવું વૃતાન્ત જેમાં જિવાયેલા ઇતિહાસો પછી સંભવેલી એક સમગ્રદર્શી સમજ કે સમજદારી સંઘરાઈ હોય. એને માનવજીવનને વિશેની ‘મોટી વારતા’ પણ કહી શકીએ. એવી વારતા જેમાં સંસારનો સર્વસાર કે અર્ક સંભરાયો હોય.
આજકાલ આ કોરોના-કોવિડ-૧૯ નામની વિશ્વવ્યાપી વાસ્તવિક મહામારીએ લગભગ બધાં જ ગ્રાન્ડ નૅરેટિવ સામે પ્રશ્નાર્થ ખડો કર્યો છે. માણસ કયા સર્વસારને પકડે એ, પ્રશ્નોનો પણ પ્રશ્ન છે. નિત્શે હોત તો એમ જ કહેત કે આવા ને આવા પ્રશ્નો જ વારંવાર થયા છે ને થયા કરવાના છે …
બીજાં ગ્રાન્ડ નૅરેટિવ વિશે હવે પછી …
(December 22, 2020: USA)