Opinion Magazine
Number of visits: 9573992
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—63

દીપક મહેતા|Opinion - Opinion|26 September 2020

ત્રણ સવાલ : ફ્રેરે ફાઉન્ટન કેમ બન્યો ફ્લોરા ફાઉન્ટન?

ફુવારો બંધાવનાર ખરશેદજી ફરદુનજી પારખ હતા કોણ?

ગવર્નર ફ્રેરેએ મુંબઈ માટે શું શું કર્યું?

સાચા મુંબઈગરાએ ભલે એકાદ વાર, પણ ફ્લોરા ફાઉન્ટનનો ફુવારો ન જોયો હોય એવું ન બને. સહેલાણીઓ અને મુલાકાતીઓ પણ અહીંથી પસાર થયા વગર ન રહ્યા હોય. પણ એ ફુવારાના નીચેના ભાગમાં એક આરસની તકતી લગાડેલી છે તે ભાગ્યે જ કોઈએ વાંચવાની તકલીફ લીધી હશે. એ વાંચીએ તો આ ફુવારા વિશેની કેટલીક પાયાની વાતો જાણવા મળે. પહેલી વાત એ કે આ ફુવારો સરકારે નહિ, પણ ‘ધ એસપ્લનેડ ફી ફંડ કમિટી’એ ૪૭ હજાર રૂપિયાના ખર્ચે બાંધ્યો હતો. બીજી વાત એ કે તેમાંની ૨૦,૫૦૦ની રકમ શેઠ ખરશેદજી ફરદુનજી પારખે આપી હતી. ત્રીજી વાત એ કે આ ફુવારાનું ઉદ્ઘાટન ૧૮૬૯ના નવેમ્બરની ૧૮મી તારીખે થયું હતું. પણ એ કોને હાથે થયેલું એ લખ્યું નથી. અને ચોથી મહત્ત્વની વાત એ કે તેમાં આ ફુવારાનું નામ જ લખ્યું નથી.

ખરશેદજી ફરદુનજી પારખ

પહેલો સવાલ એ થાય કે આ ખરશેદજી ફરદુનજી પારખ હતા કોણ? પારસીઓ વિશેના આકર ગ્રંથ ‘પારસી પ્રકાશ’ના બીજા અને ત્રીજા દફતર(ભાગ)નાં બે હજાર જેટલાં પાનાં ખૂબ જ વ્યવસ્થિત સૂચિની મદદથી ઉથલાવો ત્યારે જાણવા મળે કે ખરશેદજીનો જન્મ ૧૮૧૨માં, બેહસ્તનશીન થયા ૮૫ વરસની જૈફ ઉંમરે, ૧૮૯૬ના ઓગસ્ટની આઠમી તારીખે. તેઓ એ જમાનાના મુંબઈના એક મોટા વેપારી અને વહાણવટી હતા. પોતાના અલાયદા વેપાર ઉપરાંત સર જમશેદજી જીજીભાઈની કંપનીમાં ભાગીદાર હતા. આજે તાતા કે બિરલાની કંપનીમાં કોઈ ભાગીદાર હોય અને તેનો જેવો વટ પડે તેવો એ જમાનામાં સરસાહેબના ભાગીદારનો પડે. ખરશેદજીએ વેપાર માટે ચીનની મુસાફરી કરેલી અને ચીન ઉપરાંત ગ્રેટ બ્રિટન અને યુરપના કેટલાક દેશો સાથે વેપાર. તેમની માલિકીનાં કેટલાંક જહાજોનાં નામ : સર જમશેદજી ફેમિલી, આલ્બર્ટ વિક્ટર, અને એક વહાણનું તો નામ જ ખરશેદજી ફરદુનજી. બોમ્બે ગ્રીન્સની જે પહેલી આઠ અર્ધગોળાકાર ઇમારતો બંધાઈ તેમાંની એક ખરશેદજીની માલિકીની હતી, જે ૧૮૬૪માં બંધાઈ હતી. પોતાની હયાતી દરમ્યાન તેમણે ૧૧ લાખ ૧૯ હજાર, ૯૭૦ રુપિયાની સખાવત કરી હતી. એ વખતે આ ઘણી મોટી રકમ ગણાય. તેમની સખાવતથી કોલાબામાં ધર્માદા દવાખાનું, માહિમમાં એન્ગલો-વર્નાક્યુલર સ્કૂલ, ચોપાટી પર પારસીઓ માટેની ધરમશાળા, દહીંસર અને સાયનનાં સ્ટેશનોની સામે ધરમશાળા, વગેરે બંધાયાં હતાં. તેમનું મૂળ વતન હતું સુરત, એટલે ત્યાં પણ ઘણી સખાવત કરેલી. ૫૦ હજાર રૂપિયાને ખર્ચે ફરદુનજી સોરાબજી પારખ સ્કૂલ ઓફ આર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી શરૂ કરી. પારખ ચેરિટેબલ ડિસ્પેન્સરી સ્થાપી. સુરતના રેલવે સ્ટેશન સામે ૨૫ હજારના ખર્ચે મોટી ધરમશાળા બાંધી.

મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે

ફ્લોરા ફાઉન્ટનના ફુવારા અંગે પણ કેટલીક વાત ‘પારસી પ્રકાશ’માંથી જાણવા મળે છે. ખરશેદજીએ ૨૦,૫૦૦ રૂપિયાનું જે દાન આપેલું તે એ વખતના વિક્ટોરિયા ગાર્ડનમાં લંડનથી મગાવીને ફુવારો મૂકવાને માટે આપેલું. અને એ ફુવારાની સાથે નામ જોડવાનું હતું મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરેનું. ખરશેદજીના દાનમાંથી ૬૮૦ પાઉન્ડ ફુવારો બનાવવા માટે સોસાયટીએ લંડન મોકલ્યા હતા. પણ ફુવારાનું કામ ધાર્યા પ્રમાણે થયું નહિ, એટલે સોસાયટીએ પૈસા પાછા માગ્યા. પણ પાછા મળ્યા માત્ર ૧૯૨ પાઉન્ડ અને બાકીના ૪૮૮ પાઉન્ડ પાણીમાં ગયા. બીજો ફુવારો બનાવતાં ૯૦૬ પાઉન્ડનું દેવું થયું એટલે એ ફુવારો સોસાયટીને સોંપી દીધો. સોસાયટીએ એટલી રકમ ખર્ચીને ફુવારો તો તૈયાર કરાવ્યો, પણ બે મોટા ફેરફાર કર્યા. એક તો, વિક્ટોરિયા ગાર્ડનને બદલે ફુવારાને હાલની જગ્યાએ ગોઠવ્યો, અને બીજું, તેની સાથે સર બાર્ટલ ફ્રેરેનું નામ ન જોડતાં નામ રાખ્યું ‘ફ્લોરા ફાઉનટન.’ જો કે ૧૮૬૯માં આ ફુવારાનું ઉદ્ઘાટન થયું ત્યારે એનું નામ ‘ફ્રેરે ફાઉન્ટન’ હશે અને પાછળથી નામ બદલાયું હશે તેમ લાગે છે. કારણ ૧૮૭૧માં આ ફુવારાનું વૂડ એન્ગ્રેવિંગ પદ્ધતિથી છપાયેલું ચિત્ર પ્રગટ થયું છે તેની નીચે ‘ધ ફ્રેરે ફાઉન્ટન, બોમ્બે, ઇન્ડિયા’ એમ લખેલું છે.

ફ્લોરા ફાઉન્ટન પર મઢેલી તકતી

સર હેન્રી બાર્ટલ ફ્રેરેનો જન્મ ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે, અવસાન ૬૯ વર્ષની વયે ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે. ૧૮૬૨થી ૧૮૬૭ સુધી તેઓ મુંબઈના ગવર્નર હતા. ૧૮૬૭ના માર્ચની છઠ્ઠી તારીખે તેમણે મુંબઈ છોડ્યું. એટલે કે ૧૮૬૯માં ફુવારાનું ઉદ્ઘાટન થયું ત્યારે તેઓ મુંબઈના ગવર્નર નહોતા. તેમની જગ્યાએ વિલિયમ વેસી ફિટઝિરાલ્ડ બિરાજમાન થયા હતા. સર બાર્ટલ ફ્રેરેએ મુંબઈ શહેરને સાફસૂથરું અને તેના વહીવટને અસરકારક બનાવવા અનેક પગલાં લીધાં હતાં. ૧૮૬૫માં તેમણે પહેલી વાર મુંબઈને મ્યુનિસિપાલિટી આપી હતી. ૧૮૬૫માં પસાર થયેલો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ હિન્દુસ્તાનમાં એ પ્રકારનો સૌથી પહેલો કાયદો હતો. તેઓએ જોયું કે શહેરના રક્ષણની દૃષ્ટિએ કિલ્લો ઉપયોગનો રહ્યો નથી, કારણ હવે જમીન માર્ગે મુંબઈ પર કોઈ ચડાઈ કરે એવો સંભવ નથી. અને દરિયાઈ રસ્તે કોઈ દુશ્મન ચડી આવે તો તેની સામે કિલ્લો ખાસ કામ આવે તેમ નથી. તેઓ નિયમિત રીતે કોટ વિસ્તારમાં તેમ જ કોટ બહારના ‘દેશી’ વિસ્તારોમાં નિયમિત રીતે ફરવા નીકળતા. તેમણે જોયું કે કિલ્લાની અંદરનાં જમીન અને મકાનો હવે અંગ્રેજો માટે પૂરતાં નથી. તો કોટની બહારના ‘દેશી’ રહેણાકના વિસ્તારોમાં જે ગંદકી, રોગચાળો, અરાજકતા ફેલાયેલાં હતાં તે પણ તેમણે નજરે જોયાં હતાં. એક કિસ્સા પરથી આ વાતનો ખ્યાલ આવશે. ‘દેશી’ વિસ્તારોની મુલાકાતો દરમ્યાન એક મકાન તેમના ધ્યાનમાં આવ્યું. થોડે થોડે વખતે તેના પર એક નવો માળ ચણાતો હતો. જ્યારે સાતમા માળનું બાંધકામ શરૂ થયું ત્યારે તેઓ મકાન માલિક પાસે ગયા અને પૂછ્યું : ‘તમારું કુટુંબ એવડું તે કેવડું મોટું છે કે તમારે થોડે થોડે વખતે નવો માળ ચણાવવો પડે છે?’ પેલાએ જવાબ આપ્યો : ‘હવે તો બસ, એક જ દીકરો બચ્યો છે.’ ‘એટલે?’ ‘અહીંનાં ગંદકી, રોગચાળો, ગંદુ પાણી વગેરેને કારણે અગાઉ મારાં પાંચ સંતાનો મરી ગયાં. દરેકના મોત પછી હું મકાનમાં એક માળ ઉમેરતો, એવી આશાએ કે આ બધાથી થોડા ઉપર રહીને જીવવાથી મારાં બાળકો બચી જશે. હવે આ સાતમો માળ ચણાવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છુ કે મારો આ દીકરો હવે બચી જાય.’

મુંબઈનો વિકાસ કરવો હોય, તેને સાફસૂથરું બનાવવું હોય તો કિલ્લો તોડી પાડ્યા વગર છૂટકો નહોતો. પણ સાધારણ રીતે અંગ્રેજ અમલદારો વિગતોની ચકાસણી કર્યા પછી જ આવાં કામ કરતા. એટલે સર બાર્ટલ ફ્રેરેએ મુંબઈમાં વસ્તી ગણતરી કરાવવાની દરખાસ્ત વાઈસરોયને મોકલી. તેમણે એ લંડન મોકલી. ત્યાં તે નામંજૂર થઈ એટલે ના પાડ્યા સિવાય વાઈસરોય માટે બીજો કોઈ રસ્તો નહોતો. પણ ફ્રેરે વાર્યા વરે તેવા નહોતા. તેમણે વસ્તી ગણતરીને ‘બિન-સરકારી’ અને ‘સ્વૈચ્છિક’ બનાવી દીધી! અને ૧૮૬૪ના ફેબ્રુઆરીની બીજી તારીખે મુંબઈમાં પહેલી વાર વસ્તી ગણતરી થઈ. તેને આધારે તેમણે નક્કી કર્યું કે મુંબઈના વિકાસ માટે કેટલી જમીન જોઈએ. છેવટે કિલ્લો ગયો. એના ત્રણ દરવાજા ગયા, દીવાલની બહારની ખાઈ ગઈ, ખાઈમાંનું ગંધાતું, ગંદું પાણી ગયું. નવા રસ્તા અને મકાનો બંધાયાં, લોકોને મોકળાશભરી ખુલ્લી જગ્યા મળી.

આ બધું થતું હતું ત્યારે મુંબઈમાં રુપિયાની રેલમછેલ હતી – અમેરિકન સિવિલ વોરને પ્રતાપે. એ અંગે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે. પણ ‘દેશી’ શેઠિયાઓ પાસે જે પૈસો ઊભરાતો હતો તેનો સદુપયોગ કરવા તરફ ફ્રેરેએ તેમને વાળ્યા. નવાં સ્કૂલ, કોલેજ, પુસ્તકાલયો વગેરે ઊભાં કરવા તેમને સમજાવ્યા. એ વખતે જે સંખ્યાબંધ ‘રેક્લમેશન સ્કીમ’ ફૂટી નીકળી હતી તેને પણ તેમણે ટેકો આપ્યો કારણ નવી જમીન મેળવ્યા વગર મુંબઈનો વિકાસ ઝાઝો થઈ શકે તેમ નથી, તેની એમને ખાતરી થઈ ચૂકી હતી. ફ્રેરે મરાઠીમાં ભાષણો પણ કરી શકતા. પૂનામાં ડેક્કન કોલેજની સ્થાપનામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના જમાનાથી મુંબઈ ઇલાકામાં શિક્ષણ અને ધર્મપ્રચારને અલગ રાખવાની નીતિ અમલમાં હતી. પણ ખ્રિસ્તી પાદરીઓનું એક પ્રતિનિધિ મંડળ ફ્રેરેને મળવા ગયું અને જણાવ્યું કે નિશાળ પૂરી થાય તે પછીના સમયમાં ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ આપવાની પાદરી-શિક્ષકોને છૂટ આપવી જોઈએ. એ અંગેનો ખર્ચ પણ ચર્ચ ઉપાડી લેશે. પણ ફ્રેરેએ ઘસીને ના પાડી દીધી. પાદરીઓએ કલકત્તા ધા નાખી. ત્યાંથી થોડી ઉદાર નીતિ અપનાવવાની સૂચના મળી, છતાં ફ્રેરે એકના બે ન જ થયા. હા, બેંક ઓફ બોમ્બે ફડચામાં ગઈ અને ઘણીખરી રેક્લમેશન કંપનીઓ પાણીમાં બેસી ગઈ તેમાં સર બાર્ટલ ફ્રેરેના નામને થોડી ઝાંખપ લાગેલી ખરી. છતાં જે ફુવારો બાંધવાની યોજના તેમણે કરી હતી, જે ફુવારા સાથે તેમનું નામ જોડવાનું નક્કી થયું હતું, તે ફુવારા સાથે પછીથી તેમનું નામ કેમ ન જોડાયું એ એક કોયડો છે.

૧૮૭૧માં પ્રગટ થયેલું ફ્રેરે ફાઉન્ટનનું ચિત્ર

ફ્લોરા ફાઉન્ટનની બાંધણીમાં નીઓ ક્લાસિકલ અને ગોથિક સ્થાપત્ય શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આખો ફુવારો વિદેશી પથ્થરનો બનેલો છે. તેની ડિઝાઈનમાં પથ્થર અને પાણીનો સુમેળ સાધવાનો પ્રયત્ન જોવા મળે છે. તેના મથાળે રોમન દેવી ફ્લોરાની મોટી મૂર્તિ મૂકેલી છે જેના પરથી આ ફુવારાનું નામ પડ્યું છે. આ ફ્લોરાને ફળફૂલ, વસંત, પ્રેમ, અને ફળદૃપતાની દેવી માનવામાં આવે છે. એક જમાનામાં વિક્ટોરિયા ટર્મિનસથી ગેટ વે ઓફ ઇન્ડિયા સુધી બ્રિટિશ સ્થાપત્યની આણ પ્રવર્તતી હતી. સરકારી ઓફિસો ઉપરાંત દેશની અને વિદેશની અનેક મોટી કંપનીઓની ઓફિસો અહીં આવેલી હતી. વ્હાઈટ-વે લેડલો અને ઇવાન્સ ફ્રેઝર જેવા જ્યાં મોટે ભાગે અંગ્રેજો જ ખરીદી કરવા જાય તેવા સ્ટોર આવેલા હતા. વી.ટી. અને ચર્ચગેટ બંને સ્ટેશનો નજીક હોવાથી આખો વિસ્તાર રાત-દિવસ ધમધમતો રહેતો હતો. અને આ વિકાસરેખાના લગભગ મધ્યબિંદુએ આવેલ હતો ફ્લોરા ફાઉન્ટનનો ફુવારો. જાણે કિલ્લો તોડી પડાયા પછી વિકસેલા મુંબઈનાં ઊભરાતાં ઉત્સાહ, વિકાસ, સમૃદ્ધિનું પ્રતીક ન હોય!

૧૯૬૦ પછી આ વિસ્તારનું સત્તાવાર નામ બદલાઈને હુતાત્મા ચોક બન્યું. ફુવારાથી થોડે દૂર સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળમાં શહીદ થયેલાઓના સ્મારક રૂપે નવું સ્થાપત્ય ઊભું થયું. પણ જેમ કિલ્લો તોડી પડાયા પછી એલ્ફિન્સ્ટન સર્કલ ઝાંખું પડ્યું તેમ નરીમાન પોઈન્ટનો વિસ્તાર વિકસ્યા પછી ફાઉન્ટન અને તેની આસપાસનો વિસ્તાર પણ થોડો ઝંખવાયો. કેટલાંક વર્ષો ફુવારા માટે પણ દુર્દશાનાં વીત્યાં. આડેધડ સમારકામ થયું, સફેદ રંગના લપેડા લગાવાયા. તેને ‘સુશોભિત’ કરવા માટે કેટલાક વાહિયાત નુસખા અજમાવાયા. પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં શહેરની ‘હેરિટેજ’ ઈમારતોની જાળવણી અને તેના સમારકામ અંગેની દૃષ્ટિ બદલાઈ છે તેનો લાભ ફ્લોરા ફાઉન્ટનને પણ મળ્યો છે. ઊછળતું, કૂદતું, વહેતું પાણી એ જીવનનું પ્રતીક છે. અને આવું પાણી જ્યાં સતત જોવા મળે છે તે ફ્લોરા ફાઉન્ટન પણ મુંબઈ જેવા સતત ઊછળતા, કૂદતા, વહેતા શહેરનું જાણે કે પ્રતીક છે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 સપ્ટેમ્બર 2020  

Loading

આ મુશ્કેલ સમયમાં (39)

સુમન શાહ|Opinion - Opinion|26 September 2020

= = = = જરા વિચારો, કોરોના મનુષ્યોને જ કેમ વળગ્યો? ચકલી કાબર લૅલાં હોલા કે કાગડાને કેમ નહીં? કબૂતર બિલાડી કે કુકરિયાંને કેમ નહીં? કેમ કે એ સૌ પ્રાણીઓ પ્રકૃતિને વશ થઈને જીવે છે. કેમ કે એ સૌ પ્રાણીઓ સવારથી રાત સુધી લ્હૅરમાં જિવાય એવી કૃતિઓ સરજે છે. કેમ કે એમના અસ્તિત્વને તરડેમરડે એવી એમની પાસે કશી સંસ્કૃતિ નથી = = = =

અંગ્રેજીમાં શબ્દ છે, aftermath. કશીક હોનારત ઘટી ગઈ હોય પછી ઘણું બધું બનતું હોય છે. તે પશ્ચાદવર્તી સમયગાળાને આફ્ટરમાથ કહેવાય છે. જેમ કે, ધરતીકમ્પ પછીનો સમયગાળો; જેમ કે, સુનામી પછીનો; જેમ કે, વિશ્વયુદ્ધો પછીનો … એ જ પ્રકારે, કોરોના પછીનો સમયગાળો, આફ્ટરમાથ – કોરોના.

સુજ્ઞજનો વિચારે છે કે કોરોના સમાપ્ત થશે પછી આ દુનિયા કેવી હશે ને તેમાં મનુષ્યજીવન કેવું હશે. દુનિયાભરના ચિન્તકો, સવિશેષે ભવિષ્યવાદી ચિન્તકો, વિચારી રહ્યા છે. રાજનીતિ અને રાજકારણમાં કેવાક બદલાવ આવ્યા હશે … અર્થતન્ત્રના શા હાલ હશે … વેપાર ને નોકરીધંધા કેમના ગોઠવાશે …

જો કે કોરોના ટળે એ પહેલાં દુનિયા કેવી હશે એની કલ્પનાઓ કરવાથી શો લાભ? કસમયનું લાગે છે. કસમયનું એ કારણે કે રસી શોધાયા પછી પણ આ મહામારી પૂર્ણ રૂપેણ સમાપ્ત થશે કે કેમ તે વિશે ખાતરીથી કશું કહી શકાતું નથી.

ઘરમાં, કારમાં ને ઑફિસના એ.સી. રૂમમાં બેસીને ‘આઇયૅમા વૉરિયર’ એમ ફડાકા મારનારા, સારું છે કે હવે ટાઢા પડી ગયા છે. એમાં તે વળી, એ બધા શેના યોદ્ધા? વટ જમાવવા માટેની કૃતક બહાદુરી ! એથી કોરોના ના ડરે. સામે છેડે, મોટી સંખ્યામાં અહીંતહીં મ્હાલતા પ્રજાજનો જુદી જ જાતના વૉરિયર લાગે છે. કશી સાડીબારી વિના કોરોનાની સામે પડેલા છે – માસ્ક નૈં પ્હૅરું – સોશ્યલ ડિસ્ટન્સની ઍસીતૅસી ! – જાતઅલગાવ શી બલા છે ! લાકડાની તલવાર લઈ મૅદાને પડેલા ગાંડિયા બેબાક સિપઇડા જ જોઈ લો ! દેખીતું છે કે આવા બધા લોકો આફ્ટરમાથમાં તો સાવ જ બ્હૅકી જવાના …

આફ્ટરમાથમાં ખરું યુદ્ધ તો જાત સાથે લડવું પડવાનું છે. સૌએ માસ્ક – મ્હૉરાં – પ્હૅરવાની ટેવ પાડવી પડશે. આપણી આસપાસમાં ‘મ્હૉરાં’ પ્હૅરેલા એક-બે તૂંડમિજાજી કે આપોપા મોટા તો હોય જ છે ! એમનાથી બચી શકાશે. બીજાની સ્વતન્ત્રતાને હડપી જવાને બદલે પોતાની એકલતાને ચાહવી જોઈશે. કોઈ અળગા કરે એ પહેલાં જાતે જ થઈ જવું જોઈશે. મનુષ્યજાતિએ જીવન જીવવાની બધી જ રીતો બદલવી જોઈશે. ભૌતિક સુખાકારીને જ લક્ષ્ય કરનારી કહેવાતી પ્રગતિને સ્ટૉપ કરવી પડશે. સમજી-વિચારીને દરેક બાબતે પીછેહઠ કરવી જોઈશે. મને થયું, આ અંગે થોડુંક વિચારીએ તો સંભવ છે કે આફ્ટરમાથના દિવસોમાં નવેસરથી જીવવાની ગતાગમ પડે.

એ વિચારના પ્રારમ્ભે જ મારી સામે ત્રણ શબ્દ આવી ઊભા : સંસ્કૃતિ, કૃતિ અને પ્રકૃતિ : હું એમની વાત કરીને અટકું.

સંસ્કૃતિ પ્રજાકીય વસ્તુ છે – જેમ કે હિન્દુ પ્રજાની હિન્દુ સંસ્કૃતિ. સંસ્કૃતિના સંવર્ધન કાજે તાજામાજા બાળકને બાળમન્દિરે મોકલીને ક્રમે ક્રમે ઘડીકૂટીને બધી જ સિસ્ટમમાં ફિટ આવે એવો ગુજરાતી હિન્દુ બનાવી મૂકીએ છીએ. સંસ્કૃતિ સિસ્ટમ્સની સિસ્ટમ છે – સુપર સિસ્ટમ. બીજું, સંસ્કૃતિ એક મોઓટી શેતરંજી પણ છે. પ્રજાઓ એની નીચે દમ્ભ, જૂઠાણાં ને વિવિધ પ્રકારના ગંદવાડને છુપાવી શકે છે. જુઓ ને, સત્યમ્ વદ, ધર્મમ્ ચર જેવાં સંસ્કારવર્ધક સુ-વચનોનું પાલન તો કો’ક કો’ક જ કરે છે. કેટલીયે દીવાલો પર એનાં સુશોભિત પાટિયાં લટકતાં જોઈને સમજુ માણસો વ્યંગમાં મલકાતા હોય છે. એ શો-ઑફ્ફ છે. એ વચનો, ખાસ તો, બીજાઓ સામે બોલવા માટેનાં છે. બધા જ બોલતા આવ્યા છે ને તેથી એ ગ્રાન્ડ નૅરેટિવ બનીને સદીઓથી ભારતની હવામાં લ્હૅરાયા કરે છે.

રાજ્ય પણ એક એવું જ નૅરેટિવ છે. એ સર્વજનહિતાય છે, સુચિન્તિત વ્યવસ્થાતન્ત્ર છે. તેમ છતાં, મોટા ભાગના દાખલાઓમાં આપણે જોઈએ છીએ કે હિત તો એના રખેવાળોનું ને વચેટિયાઓનું જ થાય છે. લોકશાહી અપ્રતિમ શાસનપ્રણાલિ છે, પણ પ્રજાને ખૂબ હંફાવે છે. જનસમાજે હરેક વાતે લાંબા સમય લગી તરસવું પડે છે.

માનવકલ્યાણના ધ્યેયને વરેલું ધર્મકારણ પણ એક ગ્રાન્ડ નૅરેટિવ નથી તો શું છે ! પોલાણ કેટલાયે ધર્મોની ઓળખ છે. વ્યક્તિઓ ધાર્મિક હોય છે – પણ પોતાની મરજીથી – સ્વપુરુષાર્થે કરીને ! બાકી, એક પણ ધર્મ પ્રજાસમસ્તને કદી પણ ધાર્મિક નથી બનાવી શક્યો. દરેક ધર્મમાં વિ-ધર્મીઓ હોય જ છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ધર્મમાત્રને પ્રચારની તેમ જ યેન કેન પ્રકારના નુસખાઓની જરૂર પડી છે. દબાણ અને વટાળ જેવાં ન-ધાર્મિક સાધનોનો આશ્રય કરવો પડ્યો છે.

આપણે જોઈએ છીએ કે કેટલાયે ધીમન્તો તેમ જ શ્રીમન્તો રાજસત્તા અને ધર્મસત્તાની સાનુકૂળ છાયામાં લપાઈને વિધવિધનાં અસંસ્કારી કામો કરે છે. સંસ્કૃતિના વાઘા ઓઢીને આપણી સામે રોજે રોજ ઝૂમ્યા કરે છે. આપણા જીવનમાર્ગને રૂંધે છે. આફ્ટરમાથમાં સંસ્કૃતિ નામની શેતરંજીને ઓળખીને ફગાવી દેવી પડશે અને વાઘાધારીઓથી બચવા હમેશાં સાવધાન રહેવું પડશે. પોતે પણ એવા વાઘા ચડાવ્યા હશે, તો ઉતારી નાખવા જોઈશે.

સંસ્કૃતિ પ્રજાકીય વસ્તુ છે પણ કૃતિ તો વૈયક્તિક આવિષ્કાર છે. મારે જે કરવું કે સરજવું હોય એ હું કરી શકું. એથી રચાય તે મારી સત્તા, તે મારો ધર્મ, તે મારું દત્ત અને તે મારું અર્જિત કે ઉપાર્જિત. એ માટે વ્યક્તિએ પોતાના દરેક કામને એવી તો સર્જકતાથી પાર પાડવાં જોઈશે કે પરિણામે એ એક સુન્દર સુકૃતિ ભાસે અને એથી પોતાને તેમ જ સામાને ક્લેશનો નહીં પણ રસાનન્દનો અનુભવાય, કિંચિત્ જીવનતોષ લાધે.

પ્રકૃતિથી તો કેટલા વેગળા થઈ જવાયું છે ! વન, પહાડ કે નદી દૂર પડે છે, તો છોડો ! પણ આકાશ તો નજરવગું જ છે. ધ્રુવ અને સપ્તર્ષિદર્શન તેમ જ સૂર્ય-ચન્દ્રના દર્શન કાજે કશી તકલીફો નથી. લોક વરસાદ તાપ કે ટાઢની બૂમો બહુ પાડે છે, પણ એમને છ ઋતુઓની ખબર ભાગ્યે જ હોય છે – હેમન્ત – શિશિર – વસન્ત – ગ્રીષ્મ – વર્ષા – શરદ. એમને એ ભેદની પણ જાણ નથી કે આ તાપ શરદનો છે ને ગ્રીષ્મનો નથી. વર્ષાની ટાઢ પોષના શિયાળાની નથી હોતી. અતિવૃષ્ટિ થઈ હોય ને અતિ ઠંડા પવન જોશમાં ફુંકાતા હોય ત્યારે તેવી ટાઢને હિક્કળ કહેવાય છે. પણ એની ખબર કેટલાંને છે?

પુષ્પો સાથે કેવોક છે આપણો લગાવ? છે ખરો? ભલા’દમીઓને ફૉમ નથી કે ગુલાબ ઉપરાન્તનાં કેટલાંયે પુષ્પો છે !

પક્ષીઓ સાથેના અનુબન્ધનું શું? શહેરો છોડીને ચકલીઓ જતી રહી છે પણ ક્યાં ગઈ હશે? કાબર લૅલાં હોલા હજી છે – જો એમના બોલ આ નગરસભ્યતામાં સંભળાય તો. ‘કાગવાસ’ બોલતાંમાં કાગડા ઊતરી આવે, પણ હવે? કૂતરાં રાત્રે જ કેમ વધારે ભસે છે? એમને ખોરાક મળે છે? ક્યાંથી? બિલાડી અને કબૂતરો પણ સફેદ હોય છે. પણ એવું ધૉળું ફટાક કબૂતર કે સફેદ રૂ-ની હોય એવી બિલાડી જવલ્લે જ જોવા મળ છે. પાંચ-છ કુરકુરિયાંની ગમતીલી ગોટમ્ ગોટ જોવાની જે ગમ્મતો હતી તે ક્યાં ગઈ? પોપટ કોણ પાળે છે હવે? પોપટથી મૅના કઈ બાબતે જુદી હોય છે? એ કે એ રૂપાળી નમણીને કાંઠલો ન હોય. પણ તેની જાણ કેટલાંને છે?

જરા વિચારો, કોરોના મનુષ્યોને જ કેમ વળગ્યો? ચકલી કાબર લૅલાં હોલા કે કાગડાને કેમ નહીં? કબૂતર બિલાડી કે કુકરિયાંને કેમ નહીં? કેમ કે એ સૌ પ્રાણીઓ પ્રકૃતિને વશ થઈને જીવે છે. કેમ કે એ સૌ પ્રાણીઓ સવારથી રાત સુધી લ્હૅરમાં જિવાય એવી કૃતિઓ સરજે છે. કેમ કે એમના અસ્તિત્વને તરડેમરડે એવી એમની પાસે કશી સંસ્કૃતિ નથી …

= = =

(September 26, 2020: Ahmedabad)

Courtesy: Google Images.

Loading

સોશિયલ મીડિયા પર વિવિધ ચેલેન્જના બહાને તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો

જીતેશ ત્રાપસિયા|Opinion - Opinion|26 September 2020

ફેસબુક પર હાલમાં અલગ અલગ ચેલેન્જ ચાલી રહી છે, જેમાં લોકો પોતાના જુદા જુદા ફોટોઝ હેશટેગ સાથે શેર કરે છે. જેમાંની અમુક ચેલેન્જમાં પોતાના પરિવાર સભ્યો સાથેના ફોટોઝ, પર્સનલ ફોટોઝ, સહિતના વિવિધ  ફોટોઝ શેર કરે છે. જો તમે સોશિયલ મીડિયા પર ચેલેન્જના બહાને તમારા પર્સનલ ફોટોઝ શેર કર્યા છે, તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. સોશિયલ મીડિયા પર નવી નવી ચેલેન્જ એક્સેપટ કરવાથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. સાયબર ક્રાઈમથી આપણે સાવધાન રહેવું જોઈએ. ટેકનોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે. 

આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજિક સાયબર તત્ત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવી, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા કે અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વીડિયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા, અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ, બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી, સાયબર બુલિંગ, Fake News કે ખોટી અફવા ફેલાવવી, ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમ જ તે પ્રકારની માહિતી, ફોટા કે વીડિયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવું પણ ગંભીર ગુનો બને છે.

‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ’ સૂત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખૂબ સમજદારીપૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. સોશિયલ મીડિયાથી થતાં નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.

ગુજરાત સરકારે gujaratcybercrime.org નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ કેન્દ્ર સરકારની cybercrime.gov.in આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનીટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.    

Twitter: @jiteshtrapasiya

e.mail : jiteshtrapasiya1@gmail.com

Loading

...102030...2,1632,1642,1652,166...2,1702,1802,190...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved