Opinion Magazine
Number of visits: 9965032
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરી ન આવીશ:

મૂકેશ પરીખ|Opinion - Opinion|28 December 2020

ફરી ન આવીશ:

હે ૨૦૨૦, તું રહમ કર,
જરાક તો તું શરમ કર.
હજી કેટલાં જુલમ કરીશ?
ખબરદાર જો પાછો ફરીશ!

———————————

માનવજાતિના હાલ:

કેટલાયને તેં બિમાર કર્યા,
હજારોને તેં બેકાર કર્યા,
બેશરમીની હદ કરી તેં,
લાખોને નિરાધાર કર્યા!
હે ૨૦૨૦, તું રહમ કર!

એકવાર જઈને જોઈ લે,
નાનાં ભૂલકાંઓ સંગ રોઈ લે.
વૃદ્ધાશ્રમમાં નજર કરી છે?
લાચારીએ માઝા મૂકી છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ભણતરના હાલ:

વિદ્યાલયોને તાળા લગાવ્યા,
વિદ્યાર્થીઓને દી’રાત રડાવ્યા,
શિક્ષકો પણ કરગરી રહ્યાં,
શાને સહુનાં વરસ બગાડ્યાં?
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

રોજગારના હાલ:

કાર્યાલયો સાવ ભેંકાર છે,
કારીગરો પણ બેકાર છે,
સ્થગિત કરી નાંખ્યું જનજીવન તેં,
સહુ પરિવારો લાચાર છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ઋગ્ણાલયોના હાલ:

ખાટલાઓની તાણ છે,
દવાઓની ય મોંકાણ છે,
તબીબોની તો વાત ન પૂછો,
બુકાની (માસ્ક) પાછળ ભગવાન છે!
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ધર્મસ્થાનોના હાલ:

મંદિરોની દશા ખરાબ છે,
દેવાલયે પાદરી ઉદાસ છે,
મસ્જિદોની તો વાત ન પૂછો,
ખુદાના બંદા નાસીપાસ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

——————————-

સામાજિક સ્થાનોના હાલ:

રેસ્ટોરન્ટમાં પાંખી હાજરી,
મયખાને ય હડતાળ છે,
ઘરખૂણે જ બેઠા છે ‘મૂકેશ’
ઘરઘરમા આવા હાલ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

——————————

ડિસેમ્બર ૪, ૨૦૨૦

e.mail : mparikh@usa.com

Loading

સુનીલ કોઠારી …

સુમન શાહ|Opinion - Opinion|28 December 2020

અમારા પરમ મિત્ર અને સુરેશ જોષી વર્તુંળના એક રત્ન સુનીલ કોઠારીનું ગઈ કાલે ૨૭મી ડિસેમ્બરે દિલ્હીમાં અવસાન થયું. ભારતે એક તેજસ્વી વિદ્વાન અને સન્નિષ્ઠ નૃત્ય-સમીક્ષક તેમ જ ઇતિહાસકાર ગુમાવ્યો. ૧૯૩૩માં જન્મ, મૃત્યુ ૨૦૨૦, ૮૭ વર્ષનું આયુષ્ય.

મુમ્બઈમાં જન્મેલા સુનીલ વ્યવસાયે તો ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ. પણ પછી એ આંકડાઓથી – ફિગર્સથી – છૂટીને નૃત્યકલાસંલગ્ન ફિગર્સમાં જ કારકિર્દી વિકસાવી. ૧૯૫૬થી સક્રિય સુનીલે ૬૪ વર્ષ લગી કરેલી કલાસેવા ગમ્ભીર અધ્યયનનિષ્ઠાનું એક આદર્શ દૃષ્ટાન્ત છે.

મને સુનીલનો પરિચય આમ તો સુરેશભાઈને કારણે કેમ કે એ ‘ક્ષિતિજ’-માં નૃત્યકલા વિશે તેમ જ ફિલ્મો વિશે લખતા. જયન્ત પારેખ અને સુનીલ કોઠારી ક્યારેક ‘જ સુ પા કો’ જેવી મિક્સ્ડ્ બાયલાઈન બનાવીને લખતા. એ રહસ્યની અમને લોકોને બહુ મૉડેથી ખબર પડેલી.

અમે મુમ્બઈમાં પહેલી વાર મળેલા, રસિક શાહને ત્યાં, ઇન્ડિયા હાઉસવાળા ઘરે. કોઈ છોકરીની વાત હતી, સુનીલ રશ્મીતાને કહે – એ છછૂંદરીની શી વાત કરું તને રશ્મીતા … કરીને ચલાવેલું. અમે બધાં બહુ હસેલાં. રશ્મીતાને એ શબ્દ ખૂબ ગમી ગયેલો એટલે જ્યારે મળવાનું થાય ત્યારે પૂછે, સુનીલભાઈ, પેલી છછૂંદરી ક્યાં છે, એને વિશે કંઈક કહો ને. તે સુનીલ કશીક વાર્તા જોડી કાઢે. હમેશાં ઉલ્લાસથી હસતા જ જોવા મળે. વાત શરૂ કરે ને ધીમે ધીમે ગમ્ભીર થઈ જાય. તે છતાં ગમે ત્યારે વાતને વિશાળ હાસ્યમાં પળોટી નાખે.

હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ હતો ત્યારે નૃત્યકલા વિશે વ્યાખ્યાન માટે બોલાવેલા. મને કહે – હું મારી નૃત્યકાર છોકરીઓને લઈને આવીશ. મેં કહેલું, સુનીલભાઈ, આ તો ગામડું છે. તો કહે, ભલે ને મશ્કરીઓ કરે, બીજું શું કરશે. અને વડોદરાની મ્યુઝિક કૉલેજની ચારેક વિદ્યાર્થિનીઓ વડે મુદ્રાઓ અને અંગભંગિઓના લાઇવ દૃષ્ટાન્તો સાથે સરસ વ્યાખ્યાન કરેલું. મશ્કરી કરનારા હશે પણ સદ્ વિદ્યાના પ્રતાપે સ્તબ્ધ બલકે શાણા થઈને જોતા-સાંભળતા હતા. 

ભરતનાટ્યમ્ ઓડિસી છાઉ કથક કે કુચિપુડી આદિ ભારતીય પ્રશિષ્ટ નૃત્યવિધાઓ એમનો ધ્યાનવિષય. એમણે અનેક નૃત્યકલા-વિદ્યાર્થિનીઓને તેમ જ નૃત્યાંગનાઓને ભણાવ્યું છે. કેટલીક તો દેશની મહાન નૃત્યાંગનાઓ રૂપે પ્રસિદ્ધ છે. એક વાર કોલકાતામાં એક સુખ્યાત નૃત્યાંગનાના કાર્યક્રમમાં અમે સાથે બેઠેલા. નૃત્યાંગનાના બ્લાઉઝની સિલાઇ ખભા પાસેથી બેએક ઇન્ચ ઊકલી ગઈ હશે. એ એમના ધ્યાનમાં આવી ગયેલું. કહે, હું જો એને કહીશ ને તો જીવનભર નહીં ભૂલે : તમે કહેશો? : ના, કદી નહીં, કેમ કે મને બહુ માને છે, પરફૅર્મન્સમાં આવુંતેવું અકસ્માતે બની શકે છે …

ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં ફુલ્લબ્રાઇટ પ્રૉફેસર પદે હતા અને છેલ્લે રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં ઉદય શંકર ચૅર પદે હતા. બન્ને સ્થળોએ નૃત્યકલા શીખવી છે, ચર્ચાઓ – પરિચર્ચાઓ કરી છે. એમનાં અનેક પ્રકાશનોમાં ‘ભરતનાટ્યમ્ : ઈન્ડિયન ક્લાસિકલ આર્ટ ફૉર્મ’, ‘ન્યૂ ડિરેક્શન્સ ઈન ઈન્ડિયન ડાન્સ’, ‘સત્ત્રીય ડાન્સિસ ઑફ અસમ’, ’રસ : ધ ઈન્ડિયન પરફૉર્મિન્ગ આર્ટ્સ ઇન ધ લાસ્ટ 25 યર્સ’ તેમ જ ‘ફોટોબાયોગ્રાફી ઑફ રુક્મિની દેવી’ વિશિષ્ટપણે પ્રશંસનીય રહ્યાં છે.

સુનીલને પદ્મશ્રી, અને સંગીત નાટક અકાદમીએ ગૌરવ પુરસ્કાર તેમ જ ડાન્સ ક્રિટિક ઍસોસિએશન, ન્યૂ યૉર્કે લાઇફ ટાઇમ ઍચિવમૅન્ટ અવૉર્ડ અર્પ્યા છે. દિલ્હીમાં એશિયન ગેમ્સ વિલેજ ખાતે રહેતા હતા. પણ સરકાર દ્વારા તાજેતરમાં કહેવાયું કે બીજે જાવ. દુ:ખ સાથે નૉંધવું પડે છે કે અમુક કલાકારો આપણને નથી પરવડતા.

’બાંધ ગઠરિયાં’-વાળા આપણા નાટ્યકાર ચં.ચી. મહેતા સાથે તેમ જ સ્વતન્ત્રપણે સુનીલે દુનિયાભરમાં અનેક પ્રવાસો કર્યા છે. સુનીલ ક્યારે ક્યાં હોય કે હશે એની ઘણી વાર એમને પણ ખબર ન રહી હોય. ક્યારેક અમદાવાદ આવેલા, ફોન કર્યો કે આવું છું, રોકાઈશ. પણ પછી જ્યાં હતા ત્યાં જ રહી પડેલા. સાહચર્યમિત્રો સમક્ષ સુરેશભાઈ વિશે એમણે ગયા મહિને આપેલો ઑનલાઈન વાર્તાલાપ, એમનું કદાચ છેલ્લું વક્તવ્ય.

સુજોસાફો-આયોજિત સુરેશ જોષી જન્શતાબ્દી ઉત્સવમાં મારે એમને બોલાવવા હતા, સુરેશભાઈ સાથેનાં સંસ્મરણો માટે. પછી ખબર પડી કે હૉસ્પિટલમાં છે. પછી ખબર પડી કે સાજા થઈ ગયા છે. દરમ્યાન મેં વ્હૉટ્સઍપ મૅસેજ મૂકેલો કે – I hope you are okay now, can I call you? પણ એ મૅસેજ અનુત્તર રહેવા સરજાયો હશે ! સુનીલ એમના અન્તિમ પ્રવાસે ઊપડી ગયા … એમના આત્માને શાન્તિ માટે પ્રાર્થના કરીએ …

= = =

(December 27, 2020: USA)

Loading

સાધારણ માણસ છેતરાવા, ડરવા ને મરવા માટે જ છે ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 December 2020

“કૌન બનેગા કરોડપતિ ?”માં અમિતાભ બચ્ચન રિઝર્વ બેન્કની જાહેરાતમાં અને કાર્યક્રમની વચમાં આવતી જાહેરાતોમાં એક વાત અચૂક કહે છે કે કોઈ પણ બેન્ક ખાતાની વિગતો માંગે તો ન આપવી. રિઝર્વ બેન્ક કહે છે – જાણકાર બનો, સતર્ક રહો. છેતરવાની અનેક યુક્તિઓ ચાલે છે ને આપણામાંથી કેટલાક છેતરાય પણ છે. કાયદો બધાંએ જાણવો જ જોઈએ, એવું કહેવાય છે, પણ એ બધાં જ જો જાણતાં હોત તો બધાં જ વકીલ હોત ! એલ.આઇ.સી. કે મ્યુચ્યલ ફંડ અંગે ચેતવવામાં આવે છે કે એની બધી વિગતો વાંચી-જાણીને સહી કરો, પણ વાસ્તવિકતા એ છે કે એની વિગતો સાધારણ માણસ વાંચી જ ન શકે એ રીતે, એવા ઝીણા ટાઈપમાં છપાયેલી હોય છે કે તે વાંચવા બેસો તો વીમો કે ફંડ પાકી જાય. મોટે ભાગે આપણે બધાં જ સામેવાળા પર ભરોસો મૂકીને જ સહીઓ કરતાં હોઈએ છીએ ને એમાં જ ઘણીવાર છેતરાવાનું પણ થાય છે. એ ખરું કે કેટલીક કંપનીઓનો ઈરાદો છેતરવાનો નથી હોતો, પણ કેટલીક કંપનીઓ તો છેતરવા જ બજારમાં આવતી હોય છે. એમાં જે ફસાય છે તે સાધારણ માણસો હોય છે. જેની બહુ કમાણી નથી કે બહુ બચત નથી એવા માણસો છેતરાય છે. એવા માણસો કરોડોની સંખ્યામાં હોય છે ને છેતરપિંડી નાની રકમની હોય તો પણ છેતરનારને મોટો નફો રળી આપે છે.

એક સમય હતો જ્યારે વિશ્વાસે વહાણ ચાલતું હતું. હવે આપણે સુધરી ગયાં છીએ ને આજના ઝડપી સમયે આપણને એ શીખવ્યું છે કે કોઈનો વિશ્વાસ ન કરવો, આજુબાજુ બધાં જ છેતરનારાઓ છે, સતત ઊંચા જીવે રહો, સાવધાન રહો. કોઈ કોઈના પર ભરોસો મૂકે છે તે જાણે સારું લક્ષણ નથી એવું ભરોસો મૂકનારને ભાન કરાવાય છે. કોઈ ભરોસો મૂકી ને છેતરાય છે તો તેને એમ સંભળાવાય છે કે ફલાણા પર તો ભરોસો મૂકાય જ નહીંને, હવે ભોગવો ! આપણે સુખનો જીવ દુ:ખમાં નાખ્યો છે એવું નથી લાગતું? એક વાત સમજાય છે કે આપણને હવે નિરાંત રહી નથી. આપણી ઊંઘ અજંપા વચ્ચે આવે છે ને સવાર ચિંતાથી પડે છે. આપણે જેને જિંદગી કહીએ છીએ તે અવિશ્વાસ, અશાંતિ અને શંકાઓ વચ્ચે ઉછરે છે. આપણી સગવડો વધી છે, વ્યસ્તતાઓ વધી છે, પણ આનંદ ઘટ્યો છે.

જરા વિચારીશું તો સમજાશે કે આપણી સગવડો એ કદાચ આપણે માટે નથી. ઘણીવાર તો એ બીજાનો આપણી સાથેનો વ્યવહાર સાચવી આપે છે. આપણને બીજાએ કે.વાય.સી. અપડેટ કરવાની સૂચના આપવી છે, લોનનો હપ્તો ભરવાનો બાકી છે તે કહેવું છે, લોટરીમાં ઈનામ લાગ્યું છે કે ખાતામાં કરોડ રૂપિયા જમા આપવા છે તેનો મેઈલ કરવો છે, ડિમેટ એકાઉન્ટ ખોલી આપવું છે કે મેડિકલ કાર્ડ કાઢી આપવો છે, ફ્રેંડ રિકવેસ્ટ મોકલવી છે કે એકાઉન્ટ હેક કરવું છે … આ બધું જોઈશું તો સમજાશે કે આપણે મોબાઈલ કે લેપટોપ કદાચ બીજાની સગવડ સાચવવા જ વસાવ્યાં છે ને એ દ્વારા આપણે જ એ બધાંને સામે ચાલીને લૂંટવાની સગવડ કરી આપી છે. ભોળપણ એ હવે ગુણ નથી, પણ મૂર્ખાઈ છે. કાબો, નાટકબાજ, બીજાને મૂરખ બનાવીને કામ કઢાવી લેનાર માણસ હોંશિયાર ને સ્માર્ટ ગણાય છે. ભલોભોળો, નિર્દોષ માણસ કદાચ હવે ખપતો જ નથી. લુચ્ચાનું અંગ્રેજી હવે સ્માર્ટ થાય છે. એમાં સાધારણને કદાચ સ્થાન જ નથી. આવી જિંદગી કઈ રીતે ઇચ્છવા યોગ્ય છે તે નથી સમજાતું.

સાધારણ માણસ કામનો નથી એવું નથી. આગ લાગે ત્યારે બળી મરવા માટે એ કામનો છે, રેલ આવે તો ડૂબી મરવા માટે એ જરૂરી છે, રોગ આવે તો લોકડાઉન માટે એ ઉપયોગી છે, સાધારણ માણસ કામનો નથી, પણ તે ઘણાંને કામ આવે છે. તે રેલી માટે, ભાષણો માટે, લાઇનમાં ઊભા રહેવા માટે, ટ્રાફિક પોલીસનું ગજવું ભરવા માટે જરૂરી છે. સાધારણ માણસ બીજાનો વ્યવહાર સાચવવા ને પોતાનો વ્યવહાર ખોરવવા માટે જ છે કદાચ.

કોરોના આવ્યો તો કરફ્યુ, લોકડાઉન, સાવધાની સાધારણ માણસે રાખવાની આવી. એમાં પણ રાજકીય ભાષણો, કારભારો તો ચાલ્યાં જ ! કોઈ નેતાએ કેક કાપવો હતો તો તેને તલવાર મળી ગઈ, કોઈએ વરઘોડામાં હવામાં ગોળીબાર કરવો હતો તો તેને રિવોલ્વર મળી ગઈ, કોઈએ સભા કરવી હતી તો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર હજારો ભેગા કરવામાં વાંધો ન આવ્યો, પણ રસ્તે જતાં કોઈને માસ્ક વગર દંડવા તો એકલદોકલ જ કામ લાગ્યા.

એનો અર્થ એવો નથી કે સાધારણ માણસ માટે કોઈ નીતિનિયમ ન હોવાં જોઈએ. ના, એવું કહેવાનું નથી. કહેવાનું એ છે કે બધી બાબતોમાં ભોગ એનો લેવાય છે. લૂંટાય છે એ. ડરાવાય, ધમકાવાય છે એ. આમ તો તંત્રો જનતાને ચેતવવા ઘણું કામ કરે છે, પણ ઘણીવાર એવો વહેમ પડે છે કે તે ચેતવવાને નામે ધમકાવે છે વધારે. કોરોનાથી લોકો ડરેલા જ રહે એવું તંત્રો નથી કરી રહ્યાં? લોકો જરા જપે છે કે કોઈ વાવાઝોડું, કોઈ નવો રોગ, કોઈ છૂપો ટેક્સ આવી નથી પડતાં? આ બધું દરેક વખતે આકસ્મિક જ હોય છે? ખરેખર તો આવું ડરાવીને કામ કઢાવી લેવા થતું હોવાનું પણ લાગે છે. કોરોનાની શરૂઆતમાં અને દિવાળી પછી સંક્રમણ વધ્યું ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવ કોઈ જ કારણ વિના વધ્યા તે લોકોને ખંખેરી લેવા નથી થયું તેમ કહી શકાશે નહીં.

આ કોઈ કાવતરું છે એવું કહેવાનો આશય નથી, પણ આવું હોઈ શકે છે.

લોકો ભયભીત રહે, ચિંતામાં રહે, બે છેડા મેળવવામાં બીજો વિચાર ન કરે ને એમાં જ ગૂંચવાયેલા રહે એવું કોઈ ઈચ્છે છે એવું નથી લાગતું? આજના પ્રશ્નો પ્રજા સામે એવી રીતે આવે છે કે તે નક્કી જ ન કરી શકે કે સાચું શું છે? કોરોના આવ્યો એ ઓછું હતું તેમ બ્રિટનમાં તેનાથી વધુ ખતરનાક બીજો પ્રકાર પણ આવ્યો, એ ય ઓછું હોય તેમ સુરતમાં નવો રોગ ગુલિયન બેરી પ્રગટ થયો. આમાંથી ક્યારે પરવાર આવશે એ નથી સમજાતું ને બીજી તરફ તંત્રો ને સરકાર કોઈ કામ પાછળ ઠેલવા તૈયાર નથી. ચૂંટણીઓ થાય જ છે. પ્રજાસત્તાકપર્વની મહત્તા જગજાહેર છે ને દર વર્ષે તે દબદબા ભેર દેશભરમાં ઉજવાય જ છે, પણ આ વખતે તેની ઉજવણી સાદાઈથી થઈ ન શકે, જ્યારે ખબર હોય કે પરેડ માટે આવેલા સેનાના 150 જવાનો કોરોનાથી પીડિત છે? કોઈ પણ રાજકીય પ્રવૃત્તિઓ રોકાતી નથી ને સ્કૂલો, કોલેજો સરકાર બંધ રાખીને બેઠી છે.

એમ લાગે છે કે સંકટના સમયમાં તંત્રો તકસાધુની ભૂમિકામાં આવી જાય છે. લોકો ગૂંચવાયેલા હોય ત્યારે રાહતને નામે તંત્રો રમતાં હોય છે. કોરોનાની રસી તો આવતાં આવશે, પણ તે પહેલાં જે દાખલા ગણાઈ રહ્યા છે તે રસીના દુરુપયોગની આગોતરી વરદી નોંધાવે તો નવાઈ નહીં. આમાં જ નકલી રસીનું બજાર ખૂલી જાય તેવો ભય રહે છે. બનવા જોગ છે કે નકલી રસીનો ભોગ સાધારણ માણસ પણ બને. નાનામાં નાની રાજકીય બાબતોનો પ્રચાર એટલી બધી રીતે થાય છે કે એમાં નકલી કોઈ વાત કામે લાગી જાય તો વેઠવાનું નાના માણસને જ વધારે આવે.

સાધારણ માણસ પાર ન પામી શકે એ રીતે સમસ્યાઓ ગૂંચવાતી રહે છે અથવા તો કહો કે ગૂંચવવામાં આવે છે. હાલમાં કૃષિ કાયદાને નિમિત્તે સરકાર અને ખેડૂતો સામસામે છે. ખેડૂતોનો લાભ વિપક્ષ પણ લઈ રહ્યો છે, પણ તેથી તેને માત્ર વિપક્ષની સમસ્યા તરીકે જોઈ શકાય નહીં. તો સરકાર દાદ નથી આપતી એમ માનીને આંદોલન ઉગ્ર કરવામાં પણ નુકસાન તો છેવટે પ્રજાએ જ વેઠવું પડવાનું છે. ઘણા તો ઘણી વાતોથી અજાણ હોય એમ બને, પણ જે જાણે છે એ પણ સાચું પામી શકતા નથી. એમને એટલું જ સમજાય છે કે મોડો વહેલો બોજ પોતાની ઉપર જ આવવાનો છે.

થોડા મહિનાઓ પર કોવિડ રિલીફ ફંડ તરીકે 20 લાખ કરોડનું ફંડ સરકારે જાહેર કર્યું, પણ છાપાંઓ તાજું જ બોલે છે કે એનો એક પણ રૂપિયો સાત કરોડ વેપારીઓમાંથી કોઈને પહોંચ્યો નથી, તો પ્રશ્ન થાય કે આ ફંડ કોને માટે હતું ને તે કોને પહોંચ્યું છે? જી.એસ.ટી. એ એક સાથે ઝેર છે ને અમૃત પણ છે. સરકાર એમાંથી કમાય છે ને વેપારીઓ એમાં ધોવાય છે. આ ટેક્સે કેવળ ને કેવળ મૂંઝવણો જ વધારી છે.

આ મૂંઝવણો એ જ જિંદગી છે શું? માણસને શાંતિ ને રાહત મળે એવી કોઈ જગ્યા જ રહેવા નથી દેવાની? કહેવાનું તાત્પર્ય એ છે કે તંત્રો કે સરકાર તરફથી જે કૈં પણ આવે છે તે સરળનો આભાસ ઊભો કરે છે, પણ એને એટલા વળ હોય છે કે એને સાધારણ માણસ સમજી નથી શકતો. એ સમજ ન પડવાને લીધે તે ભય અને શંકાઓ વચ્ચે જીવે છે ને નથી જીવાતું તો આપઘાત કરે છે.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે આ દુનિયા સાધારણ માણસ માટે છે કે કેમ? કે એણે બીજાના ઉપયોગમાં આવીને બિન ઉપયોગી તરીકે જ ઓળખાવાનું છે? આ દુ:ખદ છે –

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 28 ડિસેમ્બર 2020

Loading

...102030...2,1602,1612,1622,163...2,1702,1802,190...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved