Opinion Magazine
Number of visits: 9456467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાત સદીઓ પછી પણ દિલ્હીની વાસંતી હવામાં ગુંજતી ખુસરોની વિરાસત 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 March 2025

રાજ ગોસ્વામી

તાજેતરમાં, નવી દિલ્હીમાં જહાન-એ-ખુસરો નામનો એક સુંદર કાર્યક્રમ થઇ ગયો. એ પાછો યોજાયો હતો હુમાયુના મકબરાને અડીને આવેલા 16મી સદીના મુઘલ હેરિટેઝ પાર્ક ‘સુંદર નર્સરી’માં (જે અગાઉ ‘અઝિમ બાગ’ તરીકે ઓળખાતો હતો). આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડા પ્રધાને ત્યાં એક ગહન વાત કરી હતી કે ગુલામીના લાંબા કાલખંડ છતાં આજે આપણે અતીતથી પરિચિત છીએ, તો તેમાં હજરત ખુસરોની રચનાઓની મોટી ભૂમિકા છે.

જહાન-એ-ખુસરો કાર્યક્રમમાં, ખુસરોની વિરાસતનો જશ્ન મનાવવા માટે દુનિયાભરના કલાકરોને એક સાથે લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત 2001માં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મુજફ્ફર અલીએ કરી હતી. 2025માં તેની 25મી વર્ષગાંઠ હતી. ખુસરો ભારતની એ સૂફી ગીત-સંગીત પરંપરાની મહત્ત્વની કડી છે, જે કોઈ એક ધર્મના વાડામાં બંધાઈને રહી નથી, બલકે દરેક ધર્મએ તેને સમાન રીતે અપનાવી છે. 

મજાની વાત એ છે કે આ કાર્યક્રમ એ જગ્યાએ યોજાય છે, જ્યાંથી અમીર ખુસરોએ 13મી સદીમાં કવ્વાલી સંગીતની પરંપરાની શરૂઆત કરી હતી. ખુસરોના સમયને વીતી ગયે સાત સદીઓ થઇ ગઈ હોવા છતાં, દિલ્હીની વાસંતી હવામાં તેમની વિરાસત આજે પણ ગુંજતી રહે છે. 

સુંદર નર્સરીથી નજીકમાં જ સૂફી સંત ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ છે. બરાબર તેની સામે જ અમીર ખુસરોનો મકબરો છે. ખુસરો તેમના શિષ્ય હતા અને તેમણે જીવતે જીવ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના અવસાન પછી ઔલિયાની પડોશમાં જ તેમને દફનાવામાં આવે.

એવું કહેવાય છે કે હઝરત નિઝામુદ્દીનને પોતાનું કોઈ સંતાન નહોતું. એટલે તેઓ તેમની બહેનના પુત્ર ખ્વાજા તકીઉદ્દીન નૂહને ખૂબ ચાહતા હતા. ખ્વાજા નૂહનું એક દિવસ માંદગીને કારણે મૃત્યુ થયું પછી ઔલિયા ખૂબ દુઃખી થયા હતા અને તેમણે તેમના નિવાસસ્થાન ચિલા-એ-ખાનકાહમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.

તેમની આ સ્થિતિથી વ્યથિત થઈને તેમના શિષ્ય અમીર ખુસરો વસંતના પીળા રંગની સાડી પહેરીને ઔલિયાના દરવાજે પહોંચ્યા હતા અને હાથમાં સરસવનું ફૂલ લઈને નાચતાં-નાચતાં રાગ બહારમાં ‘સકલ ફૂલ બન રહી સરસોં’ ગીત ગાયું હતું. તેમની આ હરકતથી નિઝામુદ્દીન ઔલિયાના મોઢા પર તે દિવસોમાં પહેલીવાર સ્મિત ઝળક્યું હતું.

તે સમયથી અહીં વસંત પંચમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ત્યારથી, હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ દર વર્ષે વસંત પંચમીના રોજ શણગારવામાં આવે છે. તેમના તમામ અનુયાયીઓ વસંત પંચમીની ઉજવણી કરવા માટે પીળાં કપડાં પહેરે છે. તેઓ સરસવના ફૂલો સાથે દરગાહ પર જાય છે અને કવ્વાલી ગાઈને વસંતના આગમનની ઉજવણી કરે છે. આ તહેવાર હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહમાં 800 વર્ષથી પણ વધુ સમયથી આ રીતે ઉજવવામાં આવે છે.

મધ્ય એશિયાની લાચન જાતિના તુર્ક સૈફુદ્દીનના પુત્ર અમીર ખુસરોનો જન્મ ઇસ્વી સન 1253માં ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના પટિયાલી નામના કસ્બામાં થયો હતો. તેમણે કિશોર વયે કવિતા લખવાનું શરૂ કર્યું હતું અને 20 વર્ષની વયે કવિ તરીકે પ્રસિદ્ધ થયા હતા.

તેમનો પરિવાર ઘણી પેઢીઓ સુધી શાહી દરબાર સાથે સંકળાયેલો હતો. અમીર ખુસરોએ પોતે 8 સુલતાનોનું શાસન જોયું હતું. અમીર ખુસરો પહેલા મુસ્લિમ કવિ હતા જેમણે ખુલ્લેઆમ હિન્દી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ખડી બોલીને પ્રચલિત કરવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. તેઓ તેમની ભાષા માટે હિંદવીનો ઉલ્લેખ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. તેઓ ફારસી કવિ પણ હતા. 

તેમને દિલ્હી સલ્તનત દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. તેમણે આખું જીવન શાહી આશ્રયમાં વિતાવ્યું હતું. શાહી દરબારમાં હોવા છતાં, ખુસરો હંમેશાં કવિ, કલાકાર, સંગીતકાર રહ્યા. કવિઓ તો તે વખતે બીજા પણ ઘણા હતા, પરંતુ અમીર ખુસરો જેવા લોકો જન્મે છે ખરા પણ ક્યારે ય મરતા નથી. તેમના કાલાતીત વ્યક્તિત્વ અને સર્જનાત્મકતા દ્વારા તેઓ હંમેશાં સાહિત્યના આકાશમાં ઝળકે છે. 

અમીર ખુસરોએ બે જુદી જુદી સંસ્કૃતિઓ, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ વચ્ચે પરસ્પર પ્રેમ, સંવાદિતા અને સંવાદિતાનું વાતાવરણ ઊભું કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની એક રચનામાં તેમણે પોતાને “તુતી-એ-હિંદ” (ભારતનો પોપટ, એટલે કે ભારતનો અવાજ) કહ્યા હતા.

તેમની ભાષાકીય કુશળતા અને વિદ્વતામાં તેઓ બેજોડ હતા. ખુસરો વાત કરવાના વિવિધ અંદાઝનું અનુકરણીય અને અપ્રતીમ ઉદાહરણ છે. જેમ કે તેમની એક પ્રસિદ્ધ રચનામાં તેઓ લખે છે;

છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે

બાત અગમ કહ દીની રે મોસે નૈના મિલાઈકે

આ ગીત ભારતમાં પણ લોકપ્રિય છે. દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર, નુસરત ફતેહ અલી ખાન, આબિદા પરવીન, ઉસ્તાદ વિલાયતી ખાન, ઉસ્તાદ શુજાત ખાન, ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન અને વારસી બ્રધર્સ સહિત અનેક નામી-અનામી ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે. લોકો તેના શબ્દ-સૂરને આધ્યાત્મિક માને છે.

ખુસરોએ મૂળ વ્રજભાષામાં આ કવિતા લખી હતી. સૂફીમાં બહુ કવિઓ ખુદા પ્રત્યેના તેમના પ્રેમને છોકરીઓના ઇશ્ક તરીકે વ્યક્ત કરે છે. અમીર ખુસરો લખે છે, મોહે સુહાગન કીની રે, મોસે નૈના મિલાઈકે. અર્થાત, આંખ મળી અને હું તારી વહુ બની ગઈ. અસલમાં ખુસરોનો આ કૃષ્ણ પ્રેમ છે, અને તેઓ ખુદને કૃષ્ણની પ્રેમિકા તરીકે જુવે છે; છાપ એટલે કપાળમાં લટકતું ઝૂમર. તિલક એટલે લાલ બિંદી.

છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે

બાત અગમ કહ દીની રે મોસે નૈના મિલાઈકે

મતલબ એ કે, ઈશ્વર સાથે આંખ મળી, અને વહુ તરીકે પતિના ઘરમાં જે કરવાનું હતું એ કુરબાન થઇ ગયું. તેં મારી લૌકિક ઓળખ જ ઝૂંટવી લીધી. 

બાત અગમ કહ દીની રે …

મારી સાથે આંખ મિલાવીને તે મને અગોચર દુનિયાની એ વાત કરી કે આ દુનિયાનો મારો મોહ છૂટી ગયો. 

આઠસો વર્ષ પછી આજે પણ આ કવિતા એનો જાદુ જાળવી રહી છે, એ સાબિત કરે છે કે જીવાતા જીવનમાંથી આવેલું સર્જન કાલાતીત હોય છે. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 16 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દેખતાનો અંધાપો દૂર કરવાનું અઘરું છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 March 2025

રવીન્દ્ર પારેખ

કોઈ અંધને દેખતો કરી શકાય, પણ દેખતાને દેખતો કરવાનું અઘરું છે. ખબર નથી પડતી કે શિક્ષણ વધ્યું છે કે અંધશ્રદ્ધા? સમજાતું નથી કે સ્વમાન વધ્યું છે કે અપમાન? ઘણીવાર, ઘણી જગ્યાએ તો કોઈ ભિખારી જેટલું સ્વમાન પણ બચ્યું હોવાનું જણાતું નથી. એક પ્રજા તરીક આપણે આટલા મૂરખ, આટલા લાલચુ ને આટલા ગરજવાન તો ક્યારે ય ન હતા, તો છેલ્લાં થોડાં વર્ષમાં એવું તે શું થયું કે આપણામાં, આપણાપણું કે ખુમારી શોધ્યાં જડતાં નથી ! સ્ત્રીઓની વાત કરીએ તો એ અગાઉ હતી એથી વધુ દુરુપયોગને પાત્ર ઠરી છે. છેડતી, બળાત્કાર, હત્યા, આત્મહત્યા રમત વાત હોય તેમ વર્તમાનપત્રો સતત એનાથી છલકાતાં રહે છે. એક તરફ મહિલા મતદાતાઓની સંખ્યા ને સભાનતા વધી છે, તો બીજી તરફ તેને લલચાવીને મત પડાવી લેવાની રાજકીય પક્ષોની રમત પણ વધી છે. મહિલાઓને ચૂંટણી વખતે અપાતી લાલચો મત મેળવવા પૂરતી જ હોય છે, તે મહિલાઓ પણ જાણે છે ને છતાં, જે મળ્યું તે મેળવી લેવાનો લોભ પણ અછતો રહેતો નથી. છેતરવું એ રાજકીય પક્ષોનું લક્ષ્ય છે, તો છેતરાવું એ પ્રજાનો ધર્મ છે ને એમ આખો કારભાર ચાલે છે.

ચૂંટણી વખતે રાજકીય પક્ષોએ મહિલાઓનાં ખાતાંમાં દર મહિને અમુક રકમ જમા કરવાની વાતો મોટા ઉપાડે કરેલી. એમાં હરાજી થતી હોય તેમ બોલીઓ પણ લાગેલી. પછી તો ચૂંટણી પતી કે મહિલાઓને વચનોની વાત યાદ આવવા માંડી ને પક્ષોને તેનું સ્વાભાવિક જ વિસ્મરણ થવા લાગ્યું. જો કે, દિલ્હીમાં ભા.જ.પ.ની સરકાર બનતાં, મહિલા દિન નિમિત્તે 20 લાખ મહિલાઓનાં ખાતાંમાં 2,500 જમા કરાવવાનું વચન પાળવા મુખ્ય મંત્રીએ કમર કસી છે, તો આપ પાર્ટીએ રકમ જમા કરાવવા બાબતે પીછેહઠ કરવી પડી હોય એવું પણ લાગે છે. એક તબક્કે ભા.જ.પ. રેવડી કલ્ચરની ટીકા કરતો હતો, પણ તે ય હવે રેવડી વહેંચવા તરફ વળ્યો હોવાનું લાગે છે. તેનું તાજું ઉદાહરણ દિલ્હી, મહારાષ્ટ્રની સરકારો જ પૂરું પાડે એમ છે. મોંઘવારી વધી હોય તો બધું વધે, પણ ખાતામાં રકમ જમા કરવા બાબતે સ્કિમમાં કાપકૂપ થવા લાગી છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર આવે તો ‘લાડકી બહિણ’ યોજનામાં દર મહિને 1,500 ને બદલે 2,100 આપવાની વાત હતી, તેના પર 10,000 હજાર કરોડનો કાપ બજેટમાં આવતા 2,100 આપવાનું વચન હવા થઈ ગયું છે. આમ પણ કેન્દ્ર સરકાર 81.5 કરોડ લોકોને મફત અનાજ તો આપે જ છે. એને કારણે લોકો કામ કરવા જતા નથી તે પણ હકીકત છે. મફતનું મળી રહેતું હોય તો મહેનત કોણ કરે? જે અશક્ત છે, લાચાર છે, તેની વાત નથી, પણ જે કામ કરી શકે છે, તે મફતનો લાભ લઈને હરામ હાડકાંનાં થઈ રહે એ અપેક્ષિત નથી. આ હાડકાં હરામી વિકાસમાં બાધક બને એવું ખરું કે કેમ?

પક્ષો તો મત મેળવવા વચનો આપે, પણ પ્રજાએ, ખાસ તો મફતનો લાભ લેતી મહિલાઓએ ઓશિયાળાં થવા કરતાં માનભેર જીવવાની ખુમારી કેળવવાની રહે. સક્ષમ પ્રજાને અપંગ કરવાની આ રીત કોઈ રીતે ગૌરવપ્રદ નથી, બલકે ગૌરવ હણનારી છે. એ તો ઠીક, પણ 81.5 કરોડને મફત ખવડાવવું પડે તેનો સંકોચ કરવાને બદલે ગૌરવ લેવાય તે પણ ક્ષોભજનક છે.

એથી વધુ પીડા તો પ્રજા ઉત્તરોત્તર વધુ ધર્માંધ અને અંધ શ્રદ્ધાળુ થઈ રહી છે તેની છે. આ દેશ ફરી પાછો દોરાધાગા અને નરબલિ તરફ જઈ રહ્યો છે. તેની ચિંતા હોવી ઘટે. છોકરા છોકરીઓનાં બલિના સમાચાર તો આવતા જ રહે છે, પણ ભગત ભૂવાઓ તંત્રમંત્રને નામે સ્ત્રીઓનો દુરુપયોગ કરતાં પણ થયા છે ને તેમાં ઉત્તરોત્તર વધારો થતો આવે છે તેનો સંબંધિતોએ વિચાર કરવાનો રહે.

અમરેલીની વતની અને સુરતનાં પુણાની એક રત્ન કલાકારની 42 વર્ષની પત્ની, 17 વર્ષની દીકરી તથા 15 વર્ષના દીકરા સાથે રહે છે. ઘરે તે સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરે છે. ગઈ 19 જાન્યુઆરીએ ભૂવા તરીકે વિધિ કરતો તેનો સંબંધી સુરત આવ્યો ને બે દિવસ પછી તે પરિણીતાના પતિને લઈને સંબંધીઓને મળવા ગયો, ત્યાંથી પાછા ફરતી વખતે તેણે રત્ન કલાકાર પતિ પાસેથી ફૂલ અને પૂજાનો સામાન લેવડાવ્યો ને રાત્રે સાડા બારે ભૂવાએ પતિ-પત્નીને કહ્યું કે તેમનો યોગ પાક્યો છે ને ભાગ્ય ઊઘડી ગયું છે. તે પછી તેણે વિધિનો સામાન મંગાવી મંત્રોચ્ચાર સાથે વિધિનો પ્રારંભ કરાવ્યો. વિધિમાં પતિપત્નીને અંધારામાં બેસાડી, આંખે રુદ્રાક્ષ અડાડી બંનેને નિર્વસ્ત્ર થવાનું કહ્યું. ભૂવાએ તે પછી બન્નેને ખોળામાં બેસાડી પત્ની પર વિધિના ભાગ રૂપે બળાત્કાર ગુજાર્યો. ભૂવાની ‘વિધિ’ અંગે તરત તો પરિણીતા કશું બોલી શકી નહીં, પણ પછી તેણે પતિને દુષ્કર્મની વાત કરી. પતિએ ભૂવાને આ અંગે પૂછતાં તેણે પહેલાં તો વાતને નકારી, પણ પછી તેણે પોતાની ભૂલ કબૂલી લીધી. પરિણીતાએ પછી કાપોદ્રા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસ હરકતમાં આવી. આ સંબંધી ભૂવાનો બનાવ જાન્યુઆરીનો, પણ તેના સમાચાર 11 માર્ચે આવ્યા.

એ જ 11 માર્ચ ને મંગળવારે બીજા એક ભૂવાના સમાચાર છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામથી પણ આવ્યા. પાણેજનો એક ભૂવો તેની પડોશમાં રમતી એક પાંચ વર્ષની બાળકીને તેની દાદીની નજર સામેથી બળજબરીએ ઉપાડી લે છે. છોકરી રડે છે, એટલે એક હાથથી તેનું મોઢું દબાવી, બીજા હાથમાં પકડેલી કુહાડીથી બધાંને ડરાવીને, છોકરીને પોતાનાં ઘરમાં લઈ જાય છે. ગામ લોકો તેનો સામનો એટલે કરી શકતા નથી, કારણ ભૂવાના હાથમાં કુહાડી છે. છોકરી પોતાને બચાવવા કાકલૂદી કરે છે, હાથ જોડે છે, પણ ભૂવાને દયા નથી આવતી અને તેને સુવડાવીને કુહાડીના ઘાથી છોકરીનું માથું અલગ કરી દે છે. છોકરીની લાશને ઘરનાં માતાજીનાં મંદિર સુધી લઈ જાય છે ને લોહી છાંટીને મંદિરનાં પગથિયાં પવિત્ર કરે છે. આખી ઘટના પરિવારજનોની સામે જ થાય છે ને કોઈ કૈં કરી શકતું નથી. દાદીની બૂમાબૂમથી ગામ ભેગું થાય છે, પણ હસતી રમતી છોકરી લાશ થઈને જ રહે છે. પોલીસને જાણ થાય છે ને તે આવે છે. ભૂવાની ધરપકડ કરે છે. પોલીસ નરબલિની ઘટના હોવાનું માનીને તપાસ શરૂ કરે છે.

ભૂવાએ આવું કેમ કર્યું, આ ઘટનામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે તપાસનો વિષય છે. આમ તો આ આદિવાસી વિસ્તાર છે ને હોળી પહેલાં બલિ ચડાવવાની પ્રથા છે એવી માન્યતા ઘટનાને મોળી કરી શકે, પણ નરબલિ ચડાવવાની પ્રથા ન હોઈને આ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

ઉપર જોઈ તે બંને ઘટનાઓ ગુજરાતની કૈં પહેલી અને છેલ્લી ઘટના નથી. એમ કહેવાય છે કે પાણેજની ઘટના આદિવાસી વિસ્તારની છે, એટલે ત્યાં તો આવું બને, પણ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મની ઘટના તો પછાત વિસ્તારની નથીને ! ત્યાં પણ ભૂવો સફળ થયો. એનો અર્થ એ થયો કે અંધશ્રદ્ધા, ભગતભૂવાની બાબતમાં કાપોદ્રા કે બોડેલીમાં ઝાઝો ફરક નથી. વહેમ, માનતા, દોરાધાગા, મંત્રતંત્ર વગેરેમાં માનનારનો તોટો નથી. ટેકનોલોજી, વિજ્ઞાન, પ્રગતિ વગેરે અમુક એરિયામાં પ્રકાશે છે ને અંધશ્રદ્ધાનો પણ એક અલગ જ અંધારો, ગોબરો વિસ્તાર છે. આ ગામડાંમાં જ છે એવું નથી, શહેરો પણ એનાથી અલિપ્ત નથી જ ! ધર્મને નામે નરબલિ ચડાવવાનું 2025માં પણ નાબૂદ ન થાય એ દુ:ખદ છે.

ઊપલી બંને ઘટનાઓ સ્ત્રીઓ તરફી છે. એકમાં સ્ત્રી દુષ્કર્મનો ભોગ બને છે, તો બીજીમાં માતાજીને બલિ ચડાવવા એક અબૂધ બાળકીને પૂરી નિર્મમતાથી વધેરી દેવાય છે. ભૂવો માતાજીનો પરમ ભક્ત જ હશે, પણ એ ભક્તિમાં તે પોતાનો બલિ માતાજીને ચડાવતો નથી, એક નિર્દોષ બાળકીનો ભોગ લે છે. કોઈ ધર્મ હત્યાને પ્રોત્સાહિત કરતો નથી, પણ જગતનાં મહાયુદ્ધોમાં ક્યાંકને ક્યાંક તો ધર્મ પડેલો મળી જ આવે છે. કોઈ માતા નરબલિ ઇચ્છતી નથી, મા તો સર્જે, તે કોઇની હત્યામાં સામેલ કઈ રીતે હોય? પણ, માતાને નામે પાણેજમાં એક દીકરી વધેરી દેવાઈ છે. એ કમનસીબી છે કે અભણ, અબૂધ ને ધર્મભીરુ પ્રજાનો ભગતભૂવાઓ લાભ-ગેરલાભ ને એવું તો કૈં કૈં લેતા રહે છે. આવી તો બહુ ઓછી ઘટનાઓ છાપે ચડતી હશે, પણ બીજી ઘણી એવી હશે જે લોહી ઓઢીને કોઈ અંધારામાં કાયમને માટે પોઢી ગઈ હશે. આટઆટલું વીતે છે, પણ આપણામાં ફેર પડતો નથી, એનું ક્યાં જઈને રડવું એ સમજાતું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 માર્ચ 2025

Loading

કસ્તૂરબા 

કાકાસાહેબ કાલેલકર|Gandhiana|17 March 2025

પ્રથમ દર્શન 

બાને પહેલવહેલાં મેં ઈ.સ. 1915માં શાંતિનિકેતનમાં જોયાં હતાં. બાપુ તે વખતે જ દક્ષિણ આફ્રિકાથી હિંદ આવ્યા હતા. શાંતિનિકેતનમાં મને કેટલીક મહાન વ્યક્તિઓ – રવીન્દ્રનાથ ટાગોર, દીનબંધુ એન્ડ્યૂઝ, મિ. પિયર્સન, બા, બાપુ, મગનલાલભાઈ(મગનલાલ ગાંધી)ને મળવાનું સદ્ભાગ્ય મળ્યું; તેથી મારે માટે શાંતિનિકેતન એક અત્યંત પુણ્ય ભૂમિ બની ગયું છે.  જ્યારે બા અને બાપુ ત્યાં આવ્યાં ત્યારે હું ત્યાં જ રહેતો હતો. શાંતિનિકેતને મને હૃદયથી બંગાળી બનાવી દીધો હતો. 

બા-બાપુની સ્વાગત વ્યવસ્થામાં મને પૂરતી તક આપવામા આવી હતી. બાનો સાક્ષાત્કાર થયો તે પહેલાં મેં તેમને વિષે ઘણું સાંભળ્યું હતું. મગનલાલભાઈ પાસે તેમનું વર્ણન સાંભળીને પહેલેથી જ તેમના પ્રત્યે મને પૂજ્યભાવ હતો. ભારતવાસીઓ સ્વભાવથી જ માતૃપૂજક છે. હું તો ભગવાનને માતાના રૂપમાં જ ઓળખવા મથું છું . મારું માનસિક બંધારણ જ કંઈક એવી વૃત્તિથી થયું છે; અને એમાં મને કશું અનુચિત નથી લાગતું. માતા પાસેથી જ આપણને બધાં સંસ્કારનો પાયો મળ્યો છે. તેની પાસેથી મેળવેલા જન્મ, બાળપણના સંસ્કાર તથા ચારિત્ર્યની છાપ છેવટ સુધી આપણા જીવન પર પોતાનો પ્રભાવ રાખે છે. માતા પાસેથી જે મળે છે તે અંત સુધી રહે છે.

બા–બાપુ

શાંતિનિકેતનમાં બા અને બાપુનાં મને જે દર્શન થયાં તેની મારા હૃદય પર ખૂબ અસર થઈ. બા અને બાપુ પતિ – પત્ની હોવા છતાં પણ ભાઈ-બહેનની જેમ રહેતા હતાં. કોઈ કોઈ વાર તો બાપુ તદ્દન બાળક બનીને માની જેમ જોતા અને વ્યવહાર કરતા. પાછળથી ગાંધીજીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે વિકાર દૂર થાય છે ત્યારે સ્ત્રી-પુરુષનો સંબંધ અદ્વિતીય બની જાય છે. તેમાં પુત્રી, બહેન, મા, સખી, પત્ની, સૌનો એક પવિત્ર સંયોગ થાય છે. બાપુ પોતાની પત્નીને ‘બા’ કહીને બોલાવતા અને કસ્તૂરબા ગાંધીજીને ‘બાપુ’ કહીને બોલાવતાં. આ પવિત્ર ભાવના જોઈને હું કૃતાર્થ થઈ ગયો. આ મહાન સાધનાને સફળ કરવામાં બાનો પૂરેપૂરો ફાળો હતો. 

શાંતિનિકેતનમાં પહેલી રાતની પ્રાર્થના પછી બા-બાપુ ખુલ્લા આકાશ નીચે સૂઈ ગયાં અને અમે તેમનાં બાળકોની જેમ તેમની ચારે બાજુ સૂતા. તે પવિત્ર રાત્રીએ હું એકી વખતે બન્નેનો થઈ ગયો.

•••

સ્વાભાવિકતા

હું માતૃપૂજારી છું. અંધભક્ત થવું મને પસંદ નથી. પરંતુ ભાવનાશૂન્ય તર્કસિદ્ધ થવા કરતાં હું માતૃભક્તિમાં અંધ બનવાનું વધારે પસંદ કરીશ. જે શિક્ષણ અને અનુભવો મેં મેળવ્યાં તેને કારણે હું અંધભક્ત ન બની શક્યો. મારામાં હંમેશાં ચિકિત્સકની દૃષ્ટિ રહી છે. જીવનભર શિક્ષકનું કામ કર્યા પછી આજે હું કહું છું કે ચારિત્ર્યનું શિક્ષણ જ મુખ્ય આધાર છે. નિશાળના શિક્ષણનું જીવનમાં બહુ ઓછું મહત્ત્વ છે. 

મને ચારિત્ર્યની જે સ્વાભાવિકતા અને સમૃદ્ધિ બાના જીવનમાં દેખાઈ તે અદ્ભુત હતી. આવી સ્વાભાવિકતા તો બાપુમાં પણ નહોતી. બાપુની સાથે બાળકો વીંટળાયેલાં રહેતા. જ્યારે તેઓ એમને રમાડતા ત્યારે તેમને સભાનતા રહેતી કે હું ક્યાંક મારાં સંબંધીઓના મોહમાં તો ફસાઈ નથી રહ્યો ને! 

એક વાર બાપુ ભોજન કરી રહ્યા હતા. કુમારી મનુ, જે તે વખતે તદ્દન નાની હતી, રમતી રમતી ત્યાં આવી પહોંચી અને બાપુએ પોતાની થાળીમાંથી એક દ્રાક્ષ તેને ખવડાવી. પણ પછીથી તેઓ વિચારવા લાગ્યા કે મેં આ યોગ્ય કર્યું ? મારા પુત્રની દીકરી હોવાને કારણે તો મેં પક્ષપાત નથી કર્યો ને? 

ભાવનગર ખાતે હરિજન બાળકોની વચ્ચે કસ્તૂરબા

પણ બામાં આવી વસ્તુ નહોતી. તેઓ પોતાના વહેવારમાં તદ્દન સ્વાભાવિક સાદાઈથી વર્તતાં હતાં. તેઓ સમજતાં હતાં કે સૌનાં બાળકો પર પ્રેમ કરવો સ્વાભાવિક છે; અને પોતાનાં બાળકો

સામે પોતાની જાતને ભૂલી જવી એ પણ સ્વાભાવિક છે. પણ આ ભેદને માનતા છતાં બીજાંનાં બાળકો પ્રત્યે તેમને પ્રેમ અતૂટ અને અખંડ હતો. જે ભેદ હતો, તે સ્વાભાવિક હતો.

બાપુ તો નિયમોનું પાલન કરાવવામાં કઠોર હતા. તેઓ આશ્રમના નિયમોનુ પાલન નાનાં બાળકો પાસે પણ કરાવતા અને જ્યારે બાળકો તે ન પાળી શકતાં ત્યારે તેઓ તેમને સમજાવતા. બાને આ બધું ગમતું નહિ. તેમનો વાત્સલ્યભાવ એનો વિરોધ કરતો હતો. 

એક દિવસ બા બાળકો માટે કંઈક સારું ખાવાનું બનાવી રહ્યાં હતાં. બાપુએ આ મોહનો વિરોધ કર્યો ત્યારે બા લડ્યાં. કહેવા લાગ્યાં; “બાળકો પર તમારો કાંઈ એકલો અધિકાર નથી.” બાપુને તે દિવસોની યાદ દેવડાવી જ્યારે તેઓ પોતાના સ્વાદની વસ્તુઓ બનાવવા માટે બાને કહ્યા કરતા. અને બોલ્યા, “આ બાળકોનું દિલ પણ એવું જ છે જેવું તમારું હતું.” આવે પ્રસંગે બાપુની હાર જ થતી. બાનું માતૃહૃદય સભર રહેતું. તેની સામે બાપુને પરાસ્ત થવું પડતું. 

એક બાજુથી તો આ હાર હતી, પણ બીજી બાજુ એ પૂજા પણ હતી. બાપુ જાણતા હતા કે માતૃત્વના આ સ્રોતથી કોઈનું પણ નુકસાન થવાનું નથી. બાનો આ વાત્સલ્યભાવ બધાં પર હતો. નહેરુ, એન્ડ્રુઝ, શ્રીનિવાસ શાસ્ત્રી વગેરે પ્રત્યે પણ તેમનો એ જ ભાવ હતો. જ્યારે આ લોકો આશ્રમમાં આવતા અને કોઈ વાતમાં બાપુ તેમની કડક ટીકા કરતા; ત્યારે બા આશ્વાસનમાં કહેતાં, “My husband not good!” આવા ભાંગ્યાતૂટ્યાં અંગ્રેજી શબ્દો દ્વારા પણ તેઓ પોતાની ભાવના ખૂબ પ્રગટ કરતા. એન્ડ્રુઝ તો બા જોડે કલાકો સુધી વાતો કર્યા કરતા. વાતચીતમાં એન્ડ્રુઝ સરળમાં સરળ શબ્દોનો પ્રયોગ કરતા, અને બા પોતાનો પૂરો અંગ્રેજી શબ્દભંડાર ઉપયોગમાં લેતાં. દીનબંધુ અને વિશ્વમાતાના વાર્તાલાપનું આ દૃશ્ય ખૂબ જ પવિત્રતાથી ભરેલું છે.

•••

અભણ છતાં જ્ઞાની

બા સારી રીતે ભણ્યાં નહોતાં . મોટા મોટા અક્ષરોવાળું રામાયણ વાંચતાં. મારી પાસે કેટલી ય વાર ગીતા શરૂ કરાવરાવી હશે. તેમને અર્થ સાથે કામ નહોતું. તેઓ તો ભાવનાનાં ઉપાસક હતાં. પોતાની આંતરિક ભક્તિને કારણે ગીતા અને રામાયણથી તેમને પરમ આનંદ પ્રાપ્ત થતો. બા વર્તમાનપત્રો પણ વાંચતાં. તેમની જિજ્ઞાસા બાપુની ક્રિયાશીલતા સમજવા બાબતે હતી. વર્તમાનપત્રો દ્વારા તેઓ જાણી લેતાં કે બાપુનાં કાર્યોની ક્યાં કેવી અસર થઈ રહી છે. બા માટે એ જાણવું આવશ્યક હતું, કારણ કે બાપુ ક્યારે શું કરી બેસે તેનો થોડો ખ્યાલ તો તો તેમને આવી જાય.

બા – બાપુ

જ્યારે 1922-23માં બાપુ જેલમાં ગયા ત્યારે બા બહાર હતાં. રાજકીય પરિષદોમાં કોઈ કોઈ વાર તેમને પ્રમુખ પદ માટે લઈ જવામાં આવતાં ત્યારે તેઓ તેનો સ્વીકાર કરી લેતાં. તેમનામાં આત્મવિશ્વાસ ઘણો હતો. શરૂઆતનું ભાષણ આપવું તે તેમનું કામ હતું. તેઓ ક્યારેક મને કહેતાં, “તમે ભાષણ લખી આપો.” પણ હું એવું કરતો નહીં. હું કહેતો, “બા, વિચાર તમારા, ભાષા મારી.” તેઓ પછી મનમાં વિચારતાં અને બોલતાં. કઈ વાત કહેવી જરૂરી છે, શેના પર વધારે ભાર દેવા જેવો છે તે બધું વિચારતાં અને ધીરે ધીરે ભાષણ તૈયાર કરાવતાં. 

સત્યાગ્રહના સાચા સિદ્ધાંતોની બાને સ્વાભાવિક રીતે જ ખબર હતી. તે સિદ્ધાંતો જ તેમના ભાષણનો આત્મા બનતા. આ પરિષદો ત્રણ-ચાર દિવસ સુધી ચાલતી. છેવટે ફરી પ્રમુખનું સમાલોચનાત્મક ભાષણ થતું. એમાં હું તેમને કશી મદદ કરી શકતો નહોતો. આ ભાષણમાં ચાર દિવસની કાર્યવાહીને બધો નિચોડ આવી જવો જોઈએ. એમાં બાની સાચી પરીક્ષા થતી. પણ તેમાં તેઓ સફળ થતાં. બધી વાતોને યાદ કરી તેમાંથી તેઓ સાર કાઢી લેતા અને સૌ સમક્ષ તેને પોતાની ભોળી, સરળ ભાષામા મૂકી દેતાં. આવો અનુભવ મને ચાર વાર થયો : આણંદમાં, પુષ્કરમાં, અને બે વાર દહેરાદૂનમાં.

•••

બાના ગુણ

બાના મૃત્યુ પ્રસંગે ચક્રવર્તી રાજગોપાલાચારીએ કહ્યું, “Ba was born to be a queen” (બાનો જન્મ રાણી બનવા માટે થયો હતો.) વસ્તુતઃ તેમનામાં રાણીના જેવું નિર્ભયપણું, આત્મસમ્માનની ભાવના અને બીજાની દેખરેખ તથા આદર સત્કાર કરવાના ગુણ હતા.

તેમનામાં મુખ્ય ગુણ એ હતો કે તેઓ કદી આળસ કરતાં નહિ. મેં ત્રીસ વરસ સુધી તેમને ધ્યાનથી જોયાં, પણ તેમનામાં આળસનુ નામ ન જોયું. કામ વિના બેસી રહેવાનું તેમનાથી થઈ જ શકતુ નહોતું. રસોડામા તેમનું એકછત્રી રાજ્ય રહેતું. જેમણે તેમના હાથ તળે રસોઈનું કામ કર્યું છે તેઓ જાણે છે કે એ કામ કેટલું ભય ભરેલું હતું, સહેજ પણ ભૂલ થતાં સાંભળવું પડતું. અને તેમનું કામ બરાબર તેમની જ રીતે કરવું પડતું હતું. જેમ માલિક નોકર પાસેથી કામ લે છે તેવી જ રીતે તેઓ પોતાની પ્રેમથી પણ પોતાની ઈચ્છા મુજબ જ કામ કરાવતાં. અમારામાંથી કેટલાકને એનો સ્વાદ મળ્યો છે.

કેટલીક વાતમાં બા અને બાપુમાં વિરોધ પડતો. એક વાર બા બોલ્યાં, “કાકાસાહેબ, તમે તો બાપુના પક્ષના છો.” મેં કહ્યું, “બા! બાપુ સામે મારું કશું ચાલતું નથી, પણ હૃદયથી તો હું તમારા પક્ષનો છું.” 

બાપુ કોઈ પણ વ્યક્તિ પાસે તેમની શક્તિ બહારનું કામ લઈ લેતા હતા. તેઓ વ્યક્તિની અશક્તિનું મા૫ તેના જ હાથમાં સોંપી દેતા અને પછી વીણાના તાર એટલા તંગ કરતા જતા કે ચઢાવતાં ચઢાવતાં તે તાર તૂટી જાય. તેઓ કહેતા : “પોતાની મર્યાદા જાતે જ ઓળખી લો. જ્યાં સુધી તમે મને ના નથી પાડતા ત્યાં સુધી હું તો તમને આગળ વધારવાનો જ છું.” બાની રીત જુદી હતી. તેઓ વ્યક્તિની શક્તિ – અશક્તિ ઓળખીને તે પ્રમાણે તેમને કામ દેતાં. આમાં મારી સમજ પ્રમાણે તેમને કામ દેતાં. આમાં મારી સમજ પ્રમાણે તેઓ બાપુ કરતાં વધારે સાચાં હતાં.

કેટલી ય વાતો બાપુ બા પાસેથી શીખ્યા. બાના મૃત્યુ પછી ઐતિહાસિક તેમ જ રાજનૈતિક દ્દૃષ્ટિએ જે મહત્ત્વપૂર્ણ પત્રો બાપુએ વાઈસરૉયને લખ્યા હતા તેમાં તેમણે એ કબૂલ કર્યું છે કે મારું સત્યાગ્રહનું શિક્ષણ મને મારી પત્ની પાસેથી મળ્યું છે. આવાં મહાન બાને અલ્પશિક્ષિત હોવાને કારણે કમ માનવાં તે આપણા હૃદયનું ઓછાપણું છે.

કસ્તૂરબા કેન્દ્રોમાં હું વારંવાર કહું છું કે લગભગ અભણ હોવા છતાં પણ બા કેટલાં ચારિત્ર્યવાન હતાં, એમાંથી પાઠ લો. હિંસાના યુગમાં પુરુષનું નેતૃત્વ અપરિહાર્ય છે, પરંતુ અહિંસાના ક્ષેત્રમાં સ્ત્રી જ નેતૃત્વ કરશે. મેં એવી સ્ત્રીઓ જોઈ છે જેમણે પતિના ક્રોધાગ્નિને પોતાની શાન્તિ દ્વારા શાંત પાડ્યો હોય. જગતનું ખરું નેતૃત્વ એક સુશિક્ષિત સ્ત્રી જ કરી શકશે. એકાંગિતા દૂર કરીને એવું સાચું શિક્ષણ મળવું જોઈએ, જેમાં ઉજ્જ્વળ ચારિત્ર્યનું નિર્માણ થાય.

કસ્તૂરબાએ આપણી સંસ્કૃતિનો સાચો વારસો તેના મૂર્ત રૂપમાં પ્રગટ કર્યો, અને છેવટે તે વારસો આપણને સોંપીને ચાલ્યાં ગયાં. પાંજરાનાં પક્ષીની જેમ આગાખાન મહેલમાં તેઓ ઝૂરતાં રહ્યાં. માત્ર એક જ સંતોષ હતો કે બાપુ સાથે છે. પણ સ્વતંત્ર પક્ષી ચિંતામાં જ મરી ગયું. સારું થયું બા વહેલાં ગયાં, નહિ તો બાપુના પ્રેમને કારણે તેઓ તેમનું બલિદાન ન સહી શકત. બાપુ કહેતા કે, “બામાં અદ્ભુત શક્તિ હતી.” આપણે બાનું પવિત્ર સ્મરણ કરીએ અને તેઓ આપણાં હૃદયમાં વિરાજમાન થઈ આપણું જીવન કૃતાર્થ કરે.

14 – 17 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 254 – 255 – 256 – 257  

Loading

...102030...215216217218...230240250...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved