Opinion Magazine
Number of visits: 9663932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુદત્ત શતાબ્દીએ –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 July 2025

રવીન્દ્ર પારેખ

9 જુલાઈ, 1925ને રોજ બેંગ્લોરમાં જન્મેલા વસંતકુમાર શિવશંકર પદુકોણેને, પછી તો ગુરુદત્ત પોતે પણ નહીં ઓળખતા હોય ! એ ખરું કે વસંતકુમારને ગુરુદત્તની ઓળખ મળવાનું કલકત્તામાં શરૂ થયેલું. શિવશંકર અને વાસંતીનું એ પહેલું સંતાન. તેની બીજી વર્ષગાંઠે એવી રીતે ઘાયલ થયા કે બચવાની તકો ઓછી હતી. એ વખતે એક સાધુએ કહ્યું કે છોકરાનું નામ બદલો તો એ ઠીક થઇ જશે. વસંત, ગુરુવારે જન્મ્યા હતા એટલે તેમનું નામ ગુરુદત્ત રાખવામાં આવ્યું. પિતાની નોકરી કલકત્તા લાગવાને કારણે ૫ વર્ષનાં ગુરુદત્ત પણ કલકત્તા આવ્યા. કલકત્તામાં ભવાનીપુરમાં રહેતા હતા, ત્યાં તેમને રામાયણ, મહાભારત અને કઠપૂતળીના ખેલ જોવાનું બન્યું. કદાચ એ જ કારણે તેમની રુચિ ગાયન-નર્તનમાં રહી હશે. ૧૯૩૫માં ઉદયશંકર કલકત્તા આવ્યા ત્યારે ૧૦ વર્ષના ગુરુદત્તને તેમની કલામાં શું સમજ પડે એમ માનીને માતા સાથે ન લઇ ગયાં, તો ગુરુદત્તે ત્રણ દિવસ ખાવાનું છોડીને અણગમો પ્રગટ કરેલો. ગુરુદત્તનું શિક્ષણ કલકત્તામાં થયું. બંગાળી સંસ્કૃતિનો એવો પ્રભાવ ગુરુદત્ત પર પડ્યો કે તેની અસર છેવટ સુધી તેમના પર રહી. દત્ત નામ જોડાયેલું હોવાને કારણે ઘણા તેમને બંગાળી જ માનતા હતા. તેઓ સારા ડાન્સર હતા ને અસલ બંગાળીની જેમ જ બંગાળી બોલતા હતા.

બાળપણમાં જેમનો પ્રભાવ ગુરુદત્ત પર પડ્યો તેમાંના એક બાલકિશન બેનેગલ, સંબંધમાં મામા થતા. આ બાલકિશન, શ્યામ બેનેગલના કાકા થાય. મામા બેનેગલનું સાપનું  ચિત્ર જોઇને ગુરુદત્તે ‘સપેરા ડાન્સ’ કર્યો તો તેની નોંધ લેવાઈ. ગુરુદત્તને અંગ્રેજી અને બંગાળી વાર્તાઓ વાંચવાનો શોખ હતો. મજાની વાત એ છે કે માતા અને પુત્રે મેટ્રિકની પરીક્ષા એક જ વર્ષમાં સાથે પાસ કરી હતી. આમ છતાં કોલેજ જવાનું સપનું તો અધૂરું જ રહ્યું. આર્થિક સ્થિતિ એવી હતી કે ગુરુદત્તને નોકરી કરવા સિવાય છૂટકો ન હતો. ૧૬ વર્ષની ઉંમરે ટેલિફોન ઓપરેટરની નોકરી કરી. ૧૯૪૧માં ડાન્સ, ડ્રામા ને મ્યુઝિક શીખવા તેઓ અલમૌડા પહોંચ્યા. અહીં તેમને ૫ વર્ષ માટે વાર્ષિક ૭૫ રૂપિયાની સ્કોલરશિપ પણ મળી, પણ બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાં અલમૌડા સેન્ટર બંધ કરવામાં આવ્યું, એટલે ટ્રેનિંગ છોડીને ગુરુદત્તે મુંબઈ આવવું પડ્યું. કારણ, બેંક ક્લાર્કના દીકરાનો ભાગ્યોદય અહીં હતો. વસંતકુમાર તો ઘણા હશે, પણ ગુરુદત્ત એક જ હશે એ અહીં સિદ્ધ થવાનું હતું.

ગુરુ દત્ત

ગુરુદત્તને પ્રભાત સ્ટુડિયોમાં આસિસ્ટન્ટ ડાન્સ ડાયરેક્ટરનું કામ મળ્યું, તે સાથે બે દિલોજાન મિત્રો પણ  મળ્યા. રહમાન અને દેવઆનંદ. એક વખત ધોબીની ગરબડને કારણે ગુરુદત્ત બીજાનું શર્ટ પહેરીને સ્ટુડિયો પહોંચ્યા. ૧૯૪૬માં પી.એલ. સંતોષી ‘હમ એક હૈ’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેના હીરો દેવઆનંદ હતા. ગુરુદત્ત એ ફિલ્મના ડાન્સ ડાયરેક્ટર હતા. દેવઆનંદે જોયું કે ગુરુદત્તે તેમનું જ શર્ટ પહેર્યું છે. તેમણે યાદ અપાવ્યું કે તેઓ એમનું શર્ટ પહેરીને આવ્યા છે. ગુરુદત્તે ધોબીની ગરબડને કારણે આમ બન્યું હોવાનો ખુલાસો કર્યો. દેવઆનંદે એ શર્ટ ભેટ આપી દીધું. બંને પછી એ વાતે બંધાયા કે જે કોઈ મોટી વ્યક્તિ બને તેણે બીજાને ફિલ્મમાં તક આપવી. પછી તો દેવઆનંદે ‘નવકેતન’ નામની ફિલ્મ કંપની ખોલી અને ‘બાઝી’(1951)નું દિગ્દર્શન ગુરુદત્તને સોંપ્યું. એ જ રીતે ગુરુદત્તે ‘સી.આઈ.ડી.’ બનાવી તો તેમાં હીરો તરીકે દેવઆનંદને લીધા.

એ પછી તો ‘જાલ’ (1952), ‘આર-પાર’ (1954), ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ (1955), ‘પ્યાસા’ (1957), ’12 O’ કલોક’ (1958), ‘કાગઝ કે ફૂલ’ (1959), ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ (1960) જેવી ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી, લખી, તેનું દિગ્દર્શન કર્યું ને અભિનય પણ કર્યો. તેમાં ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મો તો ક્લાસિકથી ય વધુ ક્લાસિક ગણાય છે. જો કે, ‘બાઝી’, ‘સી.આઇ.ડી.’, ‘જાલ’ જેવી ફિલ્મો તો અપરાધને વિષય કરતી સફળ ફિલ્મો હતી, પણ તે ટ્રેન્ડ ચાલુ ન રાખતાં ‘આર-પાર’ કે ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ જેવી હળવી ફિલ્મો બનાવી, પણ તેઓ આવીને ઠરે છે, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ જેવી સંવેદનાત્મક, કાવ્યાત્મક અભિવ્યક્તિમાં. આવું થવામાં અંગત સંબંધો અને લગ્નજીવનની નિષ્ફળતાએ ભાગ ભજવ્યો હોય એમ બને.

ગાયિકા ગીતા રાય સાથે ગુરુદત્તનો પરિચય વધ્યો ને ‘રાય’, ‘દત્ત’ બની. ત્રણ સંતાનો થયાં. ગીતા દત્તે કેટલાક યાદગાર ગીતો ગુરુદત્ત માટે ગાયાં છે. કંઇ નહીં તો ‘આજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે ….’, કે ‘વક્ત ને કિયા ક્યા હંસી સિતમ, તુમ રહે ન તુમ, હમ રહે ન હમ ….’ માટે તે હંમેશ યાદ રહેશે. એ પણ કેવી વક્રતા છે કે ‘આજ સજન….’નું પ્લેબેક ગીતા દત્તનું હતું ને ફિલ્મમાં તેના ભાવ વહીદાએ પ્રગટ કર્યા હતા. ગુરુદત્તના વહીદા રહેમાન સાથે વધતા સંબંધોની વાતે ગીતા બાળકો સાથે અલગ રહેતી થઈ. આશા ભોંસલે સાથેની છેલ્લી વાતોમાં રાત્રે બાર વાગે ગુરુદત્તનો સવાલ હતો, ‘તારી પાસે ગીતા તો નથી આવીને?’ આશાએ કહ્યું, ‘એ તો ચાલી ગઈ. હમણાં અહીં નથી.’

એ કેવી વિચિત્રતા હતી કે છેલ્લે ન તો ગીતા એમની સાથે હતી કે ન તો વહીદા. એ પછીની 10 ઓક્ટોબર, 1964ની સવારે ગુરુદત્તનું અકાળ મૃત્યુ થયું. એમણે શરાબમાં વધારે પડતી ઊંઘની ગોળીઓ નાખીને મોતને નોતર્યું હતું એમ કહેવાય છે, પણ આજ સુધી ગુરુદત્તનું મ્રત્યુ રહસ્ય જ રહ્યું છે. કારણ ગમે તે હોય, પણ એક શ્રેષ્ઠ ફિલ્મકારે ખૂબ નાની વયે દુનિયા છોડી દીધી. 39 વર્ષની ઉંમર કંઇ મરવાની ઉંમર ન હતી. કૈફી આઝમીએ ગુરુદત્ત માટે લખેલી નઝમમાં યોગ્ય રીતે જ કહ્યું છે, ‘તુમ જૈસે ગયે વૈસે તો જાતા નહીં કોઈ …’ ગુરુદત્ત હોત ને તેમની પાસેથી જે ફિલ્મો મળી હોત, તેનાં પર મૃત્યુએ પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મ માટે તો રાજકપૂરે સ્પષ્ટ કહ્યું હતું કે આ ફિલ્મ તેના સમય કરતાં ઘણી વહેલી બની હતી. કચકડાની આ કવિતાએ ગુરુદત્તને કચડવામાં કંઇ બાકી ન રાખ્યું. એ જ હાલત રાજકપૂરની ‘મેરા નામ જોકર’ વખતે થઇ હતી. બંને ફિલ્મો સાવ નિષ્ફળ રહી. એનો આઘાત એવો લાગ્યો કે ગુરુદત્તે દિગ્દર્શન હંમેશને માટે છોડી દીધું. એમ મનાય છે કે ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતાએ ગુરુદત્તનો જીવ લીધો. એ એક જ કારણ હોય એવું એટલે લાગતું નથી કે તે પછી એમણે દિગ્દર્શન ન કર્યું, પણ ‘ચૌદહવી કા ચાંદ’ (1960) જેવી મુસ્લિમ સમાજની કથા કહેતી ઉત્તમ ફિલ્મ આપી ને તેમાં અભિનય પણ કર્યો. રાજકપૂર પણ નિરાશા ખંખેરી ‘બોબી’ જેવી અત્યંત સફળ ફિલ્મ આપે છે ને તેનું દિગ્દર્શન પણ કરે છે. ગુરુદત્ત અને રાજકપૂરમાં સામ્ય એ છે કે તેમની ‘કાગઝ કે ફૂલ’ અને ‘મેરા નામ જોકર’ની કદર તે વખતે ન થઇ, પણ પછી તે ઘણી જોવાઈ અને ચર્ચાઈ પણ ! ‘કાગઝ કે ફૂલ’ તો પછી દુનિયાની 11 યુનિવર્સિટીઓમાં શીખવવામાં પણ આવી. ગુરુદત્ત અને રાજકપૂરની સંગીત અંગેની સૂઝ-સમજ પણ દાદ માંગી લે એવી હતી. આશા ભોંસલેનું કહેવું છે કે રેકોર્ડિંગ વખતે ગુરુદત્ત પોતે હાજર રહેતા ને એવી રીતે સમજાવતા કે ગાયકને ખબર પડી જતી કે ગીત કેવી રીતે ગાવાનું છે. ‘ભંવરા બડા નાદાન હાય, બગીયન કા મહેમાન હાય …’ ગીતના રેકોર્ડિંગ વખતે હાવભાવથી જ ગુરુદત્તે ગીત એમ સમજાવ્યું કે તે સફળ રહ્યું.

ફિલ્મોમાં લાઈટિંગનું પણ આગવું મૂલ્ય છે, તે ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’માં ગુરુદત્તે પુરવાર કર્યું. ‘પ્યાસા’માં ‘યે દુનિયા અગર મિલ ભી જાયેં તો ક્યા હૈ ….’ ગીત વખતે ગુરુદત્ત થિયેટરનું મુખ્ય પ્રવેશદ્વાર રોકીને ઊભા છે. થિયેટરમાં પ્રેક્ષકો અંધારામાં બેઠા છે અને પાછળથી લાઈટિંગ એ રીતે સેટ છે કે પ્રવેશદ્વાર પર ગુરુદત્તની ઓળખ નહીં, પણ આકૃતિ ઉપસે. ‘કાગઝ કે ફૂલ’ આમ તો ઉત્તમ લાઈટિંગનો પણ નમૂનો છે, પણ છેલ્લાં દૃશ્યોમાં ‘બિછડે સભી બારી બારી ….’ ગીતમાં ગુરુદત્તની પીઠ પાછળથી ફેંકાતો પ્રકાશનો શેરડો ઉદાસી અને કારુણ્યનું હૃદયસ્પર્શી વાતાવરણ રચે છે. ફોટોગ્રાફર વી.કે. મૂર્તિની પણ એમાં કમાલ છે જ ! ગુરુદત્તના એ બન્ને ફિલ્મોના નાયકો ગુરુદત્તની જિંદગીનો પણ પડઘો પાડે છે, તે સાથે જ તેમના મિત્ર અને લેખક અબરાર અલવીની જિંદગી પણ ક્યાંક ડોકાય છે.

ગુરુદત્તને બીજાની પાસેથી તો ઠીક, પોતાની પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી. તેમને કોઈ વાતે ઝડપથી સંતોષ થતો ન હતો. ‘પ્યાસા’નાં ઘણાં દૃશ્યો ફાઈનલ થઇ ચૂક્યાં હતાં, તો ય તેમણે કેટલાં ય દૃશ્યો ફરી શૂટ કર્યાં. ‘પ્યાસા’ માટે દિલીપકુમારને લેવાની વાત હતી, પોતાની શરતે દિલીપકુમારે ડેટ્સ આપી, પણ સેટ પર મોડા પડ્યા. ખૂબ રાહ જોઇને ગુરુદત્તે મેકઅપ કર્યો ને ફિલ્મ પૂરી કરી. ‘કાગઝ કે ફૂલ’માં પણ તેઓ અશોક કુમારને લેવા માંગતા હતા, પણ ઘાટ ન પડ્યો, તો ચેતન આનદનો સંપર્ક કર્યો. તેમણે એવી રકમ માંગી કે રોલ માટે ગુરુદત્તે પોતાને જ નક્કી કર્યા.

ગુરુદત્તના ઘણા નાયકોને સમાજ સામે ફરિયાદ છે. તેમનો સૂર વિદ્રોહનો છે. બધું બદલવું છે, પણ કશું પોતાના હાથમાં નથી એ લાચારી છે, એટલે નિષ્ફળ છે, પીડાય છે ને વેઠે છે. આ વેઠવું ફિલ્મમાં ને જીવનમાં સમાંતરે રહ્યું ને ફિલ્મોની સાથે જીવન પણ અકાળે પૂરું થયું.

ગુરુદત્ત શતાબ્દીએ સ્મૃતિ વંદના !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જુલાઈ 2025

Loading

PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 July 2025

ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા વિસ્તરે તો તે ચીનની આગેકૂચને પડકારનારી સાબિત થાય. આ તરફી ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા કરજ આધારિત ડિપ્લોમસી પર ભાર મૂકે છે. ભારત સસ્ટેનેબલ પાર્ટનરશીપ, ડિજિટલ કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ પર ભાર મૂકે છે.

ચિરંતના ભટ્ટ

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ પાંચ દેશોનો પ્રવાસ પૂરો કર્યો છે—ઘાનાથી ગયાના સુધી, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, નામિબિયા અને છેલ્લે રિયોમાં બ્રિક્સ સમિટમાં તેમણે હાજરી આપી—જેમાં ભારતે ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) સાથેના સંપર્કને સફળતાપૂર્વક વિસ્તાર્યો છે. આ પ્રવાસ એક કૂટનીતિક પગલું છે, જે ભારતને ઉભરતી શક્તિ તરીકે નહીં, પરંતુ વિકાસશીલ વિશ્વના અગ્રણી સ્વર તરીકે સ્થાપિત કરવાની દિશામાં છે. પરંતુ શું આ વ્યૂહરચનામાં કશું નક્કર છે ખરું, તેનો કંઇ સાર નીકળશે કે પછી તે માત્ર પ્રતીકાત્મક છે? આ પ્રવાસ પાછળની તકો, પડકારો અને વ્યૂહાત્મક ગણતરીને સમજીએ.

સૌથી પહેલાં તો આ પ્રવાસથી દક્ષિણી દેશો વચ્ચે સહયોગ મજબૂત બને તે વડા પ્રધાનનો અગ્રિમતા ભર્યો ઉદ્દેશ છે. 2 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન મોદીએ જે દેશોની મુલાકાત લીધી તેમાં એક સ્પષ્ટ અને સુઆયોજિત વિચારનું બીજ છે કે ભારત એવા દેશો સાથે છે જે વિકાશીલ હોવા છતાં પણ ઉપેક્ષિત છે – ખાસ કરીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં – ભારત પોતે આ દેશો સાથે એક સમાન ભાગીદારી દર્શાવવવા માગે છે. ભારત પોતે એક મજબૂત દેશ છે અને અન્ય વિકાસશીલ દેશો પાછળ ન રહી જાય એ માટે તેમની સાથે હાથ મેળવી તેમના અર્થતંત્રને પણ ગતિ આપવા ધારે છે, તેવું આ પ્રવાસ દરમિયાનના ઘણાં નિર્ણયો પરથી સ્પષ્ટ થયું. ઘાનામાં, ભારતે વેપારને ૩ અબજ ડોલરથી વધારીને ૬ અબજ ડોલર કરવાનું વચન આપ્યું, સંરક્ષણ, ડિજિટલ આરોગ્ય, આયુર્વેદ અને ધોરણો જેવા ક્ષેત્રોમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા, અને વડા પ્રધાન મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. નામિબિયામાં, હાઇડ્રોકાર્બન, ક્રિટિકલ મિનરલ્સ, ડિજિટલ હેલ્થ અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે ઊંડાં આર્થિક અને વ્યૂહાત્મક જોડાણ માટે અનિવાર્ય આધાર બને તેવી બાબતો છે. આ તમામ વિકાસને લગતી બાબતો દક્ષિણના દેશોના સાથે આવવાના અભગિમનું સ્પષ્ટ ચિત્ર ખડું કરે છે – અહીં લેવડ-દેવડ સમાન સ્તરે થઇ રહી છે. ટૂંકમાં બન્ને દેશોની રેખાઓ સાથે લાંબી કરવાની હેતુ સાફ છે, બીજા દેશને ઓછો કે ઊણો દર્શાવીને સહયોગ આપવાનું વલણ નથી વર્તાતું. 

રિયોમાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં પ્રધાન મંત્રીએ ભારતની ભૂમિકાને મજબૂત બનાવી અને ભારત સક્રિય રહેશે તો સાઉથ બ્લોકમાં તેનું નેતૃત્વ મજબૂત બનશે. સંસ્થાગત સુધારણાઓને મામલે ભારત પર આધાર રાખવાની વિશ્વસનીયતા બ્રિક્સે વધારવી જોઇએ તેમ કહી તેમણે મલ્ટિપોલરાઇઝ્ડ એટલે કે બહુધ્રુવીય વિશ્વના દૃષ્ટિકોણને અપનાવવા અને અમલમાં મુકવા પર ભાર મૂક્યો. બ્રાઝીલનો બ્રિક્સ મલ્ટીલેટરલ ગેરંટી ફંડનો પ્રસ્તાવ અન્ય સભ્ય દેશોમાં નિવેશના જોખમ ઘટાડીને આર્થિક વિકાસને વેગ આપશે અને આ અને આવા પરિવર્તનોમાં ભારતનું વલણ તેના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે. આપણે એક રાષ્ટ્ર તરીકે વસુધૈવ કુટુંબકમના વિચારને અનુસરીએ છીએ એ બાબત અહીં વધુ ઘાટી થશે. 

ભારત ક્લાઇમેટ જસ્ટિસ એટલે કે પર્યાવરણીય ન્યાયની બાબત પર ભાર મૂકી રહ્યો છે જેમાં ધનિક રાષ્ટ્રોને તેમનાથી ગરીબ દેશોનો પર્યાવરણીય બાબતોમાં સંઘર્ષ ઓછો થાય તે માટે આર્થિક મદદ કરવાની વાત કરાઇ છે. નરેન્દ્ર મોદીને સંદેશો સ્પષ્ટ છે કે પર્યાવરણ – આબોહવા અને વ્યાપારમા ધનિક દેશોએ સમાન ધિરાણ કરવું જોઇએ, પુરવઠાની જે કડી હોય તેમાં વૈવિધ્ય લાવવનુ જોઇએ અને નાણાકીય નવીનતા પણ લાવવી જોઇએ જેમ કે બ્રિક્સ ગેરંટી ફંડ – આ અભિગમ એ વાતનો પુરાવો છે કે ગ્લોબલ સાઉથના હિતોને ધ્યાનમાં રાખીને સંસ્થાકીય સ્તરે નવી પહેલને ભારતનું પૂરું સમર્થન છે. 2025માં રિયોના સમિટનું વિસ્તરણ ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, યુ.એ.ઇ. સહિત અન્ય નવ રાષ્ટ્રો સુધી થયું છે પરંતુ છ અગ્રણી દેશો એ આ સમિટમાં હાજરી ન આપી – તેમાં ચીનના શી ઝિનપિંગની ગેરહાજરી તો વર્તાઇ જ પણ યુક્રેન અને ગાઝા જેવા રાષ્ટ્રો જે પોતે હાલમાં સંઘર્ષમાંથી પસાર થઇ રહ્યા છે તે મામલે ગ્લોબલ સાઉથના બધા રાષ્ટ્રો એક વિચારધારા નથી ધરાવતા તે બ્રિક્સની વિવિધતાની નાજુક પરિસ્થિતિ દર્શાવે છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ વિચારના આયામ અને વિરોધાભાસી પ્રાથમિકતાઓને કારણે પાંખું પડે તેવું જોખમ આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે ખડું થાય. ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા વિસ્તરે તો તે ચીનની આગેકૂચને પડકારનારી સાબિત થાય. આ તરફી ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા ડેટ એટલે કે કરજ આધારિત ડિપ્લોમસી પર ભાર મૂકે છે. ભારત સસ્ટેનેબલ પાર્ટનરશી, ડિજિટલ કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ પર ભાર મુકે છે. ચીન અન્ય દેશોને પરાવલંબી બનાવવા માગે છે જ્યારે ભારત તેમનો હાથ ઝાલી તેમને બેઠા કરવા માગે છે, તેમનામાં બળ પુરવા માગે છે. આફ્રિકામાં, જ્યારે ચીન 2000 થી $160 અબડનું નિવેશ કર્યું છે, ત્યારે ભારતનો અભિગમ સોફ્ટ લોન, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને આરોગ્ય સેવાઓ જેવા “લો-કોસ્ટ, હાઇ-ઇમ્પેક્ટ” મોડલ પર આધારિત છે. કેરિબિયનમાં, ભારતે ગયાના અને ત્રિનિદાદ સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી કરારો પર હસ્તાક્ષર કર્યા, જ્યારે ચીનનું પ્રભુત્વ પોર્ટ્સ અને માઇનિંગ પર છે. પરિણામે ભારતની “ડેવલપમેન્ટ વિથ ડિગ્નિટી”ની ફિલસૂફી ગ્લોબલ સાઉથમાં વધુ આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ટ્રમ્પ બ્રિક્સ સાથે જોડાયેલા રાષ્ટ્રોને દંડાત્મક ટેરિફની ધમકીઓ આપતા રહ્યા છે, જે આખા બ્લોકમાં ભારતની ગતિ અને પ્રગતિ માટે અવરોધ સાબિત થાય તેવી શક્યતા છે. ભારત પશ્ચિમ સાથે વેપારમાં વધારો કરવા ઇચ્છે ત્યારે આવી ખુન્નસભરી કાર્યવાહી  થાય તો ન ગમે એવા નીતિગત સમાયોજનો કરવાની નોબત આવી શકે છે. આફ્રિકા ને લેટિન અમિરકામાં ભારતની હાજરી વધી રહી છે પણ સામે ચીન પણ પોતાનો પ્રસાર કરી રહ્યો છે. તાન્ઝાનિયા સાથે ભારતે નૌકા દળનાં તોતિંગ ડ્રિલ્સ કર્યા છે જેમાં આઠ આફ્રિકી દેશો પણ છે – એક રીતે તે ચીનના દરિયાઇ પ્રસારની સીધો જવાબ છે. આખી બાબતમાં ભારતનો વ્યૂહાત્કમ દૃષ્ટિકોણ મજબૂત અને ગહેરો હોવા છતાં આફ્રિકા સાથે ભારતનો વેપાર 83 અબજ ડોલરનો છે, જે ચીનની પકડની વિસ્તારના અડધાથી પણ ઓછો છે. દ્વિપક્ષીય મુલાકાતો એ ક્ષણને ગતિ તો આપી દે છે પણ ત્યારે લેવાયેલા નિર્ણયો લાંબા ટકે એ માટે પહોંચ, ઝડપ અને ટાઇમલાઇન પણ જરૂરી છે. 

ભારત માટે સ્વાભાવિક રીતે જ આ પ્રવાસનું જિઓ-પૉલિટીકલ એટલે કે ભૌગોલિક રાજકીય મહત્ત્વ છે. ભારત પોતાનું સ્થાન સાવચેતીથી બનાવી રહ્યું છે –  G7, G20 અને WTO સાથેના સંબંધો આપણે જાળવ્યા છે. મોદીએ બેવડાં ધોરણોની ટીકા કરી સાબિત કર્યું કે ભારત પશ્ચિમ નિયંત્રિત મંચને આંતરિક રીતે પ્રભાવિત કરવા માગે છે.  G20 પ્રમુખપદે ભારત-મધ્યપૂર્વ-યુરોપ કોરિડોર(IMEC)ની સફળતા ચીન-નિયંત્રિત સપ્લાય નેટવર્ક્સને વિકલ્પ આપવાની ભારતની મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે. આફ્રિકન નૌકાદળની ડ્રિલ્સથી માંડીને મિનરલ સિક્યોરીટી માટે થયેલા સંવાદ ભારતની આર્થિક કૂટનીતિમાં રહેલા લશ્કરી દૃષ્ટિકોણની ઝલક પણ આપે છે. આ બહુપરિમાણીય અભિગમ એ સૂચવે છે કે ભારત સાઉથ-સાઉથ કૂટનીતિને ઉપરછલ્લી કે પ્રતીકાત્મક રીતે નહીં પણ એક સંકલિત ભૌગોલિક વ્યૂહરચના તરીકે જુએ છે. જલવાયુ ન્યાય (BRICS હેઠળ) અને ડિજિટલ સહયોગ (UPI/ડિજિટલ હેલ્થ) દ્વારા ટકાઉ વિકાસમાં નેતૃત્વ ભજવતા ભારતને આ વ્યૂહરચનાને સાંગોપાંગ પાર પાડવા માટે વેપાર કરારો, સંસ્થાગત સુધારા (WTO/UNSC) તો જોઇશે જ પણ સાથે ભારતમાં આંતરિક સ્તરે પણ ખર્ચ અને રાજકીય મૂડીને ન્યાયી ઠેરવવાના પ્રયાસ પણ કરવા પડશે. 

બાય ધી વેઃ 

વિષ્લેશકો એવી ચેતવણી પણ આપી રહ્યા છે કે આ પ્રવાસમાં જે મજબૂતાઇ કે પ્રભાવ દેખાય છે ત્યારે તે પરિણામોમાં નહીં દેખાય તો ભારે પડશે. વડા પ્રધાને જે રીતે આ રાજકીય પ્રવાસમાં શક્તિ પ્રદર્શન કર્યું છે તેના વાસ્તિવક પરિણામો જ ખરી કસોટી સાબિત થશે. ખરો લિટમસ ટેસ્ટ હશે સંસ્થાકીય મજબૂતાઇ એટલે કે વ્યાપારને લગતા કરાર, સંશોધનમાં સહયોગ અને જાહેર-ખાનગી ભાગીદારી – યોજનાઓ અને ટાસ્ક ફોર્સ આ પ્રવાસમાં વર્તાયેલા પ્રવાહને ટકાવી રાખે એ માટે અનિવાર્ય પગલાં છે. ભારતની લોકશાહી, આર્થિક વૃદ્ધિ, પ્રવાસને કારણે બનતાં નેટવર્ક્, અને તકનીકી કુશળતાઓ આ જોખમો ઘટાડશે પણ અમલીકરણનું નક્કર માળખું નહીં હોય તો ભારતના ગ્લોબલ સાઉથના પ્રયાસ અને પ્રવાસ બન્ને માત્ર ડિપ્લોમેટિક શો બનીને રહી જશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2025

Loading

‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી

સોનલ પરીખ|Gandhiana|13 July 2025

‘પહેલા પરિવાર’ એવો ગાંધીનો મુદ્રાલેખ ક્યારે ય ન હતો. ભયાનક તોફાનો વચ્ચે ભારતનું જહાજ હાંકનાર કપ્તાન ગાંધીએ પોતાના કુટુંબ માટે સારામાં સારી આગબોટો રાખી મૂકી ન હતી. અમે વંશજો ગાંધીની મુખ્ય વિરાસત નથી. ગાંધીની વિરાસત ત્રિવિધ છે. સંઘર્ષના સાધન તરીકે અહિંસા, સ્વતંત્ર ભારત અને આખી દુનિયામાં ફેલાયેલા એમના સાઇન–પોસ્ટ્સ.

— રાજમોહન ગાંધી 

રાજમોહન ગાંધી

‘પ્રસ્તુત ગણો કે નહીં, ગાંધી રસ પડે એવા છે અને રહેશે પણ. કઈં નહીં તો એમનામાં જે વિરોધાભાસ રહેલો હતો તે લોકોને આકર્ષતો રહેશે.’ આ શબ્દો મહાત્મા ગાંધીને પૌત્ર રાજમોહન ગાંધીના છે. ગાંધીના એક અમેરિકન મિત્ર ઈ. સ્ટેનલી જોન્સ લખે છે, ‘ગાંધી એકસાથે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, શહેરી ને ગ્રામીણ, ઈસુ ખ્રિસ્તના ભક્ત અને સનાતની, હિન્દુ, સરળ અને મુત્સદી, સ્પષ્ટવક્તા અને વિવેકી, ગંભીર અને રમતિયાળ, નમ્ર અને આગેવાની લેનાર, તીખા અને મીઠા હતા.’ અને ઉમેરે છે, ‘જો કે ગાંધી જે પ્રબળ છાપ છોડે છે તે મીઠાશની નહીં, સામર્થ્યની છે.’ આ ઈ. સ્ટેનલી જોન્સે લખેલું મહાત્મા ગાંધીનું ચરિત્ર ડૉ. માર્ટિન લ્યુથર કિંગની એક પ્રેરણા બન્યું હતું. 

નેવું વર્ષના રાજમોહન ગાંધી ચરિત્રકાર, ઇતિહાસકાર, રાજનેતા અને અમેરિકાની ઈલીનોય યુનિવર્સિટીના સાઉથ ઇન્ડિયા એન્ડ મિડલ ઈસ્ટ સ્ટડીઝના રિસર્ચ પ્રોફેસર છે. મહાત્મા ગાંધીના પૌત્ર હોવા સાથે તેઓ ભારતના છેલ્લા અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ અને મહાવિદ્વાન ચક્રવર્તી રાજગોપાલાચારીના દોહિત્ર પણ છે. નાના અને દાદાના નામનું સંયોજન કરીને જ એમનું નામ રાજમોહન રાખવામાં આવ્યું હતું. 

આજથી દસેક વર્ષ પહેલા, મેસેચ્યુએટ્સ યુનિવર્સિટીમાં આપેલા એક વ્યાખ્યાનમાં એમણે મહાત્મા ગાંધીની વિરાસત વિષે સરસ વાતો કરી હતી. આજે ફાધર્સ ડેના દિવસે ‘ફાધર ઑફ નેશન’ના વારસાની વાત એમના જ સ્કૉલર પૌત્ર રાજમોહન પાસેથી જાણીએ. 

તેઓ પ્રશ્નો પૂછે છે, ‘ગાંધીની વિરાસત એટલે ચોક્કસ શું? જો તેઓ આઈન્સ્ટાઈન, ગોખલે, ટાગોર, નહેરુ, સરદાર, માર્ટિન લ્યુથર કિંગથી માંડીને બરાક ઓબામા એમને વર્ણવે છે તેવા હોય તો એમનું રાષ્ટ્ર એમની હયાતીમાં ભાગલા અને નરસંહારનો ભોગ શા માટે બન્યું? અને આજે હિંસા, અલગતાવાદ અને ભ્રષ્ટાચારનો શિકાર કેમ છે? જો માણસની પ્રસ્તુતતા કે વિરાસત તે પોતાની પાછળ કેવું વિશ્વ મૂકીને જાય છે તેના પરથી નક્કી થતી હોય તો ભારતની આજની સ્થિતિ જોતાં ગાંધીની પ્રસ્તુતતા કે વિરાસત વિષે શું કહીશું? માણસ તત્કાલીન કે ભાવિ સમસ્યાઓ ઉકેલી શકે તો જ પ્રસ્તુત કહેવાય? કે પછી જિંદગી વધુ સહ્ય અને રસપૂર્ણ બને એવી કેડી ચીંધે તો પ્રસ્તુત કહેવાય? ગાંધીએ ભારતને બતાવ્યું કે નીચા પડ્યા વિના, અપમાનિત થયા વિના સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય – આ રીત દરેક પ્રકારની અન્યાયમુક્તિને લાગુ નથી પડતી?’ 

કોઈ મૃત્યુ પામે તો તેની વિરાસત તેનાં સંતાનો રૂપે દર્શાવાય છે. રાજમોહન કહે છે, ‘મારી પાસે એવો કોઈ ફોટોગ્રાફ નથી જેમાં ગાંધીજીના બધા વંશજો હોય, પણ જો હોત તો પણ એને હું ગાંધીની વિરાસત તરીકે બતાવી શક્યો ન હોત. એમના વંશજો દેખાવડા છે, ગરિમાપૂર્ણ છે, બુદ્ધિમાન છે, જ્યાં પણ રહે છે ત્યાં એમનું કોઈ પ્રદાન છે, તેમ છતાં ગાંધીની વિરાસત તરીકે એમને બતાવી દેવાથી કોઈ અર્થ સરે નહીં. એટલા માટે, કે “પહેલા પરિવાર” એવો ગાંધીનો મુદ્રાલેખ ક્યારે ય ન હતો. વંશવારસાના લાભલાભથી પરિચિત ભારતની પ્રજાએ ગાંધીને ખૂબ માન આપ્યું હતું એનું એક કારણ એ પણ છે કે ગાંધી ક્યારે ય એમના કુટુંબને પહેલું ગણ્યું ન હતું. ભયાનક તોફાનો વચ્ચે ભારતનું જહાજ હાંકનાર કપ્તાન ગાંધીએ પોતાના કુટુંબ માટે સારામાં સારી આગબોટો રાખી મૂકી ન હતી. એમના નિકટના સાથીઓ પણ એવું માનતા કે ગાંધીજીને મન એમના પરિવારજનો અને દેશવાસીઓ વચ્ચે કોઈ તફાવત ન હતો. એવું હતું પણ, એવું નહોતું પણ. અમે અને અમારા દાદા એકબીજાને ખૂબ ચાહતા. અમને એકબીજા માટે સમય મળવો અઘરો હતો, પણ એથી તો અમારું પરસ્પર આકર્ષણ વધી જતું. અમારા દાદા આખા દેશના હતા એ અમે સમજતા હતા. 

‘એટલે અમે વંશજો ગાંધીની મુખ્ય વિરાસત નથી. એમની મુખ્ય વિરાસત બીજે ક્યાંક છે. મને લાગે છે કે ગાંધીની વિરાસત ત્રિવિધ છે. સંઘર્ષના સાધન તરીકે અહિંસા, સ્વતંત્ર ભારત અને આખી દુનિયામાં ફેલાયેલા એમના સાઇન-પોસ્ટ્સ.’

એમણે પાંચ નામ લીધાં છે, જેમણે ગાંધી પછી અહિંસાનું શસ્ત્ર વાપર્યું અને જીત મેળવી. આ સાઇન-પોસ્ટ્સ છે ખાન અબ્દુલ ગફરખાન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, દલાઇ લામા અને આંગ સાન સૂ કી. 

1945માં દસેક વર્ષના રાજમોહન ખાન અબ્દુલ ગફારખાનને પહેલી વાર મળ્યા. ભારતની વાયવ્ય સરહદના આ પઠાણ નેતાને બ્રિટિશ સરકારે તેમને 12 વર્ષ અને પાકિસ્તાન સરકારે 15 વર્ષ જેલમાં રાખ્યા હતા. છેલ્લી મુલાકાત રાજભવનમાં થઈ ત્યારે ખાનસાહેબ 97 વર્ષના હતા. જિંદગીભર તેમના મનમાં સ્વતંત્રતા માટે અને પઠાણોને પેઢી દર પેઢી ચાલતા વેરમાંથી મુક્ત કરવા માટે આગ પ્રજળતી રહી. ખાન સાહેબે ઊભા કરેલા ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠનના રેડ શર્ટ્સ તરીકે ઓળખાતા પઠાણ સૈનિકો અહિંસક હતા. બ્રિટિશ અધિકારીઓ કહેતા, ‘અહિંસક પઠાણ, હિંસક પઠાણ કરતાં વધારે ખતરનાક છે.’ પછી તો કાળનાં વહેણો વહ્યાં. પઠાણો એમના લાડીલા બાદશાહખાન પ્રત્યે કઈંક બેધ્યાન બન્યા; ઈર્ષા, અણસમજ, ગેરસમજનો શિકાર બન્યા. પણ બાદશાહખાનનું મૃત્યુ થયું તે દિવસે આંતરસંઘર્ષથી સળગતા આખા ખૈબરની બંદૂકોએ સ્વયંભૂ મૌન પાળ્યું હતું.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો જન્મ 1929માં. 22 વર્ષની ઉંમરે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. જોન્સનનું ગાંધી પરનું વ્યાખ્યાન સાંભળવા ગયા. અડધેથી જ ઊઠી ગયા અને ગાંધી પરના જે મળ્યા તે બધાં પુસ્તકો ખરીદી લીધાં. ‘જિસસના લવ એપિક્સનું ઊર્ધ્વીકરણ કરી લોકોને શક્તિશાળી સોશ્યલ ફૉર્સ બનાવનાર’ તરીકે એમણે ગાંધીને જોયા અને શ્યામ પ્રજાને અધિકારો અપાવવા ગાંધીપદ્ધતિએ મોટું આંદોલન ચલાવ્યું. 

નેલ્સન મંડેલા એમની 27 વર્ષની કેદ પૂરી કરીને છૂટ્યા બાદ થોડા વખતમાં ભારત આવ્યા હતા. ગાંધીજીના મૃત્યુને 42 વર્ષ પૂરાં થયાં હતા. મંડેલા 72 વર્ષના હતા, રાજમોહન 55ના. ભારત સરકારે મંડેલાને ભારતમાં ફરવા નાનું પ્લેન આપ્યું. એમને સાથ આપવાની જવાબદારી રાજમોહનને આપી. રાજમોહનને મંડેલાની માનવતા, શાલીનતા અને ભારતમાંથી દક્ષિણ આફ્રિકાની ચળવળનું સંચાલન કરવાની કાબેલિયત નિકટથી જોવાની તક મળી. રાષ્ટ્રપતિ વેંકટરામને કહ્યું, ‘શ્રીમાન મંડેલા, આગામી દિવસો તમારા માટે કપરા છે, હું પ્રાર્થના કરીશ.’ ત્યારે મંડેલા સ્મિત કરી કહે, ‘આભાર. પણ પ્રાર્થના મિસ્ટર ડી. ક્લાર્ક માટે પણ કરજો.’ ડી. ક્લાર્ક દક્ષિણ આફ્રિકાના શ્વેત પ્રમુખ હતા, જેમની સરકાર વિરુદ્ધ મંડેલાએ ગાંધીમાર્ગે મોટી લડત ઉપાડી હતી.

દલાઇ લામા તિબેટથી નિર્વાસિત થઈ ભારત આવ્યા ત્યારે 24 વર્ષના હતા. ત્રીસ વર્ષ પછી એમને શાંતિ માટેનું નોબેલ ઈનામ મળ્યું. એમણે કહ્યું, ‘આ ઈનામ હું પરિવર્તન માટે સક્રિય અહિંસાની આધુનિક પરંપરાના સર્જક એવા મહાત્મા ગાંધીને અંજલિ રૂપે સ્વીકારું છું.’ અને બર્મામાં લોકશાહી માટે અનેક જુલમો સહેનાર સૂ કીને 1991માં નોબેલ મળ્યું ત્યારે તેઓ કેદમાં હતાં. નોબેલ સ્વીકારવા જઈ ન શક્યાં, હસ્તલિખિત સંદેશો મોકલ્યો, જેમાં લખેલું કે ‘સ્વતંત્રતાના 49 વર્ષ બાદ પણ બર્મા મિલીટરી શાસન હેઠળ હતું. લોકોની કોઈ ભૂમિકા ન હતી. અમારે ગાંધીએ વર્ણવેલું સ્વરાજ જોઈતું હતું જેમાં લોકો નેતા ચૂંટે અને જો નેતા ખોટી રીતે ચાલે તો એને ઉથલાવી શકવાની ક્ષમતા પણ ધરાવે.’  

ઉપર ઉલ્લેખ કર્યો છે એ પ્રતિભાઓ આજે જીવી રહેલી બેત્રણ પેઢીઓ માટે પ્રેરણામૂર્તિ સમાન છે, અને એમની પ્રેરણા છે આપણા રાષ્ટ્રપિતા. તેમનો અને તેમના ભવ્ય વારસાનો અહીં તો જરાતરા ઉલ્લેખ જ થઈ શક્યો છે. ફાધર્સ ડેના દિવસે જુઠાણાઓનાં ઘેરાં વાદળો વચ્ચે ઢંકાયેલા એમના સત્ય-સૂર્યને જોવા આંખ ઊંચકીએ તો પણ ઘણું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 જૂન  2025

Loading

...102030...215216217218...230240250...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved