Opinion Magazine
Number of visits: 9680655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણમાં ઉમેરાયેલાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા વિશે વિવાદનો વધુ એક પ્રયાસ

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|27 October 2020

ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન 42માં સુધારાથી બંધારણના આમુખમાં ઉમેરાયેલા સમાજવાદ’ અને ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દો દૂર કરવા કોઈ નાગરિકે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. તેમાં કારણ એમ જણાવ્યું છે કે કટોકટીકાળ દરમિયાન ઉમેરાયેલા આ શબ્દો અંગે સંસદમાં ખાસ ચર્ચા થઈ ન હતી.

આ બે શબ્દો અંગેનો વિવાદ નવો નથી. બંધારણ સભામાં પ્રો. કે.ટી. શાહે આ બંને શબ્દો બંધારણમાં ઉમેરવા દરખાસ્ત કરી હતી. પરંતુ ડૉ. આંબેડકરે એમ જવાબ આપ્યો હતો કે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમાજવાદનું પ્રતિબિંબ છે અને અનુ. 25થી 28ની (ધર્મસ્વાતંત્ર્ય અંગેની) જોગવાઈઓ ધર્મનિરપેક્ષતાને લગતી જ છે. ડૉ. આંબેડકરના આ જવાબથી પ્રો. કે.ટી. શાહ અને અન્ય સભ્યોને સંતોષ થયો હતો અને શબ્દો ઉમેરવા કોઈ આગ્રહ રખાયો ન હતો.

સર્વોચ્ચ અદાલત તરફ પૂરા સન્માન સાથે અને સર્વોચ્ચ અદાલતની કામગીરીમાં સહેજ પણ દખલગીરી કરવાના ઇરાદા વિના, માત્ર બંધારણીય સ્થિતિ રજૂ કરવાનો આ લેખનો ઇરાદો છે. બંધારણના આમુખમાં ‘આર્થિક ન્યાય’નો સમાવેશ કરાયો છે. તેની સાથે આમુખમાં ‘લોકશાહી’ શબ્દ પણ સામેલ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો — ખાસ કરીને અનુચ્છેદ 39(b) અને અનુચ્છેદ 39(c)—માં ગાંધીજીના શબ્દોમાં, છેવાડાના માનવીના કલ્યાણની વાત કરવામાં આવી છે અને લોકોનું, ખાસ કરીને નબળા વર્ગના લોકોનું શોષણ ન થાય તે માટે રાજ્યની કેટલીક ફરજો સૂચવવામાં આવી છે. આ સમાજવાદ જ છે. આમ બંધારણમાં સમાજવાદ ગર્ભિત છે. તેનો ઉમેરો ભલે 1976માં બંધારણીય સુધારાથી આમેજ કરાયો, તો પણ તે અગાઉ બંધારણના આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ શબ્દ જીવંત છે. દા.ત. બેંકોનું રાષ્ટ્રીયકરણ અને રાજવીઓનાં સાલિયાણાંની નાબૂદી સમાજવાદ અમલી બનાવવાનાં પગલાં જ છે.

‘ધર્મનિરપેક્ષતા (બિનસાંપ્રદાયિકતા – Secularism) શબ્દ પણ પ્રારંભથી જ અનેક વિવાદોમાં કેન્દ્રસ્થાને રહેલો છે. તેનો સાદોસીધો અર્થ એ થાય છે કે રાજ્યે પોતાનો કોઈ ધર્મ સ્વીકારેલો નથી. તે કોઈ ધર્મની તરફેણ કરી શકે નહીં કે ધર્મની ઉન્નતિ માટે કર લાદી શકે નહીં. રાજ્યે જેમ વિદેશનીતિ, મહિલાનીતિ, બાળનીતિ, ખેલકૂદનીતિ, શિક્ષણનીતિ સ્વીકારેલી હોય છે, તેમ રાજ્ય ધર્મ પણ સ્વીકારી શકે. પરંતુ બંધારણ ઘડતર સમયે ભારત-પાકિસ્તાન સરહદો ખૂન-કાપાકાપીથી સળગી રહી હતી. ત્યારે બંધારણ સભામાં પણ ધર્મનિરપેક્ષ નીતિ ન સ્વીકારવા કેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી. જવાહરલાલ નેહરુ, કનૈયાલાલ મુનશી, રાજકુમારી અમૃતકૌર વગેરેની સમજાવટથી ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે જાહેર કરાયું. નેહરુએ સમજાવ્યું હતું કે બંધારણના આમુખમાં દરેકને માન્યતા, શ્રદ્ધા અને ઉપાસનાના સ્વાતંત્રની બાંહેધરી આપવામાં આવી છે. ઉપરાંત અનુ.14 હેઠળ દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાન અને કાયદાના સમાન રક્ષણની ખાતરી અપાઈ છે.

આ સુધારો 1976ના વર્ષમાં બંધારણમાં કરવામાં આવ્યો હતો. પરંતુ તે પૂર્વે સર્વોચ્ચ અદાલતે 1974માં જાહેર કરેલ સેંટ ઝેવિયર્સ કોલેજ વિ. સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં ચુકાદામાં નોંધ્યું છે કે બંધારણમાં ભલે સ્પષ્ટ શબ્દોમાં ‘ધર્મનિરપેક્ષ રાજ્ય’ શબ્દોનો ઉલ્લેખ ન હોય, તો પણ બંધારણના ઘડવૈયાઓએ ધર્મનિરપેક્ષ રાજ્ય સ્થાપવાનું જ વિચાર્યું હતું અને તે અનુસાર અનુ. 25થી 28ની ધર્મસ્વાતંત્ર્ય અંગેની જોગવાઈઓ મૂળભૂત અધિકાર તરીકે દાખલ કરવામાં આવી હતી. સેંટ ઝેવિયર્સ કોલેજના આ ચુકાદા અગાઉ સર્વોચ્ચ અદાલતે 1973માં કેશવાનંદ કેસમાં બંધારણમાં મૂળભૂત માળખા(Basic structure)નો સિદ્ધાંત ઘડી કાઢ્યો હતો, તેમ પણ તે કેસમાં ઠરાવ્યું હતું. વધુમાં તે કેસમાં ધર્મનિરપેક્ષતા મૂળભૂત માળખાના ભાગ તરીકે ગણાવાઈ હતી. પાછળથી 1994ના વર્ષમાં એસ.આર. બોમ્માઇ કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે ધર્મનિરપેક્ષતાને મૂળભૂત માળખાના ભાગ તરીકે જાહેર કરી હતી.

બંધારણીય સ્થિતિ આટલી સ્પષ્ટ હોવા છતાં કરાયેલ અરજીથી નવાઈ ઉપજે છે. બંધારણના સમગ્ર પાઠમાં ઉપર્યુક્ત બન્ને શબ્દો પહેલેથી જ ગર્ભિત રહેલા જ છે અને 1976માં માત્ર તેના શબ્દો મુકાયા છે. આ શબ્દોની ગેરહાજરીમાં પણ ભારતનું બંધારણ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક જ હતું અને રહ્યું છે. જો કે એ પણ ખરું છે કે સર્વોચ્ચ અદાલત પોતાનો અગાઉનો ચુકાદો રદ્દ કરવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. પરંતુ બંધારણમાં શબ્દો ઉમેરવા કે ઘટાડો કરવાની સત્તા માત્ર સંસદને છે. આ બંને શબ્દો 1976માં સંસદીય પ્રક્રિયા અનુસરીને ઉમેરાયેલા હોવાથી તેને દૂર કરવાની સત્તા પણ સંસદને જ છે, તેમ સર્વોચ્ચ અદાલત ઠરાવે તો તે અસ્થાને નહીં ગણાય.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 13-14

Loading

કાંદા ગયા તેલ લેવા, આપણે સફરજન ખાવ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2020

વરાછામાં રેશનિંગની દુકાને મહિલાઓ અનાજ લેવા ગઈ તો ઘઉં, ચોખા, ચણામાં ધનેડા, ઇયળ પડેલી. એવું સડેલું અનાજ વજનમાં અપાયું. એમાં એકલી જીવાત જ ન હતી, થોડું અનાજ પણ હતું. દુકાનદારે કહ્યું કે આવું અનાજ પુરવઠા વિભાગમાથી આવ્યું છે. એ પણ બિચારો શું કરે? આવ્યું તે આપ્યું. એને આંખો થોડી જ છે કે જુએ કે ઇયળ છે કે અનાજ? આવામાં વળી પુરવઠા વિભાગ જુદો જ બચાવ કરશે. રેશનિંગમાં અપાતું અનાજ મોટે ભાગે ભિખારીઓને અપાતું હોય એવું જ હોય છે. લોકો પણ જાણે છે કે સસ્તું એટલે સડેલું. તે ખાઈ પણ લે છે ને એમાં કોઈને કૈં થયું તો મરે અથવા સિવિલમાં જાય. નસીબ હશે તો જ ઘરે બીજું સડેલું અનાજ ખાવા આવશે. આ અકસ્માત નથી. અકસ્માતે જ આવું નથી બનતું. વિચારવાનું એ રહે કે પુરવઠા વિભાગ જથ્થો ગોડાઉનમાં મુકાય કે ત્યાંથી બહાર મોકલાય ત્યારે એ જુએ છે ખરો કે એ છાણ છે કે અનાજ? પણ એ પણ શું કરે? એ તે પોતાનો પુરવઠો જુએ કે લોકોનો?

ગાય ભાંભરે છે કે કૂતરાં રડે છે તો ખબર પડે છે કે જીવે છે, પણ લોકોએ કૈં કહેવા કૂટવાનું નથી એટલું સારું છે. સરકારમાંથી વિપક્ષ ગયો છે એમ દેશમાંથી લોક અવાજ ગુમ થયો છે. પહેલાં – રામ રાખે તેમ રહીએ – એવું ગવાતું, હવે દામ રાખે તેમ રહીએ – એમ ગવાતું હોય તો નવાઈ નહીં. છ વર્ષમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 258 ટકા અને ડીઝલ પર 820 ટકા વધી ને એમાં 18 લાખ કરોડની કમાણી સરકારને થઈ. થાય. સરકાર બિચારી પણ શું કરે? એણે ય કમાણી તો લોકોમાંથી જ કરવાની છેને ! એ આપણામાંથી નહીં ખાય તો કોનામાંથી ખાશે? ગાવ રે બધાં – રામકે નેતા, રામકા ખેત, ખા લો નેતા, ભર ભર પેટ !

શું છે કે ઝાડ હોય તેને ડાળ, પાન પણ હોય. એમ જ નેતા હોય તેને અધિકારી, પટાવાળા પણ હોવાના. એમને ય પેટ લાગેલું છે. એ ભૂખા રહે ને આપણને ખવડાવે એવું તો ઓછું જ બનવાનું. એમને હોજરી હોય ને આપણને હાજરી હોય એટલે એ ખાય ને લોકો ગાય તો જ કારભાર ચાલે. એમના કારભારમાં – કાર – હોય આપણા કારભારમાં માર હોય. આપણે સમજી લેવાનું રહે કે એ મારવા માટે ને આપણે મરવા માટે જ છીએ.

આપણે બધું ખાવા-ગાવામાંથી જ ઊંચા નથી આવતા. બધું બઢાવી-ચઢાવીને જ બોલીએ છીએ. ગરીબોને તો કાંદા એ જ કસ્તૂરી એમ ચલાવ્યું. તે એટલે કે કાંદા સહેલાઇથી મળી રહેતા હતા ને સસ્તા હતા. હવે હાલત એ છે કે કસ્તૂરી મૃગ મળે, પણ કસ્તૂરી મળે એમ નથી. કારણ કાંદા, ગાંડા કરી મૂકે એટલા મોંઘા છે. આમાં યુક્તિ એવી કામ કરે છે કે બધું મોંઘું કરતાં જવાનું, એમાં જે ખરીદી શકે તે આગળ આવે ને ન ખરીદી શકે તે પાછળ જાય. પાછળ જ જતા જાય ને એક દિવસ દેખાતા બંધ થાય. એટલે જ કહ્યું છેને કે જે સક્ષમ છે તે ટકશે ને નથી તે અટકશે.

એક વસ્તુ માર્ક કરી છે? લગભગ ચોમાસા પછી તરત જ કાંદા, બટાકા, ટામેટાંમાંથી કોઈ નહીં ને કોઈનો ભાવ કિલોના સો રૂપિયા થઈ જ જાય છે. સામાન્ય સંજોગોમાં જે દસ, પંદર રૂપિયે મળતા હોય એ એક્દમ જ સો રૂપિયાનો ભાવ પકડી લે તો ભડકો થાય જ. થયો. એમાં બહાનું અત્યારે એ છે કે ચોમાસું ખરાબ ગયું. બહુ વરસાદ પડ્યો ને એમાં પાક ધોવાઈ ગયો. ભાવ વધારવા માટે ચોમાસાથી સારું બહાનું બીજું નથી. વરસાદ ન પડે તો, તો પાક જ ન થાય. એ સંજોગોમાં પણ અછત સર્જાય ને ભાવ વધે. ચોમાસું સારું જાય કે ખરાબ, અછત કોમન છે ને એ ભાવ વધારવા માટેનું મજબૂત કારણ છે. ખરેખર તો ચોમાસાને કારણે કાંદા આ વખતે તેલ લેવા ગયા છે, તે એ હદ સુધી કે તેના કરતાં સફરજન સસ્તાં છે. આ સ્થિતિમાં કાંદાબટાકાનું શાક ખાનારા સફરજનબટાકાનું શાક કરે તો રજવાડી આનંદ આવે એમ બને.

આમાં સરકારો બિચારી મહેનત તો બહુ કરે છે, પણ કૈં કાંદા નથી કાઢતી તે પણ હકીકત છે. સરકાર, – સર – છે ને – કાર-માં ફરે છે. એ થોડી જ આપણી કાંદાની લારી ફેરવવાની હતી?

સરકાર જેમ દેશમાં છે તેમ કાંદા ય દેશભરમાં છે ને ચેન્નઈ જેવામાં તો તે 150 રૂપિયે કિલો પર પહોંચ્યા છે. મહારાષ્ટ્ર જે સૌથી વધુ કાંદા પકવે છે ત્યાં પણ કાંદાના ભાવ 100ની પાર પહોંચ્યા છે. અગેઇન, સરકાર ભાવ કાબૂ કરવાના પ્રયત્નો કરી રહી છે, પણ ભાવોનું તો એવું છે કે એણે ઘટવા હોય ત્યારે જ એ તો ઘટે. વેપારીઓ કહે છે કે કાંદાની આવક નથી એટલે ભાવ વધ્યા છે, જ્યારે સાચું તો એ છે કે વેપારીઓ બહુ ભલા છે. તે લાભ વગર લોટતા નથી. આવક નથી, એ ખરું, પણ કોઠારોમાં ટનબંધી કાંદા પડેલા છે તે કાઢે તો આવક થાય જ ને ભાવ ઘટે જ, પણ એ બહાર એમને એમ તો ન નીકળેને ! પૂરો ભાવ વધારો બધે થઈ જાય, હોજરી તર થઈ જાય કે કાંદા બહાર ને ગાંડા અંદર ! એમાં સરકારનું પણ બહુ ચાલે નહીં. એવું કહેવાય છે કે ગેંડાને ઘા મારો તો એને મોડી ખબર પડે. સરકારનું પણ એવું જ છે. બધે પૂરતો ભાવ વધી જાય પછી જ એને ભાન થાય છે ને ભાવ ઘટાડાના પગલાં લે છે.

આ વખતે કૃષિબિલ રજૂ થયું તેમાં સરકારે મોટે ઉપાડે સ્ટોક લિમિટ ઊંચકી લીધી. એનો વેપારીઓએ તરત જ લાભ લઈને કાંદાનો સ્ટોક કરી લીધો. ચોમાસાએ તો પાક ધોયો એટલે અછત તો ઊભી થઈ જ, તેમાં સ્ટોકની લિમિટ ન રહી એટલે સંગ્રહ બેફામ થયો. એથી બજારમાં ઑર અછત થઈ ને લોકોને જરૂર તો હતી જ, એટલે ભાવ સીધા કિલોના 150 થઈને જ રહ્યા. એ પછી સરકારને જાગવાનુ થયું અને તેણે ફરી સ્ટોક લિમિટ લાગુ કરી. છૂટક વેપારીઓ માટે 2 ટન અને જથ્થાબંધ વેપારીઓ માટે 25 ટનની મર્યાદા લાગુ કરાઈ, પણ એ બધું ખાતર પર દિવેલ થઈને જ રહ્યું. એ જુદી વાત છે કે નાફેડે બજારમાં કાંદા ઠાલવ્યા છે ને સરકાર પાસે અત્યારે 25,000 ટન જેટલો જથ્થો જ બચ્યો છે ને એ પણ નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી જ ચાલે એમ છે. પછી શું? પછી બીજી વસ્તુ મોંઘી થશેને ! એટલે કાંદા પરથી ધ્યાન ખસેડીને કંચન પર ક્યાં નથી ગોઠવાતું? દિવાળી આવે છે એટલે સોનાનો ભાવ ઊંચકાવાનો જ છે ને ત્યારે કાંદાને કોણ પૂછવાનું હતું? ને ત્યાં સુધીમાં તો કાંદામાંથી ભરપૂર કમાણી થઈ ગઈ હશે ને સંગ્રહાયેલા કાંદા તે પછી બહાર આવશે એટલે ભાવ ડાઉન ને લોકો અપ ! લોક-અપ!

ન ગમે એવી સ્યુગરકોટેડ વાસ્તવિકતા એ છે કે હવે જુદી રીતે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો નિયમ જ બધે કામ કરે છે. ટકી શકે તે ટકે, બાકી અટકે. એમાં મદદ થાય તે કરે, પછી એની પણ એક લિમિટ આવે. આ બધાંમાં લાગણી, મૂલ્યો, આદર્શની વાતો નામશેષ થઈ રહી છે એટલું નક્કી છે. એની ય કેટલીક ચિંતા કોઈ કરશે? એમાં પણ એમ જ માનવનું રહે કે જેનામાં પણ કૌવત હશે તે ટકશે, પછી એનો પણ લોપ થાય તો નવાઈ નહીં. જો સત્ય, પ્રેમ, કરુણા, પ્રમાણિકતા ન ટકે તો એમ જ માનવાનું રહે કે એની જરૂર જ નહીં રહી હોય. ઢોરને પણ એ બધાં વગર ચાલે જ છેને, એમણે ઓછું જ કૈં જીવવાનું છોડી દીધું છે? જેમ એ જીવે છે તેમ માણસો ય જીવશે.

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર” દૈનિક, 26 ઑક્ટોબર 2020; પૃ. 04

Loading

સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રહેશે : પ્રકાશ ન. શાહ

મુલાકાત : દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|27 October 2020

‘અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે. સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે’

(નવરંગપુરા, અમદાવાદના પોતાના નિવાસસ્થાને (પ્રકાશ બંગલો) હીંચકા પર ઝૂલતા પ્રકાશભાઈની 2018ના વર્ષમાં તેમના જન્મદિવસ નિમિત્તે લીધેલી તસવીર. તસવીરકાર : બિનીત મોદી)

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની પ્રમુખ પદની ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં વિજેતા બન્યા પછી પ્રકાશ ન. શાહે ‘દિવ્ય ભાસ્કર’ને પોતાની સૌપ્રથમ વિસ્તૃત મુલાકાત આપી હતી. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે પરિષદના વિકાસથી માંડીને સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મુદ્દે સંઘર્ષ અંગે તેમનાં આગામી આયોજનો અને રણનીતિ અંગે વિગતે વાતો કરી હતી.

• તમે અગાઉ અન્ય લોકો માટે ઉમેદવાર પદેથી ખસી ગયા હતા, તો આ વખતે એવું તે કયું જુનૂન સવાર થયું કે ઉમેદવારી માટે છેક સુધી મક્કમ રહ્યા?

પ્રશ્ન જુનૂનનો નહિ, દૃઢતાનો હતો અને છે. છેલ્લાં વર્ષોમાં બે-એક વાર મારું નામ સૂચવાયું ત્યારે જે સંજોગો હતા, એમાં મને વ્યક્તિગત ઉમેદવારી રૂપે દરમિયાન થવા જેવું લાગ્યું નહોતું. હું સ્વાયત્તતાના સંદર્ભે આંદોલનમાં સંકળાયો, તેના ભાગ રૂપે ટોપીવાળા ને સિતાંશુના સમર્થનમાં રહેવાનું નક્કી કરેલું. મારું નામ સૂચવનારાઓને આ મુદ્દે સમજાવેલા. આ વખતે જોયું કે અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ઝીંક ચાલુ રાખે એવી ઉમેદવારી નથી. એથી મને પૂછવામાં આવ્યું ત્યારે મેં હા પાડી. જો કે, આ ચર્ચા અગાઉ થઈ શકી નહોતી, એટલે થોડા મોડા પડ્યા હતા. અમે ચૂંટણીમાં ઝંપલાવવાનું વિચાર્યું ત્યારે હર્ષદભાઈ અને તેમના સાથીદારો – ડંકેશ ઓઝા અને કિરીટ દૂધાત વગેરેએ કામગીરી શરૂ કરી દીધી હતી.

બીજું કે હું નિર્ણય લીધા પછી પાછી પાની કરતો નથી. મેં મારા નિર્ણયની કસોટી હાર-જીત રાખ્યાં નથી. કરવા જેવું લાગે, તે હું હાર-જીતની પરવા કર્યા વિના કરું છું.

• આજે રાજ્ય-દેશની રાજકીય-સામાજિક-સાહિત્યિક પરિસ્થિતિમાં તમે તમારી જીતને કેવી રીતે જુઓ છો?

સામાન્ય રીતે રાજકીય પક્ષના અર્થમાં નહિ, પણ લોકશાહી સમાજના વ્યાપક દર્શન માટે ઊભા રહેવું, એવું મનોબંધારણ અને 40-50 વર્ષના જાહેરજીવનના સંધાનનું આ પરિણામ છે. અને સ્વાયત્તતા એ માત્ર કોઈ એકલદોકલ સંસ્થાનો સવાલ નથી, પરંતુ એકદંર અભિગમ અને આબોહવાનો સવાલ છે. એટલે લોકશાહી મોકળાશની માગણીની તરફેણમાં આ પરિણામ આવ્યું ત્યારે મને હરિકૃષ્ણ પાઠકની પંક્તિ યાદ આવે છે : ‘ઘેઘુર ઘેન મત્ત મહુડો ચુગે, ભળભાંખળું થયું છે, સૂરજ કદાચ ઊગે … તમે નોંધ્યું હશે કે ચૂંટણી લડનારાઓમાં હું અને હરિકૃષ્ણ સ્વાયત્તતા બાબતે પહેલેથી આગ્રહી રહ્યા છીએ, ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે, એમાં હું ઊંડે ઊંડે અક્ષરજીવન અને જાહેરજીવનની એક નિરામય મોકળાશના એંધાણ જોઉં છું.

• સાહિત્ય પરિષદના પ્રમુખ માટે એવું કહેવાય છે કે તેણે અધ્યક્ષીય પ્રવચન આપવા અને ‘પરબ’ના તંત્રીલેખ લખવાથી વિશેષ કશું કરવાનું હોતું નથી. તમે શું માનો છો અને શું કરવા ધારો છો?

વ્યાપક દર્શન અને એ માટેનું નેતૃત્વ, એ પરિષદ પ્રમુખનું દાયિત્વ છે. પ્રમુખે કશું કરવાનું નથી રહેતું, એમ કહેવામાં અતિશયોક્તિ અને અલ્પોક્તિ બન્ને છે. હા, હું માનું છું કે પરિષદ પ્રમુખને વહીવટી કામો સાથે ગોટવી ન દેવો જોઈએ. જાહેરજીવનમાં સાહિત્ય પરિષદ એ કંઈ ‘હી/શી ઓલ્સો રેન’ જેવી અમથી અમથી સંસ્થા નથી કે એ કિટી પાર્ટી પણ નથી, એની નક્કર હાજરી અને ભૂમિકા છે. એ અંગેની દિશા-દોરવણી, એ પરિષદ પ્રમુખનું પરમ કર્તવ્ય ગણાવું જોઈએ.

 • ‘પરબ’ના પ્રમુખીય(તંત્રીલેખ)માં તમારી આગવી ભાષા બરકરાર રહેશે કે તમે સરળ ભાષા અપનાવશો?

મારી ભાષા જુદી છે, એથી સરળ નથી, એવું નથી. મારી વાત લોકો સુધી પહોંચે છે. વળી, હાલના પ્રમુખ સિતાંશુની ભાષા લોકો સુધી પહોંચી હોય તો પ્ર.ન. શાહની ન પહોંચવાનું કોઈ કારણ નથી. ભાયાણીસાહેબ કહેતા કે તમારી આ જે ભાષા છે, તે કોઈ પણ કહે તો છોડશો નહીં, કેમ કે, એમાં ગુજરાતી છાપાની પ્રિડાઇજેસ્ટેડ ફૂડ જેવી ભાષા કરતાં એક જુદી જ સોડમ છે.

• છેલ્લાં વર્ષોમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દે તમે નેતૃત્વ લીધેલું છે. પ્રમુખ તરીકે સ્વાયત્તતાના મુદ્દે સંઘર્ષ હવે કોઈ નવું સ્વરૂપ ધારણ કરશે?

આમાં બે-ત્રણ વસ્તુ છે. પહેલું કે એને હું સંઘર્ષ કહેવાની ઉતાવળ નહીં કરું. સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રાખવાનું રહેશે. આ લડતને મેં આંતરબાહ્ય સ્વાયત્તતા માટેની લડત તરીકે જોઈ છે, જે કદી પૂરી થતી નથી અને પ્રેમની જેમ સતત સાધ્ય કરવી રહે છે. બીજું ગુજરાતમાં એટલું થયું કે પરિષદની ચૂંટણીમાં સ્વાયત્તતાના મુદ્દે પ્રમુખ પદ શક્ય બન્યું. સરકારને આ અંગે એકથી વધુ વાર કહેવાનું બન્યું છે. વળી, અકાદમીમાંથી સાહિત્યકારોનાં રાજીનામાં પડ્યાં છે, તેમ છતાં સરકારની પોતાની સંવેદનશીલતા અને વ્યાપક જનજાગૃતિ ઓછાં પડે છે, એટલે એ દિશામાં વધારે સક્રિય રહેવું પડશે. હકીકતે થોડા મહિના પર સિતાંશુ યશશ્ચંદ્રના નેતૃત્વમાં પાલનપુર – પ્રસ્તાવમાં અમે રોડમેપ નિર્ધાર્યો હતો, પણ કોરોનાને કારણે એમાં આગળ વધાયું નથી, એમાં વહેલી અનુકૂળતાએ એ દોર સાંધી લઈશું. પાલનપુર પ્રસ્તાવ મુજબ પરિષદ સ્વાયત્તતાના મુદ્દે લડતને આગળ ચલાવાશે.

• પરિષદ પ્રમુખ તરીકે તમારું ફોકસ પરિષદનો વિકાસ રહેશે કે અકાદમી મુદ્દે સંઘર્ષ?

સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે. અક્ષરજીવન અને જાહેરજીવન ભેગા મળે, એ સંગમભૂમિ પર પરિષદે પોતાની હાજરી અને વજૂદ પુરવાર કરવાનાં છે, એટલે એને પરિષદના ચાલુ કામમાંથી જુદા પાડીને જોવાની જરૂર નથી. એ સાથે લોકો અને સાહિત્ય વચ્ચે એક પ્રકારે પારસ્પર્ય વિકસે, વિસ્તરે અને વિલસે એ જોવાની અમારી કોશિશ રહેશે.

• પરિષદની નિયમિત પ્રવૃત્તિઓ સિવાય તમે કઈ કઈ નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા ધારો છો?

સૌથી પહેલાં તો નિયમિત પ્રવૃત્તિઓને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ રહેશે. પરિષદ પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ તેની નોંધ લેવાતી નથી. એ માટે અમે મીડિયાનો પણ સહયોગ ઇચ્છીએ છીએ. આવનારા સમયમાં અમે પ્રવૃત્તિઓને વેગ આપીશું અને વધુ ને વધુ લોકોને સાંકળવા પ્રયાસો કરીશું.

• ડિજિટલ-સોશિયલ મીડિયાના યુગમાં પરિષદની બદલાયેલી ભૂમિકાને કેવી રીતે જુઓ છો?

પરિષદની પોતાની વેબસાઇટ તો ઘણાં વર્ષોથી છે. તાજેતરમાં વેબપત્રિકા શરૂ કરી છે. નવા લોકો સુધી પહોંચવા માટે નવાં નવાં માધ્યમોને વધારે અજમાવીશું.

• પરિષદને યુવાનો માટે પણ ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવા માટેની તમારી કેવી રણનીતિ રહેશે?

સોશિયલ મીડિયા અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ થકી યુવાનોનો સંપર્ક વધારીશું. પરિષદના કાર્યક્રમોમાં યુવાનોનું ઇન્ટરેક્ટિવ પાર્ટિસિપેશન થાય, એવી અમારી કોશિશ રહેશે.

• પરિષદ સામેનો સૌથી મોટો પડકાર આર્થિક છે. પરિષદના આર્થિક પ્રશ્નો ઉકેલવા માટે તમે કેવા ઉપાયો અજમાવશો? તમે આ અંગે કોઈ ઉકેલ વિચાર્યા છે?

પરિષદનો વહીવટ એકંદરે સીમિત સાધનોથી ચાલે છે. જાહેર સંસ્થાઓમાં સરકારના અનુદાનનો નિયમસર મળવાપાત્ર હિસ્સો મોડો અને અનિયમિત પહોંચતો હોય એવો અનુભવ છે, એમાં પરિષદ પણ બાકાત નથી. લોકસહયોગ તથા બિનસરકારી સહાય મેળવવા માટે અમારી કોશિશ રહેશે. પરિષદે સ્વાયત્તતાના મુદ્દે જે સહજ સ્ટેન્ડ લીધું, એને પગલે અકાદમી મારફત મળતો આર્થિક ટેકો એણે જતો કર્યો છે. આ એક એવો નૈતિક નિર્ણય છે, જેની કદર મહાજન ગુજરાત મોડા-વહેલા પણ કરશે અને હાલના ટેકાને વધુ સુદૃઢ કરશે, એવી અમને ઉમેદ છે. સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કે પાલનપુરના વિદ્યામંદિરે તાજેતરનાં વર્ષોમાં પરિષદનાં સત્ર કે અધિવેશન અંગે જે જવાબદારી નિભાવી, તેમાં ગુજરાતની ઉજમાળી પરંપરાના દર્શન થાય છે.

• દલિત-આદિવાસી-નારીવાદી-ડાયસ્પોરા સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે તમે શું શું કરવા માગો છો?

તમે જોશો તો છેલ્લાં વર્ષોમાં આ તમામ માટે કંઈ ને કંઈ વિભાગીય કામગીરી પરિષદ દ્વારા કરવામાં આવી છે. આવાં ઉપક્રમોને વધારે સઘન અને વ્યાપકપણે ચલાવવાની કોશિશ કરીશું.

નર્મદે એના સમયમાં પ્રશ્ન પૂછેલો કે ‘કોની કોની છે ગુજરાત …’ પછી એણે જ જવાબ આપેલો, ‘સૌની છે ગુજરાત …’ સૌની ગુજરાતમાં જવાબ શોધવાનો આપણા સમયનો વિશેષ મેન્ડેટ છે. આ સમય ખરા અર્થમાં જનયુગ છે.

• પરિષદના વહીવટમાં પારદર્શકતા આવે, એ માટે લોકપાલ-તટસ્થ ઓડિટ જેવી કોઈ કામગીરી તમારા એજન્ડામાં છે?

પરિષદમાં નિયમિતપણે ઑડિટ થાય છે, એટલે અત્યારે ઑડિટ નથી થતું, એવો પ્રશ્ન નથી. બધા મિત્રોને ઠીક લાગે તો મારા મતે કોર્પોરેટ અને અન્ય ક્ષેત્રોની જેમ સોશિયલ ઑડિટ કરાવવાનો વિચાર કરવો જોઈએ. હું પદભાર સંભાળું પછી, સાથીઓ, મધ્યસ્થ સમિતિ, ટ્રસ્ટી ગણ વગેરે સાથે પરામર્શ કરીને પછી આ અંગે નિર્ણય લેવાનું બની શકે.

(તા. 25 ઑક્ટોબર, 2020ને રવિવારના ‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિના સિટી ભાસ્કરના પ્રથમ પાને પ્રકાશિત ઇન્ટરવ્યૂ. સ્થળસંકોચને કારણે અખબારમાં સમગ્ર મુલાકાત પ્રકાશિત થઈ શકી નહોતી, તેને અહીં વાંચકો માટે ઉપલબ્ધ કરાવી છે.)

http://samaysanket.blogspot.com

સૌજન્ય : “સમયસંકેત”, 26 ઑક્ટોબર 2020

Loading

...102030...2,1462,1472,1482,149...2,1602,1702,180...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved