Opinion Magazine
Number of visits: 9680528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૮૨-મા જન્મદિવસે

સુમન શાહ|Opinion - Opinion|1 November 2020

= = = =  સાહિત્ય-કલાને વરેલા સર્જકનો, એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. મારો અનુભવ તો એમ કહે છે કે એકલતાને વધારે સારી રીતે ઓળખી શકાય છે … એકલતા અને સહભાગીતાનો આ ખેલ, અંદરનો છે. મેં એને જીવનભર, પ્રામાણિકતાથી ખેલવાની કોશિશ કરી છે = = = =

= = = = જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યકલાનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે = = = =

આજે મને ૮૧ પૂરાં થયાં ને ૮૨-મું બેઠું છે. અનેકો તરફથી હૅપિ બર્થડેની વિશિઝ અને શુભેચ્છા-સંદેશ મળી રહ્યા છે. સૌનો આભારી છું.

મારા ૭૫-મા વર્ષે ‘અમૃતપર્વ’ ઉજવણી રૂપે તારીખ ૨૩ માર્ચ ૨૦૧૪ના રોજ ‘સુમન શાહ–સર્જકપ્રતિભાવિશેષ’ શીર્ષકથી એક પરિ  સંવાદનું આયોજન કરવામાં આવેલું.

તે સમયના મારા અને અન્યોના એ સંયુક્ત ભાવજગતની આજે ૬ વર્ષે ભરપૂર યાદ આવી રહી છે.

એ પ્રસંગે, મેં ’૭૫-મે મારી મનોભાવના’ શીર્ષકથી એક વક્તવ્ય આપેલું.  વક્તવ્યના કેન્દ્રમાં મુદ્દો હતો, ’સાહિત્યમાં સહભાગીતા’. એ મેં એ મિત્રો આગળ રમતો મૂકેલો એમ એને આજે અહીં FB-ના મિત્રો સામે મૂકવાનું મને ગમ્યું છે, સમુચિત લાગ્યું છે :

= = = એકલતા અને સહભાગીતા = = =

નમસ્કાર. મિત્રો, મારી તમારી સાથે અને તમારી મારી સાથે પહેલવહેલી ઓળખાણ જે થયેલી તે શબ્દથી થયેલી. રાજુ ( રાજેન્દ્ર પટેલ), જયેશ (ભોગાયતા), પારુલ (કંદર્પ દેસાઈ) કે વિનોદથી (જોશી) માંડીને આ સભામાં બેઠેલાં ઘણાં સાથેનો એ પહેલો શબ્દ-પ્રસંગ મને બરાબર યાદ છે. એમને પણ યાદ આવશે. એ દરેક પ્રસંગ વિશે કહેવા બેસું તો બહુ સમય જાય. કોઈની સાથેનો રહી પણ જાય –એ ઠીક નહીં.

પણ કહું કે આપણી ઓળખાણ કરાવનાર એ શબ્દ મારો તો હતો જ પણ તમારો પણ હતો. એ બોલાયેલો હતો, લિખિત કે પ્રકાશિત હતો, પણ સાહિત્યવિષયક હતો, સાહિત્યપરક હતો, સાહિત્યિક હતો. મોટી વાત એ છે કે એવા શબ્દથી થયેલી આપણી ઓળખાણ વર્ષોથી ટકી છે, વિકસી છે. એથી ઊભો થયેલો આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે. એમાં કશું ઇદમ્ તૃતીયમ્ નથી ઘૂસી શક્યું. એવાં આપણે મારા-તમારા શબ્દ સાથે જોડાવાને આજે ભેગાં મળ્યાં છીએ એ વાતનો મને અનેરો આનન્દ છે.

હું ૫૫ (હવે ૬૦) વર્ષથી લખું છું. ૨૦ વર્ષની ઉમ્મરથી. ૭૫-થી (હવે આશરે ૮૦) વધુ પુસ્તકો થયાં છે. પણ જેને “છેલ્લું નૉંધપાત્ર” પુસ્તક કહી શકાય એ હજી નથી થયું. એ નહીં થાય. કેમ કે હું છેલ્લે લગી લખતો રહેવાનો છું.

જુઓ, આ લખવાની કે વાંચવાની વાતને અન્ત નથી. ન હોવો જોઇએ. પણ જે લખાય તેમાંથી એક સમજ જરૂર ઊભી થાય છે; થવી જોઈએ. જે વંચાય તેમાંથી પણ એક સમજ હમેશાં ઊભી થાય છે; થવી જોઈએ. ધ્યાનથી જોઈશું તો દેખાશે કે આ સમજને આદિ મધ્ય ને અન્ત પણ છે  – અ સૉર્ટ ઑવ કમ્પ્લીટનેસ ! વધારે ધ્યાનથી જોઇશું તો જણાશે કે આ સમજથી માંહ્યલાને, કહો કે સમગ્ર અસ્તિત્વને, સારું લાગતું હોય છે. કહેવાનો મતલબ, જો લેખન અને વાચન કીમતી વસ્તુઓ છે, તો એમાંથી ઊભી થયેલી સમજો પણ એટલી જ કીમતી છે. એટલે, જો આપણે આપણી સમજોની આપ-લે કરીએ, આપણી સમજોનાં સહભાગી થઈએ, તો મને લાગે છે, સાહિત્યની આખી વાતને ઘણી જ ઘણી દમદાર અને અર્થપૂર્ણ બનાવી શકીએ.

તો એ માટે શું કરવું જોઇએ? આપણે એકબીજાંની ‘નજીક’ આવવું જોઇએ  — જેમ આજે આવ્યાં છીએ ! હું મારી સમજ લઇને આવું, તમે તમારી સમજ લઇને આવો. બન્ને વચ્ચે આપણે સામંજસ્ય ઊભું કરીએ. એવું સામંજસ્ય જેથી આપણી વચ્ચે સહભાગીતા નામનો સેતુ રચાય. એવો સેતુ જેનો વારંવાર ઉપયોગ કરવાથી નિરન્તરની સહભાગીતાની સંરચના કરી શકાય. ગુજરાતી સાહિત્યક્ષેત્રે સર્વસામાન્ય સ્વરૂપની સહભાગીતા-ભૂમિકા નથી એમ નથી. પણ આજે આપણે એને મારે નિમિત્તે આપણી રીતે વિધિવત્ પ્રગટાવવાને એકત્ર થયાં છીએ.

જુઓ, મને સૌથી વધુ આનન્દ આવ્યો છે જ્યારે તમે કે કોઇએ પણ મારી સાથે મારા કોઈ લેખન અંગે વાત કરી છે — ભલે વખાણ કે ટીકા. પણ ત્યારે એમાં તમારી કે એ કોઈની સમજ વ્યક્ત થઈ હોય. સામે મેં જે કંઇ કહ્યું હોય તેથી મારી સમજ વ્યક્ત થઈ હોય. એક ‘સંવાદ’ ચાલુ થઈ ગયો હોય. એવી સહભાગીતાથી એક સંભાષા પ્રગટી હોય — એક ઇન્ટરઍક્શન. આ મને બહુ ગમ્યું છે. કેમ કે એથી બન્નેને સુધારાવધારાની ખબરો પડવા લાગે છે – એમ કે, એનું એને અને મારું મારે શું બદલવાજોગ છે, શું નવું દાખલ કરવાજોગ છે.

આજે હું મારા પહેલા વાર્તાસંગ્રહ ‘અવરશુકેલુબ’— કાળનો વાર્તાકાર નથી રહ્યો. પાંચમા સંગ્રહ લગીમાં — ‘નો આઇડીઆ? ગેટ આઇડીઆ’ લગીમાં — (હવે છઠ્ઠા ‘ઢીસૂમ્ ઢીસૂમ’ લગીમાં) હું ઘણો જ ઘણો બદલાયો છું. મારાં વિવેચનો સરળથી સરળ બનવા માંડ્યાં છે — બીજાઓને પણ એમ લાગે છે. મારાં વ્યાખ્યાનો વધારે આસ્વાદ્ય બન્યાં છે. આ તમામ પરિવર્તનોનાં અનેક કારણોમાંનું એક કારણ સહભાગીતા છે. જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યકલાનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે.

બાકી, જીવનને વિશેની સમજને કારણે મને હમેશાં લાગ્યું છે કે હું એકલો છું. તમે જાણો છો કે સાહિત્ય-કલાને વરેલા સર્જકનો, એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. મારો અનુભવ તો એમ કહે છે કે એ એકલતાને વધારે સારી રીતે ઓળખી શકાય છે. એવી ઓળખથી મને નવું લખવાનું — નવું એટલે કે સુધરેલું લખવાનું — વધારાનું બળ મળે છે. એકલતા અને સહભાગીતાનો આ ખેલ, અંદરનો છે. મેં એને જીવનભર પ્રામાણિકતાથી ખેલવાની કોશિશ કરી છે. એટલે આજે તમે મારે વિશે જે કંઈ કહેશો એને હું એવા સહભાગ રૂપે વધાવી લઈશ.

મેં કહ્યું કે આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે, એ વાતનો મને આનન્દ છે. કોઈ વી.સી. હતા, છો કે હશો. એનો આનન્દ ઑર છે. મોટા ભાગનાં, મારાં વિદ્યાર્થીઓ હતાં. આજે અધ્યાપક, આચાર્ય કે ડિરેક્ટર છો એનો આનન્દ એથીયે ઑર છે. હું ગુરુ-શિષ્ય પરમ્પરામાં જરૂર માનું છું. પણ એ સમ્બન્ધને આ રીતે ઘટાવું છું : હું ચેલા ન મૂડું. પાલખી ઊંચકવા કે ધજા ફરકાવવા ન કહું. મારો વિદ્યાર્થી કાયમ મારી આંગળી પકડીને ચાલે એ મને બિલકુલ ગમ્યું નથી. કોઇ ખભે ચડીને ગાજે એ જરૂર ગમે. પણ કોઇ માથે ચડી વાગે એ ન ગમે. એવો એ જો બે વાત પૂછતો આવે તો એની સાથે જ્ઞાનવારતા જરૂર કરું, હેતથી કરું. મેં તો હમેશાં કહ્યું છે, મારામાં તમને તમારા-જોગું કંઈ દેખાતું હોય, તો તેને લૂંટી લો. એવું પણ ખરું કે હું એને સમોવડિયો ગણું છું બલકે ગુરુ ગણું છું. એની પાસેથી પણ શીખવાની હૉંશ રાખું છું. ઘણા પાસેથી કંઈ ને કંઈ શીખ્યો પણ છું. ટૂંકમાં, મારી સમજમાં જો હું એક વ્યક્તિ છું તો મારો વિદ્યાર્થી પણ એક વ્યક્તિ છે. ગુરુ-શિષ્ય—સમ્બન્ધની ભૂમિકા, મારી નજરમાં, જેટલી આદરની નથી એટલી પરસ્પરના સ્વીકાર અને પ્રેમની છે.

વિદ્યાર્થી સિવાયનાં જે મિત્રો છે તેમની પાસે પણ મેં જેટલો આદર નથી માગ્યો એટલો પ્રેમ માગ્યો છે. ક્યારે ય મેં કોઇ ગ્રૂપ નથી બનાવ્યું કેમ કે હું પોતે કોઇના ગ્રૂપમાં નથી. ક્યારે ય મેં મુખિયા બનીને વડપણ નથી દાખવ્યું કેમ કે એવું વડપણ, હું બહુ પહેલેથી માનું છું કે, સાહિત્યના વિકાસમાં બાધા બને છે. મારા વિચારો કે મન્તવ્યો બાબતે હું મારી જાત સાથે ભારે આગ્રહી છું પણ ક્યારે ય મેં એને બીજાંઓ પર થોપ્યાં નથી. ક્યારે ય મેં કોઈને મારું પુસ્તક વાંચવા કે એ વિશે બે શબ્દ લખવા કહ્યું નથી.

હું માનું છું કે આપણે સૌ આજે પણ એ સ્વસ્થ સમ્બન્ધની ભૂમિકાએ ઊભેલાં છીએ. એ સ્વસ્થતાએ જ તમને આ પ્રેમપ્રસંગ રચવાને પ્રેર્યાં છે. આ કોઇ સંસ્થાકીય કાર્યક્રમ નથી. આ તો તમારા સૌના અન્તરમાં સ્વયં સ્ફુરેલી પ્રેરણાનું પરિણામ છે. એ હકીકતનું મારે મન ભારે મૂલ્ય છે અને બીજાં બધાંને પણ હોવું ઘટે છે. તમે સૌ દૂર દૂરથી આવ્યાં છો, મારે વિશે વક્તવ્ય કરવાનું અને સંવાદ કરવાનું સ્વીકાર્યું છે. આખો દિવસ કાર્યક્રમ ચાલવાનો છે. એ સઘળી વાત માટે હું તમારા સૌનો ખૂબ અહેસાનમંદ છું.

જાણ્યું ત્યારથી લાગ્યા કર્યું છે કે આ મારે વિશેનો નહીં પણ સુમન શાહ નામના કોઇ શખ્સને વિશેનો ખટલો છે, ટ્રાયલ, અને હું એમાં વિટનેસ કે ઑબ્ઝર્વર છું, સાક્ષી છું. મને પૂછવામાં આવે ત્યારે મારે હકીકતો કહેવાની છે. જુબાની રૂપે જે બોલાય એ બોલવાનું છે. હું ખૂબ ખૂબ ખુશ છું. થૅન્ક્યુ વૅરિ મચ. આભાર.

+++++

આ પરિસંવાદ યોજેલો મારાં વિદ્યાર્થી-અધ્યાપકો, વિદ્યાર્થી-આચાર્યો, વાર્તાકારમિત્રો અને સાહિત્યકારમિત્રોના સહયોગમાં રાજેન્દ્ર પટેલ, જયેશ ભોગાયતા અને પારુલ કંદર્પ દેસાઇએ.

Photo collage: Courtesy: Nisarg Ahir

સવારના ૯.૩૦થી સાંજના ૬.૧૫ સુધી ચાલેલા આ પરિસંવાદમાં મિત્રો ચિનુ મોદી, ભાગ્યેશ જ્હા, રતિલાલ બોરીસાગર ઉપસ્થિત રહેલા.

અજય ઓઝા, ગંભીરસિંહ ગોહીલ, ઉષા ઉપાધ્યાય, લતા હીરાણિ મિત્રોએ શુભેચ્છાસંદેશ મોકલેલા. સંજોગવશાત્ વક્તાઓ હસિત મહેતા, દક્ષેશ ઠાકર અને દીપક રાવલ ન્હૉતા આવી શક્યા.

અમદાવાદ ઉપરાન્ત વડોદરા, રાજકોટ, સૂરતથી મિત્રો આવેલા. માય ડીયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર, વિપુલ વ્યાસ, અભિમન્યુ આચાર્ય, હસમુખ રાવલ, દીવાન ઠાકોર, સંજય ચૌહાણ, સંજય ચૌધરી કે જયશ્રી જોષી સહિત ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના વાર્તાકારમિત્રો આવેલા.

કિરીટ દૂધાત, કનુભાઈ આચાર્ય, સલીમ, કિશોરી ચંદારાણા, દીનાબેન, અજિત મકવાણા, હરીશ ધોબી, નરેશ વાઘેલા, પ્રેમજી, કનુ ખડદિયા, સંજય મકવાણા, વિપુલ પુરોહિત, હિમ્મત ભાલોડિયા, ભાવેશ જેઠવા કે લાભુ આવ્યા પણ જેમને ચહેરેથી ઓળખું પણ નામથી ન જાણું એવા અનેક સાહિત્યરસિકો પણ આવેલા.

વક્તાઓ રાજેન્દ્ર પટેલ, વિનોદ જોશી, અજય રાવલ, જયેશ ભોગાયતા, પારુલ કંદર્પ દેસાઇ, જગદીશ ગુર્જર, નરેશ શુક્લ, મણિલાલ હ. પટેલ, બળવંત જાની, કિશોર વ્યાસ, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને જિતેન્દ્ર મૅકવાને મારા સાહિત્યમાંથી જુદા જુદા મુદ્દા લઇ વ્યાખ્યાનો કરેલાં.

દરેક વક્તાએ તેમ જ પી.જે. પટેલ, દીપક પણ્ડ્યા, ભરત મહેતા અને ઉમા ચૌધરીએ મારી સાથેનાં સંસ્મરણો રજૂ કરેલાં. જિતેન્દ્ર મૅક્વાન, નિ સર્ગ આહીર, ભરત સોલંકી, અજય રાવલ અને જયેશ ભોગાયતાએ બેઠકોનું સંચાલન કરેલું.

મારી સાથેના ‘સંવાદ’ની બેઠકમાં મણિલાલ હ. પટેલ, અજય રાવલ, અજયસિંહ ચૌહાણ, દલપત ચૌહાણ, રામ મોરી, નરેશ શુક્લ, કપડવણજથી આવેલા ભાઈ (નામ યાદ નથી રહ્યું ), ભરત સોલંકી, માય ડીયર જયુ, જયેશ ભોગાયતા અને ભાષા-સાહિત્ય ભવનનાં મારાં કુલિગ મિત્ર રંજના હરીશ –સૌએ મને પ્રશ્નો પૂછીને મારી સાથે સંવાદ કરેલો.

મૉડેથી પણ સંભારીને આવેલા મિત્ર રઘુવીર ચૌધરીએ શુભેચ્છા-વક્તવ્ય કરેલું.

મારી ‘સોમપ્રસાદ, મંગળપ્રસાદ, બુદ્ધિપ્રસાદ’ વાર્તાનું નિ સર્ગ આહીર, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, સાગર શાહ અને છાયા ત્રિવેદીએ ‘વાચિકમ્’ કરેલું. ‘ગુર્જરી ગિરાતીર્થ’ શીર્ષકથી નિસર્ગ આહીરે મારી સમગ્ર કારકિર્દીના અનુલક્ષમાં લેખ કરેલો, ઉપરાન્ત, મારા જાહેર અને પારિવારિક અનેક ફોટોગ્રાફ્સની દૃશ્યાવલિ રજૂ કરેલી. પાર્શ્વ પ્રકાશનના માલિક, મારા આજીવન પ્રકાશક અને ભાઈ સમા બાબુભાઈ શાહે મારાં પુસ્તકોનું પ્રદર્શન કરેલું.

આ સૌ મિત્રોનો મેં આભાર માનેલો. આજે એમનો તેમ જ તમારા સૌનો પણ આભારી છું.

= = =

(November 1, 2020: Peoria, IL, USA)

Loading

સોશ્યલ મીડિયા અને રાજકારણ એટલે શાંત પડેલા અજગરની ફૂંફાડા વગરની ભીંસ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 November 2020

કમનસીબે સોશ્યલ મીડિયાનો પાવર રાજકારણીઓના હાથમાં છે મતદારોના હાથમાં નથી અને માટે જ સોશ્યલ મીડિયા અને રાજકારણની રમતમાં પારદર્શિતા જેટલી વર્તાય છે એટલી નથી એ સ્વીકારવું રહ્યું.

આમ તો આ અઠવાડિયામાં પણ એ બધું થયું જે આ વર્ષમાં શરૂ થયું છે. પણ આ બધાની વચ્ચે ફેસબૂક ઇન્ડિયાનાં પોલિસી હેડની ફરજ બજાવતાં અંખી દાસે છેલ્લા બે મહિનાથી ચાલતી માથાકૂટને પગલે રાજીનામું આપી દીધું છે. અંખી દાસનાં નામથી લોકો ઑગસ્ટમાં પરિચિત થયા. ‘વૉલ સ્ટ્રીટ જરનલ’માં આવેલા રિપોર્ટ અનુસાર ફેસબૂક પર ભા.જ.પા.ના એક નીતિ ઘડવૈયા સમા સિનિયર સભ્યએ મુસ્લિમ વિરોધી ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. ‘વૉલ સ્ટ્રીટ જરનલે’ જ્યારે આ પોસ્ટ અંગે સવાલ ઉઠાવ્યા ત્યારે આ પોસ્ટ ફેસબૂક દ્વારા જ ડિલીટ કરી દેવાઇ હતી. સોશ્યલ મીડિયા પર ‘હેટ સ્પીચ’ ફેલાવવાના ભા.જ.પા.ના ઇરાદાને ફેસબૂકે હળવાશથી લીધો હોવાનો આક્ષેપ ‘વૉલ સ્ટ્રીટ જરનલ’ દ્વારા મુકાયો અને અખબારે એવો આક્ષેપ પણ મૂક્યો કે ફેસબૂક ઇન્ડિયાનાં પૉલિસી હેડ અંખી દાસ શાસક પક્ષ તરફી છે અને તેમણે આવું જાણી જોઇને થવા દીધું હતું. આ પોસ્ટ બાદમાં ડિલીટ તો થઇ પણ અંખી દાસે આ પોસ્ટ ડિલીટ ન થવી જોઇએ તેમ તેમના કર્મચારીઓને કહ્યું હતું. રિપોર્ટ અનુસાર અંખી દાસે કર્મચારીઓને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના પક્ષનાં રાજકારણીઓ દ્વારા કોઇ નિયમોનો ભંગ થયો હોય અને જો તેમની સામે પગલાં લેવાશે તો કંપનીના બિઝનેસ પર અસર થવાની શક્યતા છે.

જો કે ફેસબૂકે આ આક્ષેપને રદિયો આપ્યો અને કહ્યું કે તેઓ કોઇ પણ પક્ષને ટેકો નથી આપતા. જો કે આ વિવાદને પગલે ફેસબૂકને માટે સંજોગો કપરા થઇ ગયા અને ભારતની સંસદીય સમિતિએ ફેસબૂકના ઇન્ડિયા બિઝનેસ હેડ અજીત મોહનની પૂછપરછ કરી હતી. મંગળવારે અજીત મોહને સ્ટેમેન્ટ આપ્યું કે અંખી દાસે પોતાના પદ પરથી ‘જાહેર હિત’ને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. અંખી દાસના સ્થાને શિવનાથ ઠુકરાલની નિમણૂંક થઇ છે જે વૉસ્ટએપના પબ્લિક પૉલિસી ડાયરેક્ટર છે. એવો ગણગણાટ છે કે તે પણ ભા.જ.પા. તરફી છે. આ આખી ઘટનામાં આમ તો ઘણું બધું છે પણ મહત્ત્વની વાસ્તવિકતા એ છે કે સોશ્યલ મીડિયા અને રાજકારણની આંટી ઘૂંટી આપણે ધારીએ તે કરતાં કંઇક ગણી વધારે છે.

રાજકારણમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ જે રીતે થતો આવ્યો છે તેની પર અનેક વિવાદો અને ચર્ચાઓ થઇ છે. ભા.જ.પા.નું કેન્દ્રમાં આવવું અને બીજી ટર્મ માટે ત્યાં રહેવું તેમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ જ મોટો ફાળો છે. તમને ૨૦૧૪ની આસપાસનાં વૉટ્સએપ મેસેજિઝ અને રેકોર્ડેડ ફોન કૉલ્સ તો યાદ હશે જ. બિહાર ઇલેક્શન માટે પણ સોશ્યલ મીડિયાનો ઉપયોગ ભા.જ.પા. દ્વારા કરવામાં આવ્યો. બિહાર ભા.જ.પા.ના ૨૩ નેતાઓ ફેસબૂક અને ટ્વિટર પર વેરિફાઇડ એકાઉન્ટ ધરાવે છે. સોશ્યલ મીડિયા અને મેઇન સ્ટ્રીમ મીડિયા વચ્ચેની કડી એ કામ કરે છે કે ભા.જ.પા.ના નેતાઓ જે પણ પોસ્ટ કરે તે મેઇન સ્ટ્રીમ મીડિયા દ્વારા સમાચારના સ્વરૂપે સ્વીકારાય અને પ્રકાશિત કરાય. આમ કરવાથી એક જ પાર્ટીનાં નેતાઓની હાજરી એકથી વધારે માધ્યમો અને પ્લેટફોર્મ્સ પર વધારે દેખાય. બીજા પક્ષની વાત કરીએ તો આર.જે.ડી.ના પાંચ સિનિયર નેતા, લાલુ પ્રસાદના પરિવારનાં પાંચ સભ્યોના સોશ્યલ મીડિયા પર વેરિફાઇડ એકાઉન્ટ છે. એકાઉન્ટ વેરિફિકેશન કે બ્લુ ટિક મળવું એ કોઇપણ પબ્લિક ફિગર માટે મોટી વાત છે અને એમાં અમુક સંખ્યામાં ફોલોઅર્સ વગેરે તો માપદંડ છે જ પણ ઓળખાણ અહીં પણ કામ કરી જાય છે. જે રીતે વેરિફાઇડ એકાઉન્ટની સંખ્યામાં પાર્ટી અનુસાર અસંતુલન છે એ પણ જોવા જેવી બાબત છે. જો કે એક રિપોર્ટ અનુસાર ટ્વિટરનાં પ્રવક્તાએ કહ્યું હતું કે જે તે એકાઉન્ટ લોકો સાથે કેટલું ઇન્ટરેક્શન કરે છે તેને આધારે જ વેરિફિકેશન થતું હોય છે, તેમના રાજકીય વિચારોને આધારે નહીં. ભા.જ.પા.એ બિહાર ઇલેક્શન માટે એક લાખથી વધુ વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યા છે તો કૉન્ગ્રેસનાં તો માંડ ૩,૮૦૦ ગ્રૂપ્સ છે. ભા.જ.પા.એ વૉટ્સએપ ગ્રૂપ માત્ર ઉપલા સ્તરે નહીં પણ પંચાયત સ્તરે પણ બનાવ્યા છે અને તેનું સંચાલન કરવા દસ હજાર જેટલા લોકોને કામે લગાડાયા છે.

આ તો આપણા દેશનું અને એ પણ તાજી ચૂંટણીને લગતું એક ઉદાહરણ છે પણ રાજકારણમાં ઝંપલાવનારાઓને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોનો ઝુકાવ બદલતા સારી પેઠે આવડે છે. રાજકારણીઓનું જાહેર જનતા માટે આ રીતે સરળતાથી ઉપલબ્ધ હોવું સોશ્યલ મીડિયાને કારણે જ શક્ય બન્યું છે. યુ.એસ.એ.માં પણ રાજકારણ માથે છે અને ત્યાં પણ સોશ્યલ મીડિયા પર અપાતી ખોટી માહિતી, ફેક ન્યૂઝ અને નુકસાનકારક એજન્ડાઓની માથાકૂટ ઓછી નથી. ૨૦૧૬માં રશિયન ઓપરેટિવ્ઝે સોશ્યલ મીડિયા પર ખોટી માહિતીઓ ફેલાવીને યુ.એસ. પ્રેસિડેન્શિલ ઇલેક્શન પર ખોટી અસર કરવામાં મોટો ફાળો ભજવ્યો હતો. હજી પણ દખલગીરી કરનારા આવા વિદેશી તત્ત્વોની કોઇ ખોટ નથી. યુ.એસ.એ.માં પણ જમણેરી ગ્રૂપ્સ અત્યારે એક્ટિવ છે અને આ ચૂંટણીની પ્રામાણિકતા પર શંકા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમનું કામ બ્રાન્ડ્ઝને પ્લગ ઇન કરવાનું હોય છે તેમને પણ રાજકીય ઝુકાવ દર્શાવવાનું દબાણ થઇ રહ્યું છે. કોઇ શાસક પક્ષની વિરોધી ટિપ્પણી કરે તો તેને ધમકીઓ આવવા માંડે છે અને જો કોઇ મહિલા ઇન્ફ્લુએન્સર રાજકારણ કે અર્થશાસ્ત્રની વાત કરે તો તેને પણ સોશ્યલ મિડીયા પર ટ્રોલ કરવામાં આવે છે. આ તરફ યુ.એસ.એ.માં કોર્પોરેટ કંપનીઝ પર પણ દબાણ છે કે તેઓ પોતાના કર્મચારીઓની સોશ્યલ મીડિયા પોસ્ટ પર નજર રાખે. અભિવ્યક્તિની સ્વતંત્રતા સોશ્યલ મીડિયાને કારણે વધી હોવા છતાં આ જ માધ્યમો પર નિયંત્રિત થઇ રહી છે અને તે પણ રાજકીય દબાણોને કારણે. બીજી તરફ ધિક્કાર ફેલાવવામાં પણ આ માધ્યમોનો જ ઉપયોગ કરાય છે. આ બધી હિલચાલ અને હોબાળાને પગલે ધ્રુવીકરણનાં પડકારો દિવસે દિવસે વધી રહ્યાં છે. કોઇ પણ રાષ્ટ્રના યુવાનો પર પ્રભાવ પાડવો હોય તો સોશ્યલ મીડિયા સૌથી અકસીર માધ્યમ છે જેમાં કોઇ મિનમેખ નથી. કમનસીબે તેનો પાવર રાજકારણીઓના હાથમાં છે આમ જનતાના હાથમાં નથી, મતદારોના હાથમાં નથી અને માટે જ સોશ્યલ મીડિયા અને રાજકારણની રમતમાં પારદર્શિતા જેટલી વર્તાય છે એટલી નથી એ સ્વીકારવું રહ્યું.

બાય ધી વેઃ

હાલમાં તો ચૂંટણી પંચ એમ જ માને છે કે કોઇ ઉમેદવાર પોતાના પ્રચાર પ્રસાર માટે જે ફંડ ધરાવે તેમાં જ સોશ્યલ મીડિયા પર થતા ખર્ચાનો સમાવેશ થઇ જાય છે પણ રાજકીય પક્ષો આ નિયમોને અનુસરતા નથી એ વાસ્તવિકતા છે. કોબ્રા પોસ્ટના એક્સપોઝેએ સેલિબ્રિટીઝ કઇ રીતે પૈસા લઇને તરફેણ કે વિરુદ્ધમાં પોસ્ટ કરવા તૈયાર થાય છે એ એના પુરાવા આપ્યા હતા. સોશ્યલ મીડિયા એક એવો અજગર છે જે માહિતી ગળતો રહે છે અને પોતાનું કદ વધારતો રહે છે, તેનો ઉપયોગ કરનારાઓ આ માહિતીને કારણે વધી રહેલું તેનું પેટ જોઇ રહ્યા છે પણ તે જાણતા નથી કે આ વધારો તેમનામાં પૂર્વગ્રહો પેદા કરે છે અને જે અંતે ડર પણ પેસાડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 નવેમ્બર 2020 

Loading

આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|1 November 2020

માણસની માણસ તરીકેની અખિલાઈ અને નીડરતા એ રાજકારણ છે કે આધ્યાત્મિકતા? ગાંધીજી ભારત આવ્યા એ પછી તેઓ સર્વત્ર અનુભવ કરતા હતા કે દેશની પ્રજામાં એકતા નથી અને ભય સાર્વત્રિક છે. અંગ્રેજોનો ભય, જેલ જવાનો ભય, સજા થવાનો ભય, કશુંક ગુમાવવાનો ભય અને સૌથી વધુ તો એકબીજાનો ભય. કોઈને કોઈના ઉપર વિશ્વાસ નથી. અંગ્રેજો પોતે ડરાવે છે અને ભારતની પ્રજાને એકબીજાથી પણ ડરાવે છે. ઉપરથી લાલચ આપે છે. ભારતીય સમાજનો કોઈ વર્ગ ડરીને અંગ્રેજોની આંગળી ઝાલી રાખે છે તો કોઈ લાલચથી. ગાંધીજીએ જોયું કે ભય અને શંકા ભારતીય રાજકારણનો સ્થાયીભાવ છે.

રાજકીય નિવેદનો નહીં કરવાનું ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને વચન તો આપ્યું હતું, પરંતુ શંકાગ્રસ્ત, ભયભીત અને વિખરાયેલા સમાજ વિષે બોલવાનું આવતું જ રહેતું હતું. કર્મવીર ગાંધી તરીકેની ખ્યાતિ એવડી મોટી હતી કે ગાંધીજી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં જે તે સમાજવિશેષના લોકો તેમની પાસેથી મોટી આશા રાખતા. જો આ માણસની તાકાત આપણને મળે તો ફલાણા સમાજને તેની જગ્યા બતાવી દેવાય. દરેકને આવું લાગતું હતું. એટલે ગાંધીજીને મળતી વખતે સૌ પહેલા તો તેઓ જે તે સમાજવિશેષથી અને તેના નેતાઓથી ચેતતા રહેવાની ગાંધીજીને સલાહ આપતા. આમ ગાંધીજીને અનુભવ થતો રહેતો હતો કે દરેકને એકબીજાનો ભય છે, દરેક એકબીજાને શંકાથી જુએ છે, દરેક બીજાના ભોગે પોતાની જગ્યા બનાવવા માગે છે.

એક પ્રસંગ બહુ જાણીતો છે. બેલગામમાં કૉન્ગ્રેસની પ્રાંતિક પરિષદ મળી હતી. ગાંધીજી નવા નવા ભારતમાં આવ્યા હતા એટલે ભારતના ઘણા નેતાઓએ તેમને એ પહેલાં ક્યારે ય જોયા નહોતા. આવા એક નેતા લોકમાન્ય તિલકનો જમણો હાથ ગણાતા દાદાસાહેબ ખાપરડે પણ હતા. બેલગામમાં તેઓ મંચ ઉપર લોકમાન્ય અને ગાંધીજીની પાછળની હરોળમાં બેઠા હતા. ગાંધીજી જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેમને સાંભળીને દાદાસાહેબ ખાપરડેએ આગળ ઝૂકીને તિલકના કાનમાં કહ્યું હતું કે, ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’

એ પરિષદમાં બહુજન સમાજના નેતાઓ પણ આવ્યા હતા. તેઓ પણ ગાંધીજીને મળ્યા અને કહ્યું કે તેઓ સમાજને સનાતની બ્રાહ્મણોની અને તેમના મનુવાદી રાજકારણની ચુંગાલમાંથી મુક્ત કરવા સંઘર્ષ કરી રહ્યા છે. બ્રાહ્મણો સામાજિક સમાનતાના વિરોધી છે અને જ્યાં સુધી સામાજિક સમાનતા ન સ્થપાય ત્યાં સુધી આઝાદ ભારતમાં બહુજન સમાજનું કોઈ ભવિષ્ય નથી. તેમણે તેમના સંઘર્ષમાં ગાંધીજીની મદદ માગી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે સમાનતા માટેની લડાઈ સમાનતા માટેની હોવી જોઈએ એમાં બ્રાહ્મણનો દ્વેષ કરવાની અને તેને ખતમ કરવાની જરૂર ક્યાં ઊભી થઈ? એવું છે કે કોઈના તરફ દુશ્મની રાખ્યા વિના સંઘર્ષ ન થઈ શકે? સંઘર્ષ મુદ્દાને લઈને કરવાનો હોય, વ્યક્તિ કે સમાજને લઈને? ગાંધીજીની આ વાત સાંભળીને બેલગામમાં બહુજન સમાજના નેતાઓ પણ એવા તારણ ઉપર આવ્યા હતા કે, ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’

‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી’ એવો ભારતમાં ગાંધીજી વિશેનો સાર્વત્રિક અભિપ્રાય બની ગયો હતો. ગોપાલકૃષ્ણ ગોખલેએ ‘ભારત સેવક સમાજ’ નામની એક સંસ્થા સ્થાપી હતી. ગાંધીજી ભારત આવે એ પછી તેઓ ભારત સેવક સમાજમાં જોડાય એવી તેમની વર્ષો જૂની ઈચ્છા હતી. તેમને તો એમ લાગતું હતું કે તેમના પછી ગાંધીજી સમાજનું નેતૃત્વ કરશે. ભારત આવ્યા પછી ગોખલેના આગ્રહથી ભારત સેવક સમાજના સભ્યપદ માટેનું ફોર્મ ભર્યું. બન્યું એવું કે ગાંધીજી ભારત આવ્યા અને હજુ બે મહિના પણ નહોતા થયા ત્યાં ગોખલેનું અવસાન થયું. હવે ગાંધીજીને સભ્યપદ આપવાનો નિર્ણય ગોખલેના અનુયાયીઓએ લેવાનો હતો. તેઓ સભ્યપદ આપવાનું ટાળતા હતા. કારણ બહુ સ્પષ્ટ હતું; ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’ છેવટે ભારત સેવક સમાજના પદાધિકારીઓને શરમથી મુક્ત કરવા ગાંધીજીએ પોતે સભ્યપદની અરજી પાછી લીધી હતી. ગોખલેના અનુયાયીઓને ગોખલેનો જ રાજકીય શિષ્ય નહોતો પરવડતો.

હિંદુ રાજકારણ કરનારા હિંદુઓ હોય, મુસ્લિમ રાજકારણ કરનારા મુસલમાનો હોય, મુસલમાનોમાં રૂઢિચુસ્ત રાજકારણ કરનારા મૌલવીઓ હોય કે આધુનિક શિક્ષિત મુસલમાન હોય, હિંદુ સનાતની સવર્ણોનું રાજકારણ કરનારા બ્રાહ્મણો હોય, દલિતો અને બહુજન સમાજનું રાજકારણ કરનારા નેતાઓ હોય, રસ્તા ઉપર ઉતર્યા વિના વિનય-અનુનયનું સંસદીય રાજકારણ કરનારા ઉચ્ચ શિક્ષિત વિનિતો હોય, આર્યગૌરવનું રાજકારણ કરનારા આર્યસમાજીઓ હોય કે પછી દ્રવિડ રાજકારણ કરનારા દ્રવિડ નેતાઓ હોય, પારસીઓ અને એંગ્લો ઇન્ડિયનો જેવી નાનકડી લઘુમતી કોમના નેતાઓ હોય; એ દરેકનો ગાંધીજી વિશેનો એકસરખો મત હતો કે, ‘આ માણસ છે દમદાર પણ આપણા કામનો નથી.’

ગાંધીજી ભારત આવ્યા એ પછી ગાંધીજીના ભારતીય નેતાઓ સાથેના પહેલા દીદાર વિષે, તેમની સાથે થયેલા વાર્તાલાપ વિષે અને તેમની પ્રતિક્રિયા વિષે આખું એક પુસ્તક લખી શકાય એમ છે. કેવું કુતૂહલ, કેવી મોટી અપેક્ષા અને કેવો મોટો મોહભંગ! પાછું લગભગ અપવાદ વિના સાર્વત્રિક. દરેકનું એક જ તારણ; ‘આ માણસ છે દમદાર પણ આપણા કામનો નથી,’ કનૈયાલાલ મુનશીએ તેમની આત્મકથામાં તેમના શબ્દો પણ આ જ વાત કહી છે.

આપણા કામનો નથી એટલે શું? દાદાસાહેબ ખાપરડે લોકમાન્ય તિલકને શું કહેવા માગતા હતા? બીજા નેતાઓ પણ લગભગ આવા જ તારણ ઉપર આવ્યા હતા તો તેમને ગાંધીજી શા માટે કામના નહોતા લાગ્યા? ગાંધીજી કોના કામના હતા અને કોના કામના નહોતા અને જો નહોતા તો શા માટે નહોતા? જે માણસ કામનો ન હોય એ દેશનું સતત ત્રણ દાયકા સુધી નેતૃત્વ કરી શકે? અને પાછી લોકપ્રિયતા પણ કેવી? જગતના ઇતિહાસમાં કોઈ નેતાની ભાગ્યે જ જોવા મળે એવી. કેવો હતો એ મોહનનો મસાલો જે બધાને જોઈતો હતો, પણ પાછો કોઈના કામનો પણ નહોતો. કોઈને પરવડે એવો નહોતો. વળી મસાલો પાછો એવો હતો જેની ઉપેક્ષા પણ થઈ શકે એમ નહોતી.

ગાંધીજી જ્યારે દરેક સમાજવિશેષના પ્રસ્થાપિત રાજકારણના પ્લેટફોર્મ નકારતા હતા અને લગભગ બધાને કામના નહોતા લાગતા ત્યારે લોકમાન્ય તિલકે તેમના એક અનુયાયીને ગાંધીજીની જાત શોધી કાઢવાનું કહ્યું હતું. લોકમાન્યના શબ્દોમાં: ‘મોટો માણસ છે એટલે જાહેરમાં પૂછવાનું શોભે નહીં, પણ અલ્યા તપાસ તો કર આ માણસ કઈ નાતનો છે. આ તો માળો દરેક ખભાને નકારે છે.’

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 નવેમ્બર 2020

Loading

...102030...2,1382,1392,1402,141...2,1502,1602,170...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved