Opinion Magazine
Number of visits: 9747917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરારી વાણી : કોરોના વાયરસના યુગની નવી વાસ્તવિક્તા વચ્ચેનું માનવજીવન

લિપ્યંતર અને અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Interview|1 December 2020

પ્રૉફૅસર યુવલ નોઆ હરારીની વૅબસાઇટ ynharari.com પર એમની ઓળખાણ ઇતિહાસકાર, તત્ત્વચિંતક અને સૅપયન્સ: અ બ્રીફ હિસ્ટરી ઑફ મૅનકાઇન્ડ, હોમો ડૅઓસ: અ બ્રીફ હિસ્ટરી ઑફ ટુમૉરૉ, ૨૧ લૅસન્સ ફૉર ધ ટવૅન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી અને સૅપયન્સ: અ ગ્રાફિક હિસ્ટરીના પ્રખ્યાત લેખક તરીકે આપવામાં આવી છે. ૬૦ ભાષાઓમાં એમનાં પુસ્તકોની ૨૭.૫ મિલિયન નકલો વેચાઈ ચૂકી છે. એમની ગણના વિશ્વના જાહેરજીવનના સૌથી પ્રભાવશાળી બુદ્ધિજીવીઓમાં થાય છે. ૧૯૭૬માં હાઇફા, ઇઝરાયેલમાં જન્મેલા હરારીએ ૨૦૨૦માં યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી છે અને હાલ હિબ્રૂ યુનિવર્સિટી ઑફ જેરૂસલેમમાં ઇતિહાસ વિભાગમાં અધ્યાપક છે.

નીચે રજૂ કરેલી હિબ્રૂ યુનિવર્સિટી ખાતે, મહિના પહેલાંની, ખૂબ પ્રસ્તુત મુલાકાતમાં મૌલિક અને વિશ્લેષણાત્મક ચિંતન માટે જગવિખ્યાત પ્રૉફૅસર હરારીનું ઇઝરાયેલ તથા આખા વિશ્વમાં પ્રવર્તમાન મહામારીથી સર્જાયેલી સમસ્યાઓ, ‘ન્યુ નોર્મલ’ કહેવાતા પરિવર્તનો, એનાં ફાયદા-ગેરફાયદા, ઑનલાઇન શિક્ષણ, શિક્ષકો-વિદ્યાર્થીઓ સામેનાં જોખમો, જૉબ માર્કેટના સંકટે, કમ્પ્યુટર ટૅકનૉલૉજીના યુગમાં નીતિશાસ્ત્રના શિક્ષણની આવશ્યક્તા, ભવિષ્યમાં આર્ટિફિશ્યલ ઇન્ટૅલિજન્સ વગેરેથી ઊભી થવાની મુશ્કેલીઓ, આવનારા સમયના હજુ મોટાં સંકટો, લોકશાહી અને નાગરિક્તાના પ્રશ્નો અને આ બધાંને પહોંચી વળવા જરૂરી પગલાં અંગેનું ગાઢ, આંખ ઉઘાડનારું, સમગ્રલક્ષી ને ખૂબ ઝીણવટભર્યું ચિંતન એક સાથે હચમચાવી નાખનારું અને આશા જગાવનારું છે.

હિબ્રૂ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રૉફેસર યુવલ નોઆ હરારી સાથે પત્રકાર રોમી નોઇમાર્કની અંગ્રેજીમાં મુલાકાત :

— રૂપાલી બર્ક

નોઇમાર્ક :  પ્રૉફેસર યુવલ નોઆ હરારી, તૅલ અવીવમાં તમારી સુંદર ઑફિસમાં ઇન્ટરવ્યૂ આપવા માટે સંમત થયા તે બદલ આપનો આભાર.

હરારી : આભાર. તમને અહીં આવકારતાં આનંદ અનુભવું છું. અન્યોનો પણ આ મુલાકાતમાં પરસ્પર આવકાર છે.

નોઈમાર્ક : આ તમારું શૈક્ષણિક ઘર છે, આમ તો જેરૂસલમમાં. આ મહામારી, કોવિડ-૧૯, વૈશ્વિક મહામારીના સમયમાં, તમને લાગે છે કે કામકાજ બદલાઈ રહ્યું છે, જે રીતે આપણે વિચારીએ છીએ, તમે જે પ્રૉજૅક્ટ  વિકસાવ્યો છે?

હરારી : હિબ્રૂ યુનિવર્સિટીમાં હું વિદ્યાર્થી તરીકે આવેલો ૧૯૯૩માં ને ત્યાર બાદ વ્યાખ્યાતા તરીકે એટલે હિબ્રૂ યુનિવર્સિટી મારું ઘર રહ્યું છે, મારા જીવનનાં મોટા ભાગનાં વર્ષો માટે. આ ઘર લગભગ એવું ને એવું જ રહ્યું છે. આખું વિશ્વ બદલાઈ રહ્યું હતું પરંતુ આ ઘર સ્થાયી અને એવું જ રહ્યું. ૨૦૧૯માં હું એ જ વર્ગમાં ભણાવવા આવ્યો જ્યાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી તરીકે ભણેલો. ૧૯૯૩માં બધું હતું એવું જ ૨૦૧૯માં હતું, સારા સંદર્ભમાં કહું છું, ખરાબ સંદર્ભમાં નહીં. જીવનમાં અમુક વસ્તુઓ સ્થાયી, હૂંફાળી ને આવકારદાયક હોય છે. ને થોડાંક જ અઠવાડિયામાં બધું સંપૂર્ણપણે ડામાડોળ થઈ ગયું. નવી ટર્મ શરૂ થવાની હતી. હું ત્રણ કોર્સ ભણાવવાનો હતો. માર્ચ ૨૦૨૦માં શરૂઆત કરવાની હતી ત્યાં તો એક કે બે અઠવાડિયામાં બધું ઑનલાઇન થઈ ગયું. હા, મારે બધું પુન:નિર્મિત કરવું પડ્યું. ઓનલાઈન શિક્ષણમાં વર્ગના વાતાવરણનો તાગ મેળવવો ઘણો અઘરો પડે છે. હું જ્યારે કંઈક સમજાવું છું ત્યારે કહી નથી શકતો કે વિદ્યાર્થીઓને સમજણ પડી છે કે નહીં, મારા ભણાવવામાં ધ્યાન આપી રહ્યાં છે કે  નહીં. હું જોક કહું ત્યારે પણ કહી નથી શકાતું કે એ હસ્યાં કે મરક્યાં. તેથી વર્ગના અંતે હું શારીરિક ધોરણે પણ થાક અનુભવું છું કારણ કે મારે ખૂબ સજાગ રહીને નાના ચિહ્નો દ્વારા વિદ્યાર્થીઓનો, વર્ગનો શો હાલ છે એની ભાળ મેળવતા રહેવું પડે છે. મારાં બીજાં કાર્યોને પણ આ લાગુ પડે છે, જેવાં કે જાહેર કાર્યક્રમો, ઇનટરવ્યુ. કોવિડ-૧૯ પહેલાં, દા.ત. હું કોઈ અમૅરિકન ટી.વી. માટે કે ચીનમાં કોઈ કાર્યક્રમ હોય તો બધાંની માંગણી હતી કે મારે રૂબરૂ હાજર રહેવું, એટલે વિમાન, ઍરપોર્ટ, હોટેલ, બધું હોતું. આ બધું ઘરેથી થઈ શકે એ અકલ્પનીય હતું — સ્ક્રીન પર, ઑનલાઇન માધ્યમથી. હવે આ શક્ય બની ગયું છે. એટલે ફાયદા છે ને ગેરફાયદા પણ છે.

નોઇમાર્ક : તમે જે પ્રૉજૅક્ટ વિકસાવી રહ્યા છો એની પર અસર પડશે કે કેમ? તમારી વિચારવાની કે તૈયારીની રીત, જેરૂસલમમાં આવતા સૅમૅસ્ટરમાં ભણાવવાની વાત દા.ત. લઈએ તો?

હરારી : હા, વર્ગમાં ભણાવું છું એ અંગે પુન:વિચાર કરવો જ પડશે મારે. થોડા સમય પહેલાં મેં ત્રણ વર્ગમાં  ભણાવ્યું એમાં પરિવર્તન તો આવી જ ગયેલું. વર્ગનું આયોજન કરવાની રીત માટે મારે ફેરવિચારણા કરવી પડેલી. આ સાથે સામગ્રીમાં પણ પરિવર્તન લાવવું પડેલું કારણ કે નવું માધ્યમ હતું. એવું નથી કે બધું ખરાબ છે. દા.ત. બટનની એક જ ક્લીકથી વર્ગને નાના નાના ચર્ચાના જૂથોમાં વહેંચી શકાય છે. આ કમાલનું ઓજાર છે. હું પ્રશ્ન કરું ને બટન દબાવું કે તરત જ આપમેળે જ  વિદ્યાર્થીઓ નાનાં જૂથોમાં પોતાને પામે છે, ૫-૬ વિદ્યાર્થીઓનાં જૂથમાં ચર્ચા કરવા. બધાં બોલતાં હોય ને હું એમની વચ્ચે ફરી  શકું. સામાન્ય રીતે વર્ગ ચાલતો હોય એના કરતાં આનાથી એમને અને મને એક પ્રકારનો વિરામ મળી રહે છે. વધુમાં, આ વ્યવસ્થામાં બધાંને બોલવાનો મોકો મળી રહે છે, અમુક શાંત વિદ્યાર્થીઓ હોય છે ને, જે સામાન્ય ઢબે ચાલતા વર્ગમાં એક પણ શબ્દ બોલતા નથી હોતા, પરંતુ આ નાનાં નાનાં જૂથોમાં બધાં બોલવા લાગે છે. આ બાબત એવી છે જે ટૅકનૉલૉજીએ સહેલી બનાવી આપી છે કારણ કે ભૌતિક વર્ગમાં મારે આમ કરવું હોય તો કોણ કયા જૂથમાં જશે એ નક્કી કરવામાં સમય પણ બહુ જાય અને એટલી જગ્યા પણ ના થાય, ભૌતિક દૃષ્ટિએ વર્ગ એટલો મોટો હોય જ નહીં.

નોઈમાર્ક : પરંતુ બીજી તરફ, ડિસ્ટન્સ ઍજ્યુકેશનથી સામાજિક અંતર વધવાની પણ શક્યતા છે, ટૅકનૉલૉજીકલ  સામગ્રીની આવશ્યક્તાના સંદર્ભમાં. ભાવિ શિક્ષણને અથવા ભાવિ યુનિવર્સિટીને આવનાર દસકામાં તમે કઈ રીતે જુઓ છો?

હરારી : હું કહી શક્તો નથી. આપણે જે નિર્ણયો કરીશું એના પર આધાર રહેશે. ટૅકનૉલોજી નિર્ણાયક હોતી નથી. તમે એક જ પ્રકારની ટૅકનૉલૉજીથી ભિન્ન પ્રકારનાં શૈક્ષણિક માળખાં તૈયાર કરી શકો છો. ઘણી બધી પસંદગી કરવાની હોય છે. ઑનલાઇન ટિચીંગ અંગે વર્ષોથી ચર્ચાઓ થતી આવી છે પરંતુ વાસ્તવમાં નહીંવત્ થતું હતું, ને એકાએક અમુક જ અઠવાડિયામાં યુનિવર્સિટીની કાર્યશૈલીમાં જબરદસ્ત બદલાવ આવી ગયો. આનો શો અર્થ કરી શકાય?

નોઇમાર્ક : આનાથી કયા જોખમો ઊભા થઈ શકે છે?

હરારી : ઘણાં જોખમો, વિદ્યાર્થીઓના અનુભવોથી લઈને … દા.ત. હું નવા વિદ્યાર્થીનો વિચાર કરું છું, પ્રથમ સૅમૅસ્ટરના વિદ્યાર્થીની વાત કરીએ, હમણાં જ યુનિવર્સિટીમાં પગ મુક્યો છે — યુનિવર્સિટીનો એનો આખો અનુભવ, અન્ય વિદ્યાર્થીઓને મળવાનો, વર્ગ પત્યા બાદ કાફૅટૅરિયામાં બેસીને જીવંત ચર્ચાઓ કરવાનો. ઘણાં કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ પત્યા બાદ સૌથી અગત્યની ચર્ચાઓ કાફૅટૅરિયામાં થતી હોય છે, વર્ગમાં નહીં. હવે આ વ્યવસ્થા એમને કેવી રીતે પૂરી પાડી શકાય? ઝૂમ ઉપર આ થઈ જ ના શકે. આ એક બહુ મોટો સવાલ છે. આથી, એ ખ્યાલ આવે છે કે યુનિવર્સિટીને માત્ર ભણતર સાથે જ લેવાદેવા નથી, સામાજિક અનુબંધ સાથે પણ છે. આ બહુ જ અગત્યનું છે. આ સાથે આર્થિક અને માળખાંકીય પ્રશ્નો પણ છે. દા.ત. જ્યારે બધું ઑનલાઈન હોય ને બધું રૅકૉર્ડ કરવામાં આવતું હોય, એની બહુ મોટી અસર વ્યાખ્યાતાઓના દરજ્જા પર પડી શકે છે. એક જ વાર વ્યાખ્યાનને રૅકૉર્ડ કરીને વ્યાખ્યાતાને, ખાસ કરીને હંગામી ધોરણે નિમાયેલાં, નોકરીમાંથી છૂટા કરતા અને રૅકૉર્ડીંગને વારંવાર વાપરતાં યુનિવર્સિટીને કોણ રોકી શકે? ચીની તત્ત્વજ્ઞાનનો સૅમિનાર હોય તો અઘરું પડે પરંતુ વિષયની પ્રાથમિક માહિતી આપવાની હોય તો રૅકૉર્ડીંગથી કામ ચાલી જાય. આવા સંજોગોમાં સ્ટાફના દરજ્જાનું કે સામાજિક સુરક્ષાનું શું થાય? બીજી વાત, જો બઘું ઑનલાઇન થઈ જાય તો સ્ટાફ ઇઝરાયેલમાંથી પણ નિમવાની જરૂર ના રહે. દા.ત. કમ્પ્યુટર સાયન્સનો કોઈ કોર્સ ૧૦૦ વિદ્યાર્થીઓને ઝૂમ દ્વારા ભણાવવાનો હોય તો પ્રૉફૅસર જેરૂસલમમાં કે ઍલાટમાં શું કામ હોવા જોઈએ?

નોઇમાર્ક : તો મારે પણ જેરૂસલમ કોર્સમાં શા માટે જોડાવું પડે?

હરારી : હા. પ્રૉફૅસર બૅંગ્લૉરમાં કે અન્ય સ્થળે હોય અને ઇઝરાયેલમાં ચુકવવા પડે એના ૧૦% જ એંને ચુકવવા પડે. કોઈ સામાજિક લાભ નહીં. બહુ ઊંડો વિચાર માગી લે તેવી આ બાબત છે, ખાસ કરીને શૈક્ષણિક જૉબ માર્કૅટનાં પરિવર્તન પામતાં માળખાંનાં અને યુનિવર્સિટી માટે એના પરિણામો.

નોઇમાર્ક : માળખાંમાં થઈ રહેલાં પરિવર્તનને પહોંચી વળવા અને ભવિષ્યમાં ઉમદા રીતે કાર્ય કરવા માટે કઇ નિપુણતા કેળવવાની જરૂર પડશે? આપણે વિદ્યાર્થીઓની વાત કરી, એ લોકો જીવનના તમામ પાસાઓમાં મોટા વૈશ્વિક પરિવર્તનોનો સામનો કરી રહ્યા છે.

હરારી : ૨૦ કે ૩૦ વર્ષોમાં વિશ્વ અને જૉબ માર્કૅટનું સ્વરૂપ કેવું હશે એનો કોઇને કંઇ ખ્યાલ નથી. આ પરિસ્થિતિ ન ભૂતો ન ભવિષ્યતિ છે. ઇતિહાસના કોઈ પણ તબક્કે આપણે આવી પરિસ્થિતિમાં નહોતા કે જ્યાં કોઈને, તજ્જ્ઞોને પણ, ખ્યાલ ના હોય કે જૉબ માર્કૅટનું સ્વરૂપ આવનાર ૨૦ વર્ષોમાં કેવું હશે, કેવા પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ હશે અને કયા પ્રકારની નિપુણતા આવશ્યક હશે. નોકરીઓ ઉપલબ્ધ હશે, હું નથી માનતો કે ઑટોમેશન અને એ.આઈ. (આર્ટિફિશ્યલ ઇન્ટૅલિજન્સ) બધી નોકરીઓનો નાશ કરી શકશે, પરંતુ ઘણી બધી નોકરીઓ જોખમાશે. સાથે જ નવી નોકરીઓ ઊભી થશે, વ્યવસાયોમાં પરિવર્તનો સર્જાશે. વાત એ છે કે આપણે ચોક્કસપણે ભવિષ્યવાણી નથી કરી શકતા કે પરિવર્તનો કયા પ્રકારનાં હશે, એટલે લોકોને કેવા પ્રકારની નિપુણતા કેળવવાની જરૂર પડશે એ પણ કહી શકાતું નથી. જે એક બાબતની ખાતરી છે એ આ કે જૉબ માર્કૅટ અત્યંત અસ્થિર હશે. આપણે એકવારની ક્રાંતિની વાત નથી કરી રહ્યાં. એવું નથી કે ૨૦૨૫માં મોટી ઑટૉમેશન ક્રાંતિ સર્જાય ને થોકબંધ નોકરીઓ ગાયબ થઈ જાય, થોકબંધ નવી નોકરીઓ ઊભી થાય, થોડાંક કષ્ટદાયક વર્ષો વીતે ને પછી બધું થાળે પડી જાય ને ન્યુ નોર્મલ બની જાય. એવું એટલા માટે નથી બનવાનું કે એ.આઈ. ક્રાંતિની હજુ શરૂઆત જ થઈ રહી છે, હજુ આપણે કાંઈ જોયું નથી. આપણે એક લાંબી ચાલનારી ક્રાંતિકારી પ્રક્રિયામાં પ્રવેશ્યાં છીએ, જે હજુ વધુ મોટી ઊથલપાથલ સર્જશે. ૨૦૨૫ સુધીમાં મોટી એ.આઈ. ક્રાંતિ સર્જાશે પરંતુ એથી ય મોટી ક્રાંતિ ૨૦૩૫માં અને એથી ય મોટી ક્રાંતિ ૨૦૪૫માં જોવા મળશે. માટે લોકોએ પોતાને પુન:તાલીમ આપવી પડશે, પુન: નિર્માણ અનેકવાર કરતા જ રહેવાની જરૂર ઊભી થશે. એ ખ્યાલ કે યુવાન વ્યક્તિ, પછી તે સ્કૂલનો હોય કે યુનિવર્સિટીનો હોય, એ કોઈ વ્યવસાય શીખે, કોઈ નિપુણતા મેળવે ને જીવન પર્યન્ત એને વાપરે, આ હવે નહીં ચાલે, આ પુરાણું થઈ ગયું છે. હા, જીવન પર્યન્ત શીખતા રહેવાની અને અનુભવ મેળવવાની જરૂર તો લોકોને હંમેશાં પડતી જ રહી છે, પરંતુ અહીં જે વાત છે એ ખરેખર પાયાના પરિવર્તનની વાત છે. લોકોએ સતત પોતાનું પુન:નિર્માણ કરતા રહેવું પડશે. દર દસેક વર્ષે લોકોને એમના વ્યવસાયનું એકડે-એકથી પુન:શિક્ષણ લેવાની જરૂર પડશે કારણ કે જૂનો વ્યવસાય ગાયબ થઈ ગયો હશે ને તમારે પ્રયત્ન ચાલુ રાખવાનો છે પણ કશા બીજામાં. આનો અર્થ એ કે યુનિવર્સિટી કે જે પણ શૈક્ષણિક સંસ્થા હોય એણે જીવનપર્યન્તના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જે નિપુણતા તમે લોકોને આપો છો એમાં શીખતા રહેવાની, પરિવર્તન પામતા રહેવાની અને પોતાનું પુન:નિર્માણ કરતા રહેવાની ક્ષમતાનો સમાવેશ હોવો જોઈશે. અહીં ભાર ટૅકનિકલ નિપુણતા પર નથી, કારણ કે ટૅકનિકલ નિપુણતા તો આવતી-જતી રહેશે, પરંતુ ભાર ઊંડા, મનોવૈજ્ઞાનિક સ્તર પર છે — ક્ષમતાઓ પર. જીવનપર્યન્ત માનસિક પરિવર્તનક્ષમતા જાળવી રાખવાની.

નોઇમાર્ક : ટૅકનૉલૉજીના આક્રમણ સામેનું ઍન્ટીબૉડી કહો, જાણે.

હરારી : બિલકુલ, જુઓ, તમે ૨૦ વર્ષના હોવ ત્યારે તમારું કામ છે તમારી જાતનું નિર્માણ કરવાનું, તમે ગમે તે  હોવ, ને એ અઘરું કામ છે, તમે ૨૦ વર્ષના હોવ તો પણ. પરંતુ વિચારો કે તમે ૩૦ના થાવ, ૪૦ના થાવ ને ૫૦ના થાવ ત્યારે પણ ફરી ને ફરી તમારે એ જ કરતા રહેવાનું આવે તો? મનુષ્યોની જીવન આવરદા વધી રહી છે, તેથી પૅન્શનની ઉંમર પણ વધી શકે છે એટલે આપણે આપણા વિદ્યાર્થીઓ વિશે વિચારવું પડશે, સામાન્યપણે યુવાન લોકો જે સખત મનોવૈજ્ઞાનિક દબાણ નો સામનો કરી રહ્યા છે. બન્ને, ભવિષ્ય તદ્દન અજાણ્યું છે, ભૂતકાળની પેઢીની વાત જુદી હતી, એ લોકો એમના વડીલોને, માતા-પિતાને, દાદા-દાદીને કે શિક્ષકોને પૂછી નહોતા શકતાં કે હું ૫૦નો/ની થઈશ ત્યારે દુનિયા કેવી હશે, કારણ કે કોઈને ખ્યાલ જ ના હોય કે દુનિયા કેવી હશે. અમે તમને એટલું જ કહી શકીએ છીએ કે સતત પરિવર્તન અને પુન:નિર્માણ કરતા રહેવાના સખત દબાણ નીચે તમારે રહેવું પડશે. એ દિવાસ્વપ્નમાં રાચવું કે હવે કંઈ કરવાનું રહેતું નથી સિવાય કે આરામ ફરમાવવાનો, બધું જ મેળવી લીધું છે એ દૌર પૂરો થઈ ગયો છે. આ બાબત બિહામણી છે. આ તમામ વ્યવસાયો ને લાગે વળગે  છે. તમે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાના હોવ કે કમ્પ્યુટર સાયન્સનો, તમારે આ પ્રકારની મનોવૈજ્ઞાનિક પરિવર્તનક્ષમતા અને સ્થિતિસ્થાપક્તાની જરૂર પડવાની, આ પ્રિમિયમ સાબિત થશે. વળી, એવું પણ બની શકે કે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા જૉબ માર્કૅટના સંદર્ભમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનારા કરતાં ફાવી જાય કારણ કે કોડીંગ સહેલું છે,  એ.આઈ. પણ એ કરી શકવા સક્ષમ છે. પરંતુ ગુગલને મોટી સંખ્યામાં તત્ત્વજ્ઞાનીઓની જરૂર પડશે, આપણે એ જોઈ જ રહ્યા છીએ, નૈતિક સવાલો, જે સૈદ્ધાંતિક સવાલો પર હજારો વર્ષો પૂર્વે તત્ત્વજ્ઞાનીઓ અનંત ચર્ચા કરતા જ રહેતા પરંતુ એ વ્યવહારમાં મુકાતા નહોતા. એકાએક આ સવાલો વ્યવહારિક ઍન્જિન્યરીંગના સવાલો બની રહ્યા છે, દા.ત. સવાલ મુક્ત મરજીનો અને સ્વચલિત વાહનો. હવે રસ્તા પર સ્વચલિત વાહન દોડાવવા માટે એવાં વાહનોને નૈતિક નિર્ણયો લેવાની જરૂર પડશે એ બહુ જ દેખીતી વાત છે …

નોઇમાર્ક : ઍલ્ગૉરિદમ [algorithm] કૉડ કરવો પડે —

હરારી : હા, બધાં કૉર્પોરેશનોને આવા વાહનોનું ઉત્પાદન કરતી વખતે કોડીંગ કરવા માટે તત્ત્વજ્ઞાનીઓની જરૂર પડશે, નહીં કે માત્ર કોડરોની.

નોઇમાર્ક : હવે રાજનૈતિક મુદ્દાઓ પર વાત કરીએ. સ્પ્રીંગમાં તમે લખ્યું કે લોકશાહી ને નાગરિક્તા માટે કોવિડ-૧૯ની મહામારી અંતિમ કસોટી છે. શું આપણે એવું કહી શકીએ કે અહીં ઇઝરાયેલમાં આપણે આ કસોટીમાં નાપાસ થયાં છીએ?

હરારી : ઇઝરાયેલમાં મને નથી લાગતું કે આ કસોટીમાં બહુ ઊંચાં માર્ક મળે. જુઓ, લોકશાહીનું મુખ્ય ઈંધણ  વિશ્વાસ છે.  લોકો અને સરકાર વચ્ચેનો વિશ્વાસ — બન્ને તરફનો, લોકો પર સરકારનો વિશ્વાસ અને સરકાર ને સત્તાધીશો પર લોકોનો વિશ્વાસ. સરમુખત્યારી સીમિત વિશ્વાસ પર ચાલે છે, કબૂલ. પરંતુ લોકશાહી માટે વિશ્વાસ આવશ્યક છે અને એ આપણી પાસે નથી, આપણે એ મહદ્દ અંશે ગુમાવી ચુક્યાં છીએ. એ માટે અગાઉની અને વર્તમાન સરકારોનાં પગલાં અને નિષ્ફળતાઓ જવાબદાર છે, એમણે સત્તાધીશોમાં રહેલા લોકોના વિશ્વાસને આયોજનબદ્ધ રીતે કોરી ખાધો છે. આપણા દેશમાં હજુ સુધી એવાં પ્રધાન મંત્રી છે જે વર્ષોથી અવિરતપણે સમૂહ માધ્યમો, યુનિવર્સિટીઓ, પોલીસ, કોર્ટો પર આક્રમણ કરી રહ્યા છે અને લોકોને કહે છે કે આમનામાં વિશ્વાસ રાખશો નહીં, આ સત્તાઓમાં વિશ્વાસ ના રાખશો. હવે કટોકટી ઊભી થઈ છે ને લોકો વિશ્વાસ કરતાં નથી. તમે શું અપેક્ષા રાખી શકો? રાજનૈતિક વ્યૂહરચનાના ભાગરૂપે, વર્ષોથી જે બીજ વાવ્યાં છે, ભાગલા પાડી ને રાજ કરવા માટે સમાજમાં બળજબરીપૂર્વક જે સપનાં દેખાડ્યાં છે, એ બહુ જૂનો પેંતરો છે — ભાગલા પાડી ને રાજ કરો, એના માટે કિંમત ચુકવવી પડે છે. હા, તમે લોકોમાં ભાગલાં પાડો ને રાજ કરી શકો છો પરંતુ જ્યારે કોવિડ- ૧૯ જેવું સંકટ ઊભું થાય ત્યારે એને પહૉંચી નથી વળાતું સામાન્ય સંજોગોમાં લોકતાંત્રિક દેશમાં વસ્તીના અડધા હિસ્સાના સહકારથી તમે રાજ કરી શકો છો, એ પર્યાપ્ત હોય છે, ૫૦% +૧, એટલું પર્યાપ્ત હોય છે. પરંતુ આવા સંકટકાળમાં અડધી વસ્તીને તમારા એક પણ શબ્દમાં વિશ્વાસ ના હોય એવામાં તમે સફળ ના થઈ શકો. એ બરાબર છે કે અમુક લોકો તમારી આરાધના કરે છે, તમે કહો કે સૂરજ દરરોજ પશ્ચિમમાં ઊગે છે ને પૂર્વમાં આથમે છે તો એ વિશ્વાસ કરશે પરંતુ બાકીના ૫૦% તમારા બોલેલા એક પણ શબ્દમાં વિશ્વાસ કરતાં નથી. આવા સંજોગોમાં તમે સંકટનું નિવારણ ના જ કરી શકો. બીજા લોકતાંત્રિક દેશો ઘણો ઘણો સારો દેખાવ કરી રહ્યાં છે. એવું નથી કે લોકશાહી તંત્રમાં પાયાની કોઈ ખામી છે. વિશ્વભરમાં ઘણા લોકતાંત્રિક દેશો કોવિડ-૧૯નો સામનો પ્રસંશનીય રીતે કરી રહ્યા છે.

નોઇમાર્ક : એટલે તમારું કહેવું એમ છે કે ઇઝરાયેલ આ સંકટનો સામનો હવે લોકતાંત્રિક દેશ તરીકે નથી કરી રહ્યો. હું વિચારું છું કે આ પ્રકારની વાતો કરવાને લીધે તમારે કિંમત ચુકવવી પડતી હશે કે કેમ?

હરારી : હું તે ઘણો સુરક્ષિત છું કારણ કે આંતર-રાષ્ટ્રિય સ્તરે મેં મુકામ હાંસલ કરેલો છે, પરંતુ શૈક્ષણિક બિરાદરીના ઘણા સભ્યોની પરિસ્થિતિ ઘણી ઘણી નબળી છે …

નોઇમાર્ક : એ લોકો બોલતાં ડરે છે?

હરારી : હા, બોલતા ડરે છે. છેલ્લાં કેટલાં ય વર્ષોથી આપણે ઇઝરાયેલમાં જોયું છે કે શૈક્ષણિક સ્વતંત્રતા ખત્મ થઈ રહી છે અને હાલના પ્રધાન મંત્રી સામે પડકાર નાખનાર શિક્ષણ મંત્રી છે જેમણે નૈતિક ધોરણો  અમલી કર્યા છે જેનો અસલી હેતુ શૈક્ષણિક અભિવ્યક્તિ પર અંકુશ લાદવાનો છે અને વર્ગખંડોમાં, યુનિવર્સિટીમાં વિદ્વાનો જે બોલે છે એની પોલીસગીરી કરવાનો, એમના પર ચાંપતી નજર રાખવાનો છે. આથી એ દિશામાંથી મને કોઈ આશાનો અણસાર નથી આવતો. તમારે વિશ્વ પર નજર માત્ર ફેરવવાની જરૂર છે, હંગેરી, રશિયા જેવા દેશોમાં જે થઈ રહ્યું છે, શૈક્ષણિક સ્વતંત્રતા મુદ્દે ત્યાં જે કાંઈ બની રહ્યું  છે, એ જોતાં આપણે ધારી ના લઈ શકીએ કે ઇઝરાયેલ આ પ્રક્રિયાઓમાંથી બાકાત છે.

નોઇમાર્ક : અહીં ઇઝરાયેલમાં લોકશાહીને પુન:જીવિત કરવા માટે શું કરી શકાય? બીજી ચૂંટણી પણ દુર્ઘટના સાબિત થઈ શકે છે.

હરારી : ના તો હું રાજકારણી છું કે ના તો રાજનૈતિક વૈજ્ઞાનિક. વળી, ઇઝરાયેલી સમાજનો તજ્જ્ઞ પણ નથી એટલે શું કરવું જોઈએ એ અંગે હું ચોક્કસપણે કંઈ કહી શકતો  નથી, પરંતુ સામાન્યત: — અને આ ઘણા દેશોના સંદર્ભમાં સાચું છે ના કેવળ ઇઝરાયેલના સંદર્ભમાં, જેમ મેં કહ્યું તેમ, સરમુખત્યારીથી વિરુદ્ધ લોકશાહીમાં વિશ્વાસની જરૂર હોય છે. વધુમાં, રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના પણ આવશ્યક છે, પરંતુ ખોટી સમજણવાળી રાષ્ટ્રવાદની ભાવના નહીં જે ઘણી વખત લોકોમાં જોવા મળે છે. સાંપ્રત સમયમાં મોટા ભાગના લોકો માને છે કે રાષ્ટ્રવાદનો અર્થ છે પરદેશીઓ અને લઘુમતીઓને ધિક્કારવા. પરદેશીઓને અને લઘુમતીઓને હું જેટલો વધુ ધિક્કારું એટલો વધુ રાષ્ટ્રભક્ત ગણાઉં. વિશ્વના ઘણા બધા નેતાઓ આવો સંદેશ આપી રહ્યા છે. આ સંપૂર્ણપણે ભૂલ છે. રાષ્ટ્રવાદનો અર્થ પરદેશીઓને ધિક્કારવાનો નહીં, પરંતુ તમારા દેશબંધુઓને પ્રેમ કરવાનો થાય છે. ઘણાં બધાં નેતાઓ જે પોતાને રાષ્ટ્રભક્તો ગણાવે છે તે એનાથી સાવ વિરુદ્ધ હોય છે. એ લોકો કેવળ પરદેશીઓ પ્રત્યે ઘૃણા કરવાની ઉશ્કેરણી નથી કરતાં, પરંતુ આંતરિક ઘૃણા કરવા પણ ઉશ્કેરણી કરે છે, એમના રાજનૈતિક વિરોધીઓને લોકતાંત્રિક રમતમાં કાયદેસરના હરીફ તરીકે જોવાને બદલે એમને દુશ્મન અને રાષ્ટ્રવિરોધી તરીકે જુએ છે. આના લીધે લોકશાહીનો વિનાશ થાય છે. સારી રીતે કાર્યરત રહેવા માટે લોકશાહીને સારા રાષ્ટ્રવાદની તીવ્ર ભાવનાની આવશ્યક્તા હોય છે. હું મારા રાજનૈતિક વિરોધીઓ સાથે સંમત ના હોઉં, એ લોકો ખોટા છે એવું હું માનતો હોઉં પરંતુ એ મારા દુશ્મન નથી, એ રાષ્ટ્રવિરોધી નથી. જો મને ચૂંટણી દ્વારા પદ હાંસલ થયું હોય તો મારે એમના હિતનું પણ ધ્યાન રાખવું પડે, ના કેવળ મારા સમર્થકોના હિતનું. આ પ્રકારના સ્વસ્થ રાષ્ટ્રવાદની આપણને તાતી જરૂર છે, જે તમામ બાબતોમાં દેખાય — રાજનૈતિક વાર્તાલાપથી લઈને ટૅક્સ ભરવાની મૂળભૂત બાબત સુધી. જો તમે યુ.એસ.નો દાખલો લો અને તાજેતરનાં પ્રકાશનો જુઓ તો કહેવાતા રાષ્ટ્રવાદી પ્રૅસિડન્ટ છે જે અબજોપતિ પણ છે જેમણે $૭૫૦નો વાર્ષિક ટૅક્સ ભર્યો છે, પ્રૅસિડન્ટ તરીકે. મારા મત મુજબ રાષ્ટ્રવાદની ખરી કસોટી ટૅક્સ ભરવામાં છે. અનેકમાંની એક મોટી કસોટી છે. પરદેશીઓને ધિક્કારવામાં નથી. તમે જે ટૅક્સ ભરો છો એનો અર્થ છે કે દેશના અન્ય ભાગમાં અજાણ્યા લોકોને, મને ખબર નથી, ઇઝરાયેલમાં લગભગ ૮ મિલિયન લોકો વસે છે, એમાંથી હું ૨૦૦ને અંગત ધોરણે ઓળખું છું, એટલે લગભગ ૭ મિલિયન ૮૦૦ જેટલા લોકોને હું ઓળખતો નથી. પરંતુ હું ટૅક્સ ભરીશ તો એમને સારું શિક્ષણ ને સારી આરોગ્ય સેવાઓ મળશે. આ રાષ્ટ્રવાદી કાર્ય કહેવાય. આધુનિક રાષ્ટ્રવાદનો આ ચમત્કાર છે કે એ પર્યાપ્ત પ્રેરણા પૂરી પાડે છે, કે જે અજાણ્યા લોકોને મળ્યા ના હોય તેમ છતાં બીજા લોકો એમની પર્યાપ્ત દરકાર કરે છે. હવે જો આ કકડભૂસ થઈ જાય, કેવળ એટલું જ નહીં કે તમે તમારા દેશમાં અમુક લોકોને તમારા દુશ્મન ગણો છો, પરંતુ તમે એમની દરકાર કરવાનું છોડી દો છો એટલે તમે ટૅક્સ ભરતા નથી. સરમુખત્યારી આવી રીતે કાર્યરત રહી શકે છે, લોકશાહી આ રીતે કામ ના કરી શકે.

નોઇમાર્ક : તમે યુ.એસ.ની વાત કરો છો અને જે રીતે એ … આવું કરવા જતા શું યુ.એસ.ના ખ્યાલો જ વિધ્વંસ થઈ જઈ શકે છે?

હરારી : હા, તમે કહો છો … ૫૦ વર્ષ પહેલાં ડૅમોક્રૅટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે દલિલો થતી, પરંતુ બન્ને રશિયનોથી ડરતા હતા. દુશ્મન બહાર હતો. રશિયનો આવશે ને આપણી જીવનશૈલી બદલી નાખશે. આજે ડૅમોક્રૅટ્સ અને રિપબ્લિકન્સ બન્ને રશિયનો ને ચીનીઓથી ડરે છે એના કરતાં અનેક ઘણા એકબીજાથી ડરે છે અને એકબીજાને ધિક્કારે છે. ડૅમોક્રૅટ્સને ભય છે કે રિપબ્લિકન્સને સત્તા મળી જશે તો એ લોકો ડૅમોક્રૅટ્સની જીવનશૈલીનો નાશ કરી દેશે. બીજી તરફ, ડૅમોક્રૅટ્સ એ જ ભયથી પીડાય છે. આ બાબત એવી છે કે લોકશાહીમાં ટકી શકે એવી નથી.

નોઇમાર્ક : મારો પ્રશ્ન એ છે કે આ માત્ર ટ્રમ્પની વાત નથી.

હરારી : એ કેવળ લક્ષણ છે. એ વાત જરૂર છે કે એમણે વાત વણસાવી કાઢી છે પરંતુ એમનાથી શરૂઆત નહોતી થઈ.

નોઇમાર્ક : એટલે ભલે જે પણ ચૂંટાય કોઇ ફરક નહીં પડે એમ છે?

હરારી : ઓહ! (હસી પડતાં.) બહુ મોટો ફરક પડે છે. ભિન્ન પ્રકારની રાજનૈતિક શૈલીઓ છે.  ભાગલા પાડવાની આવી યુક્તિઓ અને આડંબરી ભાષાનો ઉપયોગ કરવા માટે આ નેતાઓને કોઈ દબાણ નથી કરતું. એવા નેતાઓ હોઈ શકે છે, એવા નેતાઓ છે વિશ્વના અન્ય ભાગોમાં. એંગલા મૅરૅકલને જુઓ. એ આ પ્રકારનાં નેતા નથી. પોતે ગમે તે કરે એમાં ટેકો આપે એવો એક મજબૂત વફાદાર આધાર ઊભો કરવાના ઈરાદાથી જર્મન સમાજને અંદરોઅંદર ભાગલા પાડવાની રમતનો હિસ્સો એ બન્યાં નથી. હું અનિશ્ચિત સમય સુધી જર્મની પર સત્તા ચલાવીશ, એ એમની રમત નથી. એટલે એક માત્ર રસ્તો છે એવું નથી. આ બાબતનું ખૂબ મહત્ત્વ છે કે કઈ રાજનૈતિક શૈલીઓ ધરાવતા રાજકારણીઓને ચૂંટવામાં આવે છે.

નોઇમાર્ક : લોકો એ નેતાઓ પર પસંદગી ઉતારે છે.

હરારી : હા …

નોઈમાર્ક : એટલે લોકોની સત્તા છે, લોકોનો નિર્ણય.

હરારી : ના … એ એક વર્તુળ છે. એવું છે કે આદર્શ રીતે લોકો અભિપ્રાયો ઘડીને, અપેક્ષાઓ રાખીને એમનું પ્રતિનિધિત્વ કરતી હોય એવી સરકારને મત આપતા હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ બેઉ તરફ કામ કરે છે. વસ્તીના અભિપ્રાયો અને અપેક્ષાઓને આકાર આપવાની વિપુલ તાકાત છે અને આજના સમયમાં માસ સર્વેલન્સ, સોશિયલ મીડિયા, વગેરે નવી ટૅકનૉલૉજીને કારણે આ શક્તિ વધતી જ રહે છે. એટલે સરકાર કેવળ લોકોની મરજી પ્રત્યે પ્રતિભાવશીલ નથી, એ લોકોની મરજીને આકાર આપી શકે છે. પરિણામે, લોકશાહી તંત્ર અસ્થિર બની જાય છે. વધુમાં, મીડિયાની આમાં જબરદસ્ત ભૂમિકા રહેલી છે. જ્યારે મીડિયા પર સરકારનું સખત નિયંત્રણ હોય છે ત્યારે એવું નથી હોતું કે જે કંઈ બની રહ્યું છે એ અંગે લોકો એમનો પોતાનો, સ્વતંત્ર અભિપ્રાય ઘડતાં હોય છે. સાંપ્રત સમયમાં આપણી પાસે એ શક્તિ છે — એટલે આપણે નહીં પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત અમુક સરકારો અને કૉર્પૉરેશનો પાસે મનુષ્યોને હૅક કરવાની શક્તિ છે. કમ્પ્યુટરોને હૅક કરવાની, સ્માર્ટ ફોન હૅક કરવાની, બૅન્ક અકાઉન્ટ હૅક કરવાની બહુ વાતો થાય છે, પરંતુ આપણા યુગની મોટી કહાણી છે — મનુષ્યોને હૅક કરવા. આવું કહેવાનો મારો અર્થ એ છે કે જો તમારી પાસે પર્યાપ્ત ડેટા હોય અને જો પર્યાપ્ત કમ્પ્યુટિંગ શક્તિ હોય તો લોકો પોતાને સમજી શકે એના કરતાં તમે એમને વધુ સારી રીતે સમજી શકો છો. ત્યાર બાદ લોકોને તમે ઇચ્છો એમ વાપરી શકો છો, જે પહેલાં કરવું અશક્ય હતું. આવી પરિસ્થિતિમાં જૂનું લોકશાહી તંત્ર કામ કરતું બંધ થઈ જાય છે. આ નવા યુગ માટે, જેમાં મનુષ્યો હવે હૅક થઈ શકાતાં પ્રાણીઓ છે, આપણે લોકશાહીનું પુન:નિર્માણ કરવાની જરૂર છે. મનુષ્યોનો આત્મા હોય છે, ચૈતન્ય હોય છે, સ્વતંત્ર મરજી હોય છે, મારી અંદર શું ચાલી રહ્યું છે એ કોઈને ખબર પડતી નથી, એટલે ભલે હું જે પણ પસંદ કરું — ચૂંટણીમાં કે સુપર માર્કૅટમાં, એ આખો ખ્યાલ સમાપ્ત થઈ ગયો છે. આપણે એ હકીકતને સ્વીકારવી જ રહી કે — અહીં તત્ત્વજ્ઞાનનો મેળાપ કમ્પ્યુટર સાયન્સ અને બાયોલૉજી સાથે થાય છે. તમે ભલે જે પણ માનતા હોવ કે ભ્રહ્માંડનું આખરી સત્ય આ છે, પરંતુ તમારે સમજવું જ પડશે કે વ્યવહારિક રીતે આજે આપણી પાસે એવી ટૅકનૉલૉજી છે જેનાથી મનુષ્યોને વ્યાપક ધોરણે હૅક કરી શકાય એમ છે. આનો અર્થ એ છે કે આપણે લોકશાહીનું પુન:નિર્માણ કરવું પડશે, માર્કૅટનું પણ પુન:નિર્માણ કરવું પડશે. ગ્રાહક હંમેશાં સાચો હોય છે, ગ્રાહક ઇચ્છે એ જ અમે કરીએ છીએ, (અવાજમાં તેજી આવી જાય છે.) એ આખો ખ્યાલ બરાબર છે પરંતુ તમે ગ્રાહકોને હૅક કરી શકો છો, એમને શું જોઇએ છે એ એમને કહીને તમે ઇચ્છો એમ એમને વાપરી શકો છો, એનું શું? એટલે આ સમગ્ર ખ્યાલ કે કૉર્પોરેશનો તો ગ્રાહકોની જરૂરિયાતોને જ પોષે છે — આ બધું સમાપ્ત થઈ ગયું છે. આ ખુલાસાઓની પાછળ હવે સંતાઈ શકાય એમ નથી.

નોઇમાર્ક : તમને સાંભળ્યા પછી એવું લાગે છે કે કદાચ આ મહામારીએ ભંગાણ સર્જ્યું છે, કદાચ આપણને જે પરિવર્તનની જરૂરિયાત છે એ માટે આ વિશ્વ વ્યાપી મહામારી એક તક છે. એ છે કે કોવિડના દસ મહિના વીતી ગયા બાદ કશું પણ આપણને ડિસેમ્બર ૨૦૧૯માં પાછું લઈ જઈ શકે એમ નથી પરંતુ શું આપણે અનુ-મહામારી (પોસ્ટ-પૅન્ડેમિક) વિશ્વની નવી વાસ્તવિક્તાની કલ્પના કરવાની શરૂઆત કરી શકીએ? જૉબ માર્કૅટ, રિયલ ઍસ્ટેટનો ધંધો, કુટુંબ, નવરાશની સંસ્કૃતિ, પર્ફોર્મિંગ આર્ટ્સ, આ સમયે બધું બદલાઇ ગયું છે.

હરારી : હા, આપણે જરૂર છે … આપણી પાસે વિકલ્પ નથી. આપણે નવા ભવિષ્યની પુન:કલ્પના કરવી જ પડશે કારણ કે આપણે ભૂતકાળમાં પાછા ફરી શકીશું નહીં. એ અશક્ય છે. આમ તો કોવિડની પૂર્વે પણ —

નોઇમાર્ક : પાછા જવામાં વૅકસિન આપણી મદદે નહીં આવે?

હરારી : વૅકસિન ચોક્કસ આપણી મદદે આવશે, પરિસ્થિતિને પહોંચી વળવામાં એ આપણી મદદ કરશે …

નોઇમાર્ક : પાછા નહીં લઈ જઈ શકે.

હરારી : ના, પાછા નહીં લઈ જઈ શકે. નવી ટૅકનૉલૉજીના બળ પર ઝડપી પરિવર્તનની પ્રક્રિયામાં આપણે પહેલેથી હતાં જ, કોવિડે કેવળ એની ગતિ વધારી દીધી છે. જે પરિવર્તનોને આવતા ૧૦-૨૦ વર્ષ લાગી જશે એવું આપણને લાગતું હતું, જેમ કે યુનિવર્સિટીમાં અમુક અભ્યાસક્રમોને ઑનલાઇન કરવાનું આયોજન હતું તેને કોવિડને લીધે ૨-૩ અઠવાડિયા કે ૨-૩ મહિનામાં કરી નાખવા પડ્યા. આ પહેલા પ્રક્રિયા ચાલુ તો કરેલી જ હતી.

નોઇમાર્ક : હવે કાર્યસ્થળની નજીક કે શૈક્ષણિક સંસ્થાની નજીક રહેવાની જરૂર નથી. આ સમયમાં શહેરોનાં કેન્દ્રો એમનું કાર્ય ખોઈ રહ્યાં છે.

હરારી : હા, બધું જ ડિજીટલાઇઝ થઈ રહ્યું છે, બધું જ નજર હેઠળ રાખવામાં આવે છે …

નોઇમાર્ક : ને વૃદ્ધો એકલતાનો ભોગ બનતા જાય છે.

હરારી : કેવળ વૃદ્ધો નહીં, યુવાનો પણ એકલતાનો ભોગ બને છે. આપણે સામાજિક ઊથલપાથલની મધ્યમાં છીએ. આપણે પાછા નથી ફરી શકતા એનો અર્થ એ નથી કે ભવિષ્ય ખરાબ હશે. એવું કહેવાય છે કે સારી કટોકટીને એળે જવા દેવી જોઈએ નહીં કારણ કે કટોકટીમાં એવાં સુધારા કરવાની તક પડેલી હોય છે, જે માટે સામાન્ય સંજોગોમાં લોકો ક્યારે ય સંમત ના થાય. પરંતુ કટોકટીમાં છુટકો નથી હોતો એટલે કરવા સંમત થાય છે. આ કટોકટી સામે આપણે ભિન્ન પ્રકારની પ્રતિક્રિયા આપી શકીએ એમ છે. તમે કટોકટી સામે ઘૃણા પેદા કરીને પ્રતિક્રિયા આપી શકો, પરદેશીઓ પર, લઘુમતીઓ પર મહામારીનો દોષ ઢોળીને પ્રતિક્રિયા આપી શકો છો, લોભ પેદા કરીને તમે કટોકટી સામે પ્રતિક્રિયા આપી શકો છે — આમાંથી વધુમાં વધુ કેટલા પૈસા બનાવવા શક્ય છે? તમે અજ્ઞાન ફેલાવીને પ્રતિક્રિયા આપી શકો છો, તમામ પ્રકારની હાસ્યાસ્પદ ષડ્યંત્ર-સિદ્ધાંતો ઘડીને એમનો પ્રસાર કરીને તમે પ્રતિક્રિયા આપી શકો છો — બિલ ગેટ્સે વિશ્વ પોતાને હસ્તક કરવા લૅબૉરૅટરીમાં આ મહામારી સર્જી છે અથવા તમે શાણપણને પ્રોત્સાહન આપીને પ્રતિક્રિયા આપી શકો છો — વિજ્ઞાનમાં વિશ્વાસ રાખીને, એ સમજણ કેળવીને કે આ કટોકટીના સમયે વિજ્ઞાનને અનુસરવું યોગ્ય છે, નહીં કે આ ષડ્યંત્ર-સિદ્ધાંતોને માનીને. તમારે ઘૃણા નહીં પરંતુ કરુણા પેદા કરીને તમારા દેશમાં અને આખા વિશ્વમાં લોકોને સહકાર આપવાના માર્ગ શોધવા જોઈએ કારણ કે વાયરસની સરખામણીમાં મનુષ્યો પાસે જે લાભ છે તે આ છે — આપણે સહકાર આપી શકીએ છીએ, વાયરસ એવું કરી શકતા નથી. લોકોને ચેપ કેવી રીતે લગાડવો એ અંગે ચીનનો વાયરસ યુ.એસ.ના વાયરસને સલાહ નથી આપી  શકતો, પરંતુ ચીન, યુ.એસ., ઇઝરાયેલ અને બ્રાઝીલના ડૉક્ટરો માહિતીની, એમનાં નિરિક્ષણોની, એમનાં પ્રયોગોની આપ-લે કરી સારવાર કરવા, વૅક્સિન તૈયાર કરવા માટે એકબીજાનો સહયોગ કરી શકે છે. માત્ર વાયરસ અંગેની સૂઝ વિકસાવવા સુધી વાત સીમિત નથી, વાત મનોવૈજ્ઞાનિક સૂઝ, આર્થિક સૂઝની છે. વિશ્વભરમાં દેશો એક સરખી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દરેક દેશે એક સરખી ભૂલ શા માટે કરવી જોઈએ? ધારો કે એક દેશે કોઈ પ્રયોગ કર્યો ને પછી એના ખોટા નિર્ણયને લીધે થયેલા મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાનનો ખ્યાલ આવ્યો તો એ દેશે વિના સંકોચે બીજા દેશોને આ માહિતી આપવી જોઈએ. આવા વૈશ્વિક સહકારની આપણને જરૂર છે. માનવજાતિના સૌથી નિર્બળ સભ્યોને, માત્ર મહામારીથી નહીં, પરંતુ આર્થિક પરિણામો સામે રક્ષણ પૂરું પાડવા માટે આપણને વૈશ્વિક સુરક્ષા જાળની જરૂર છે. જો આપણે આટલું કરીશું તો ના કેવળ આ મહામારીનો સામનો કરી શકીશું પરંતુ ભવિષ્યમાં આવનારા આથી ય મોટાં સંકટોનો, જેવાં કે પ્રવર્તમાન હવામાન પરિવર્તન કટોકટી, આર્ટિફિશ્યલ ઇન્ટૅલીજન્સ (એ.આઈ.) અને ઑટૉમેશનનો વધતો પ્રભાવ, સામનો વધુ સારી રીતે કરી શકીશું. બીજી તરફ … ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જોઈએ તો કોવિડ સરખામણીમાં નાનું સંકટ છે, રોગ તરીકે સરખામણીમાં ઓછો તીવ્ર છે. નાની મહામારી છે, મૃત્યુદરના સંદર્ભે ૧%થી પણ ઓછાં મૃત્યુ થાય છે. બલૅક ડૅથ કે ૧૯૧૮નો બીગ ઇન્ફ્લુએન્ઝા કે એડ્સ. ૧૯૮૦માં તમને ઍડ્સ થાય તો તમારું મૃત્યુ નિશ્ચિત હતું, મૃત્યુદર ૧૦૦% હતો. આની સરખામણીએ કોવિડ બહુ ઓછી તીવ્રતા ધરાવતો રોગ છે. આ જાણે એવું છે કે કુદરતે આપણને પ્રૅક્ટિસ બૉલ નાખ્યો છે, જોઈએ તમે કેવો સામનો કરો છો, હું ખરેખર મોટી બંદૂકો કાઢું તે પહેલાં — જેવાં કે હવામાન પરિવર્તન અને એ.આઈ. જો આપણે આ વાયરસ સામે એક પ્રજાતિ તરીકે એકતા નહીં કેળવીએ તો પર્યાવરણીય કટોકટી, ટૅકનૉલૉજીની દેન એવાં એ.આઈ. અને બાયો-ઍન્જિન્યરીંગને કેવી રીતે પહોંચી વળીશું એ વિચાર માત્ર ખૂબ ચિંતાજનક છે.

નોઇમાર્ક : તમારા મત મુજબ આપણા યુગના નવા પડકારોને પહોંચી વળવા માટે યુનિવર્સિટીઓએ શું પરિવર્તનો લાવવાની જરૂર છે?

હરારી : ઘણું બધું થઈ શકે એમ છે ને આપણી પાસે એટલો બધો સમય નથી એટલે હું માત્ર એક વ્યવહારિક સલાહ આપીશ, ખૂબ નક્કર સલાહ. આજના સમયમાં યુનિવર્સિટીઓ જે સૌથી અગત્યના લોકોને  તાલીમ આપે છે તે કોડરો છે — જે લોકો ઍલ્ગોરિદમ લખે છે, જે લોકો વધુ ને વધુ વિશ્વને ચલાવી રહ્યાં છે. હું ચિંતીત છું, દંગ પણ છું કે આપણે તાલીમ આપીએ છીએ, યુનિવર્સિટીઓ કોડરો તાલીમ આપે છે પરંતુ હું જાણું છું ત્યાં સુધી તેમના ભણતર દરમ્યાન એ લોકોને નીતિશાસ્ત્રનો અભ્યાસ  કરાવવામાં આવતો નથી. નીતિશાસ્ત્રનો કોર્સ કર્યાં વિના તમે મૅડિસિનમાં ડિગ્રી સર્ટિફિકૅટના મેળવી શકો. એ અભ્યાસક્રમનો હિસ્સો છે. સાંપ્રત સમયમાં ડૉક્ટરો કરતાં પણ કોડરો વધુ મહત્ત્વ ધરાવે છે,  એ લોકો વિશ્વનું પુન:નિર્માણ કરે છે, બધું જ. મારી ભલામણ એ છે કે એમના અભ્યાસક્રમના ભાગરૂપે, કમ્પ્યુટર સાયન્સમાં અને અન્ય સંબંધિત વિદ્યાશાખાઓમાં, વિદ્યાર્થીઓની પહેલ પર છોડી દેવું ના જોઈએ, તત્ત્વજ્ઞાનના, નીતિશાસ્ત્રના અભ્યાસક્રમ — જેમ મેં અગાઉ કહ્યું તેમ તત્ત્વજ્ઞાન સંબંધી પ્રશ્નો હવે તત્ત્વજ્ઞાનના વિભાગોમાંથી ઍન્જિન્યરીંગના વિભાગોમાં સ્થળાંતર કરી રહ્યાં છે, જે લોકો નક્કી કરે છે … એ લોકોએ સમજવું પડશે કે એ કમ્પ્યુટરનું કોડીંગ નથી કરી રહ્યાં, મનુષ્યોનું કોડીંગ કરી રહ્યાં છે, સમાજનું કોડીંગ કરી રહ્યાં છે અને હું માનું છું કે યુનિવર્સિટી આ કામ ખૂબ સહેલાઈથી કરી શકે એમ છે. એને અભ્યાસક્રમનો હિસ્સો બનાવી દો અને સામાન્યપણે એક તરફ, હ્યુમૅનિટિઝ અને સોશ્યલ સાયન્સીસ વચ્ચે અને બીજી તરફ, નેચરલ સાયન્સીસ અને ખાસ કરીને ઍન્જિન્યરીંગ ને કમ્પ્યુટર સાયન્સ વચ્ચે વધુ આદાનપ્રદાન જોવા મળશે કારણ કે જ્યાં સુધી તમે આ બધાંને એકબીજાથી જુદા રાખવાનો પ્રયત્ન કરશો, ત્યારે, તમે જે કાંઈ ‘ઍમ્જિન્યર’ કરશો (ક્રિયાપદ તરીકે અંગ્રેજીમાં અર્થ ‘યોજના ઘડવી’), એના પરિણામરૂપે જે સામાજિક હોનારત, માનવતાવાદને લગતી હોનારતો સર્જાશે તેનાંથી દંગ ન થશો.

નોઇમાર્ક : પ્રૉફેસર યુવલ નોઆ હરારી, અમને સમય આપવા બદલ અને આ પાઠ બદલ આપનો આભાર.

હરારી : આભાર.

~

સ્રોત :  https://www.youtube.com/watch?v=ltJTRnNLYqY&feature=emb_logo 

Loading

કાલાઘોડા કાવ્યો

બકુલા દેસાઈ - ઘાસવાલા|Opinion - Opinion|1 December 2020

કાલાઘોડા કાવ્યો

(અરુણ કોલાટકર : અંગ્રેજીઃ હેમાંગ દેસાઈઃ ગુજરાતી)

‘કાલાઘોડાં કાવ્યોમાંથી પસાર થતાં પહેલાં પ્રસ્તાવનામાંથી જ બહાર નીકળી શકાયું નહીં. વિચારવા માટેનું ભાથું તો ઠેરઠેર. તે જ પહેલાં જોઈ લઈએ.

“લગભગ ૧૯૭૭માં બેડટાઇમ સ્ટોરીનું લેખનકાર્ય પૂરું થઈ ગયેલું અને પછી તરત જ કટોકટી પાછી ખેંચવામાં આવી. મને થયું કે મારા નાટકની ધાર ખાંડી થઈ ગઈ, ડંખનું ઝેર ઊતરી ગયું. પણ એ મારી ભૂલ હતી. એ ઘડીએ મારું નાટક સૌથી વધારે પ્રસંગાનુરૂપ અને સુસંગત બની રહ્યું, કેમ કે જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા પછી પણ વચનો પાળી ન શકી અને લોકતાંત્રિક મૂલ્યો અને પ્રક્રિયાને પુનઃસ્થાપિત ન કરી શકી. પરિણામે એ ત્રણ જ વર્ષમાં ઇન્દિરા ગાંધી ફરી એક વાર સત્તારૂઢ થયાં. (કિરણ નાગરકર, ૨૦૧૫ : ૪-૫)”

એ જ રસ્તે ચાલવાનું પછીના શાસકોને ફાવતું પડી ગયું? આપમેળે જ કટોકટી અને પાલન. મેં બોઈ બી’ની ને ચાઈ બી’ની.

“જો આપણે ગેરરીતિઓ, સંવિધાન અને મૂળભૂત માનવાધિકારોનું ઉલ્લંઘન, નિર્દયતા, હિંસા, પૂર્વગ્રહ, દ્વેષ અને અલ્પસંખ્યકોનું દમન પછી દુનિયામાં ગમે ત્યાં એ થતું હોય, વગેરેને ધ્યાનમાં નહીં લઈએ, આ બધાંના વિરોધમાં ઊભા નહીં રહીએ અને સત્તાના કેન્દ્રને આપણો સહિયારો અવાજ સાંભળવા ફરજ નહીં પાડીએ, તો આપણી નિષ્ક્રિયતાનાં વરવાં પરિણામોના જવાબદાર બીજા કોઈ નહીં, પણ આપણે પોતે જ હોઈશું. (નાગરકર, ૨૦૧૫ : ૫ પાનું ૪ અને ૫)”

“વાત એ છે કે કોઈ પણ કૃતિની પ્રાસંગિકતા અને પ્રસ્તુતતા સાબિત/સાબૂત કરવાનું કામ વાચકનું છે, નહીં કે સર્જકનું.”(પાનું ૬)

“સર્જકનું કામ ગર્ભાધાનનો ઉત્તરોત્તર ઘટતો સમય સંભાળવાનું છે. ગર્ભાધાનનું રૂપક એટલે કૃતિના સર્જન માટે હેત, વાત્સલ્ય, કાળજી અને પોતાપણાનાં સંવેદનોને ઉજાગર કરવાનો છે.”

(આ પછી પ્રસ્તાવનાકારે આજના ડિજિટલ અને માર્કેટિંગયુગમાં ખેલાતા ખેલોની લાંબી પ્રસ્તાવના લખી છે, જેમાં તથ્ય છે.)

“લેખક કે સર્જકને માનઅકરામની અપેક્ષા ન હોય તેવા જૂજ તો હોય છે. કોલાટકર એમાંના એક હતા. તેઓ દુર્લભ, વીરલ અને ઉત્કૃષ્ટ સર્જક હતા. એમને પોતાનું સર્જન પ્રકાશિત કરવા બાબતે ઘોર ઉદાસીનતા હતી જે અરુંધતી રૉયમાં પણ જોવા મળે છે.”(પાનુંઃ ૬)

અહીં હેમાંગ પ્રશ્ન કરે છે અને જવાબ પણ શોધે છે કે કોલાટકર કે અરુંધતી પોતાનાં પુસ્તકપ્રકાશન માટે શા માટે વીસ-વીસ વર્ષની રાહ જોઈ શકે છે. કોલાટકરે ક્યારે ય પોતાના સર્જનના પ્રકાશનની ફિકર ન કરી. (એમના અંગત મિત્રો .. વ.પાનું ૮) એની સામે આજકાલ લોકોની માનસિકતા વિશે લખે છે કે માનઅકરામ, વિદેશમુસાફરી, જાહેર કાર્યક્રમો માટે કેવી મહેનત કરાય છે. અન્યાય, શોષણ સામે બડી-બડી ડિંગ હાંકે, પરંતુ લાભ મળે કે એમના હાથમાંથી લાકડી છૂટી જતી હોય છે! આવા સમયે પોલિટિકલી કરેક્ટ ભાષા લાવતા કપટી સર્જકો લોટી આવતા હોય છે. (પાનુંઃ ૮)

ત્યાર પછી કોલાટકરની કૉન્ટ્રેક્ટ વિશેની અવઢવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોલાટકર કે અરુંધતીને બીજા પુસ્તક દ્વારા લાભો મેળવવાનો મોકો  નહીં મળ્યો હોય, આ પ્રશ્ન હેમાંગ કરે છે અને લખે છે કે કોલાટકરે આખી જિંદગી પોતાની પત્ની સુનુ સાથે પ્રભાદેવી, મુંબઈના એક રૂમના એપાર્ટમેન્ટમાં કાઢી. જગ્યાના અભાવે કોલાટકર પુસ્તકો મિત્રોને ત્યાં મૂકી આવતા. આજે હવે એ પુસ્તકો ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કોલાટકર શેલ્ફમાં ઉપલબ્ધ છે. આ વાત પછી હેમાંગ પૂછે છે કે આ સર્જકો કેવી રીતે લોભામણી, ચમકતી, દમકતી દુનિયામાં અડીખમ અને સફળ પ્રતિરોધક રહ્યા છે, અને પોતે જ જવાબ આપે છે કે કળા પ્રત્યેની એમની અખંડ, અવિભક્ત પ્રતિબદ્ધતા. કોલાટકર પ્રકાશનથી વેગળા રહી શકતા એનું કારણ પોતે કવિતા સાથે લાંબો સમય જીવતા એ હતું તેવું એ પોતે માનતા હતા. (પાનું ૧૦) તેઓ પોતાની કૃતિને વારંવાર મઠાર્યા કરતા. ‘કાગડો’ કાવ્ય એવી સર્જનપ્રક્રિયાનું ઉદાહરણ છે. (અહીં હેમાંગે ચીવટાઈ શબ્દ વાપર્યો છે, પણ મૂળ શબ્દ ચીવટ જ છે. પાનું ૧૦) કાગડાનો માળો બાંધવા પસંદ કરવા માટેની સળકડી શોધવાનો ખંત, ચીવટ, ચાનક અને તકેદારી હોય છે એ જ ખંત, ચીવટથી કોલાટકર કાવ્યસર્જન કરે છે. એમના બહોળા સમુદાય માટે નહીં પણ ખુદમાં અને નિકટવર્તી વર્તુળ વાંચે એમાં  જ રસ હોય છે. સર્જન પછીની સંતુષ્ટ, નિરાસક્ત તૃપ્તિ એ જ કાવ્યનું પ્રયોજન. અપરિગ્રહની, વિભાવનાનો રણકો. કોલાટકરની અભિવ્યક્તિની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને ભાવક-ઉપભોક્તાના નિયંત્રિત અને અનિયંત્રિત બજાર વિશે બોર્ડયૂના સાંસ્કૃતિક ઉત્પાદનના પિષ્ટપેષણને અહીં સ્થાન મળ્યું છે કે આ સર્જકો ફક્ત ને ફક્ત પોતાની નિસબત, કલાની સ્વતંત્ર અને સ્વાયત્ત અભિવ્યક્તિને વફાદાર રહે છે. સામી બાજુના સર્જકો બજારના તર્કશાસ્ત્ર, વિચારધારા, સત્તા અને મહત્તાના રાજકારણને ધ્યાનમાં રાખે છે. કોલાટકરનો મોટા પ્રકાશકોની માનસિકતા સાથે મેળ ખાતો નથી. કોલાટકરને એમની પ્રોડક્ટની વિભાવનામાં રસ નથી. સામે પ્રકાશકોને નિસબત, સ્વતંત્રતા, સ્વાયત્તતા જેવી બાબતોમાં રસ નથી! કોલાટકર એવી જમાતના સભ્ય છે, જેમને પોતાની ખુમારી છે, સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટેની જીદ છે. એમને સીધા સંઘર્ષમાં ઊતરવાની ફાવટ છે, એટલે અરુંધતી અને કોલાટકરના મિજાજનો મેળ રહે છે. એમને માનવીય મૂલ્યોના જતનમાં રસ છે, એમને અસંદિગ્ધ ભાષામાં અન્યાય, વિષમતા, શોષણ વિશે લખવા-બોલવાની ફાવટ છે. જેમ કે કોલાટકર (ડેવિડ સસુન, પાનું ૨૧૫) લખે છેઃ

“જાનથી પણ વહાલા શહેરની
આસ્તે-આસ્તે થઈ રહેલી તબાહી.”

આ પંક્તિ સાંપ્રતસમયને કેટલી બધી અનુરૂપ છે અને વાસ્તવિકતાને સુપેરે વ્યક્ત કરે છે!

અહીં ફરી હેમાંગ કોલાટકર અને અરુંધતીની તુલનાત્મક સમીક્ષા કરે છે. એ સ્વીકારે છે કે કેટલાક ભાવકોને વખતે એ ન ગમે, કારણ કે અરુંધતી અન્યાયો વિરુદ્ધ પ્રત્યક્ષ જનઆંદોલનો સાથે સંકળાયેલાં છે, જ્યારે કોલાટકરની હાજરી નહીંવત્‌ છે. છતાં બન્નેને જોડે છે તે સામાજિક નિસબતને પોતાની સાહિત્યિક અભિવ્યક્તિમાં ઉજાગર કરવાની પ્રતિબદ્ધતા.

વિવિધ ઘટના સમયે કોલાટકરના ‘મૌન’ વિશે વિશદ ચર્ચા પછી ફરીથી હેમાંગ ‘કાલાઘોડા પોએમ્સ’ વિશે લખે છે તે પહેલાં નુક્તેચીની કરે છે કે પ્રવર્તમાન અસહિષ્ણુતા અને સેન્સરશિપના કારણે કોલાટકરને પોતાની કૃતિઓના પ્રકાશનમાં ખાસ રસ રહ્યો નથી. જેઝુરીના પ્રકાશન પછી જે પરિસ્થિતિ ઊભી થઈ તેના કારણે કવિ ઉદાસીન રહ્યા હોય એમ બને. વિવાદો, કોર્ટકેસ, ઉધામાના કારણે કવિ ઉદાસીન રહ્યા હોય પણ સર્જનકાર્ય તો અવિરત ચાલુ રાખ્યું. એમણે પ્રકાશનની જવાબદારી મિત્રો અને ભાવકો પર છોડી અને અશોક શહાણેને કહેલું કે તારે કદાચ ‘બલવંત બુઆ’ને પ્રકાશિત કરવા ત્રીસેક વર્ષની રાહ જોવી પડે કે જ્યારે આ અસહિષ્ણુતા થોડી નરમ પડી હોય! કોલાટકરની ‘બલવંત બુઆ’ એ એવો સબલટર્ન અભ્યાસ છે કે જે બૉમ્બેનો છૂપો ઇતિહાસ છે. એક માણસે કરેલી જાતીય વર્તણૂક અને જીવનમૂલ્યોની મોજણી છે.વર્ષો સુધી કોલાટકરે આ જીવનકથાનું દસ્તાવેજીકરણ કરવા માટે સાધના કરી છે.

આ સાથે કોલાટકરના સમગ્ર કાવ્યસંગ્રહના પ્રકાશન અને કાલાઘોડાના ગુજરાતી અનુવાદમાં ગયેલી સમયાવધિ વિશે હેમાંગ લખે છે કે રાહ જોવી એ કોલાટકરનો સ્વભાવ હતો. અને કદાચ મારો પણ એવો જ ભાવ છે. ગુજરાતી અવતરણનો આ જ સમય નિયતિને મંજૂર હશે એમ માનવામાં મોટું જોખમ નથી. અહીં હેમાંગ આધુનિકવાદ, આધુનિકતા, આધુનિકીકરણ અને બૉમ્બે-મુંબઈ વિશે વિશદ ચર્ચા કરી કોલાટકરની સંકલ્પનાઓમાં રહેલા ગર્ભિત વિવાદ અને જટિલતાને ઉજાગર કરે છે.

પછી એ અનુવાદની પરંપરાગત વિભાવના અને નૂતન પરિમાણોની વિશદ ચર્ચા કરે છે. સાથે કોલાટકરના તુકારામને સંબોધીને લખાયેલા કાવ્યને પ્રસ્તુત કરી પ્રવર્તમાન પરિસ્થિતિનું  શબ્દાંકન કરે  છે.

ત્યાર પછી હેમાંગ કૉલોનિયલ-પોસ્ટ કૉલોનિયલ પ્રવાહની ચર્ચા કરી કોલાટકરના પ્રદાનને મૂલવે છે. સાથે કૉસ્મોપોલિટનનો અર્થધ્વનિ બે રીતે પ્રગટ કરતા લખે છે કે એક અર્થ મુંબઈ જેવા શહેરમાં વસતો સમુદાય જે ધર્મ, સંપ્રદાય, વર્ગ, વર્ણ, જાતિના ભેદભાવ વગર શાંતિથી રહે છે, જે મધ્યમવર્ગ છે, તો બીજો અર્થ સ્વ અને આંતરદ્વંદ્વને પ્રગટ કરે છે.એને બૃહદ્દ પરિપ્રેક્ષ્યમાં યુરોપિયન ઓલ્ટર ઇગો સુધી લઈ જઈ યહૂદી કલાકાર અને બુદ્ધિજીવી વગર યુરોપિયન કૉસ્મોપોલિટનનું પોત શું હોય તે દર્શાવવાની કોશિશ સાથે યુરોપિયન મૉડર્નિટીની વાત પણ કરે છે. અલ્પસંખ્યકની સભાનતા પણ અહીં અભિપ્રેત છે. અહીં હેમાંગ પોતાના, ચૌધરીના અને અન્ય વિદ્વાનોના મંતવ્યને પણ પ્રમાણી વિશદ ચર્ચા કરે છે. તેનું મૂળ છેવટે ઓળખની કટોકટી અને બેઘરપણું, અનિકેત, રોજિંદી ભાષા ભમતારામ સુધી અને સમાંતર બોહેમિયન સંસ્કૃતિના પરિચય સુધી પહોંચે છે, જેને માત્ર ને માત્ર સ્વાયત્તતા અને સ્વતંત્રતા સાથે જ નિસબત છે. પછી બિટનિક કવિઓ અને બોહેમિયનના સંબંધને વર્ણવી મૉડર્નિટીનું વર્તુળ પૂરું કરે છે. જે કવિને  પોતીકાપણાથી લઈ સાંસ્કૃતિક મૂળિયા સુધીની ખોજ તરફવાળી સ્વથી સમષ્ટિ સુધી વિચારી સર્જન માટે ઘડતર કરે છે, એટલે જ કોલાટકર પોતે મનપસંદ કવિઓની વાત કરે છે, ત્યારે વિશ્વભરના કવિઓ સાથે નામદેવ અને તુકારામને પણ જોડે છે. એમનું વાચન બહોળું, ગહન અને વૈવિધ્યસભર પણ છે. અહીં હેમાંગ કોલાટકરના દ્વિભાષી સર્જનની વાત કરી તેઓ કેવી રીતે મૌલિકતા અને અનુવાદના અરસપરસ સંબંધોનો છેદ ઉડાડી મરાઠી-અંગ્રેજીમાં એક જ કૃતિનું સર્જન કરી પોતાની નિર્બંધતાનો પરિચય આપે છે, તેનું વિવરણ કરે છે. તો અન્ય ભાષાની કવિતાઓને આત્મસાત્‌ કરી એનું નવસર્જન કરવાની હથોટીનો અણસાર પણ અહીં મળે છે, જેમ કે ઝેકીનાં કાવ્યો. તો વાનગીઓનો શોખ પણ એમને વિવિધ રેસ્ટોરાંથી ભોજનાલયોની મુલાકાતથી કાલાઘોડાના શિરામણનું કાવ્યસર્જન કરવા સુધી લઈ જાય છે. જે કૉસ્મોપોલિટન જીવનને અલગ અંદાજે વર્ણવે છે, તો ભૂખ અને ભોજનનાં સત્યને પણ કલાત્મક રીતે ઉજાગર કરે છે. પરિભ્રમણ, સ્થાપિત, વિસ્થાપિતની પ્રક્રિયાને વર્ણવતાં કાવ્યો સાથે પોતાનું એક રૂમના ઍપાર્ટમેન્ટમાં રહી જાળવેલું અસ્તિત્વ અને એના વૈશ્વિક સંબંધનો અનુબંધ જાળવી રાખી મૉડર્નિઝમ સાથે કાવ્યાત્મક અભિવ્યક્તિ કરવાની પ્રક્રિયાનો ખ્યાલ આપવાનો પ્રયત્ન થયો છે, તો નવરાધૂપ બની રખડપટ્ટી કરી વર્તમાન નીરખી અલગારી આવિષ્કારની રીતને પણ ઉજાગર કરી છે. ટોળામાં રહેવું અને અલિપ્ત રહેવું અને સઘળું નવ્યદૃષ્ટિથી જોવું – માણવું અને સર્જવું આ બધાં કોલાટકરની સર્જકતાનાં અભિન્ન અંગ છે. હેમાંગ આ બધાં પાસાંને કાલાઘોડાનાં કાવ્યોમાં તપાસવાનો ઉદ્યમ પણ કરે છે.

તો બીજી બાજુ શહેરમાં હાંસિયામાં ધકેલાયેલા, ઘરવિહોણા, વતનવછોયા, ઇતિહાસવિહોણાં, અસ્તિત્વવિહોણા જીવોની અવદશા માટે સંસ્થાકીય રાજકારણને જવાબદાર ઠેરવે છે. આ કાવ્યો બોદલેરના આધુનિક ઘોષણાપત્રનું આબેહૂબ મૂર્તરૂપ છે. એ આ તરછોડાયેલાની વ્યથાકથા અને વાસ્તવને હળવાશ સાથે હૂબહૂ વર્ણવી શકે છે. જેઝૂરી અને કાલાઘોડા પોએમ્સમાં તળથી તળિયે જઈ દેખાતી સૃષ્ટિનાં પાત્રોને મૂર્તિમંત કરે છે જેમાં જૂનું ટાયર પણ હોય અને ચરસ વેચનારી ડોશી પણ હોય, ઘરડી માછણો હોય અને જાહેર શૌચાલયની અટેન્ડન્ટ પણ હોય. કાગડો હોય તો તરબૂચ, ચકરડી, બટાકા છોલનારા પણ હોય. એમને કોઈ પણ વિષય અસ્પૃશ્ય ન હતો. શહેરની ગંદકીને નવેસરથી પરિમાણ આપતા એ શહેરને ગૂ-નગર પણ કહી શકે છે, તો એને દહેજમાં આપેલો ગૂખાડીનો ઘચૂમલ પણ કહી દે છે. શહેર અને તળમાં બોલાતી અનેકાનેક બોલીઓને કાવ્યમાં પ્રયોજી એને સ્થૂળથી અધ્યાત્મચિંતન સુધી લઈ જઈ શકે છે, એટલે જ કચરાને તરછોડાયેલા જનસમુદાય સાથે જોડી શકે છે. દલિતોને સામાજિક ન્યાય માટે રાહ જોતા સમૂહના સ્તરેથી એમને સંકુચિત રાજકારણના ભોગ બનતા સમૂહની માનસિકતા સુધી વર્ણવી શકે છે. એમને વસાવતું એ શહેર જે-જે સંઘરી બેઠું છે તેની અરસપરસની નિર્ભરતા અને ઉદાસીનતાને પણ કવિ શબ્દાંકિત કરી શકે છે. ફાવેલા અને ન ફાવેલા, મેળવી ગયેલા અને મેળવવાની રાહ જોનારા, નગણ્ય અને ગણાયેલા વચ્ચેની ખાઈ છતાં એમના વિનાનું જીવન કેવું અસહ્ય હોય છે, તેની કડવી વાસ્તવિકતા એમનાં કાવ્યોમાં સતત વણાતી રહી છે.

એ સમજવા માટે એક જ કાવ્ય બસ થઈ જશે … (પાનું : ૬૧)

‘આંધ્રપ્રદેશના બંદાનગરમાં કે પછી
ભારતના કોઈ પણ ખૂણે,
તેર ઊંચી જાતના હિંદુઓ
ચાર દલિતોને
અબ્બીહાલ
માનવવિષ્ટા,
સીધેસીધું કહું તો
ગૂ
ખાવા મજબૂર કરી રહ્યા છે.
કારણ પૂછો તો કે’કે
બીજું કંઈ નહીં એ કે
જમીનદારના જુવારનાં ખેતરોમાં
એમણે રેઢાં મૂક્યાં ઢોર.”

(કાળાઘોડા, શિરામણ વેળા, પાનું ૧૬૦-૧૬૧)

બ્રાહ્મણવાદી-મનુવાદી માનસ અને તેનો છેદ ઉડાવી અરસપરસ આક્ષેપ-પ્રતિઆક્ષેપ, આક્રોશ-આક્રંદ, ધ્વંસ-વિધ્વંસના સર્જનની ક્રિયા-પ્રતિક્રિયા પણ હવે તો પરંપરાગત વલણ-લઢણ બની રહી છે. એટલે જ દલિત, નારીવાદી, આદિવાસી, ડાયસ્પોરા એવા ચોકા રચી સાહિત્યસર્જન થઈ રહ્યું છે. આ મુદ્દાની વિશદ છણાવટ હેમાંગે પોતીકી રીતે અને અન્ય વિદ્વાનોનાં મંતવ્ય લઈને કરી છે. તો પણ એટલું તો લખ્યું જ છે કે કોલાટકર મુંબઈની બહુરંગી ઓળખને ડાઘિયા, દલિત, બૉમ્બે જેવી સંજ્ઞાઓમાં પરોવી વિવિધ સીમાઓ વચ્ચેનું  પોએટિક કન્ફ્યુઝન ઊભું કરી ફરી સમરસતા, સરોકાર અને સહવાસની વૈકલ્પિક માનવીય ફિલસૂફીને વાચકો સમક્ષ મૂકે છે. આધુનિક ભારતીય સમાજમાં ઘરની સંકુચિત, કૃપણ સંકલ્પના હવે મુખર બની રહી છે અને એ કડવું સત્ય છે. અરીસાની દીવાલોવાળા આપણા વૈચારિક, સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ઘરમાં આપણે ફક્ત પોતાની જ છબી જોવા માટે તૈયાર અને ટેવાયેલા છીએ અને ઘરની જડબેસલાક કિલ્લેબંધી કરી રહ્યા છીએ. નગણ્ય, નિરાશ્રિત, નિર્વાસિત, પરાશ્રિત, દલિત, દરિદ્રનું અહીં સ્થાન નથી. (પાનું ૬૯) કોલાટકર વધતી જતી જાહેર જગ્યાના વ્યવસ્થાપકને સમાજના અન્યને તડીપાર કરવાની કે પતાવી દેવાની મંશા સાથે સંકલિત કરે છે તે બૉમ્બે જેવા શહેરના સંદર્ભે અત્યંત પ્રાસંગિક છે. પછી એને રમખાણોની પશ્ચાદભૂમાં તપાસાયેલ કારણોની વાતથી લઈ કૉસ્મોપોલિટન, મેટ્રોપોલિટનની વાસ્તવિકતાનું વર્તુળ પૂરું કરી મુદ્દો સમજાવવાનો પ્રયાસ દેખીતો બની રહે છે. કોલાટકરની કવિતાઓમાં કચરો-ઉકરડો અને વિસ્થાપિતો-નિરાશ્રિતોની શરણાર્થી છાવણીઓની કડવી, કરુણ વાસ્તવિકતા છતી થાય છે. (શર્મા ૨૦૧૭; સાગર ૨૦૧૭/ પાનું : ૭૦) તો એવો જ અમદાવાદનો જુહાપુરાનો જેફરલાટ અને લાલીવાળાના અભ્યાસનો ઉલ્લેખ પણ હેમાંગ ચૂકતો નથી, જેમાં એ સ્થળો હવે સ્થાનિક બોલીમાં ‘વાઘાબૉર્ડર’ કે ‘પાકિસ્તાન’ના પ્રતિરૂપ ગણાય છે, જેને ઘેટો પણ કહેવાય છે.

પછી પૂરું વિવરણ નફરત, ઘૃણા, દ્વેષના રાજકારણની ચર્ચાથી લઈ એના શમનનો ઉપાય હવે કોની જવાબદારી પર વાત આવીને ઊભી રહે છે અને છેવટે એ આપણી સહિયારી જવાબદારી છે અને એ જ સાચી આસ્તિકતા છે તે સમજાય છે. એનું ઓસડ છે શબ્દ જે ખોવાયો છે પણ નામશેષ થયો નથી. (પાનું ૭૬) છતાં એ હવે કોઈને સ્પર્શતો જણાતો નથી. હવે જે વિમાસણ કે ફિકર છે તેઓ કે સંવેદનશીલ, સમજુ, શાણા બુદ્ધિજીવીઓ ચૂપ થઈ રહ્યા છે કે એમને ચૂપ કરવામાં આવી રહ્યા છે.

(વિલિયમ બકલીને નામ ચોમ્સ્કીએ આપેલી મુલાકાતમાં વિયેટનામ યુદ્ધ પછી આચરાયેલા વૉરક્રાઇમ્સ સંદર્ભે કહેલી વાતનો સૂર : પાનું ૭૮) આપણી રોજબરોજની બોલી અને માનસિકતાનો સંદર્ભ સમજવો જરૂરી છે. એલન ગિન્સબર્ગનું અવતરણ ટાંકીને હેમાંગ કાલાઘોડા પોએમ્સ સંદર્ભે એ મુદ્દો સમજી શકાય તેવી છણાવટ કરે છે. અનુવાદકાર્ય અને માનવભક્ષણનો ઉપક્રમ પણ હરીશ ત્રિવેદી અને સુસન બેસનેટના પોસ્ટ કૉલોનિયલ ટ્રાન્સલેશનના વિવરણ (૧૯૯૯) થકી સમજાવે છે. (પાનું ૮૦) તે જ રીતે ભાષા, માતૃભાષા, બોલી અને ભારતીય વાસ્તવની ચર્ચા માટે તો વાચકે પુસ્તકની પ્રસ્તાવનામાં ઊંડું ઊતરવું જોઈએ.

મને જેણે વધારે અસર કરી છે, તે કોલાટકરનો અડ્ડો હતી અને પછી તોડી પાડવામાં આવી તે રેસ્ટોરાં – વે સાઇડ ઇન, જે.જે. સ્કૂલ ઑફ આર્ટ અને જહાંગીર આર્ટગૅલેરી અને કાલાઘોડાનાં વિવિધ સ્થાનો, જ્યાં કલાકારો, બુ્‌દ્ધિજીવીઓનો અડ્ડો રહેતો, તે વિષયક અણસાર.

અહીં હું કેટલાંક મને સ્પર્શેલાં કાવ્યોની પંક્તિઓ નોંધીશ, જેનું વિવરણ કે અર્થઘટન ઉપર્યુક્ત આલેખનમાં હશે જ, એટલે ફરીથી એ વિશે વિવરણ નહીં કરું.

* હેમાંગે જે અનુવાદ કર્યો તેમાં બોલીપ્રયોગ છે એ દક્ષિણ ગુજરાતનો નથી. આ બોલી-પ્રભુત્વ દાદ માંગે તેવું છે પણ એ ભાઠલી / અનાવિલ બોલી નથી તે નોંધવું રહ્યું. જે મને તો સમજાઈ નથી, એટલે એ કાવ્ય તો હેમાંગે જે વિવરણ કર્યું તેમાં માણ્યું, બાકી ઉપર ગયું! ફક્ત “ચાલુ  દાડે તો, એ લાગઅ બસ એક પારકિંગ પલોટ, પચ્ચી ગાડીયોની ગમોણ હમજી લો.” હમજાયું કે ગૅરેજ નહીં ગમાણ. અને ડાઘિયાનું ચિત્ર તો ગઈમું જ. (પા ૯૦) કાશ! આ કાવ્ય દક્ષિણ ગુજરાતની બોલીમાં હોત! હેમાંગ હાથે ઓરખાણ કાડતી વખતે એણે વૉટ્‌સએપ પર લખેલું, “kala Ghodana Daghia jevo chhe maro itihas”. મને વિચાર આવ્યો કે ક્યાંક બધાંનાં  જ ઇતિહાસને એકાદ લિસોટો ડાઘિયા કૂતરા કે લાલી કૂતરી જેવો હોતો નથી?

* મને ધ્યાનાકર્ષક લાગેલાં કાવ્યો છે પરમેશ્વરી, મીરાં, કાગડાને, ચકરડી, સાઇકલનું જૂનું ટાયર, કેરોસીન, ચરસની ગોળીને, ચોકડીની ઉઘાડપગી રાણી, કાળાઘોડા, શિરામણ વેળાનાં કુલ ૩૧માંથી કેટલાંક કાવ્યો,

* મીરાં ૨ માં “પેલું સરકારી તો બળ્યું સાવ બરડ ને જડ. આ ભાયડાઓને કો’જાણે કેમ વધારે ફાવે એય મૂઆ એવા જને? અડિયલ ને અક્કડ.” (પાનું ૧૦૪ : વાત ઝાડુની છે.)

*  પરિણામ એ કે જેટલું વધારે સાફ કરો બૉમ્બે, એટલું જ વધારે સાફ કરવાનું રહે બૉમ્બે.(પાનુંઃ૧૦૮)

* પ્રભુ સમક્ષ નાચતી મીરાં, કેવું રૂડું નમણું! એકતારો નથી. હાથમાં ઊભી ઝાડુ ઝાલી, આલી રે આલી મીરાં ઝાડુવાલી (પાનુંઃ ૧૦૮)

પગેથી કચરો ગૂંદીગૂંદીને અંતે ચાટે પગનાં તળિયાં અને તરડાયેલી કમાન. મલ્હમ ચોપડે આંટણો પર અને ફૂટી નીકળે આંગળાં વચ્ચેથી વ્યથાના ઝરા સમાન. (પાનું ૧૧૦) કેવી કથા ને વ્યથા!

* સાઇકલનું જૂનું ટાયર : “ના પાડવો હોય ફોડ, તો રાખો મોઘમ. પણ વિચારજો કોઈ દિવસ, મારી ઉંમરે આપની પાછળ પડ્યા હશે, કેટલાક દિલફેંક મજનુ, માય ડિયર મેડમ? (પાનું ૧૩૫)

* કેરોસીન : “ઊપડી એ તો સટાક, એક પરજીવી એની ભઠ્ઠીમાં પણ છે, ઉભાર પરથી સાતેક મહિનાનું લાગે છે. હજી તો વીસનીય નથી થઈ, પણ લાલની સગર્ભા રાણી, લાગ આવે તો દોડે જાણે મૃગલી. (પાનું ૧૪૦)

* ચરસની ગોળીનું તો પૂરું કાવ્ય જ અહીં મૂકવા જેવું છે, એટલે વાંચવાની જ ભલામણ, કારણ કે હવે લેખનું કદ વધી જાય તેમ છે. તો પણ ટૂંક સાર. અફઘાન ખેતરમાં ઊગી અનેક વિટંબણાનો સામનો કરી કૅર વુમન પાસેથી મૂળ ચરસી સુધી પહોંચનાર ચરસની ગોળીની યાત્રાનું વર્ણન અને કૅરિયરવુમનનો મનોવ્યાપાર! (પાનું ૧૪૭)

* ઉંદરમારની જમણવેળામાં – કાવ્યમાં યાદ આવે છે એને :

યાદ છે એને ચાની કુલડી લઈને બેઠેલા એકલ બાબાસાહેબ, કંઈ કેટલાય કાગળ પર

નાચતી નીડર પેન્સિલ થકી નાતજાતથી પર અવિભક્ત સમાજનું સપનું જોતાં આંબેડકર (પાનું ૨૦૪)

પંક્તિ સ્વયંસ્પષ્ટ છે.

*બસ વિવશ આંખે જોયા કરું છું, જાનથી પણ વ્હાલાં શહેરની તબાહી.(પાનું ૨૧૫)

* મેન ઑફ ધ યર (કાવ્ય ૫)

એક કૅલેન્ડરયર તરીકે તો બાકી આપણે ખાસ ઉકાળ્યું નંઈ
એટલે ઇતિહાસમાંથી બાદબાકી પાકી.
ન કોઈ ક્રાંતિ, ન યુદ્ધ, ના નરસંહાર,
કે ન કોઈ આપદા, કુદરતી કે અન્યથા,
રાખવું હોય તોયે કેવી રીતે રાખે યાદ. (પાનું ૨૨૪)

* બીજી બાજુ, એક છે સારા સમાચાર
સ્કૂલનાં છોકરા-છોકરીઓને થયો હાશકારો,
મને યાદ કરવાની ભાંજગડમાંથી મળ્યો છુટકારો.(પાનુંઃ૨૨૫)

શિક્ષણમાં રહેલી વ્યર્થતા પર સીધું નિશાન.

સાચું લખું તો મને કાલાઘોડા કાવ્યોમાંથી પસાર થવું યોગ્ય લાગ્યું છે તો પણ હેમાંગની પ્રસ્તાવના વધારે અસરકારક લાગી છે. એમાં જે સમજ વ્યક્ત થઈ છે, તેના કારણે કાવ્યો વધારે સારી રીતે સમજવાનું દિશાદર્શન સાંપડ્યું છે. કોલટકરના સર્જનમાં સમાજનું વિરૂપ/ કુરૂપ પાસું નજરે ચડે છે. કચરો/ગંદકી, નગણ્યવર્ગની વિડંબના અને વાસ્તવિકતા, એમનું જીવન અને  જીવનશૈલી, એમની બોલી અને અભિવ્યક્તિ, આ કઢંગા, વિવશ, લાચાર જીવનનું વિશ્વરૂપદર્શન, સ્ત્રીઓની દશા-અવદશા – એમની નિજી કથાવટ અને રસ્તા શોધવાની મથામણ, હોશિયારી કે ચાલાકી, સભ્ય સમાજની ઉદાસીનતા, સ્વકેન્દ્રિત વલણ પર પ્રકાશ પાડવાની કોશિશ મુખરિત થઈ છે. એમાં કડવું સત્ય જે રીતે બોલકું બની ગયું છે, તે ક્યાંક મને તો કઠે છે, પરંતુ જેઓ સતત આ જ જુએ છે, વિચારે છે, જીવે છે અને એને મુખર કરવા મથે છે, તેમની અભિવ્યક્તિનું  સ્વરૂપ આવું જ હોય એમ હું તો સ્વીકારું છું.

સમાપનમાં મારે મારો અને હેમાંગનો સંબંધ શું છે, તે વિશે રજૂઆત કરવી જ પડશે, તેથી હું મારી નિસબત પ્રગટ કરી શકીશ. હેમાંગનાં મૂળિયાં વલહાડ અને અનાવલા-ભાઠલાં હાથે (સાથે) ખરાં. એ છાયાનો ભાણજો થાય તેની તો મને છેક હમણાં ખબર પડી! આ બધાંથી ઉપર તો અમે અનુવાદની કોઈ ભૂમિકા પર પણ સંકળાયેલાં છીએ. હું કોઈ વ્યાવસાયિક કે અનુવાદનું શિક્ષણ લઈ બનેલ અનુવાદક નથી પણ મનમરજીની અનુવાદક છું ખરી. સાચું લખું તો જો મેં અનુવાદકલા વિશે લેખો વાંચ્યાં હોત, તો હું કદી અનુવાદકાર્ય કરતે જ નહીં! તે રીતે હું કોઈ વ્યવસ્થિત શિક્ષણ લઈને બનેલ કર્મશીલ પણ નથી. જો એમ કર્યું હોત તો મેં ક્યારેય પણ ‘અસ્તિત્વ’ની સ્થાપના કરી જ ન હોત! જે થયું તે સારું થયું કારણ કે તેથી જ હું કડછીકલેક્ટરમાંથી સીધી જાતજાતનું કાર્ય કરનાર કર્મશીલ, લેખિકા અને શેરીનાટક-નારીવાદી  નાટકો-રંગમંચની જે ગણો તે ચાહક કે સર્જક બની શકી. જો કે સૌથી વધારે આનંદ હેમાંગ સાથે સમાન વૈચારિક તંતુ જોડાયેલ છે તેનો છે. કેટલાક અનાવિલોની તાસીર રહી છે કે તેઓ જમીનદારી અને સત્તા સાથે જોડાયેલ રહેવા છતાં અતિ સંવેદનશીલ રહ્યા છે. એવી પંક્તિમાં મહાદેવ દેસાઈ, નારાયણ દેસાઈ, પદ્મા દેસાઈ, બટુકભાઈ દેસાઈ જેવાં લેખકોને હું જોઉં છું, તેમાં નવી પેઢીનો બુલંદ અવાજ હેમાંગ છે, સાથે એકલવીર છે, એવું મને દિલથી લાગે છે. હું આ ભાવાનુવાદને આવકારું તેમાં કોઈ આશ્ચર્ય નથી. ગુજરાતીમાં અરુણ કોલાટકરનો અરુણોદય વહેલોમોડો પણ કરાવવા બદલ હેમાંગને સાત દરિયા ભરીને ધન્યવાદ.

કાલાઘોડા કાવ્યોઃ અરુણ કોલાટકર – અનુવાદઃ હેમાંગ દેસાઈ – ક્ષિતિજ સંશોધન પ્રકાશનકેન્દ્ર – ઘાટકોપર(પૂર્વ ) મુંબઈ-૪૦૦ ૦૦૭

૫/૭/૨૦૨૦

(વિશેષ નોંધઃ અનાવિલ શબ્દો – વાક્યપ્રયોગોઃ બડફો(૨૦), ઠોયો(૪૯), લબાડ(૫૦), અબબ્બીહાલ(૬૧), ટાયલાં((૭૨), હું અતુ હાહરું ?, ( ૯૧) મેથી ના માર! (૧૨૮), ડો’વાઈ ઊઠે છે મારું પેટ (૧૩૩), સાંખલો- હાંખલો)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 11-14

Loading

આજે તું, કાલે બીજું કોઈ

મુકુંદ પંડ્યા|Opinion - Opinion|1 December 2020

અમે તારું રક્ષણ કરવામાં સમર્થ નથી.
એ અમારા હાથની વાત નથી ..
ભલે કહેવાતું હોય કે
કાનૂનના હાથ લાંબા છે ..
હા અમારા હાથની વાત છે કે
તારા પરિવારને દસ-પંદર લાખની સહાયનો ચૅક
લખીને આપીએ!
તારું શીલ
તારી જીભ
તારી કરોડરજ્જુ
તારી ગરદન
એ બધાની કિંમત જાણે એટલી જ હશે ..
તારી જીભ કાપી નંખાઈ
પણ
લાગે છે તો એવું કે
અમે છતી જીભે
તારા વિશે બોલવા માટે પણ
સમર્થ રહ્યા નથી.
તેં પાડેલી ચિચિયારીઓ
અમારા ટી.આર.પી.ના કોલાહલના પ્રમાણમાં
તો જરા ઓછી કહેવાય ..
તારું અંગેઅંગ તૂટી ગયું છે એ સાચું
પણ અમારા બ્રેકિંગ ન્યૂઝની તોલે તો
એ ન જ આવે ને?
ઓ દુર્ભાગી “હાથરસી દીકરી”
તું કોઈ રાજકારણીની કે અધિકારીની દીકરી હોત
કે પછી કોઈ અભિનેત્રી હોત તો?
નારી તું નારાયણી ..
જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવો વસે છે
એવા શુકપાઠ કરી
પોતાની જાતને ધન્ય ઠેરવતા આ સમાજમાં
તું હવે વ્યક્તિ મટીને
સામૂહિક બળાત્કારપીડિતાનો
પોલીસ દફ્તરે નોંધાયેલો
આંકડો બની ચૂકી છે.
હવે, તેરા વજૂદ તો હૈ  સિર્ફ દાસ્તાં કે લિયે …
કાલે પાછી કોઈ બીજાની ચર્ચા હશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 10

Loading

...102030...2,1382,1392,1402,141...2,1502,1602,170...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved