Opinion Magazine
Number of visits: 9747793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—73

દીપક મહેતા|Opinion - Opinion|6 December 2020

સુરતના ફરદુનજીનો ‘ગુજરાતી છાપોખાનો’ શરૂ થયો મુંબઈમાં

પહેલું ગુજરાતી પુસ્તક છપાયેલું મુંબઈમાં

તારીખ-વાર તો જાણવા મળતાં નથી, પણ ઈ.સ. ૧૮૦૮ના કોઈક દિવસે લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ હિન્દુસ્તાનથી લંડન જવા નીકળ્યું. સાથે બીજાં ત્રણ વહાણો હતાં – કલકત્તા, બેન્ગાલ, અને જેન ડચેસ ઓફ ગોર્ડન. આવી મુસાફરીને એ વખતે આઠ-દસ મહિના લાગતા, અને રસ્તામાં જોખમો પણ ઘણાં, એટલે કોઈ વહાણ એકલ-દોકલ ભાગ્યે જ જાય. કાફલામાં જ સફર ખેડે. ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખ સુધી તો બધું હેમખેમ હતું. એ દિવસે ચારે વહાણો મોરેશિયસથી સુખરૂપ રવાના થયાં. પણ પછી ક્યાં ગયાં તેની કોઈને ખબર પડી નહિ. ભયંકર વાવાઝોડામાં ફસાઈને ચારે વહાણ ડૂબ્યાં. લેડી જેન ડંડાસ પર જે મુસાફરો હતા તેમાંના એક હતા ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ. મુંબઈ સરકારના સર્જન જનરલ. હિન્દુસ્તાનની કારકિર્દી પૂરી કરીને સ્વદેશ જવા રવાના થયા હતા. થોડા દિવસ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે પોતાના દફતર પરથી તેમનું નામ દૂર કર્યું.

વહાણ લેડી ડન્ડાસ

પણ આપણી ભાષાના પુસ્તક પ્રકાશનના ઇતિહાસમાંથી તેમનું નામ દૂર નથી થયું, પણ ભુલાઈ તો ગયું છે. ૧૮૦૮માં પહેલવહેલું ગુજરાતી પુસ્તક છપાઈને બહાર પડ્યું તે આ ડો. ડ્રમન્ડનું લખેલું. પુસ્તકનું નામ જરા લાંબું લચક હતું: ‘ઈલસટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરટ્ટ એન્ડ ઈંગ્લિશ લેન્ગવેજિસ’. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આમ, પુસ્તક હતું ત્રિભાષી. પણ જેમાં ગુજરાતી મજકૂર છપાયો હોય એવું તે પહેલું પુસ્તક. પુસ્તકનો હેતુ, અલબત્ત, હિન્દુસ્તાનમાં, ખાસ કરીને મુંબઈ ઇલાકામાં, કામ કરતા અંગ્રેજ અફસરો અને પાદરીઓને બે સ્થાનિક ભાષા જાણવામાં મદદરૂપ થવાનો હતો. આ પહેલું ગુજરાતી પુસ્તક છપાયું હતું મુંબઈમાં. જેણે પહેલી વખત ગુજરાતીમાં સરકારી જાહેરાત છાપેલી તે જ ‘બોમ્બે કુરિયર પ્રેસ’માં. અને તેમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં તે બહેરામજી છાપગરે બનાવેલાં તે જ.

આ પુસ્તકના લેખક ડો. ડ્રમન્ડનો જન્મ ક્યાં અને ક્યારે થયો તેની વિગતો તો મળતી નથી. પણ ૧૭૯૬માં તેઓ મુંબઈ સરકારની તબીબી સેવામાં જોડાયા એવી નોંધ મળે છે. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કીટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના આસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા. આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની પુરોગામી અને માતૃ સંસ્થા ‘લિટરરી સોસાયટી ઓફ બોમ્બે’ની સ્થાપના ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ થઇ, ત્યારે તેના સ્થાપક અંગ્રેજોમાંના એક હતા ડો. રોબર્ટ ડ્રમન્ડ.

ડૉ. રોબર્ટ ડ્રમન્ડના પુસ્તકનું એક પાનું

પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી અને મોડી લિપિમાં સ્વર-વ્યંજનનો કોઠો આપ્યો છે. (શરૂઆતમાં મરાઠી પુસ્તકો છાપવા માટે મોડી લિપિ વપરાતી.) તે પછી સંસ્કૃત વ્યાકરણને અનુસરીને ગુજરાતી અને મરાઠી નામની સાત વિભક્તિનાં એક વચન અને બહુ વચનનાં રૂપ આપ્યાં છે. પછી સર્વનામ અને આખ્યાતનાં રૂપો આપ્યાં છે. ત્યાર બાદ સામાન્ય વપરાશના કેટલાક શબ્દો કે શબ્દ-સમૂહો ગુજરાતી અને મરાઠીમાં આપી અંગ્રેજીમાં તેની સમજૂતી આપી છે. એ વખતે ધૂડી નિશાળોમાં કક્કો, બારાખડી, આંક શીખવવા માટે જે ઉપદેશાત્મક વાક્યો ગોખાવાતાં તે પણ અહીં આપ્યાં છે. ગુજરાતી કહેવતોનો પણ સર્વ પ્રથમ સંગ્રહ – ભલે નાનો – પણ આ પુસ્તકમાં થયો છે. કહેવતોનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. પુસ્તકનો છેલ્લો ભાગ છે ‘ગ્લોસરી.’ આમ તો ગ્લોસરી એટલે શબ્દસૂચિ કે શબ્દસંગ્રહ. પણ અહીં ડ્રમન્ડે જે આપ્યું છે તે તેના કરતાં ઘણું વધારે છે. ‘પારસી’ કે સતી’ જેવા શબ્દો સમજાવવા માટે તો તેમણે નાના નિબંધો જ લખ્યા છે. બાયડી અને બૈરી જેવા શબ્દોના પ્રદેશભેદે થતા અર્થભેદ પણ નોંધ્યા છે. વ્યાકરણ ઉપરાંત ભલે સંપૂર્ણ ન કહી શકાય, તો ય આપણી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે, પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરી છે. જેમાં મરાઠી ભાષામાં મજકૂર છપાયો હોય તેવું મુંબઈમાં છપાયેલું પણ આ પહેલું પુસ્તક છે. જો કે મરાઠીનું પહેલવહેલું પુસ્તક સેરામપુરના મિશન પ્રેસમાં છપાઈને ૧૮૦૫માં પ્રગટ થયું હતું. વિલ્યમ કેરેએ લખેલા એ પુસ્તકનું નામ હતું ‘અ ગ્રામર ઓફ ધ મહરટ્ટ લેન્ગવેજ.’ એ વખતે બંગાળમાં મોડી લિપિના ટાઈપ નહોતા બન્યા, અને એટલે આ પુસ્તક દેવનાગરી લિપિમાં છપાયું છે. મોડી લિપિના ટાઈપ પહેલી વાર વપરાયા તે ડો. ડ્રમન્ડના પુસ્તકમાં.

આમ, ગુજરાતી પુસ્તકના છાપકામ અને પ્રકાશનની શરૂઆત થઇ મુંબઈમાં. અમદાવાદનું પહેલું ગુજરાતી છાપખાનું છેક ૧૮૪૫માં ‘પુસ્તકવૃદ્ધિ કરનાર મંડળી’એ શરૂ કર્યું હતું. ત્યાર બાદ બાજીભાઈ અમીચંદનું અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં છાપખાનાં શરૂ થયાં, પણ ત્રણે થોડા વરસ ચાલી બંધ પડ્યાં. ૧૮૬૩ સુધી અમદાવાદમાં કુલ છ છાપખાનાં હતાં, અને તે બધાં જ લિથોગ્રાફ પદ્ધતિનાં હતાં. અમદાવાદમાં મૂવેબલ ટાઈપ વાપરતું પહેલું છાપખાનું છેક ૧૮૬૩માં શરૂ થયું, અમદાવાદ યુનાઈટેડ પ્રેસ. મુંબઈની મુલાકાત દરમ્યાન કવિ દલપતરામે દફતર આશકારા પ્રેસની મુલાકાત લીધા પછી, તે જોઇને તેમણે બીજા કેટલાક ભાગીદારો સાથે મળીને આ પ્રેસ શરૂ કરેલું. ૧૮૪૫ સુધીમાં છપાયેલાં ૧૨૪ ગુજરાતી પુસ્તકોની માહિતી મળે છે. તેમાંનાં મોટા ભાગનાં મુંબઈમાં અને થોડાં સુરતમાં છપાયેલાં છે.

આમ, પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં એક પારસીએ, બહેરામજી છાપગરે. પણ ગુજરાતી છાપકામનો પાયો મુંબઈમાં નાખ્યો તે તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (પારસી ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એવણનો જન્મ. નામ, ફરદુનજી મર્ઝબાનજી. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા, બેટા. કામે લાગી જાવ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું, અને તે ય પાછું મુંબઈ જઈને. પણ બાપ માન્યા નહિ. એટલે ૧૭૯૯માં પોતાની બધી ચોપડીઓ પોટલામાં બાંધી કોઈને કહ્યા વગર ફરદુનજી ઘરમાંથી ભાગી ગયા. રાત પડી એટલે એક ગામમાં રોકાયા. કકડીને ભૂખ લાગેલી. પણ કોઈ પાસે હાથ લાંબો કેમ કરાય? ગામને ચોરે બેસીને મોટે મોટેથી સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યા. ગામના લોકોને નવાઈ પણ લાગી અને ખુશ પણ થયા. ખાવાનું આપ્યું, રાતવાસાની સગવડ કરી આપી. પણ ફરદુનજી ભાગી ગયા તે પછી તેમના બાપે તેમને શોધવા માણસો મોકલ્યા હતા. બીજે દિવસે તેમને હાથે પકડાઈ ગયા અને પાછા સુરત ભેગા થયા.

ફરદુનજી મર્ઝબાનજી

પણ મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, તે પછી ફરદુનજીએ ફરી ક્યારે ય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’(લાઈબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઈરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. પણ એ વખતે આખા મુંબઈમાં છાપખાનાં હતાં આંગળીને વેઢે ગણાય એટલાં. એમાં કેટલાં પુસ્તકો છપાય? પહેલા છ મહિનાની કુલ આવક રૂપિયો દોઢ!

ફરદુનજીએ છાપીને પ્રગટ કરેલાં પહેલાં બે પુસ્તક

બુક બાઇન્ડર તરીકે બોમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. બહેરામજી છાપગરે બનાવેલાં ગુજરાતી બીબાં પણ કદાચ ફરદુનજીએ જોયાં હોય. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? લાગવગ લગાડીને એક લાકડાનો દાબ-પ્રેસ મેળવ્યો. જેમતેમ કરી છાપવા માટેનો બીજો સરંજામ પણ ઊભો કર્યો. પણ ગુજરાતી બીબાં ક્યાંથી મેળવવાં? ફરદુનજી વિષે લખનારામાંથી ઘણાખરાએ લખ્યું છે કે મિત્ર બહેરામજીની મદદથી તેમણે બીબાં બનાવ્યાં. ઘણી વાર એવું બનતું હોય છે કે દીવા જેવી દેખીતી વાત પણ નજર બહાર જાય. બહેરામજીનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. જ્યારે ફરદુનજી સુરતથી મુંબઈ આવ્યા ૧૮૦૫માં. એટલે એ બંને મિત્રો કઈ રીતે હોઈ શકે, અને બહેરામજી ફરદુનજીને મદદ કઈ રીતે કરી શકે? હકીકતમાં, ફરદુનજીએ એકલે હાથે ગુજરાતી બીબાંનો એક આખો સેટ તીખા લોઢા પર કોતર્યો. પછી પોતે જ તાંબાની તકતીઓ ઠોકી, અને તેને સીસામાં ઓતી ટાઈપ પાડ્યા. પોતે બનાવેલા ટાઈપને ઘસી ઘસીને સાફ કરવા માટે ઘરનાં બૈરાંઓને પણ બેસાડી દીધાં. અને ૧૮૧૨માં પોતાનું છાપખાનું શરૂ કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. અને ફરદુનજીની નમ્રતા – અથવા પારસીઓ કહે તેમ નમનતાઈ – તો જુઓ! કેવળ જાતમહેનતથી જે છાપખાનું ઊભું કર્યું તેને ન પોતાનું નામ આપ્યું, ન પોતાના કોઈ કુટુંબીનું. પ્રેસની બહાર નામનું પાટિયું જ લગાડ્યું નહિ! લોકો એને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખે. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. એ જમાનામાં ઘણી મોંઘી ગણાય એવી બે રૂપિયાની કિંમતે પણ નકલો ચપોચપ વેચાઈ ગઈ. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તક છાપ્યાં: ઓક્ટોબરમાં ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં ‘દબેસ્તાન.’ ગુજરાતી ભાષામાં, એક ગુજરાતીએ, પોતાના છાપખાનામાં છાપેલાં આ પહેલાં પુસ્તકો. પછી તો ગાડી સડસડાટ ચાલવા લાગી. પોતાનાં ‘બનાવેલાં’ વીસેક પુસ્તકો છાપ્યાં. તેમાંનું એક તે ‘પંચોપાખીઆંન’ નામે કરેલો સંસ્કૃત પંચતંત્રનો અનુવાદ. ૧૮૨૪માં પ્રગટ થયેલું આ પુસ્તક તે સંસ્કૃતમાંથી અર્વાચીન ગુજરાતીમાં થયેલ અનુવાદનું પહેલું પુસ્તક. તો બીજાઓનાં ‘બનાવેલાં’ ૨૨ જેટલાં પુસ્તકો ફરદુનજીએ છાપ્યાં. પુસ્તકના લેખક, સંપાદક, અનુવાદક, બધા માટે ફરદુનજી ‘બનાવનાર’ શબ્દ વાપરતા. તેમાંનાં કેટલાંક પુસ્તકોની તો બે-ત્રણ આવૃત્તિ પણ થયેલી! જરૂર પડી તેમ પ્રેસ મોટું કરતા ગયા. દસ વર્ષ જાહોજલાલીનાં વીત્યાં. ગાડી ઘોડા, વાડી-બંગલા, નોકરચાકર. અંગ્રેજ અમલદારો, ‘દેશી’ વેપારીઓ, મુંબઈના અગ્રણીઓ વગેરે સાથે ઊઠતાબેસતા થયા. ‘ફરદુનજીશેઠ’ તરીકે ઓળખાવા લાગ્યા.

પણ ચડતી પછી પડતી. પારસી કેલેન્ડરની કાળગણના અંગે વિવાદ થયો તેમાં ઝંપલાવ્યું. વાત વણસી. બે પક્ષના માણસો વચ્ચે મારામારી પણ થવા લાગી. વિરોધીઓએ ચાલાકીપૂર્વક એક મિલકતના કિસ્સામાં ફરદુનજીને સપડાવ્યા. સાથોસાથ ‘ફરદુનજી ભાંગ્યા’ એવી અફવા ફેલાવી. દેવું ચૂકવવા વાડી-વજીફા વેચ્યા, છાપખાનું વેચ્યું. છતાં બે લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું. એ વખતે દેવાદાર માટેના બ્રિટિશ હકુમતામાંના કાયદા ભારે કડક હતા. એટલે મુંબઈ છોડી પહેલાં વસઈ ગયા, અને ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ત્યાંથી દમણ જઈ વસ્યા. કારણ દમણમાં પોર્ટુગીઝ શાસન હતું તેથી અંગ્રેજ સરકારના કાયદા ત્યાં લાગુ ન પડતા. ૧૮૪૭ના માર્ચ મહિનાની ૨૩મી તારીખે ફરદુનજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.

ફરદુનજી એટલે અર્વાચીન ગુજરાતી ભાષાના પહેલા લેખક, સંપાદક, અનુવાદક, ખબરપત્રી, તંત્રી, મુદ્રક, પ્રકાશક, પુસ્તક વિક્રેતા. એક નહિ, અનેક જ્યોતિને ધારણ કરનાર જ્યોતિર્ધર. અને એમની એક જ્યોતિમાંથી ૧૮૬૭ સુધીમાં તો બીજાં ૫૧ છાપખાનાંની મશાલ મુંબઈમાં પ્રગટી. અને એ ૫૧ છાપખાનાંમાંથી ૩૧ છાપખાનાં ગુજરાતી છાપકામ કરતાં હતાં.

આ જ ફરદુનજીએ વખત જતાં બીજી એક વણખેડી દિશામાં પહેલ કરી, પણ તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 ડિસેમ્બર 2020

Loading

અંગ્રેજો સામે બેસીને વાટાઘાટ કરનારા ગાંધીજી પહેલા ભારતીય નેતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|6 December 2020

ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસની સ્થાપના ૧૮૮૫ની સાલમાં કરવામાં આવી હતી. ભારતમાં અંગ્રેજો સામે સામૂહિક અને સાર્વત્રિક હડતાલની પહેલી ઘટના ૧૯૧૯ની સાલમાં બની હતી. કૉન્ગ્રેસની સ્થાપના પછી ૩૪ વરસે. આટલાં બધાં વરસો કેમ લાગ્યાં? એવું નહોતું કે ગાંધીજી પહેલાના નેતાઓ આવડત વિનાના હતા. દિગ્ગજ નેતાઓ હતા. એવું પણ નહોતું કે તેઓ આંદોલન કરવા નહોતા માગતા. ખાસ કરીને ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળનું કોમી ધોરણે વિભાજન કર્યું ત્યારે તેની સામે શરૂ કરવામાં આવેલી બંગભંગની લડત વખતે જહાલ નેતાઓએ સ્વદેશીનું આંદોલન શરૂ કર્યું હતું, જેને જોઈએ એવી સફળતા મળી નહોતી. લોકમાન્ય તિલકના વતનના શહેર પૂનામાં હડતાલ સંપૂર્ણ નહોતી. મુસલમાનોએ અને બહુજન સમાજે તેમાં ભાગ નહોતો લીધો. એમાં વિનીતોના ટેકેદાર હતા એવા પૂનાના સવર્ણોએ પણ સાથ નહોતો આપ્યો.

વિનય અનુનય કરવાની જગ્યાએ પ્રજા દ્વારા સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ એવો વિચાર એ વખતના નેતાઓને પણ આવ્યો હતો. કૉન્ગ્રેસના વિનીત નેતાઓ આવેદનો-નિવેદનો કરીને રાજકારણ કરતા હતા, પરંતુ જહાલ નેતાઓ તો આંદોલનો કરવાં જોઈએ એમ માનતા હતા. અસહકાર અને ના-કરની લડતનો શ્રેય ગાંધીજીને આપવામાં આવે છે અને જ્યાં સુધી આંદોલનનો સવાલ છે ગાંધીજી એ શ્રેયના અધિકારી પણ છે, પરંતુ આ કલ્પનાનો શ્રેય ગાંધીજીને નથી જતો. ગાંધીજીની પહેલા શ્રીઅરવિંદ ઘોષે કલ્પના રજૂ કરી હતી કે ભારતની પ્રજા જો અંગ્રેજોને કરવેરા ચુકવવાનું બંધ કરે અને અસહકાર કરે તો આ સરકાર ટકી ન શકે. વાત તો સાચી હતી અને ભારતમાં પહેલી વાર કહેવાઈ હતી, પરંતુ એ સમયના જહાલ નેતાઓ તેનો અમલ નહોતા કરી શક્યા. એ કલ્પના કલ્પના જ રહી હતી.

શા માટે? ભારતીય પ્રજાને સામૂહિક અને સાર્વત્રિક તાકાત બતાવતા ૩૪ વરસ કેમ લાગ્યાં? ગાંધીજીની પહેલાના નેતાઓ શક્તિશાળી હોવા છતાં અને પ્રજાની ભાગીદારીવાળા આંદોલનની કલ્પના મનમાં ઘોળાતી હોવા છતાં કેમ તેનો અમલ નહોતા કરી શક્યા? આ લાખ રૂપિયાનો સવાલ છે. ગાંધીજીમાં એવું શું હતું અને ગાંધીજીએ એવું શું પરિવર્તન કર્યું કે કૉન્ગ્રેસની સ્થાપના પછી જે ૩૪ વરસ શક્ય ન બન્યું તે તેમણે કરી બતાવ્યું?

એક તો તેમનું વ્યક્તિત્વ. કરિશ્મા અને વાક્પટુતા જેવા બાહ્ય માપદંડો લાગુ કરવામાં આવે તો ગાંધીજી તેમના પુરોગામીઓ, સમકાલીનો અને અનુગામીઓ કરતાં ક્યાં ય પાછળ હતા. તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જ નહોતું. આમ છતાં ય તેઓ પ્રજાહ્રદયને જીતી શક્યા એનું કારણ હતું તેમની પ્રામાણિકતા અને સહ્રદયતા. લોકોને ખાતરી થઈ ગઈ કે આ માણસ જે વિચારે છે એ જ બોલે છે અને જે બોલે છે એ જ કરે છે. લોકોને ખાતરી થઈ ગઈ કે આ માણસ પહેલા પોતે કરે છે અને પછી બીજા પાસે કરાવે છે અથવા કરવાની સલાહ આપે છે. લોકોને એ વાતની પણ ખાતરી થઈ ગઈ કે આ માણસ આપણી ભાષામાં આપણે સમજી શકીએ એમ બોલે છે અને આપણી વચ્ચે આપણી જેમ જ રહે છે. ગાંધીજીના સમકાલીન નેતાઓના મનમાં ગડમથલ ચાલતી હતી કે આ માણસ રાજકારણી છે કે સંત, પણ લોકોએ તો તેમનો સંત તરીકે સ્વીકાર કરી લીધો હતો.

આમ પહેલું કારણ હતું તેમનું અનોખું વ્યક્તિત્વ. બીજું કારણ હતું નિર્ભયતા. ગાંધીજી વિષે વિદ્વાનો દ્વારા હજારો પુસ્તકો લખાયાં છે અને જેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા એવા બીજા હજારો નેતાઓએ પોતપોતાની ભાષામાં આત્મકથા કે સંસ્મરણો લખ્યાં છે. આમાં એક ચીજ અપવાદ વિના દરેકે લખી છે કે ગાંધીજીએ ભારતીય પ્રજાને નિર્ભય થતા શીખવાડ્યું. અપવાદ વિના. હું પૂરી જવાબદારી સાથે આ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું. બનારસનું ભાષણ હોય કે ચંપારણનો સત્યાગ્રહ; પ્રામાણિકતા, સહ્રદયતા, કર્મઠતા અને નિર્ભયતાનો તેમાં પરિચય થયો હતો. પ્રજાની ભાષા એ એમની ભાષા અને પ્રજાનો શ્વાસ એ એમનો શ્વાસ એટલો પરિચય તો થઈ ગયો હતો, ચંપારણે એ વાતનો પણ પરિચય કરાવ્યો કે આ માણસ લીધું કામ છોડતો નથી અને કોઇથી ડરતો નથી.

બે ઘટના નોંધવા જેવી છે. ગાંધીજીએ ચંપારણ પહોંચીને કેટલાક સાથીઓને ચંપારણ બોલાવ્યા હતા એમાં એક તેમના મિત્ર સી.એફ. એન્ડ્રુઝ પણ હતા. એન્ડ્રુઝ અંગ્રેજ એટલે ચંપારણના અંગ્રેજ અધિકારીઓ અને ગળીનું વાવેતર કરાવનારા અંગ્રેજ કોઠીવાળાઓ તેમની સાથે માનમર્યાદા જાળવીને સલુકાઇવાળું વર્તન કરતા. બિહારના નેતાઓએ એન્ડ્રુઝને આગળ રાખવાનું શરૂ કર્યું. થોડા દિવસ પછી એન્ડ્રુઝને જવાનું થયું ત્યારે બિહારના નેતાઓએ એન્ડ્રુઝને વિનંતી કરી કે તેમણે રોકાઈ જવું જોઈએ. એન્ડ્રુઝે કહ્યું કે જો ગાંધીજી આજ્ઞા આપતા હોય તો તે  રોકાઈ જવા તૈયાર છે. બિહારના નેતાઓ જ્યારે એન્ડ્રુઝને રોકવા માટેની વિનંતી સાથે ગાંધીજી પાસે ગયા ત્યારે ગાંધીજી પામી ગયા હતા કે તેઓ શા માટે એન્ડ્રુઝને રોકવા ઈચ્છે છે. તેમણે એન્ડ્રુઝને કહ્યું કે તેઓ કાલે જતા હોય તો આજે જ જતા રહે. ગાંધીજીએ કહ્યું કે ગોરા એન્ડ્રુઝની ઢાલનો ઉપયોગ કરવો એ કાયરતા છે. આત્મવિશ્વાસ સાથે અંગ્રેજો સાથે વાત કરવી જોઈએ અને તેઓ જો અપમાનિત કરે તો મોઢામોઢ વિરોધ કરવો જોઈએ.

બીજો પ્રસંગ વિન્સ્ટન ચર્ચિલનો છે. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ પછી ગાંધીજીની એ સમયના વાઇસરોય લોર્ડ અર્વિન સાથે ગવર્નર હાઉસ(અત્યારનું રાષ્ટ્રપતિભવન)માં વાટાઘાટો શરૂ થઈ હતી. ગાંધીજી આવે ત્યારે લોર્ડ અર્વિન તેમનું બહાર સ્વાગત કરે, હાથ પકડીને ગવર્નર હાઉસના પગથિયાં ચડવામાં મદદ કરે અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સાથે ગાંધીજી એક જ સ્તરે આંખ મિલાવીને વાત કરે, એવી તસ્વીરો જોઇને વિન્સ્ટન ચર્ચિલ ચિડાઈ ગયા હતા. એક નગ્ન ફકીરની આટલી ગુસ્તાખી કે તે માગણીઓનું નિવેદનપત્ર આપવાની જગ્યાએ વાટાઘાટો કરે? ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં ભારતીય નેતાઓ આવેદન-નિવેદનો કરતા હતા, વાટાઘાટો નહોતા કરતા. અંગ્રેજો સાથે સામ સામે બેસીને વાટાઘાટો કરનારા ગાંધીજી પહેલા ભારતીય નેતા હતા.

ત્રીજું કારણ હતું રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના જેની વાત હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 06 ડિસેમ્બર 2020

Loading

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી માટે સમય બદલાઈ રહ્યો છે?

કિરણ કાપૂરે|Opinion - Opinion|6 December 2020

નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશનના એક સ્ટેશનને હાલમાં 'પ્રાઇડ સ્ટેશન' એવું નામ આપવામાં આવ્યું. આ સ્ટેશન ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને સમર્પિત કરવામાં આવ્યું છે. સામાન્ય વ્યવહારમાં ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને સન્માન આપવાનું બનતું નથી અને સમાજમાં તેઓનું સ્થાન નિશ્ચિત પ્રથાઓ સાથે જોડાવી દેવામાં આવ્યું છે, તે સિવાયની ભૂમિકામાં તેઓને કોઈ જોવા ઇચ્છતું નથી. પણ નોઇડા મેટ્રો ઓથોરિટીએ ટ્રાન્સજેન્ડરના અધિકારોને અન્ય લોકોની જેમ સન્માન આપવા અર્થે ‘પ્રાઇડ સ્ટેશન’ નામ રાખ્યું છે. આ પ્રયાસની પૃષ્ઠભૂમિ ગત્ વર્ષે કેન્દ્ર દ્વારા પસાર થયેલાં બિલમાંથી તૈયાર થઈ છે, જેમાં ટ્રાન્સજેન્ડરના અધિકારોને સુરક્ષા આપવામાં આવી છે. ‘ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ) એક્ટ, 2019’ અંતર્ગત દેશના અંદાજે પાંચ લાખ ટ્રાન્સજેન્ડરને લાભ થશે. આ પહેલમાં મેટ્રોની ઓથોરિટીએ માત્ર નામ આપીને સન્માન દાખવવા સુધી જ પોતાના કાર્યને રાખ્યું નથી, બલકે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીના છ વ્યક્તિઓને રોજગારી પણ આપી છે.

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી અત્યાર સુધી મુખ્ય ધારાથી અલગધલગ રહી છે; પરંતુ હાલમાં જે રીતે વિવિધ જગ્યાએથી ન્યૂઝ આવી રહ્યા છે તેમાં મુખ્યધારામાં ટ્રાન્સજેન્ડરનો સમ્મિલિત કરવાનો પ્રયાસ દેખાઈ રહ્યો છે. જેમ કે, હાલમાં એક જાહેરાત એવી થઈ છે કે દેશમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓનલાઈન મેગેઝિન લોન્ચ થવા જઈ રહ્યું છે. આ મેગેઝિનનું કાર્ય તમિલનાડુથી થશે અને તમિલ અને અંગ્રેજી એમ બે ભાષામાં તે લોન્ચ થશે. આગળ જતાં મેગેઝિનને હિંદી ભાષામાં પણ પ્રકાશિત થશે. ટ્રાન્સજેન્ડર મેગેઝિન પ્રકાશિત કરવાનો ટ્રેન્ડ યુરોપ-અમેરિકાના દેશોમાં છે, પણ ભારતમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમવાર થઈ રહ્યો છે. જો કે આ સહાસ હજુ થોડાંક વ્યક્તિઓ પૂરતું સિમિત છે. ગત્ એક વર્ષમાં ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને લગતાં આવાં અનેક ન્યૂઝ સાંભળવા મળ્યા, જે તેમનાં જીવનને સામાન્ય બનાવી શકે. આ ઉપરાંત, જે અગત્યનો નિર્ણય ટ્રાન્સજેન્ડર કાયદા અંતર્ગત થયો છે તે જેન્ડર દર્શાવતા અગાઉ મેડિકલ તપાસમાંથી મુક્તિ છે. અત્યાર સુધી ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને જ્યાં-ત્યાં જેન્ડર દર્શાવવા અર્થે મેડિકલ તપાસની લાંબી પ્રોસિજરમાંથી પસાર થવું પડતું હતું.

ટ્રાન્સજેન્ડર પ્રત્યે જેમ સરકારનું વલણ બદલાઈ રહ્યું છે તેમ ક્યાંક-ક્યાંક તેઓ પોતાના જોરે કાર્ય કરીને સમાજ સાથે હળીમળી રહ્યા છે. હળવામળવાનું આવું એક ઉદાહરણ તમિલનાડુનું છે. અહીંયા આવેલા એક ડેરી ફાર્મ માત્ર ટ્રાન્સજેન્ડર દ્વારા કાર્યરત છે. આ ડેરીને નિર્માણ કરવામાં રાજ્ય સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દોઢ એકરના ફાર્મમાં રાખવામાં આવેલી ગાય-ભેંસનું પ્રતિ દિવસનું 180 લીટર દૂધ પ્રોડક્શન છે. આ ડેરીથી અંદાજે 30 ટ્રાન્સ-વુમનને કામ મળ્યું છે અને તેઓ પોતાનું ગુજરાન આત્મસન્માન સાથે કરી રહ્યાં છે. આ તો થઈ આત્મસન્માન સાથે જીવવાની વાત, પણ જ્યાં સાહસ દાખવીને કશુંક એડવન્ચરસ કરવાનું હોય ત્યાં પણ ટ્રાન્સજેન્ડર બાજી મારી રહ્યાં છે. જેમ કે, ગત્ મહિને જ દેશના અલગ અલગ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી 25 વ્યક્તિઓની ટૂકડી હિમાલયની 17,353 મીટર ઊંચાઈની ફ્રેન્ડશીપ પીક પર પહોંચી હતી. વિવિધ રાજ્યોમાંથી આ રીતે ટ્રાન્સજેન્ડરને હિમાલય સર કરવા માટે ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીના ફાઉન્ડેશનને ભાગ ભજવ્યો હતો. આ પહેલના પરિણામે આજે પચીસ જેટલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ હિમાલયના ટોચ પર જઈ આવી છે.

ઇવન, યુ.પી.એસ.સી. પરીક્ષામાં ઉતીર્ણ થઈને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સમાં ઓફિસર્સ લેવલ સુધી રિક્રૂટ થઈ શકશે. જો કે હજુ આ મુદ્દો ચર્ચામાં છે, તેના પર તમામ પેરામિલિટરી ફોર્સ મંજૂરી દાખવે પછી જ તેની પ્રક્રિયા શરૂ થશે. હાલમાં વિશ્વમાં 19 દેશો સૈન્યમાં ટ્રાન્સજેન્ડરને રિક્રૂટ કરે છે. આ પહેલ કરવામાં નેધરલેન્ડ સૌ પ્રથમ હતું અને 1974થી ત્યાં ભરતી પ્રક્રિયામાં ટ્રાન્સજેન્ડરની રિક્રૂટમેન્ટ થવા માંડી હતી. નેધરલેન્ડ સિવાય યુરોપના મહદંશે દેશો, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઇઝરાયલ ટ્રાન્સજેન્ડરને સૈન્યમાં પોઝીશન આપે છે. ટ્રાન્સજેન્ડર પ્રત્યે આવી રહેલા બદલાવને સહજતાથી ક્યારે લેવાશે તે સવાલ હજુ પણ મોજૂદ છે; એટલે જ પેરામિલિટરી ફોર્સમાં તેને લઈને ચર્ચાનો અવકાશ રાખવામાં આવ્યો છે.

જો કે આપબળે જેટલું થઈ શકે તેની પહેલ ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી દ્વારા થઈ રહી છે અને તેમાં એક અલાયદી ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી સ્થાપવાની યોજના છે. ટ્રાન્સજેન્ડરની આ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશમાં આરંભવાની છે. અહીંયા પીએચ.ડી. સુધી અભ્યાસ થઈ શકશે. જાગૃતિથી મળેલી સ્વીકૃતિમાં પૂર્ણ ચિત્ર બદલાયું નથી, તેમ છતાં ટૂંકા ગાળામાં બનેલી આ ઘટનાથી એટલું તો સાબિત થઈ રહ્યું છે કે દરેક ક્ષેત્રમાં પ્રયાસ થઈ રહ્યા છે.

ટ્રાન્સજેન્ડરની સ્વીકૃતિમાં માધ્યમોની ભૂમિકા અગત્યની બની છે અને તેમની અભિવ્યક્તિ લોકો સુધી પહોંચવાથી સ્વીકૃતિ ઝડપભેર આવી રહી છે. જેમ કે, થોડા વખત પહેલાં અમેરિકાના જાણીતા મેગેઝિન ‘વેનિટી ફેર’ના કવર પેજ પર એક સુંદર યુવતીની તસવીર પ્રકાશિત કરવામાં આવી હતી. ‘કૉલ મી કૅટલિન’ના મથાળા સાથે પ્રકાશિત થયેલી આ યુવતીના તસવીરે પૂરા અમેરિકામાં ચર્ચા જગાવી હતી. આ સાથે તેણે પોતાનું ટ્વિટર અકાઉન્ટ પણ શરૂ કર્યું હતું, જેમાં માત્ર ચાર કલાકમાં દસ લાખ લોકો તેના ફેન બન્યા હતા. તે અગાઉ આટલા ઝડપથી ફેન ફોલોવિંગ વધવાનો રેકોર્ડ બરાક ઓબામાના નામે હતો. આમ પ્રતિષ્ઠિત મેગેઝિનના કવર પેજ પર ચમકવું અને તેની અસરથી સોશિયલ મીડિયા પર ફેનની વધામણી થવી સામાન્ય બાબત છે, પરંતુ ‘કવર લેડી’ના ભૂતકાળ વિશે જાણીએ તો ઉપર દર્શાવેલી પૂરી ઘટના ‘અસામાન્ય’ લાગવા માંડશે.

અસામાન્ય એ અર્થમાં કે કૅટલિનના નામથી પોતાને સંબોધી રહેલી આ લેડી ખરેખર અમેરિકાના પુરુષ વર્ગમાં ઑલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકેલો બ્રુસ જેનેર હતી. 1976માં કેનેડામાં રમાયેલા ઑલિમ્પિકમાં બ્રુસ જેનેર અમેરિકા વતી ટ્રેક અને ફિલ્ડની રમતમાં અદ્વિતિય પર્ફોમન્સ આપ્યું હતું. કૉલ્ડ વોરના કાળમાં બ્રુસ જેનેરે રશિયન એથ્લેટેસને હરાવીને ગૉલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. આ સફળતા બાદ તે અમેરિકાનો હીરો બન્યો અને ‘વલ્ડર્સ ગ્રેટેસ્ટ એથ્લેટ’નું પણ સન્માન મેળવ્યું હતું. એથ્લેટિક તરીકેની સફળ કારકિર્દી બાદ બ્રુસ ટેલિવિઝનમાં પોતાનું નામ ગજવી ચૂક્યો છે. બિઝનેસમાં પણ તે સફળ છે અને હવે તે બ્રુસની જગ્યાએ કેટલિન બની ચૂકી છે.

અમેરિકાની જેમ સ્વીકૃતિનો દાખલો પશ્ચિમ બંગાળમાં પણ છે, જ્યાં એક કૉલેજમાં મનોબી બંદોપાદ્યાય નામની ટ્રાન્સજેન્ડર કૉલેજની પ્રિન્સિપલ બની છે. મનોબી બંદોપાદ્યાય ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રિન્સિપલ છે. મનોબીની ‘સોમનાથથી મનોબી’ સુધીની સફર મુશ્કેલ રહી હતી, બધા જ ટ્રાન્સજેન્ડરની જેમ મનોબીને પણ રોજબરોજની પીડામાંથી પસાર થવું પડ્યું હતું. પુરુષ જાતિમાં જન્મેલી મનોબી જ્યાં સુધી સોમનાથ નામની ઓળખ ધરાવતી હતી, ત્યાં સુધી તેનો માનસિક સંઘર્ષ પાર વિનાનો હતો. વળી પાછું સ્ત્રીત્ત્વની લાગણી ધરાવતી મનોબી જ્યારે જાહેરમાં આવતી ત્યારે તેનો સંઘર્ષ બેવડાતો હતો. પણ 2003માં મનોબીએ નક્કી કર્યું કે હવે તે પૂર્ણપણે સ્ત્રી બનશે અને સ્ત્રી બનીને જ જીવશે.

કૅટલિન કે મનોબીની ઓળખ મળવાથી બ્રુસ જેનેર અને સોમનાથનો સંઘર્ષ અંદરનો સંઘર્ષ પૂર્ણત: મટી ચૂક્યો હતો, પણ બહારી સંઘર્ષ જસનો તસ છે. ટ્રાન્સજેન્ડરના વલણ તરફ પરિવર્તનની હવા દેખાતી હોવા છતાં તેમાં ધીમી ગતિએ પ્રગતિ થઈ રહી છે. ઉપરાંત, કેટલીક લડત હજુ લડવાની બાકી છે. જેમ કે, 2019ના બિલ અંતર્ગત એવી જોગવાઈ છે કે જેન્ડરનું પ્રમાણપત્ર આપવા માટે જિલ્લા સ્તરની એક કમિટિની રચના કરવામાં આવે. પરંતુ કાયદાની આ જોગવાઈ સુપ્રિમ કોર્ટે 2014માં આપેલા ચૂકાદાની વિરુદ્ધ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સજેન્ડર પોતાની ઓળખ આપવાનો અધિકાર ધરાવે છે અને તેમાં શંકાનો કોઈ અવકાશ નથી.

આ બદલાવની હવા અત્યારે તો જ્યાં પ્રસિદ્ધિ છે ત્યાં જ જોવા મળી રહી છે, પણ જ્યાં પ્રસિદ્ધિ-સફળતા નથી ત્યાં પણ ટ્રાન્સજેન્ડર સાથે સામાન્ય વ્યવહાર જોવા મળે તો જ આ બદલાવને ખરા અર્થમાં ઊજવી શકાય.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...2,1322,1332,1342,135...2,1402,1502,160...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved