Opinion Magazine
Number of visits: 9680555
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીનને લાગે છે તેના દિગ્વિજયને કોઈ રોકે તેમ નથી, ભારત પાસે છે જવાબ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|5 November 2020

૨૦૧૦ની સાલ સુધીમાં ચીન અને ભારતનાં નામ સાથે લેવામાં આવતાં હતાં. આ બન્ને દેશોને એશિયન ટાઈગર્સ તરીકે ઓળખાવવામાં આવતા હતા. પરંતુ ૨૦૧૦ પછીથી ભારતની ગાડી પાટેથી ઊતરી ગઈ. એક કારણ હતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન. ડરના માર્યા શાસકો અને અધિકારીઓ નિર્ણયો લેવાનું ટાળવા માંડ્યા હતા. ૨૦૧૦થી લઈને ૨૦૧૪ સુધીમાં ભારતમાં જાણે કે કોઈ સરકાર જ નહોતી. એમ કહી શકાય કે શાસનનો અક્ષરશ: શૂન્યાવકાશ હતો. એ તો તમે જાણો જ છો કે જે જે બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને આંદોલન થયાં હતાં એ બાબતે કોઈ ભ્રષ્ટાચાર અદાલતોમાં સાબિત થયો જ નથી. એક પણ આરોપ સાચો સાબિત નથી થયો પછી તે સ્પેક્ટ્રમ હોય કે કોલસાની ખાણોની ફાળવણીનો મુદ્દો હોય. અત્યારે એમ લાગે છે કે એ કૉન્ગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતે ચાર વરસ વેડફી નાખ્યાં અને ચીનને મોકળું મેદાન મળી ગયું.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સ્થિર સરકાર આવી ત્યારે એમ લાગતું હતું કે હવે વેડફાયેલાં વર્ષોનું સાટું વાળવામાં આવશે, પરંતુ અનુભવ એનાથી જુદો થયો. ચીન અને ભારત વચ્ચેનું અંતર દૂર કરવાની વાત બાજુએ રહી, તેમણે નોટબંધીનું દુસાહસ કરીને અંતર ઊલટું વધાર્યું. આટલું ઓછું હતું એમ જટિલ જી.એસ.ટી. લાગુ કરીને ભારતના અર્થતંત્રની ગતિ હતી એ પણ તોડી નાખી. આ સિવાય અનુભવ એમ કહે છે કે બી.જે.પી.ની વર્તમાન હિંદુ રાષ્ટ્રવાદી સરકારને હિંદુ રાષ્ટ્રવાદ સિવાય બીજા કશામાં રસ નથી અને બીજી કશી આવડત પણ નથી. ૨૦૧૦ અને ૨૦૨૦. એક દશકને અંતે સ્થિતિ એવી છે કે ભારત હવે ચીનને નજીકના ભવિષ્યમાં આંબી શકે એમ નથી. ટૂંકમાં એશિયન ટાઈગર તરીકેની ભારતની સ્ટોરી નિષ્ફળ સ્ટોરી છે આને માટે ભારતના શાસકો જવાબદાર છે.

જગત આખાના વિકસિત દેશો મંદીના શિકાર છે અને વિકાસશીલ દેશોમાં જેના ઉપર આખા જગતની આશા હતી એ ભારત શિવધનુષ ઊંચકવામાં નિષ્ફળ નીવડ્યું છે. આની હવે અણધાર્યી પ્રતિક્રિયા પેદા થઈ છે. જગત આખાને એમ લાગવા માંડ્યું છે કે ચીનની સક્સેસ સ્ટોરી લોકતંત્રના અભાવની સ્ટોરી છે. હવે જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રજાને એમ લાગવા માંડ્યું છે કે આપણે લોકતાંત્રિક રીતરસમોને કારણે ઝડપી નિર્ણયો લઈ શકાતા નથી અને આપણે પાછળ રહી ગયા છીએ અને ચીન આગળ નીકળી ગયું છે. જે ચીનની એક સમયે લોકતંત્રના અભાવ માટે નિંદા કરવામાં આવતી હતી એનું હવે અનુકરણ કરવામાં આવી રહ્યું છે.

ઓછું લોકતંત્ર ચાલશે, ઓછા નાગરિક અધિકારો ચાલશે, અંકુશિત-નિયંત્રિત સમાજ ચાલશે; પણ ઝડપી, આક્રમક અને હિંમતભર્યા નિર્ણયો જોઈએ. જુઓ આપણે મૂલ્યોનું જતન કરતા રહ્યા અને ચીન આગળ નીકળી ગયું. ભારતે હમણાં જમીનના અને મજદૂરીના કાયદામાં જે સુધારો કર્યો એ બીજું કાંઈ જ નથી પણ ચીનનું અનુસરણ છે. લોકતંત્ર જાળવી રાખીને વિકાસનું સક્સેસફૂલ મોડલ શક્ય છે અને ભારત એ જગતને આપી શકે એમ છે એવી ભારત પાસેથી જગતની અપેક્ષા હતી, પણ એની જગ્યાએ ભારત આજે કુંઠિત લોકતંત્રના ચીનના મોડેલને અપનાવે એ શરમની વાત છે. 

જો ભારતે અમૂલ્ય વર્ષો સંસદ નહીં ચાલવા દેવામાં, ભ્રષ્ટાચારના ખોટા ગોકીરામાં અને વિકાસની જગ્યાએ હિન્દુ રાષ્ટ્રવાદની પાછળ વર્ષો ન બગાડ્યાં હોત અને લોકતંત્ર અને લોકતાંત્રિક જીવનમૂલ્યો જાળવી રાખીને એક આદર્શ સક્સેસ સ્ટોરીનો જગતને પરિચય કરાવ્યો હોત તો મને એમ લાગે છે કે ભારતની પ્રતિષ્ઠા ક્યાં ય હોત. ભારતની પ્રતિષ્ઠા હતી જ. ભારત તરફ જગત આશાની નજરે જોતું પણ હતું, પરંતુ આપણે ઊણા ઉતર્યા. સત્તાંધ સંસદીય રાજકારણે ભારતને પરાજીત કર્યું. દેશ ભલે પાછળ રહી જાય પણ સત્તા બીજાને ન મળવી જોઈએ કે પછી કોઈ પ્રકારની સિદ્ધિનો જશ બીજા કોઈને ન જવો જોઈએ.

અર્થતંત્રની દોડમાં જપાન ક્યારનું ય પરાજીત થયું છે. ભારતે સામે ચાલીને આત્મઘાત કર્યો અને હવે અમેરિકા અને યુરોપના દેશો પણ પરાજીત થયા છે. ચીનની અત્યારની હરકતો જોતાં એમ લાગે છે કે ચીન મદમાં છે. ચીન ઉતાવળમાં છે. ચીનને અત્યારે એમ લાગવા માંડ્યું છે કે હવે ચીનના દિગ્વિજયને કોઈ રોકી શકે એમ નથી. ચીને એક સાથે અનેક મોરચા ખોલ્યા છે. ચીનની અંદર હોંગકોંગની પ્રજાને લોકતંત્રનું આપેલું વચન પણ ચીન તોડી રહ્યું છે. આમાં કોરોના વાઈરસનું રહસ્ય શંકા પેદા કરે એવું છે. વાઈરસ ચીનમાં પેદા થયો હતો અને જ્યાં વાઈરસ પેદા થયો એ દેશ અત્યારે લગભગ વાઈરસમુક્ત છે અને જગત આખાને પરેશાન કરી રહ્યો છે. ચીન એનો લાભ લઈ રહ્યું છે.

લાગ જોઇને ચીને લડાખમાં ભારતની ભૂમિમાં પ્રવેશ કર્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2020

Loading

ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 November 2020

હૈયાને દરબાર

જૂની રંગભૂમિ એનાં ગીત-સંગીતને લીધે વધારે સમૃદ્ધ હતી. નાનપણમાં કેટલાંક હાસ્યાસ્પદ અને હાસ્યરસ પ્રધાન ગીતો સાંભળ્યાં હતાં પણ એ વખતે ખબર નહોતી કે આ ગીતો આપણી જૂની રંગભૂમિનાં ગીતો હતાં! આવાં ફારસ ગીતોમાં તરત યાદ આવે એવાં ગીતો એટલે, છગન મગન તારે છાપરે લગન, તમે જોજો ના વાયદા વિતાવજો પિયુ પહેલી પેસેન્જરમાં આવજો, સામી સડક પર બંગલો, ગુડબાય ગુડબાય ટાટા ટાટા તથા ઝટ જાઓ ચંદનહાર લાવો ઘુંઘટ નહીં ખોલું હું …!

ઝટ જાઓ ગીત પછીથી ‘અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મમાં લેવાયું હતું. આજે ય ગીત-સંગીતની મહેફિલમાં હોટ ફેવરિટ છે. આપણા કવિઓએ ગુજરાતી નાટકો માટે હિન્દી ગીતો પણ લખ્યાં હતાં.

જૂની રંગભૂમિમાં ગીતો હોવાં જ જોઈએ એવો આગ્રહ માત્ર કવિ કે ગાયકનો જ નહીં દરેક નાટ્યકારનો રહેતો. તખ્તા પર પ્રસંગો આકાર પામે, વાતાવરણ સર્જાય અને કોઈક કટોકટી કાળે ગીત હાજર થતાં સંવાદો અટકે અને ઊર્મિ તંત્ર સાબદું થાય. શ્રોતાઓને તરબતર કરી દે એવું સંગીત પિરસાય અને તખ્તાનો માહોલ બદલાય. પ્રાચીન રંગભૂમિમાં મુખ્યત્વે હાર્મોનિયમ, તબલાં અને ક્યારેક પખાવજ અને પાવાનો ઉપયોગ થતો. આ વાદ્યો સાથે પાત્ર સ્ટેજ પર ગીત ગાય. કેટલીકવાર કથા કંઈક જુદી ચાલતી હોય અને લોકોના મનોરંજન માટે વચ્ચે કોઈ ગીત આવી જાય.

ત્યાર પછી જમાનો બદલાયો. ટેકનોલોજીના વ્યાપ સાથે નાટકનું સ્વરૂપ બદલાયું. પરંતુ, નવી રંગભૂમિમાંથી સંગીતનું મહત્ત્વ જરા ય ઓછું થયું નથી. આધુનિક રંગભૂમિમાં કેટલા ય ઉત્તમ સંગીતકારોએ સંગીત આપ્યું છે.

જો કે, આ વાતને ય વર્ષોનાં વહાણાં વાયાં. નાટકમાં હવે તો ગીત-સંગીતની આખી સ્ટાઈલ જ બદલાઈ ગઈ છે. નવી રંગભૂમિમાં છેલ્લે સાંભળેલાં ઉત્તમ નાટ્યગીતોમાં ‘અમે બરફનાં પંખી’, ‘સંતુ રંગીલી’, ‘ખેલૈયા’, ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’, ‘અમસ્તા અમસ્તા’, ‘તાથૈયા’, ‘માસ્ટર ફૂલમણિ’, ‘કલાપી’, ‘અખો આખાબોલો’, ‘મીરાં સામે પાર’, ‘મારો પિયુ ગયો રંગૂન’ જેવાં નાટકનાં ગીતો અચૂક યાદ આવે. ‘અમસ્તા અમસ્તા’ નાટક દ્વારા આપણા સચિન-જિગર જોડીમાંના એક સચીન સંઘવી લાઈમ લાઈટમાં આવ્યા હતા.

પરંતુ એ પછી દોર આવ્યો ગુજરાતી નાટકોમાં ફિલ્મી ગીતો ઘુસાડવાનો. દરેક નાટકમાં ફિલ્મી ગીતોની મેડલી અથવા ફિલ્મી ડાન્સ હોય જ. શું ગુજરાતી પ્રેક્ષકોને બધે જ ફિલ્મી ગીતોના વઘારનો છંટકાવ જોઈએ છે? કે નિર્માતાઓ ધારી લે છે કે ફિલ્મ સંગીત વિના ગુજરાતી નાટકો ના ચાલે? તો પછી ઉપર દર્શાવ્યાં એ તમામ નાટકોનાં ગુજરાતી ગીત લોકહૈયે કેવી રીતે વસ્યાં?

અલબત્ત, તાજેતરમા લંડનની ‘શિવમ’ નાટ્યસંસ્થા દ્વારા રજૂ થયેલાં બે રમૂજી નાટક ‘મારી હનીને ભાવે મની’ તેમ જ ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ વીડિયો પર ઓનલાઈન જોયાં. ઓન ડિમાન્ડ આ નાટકો જોઈ શકાય છે. સોશિયલ કોમેડીથી સામાન્ય રીતે હું દૂર રહું છું. પરંતુ, આ બન્ને નાટકોમાં ભદ્દી કોમેડીને બદલે સામાજિક સંદેશ સાથે હળવી રમૂજ હતી. એ ય પાછી લંડનવાસીઓની ટિપિકલ ગુજરાતીમાં. છોગામાં ગીતો ય ખરાં. જૂની રંગભૂમિનાં ગીતોના ઢાળ ઉપર નવા શબ્દો. ઝટ જાઓ ચંદનહાર પ્રકારનું ગીત; ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે, જીવનમાં ભંગ પડ્યો રે મારા ભૈ કે આજ મારી પૂરી ફજેતી થઈ, હું તો લકી ડીપ ભરી ભરી થાકી કાનુડા તારા મનમાં નથી, આ મારી વાઈફ અને આ મારી લાઈફ …જેવાં ગીતો જૂની રંગભૂમિની યાદ અપાવતાં હતાં.

આ વિશે આ નાટકોના નિર્માતા, દિગ્દર્શક, લેખક કિરણ પુરોહિત કહે છે, "લગભગ ત્રીસેક વર્ષથી હું લંડનમાં નાટ્યપ્રવૃત્તિ કરી રહ્યો છું. ૧૯૮૫માં લંડન આવ્યો ત્યારે શરૂઆતમાં ભારતીય વિદ્યાભવન સાથે નાટ્યપ્રવૃત્તિ કરતો હતો. ફૂલ ટાઈમ ડ્રામા ડિરેક્ટર તરીકે જોડાયો હતો. ત્યારબાદ મારી સર્જનાત્મકતા વિકસાવવા ૧૯૯૩માં મેં મારા દીકરાના નામ પરથી ‘શિવમ થિયેટર્સ’ શરૂ કર્યું. એ સાઉથ એશિયન થિયેટર કંપની છે. સૌથી પહેલું નાટક મૂળરાજ રાજડાની સ્ક્રિપ્ટ પરથી ‘ચકડોળ’ કર્યું જેનું નામ અમે ‘એક ભૂલ ડબ્બાડૂલ’ રાખ્યું હતું. ખૂબ વખણાયું. એ પછી મેં પોતે જ લંડનની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને નાટકો લખવાનાં શરૂ કર્યાં. લંડનની અંડરગ્રાઉન્ડ ટ્યુબ રેલવે લાઈનનો નકશો જેમને ખબર હશે તેઓ સમજી શકશે કે કેટલી બધી લાઈનોનાં ક્રોસ કનેક્શન હોય છે. દરેક પાટા એકબીજાને અડકીને છૂટા પડી જાય. જોબ માટે ટ્રેનમાં જતો ત્યારે મેં આ નોંધ્યું અને વિચાર્યું કે માનવસંબંધો પણ આવા અટપટા અને ટચ એન્ડ ગો જેવા જ હોય છે. એક જ છત નીચે રહે છતાં સૌ એકબીજાથી અલગ. આત્મા અને ફેમિલી બોન્ડિંગ વગરનું ઘર. એ થીમ પરથી ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ નાટક લખ્યું. એક છત નીચે રહેતો પરિવાર એકબીજાથી સાવ દૂર છે પરંતુ ઘરમાં બનતી એક દુ:ખદ ઘટના એમને નજીક લાવે છે એ નાટકનો મુખ્ય સૂર હતો. આ નાટક અત્યંત સફળ નિવડ્યું. એને ઇંગ્લેન્ડ આર્ટ કાઉન્સિલની ગ્રાન્ટ પણ મળી. ગુજરાતી નાટક માટે આ બહુ મોટી ઘટના કહેવાય.

“ત્યારપછી લગભગ દર વર્ષે હું એકાદ-બે નવાં નાટકો કરતો. અમારાં ગુજરાતી નાટકો ઘણીવાર અંગ્રેજો પણ જોવા આવે છે. અંગ્રેજો નાટકના ખૂબ શોખીન છે. લંડનનાં નાટ્યગૃહો છ મહિના પહેલાં હાઉસફૂલ થઈ જાય છે. એમને ઘણીવાર ગુજરાતી નાટકોમાં ય રસ પડે છે. તેથી આખા ગુજરાતી નાટકને અમે એવા શોમાં ગુજલિશ બનાવી દઈએ છીએ. જાણીને આશ્ચર્ય થશે પરંતુ ગયા વર્ષે રજૂ થયેલા ‘મારી હનીને ભાવે મની’ નાટકને પણ ‘આર્ટ્સ કાઉન્સિલ ઑફ ઇંગ્લેન્ડ’ તરફથી એવોર્ડ મળ્યો છે. અત્યાર સુધીમાં ૮૦ શો કર્યા પરંતુ લોકડાઉનમાં થિયેટર્સ બંધ હોવાથી થોડા સમય પૂરતાં સ્થગિત છે. આ નાટકમાં આશિત દેસાઈએ સંગીત આપ્યું છે. આ નાટકની થીમ લોટરીમાં રાતોરાત કમાઈને પૈસાદાર થઈ જવાની વૃત્તિ વિશે છે. અવનવી ઘટનાઓ બાદ લોભી પરિવારને ખાતરી થાય છે કે ‘મની કાન્ટ બાય હેપીનેસ’. એટલું જ નહીં, ભગવાને તમને જે કલા-કારીગરી આપી છે એના પર જ ફોકસ કરવું. પૈસા રળવા બીજે ફાંફાં ન મારવાં એ પણ આ નાટકનો સંદેશ છે. આર્ટ કાઉન્સિલે આ નાટકને આખા યુ.કે.ની ટૂર કરવા માટે ફંડ પણ આપ્યું છે એ અમારે માટે ગર્વની વાત છે. ‘શિવમ થિયેટર’ અત્યારે આખા યુ.કે.નું એક માત્ર સ્વતંત્ર અને સ્વનિર્ભર પ્રોડક્શન હાઉસ છે.”

નાટકનાં ગીતો લખનાર અને પોતે જ ગાનાર કિરણ પુરોહિત ગીતોનાં સંદર્ભમાં કહે છે કે, "મ્યુઝિકલ પ્લે હંમેશાં દર્શકોનું મનોરંજન કરે છે. એમાં ય હું લંડનના ગુજરાતીઓની માનસિકતાને આધારે, અહીં બોલાતી ગુજરાતી ભાષા પ્રમાણે હાસ્ય નિષ્પન્ન થાય એવાં જ ગીતો લખું છું. આ ગીતોમાં ક્યાં ય બેઢંગ કે અશોભનીય ભાષા નથી હોતી. નાટકની કથા પ્રમાણે શુદ્ધ મનોરંજન આપવાનો જ હેતુ છે. લેસ્ટરના ચંદુભાઈ મટ્ટાણીએ આશિત દેસાઈનું નામ સૂચવ્યું હતું. એમણે નાટકને અનુરૂપ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતોનું ડબિંગ કરી આપ્યું હતું.’

સંબંધોની નોકઝોંક દર્શાવતાં ગીતો તથા લંડનના ગુજરાતીઓની ભાષા સાંભળવી એ આ નાટકોનો લહાવો છે. જૂની રંગભૂમિને ૨૧મી સદીના સંવાદો સાથે સજીવન કરી હસતાં હસાવતાં જીવનના સાચાં મૂલ્યો આ નાટકો સમજાવે છે. દરેક શહેરની, એના વિસ્તારોની અમુક ખૂબીઓ હોય છે. મુંબઈનાં નાટકોમાં જેમ મરીન ડ્રાઈવ, કાંદિવલી-બોરીવલી કે બાન્દ્રાની વાત સાહજિક રીતે વણાઈ જાય એમ આ નાટકોમાં વેમ્બલીનાં ખાખરા-થેપલાં, વોટફર્ડના હાઈ ફંડાની વાત પણ આવે. પિકાડેલી સર્કસના ઓટલે પાનનો ગલ્લો ખોલવાનું તો એક ગુજરાતી જ વિચારી શકે. વાત મૂળ એ છે ભાંગવાડી બંધ થઈ, જૂની રંગભૂમિ ગઈ પણ એનાં ગીતો વિદેશમાં ય હજુ ગાજે છે. સંગીતની આ જ તો કમાલ છે!

—

ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે
મને લેવો છે જેકપોટનો લહાવો
રસોડે નહીં રાંધું રે

ન મળે ફ્રીઝરમાં ફ્રોઝન ફૂડ ને
નહીં મળે દાળ-ભાત
જેકપોટ જો નહીં લાગશે,
તો વારે વારે હું પાડીશ હડતાલ રે,
રસોડે નહીં રાંધું રે …

આ..હા.. નાણાંનાં નખરાં બધાં ને
નાણાંના સૌ નાદ
સમજીને માગવાનું તું નહીં મૂકે,
મને મુકાવીશ લંડન શહેર રે …
અરે, હેરોડ્ઝમાં શોપિંગ કરીશ
અને કરીશ લંડનમાં લહેર, સમજ્યાને!
લોટરી લાગી તો હું બદલીશ તમારી ચાલ રે ..
ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે!

•   ગીતકાર : કિરણ પુરોહિત     •   સંગીત : આશિત દેસાઈ     •   ગાયકો : કિરણ પુરોહિત અને રમીલા હાલાઈ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 નવેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658907  

Loading

રાજનીતિનું અપરાધીકરણ, અપરાધની રાજનીતિ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 November 2020

ત્રણ ચરણમાં યોજાનાર બિહાર વિધાનસભાની ચૂંટણીના બે ચરણ પૂરા થયા છે. પ્રથમ ચરણમાં જે ૭૧ બેઠકો માટે મતદાન થયું, તેમાં ૬૧ બેઠકો પર રેડ એલર્ટ હતું. જ્યાં ત્રણથી વધુ ઉમેદવારો અપરાધિક પૃષ્ઠભૂના હોય તે બેઠકોને ચૂંટણીપંચ રેડ એલર્ટવાળી ઘોષિત કરતું હોય છે. ભૂતકાળમાં ૫૦ ટકા બેઠકો પર રેડ એલર્ટ જાહેર કરાતું હતું. આ વખતે પ્રથમ તબક્કાના મતદાનમાં જ આવી બેઠકોની સંખ્યા ૮૫ ટકા હતી ! આ હકીકત રાજકારણમાં અને ચૂંટણીમાં કઈ હદે ગુનાહિત તત્ત્વોનું જોર વધી ગયું છે તે દર્શાવે છે.

‘એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ના અહેવાલ મુજબ ૨૦૦૫થી ૨૦૨૦ સુધીના પંદર વરસોમાં, ઇન્ડિયન પિનલ કોડની વિવિધ ધારાઓ હેઠળ જેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવા, બિહારમાંથી ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધતી જાય છે. છેલ્લા પંદર વરસોમાં જનતા દળ(યુ)ના ૨૯૬ સાંસદો – ધારાસભ્યોમાંથી ૧૪૯ (૫૦ %), આર.જે.ડી.ના ૧૫૮માંથી ૮૯ (૫૬ %), ભા.જ.પ.ના ૨૬૪માંથી ૧૫૪ (૬૩ %) અને લોકજનશક્તિ પાર્ટીના ૨૭માંથી ૧૯ (૭૧ %) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા જનપ્રતિનિધિઓમાં બિહારનો કોઈ ઈજારો નથી. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં વિજયી થઈ માનનીય ધારાસભ્ય બનેલામાંથી ૧૪૩ અર્થાત્‌ ૩૬ ટકા પર પોલીસ કેસ થયેલા છે. તેમાંથી ૨૬ ટકા પર બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, અને અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.

સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી માહિતીમાં જણાવાયું છે કે હાલમાં દેશની વિવિધ અદાલતો સમક્ષ વર્તમાન અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો સામેના કુલ ૪,૪૪૨ અપરાધિક કેસો પડતર છે. તેમાં ૪૧૩ ગંભીર પ્રકારના અપરાધોના કેસો છે. રાજ્યોની વિધાનસભાઓમાં અને સંસદમાં ૧૭૨ ગંભીર અપરાધિક કેસો ધરાવતા સભ્યો વિરાજમાન પડતર અપરાધિક કેસો સાથે લોકસભામાં વિરાજતા માનનીય સાંસદો ૨૦૦૪માં ૨૪ ટકા, ૨૦૦૯માં ૩૦ ટકા, ૨૦૧૪માં ૩૪ ટકા અને ૨૦૧૯માં ૪૩ ટકા હતા. ઉમેદવારોએ જાતે જાહેર કરેલ અપરાધિક કેસોના વિવરણ પરથી નેશનલ ઈલેકશન વોચનું તારણ છે કે ગંભીર અપરાધના કેસો સાથે લોકસભામાં વિરાજતા સાંસદો ૨૦૦૯માં ૭૬ હતા. એક દાયકા પછી, ૨૦૧૯માં, તેમાં ૧૦૯ ટકાનો વધારો થયો છે અને હાલની લોકસભામાં ગંભીર ગુના નોંધાયા હોય તેવા સાંસદો ૧૫૯ છે.

ચૂંટણી પંચે અને સુપ્રીમ કોર્ટે વખતોવખત રાજનીતિમાં અપરાધિક તત્ત્વોના પ્રવેશને રોકવા પ્રયાસો કર્યા છે. પરંતુ તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને તેઓએ શા માટે ગુનાહિત કેસો જેમની સામે પડતર છે તેવા ઉમેદવારો પસંદ કર્યા છે તેના કારણો જણાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષોએ અપરાધિક છવિ ધરાવતા કે અદાલતોમાં કેસો પડતર હોય તેવા લોકોને ઉમેદવારો બનાવ્યા છે. એ રીતે રાજકીય પક્ષોએ દેશની સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોળી પીધો છે.રાજકીય પક્ષો માટે ઉમેદવારીનો એક માત્ર માપદંડ ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારનો છે. આ માપદંડ પાર પડતો હોય તો તેની અપરાધિક પૃષ્ઠભૂ તેમના માટે જરા ય મહત્ત્વની નથી.

દિનેશ ગોસ્વામી સમિતિ (૧૯૯૦), એન.એન. વોહરા સમિતિ (૧૯૯૩) ઇન્દ્રજિત ગુપ્તા સમિતિ (૧૯૯૮) અને જસ્ટિસ વેંકટ ચૈલેયાના અધ્યક્ષસ્થાને રચાયેલા બંધારણ સમીક્ષા પંચ (૨૦૦૨),એ  ચૂંટણી સુધારા અને રાજકારણમાં અપરાધિક તત્ત્વોના પ્રવેશને અટકાવવા મહત્ત્વની  ભલામણો કરી છે. હવે ઉમેદવારે પોતાની સામેના પડતર ગુનાની લેખિત માહિતી ઉમેદવારી પત્ર સાથે આપવાની હોય છે. તે રાષ્ટ્રીય અને પ્રાદેશિક વર્તમાનપત્રોમાં જાહેર કરવાની જોગવાઈ પણ અર્થહીન બની ગઈ છે. કેમ કે મતદારો આ હકીકતથી વાકેફ હોવા છતાં તેને મત આપે છે. લોક પ્રતિનિધિત્વ કાનૂનમાં કોર્ટમાં સજા પામેલાને છ વરસ માટે ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવવાની જોઇવાઈ છે પણ જેમની સામે કોર્ટમાં કેસો પડતર છે અને કોઈ સજા થઈ નથી તેને ચૂંટણી લડતા અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી.

રાજકારણીઓ, વહીવટી અને પોલીસ તંત્ર તથા અપરાધીઓ વચ્ચેની સાંઠગાંઠ લોકતંત્રને નબળું પાડે છે. પરંતુ અપરાધીઓ, બાહુબલિઓ અને ધનપતિઓનાં સમર્થન અને સક્રિય સહયોગ વિના ચૂંટણીઓ લડી કે જીતી શકાતી નથી. પહેલાં જે અપરાધિક તત્ત્વો ચૂંટણી જીતાડતા હતા તેઓ પોતે જ હવે ઉમેદવારો બની ધારાગૃહોમાં બેસતા થઈ ગયા છે. ચૂંટણીમાં વિજેતા થઈને તેઓ જાણે તેમના બધા ગુના માફ થઈ ગયા હોય તેવો રૂઆબ ધરાવે છે. રાજકીય અપરાધિક તત્ત્વો પર સરકારોનો પણ વરદહસ્ત હોય છે. એટલે તેઓ પોતાની સામેના કેસોને નબળા પાડવામાં, પોલીસ તપાસને પોતાના પક્ષે કરવામાં, સાક્ષીઓને સત્તાના જોરે ફોડવામાં અને પુરાવાઓનો નાશ કરવામાં સફળ રહે છે. તેઓ ન્યાયિક પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી શકે છે. અદાલતોમાં ન્યાય મેળવવામાં સરેરાશ પંદર વરસનો સમય લાગે છે એ દરમિયાન તો આવા તત્ત્વો એક બે ટર્મ આસાનીથી ધારાસભ્ય કે સાંસદ બની રહે છે. ન્યાય મેળવવામાં થતો વિલંબ, કોર્ટોમાં કેસોનો ભરાવો અને ન્યાયના લાંબા પણ હવે વૃદ્ધ અને જર્જર બની ગયેલા હાથ આવા તત્ત્વોને મોકળું મેદાન આપે છે.

માત્ર નેતાઓ જ નહીં અપરાધિક છવિ ધરાવતા તેમના સમર્થકો અને રાજકીય પક્ષોના કાર્યકરો પણ રાજનીતિને કલંકિત કરે છે. પોતાના કાર્યકરની નેતાજીને ગરજ હોય છે એટલે તે તેના ગુનાઓ તરફ આંખમિચામણા કરે છે કાં તે છાવરે છે કે ખુલ્લેઆમ સમર્થન કરે છે. એક સામાન્ય ચપરાશીની સરકારી નોકરી માટે કોઈ પોલીસ ફરિયાદ ન હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે,પરંતુ કાયદા ઘડનારા ગૃહોમાં અનેક પોલીસ કેસો પડતર હોવા છતાં વગર એન.ઓ.સી.એ, બેરોકટોક, પ્રવેશ મળે છે. જેમની સામે પોલીસ તપાસ પૂર્ણ થઈ હોય અને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયું હોય તેવા ઉમેદવારો કોર્ટનું એન.ઓ.સી. મેળવીને જ ઉમેદવારી કરી શકે એટલી જોગવાઈ તો હાલના સંજોગોમાં અપેક્ષિત છે જ. રાજકારણીઓ સામેના પડતર કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી તેમને પાક-સાફ જાહેર કરી દેવાના પ્રયાસો થાય છે પરંતુ રાજકારણીઓની મથરાવટી જ એવી મેલી હોય છે કે એક કેસ પૂરો થાય ત્યાં નવા બે ઉમેરાય છે. વળી તેઓ માનનીય સાંસદ કે ધારાસભ્ય હોવાના એક માત્ર વિશેષાધિકારને કારણે જ્યારે દેશના આમ નાગરિકને ન્યાય મેળવવામાં જો પંદર વરસ લાગે તો તેને ઝડપી ન્યાય કેમ ? એવો પણ સવાલ વાજબી છે.

રાજકારણીઓ સામેના કેટલાક પોલીસ કેસો તેમના લોકોના પ્રશ્નો માટેના જાહેર વિરોધ કાર્યક્રમોના કારણે હોય છે તેમાંના ઘણા કેસો રાજનીતિપ્રેરિત પણ હોઈ શકે છે. પણ તેને અલગ તારવવા મુશ્કેલ છે. જો કે તેનું પ્રમાણ બહુ મોટું હોતું નથી. અને આવા કેસો અદાલતોમાં ટકતા પણ નથી. એટલું ખરું કે આવા કેસોના કારણે પણ અમુક રાજકારણીઓ ગુનાના આરોપીઓની પંગતના ગણાતા રહે છે.

રાજકીય પક્ષો વચ્ચે અપરાધિક છબિ ધરાવતા નેતાઓ કોના પક્ષમાં વધુ છે તેની પણ જાણે કે સ્પર્ધા ચાલતી હોય.છે.  બિહારમાં તો વળી ૨૦૦૫ પછીના પંદર વરસોમાં ૨૧ માંથી ૧૫ એટલે કે ૭૧ ટકા અપરાધિક કેસો ધરાવતા અપક્ષો ચૂંટાયા છે. ૨૦૦૫ પછી જે ૯૦ મહિલાઓ ધારાસભ્ય-સાંસદ બન્યાં છે તેમાંથી ૩૦ (૩૩ ટકા) મહિલાઓ પણ ગુનાહિત પડતર કેસો ધરાવે છે. એટલે  રાજનીતિનું અપરાધીકરણ પક્ષ-અપક્ષ-સ્ત્રી-પુરુષના ભેદ પણ ધરાવતું નથી રાજનીતિના અપરાધીકરણની ઉધઈ સમગ્ર લોકતંત્રને ભરખી જાય તે પહેલાં જાગવાની જરૂર છે.

(તા.૦૪-૧૧-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,1322,1332,1342,135...2,1402,1502,160...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved