Opinion Magazine
Number of visits: 9680460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુ.એસ.એ. કે ભારત, રાજકારણીઓને ગમતું સત્ય ચૂંટાય ત્યારે સમજવું કે લોકશાહીમાં ઊધઇ પેઠી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 November 2020

રાષ્ટ્રીયતા આ બંન્ને દેશોમાં ‘વાદ’ બની ચૂકી છે અને અંતિમવાદી રાજકીય ધ્રુવીકરણ આ બન્ને લોકશાહી રાષ્ટ્રોની હાલની વાસ્તવિકતા છે. લોકશાહી પાંગળી બને ત્યારે તે ખતરનાક બની જાય છે.

યુ.એસ.એ.ની ચૂંટણીની ભાંજગડ આ લખાઇ રહ્યું છે ત્યારે હજી ‘જૈસે થે’ની સ્થિતિમાં છે. આ વંચાતું હશે ત્યાં સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ હોય એમ બની જ શકે છે. આપણે વૉટ્સએપ્પ પર એ જોક પણ વાંચી ચૂક્યા છીએ કે આપણે ત્યાં તો બપોરે જ ફટાકડા ફૂટવા માંડે એટલે ખબર પડી જાય કે કોણ જીત્યું છે અને આ લોકોને કેમ આટલી વાર લાગે છે વગેરે વગેરે …  ભારત અને યુ.એસ.એ.ની વાત થાય અને એ પણ ચૂંટણીલક્ષી ત્યારે જાતભાતનાં પાસા ચર્ચાય.

યુ.એસ.એ.નાં મતદાતાઓની વાત કરીએ તો ત્યાં 328.2 મિલિયનની વસ્તી છે પણ તે બધાં જ મત દાન કરી શકે તેમ નથી. મોટા ભાગની સરકારોએ ત્યાં મતદાતાઓ માટે અમુક નિયમો ઘડ્યા છે. યુ.એસ.માં રહેનાર દરેક વ્યક્તિ ત્યાંની ચૂંટણીમાં મત આપી શકે તેમ નથી હોતું, પણ એવા નિયમો ભારતમાં પણ લાગુ કરાયેલા છે. યુ.એસ.એ.ની પી.ઇ.ડબલ્યુ. રિસર્ચ સેન્ટર નામની સંસ્થા જે એક થિંક ટેંક છે, તે મુજબ હવે યુ.એસ.એ.માં મત આપી શકનારાઓની સંખ્યા ગત દાયકા કરતાં વધી છે. નવા મતદારોમાં એવા લોકોની સંખ્યા વધારે છે જે અશ્વેત છે અને તેમાં હિસ્પેનિક, બ્લૅક અને એશિયન મતદાતાઓની સંખ્યા મોટી છે. આમ તો યુ.એસ.એ.ની કુલ સંખ્યામાંથી લાખો લોક મત આપી શકે તેમ છે, પણ મત આપવા આવનારાઓ આની અડધી સંખ્યામાં હોય છે. 1988ની સાલમાં ડેમોક્રેટ ગ્રોવર ક્લિવલેન્ડને ચૂંટી લેવા માટે 79.3 ટકા લોકો મત આપવા આવ્યા હતા જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક મતદાન છે. જેમ ભારતને યુવા દેશ ગણાય છે તેમ યુ.એસ.એ.ની ચૂંટણીમાં પણ યુવા મતદારોના બોલબાલા છે. યુ.એસ.એ.ના યુવા મતદાતાઓ 2020ની ચૂંટણીનાં પરિણામ માટે કારણભૂત હોઇ જ શકે છે.

ટફ્ટ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફર્મેશન એન્ડ રિસર્ચ ઓન સિવિક લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ અનુસાર 18થી 29 વયની વચ્ચેના મતદારો મોટી સંખ્યામાં મત આપવા તત્પર છે અને આઠ મિલિયન જેટલા જુવાનિયાઓએ અર્લી વોટિંગ અને એબ્સન્ટી તરીકે 2020ની યુ.એસ.એ.ની ચૂંટણીમાં પોતાનો મત નોંધાવ્યો છે. યુ.એસ.એ.માં પણ ડાબેરી અને જમણેરીની લડાઇ અને વિધાનો, વાયદાઓ મતદાતાઓની પસંદગી પર અસર કરે છે. યુ.એસ.એ.માં રહેતા ઇન્ડિયન અમેરિકન્સ ડેમોક્રેટિક કેન્ડિડેટને ટેકો આપી રહ્યા છે અને માત્ર 22 ટકા એન.આર.આઇ.ઝને ટ્રમ્પને ટેકો આપવામાં રસ છે. વળી જેમ આપણે ત્યાં મહિલાઓ મોદી તરફી છે તેમ ત્યાં ય મહિલાઓને ટ્રમ્પ પરત્વે ઝુકાવ છે.

ભારતના મતદારોની વાત કરીએ તો સામાજિક પૂર્વગ્રહોનો ભારતીય મતદારોની પસંદગી પર બહોળો પ્રભાવ હોય છે. આપણે ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં ઝુકાવ બદલી શકાય છે અને તેવું થતું આવ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે ભારતીય મતદારને વિકાસ કે નીતિને આધારે મત આપવામાં કોઇ રસ નથી હોતો. ભારતીય રાજકારણમાં જાતિવાદ સૌથી મોટું શસ્ત્ર છે અને ભારતીય રાજકારણીઓ, પછી તે કોઇ પણ પક્ષના હોય આ બાબત બહુ સારી પેઠે સમજે છે. જાતિને આધારે રાજકીય લાભ ખાટવાની સમજ ભારતના છેવાડાના માણસમાં છે જ અને તેઓ જાતિ આધારિત સમાજમાં ઉછર્યા હોય પછી તેમને માટે મતની પસંદગી પણ તેને આધારે જ થાય છે. રાષ્ટ્રવાદ, મંદિર, હિંદુત્વ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને લોકોની લાગણીઓનો ઝુકાવ બદલતા પણ રાજકીય પક્ષોને સારી પેઠે આવડે છે.

ભારતમાં મતદાતાઓની પસંદને તેમની જરૂરિયાતના ક્રમમાં મૂકી શકાય, જેમાં વ્યક્તિગત લાભને પણ અગ્રિમતા અપાય છે. આ બે પૂરા થાય પછી જાતિનું હિત અને છેલ્લે જાહેર હિતને મહત્ત્વ અપાય છે. અહીં મત આપવા જનાર સારા રસ્તા કે સુવિધાઓનો નહીં પણ પોતાને શું લાભ થઇ શકશે તેનો જ વિચાર કરતો હોય છે. આ કારણે જ ચૂંટણી ચક્ર ફરવાનું શરૂ થાય ત્યારે રાજકીય પક્ષો શરૂઆતનાં વર્ષોમાં જાહેર હિતના કામ કરે છે, અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ તેઓ મતદારોને મફત લાભ, પૈસા વગેરે વસ્તુઓ ધરતા થાય છે અને ધર્મ અને જાતિનું કાર્ડ તો ખેલાય જ છે. ડાબેરી અને જમણેરીની વચ્ચે આંધળુકિયાનું પ્રેશર વધે છે અને મુક્ત વિચારધારા માટેની જગ્યા સંકોરાતી જાય છે. આ હાલત યુ.એસ.એ. અને ભારત બન્નેમાં જ છે. રાષ્ટ્રીયતા આ બન્ને દેશોમાં ‘વાદ’ બની ચૂકી છે અને અંતિમવાદી રાજકીય ધ્રુવીકરણ આ બન્ને લોકશાહી રાષ્ટ્રોની હાલની વાસ્તવિકતા છે. લોકશાહી પાંગળી બને ત્યારે તે ખતરનાક બની જાય છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ અમેરિકાના હાલનાં સંજોગો છે.

જાણીતા ઇઝરાઇલી હિસ્ટોરિયન યુવલ નોઆ હરારીનું કહેવું છે કે તમે ભલે કોઇ પણ દેશમાં રહેતા હો, પણ જો તમે લોકશાહીને બચાવવા માગતા હો તો એવા રાજકારણીઓને મત આપો જે સત્ય પ્રકાશિત કરતી અને સત્યને ટેકો આપતી સંસ્થાઓની પડખે ઊભા રહેતા હોય. એ પક્ષ માટે મત આપો જે લોકોને તેમના અધિકાર સાચા અર્થમાં પામવા દે, તેનો ઉપયોગ કરવા દે અને તેમને માફક આવે અને યોગ્ય લાગે તેવી સરકારની પસંદગી કરવા દે. રાજકારણીઓને ગમતું સત્ય ચૂંટાઇને માથે બેસે ત્યારે લોકશાહી વધુને વધુ પાંગળી થતી જાય તે સમજવું જરૂરી છે.

બાય ધી વેઃ

ચૂંટણીઓ થકી કોઇ સત્યો નથી શોધી શકાતા. ચૂંટણી તો એક રસ્તો છે જેના થકી અલગ અલગ લોકોની એકબીજાથી જૂદી એવી ઇચ્છાઓનું સમાધાન શાંતિથી મળી શકે. સ્વતંત્ર સરકારોએ સાચા અર્થમાં લોકોના પ્રતિનિધિત્વ, તેમના હિતને ગણતરીમાં લેવું જોઇએ. યુવલ નોઆ હરારીનું આનું સરસ ઉદાહરણ આપે છે કે ખ્રિસ્તી કટ્ટરવાદીઓ એમ ચાહતા હોય કે જે પણ સ્ક્રિપ્ચર્સમાં લખાયું છે તે સાચું છે અને ઉત્ક્રાંતિની આખી થિયરી જ બોગસ છે અને નેવું ટકા મતદાતાઓ આ ખ્રિસ્ત કટ્ટરવાદી હોય છતાં પણ તેમની પાસે એવી શક્તિ કે ક્ષમતા ન હોવી જોઇએ કે તેઓ વૈજ્ઞાનિક સત્યને મનફાવે તેમ બદલી શકે અને વૈજ્ઞાનિકોને સંશોધન કરતા રોકી શકે. કદાચ આવા કટ્ટરવાદીઓની સરકાર એવો ધારો ય પસાર કરી દે કે ઉત્ક્રાંતિવાદની થિયરી બોગસ છે પણ આવો કાયદો સત્ય નથી બદલી નાખતો એ પણ એટલી જ સાચી વાત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 નવેમ્બર 2020 

Loading

રાજકીય દુશ્મની વિનાનું તે કાંઈ રાજકારણ હોતું હશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|8 November 2020

આપણે જોયું કે ગાંધીજીએ એક વરસ સુધી ભારતભ્રમણ કરવાનું અને રાજકીય નિવેદનો નહીં કરવાનું ગોપાલકૃષ્ણ ગોખલેને વચન આપ્યું હોવા છતાં ગણતરીના મહિનાઓમાં ભારતના પ્રસ્થાપિત નેતાઓને સમજાઈ ગયું હતું કે ‘આ માણસ છે દમદાર, પણ આપણા કામનો નથી.’ આ વાક્યને સમજવાની કોશિશ કરો. વળી ગાંધીજી વિશે અભિપ્રાય આપનારું આ વાક્ય મારું નથી, વાસ્તવમાં ગાંધીજી વિષે બોલાયેલું વાક્ય છે અને લગભગ આજ અર્થમાં એક કરતાં વધુ લોકોએ ગાંધીજી વિષે વાપરેલું વાક્ય છે. એક સરખી ભાષામાં નેતાઓનો સાર્વત્રિક અભિપ્રાય હતો.

દમદાર એટલે શું? એવો માણસ જેની ઉપેક્ષા ન થઈ શકે. કારણ? કારણ કે એ એવો માણસ છે જે આપણો કે આપણી તાકાતનો મોહતાજ નથી. તમે સાથે ચાલો તો પણ ઠીક અને ન ચાલો તો પણ ઠીક. અરે, એની વિરુદ્ધ ચાલો તો પણ એને કોઈ ફરક પડવાનો નથી. તો પછી એની તાકાત આવે છે ક્યાંથી? એના જીગરમાંથી. એકલા ચાલવાની જીગર. આખી દુનિયાની સામે પડીને એકલે પંડે લડવાની જીગર. ભય શું કહેવાય એની એને ખબર નથી એટલે એને કોઈના ય સંગાથની જરૂર નથી. આ એવો માણસ છે જેને નિષ્ફળ નીવડવાનો પણ ભય નથી. કોઈ પણ ભોગે સફળતા મેળવવાની લાલચ નથી. લાલચ પણ ભયનું કારણ હોય છે. આ એવો માણસ છે જે નથી ઓજસ્વી વક્તા કે નથી મોહક વ્યક્તિત્વ, પણ એનાથી પણ તેને કોઈ ફરક પડતો નથી. આ એવો માણસ છે જે સભા સંમેલનોમાં લોકમાન્ય તિલક કે મદનમોહન માલવિયાની એક સેવક તરીકે સેવા કરે, પણ તેમને ન ગમે એવો અભિપ્રાય આપવામાં કે જરૂર પડ્યે તેમની સામે પડવામાં સંકોચ ન અનુભવે.

દમદાર માણસના આ લક્ષણો છે જેની વાયકાઓ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી જ ભારતીય નેતાઓને કાને પડવા લાગી હતી અને હવે ગાંધીજીને જોઇને અને મળીને તેમને ખાતરી થવા લાગી. ધ્યાન રહે, હજુ ખરા અર્થમાં રાજકીય નિવેદન તો ગાંધીજીએ કર્યું જ નહોતું. અને આપણા કામનો નથી એટલે?

ભારતીય નેતાઓને બીજી વાત એ સમજાઈ ગઈ હતી કે આપણે જે પ્રકારનું રાજકારણ કરી રહ્યા છીએ તેને આ માણસ અપનાવવાની વાત તો બાજુએ રહી, પણ પુષ્ટિ પણ આપે એમ નથી. ભલા, રાજકીય દુશ્મની વિનાનું તે કાંઈ રાજકારણ હોતું હશે? હિંદુઓનું રાજકારણ કરો તો મુસલમાન દુશ્મન તરીકે જોઈએ, મુસલમાનોનું રાજકારણ કરો તો હિંદુ દુશ્મન તરીકે જોઈએ, દલિત કે બહુજન સમાજનું રાજકારણ કરો તો બ્રાહ્મણ કે સવર્ણ દુશ્મન તરીકે જોઈએ. કોઈક તો જોઈએ જ ને? એમનેમ રાજકારણ કેવી રીતે થઈ શકે? આ માણસ એવો છે જેને માટે અંગ્રેજો પણ દુશ્મન નથી.

ગાંધીજી કહેતા કે ગુલામી આપણી દુશ્મન છે અંગ્રેજો નથી. આપણે નિર્વીર્ય છીએ અને આપણી અંદર કુસંપ છે એટલે આપણે ગુલામ થયા, અંગ્રેજોએ ગુલામ નથી કર્યા. અંગ્રેજો અને પશ્ચિમની પ્રજા પુરુષાર્થી અને સાહસિક છે એટલે આપણને ગુલામ બનાવવામાં એ ગુણોએ મદદ કરી એટલું જ. આપણી ગુલામીનું કારણ આપણે પોતે છીએ. આવી જ રીતે હિંદુ માટે મુસલમાન અને મુસલમાન માટે હિંદુ દુશ્મન હોય તો એ આત્મવિશ્વાસના અભાવનું પરિણામ છે. વ્યક્તિમાં કે સમાજવિશેષમાં જ્યારે પોતાના ઉપર ભરોસો ન હોય ત્યારે તે બીજાને શંકાથી જોવા લાગે છે.  છે. પાછો આ મહાત્મા દલિતો અને સ્ત્રીઓને તેમનાં શોષણ કે ગુલામી માટે જવાબદાર નથી ઠેરવતો. એને માટે તો અનુક્રમે સવર્ણો અને પુરુષોને જવાબદાર ઠેરવે છે પણ જરા અલગ અર્થમાં. જે પોતાનો ધર્મ (દરેક અર્થમાં) સાચા અર્થમાં ન સમજતો હોય અને જે કાયર હોય એ જ બીજાને દબાવીને રાખે. ટૂંકમાં આ માણસના તો દુશ્મનો પણ અલગ છે. જો કોઈ ઓળખી શકાય એવો રાજકીય દુશ્મન ન હોય અને કોઈને મુર્દાબાદ કહી શકાય એમ ન હોય તો રાજકારણ કેવી રીતે શક્ય બને?

હવે ભારતમાં અપવાદ વિના દરેકનો અભિપ્રાય બન્યો કે માણસ છે દમદાર એટલે એને રોકી શકાય એમ તો નથી પણ વાત અવ્યવહારુ રાજકારણની કરે છે. કેટલોક સમય તો નેતાઓએ માન્યું કે ગાંધીનો અવ્યવહારુ આદર્શવાદ એક દિવસ એના દમને તોડી નાખશે, પછી ભલે એ ગમે એટલો હોય. થોડો સમય જવા દો, સાન ઠેકાણે આવી જશે અને પગ જમીન ઉપર આવી પડશે. આ દક્ષિણ આફ્રિકા નથી, ભારત છે વગેરે.

કેટલાક લોકોને એમ પણ લાગતું હતું કે આ માણસે દુશ્મનની ઓળખ તો સચોટ કરી છે. ભારતીય પ્રજાના દુશ્મન અંગ્રેજો નથી, પણ ભારતીય પ્રજાની અંદર રહેલ નિર્વિર્યતા અને કુસંપ છે એ ગાંધીજીની વાતને નકારી શકાય એમ નથી. આવું જ હિંદુ, મુસલમાન અને બીજા પ્રશ્ને. આ માણસે બાહ્ય દુશ્મનોને નહીં, પણ અસલી દુશ્મનો શોધી કાઢ્યા છે અને તેને લક્ષ્ય બનાવ્યા છે તો શું તે તેના દમદારપણાના જોરે તેને પડકારી શકશે? જો એવું બને તો તો માત્ર ભારતીય રાજકારણનો નહીં, દુનિયાના રાજકારણનો ચહેરો બદલાઈ જાય. અલબત્ત આવું માનનારા એ સમયે બહુ ઓછા હતા. મોટા ભાગના લોકોને તો એમ જ લાગતું હતું કે થોડા દિવસમાં અવ્યવહારુ આદર્શવાદ દમદાર ગાંધીના દમને તોડી નાખશે.

ગાંધીજી ભારતભ્રમણ કરતા હતા અને ભરતના પ્રસ્થાપિત નેતાઓ તેમના તરફ નજર રાખતા હતા. નજર રાખવી પડે એમ હતી કારણ માણસ દમદાર હતો અને બીજા પક્ષની ધારણા મુજબ જો તેમનું દમદારપણું બાહ્ય દુશ્મનની જગ્યાએ અસલી દુશ્મનને પડકારવામાં સફળ નીવડે તો રાજકારણનું સ્વરૂપ બદલાઈ જાય અને તેઓ બાજુએ ધકેલાઈ જાય. આનો થોડો થોડો અણસાર પ્રજાને પણ આવવા લાગ્યો હતો. અરે, સૌથી કચડાયેલા ગણાતા દલિતોને પણ આવી ગયો હતો. ૧૯૧૫ના મે મહિનામાં ગાંધીજી તામિલનાડુના માયાવરમ નામના કસબમાં દલિતોની સભામાં ગયા હતા. ત્યાં દલિત આગેવાને ગાંધીજીને પૂછ્યું હતું કે, ‘અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારી અને ભારતીય નેતાઓ વચ્ચે મૂળભૂત મતભેદો છે.’

ગાંધીજીએ કબૂલ કર્યું હતું કે છે અને ત્રણ વાર બોલ્યા હતા કે છે, છે, છે. મારો દૃષ્ટિકોણ બધાથી જુદો છે. યાદ રહે, હજુ તેમણે કોઈ પોતીકું રાજકીય નિવેદન તો કર્યું જ નહોતું. આ તો માત્ર અણસાર હતો. દમદારપણાનો અને નવા અભિગમનો. અવ્યવહારુ આદર્શવાદ દમદારપણાને ધરાશયી કરશે કે પછી દમદારપણું આદર્શવાદને વ્યવહારુ બનાવીને રાજકારણને નવા આયામ આપશે? એક આગંતુકને લઈને દેશમાં તર્કવિતર્ક ચાલતા હતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 નવેમ્બર 2020

Loading

કણસી રહેલી પીડા

તેજસ વૈદ્ય|Opinion - Opinion|7 November 2020

આશીષ કક્કડ વિશે ફેસબૂક પર શ્રદ્ધાંજલીના શબ્દો લખવાની મને ઈચ્છા નહોતી. કારણ કે, એક વર્ષ પછી, ફરી એ શ્રદ્ધાંજલી મેમરી તરીકે સામે આવે, અને મનને ધુંધવી નાખે. છતાં ય લખવી એટલા માટે પડી કે ક્યાંક તો હૈયામાં કણસી રહેલી પીડાને વિરેચન આપવું ને! આપણી પાસે શબ્દો સિવાય બીજું છે પણ શું કે આપણે આપી શકીએ!?

આશીષભાઈ ગયા એને ચાર-પાંચ દિવસ થયા પણ રોજ કોઈક ને કોઈક કારણસર યાદ આવ્યા જ કરે. એ યાદો સામે આંખ આડા કાન કરીએ તો પણ ઊઘડતાં જૂઈનાં ફૂલોની જેમ એ યાદ સતત ઝબકી જ જાય.

સુશાન્તસિંહ રાજપૂતના નિધન બાદ દેશ આખામાં ડિપ્રેસનની ચર્ચાએ ગોકીરો મચાવ્યો હતો, ત્યારે આશીષભાઈ સાથે છેલ્લે વાત થઈ હતી. તેમણે બારીક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, “ડિપ્રેસન એ અવસ્થા છે કે આપણા શરીર અને મનમાં આનંદ ઊગવાનો જ બંધ થઈ જાય. જેમ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે ઈન્સ્યુલિન શરીર પોતે પેદા નથી કરતું, માટે તેને એ બહારથી આપવું પડે છે, એમ ડિપ્રેસન દરમ્યાન શરીર આનંદ જ પેદા કરતું નથી. લોકો કહે કે ફલાણા-ફલાણીએ આત્મઘાતી પગલું ભર્યું, એને બદલે તેણે કોઈ સાથે વાત કરી લીધી હોત તો હળવાશ મહેસૂસ કરત અને આવું પગલું ન ભરત; પણ વાત કરી લેવી જોઈએ એવી સલાહ આપનારાઓને ખબર જ નથી હોતી કે જે વ્યક્તિ ડિપ્રેસનમાંથી પસાર થઈ રહી છે તેને વાત જ કરવાનું મન જ ન થાય. તેની અંદર એ રસાયણ જ ન ઊગતું હોય કે તેને વાત કરવાનું મન થાય. તેથી ડિપ્રેસન-ગ્રસ્ત માણસે વાત કરવી જોઈએ એવી વાતો કરનારા નાદાન લોકો છે.”

જેણે ‘બેટર હાફ’ જેવી ટકોરાબંધ ફેમિનીસ્ટ ગુજરાતી ફિલ્મ આપી, તેણે સોશ્યલ મીડિયા પર કે સમૂહમાં લોકો વચ્ચે મળ્યા હોય ત્યારે એનાં ગાણાં ગાયા નથી. બાકી આજકાલ તો લોકો એકાદ પુસ્તક આવે ત્યારે આખું સોશ્યલ મીડિયા ગજવી દે છે.

આશીષભાઈને કોઈ પણ કામ કરવાની પ્રક્રિયામાં રસ પડતો અને એ પૂરું થઈ જાય પછી એનો સંતોષ મહત્ત્વનો હતો. પછી એ તેમણે રસોઈમાં કરેલો કોઈ નવો પ્રયોગ હોય કે પોતે બનાવેલી ફિલ્મ હોય. મને યાદ છે કે એક વખત તેમણે કહ્યું હતું કે મરચું ખોરાકમાં તમે વધારે ભભરાવો પછી તમે એની તીખાશને તો માણી શકો પણ એ તીખાશ હાવી થઈ જાય પછી અન્ય તત્ત્વોના જે સ્વાદ હોય તે દબાઈ જાય છે. કેટલી કોઠાસૂઝવાળી આ વાત છે. હવે હું જમણવારોમાં જૈન ફૂડનો સ્વાદ એટલા માટે માણું છું કે એમાં મરચા સહિતનાં સ્વાદ લોકશાહીઢબે આવે છે. સામયિક 'સાર્થક જલસો'માં તેમણે લખેલો 'મારા રસોઈના પ્રયોગો'વાળો લેખ રેસિપીનો લેખ આ રીતે પણ લખી શકાય તેનું ઉમદા ઉદાહરણ છે.

આશીષભાઈને જ્યાં પણ મળીએ ત્યારે તે એટલા સહજ હોય કે દરેક ઉંમરના લોકોને એમ જ થાય કે આ તો આપણા જેવો જ માણસ છે. આશીષભાઈની વાત કે દલીલ હંમેશાં તર્કસભર રહેતી, પણ તેમની ધ્યાનાર્હ લાક્ષણિકતા એ હતી કે તેઓ પાંચ કે પચાસ માણસોની વચ્ચે પોતાનો તર્ક અલગ પડતો હોય તો પણ એ પોતાની તર્કસભર વાત જતી ન કરતા. મોટા ભાગના લોકોનો સૂર અલગ પડતો હોય છતાં તેઓ પોતાની વાત તો મૂકતા જ. જરા પણ ડંખ રાખ્યા વગર, ઉષ્માસભર રીતે તેઓ જે અસહમતિ દર્શાવતા એ તેમની કળા હતી.

બાળકો સાથે તેઓ જે પ્રકારે ગમ્મત કરતા એ જોવાની મને મજા પડતી.

આશીષભાઈ, મને ખબર હોત કે તમે આમ અચાનક ચાલ્યા જશો તો હું એક આખો દિવસ મારી દીકરી રાવીને તમારે ઘરે રમવા મોકલત અને હું પણ એ ગમ્મતમાં સામેલ થાત. મેં મારી દીકરી સાથે ઘરમાં કેવાં રંગબેરંગી ચિતરામણાં કર્યાં છે એ તમને દેખાડવા બોલાવત અને એ વખતે તમારા હાવભાવ જોઈને મને કેટલો હરખ થાત.

જેમની સાથે સહેજ પણ ઔપચારિક થયા વગર મળી શકીએ અને માણી શકીએ એવા માણસો આ શહેરમાં ઓછા છે. એ ઓછામાંથી કોઈક જાય ત્યારે જેમ શરીરનો કોઈ ભાગ ખોટો પડી ગયો હોય એમ જીવનનો કોઈ ભાગ ખોટો પડી ગયો હોય એવું લાગે.

(તસવીર – અંકિત પટેલ)

તેજસભાઈ વૈદ્યની ફેઈસબૂક દિવાલેથી સ-આદર સાભાર, 06 નવેમ્બર 2020

Loading

...102030...2,1292,1302,1312,132...2,1402,1502,160...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved