Opinion Magazine
Number of visits: 9747537
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયંતભાઈ મેઘાણી : હવે સ્મરણો ભીનાં

રમજાન હસણિયા|Opinion - Opinion|9 December 2020

ચૂપચાપ કામ કરતો એક ઓલિઓ જીવ ચૂપચાપ સરકી ગયો …

ઝવેરચંદ મેઘાણીની પ્રજ્ઞા જેમાં તંતોતંત ઊતરી … પણ જેમણે મેઘાણીપુત્ર તરીકે વારસામાં મળેલા સન્માનનો ક્યારે ય લાભ ન લીધો એવા એક વિનમ્ર સાધુજન જયંતભાઈના પ્રથમ દર્શનનો લાભ ભાવનગરના વિદ્યાતીર્થ ‘પ્રસાર’ મુકામે મારા ગુરુજન દર્શનાબહેન ધોળકિયા સાથે મળેલો … ‘પ્રસાર’ના એક આછા પ્રકાશવાળા ખંડમાં પ્રજ્ઞાથી ચમકતું એમના વદનનું એ પ્રથમ દર્શન આજે પણ આંખોમાં અકબંધ છે.

સાહિત્ય, સંગીત અને ચિત્ર સાથે જાણે તેમને નાળ સંબંધ ! સુંદરમ્‌ની કવિતા 'રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને …..'માં નાયક નાયિકા તેમની પ્રસ્તુતિથી પ્રભાવિત થયેલા ને કશુંક માંગી લેવા કહેતા રાજાને સાંભળી જે રીતે કોઈ પણ અપેક્ષા વિના પોતાની મસ્તીમાં ગાયા વગાડ્યા કરે છે … એમ જયંતભાઈએ આજીવન ગાયા વગાડ્યા કર્યું. કલાઉપાસનનો હેતુ માત્ર નિજાનંદ છે એ એમણે જીવી બતાવ્યું.

સદા ય હળવા સ્મિતથી છલકાતો એમનો રૂપકડો ચહેરો, ઓછા પણ મીઠા શબ્દોમાં વહેતું એમનું વાત્સલ્ય ને એવો જ કોમળ વ્યવહારે તેમને ગૃહસ્થ સાધુના રૂપમાં મારા હૃદયમાં સદાય માટે અંકિત કરી દીધાં છે, જ્યાંથી તેઓ ક્યારે ય જઈ નહિ શકે.

આચાર્ય વિજયશીલચંદ્રસૂરિની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે 'જ્ઞાનની બારી'ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે પધારેલા જયંતભાઈનો મારે પરિચય આપવાનો હતો. મને મૃદુ સ્વરે એમણે કહેલું કે, 'હું ઝવેરચંદ મેઘાણીનો પુત્ર છું એવું તમે જાહેરમાં કહેશો નહિ …. આ રીતે પરિચય આપતાં લોકોનો આદર ખૂબ વધી જાય જેને લાયક હું હજુ બન્યો નથી. માટે માત્ર જયંત મેઘાણી એટલા ઉલ્લેખથી જ તમારી વાત સંકેલો એવું ઈચ્છીશ.' આ એક જ અનુભવે મને એમની સામે નતમસ્તક કરી દીધેલો.

એકાદ બે વર્ષ પૂર્વે સોનટેકરી નિલપર આવેલાં ત્યારે એક નાનકડી રૂપકડી છવિ ભેટ આપી ગયેલા જયંતભાઈ પોતાની પણ એવી જ સુંદર છવિ ભાવવિશ્વને ભેટ આપતાં ગયેલા.

આમ ઓછું બોલનારા જયંતભાઈ કોઈ નાનકડા વાચક, વિદ્યાર્થી કે અભ્યાસીને જુએ કે મળે તો સસ્મિત રાજીપો વ્યક્ત કર્યા વિના ન રહે. મારા એક નાનકડાં વિદ્યાર્થિની સોનબાઈના  એક એક કાર્યને નીરખીને જોનારા ને પીઠ થાબડી દેખાડા વિના પ્રોત્સાહિત કરનારા જયંતભાઈનું આ વાત્સલ્ય મેં પણ અનુભવ્યું છે ને એને મારું પરમ સદ્ભાગ્ય ગણું છું.

ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં શકિતભાઈ જેવા યુવા અભ્યાસી મિત્રોને ચૂપચાપ સાંભળી મૌન આનંદ વ્યક્ત કરનારા આવા વડીલની ખોટ કોણ પુરશે ?

જયંતભાઈએ આજ લગી એક પણ કામ દેખાઈ જાય એ રીતે ગાઈ વગાડીને નથી કર્યું એટલે જીવનનું છેલ્લું કામ પણ આ રીતે ચૂપચાપ  કરીને જ સરકી જાય ને ! 

પોતાના વર્કિંગ ટેબલ પર કામ કરતાં કરતાં સ્હેજ વિસામો ખાવા હાથનો તકિયો કરી ચિરનિદ્રામાં પોઢી ગયેલા જયંતભાઈ ભાવનગરના એક ભાવસભર વ્યક્તિત્વ તરીકે સદૈવ હ્રદયસ્થ રહેશે.

જયંતભાઈનું મૌન જીવન શાશ્વત્‌ મૌનમાં મૌનપૂર્વક સરકી ગયું ને મારા જેવા બોલકાને મૌનનું મૂલ્ય સમજાવતું ગયું.

વંદન એ વિરલ વિભૂતિને …

સૌજન્ય : https://www.facebook.com/ramjan.hasaniya.5

છવિ સૌજન્ય : અપૂર્વભાઈ આશર

Loading

માનવ અધિકારોનું હનન ક્યારે અટકશે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 December 2020

અમદાવાદના બાળ સંરક્ષણ ગૃહમાં એક દલિત કિશોરનું સંચાલકોના કથિત મારથી મૃત્યુ થયું. ભીમા કોરેગાંવ કેસમાં મુંબઈની તલોજા જેલમાં બંધ ૮૩ વરસના ફાધર સ્ટેન સ્વામી કંપવાને કારણે હાથથી ગ્લાસ પકડી પાણી પી શકતા ન હોઈ તેમને સ્ટ્રો કે સિપર આપવાની માંગણી જેલ સત્તાવાળાઓએ નકારતાં અદાલતમાં દાદ માંગવી પડી. અરજદારની માંગણી અંગે જવાબ આપવા તપાસ એજન્સીએ ૨૦ દિવસનો સમય માંગ્યો. દિલ્હીના ૨૯ વરસના મહિલા રોહિણી વિશ્વાસને સોશ્યલ મીડિયા પર પશ્ચિમ બંગાળ અંગેની આલોચનાત્મક પોસ્ટનો જવાબ આપવા કોલકાતા પોલીસે દિલ્હીથી કોલકાતા રૂબરૂ આવી જવાબ આપવા સમન્સ પાઠવ્યું. અદાલતે દરમિયાનગીરી કરીને પોલીસનું કૃત્ય નાગરિકની હેરાનગતિ હોવાનું ગણાવ્યું. તમિલનાડુના બલાંગીર જિલ્લાના એક ગામના ઈંટભઠ્ઠાના પરપ્રાંતિય મજૂરોએ વતન જવાની માંગણી કરતાં ભઠ્ઠા માલિકે મજૂરોને માર માર્યો. ૩૦ ભઠ્ઠાઓમાં ૬,૭૫૦ મજૂરો વેઠિયા તરીકે કામ કરે છે. ઉત્તર પ્રદેશના કાનપુર તાબાના ચકેરી ગામે ચોરીના આળમાં પિતાને પકડી જતી પોલીસને કગરતા પગમાં પડેલ ૧૦ વરસના પુત્રને પોલીસે લાત મારતાં પુત્રનું મોત થયું. છત્તીસગઢના બસ્તર વિસ્તારના કઠિયામેટા ગામના ચાર આદિવાસીઓને પોલીસ ઘરેથી લઈ ગઈ તે પછી તેમની કોઈ ભાળ ન મળતાં લોકોએ ચક્કાજામ કર્યો. આંધ્ર પ્રદેશના ૪૫ વરસના ઑટો ડ્રાઈવર અબ્દુલ સલામે પોલીસની હેરાનગતિ અને મારથી તંગ આવીને  પત્ની અને બે કિશોર વયના સંતાનો સાથે આત્મહત્યા કરી.

તાજેતરના આ નમૂના દાખલ બનાવો તાનાશાહ પોલીસ, નઘરોળ શાસન અને નિરીહ નાગરિકની હાલત  કે બંધારણબક્ષ્યા માનવ અધિકારોના હનનની ગવાહી રૂપ છે. રાષ્ટ્રીય  માનવ અધિકાર આયોગને ગયા વરસે ૪૦,૦૨૧ માનવ અધિકાર ભંગની ફરિયાદો મળી હતી. ઓકટોબર ૨૦૨૦ના એક જ મહિનામાં આયોગને મળેલી ફરિયાદોની સંખ્યા ૭,૧૪૫ હતી. એ હિસાબે દેશમાં દર મહિને સરેરાશ ૩,૩૩૫ અને રોજની ૨૩૩ માનવ અધિકાર ભંગની ફરિયાદો નોંધાય છે. નેશનલ હ્યુમન રાઈટસ કમિશન સમક્ષ જે ૧૮,૦૨૭ માનવ અધિકાર ભંગની ફરિયાદો વિચારાધીન છે તેમાં પોલીસ અને જ્યુડિશિયલ કસ્ટોડિયલ ડેથના કેસો ૩,૭૪૩ અને પોલીસ એન્કાઉન્ટરના ૫૮૧ છે. સપ્ટેમ્બર ૨૦૦૬થી કાર્યરત ગુજરાત માનવ અધિકાર આયોગને ૧૪ વરસોમાં ૪૦,૮૮૯ માનવ અધિકાર ભંગની ફરિયાદો મળી હતી. તેમાં પણ કસ્ટોડિયલ ડેથના કેસો ૭૪૮ હતા.

માનવ અધિકાર એક આધુનિક ખ્યાલ છે પરંતુ તે મેળવવા માટેના સંઘર્ષનો દીર્ઘ ઇતિહાસ છે. તેરમી સદીમાં, ઈ.સ.૧૨૧૫માં, ઈંગ્લેન્ડના રાજા સમક્ષ સામંતોએ માંગેલા અધિકારોનું ખતપત્ર, મેગ્નાકાર્ટામાં, વર્તમાન માનવ અધિકારોના મૂળ રહેલાં છે. વીસમી સદીમાં, ૧૯૨૬માં મળેલા ગુલામી વિરોધી વિશ્વ સંમેલન પછી ૧૦મી ડિસેમ્બર ૧૯૪૮ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘે માનવ અધિકારોનું વૈશ્વિક ઘોષણા પત્ર જાહેર કર્યું હતું. તેની સ્મૃતિમાં દસમી ડિસેમ્બરે આખી દુનિયા માનવ અધિકાર દિવસ મનાવે છે. કર્મયોગમાં માનતા ભારતમાં નાગરિક ફરજોનું પ્રકરણ પાછળથી, ઈંદિરાઈ કટોકટીના કાળમાં, ઉમેરાયું હતું. પણ સંવિધાન નિર્માતાઓની દીર્ઘદ્રષ્ટિને કારણે બંધારણના ઘડતરના આંરભે જ તેમાં નાગરિક હકો સામેલ કરવામાં આવ્યા હતા. માનવ અધિકારોની વિશ્વ ઘોષણા કે માનવ અધિકારો ભારતના બંધારણનો અનિવાર્ય હિસ્સો હોવા છતાં તેનું હનન થતું રહે છે; નાગરિકને તે હાંસલ કરવા સતત સંઘર્ષ કરવો પડે છે.

વ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ પણ પ્રકારની બંધી ન હોય એટલો સીમિત અર્થ માનવ અધિકારનો નથી. માનવ અધિકારોના વિશ્વ ઘોષણા પત્રમાં સમયાંતરે ઉમેરા થતા રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિને જીવનનો, સ્વતંત્રતાનો અને વ્યક્તિગત સુરક્ષાનો અધિકાર તો છે જ પણ તેના રાજકીય, આર્થિક, સામાજિક  સાંસ્કૃતિક  અધિકારોમાં રંગભેદ અને જાતિસંહાર વિરુદ્ધનો હક, લઘુમતીઓનું સંરક્ષણ, વિવાહિત સ્ત્રીઓની રાષ્ટ્રીયતા સહિતના સ્ત્રી સમાનતાના અધિકારો, શરણાર્થીઓ અને બાળકોના અધિકારો ઉપરાંત સામાજિક વિકાસનો અધિકાર પણ સામેલ છે. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોના અનુચ્છેદ ૨૧માં જીવનનો અધિકાર આપવામાં આવ્યો છે. અદાલતોએ આ અધિકારમાં રોજગાર, શિક્ષણ, આવાસ, આરોગ્ય જેવા અધિકારોને પણ સામેલ કર્યા છે.

ધર્મ, કોમ, ભાષા, વંશ, વર્ણ,વર્ગ, લિંગ, રાષ્ટ્રીયતા એવા કોઈ ભેદભાવ વિના મનુષ્ય માત્ર સમાન ગણાવા જોઈએ. માનવ ગૌરવપૂર્વક, પરસ્પરના અધિકારોના આદર સાથેનું સહજીવન આપણો આદર્શ છે પરંતુ સમાજિક, આર્થિક વ્યવસ્થા ભેદભાવ ભરેલી છે. માનવ અધિકારો માટેનો સંઘર્ષ ન માત્ર રાજ્ય સામેનો છે એક નાગરિકનો બીજા નાગરિક સામેનો પણ છે. દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, બાળકો, સ્ત્રીઓ અને એવા વંચિત સમુદાયોના અધિકારોનું હનન  રાજ્ય તો કરે જ છે બળુકા મનાતા લોકો પણ કરે છે એટલે માનવ અધિકારોની લડાઈ એ માત્ર વ્યક્તિગત સ્વતંત્રતાની લડાઈ નથી સામાજિક ન્યાય અને સમાનતા માટેની પણ લડાઈ છે. સિવિલ લિબર્ટી (નાગરિક સ્વાતંત્ર્ય) સિવિલ રાઈટ્સ (નાગરિક અધિકારો) કે ડેમોક્રેટિક રાઈટસ (લોકતાંત્રિક અધિકારો) આમ સમાન અર્થી કે પર્યાય વાચી શબ્દો લાગે છે પરંતુ ભેદભાવ ભરી સમાજવ્યવસ્થામાં એક નાગરિકની સ્વતંત્રતા બીજા નાગરિકના  અધિકારોનું હનન પણ કરે છે.

ભારતનું બંધારણ નાગરિકને તમામ પ્રકારની સ્વતંત્રતાનો અને સમાનતાનો હક આપે છે. કાયદા સમક્ષ સૌ નાગરિક સમાન મનાય છે પરંતુ વાસ્તવમાં એવું છે ખરું ? વર્ણ અને વર્ગમાં વહેંચાયેલા-વહેરાયેલા ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા નાબૂદીનો કાયદો છે અને આઝાદીના સાત, સવાસાત દાયકા પછી પણ તે સંપૂર્ણ નાબૂદ થઈ શકી નથી. આજે પણ દલિતોનાં રહેઠાણ તો ઠીક સ્મશાન પણ જુદાં હોય ત્યારે માનવ અધિકાર કોના અને કેવા ? સમાન વેતનના કાયદા છતાં ભારતીય લશ્કરમાં સ્ત્રીઓને કાયમી નોકરી અને વેતન માટે સુપ્રીમકોર્ટના દરવાજે ન્યાય માટે જવું પડે છે. શિક્ષણના અધિકાર છતાં અસમાન શિક્ષણ વ્યવસ્થા અને બાળ મજૂરી ચાલુ જ છે. કાયદાથી વેઠપ્રથા નાબૂદ કરવામાં આવી છે પરંતુ અસંગઠિત ક્ષેત્રમાં જ નહીં હવે તો સરકારી નોકરીઓમાં પણ આઉટસોર્સિંગ અને કોંન્ટ્રેક વર્કર જેવી પ્રણાલીઓ નવી અસમાનતા અને વેઠપ્રથા ઊભી કરે છે. જીવનના અધિકારના વ્યાપક અર્થઘટન છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યાઓ થાય છે અને સરકારો બેટી બચાવોના અભિયાનો આદરે છે.

માનવ અધિકારોના ભંગ બદલ અદાલતી સજાની જોગવાઈ છે. ૧૯૯૩માં માનવ અધિકાર કાનૂન પછી પણ ઘડાયો છે તો પણ માનવ અધિકારોનું સંપૂર્ણ રક્ષણ અને પાલન થતું નથી. કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ હવે માનવ અધિકાર આયોગો કાર્યરત છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ તો તે સ્વતંત્ર અને સ્વાયત્ત છે પરંતુ વાસ્તવમાં તે દંત-નહોર-વિહીન કાયદાકીય માળખા છે. માનવ અધિકાર આયોગો માનવ અધિકાર ભંગના કેસોના અહેવાલો તેનો ભંગ કરનારા વહીવટી અને પોલીસ તંત્ર પાસે જ મંગાવે છે. જે થોડા કિસ્સાઓમાં તે જાતે તપાસ કરે છે તેમાં પણ તેને દોષિતોને સજા કરવાની તો સત્તા જ નથી. હા, માનવ અધિકારના ભંગના કિસ્સામાં તે આર્થિક વળતર જરૂર અપાવે છે અને સરકારોને પણ દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે નાણા આપી દેવાનું વધુ ફાવે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના ૧૯૯૩માં થઈ હતી. રાજ્યકક્ષાએ ઉત્તર પ્રદેશમાં ૨૦૦૩માં અને ગુજરાતમાં ૨૦૦૬માં રાજ્ય માનવ અધિકાર આયોગની રચના થઈ હતી. એ હકીકત શું દર્શાવે છે ? કાનૂની જોગવાઈનો અમલ માત્ર કરવામાં પણ આટલો વિલંબ ?

કોરોનાકાળમાં સ્થળાંતરિત મજૂરોની હાલત અને તે પછીની આર્થિક હાલાકી, ગરીબો, અધિકાર વંચિતો અને કામદાર કિસાનોના જીવનને સીધી અસર કરતા શ્રમ અને કૃષિ કાનૂનો વચ્ચે ૨૦૨૦નો માનવ અધિકાર દિવસ મનાવાશે આ વરસે જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત માનવ અધિકાર સંસ્થા ‘એમનેસ્ટી ઈન્ટરનેશનલ’ને સરકારી કનગડતથી વાજ આવીને ભારત છોડવું પડ્યું છે, એ એક જ હકીકત ભારતમાં માનવ અધિકારોની બાબતમાં સરકારનું વલણ સ્પષ્ટ કરી આપે છે.

(તા.૦૯-૧૨-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

એક યાદગાર સવાર … કવિતાની કેફિયતનો કાર્યક્રમ ..

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Opinion|9 December 2020

૫મી ડિસેમ્બરને શનિવારના રોજ યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લ-નયના જાનીનો કાવ્યપાઠ અને કેફિયતનો અનોખો કાર્યક્રમ મન ભરીને માણ્યો. કોઈ પ્રસન્નતાના અગાધ સાગર કિનારે સમાધિસ્થ થઈને શાંત બની બહાર આવ્યા હોઈએ તેવી જબરદસ્ત અનુભૂતિ થઈ.

સંચાલન કર્તા મહેન્દ્રસિંહ પરમારે કહ્યું તેમ જેઓ સ્વયં સંચરણ કરે અને પ્રદીપ્ત કરે એવી જેમની ઉર્જા છે તે નયનાબહેન જાનીએ ‘ગુજરાતી ભાષા’ની કવિતાથી માંડીને માની મીઠી બોલી ગુર્જરીની કવિતા શબ્દે શબ્દે ભાવ જગવતી વહેતી કરી. શસ્ય શ્યામલા માટીની સોડમ તેમના અક્ષરે અક્ષરના ઉચ્ચારણમાંથી મહેંકતી હતી. તે પછી તેમની પ્રથમતમ ગઝલની પૂર્વભૂમિકા અને સર્જન-પ્રક્રિયાની વાતો સંભારતાં સંભારતાં ‘પ્રતીક્ષા’ ગઝલ સંભળાવીઃ “મારગ અને મુકામ પ્રતીક્ષા જ છે હવે. પ્રત્યેક પળની પ્રતીક્ષા જ છે હવે.’ અને બીજી પણ એક મઝાની ગઝલ  કે ‘દૄશ્યો બધાં પ્રવાહી’- કોની છે વાહવાહી, કોની શહેનશાહી? ક્યાંથી ઊતરતા શબ્દો, નીરખ્યા કરે છે સ્યાહી! પણ એક અનોખા પ્રશ્નાર્થસૂચક અંદાઝમાં રજૂ કરી.

તે પછી પોતાની બ્રહ્મવાદિની સખીઓ અરુંધતી, મૈત્રેયી, ગાર્ગી વગેરેની કલ્પના કરી એક  ખૂબ ઊંચા mystic experienceની પ્રતીતિની, ઊગતા અને આથમતા સૂર્યના રહસ્યમય અનુભવની અછાંદસ કવિતા  તો વળી ’આ ઊંચી માટીના ઘડૂલિયાને તમે કોરો નહિ’ કહી પરમ આદ્યાશક્તિને વિનવતો ગરબો પણ ગાઈને સંભળાવ્યો. છેલ્લે તેમણે  નરસિંહ મહેતાના ઝુલણા છંદમાં સૌને પરિતૃપ્ત કરતી રચના ‘આ અણુમાં અણુ થઈ સમાઈ જવું’ પણ શાંત, સ્વસ્થ, પ્રસન્ન મુખભાવો સાથે રજૂ કરી. આમ, નયનાબહેનની એક પછી એક આવતી જતી કવિતાઓ વાતાવરણમાં દીવા જેવું અજવાળું અજવાળું કરાવતી રહી.

તે પછી ઋષિકવિ રાજેન્દ્રભાઈ શુક્લ થકી ભારતીય પરંપરાના તેજસ્વી સ્ફુલિંગોની ઝાંખી કરાવતી એક પછી એક કવિતાઓનો રસથાળ ભરાતો ગયો.

કવિતા આંદોલનો રચે છે,વાતાવરણ સર્જે છે. કવિતા પામવાનો પદારથ છે. એનું લાવણ્ય છંદમાં છે, પઠનમાં છે એવી પ્રસ્તાવના સાથે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહના પરિપાક રૂપે રચાયેલી એક સઘન કવિતા ‘અવાજ’ અદ્દભુત જાદૂઈ, મોહક અંદાઝમાં રજૂ કરી. વસંતતિલકા છંદમાં રચાયાની પ્રક્રિયા અને પ્રથમ અક્ષરના લઘુનાદની વાત સાથે ‘અવાજનું નગર ચણતો રહ્યો’ સાંભળવાનો અનુપમ રસ માણ્યો. તે પછી તો અવાજના શબ્દને અતિક્રમીને આવતું મૌન, પરિપ્રશ્નોની ગઝલ “શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે, સળ જેવું એ નથી તો ઝળહળ પડાવ શું છે? કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે? સંભળાવી.

વેદથી માંડીને ચાલ્યા આવતા કવિ-જનોના પ્રવાહનો ઉલ્લેખ કરીને તે વિષે કેટલીક કવિતાઓ વહાવી. કબીરના પદના અનુસંધાનમાંથી આવતી ગઝલમાં મનુષ્યના કુતૂહલને શબ્દસ્થ કર્યું. ‘एकाकी न रमते आत्मा  એટલે ‘ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી’ કહી ત્યારબાદ બિંદુથી ઊભી થતી સૃષ્ટિની વાત દ્વારા સ્વયંના સર્જાવાની ખૂબ ગહન કવિતા ‘કૂંપળ થઈને કોળ્યો’ પ્રસ્તૂત કરી. તે પછી નગરકવિતાની અછાંદસ અપેક્ષા સામે પોતે કેવી રીતે ગઝલ લખી તેની રસપ્રદ વાત કરીને ‘નગરની સરાહીનો મુકામ’સંભળાવી. ”ઘોર ઘોંઘાટે સમય ગાતો મળ્યો. મૌનમાં હું મુજને મલકાતો મળ્યો.”

પ્રકૃતિ અને પુરુષના સંબંધ વિશેની ગઝલ રજૂ કરતા પહેલાં એક મઝાની વાત એ કહી કે, માયાના સ્વીકાર સાથે એનાથી પર થવું એ કવિનું કર્મ છે. કેવી મનનીય વાત! “હું વરસું  છું, તું વરસે છે, વચમાં આખું નભ વરસે છે. અમથું અમથું પૂર ન આવે, નક્કી કો’ક છાનું વરસે છે.” બીજી એક ધૂળેટીના રંગની ગઝલ ક્યારે અને કેવા સંજોગોમાં લખી તે પ્રસંગની યાદ સાથે દ્વૈતથી અદ્વૈતમાં શમતી ગઝલના શબ્દેશબ્દ અધ્યાત્મિક ભાવથી રંગતા હતા. “કેસર ઘૂંટ્યા અજવાસથી રંગુ તને, મહેંકતા મધુમાસથી રંગુ તને. કોણ રંગે, કોણ રંગાતું રહે? આ રંગે રચાતા રાસથી રંગુ તને … આહાહાહા … પંચેન્દ્રિયોને જાણે પરિતૃપ્તિનો આનંદ મળતો જતો હતો. ત્યાં તો એક ‘ગોઠડી’ની ગઝલ ઊતરી આવી.  કવિવરે કહ્યું કે,ગઝલની પરિભાષા ગૂફ્તેગુ હોય છે પણ તેમાં આમ તો એકોક્તિ હોય છે. પણ આ ‘ગોઠડી’માં તેમણે સંવાદ રચ્યો છે. કેવો મઝાનો છે એ!

એ કશું ગણગણે ને કહે; ગા હવે.
હું કશું યે કહું તો કહે; જા, હવે.

રેશમી રમતની આ શેષ રસાકસી
જા, તને કોણ કીધા કરે; ના હવે! 

ઋષિકવિના અંદાઝમાં  આ  ‘ગોઠડી’નો સંવાદ સાંભળતા તો જાણે કાન ધન્ય ધન્ય ..

આગળ વધતા સંતોના સાહચર્યની અસર જેવી કવિતાઓ કે જેમાં નરસિંહના ‘હજો હાથ કિરતાલ’, મીરાંની રાજસ્થાની બોલી, તુલસીદાસ, નાનક અરે મુસલસલ જેવા મનસૂરીની છાયા જેવી કંઈ કેટલી અદ્દભુત પંક્તિઓ સાંભળી. કઈ લખું ને કઈ છોડું? એ જ સવાલ જાગે ત્યાં તો તરત જ  ….

”વાણી ક્યાંકથી આવે, ક્યાંક જઈ સમાશે રે.

ચાખડીના ચિન્હોમાં ક્ષણ ગહન ગૂંથાશે  રે”માં  ‘રે’ના લહેકામાં પાનબાઈના ગીતના ‘રે’ને સ્મર્યો. તો વળી એની સુંદર છણાવટ કરતા કહ્યું કે આ રે, અરેરેના દુઃખદ ઉદ્દગારવાળો રે નથી. પણ અવિનાભાવી ગતિ તરફ લઈ જતો પરમ આનંદદાયી રે છે.

“પિંડ પૂરો જે ઘડીએ શબ્દનો પમાશે  રે.
એક એવું ઉછળશે, શિર નમી જવાશે  રે.

મહેંકના શ્વાસનો તરાપો આ,
ઊતરીને નાદના સમંદરમાં, વાગશું વગર સાઝે  રે..

કેટલું આહ્લાદક!

ત્યારબાદ મૌનના આકર્ષણની શોધમાં નકારાકાત્મક પ્રાપ્તિ પછી જે વિજયાત્મક મૌન લાધ્યું તેની સરસ વાત કરી. ”શમે મૌનમાં શબ્દ મારા પછી પણ કોઈ સોરઠે, કોઈ દોહરે હું મળીશ જ. શિલાલેખના અક્ષરે હું મળીશ જ ..મને ગોતવામાં ખોવાયેલ છું હું, જૂનાગઢ, તને તો ખબર છે ઝાંખરે, કાંકરે હું મળીશ જ.’રચના સંભળાવી. મહેન્દ્રસિંહજીના એક પ્રશ્નના જવાબમાં ઉદાહરણરૂપે ‘નગારે ઘાવ પહેલો’માં ઘાવને બદલીને શા માટે ‘દાંડી’ શબ્દ બદલ્યો તેની કાવ્યાર્થ ભાવની નિયંત્રિત વ્યંજના વિશે સમજણ આપી. સમયનું ભાન ભૂલી સૌ સાંભળતાં જતાં હતાં. છેલ્લે જયદેવની અષ્ટપદી, કોઠાની બાનીથી માંડીને સચ્ચિદાનંદની બાનીના સ્તર સુધીની, વેદાંતી કવિ અખાની બાની, પ્રાકૃત, સંસ્કૃત અને જૈનદર્શન સુધીના ભાષાપ્રવાહની આરાધના અને ધ્યાન વગેરેની કવિની અસ્ખલિત ધારા વહેતી રહી અને સૌ શ્રોતાજનો ભીંજાતાં રહ્યાં. અંતે, ના કોઈ બારું,ના કોઈ બંદર, ચેત મછંદર .. અને ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા .. એક ઘડીમાં રૂક્યો સાંસ ગોરખ આયા .. અટક્યો ચરખો ગોરખ આયા .. બિન માંગે મુક્તાફળ પાયા, ગોરખ આયા .. કહી વિવેકાનંદ અને રામકૃષ્ણની અસરનો પણ ઉલ્લેખ કર્યો અને એ સાથે પૂર્ણતાનો અનુભવ કરાવતી ચતુષ્પદી ગાયત્રી છંદયુક્ત ‘સ્વાહા’ કવિતાથી વિરામ આપ્યો.

આમ ભાષાના, સંવેદનાના અને અનુભૂતિના જુદા જુદા સ્તરોના ત્રીવેણીસંગમ પર સ્નાન કરાવતી જતી આ ઝૂમ બેઠક અવિસ્મરણીય બની રહી. વિપુલભાઈ, પંચમભાઈ, મહેન્દ્રસિંહજી અને કવિયુગલ(ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ અને નયનાબહેન જાની)ને તહેદિલથી વંદન.

અસ્તુ..

(ડિસેમ્બર ૭,૨૦૨૦)

હ્યુસ્ટન, અમેરિકા

 Email: Ddhruva1948@yahoo.com

Loading

...102030...2,1292,1302,1312,132...2,1402,1502,160...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved