Opinion Magazine
Number of visits: 9573812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીડા, ગુસ્સો અને નિઃસહાયતાનું મનમિશ્રણ

ગૌરાંગ જાની|Opinion - Opinion|22 October 2020

'ઓપિનિયન ઓનલાઇન'ના આ મંચે, લોકડાઉન દરમિયાન, સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની કોરોના-ડાયરી, કોરોના-લેખો અને કોરોના-કવિતા પ્રસંગોપાત મુકાતાં રહ્યાં છે. ગૌરાંગભાઈના શબ્દોમાં તેનું "સર્વાંગી સંપાદન" થઈને પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ગયું છે. પુસ્તકના સંપાદકને ટાંકીને કહીએ તો, "સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની આ ડાયરીઓ, લેખો અને કવિતાના વિષયોમાં વૈવિધ્ય ખાસ્સું છે. લોકડાઉનમાં વિવિધ વ્યવસાયી-મથામણ ને માઇગ્રન્ટ્સની અવદશા, ઘરમાં પૂરાઈ રહેવાનાં કારણે જન્મતી મનોવૈજ્ઞાનિક સમસ્યા ને મહામારી સંબંધિત વૈજ્ઞાનિક સંશોધનો, સાહિત્યમાં સામાજિક નિસબત ને આર્થિક અસમાનતાના કારણે શિક્ષણમાં સર્જાતી સમસ્યાઓ, લગ્નજીવનમાં સર્જાતી સમસ્યાઓથી લઈને વિધર્મી-વિ-દેશી લગ્નનાં કારણે તેમનાં સંતાનોને ઝેલવી પડતી મુસીબતો, માનસિક વિકલાંગોની મનોસ્થિતિ અને ચોક્કસ કોમ-જાતિને લઈને સંપૂર્ણ નરવા અંગોવાળાની ‘વિકલાંગદૃષ્ટિ’, … અને આ બધાંના યથાસંભવ ઉકેલરૂપે સરવાળે, સાંપ્રતકાળની સેવાના દાખલાથી લઈને બે સદી પહેલાંના પ્લેગ અને તેમાં લોકમાન્ય ટિળકની આજનાં કોઈ પણ નેતા માટે દાખલારૂપ ભૂમિકા જેવાં અનેક વરખ ખોલી આપે છે."

આ પુસ્તક સાથે પ્રકાશનમાં ય ઝંપલાવતા લેખકને અભિનંદન સાથે, પુસ્તકમાંથી તેમનું નિવેદન સાભાર ….

ભારતની રાજધાનીથી ફરમાન થયું – “ઘર પર હી રહીએ”, “દો ગજ કી દૂરી રખેં” અને રસ્તાઓ સૂના થઈ ગયા. મકાન ઘર બની ગયાં. પક્ષીઓનો કલરવ વાહનોનાં ઘોંઘાટ વિના સોળે કળાએ ખિલી ઊઠ્યો. વૃક્ષોનો છાંયો ખાલીખમ થઈ ગયો … પણ આ સૌની વચ્ચે, રોજ સવારે નવના ટકોરે ડોરબેલ રણકે. એ સિવાય ડોરબેલ પણ સૂનો થઈ ગયો હતો!

ઘરેઘરે ફરી કચરો વીણતી એ બહેનને પણ ઘરે કેમ નહીં રહેવાનું, એવો સ્વાભાવિક પ્રશ્ન થયો. એને પુછવાનું મન થતું, પણ ટી.વી.ના પડદે અને અખબારનાં પાને ‘સામાજિક અંતર’ની સલાહે, પૂછતાં પંડિત થવાય વાળી એ કહેવતનો સાર વિસારે પાડી દીધો. પણ હા, સામાજિક અંતરની સમાજશાસ્ત્રીય મથામણ શરૂ થઈ ચૂકી હતી.

ક્યાં કરું આ ‘મન કી બાત’? સમાજશાસ્ત્રના વર્ગોમાં તો ખૂબ બોલ્યો વિદ્યાર્થીઓ સંગ, પણ હવે તો એ પણ આસપાસ નથી નિવૃત્તિના સંગે. તો શું કરું? લખી નાખું બધું. હા, લખવા જ માંડું. … અને મારી આંગળીઓ મોબાઇલની સ્ક્રીન પર ફરતી થઈ ગઈ. મને મળ્યું મોકળું મેદાન મારા મનની વાત કહેવા માટે …  અને પ્રારંભ થયો સમાજશાસ્ત્રીની કોરોના ડાયરીનો.

ગુજરાતી સાહિત્યમાં ઓછી જાણીતી અને મર્યાદિત ચર્ચિત ડો. સુમંત મહેતાની જેલડાયરીમાં સ્વાતંત્ર્ય આંદોલનના લડવૈયા તરીકેના અનુભવો ગ્રંથસ્થ થયા છે. નાનકડી આ જેલડાયરીમાં ગુજરાત અને ગુજરાત બહાર જુદી જુદી જેલોનાં નિરીક્ષણો તો અંકિત છે જ, સાથે સાથે એ સમયના ગુજરાતી સમાજ અને સંસ્કૃતિનું વિવેચન પણ છે. આમ, જેલડાયરી સમાજની ડાયરી પણ બની રહે છે. આ જ દિશામાં આપના હાથમાં છે એ પુસ્તકમાંની ડાયરી કોરોનાકાળમાં આપણી આસપાસના સમાજમાં ડોકિયું કરવાની અને તેને સમજવાની તક પૂરી પાડે છે.

કોરોના મહામારીએ પ્રત્યેક દિવસે તેના વિસ્તરતા અને ઘાતક પ્રભાવનો પરિચય કરાવ્યો, તેને સમાંતર નાગરિક તરીકે તેનો સામનો કરવામાં આપણે કેવાં કેવાં માનવીય પાસાં ઉપસાવ્યાં એ આજની અને ભાવિ માટેની સમજ અર્થે ભાથું પૂરું પાડી રહ્યાં છે. ફેસબુક પર મુકેલી ‘સમાજશાસ્ત્રીની કોરોના-ડાયરી’ થકી એ પાસાં આ પુસ્તકમાં ઊજાગર થયાં છે.

૨૨મી માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો ને એ ખ્યાલ આવી ગયો કે આ તો મહામારી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ પણ ૧૧ માર્ચે જાહેરાત કરી દીધી હતી મહામારીની. ઇતિહાસનાં પાનાં ફંફોસતાં ઓગણીસમી-વીસમી સદીની પ્લેગ મહામારીના દસ્તાવેજોમાં રસ પડ્યો. ભૂતકાળમાં ડોકિયું કરતાં વર્તમાનની ગંભીરતા સમજાવા માંડી અને થયું કે આ તો સમાજનું નવું દર્પણ છે. ‘ફૂલછાબ’માં દર બુધવારે ‘સમાજદર્પણ'ના સથવારે કોરોના વિષ્લેષણ કરવા માંડ્યું. અને એ અઠવાડિક સિલસિલો તંત્રીશ્રી કૌશિકભાઈની સાક્ષીએ કોરોનાનું સમાજશાસ્ત્ર બનતું ચાલ્યું.

કોરોનાનું પ્રતિબિંબ ઝિલતા ક્યારેક પીડા થતી, ક્યારેક ગુસ્સો, તો ક્યારેક નિઃસહાયતા … પણ આ મનમિશ્રણ કેવી રીતે અભિવ્યક્તિમાં ઢાળું? જ્યારે સમાજશાસ્ત્રીની કલમ એ માટે જરૂરી ધાર ન કાઢી શકી ત્યારે અનાયાસે જ એ કવિની કલમ બની ગઈ! કવિ કે વિવેચકમિત્રો કંઈક ઉદાર બને તો કવિતા કહી શકાય એવી રચનાઓ સર્જાવા માંડી ને ફેસબુક પર મુકાવા લાગી. સમાજના રોજેરોજ બદલાતાં રૂપે અને ફેસબુક મિત્રોના પ્રતિભાવે એ વિસ્તરતી ગઈ. “નિરીક્ષકે” તેનો વિસ્તાર અને પ્રચાર વધાર્યા.

જેમ જેમ સમય વીતતો ગયો, એ સમયે જ કોરોનાના સામાજિક વિશ્લેષણને મારો ધર્મ બનાવી દીધો અને ‘સોશિયોલોજિકલ ઇમેજિનશન’ની પાંખે આસપાસ બનતી ઘટનાઓને ઘાટ આપતો રહ્યો. … ‘ઓપિનિયન ઑનલાઇન’, ‘ખેડૂતવાણી’ અને ‘આદિલોક’ થકી પણ લેખો અને ડાયરીઓ પ્રસાર પામ્યાં. એ અરસામાં મારા ઘરમાં કામ કરતા કાળુએ કહ્યું કે તેના વતન રાજસ્થાનના મિત્રો ચાલતાં વતન જઈ રહ્યા છે. કોઈ મદદ નથી કરતું. તેઓ ત્રણ દિવસે પહોંચશે. આ બાબત મેં ફેસબુક પર લખી અને એક વિદ્યાર્થી-પત્રકારે આ વાત પોલીસ સુધી પહોંચાડી.

લોકડાઉનના બે અઠવાડિયા બાદ કાળુના મિત્રો જેવા હજારો શ્રમિકો વતનની વાટે નીકળી પડ્યા હતા … આ ઘટના પૂર્વે સરકારી થાળીઓ વાગી ચૂકી હતી. દીવા પ્રગટી ચુક્યા હતા. પછી તો, પી.પી.ઈ. કિટ્સની જરૂર હતી ત્યાં એને બદલે ફૂલો વરસી ગયાં હતાં. પણ થાળીઓનો અવાજ હવે શમી ગયો હતો. દીવા વિનાના અંધારા ને ‘કાંટાળા’ માર્ગો પર પરિવારો અથડાતાં-કૂટાતાં વતનની વાટે નીકળી પડ્યા હતા. ક્યાંક બળજબરી રોકવામાં આવ્યા તો ક્યાંક પહોંચતા અટકાવવામાં આવ્યા. સોનુ સુદ જેવા એકલવીરોએ કામ કરી સરકારને શરમાવી. શ્રમજીવીઓની ઘરભણીની યાત્રાના આ દિવસો ભવિષ્યના ભારતના ઇતિહાસમાં ઊંડી યાતનાનાં પ્રકરણો બની રહેશે. આ યાતના કે પીડાને લખતાં, પીડા સિવાય બીજો કયો અનુભવ થાય?! આશ્વાસન એટલું કે એ ડાયરી-લેખો-કવિતાઓ થકી વ્યક્ત થઈ શક્યો.

મે સુધીમાં તો ગણ્યાગાંઠ્યા દેશોને બાદ કરતાં ભારત અને લગભગ આખું વિશ્વ કોરાનાના કાળનો ભોગ બની ચુક્યા હતા. પ્લેગના સમયે તો વિદેશીઓ રાજ કરતા હતા, જેઓને એ મહામારીએ સર્જેલા ભેદભાવો મિટાવવામાં રસ ના હોય, પણ કોરોના તો સ્વતંત્ર અને લોકશાહી ભારતમાં પગ પેસારો કરી રહ્યો હતો, છતાં એક પછી એક સંપ્રદાય અને સમુદાયના માથા ઉપર ‘સુપર સ્પ્રેડર’નાં ઠીકરાં ફોડાતાં રહ્યાં. સામાજિક અંતર અને ભેદભાવથી ટેવાયેલા ભારતીય સમાજમાં આ નવા અપમાનનું નક્કર દસ્તાવેજીકરણ થતું ન હતું. ક્યાંક ક્યાંક થયું અને મેં પણ તેને સામાજિક પરિપ્રેક્ષ્યમાં મુકવાનો પ્રયત્ન કર્યો. કોરોનાએ સર્જેલા નવા સમાજ અને સંબંધો વિશે જુદાં જુદાં માધ્યમોથી લગભગ રોજેરોજ પ્રતિભાવ આપતો હતો.

મારા આ પ્રતિભાવો જાણી મિત્ર કેતન રુપેરાએ પ્રેમપૂર્વક અને ઉત્સાહથી કહ્યું કે “આ પુસ્તક રૂપે આવવું જ જોઈએ.” અને પછી જે સર્જન થયું છે તે આપ સૌ સમક્ષ મુકતા આનંદ અનુભવું છું, તેના ભાગીદાર કેતન પણ છે. પુસ્તકનું સર્વાંગી સંપાદન કરી મારા સર્જન અને સર્જનપ્રક્રિયાને અર્થસભર રીતે ગુંથવામાં કેતનકલાનું અનેરું પ્રદાન છે. મારા અગાઉના પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ પણ કેતનના સહયોગથી તૈયાર થયું હતું તેનો આનંદ વ્યક્ત કરું છું.

સતત ત્રણ મહિના સુધી ફેસબુક પર ‘સમાજશાસ્ત્રીની કોરોના ડાયરી’ને આવકાર અને પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર. હું કવિ તો નથી, મારી રચનાઓને પ્રોત્સાહિત કરનાર અનેક નામી-અનામી મિત્રો, સામયિકો, વેબસાઇટ્સ-પોર્ટલ્સનો આભાર. પત્ની હર્ષા અને પુત્ર અણમોલ પણ મારી વિચારયાત્રાના સહયાત્રી રહ્યાં છે. તેમનાં પ્રોત્સાહન વિના આ યાત્રા પુસ્તક સ્વરૂપે પૂર્ણ ન થઈ હોત.

કોરોનાકાળમાં વિશ્વભરમાં ‘કોરોના વોરિયર્સ’ પડઘાયા કરે છે, પણ હું વોરિયર્સના સ્થાને શાંતિદૂતથી સૌને નવાજવા ઇચ્છું છું. સફાઈકામદાર, નર્સ, ડોક્ટર, પોલીસ અને અનેક સ્વયંસેવી વ્યક્તિઓનાં પ્રદાન યુદ્ધભૂમિ પર નથી થયાં. ભારત બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. એટલે યુદ્ધ નહીં પણ બુદ્ધ અર્થાત્‌ પ્રેમ, કરુણા અને સુશ્રૂષા. આ સૌની ભૂમિકામાંથી મને પ્રેરણા મળી છે. અને તેના થકી એ સૌના કામનું દસ્તાવેજીકરણ કરવાની તક મળી એ મારું સૌભાગ્ય છે.

Email: gaurang_jani@hotmail.com

[કોરોના : બિંબ-પ્રતિબિંબ—વાત લોકડાઉનની, લેખક – ગૌરાંગ જાની, સંપાદક – કેતન રુપેરા, પ્રકાશક : અનમોલ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર 2020, ISBN : 978-93-5416-832-1, નોટબુક સાઇઝ, આર્ટ પેપર, પૃષ્ઠ : 128 (16 + 112), સોફ્ટ બાઉન્ડ કિંમત ₹ 225, હાર્ડ બાઉન્ડ કિંમત ₹ 350, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009] 

Loading

કેવી છે આપણી આર્થિક સ્થિતિ? અને સરકાર શું કરી રહી છે?

કાર્તિકેય ભટ્ટ|Opinion - Opinion|21 October 2020

ફિલ્મઉદ્યોગના ડ્રગકાંડ કે હિન્દુત્વતરફી–વિરોધી વિવાદો અને ચીન-પાકિસ્તાનના અળવીતરા કે અમેરિકાના પ્રમુખની તબિયત જેવા સમાચારોની વચ્ચે દેશની આર્થિક સ્થિતિના સમાચારો પણ વાંચતા રહેવું અને આંકડાઓ તથા સમાચારોની વચ્ચે લખાયેલી વાર્તાઓ સમજવાનો પ્રયત્ન કરવો. વળી છેલ્લા મહિનાઓમાં છપાયેલા આર્થિક સમાચારોને ક્રમશ: એક સાથે વાંચી લેવા. શકય છે દેશની વાસ્તવિક આર્થિક હાલત સમજવામાં મદદ મળે! કોરોનાની મહામારીએ આપણી સ્થિતિ વિકટ બનાવી છે. સાથે સાથે દેશનાં સામાજિક આર્થિક માળખાંને નહીં સમજનારા આર્થિક સલાહકારો, સરકારી બાબુઓ પણ આ વિકટ સ્થિતિ માટે જવાબદાર બનવા લાગ્યા છે. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે સાવ સાદી બાબતો જે આપણને સમજાય છે, તે આ દેશના નીતિ નિર્ધારકો-સત્તાવાળાઓને નહીં સમજાતી હોય?

થોડા સમાચારો યાદ કરો. કોરોના કાળમાં દેશનું અર્થતંત્ર ખાડે ગયું, જી.ડી.પી. માઇનસ થઈ, કરોડો લોકોએ ધંધા-રોજગાર-આવક ગુમાવ્યાં, ત્યારે દેશના થોડાક ઉદ્યોગપતિઓની સંપત્તિમાં અબજો રૂપિયાનો વધારો થયો. સરકારે પહેલાં રૂપિયા વીસ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું અને સુપ્રિમ કોર્ટે લોનના હપ્તા ન ભરનારને વ્યાજ પરના વ્યાજ ચુકવવામાંથી મુક્તિ આપવાનું સુચવ્યું, તો આર.બી.આઇ.એ તેને બોજો વધારનારું ગણાવ્યું. આંતર-રાજ્ય સંસ્થાઓએ ભારતની જી.ડી.પી. ચાલુ વર્ષે ૧૦ ટકા માઇનસ થશે તેવો અંદાજ આપ્યો અને સાથે જ આવતા વર્ષે તે ૮ ટકા વધશે તેવું અનુમાન પણ આપ્યું છે. વળી સરકારે કરેલી છેલ્લી જાહેરાત મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને દસ હજાર રૂપિયા એડવાન્સ તહેવારમાં વાપરવા માટે મળશે અને કર્મચારી તેને હજાર રૂપિયાના દસ હપ્તામાં પાછા ભરશે. વળી એલ.ટી.સી.ના સ્લેબ વધાર્યા છે અને વાપરવા માટે કેશ વાઉચર આપવામાં આવશે! આ તમામ સમાચારો ધ્યાનથી જુઓ તો એમાં દેખાય છે, દેશમાં વ્યાપ્ત આર્થિક અસમાનતા અને બીજું દેખાય છે એ કે આ અસમાનતા દિવસે ને દિવસે વધતી જવાની છે.

કોવિડ-૧૯ પછી સર્જાયેલી આર્થિક સ્થિતિ માટે સરકારે લીધેલાં મોટાં ભાગનાં પગલાંઓ ‘ઉછીના આપવા’ જેવાં છે. લોન હોય કે તહેવારમાં વાપરવાના એડવાન્સ, તમારે તે પાછા તો ભરવાના જ છે! બરાબર છે. સરકારે આર્થિક દયાદાન શા માટે કરવું જોઇએ? પણ લોનના આધારે અર્થતંત્રમાં રીકવરીની આશા રાખનારાએ વિચારવું જોઇએ કે અર્થતંત્રમાં રીકવરીની આશા હોય, નફાની અપેક્ષા હોય તો લોકો લોન લે કે લોકો લોન લે પછી રીકવરી આવે? સરકાર રૂપિયા વીસ લાખ કરોડ ઉછીના આપવા તૈયાર છે, પણ આ નિરાશામાં લોકો એ લેવા તૈયાર છે ખરા?

સરકાર કહે છે કે અત્યારે તમામ કર્મચારીને તહેવારમાં વાપરવા રૂપિયા દસ હજાર એડવાન્સ મળશે. પણ તેમણે દર મહિને રૂપિયા એક હજાર પાછા ભરવાના છે. મતલબ આ મહિને દસ વાપરો, પછી આખું વરસ દસ પાછા ભરો. તો કોઇ સમજાવો, ભાઈ, કે વરસના અંતે હિસાબમાં શું ફેર પડે! બીજું, સરકારની હાલની બન્ને જાહેરાત સરકારી અને તે પણ કેન્દ્રના કર્મચારીઓ માટે છે, જે હાલમાં દેશની કુલ રોજગારીનો નાનો હિસ્સો છે. એમની ખરીદશકિત ઑલરેડી સ્થિર છે. કોવિડ-૧૯ની સ્થિતિમાં સૌથી સલામત અને સ્થિર આવક જો કોઇની રહી હોય તો તે છે સરકારનો પગારદાર વર્ગ! એને તો ઉપરથી લૉક ડાઉનમાં ખર્ચ બચ્યો છે.

હાલ દેશના સામાન્ય વર્ગની ખરીદશકિતમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પહેલાં ત્રણ-મહિના ધંધા રોજગાર બિલકુલ બંધ રહ્યા અને બીજા ત્રણ મહિનામાં તે અંશત: ચાલુ થયા. ખાનગી ક્ષેત્ર એક તો લોકોને પગાર ચૂકવતું નથી. એમાં તે લાંબો સમય બંધ રહ્યું. હવે અડધા પગાર સાથે અડધી નોકરીઓ શરૂ થઇ છે. દેશમાં શહેરી રોજગારીનો મોટો આધાર સેવાક્ષેત્ર-એમાં એન્ટરટેનમેન્ટ આજે પણ બંધ છે. એટલે લોકોની પાસે આવકો નથી. જે મોટા બિઝનેસ ગૃહોની આવકો અબજો રૂપિયા વધી છે, તે દર્શાવે છે કે લૉક ડાઉન અને તે પછીના સમયમાં ઑનલાઇન બિઝનેસ વધ્યો છે, શેરસટ્ટા વધ્યા છે, સોનામાં રોકાણ વધ્યું છે. મતલબ થોડા ધનિકોની આવક વધી છે. કરોડો ગરીબોએ આવક ગુમાવી છે.

દેશના મધ્યમ વર્ગની આવકો સ્થિર અને મર્યાદિત છે. લૉક ડાઉન ખૂલી ગયું એટલે ખર્ચા ખૂલી ગયા છે. શાળાની ફી, વીજળીનાં બિલ, પેટ્રોલ – ડીઝલના ઊંચા ભાવ અને જીવનજરૂરી ચીજોનો ફુગાવો … બધી આવક આમાં જ વપરાઇ જાય છે. ધ્યાનથી જુઓ તો સરકાર પ્રજાને રાહત પૅકેજમાં આપે છે એ શકયતા છે. ઘણી વાર તો કલ્પના છે. પણ ટોલ ટેક્સમાં, પેટ્રોલ ડિઝલના ભાવમાં, ટેક્સમાં લઇ લે છે તે હકીકત છે. હવે પ્રજા પાસે વાપરવા માટે કશું બચતું જ નથી! તો વાપરે શું?

માટે જ આપણે તો સરકારને એટલું જ કહીએ કે આપો નહીં તો કંઈ નહીં … વિવિધ ટેક્સ દ્વારા લઇ તો ના લો!

e.mail : bhattkartikey@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 07-08

Loading

અર્થતંત્રની અવદશા આંખ આડા કાન ક્યાં સુધી?

આકાર પટેલ|Opinion - Opinion|21 October 2020

જ્યાં સુધી સમસ્યાની ખબર ન પડે, ત્યાં સુધી તેને કેવી રીતે હલ કરી શકાય? જો સમસ્યા નાની હોય તો તેની વધારે અસર થતી નથી. હા, તેની સતત અવગણના કરવાથી થોડી તકલીફ પડે, પરંતુ જો સમસ્યા મોટી હોય અને તે ઘણા બધાને અસર કરી રહી હોય, તો એવી સમસ્યાની અવગણના માટે એક મજબૂત અને વાજબી કારણ હોવું જોઈએ. તો જ તેને અવગણી શકાય.

ભારતમાં છેલ્લા 3 વર્ષમાં કારના વેચાણમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. ભારતીયોએ વર્ષ 2015-16માં લગભગ 27 લાખ કાર ખરીદી હતી, જ્યારે વર્ષ 2019-20માં વેચાયેલી કારની સંખ્યા પણ 27 લાખ છે. આનો એક અર્થ એ છે કે ભારતનો મધ્યમ વર્ગ બિલકુલ વિકાસ કરી રહ્યો નથી અથવા તે ખર્ચ પણ કરી રહ્યો નથી. સરકારનું કહેવું છે કે કારના વેચાણમાં વૃદ્ધિની કોઈ સમસ્યા નથી. કારણ કે લોકો હવે ટૅક્સીઓ વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે. ગયા વર્ષે અમેરિકામાં 20 કરોડ કાર વેચાઈ હતી. માટે, સ્પષ્ટ છે કે ‘ઓલા’ અથવા ‘ઉબર’ જેવી ટૅક્સી સેવાઓએ કોઈ પણ દેશમાં કારના વેચાણમાં કોઈ ફરક પાડ્યો નથી.

દેશમાં દ્વિચક્રી વાહનોના વેચાણમાં પણ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન કોઈ વધારો થયો નથી. 2016-17માં દેશમાં ૧.૭ કરોડ દ્વિચક્રી વેચાયાં હતાં અને 2019-20માં પણ તેમની સંખ્યા ૧.૭ કરોડ છે. દ્વિચક્રી વાહનોને નીચલા મધ્યમ વર્ગીય વાહનો માનવામાં આવે છે. તેમનું વેચાણ સ્થગિત થઈ ગયું તેનો અર્થ એ છે કે નીચલો મધ્યમ વર્ગ પણ દબાણમાં છે અને છેલ્લાં ચાર વર્ષમાં વિકસ્યો નથી. આપણને ખબર નથી કે આ અંગે સરકારની સ્થિતિ શું છે. કારણ કે વિકાસ થઈ રહ્યો નથી, એવું માનવા સરકાર તૈયાર નથી.

કમર્શિયલ વાહનોના (ટ્રક, બસ વગેરેના) વેચાણમાં કોઈ વધારો થયો નથી. છેલ્લાં ચાર વર્ષના આંકડા પર નજર નાખતાં જણાશે કે 2016-17માં 7 લાખ કમર્શિયલ વાહનો વેચાયાં હતાં, જ્યારે 2019-20માં પણ તેમનાં વેચાણનો આંકડો 7 લાખ જ છે. વ્યાપારી વાહનોમાં મોટી સંખ્યામાં ટ્રક હોય છે. તે એવાં વાહનો છે, જે ફૅક્ટરીમાં કાચો માલ વહન કરે છે અને માલ પૂરો પાડીને બજારમાં લઈ જાય છે. એટલે કે, છેલ્લાં ચાર વર્ષમાં બજારમાં શૂન્યવૃદ્ધિ થઈ છે.

તેવી જ સ્થિતિ સ્થાવર મિલકતમાં છે, જ્યાં ગયા વર્ષથી શૂન્ય વૃદ્ધિ થઈ છે. ભારતીયોએ રિયલ એસ્ટેટમાં 2016માં લગભગ રૂ. 2 લાખ કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે 2019માં પણ તે આંકડામાં કોઈ વધારે થયો નથી. દેશની નિકાસની વાત કરીએ તો મનમોહનસિંહનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભારત વાર્ષિક આશરે 300 અબજ ડોલરની નિકાસ કરતું હતું. 2019-20ના આંકડા જોઈએ તો તે આંકડો પણ વધ્યો નથી. આવું કેમ? તેનો જવાબ નથી. એટલું જ નહીં, જ્યારે ભારતની નિકાસ કરતાં આયાત ઓછી થઈ ત્યારે સરકારે તેની ઉજવણી કરી, તેને પોતાની  સિદ્ધિ માની. હતી. છેલ્લાં છ વર્ષમાં દેશમાં રોજગારમાં કોઈ પ્રગતિ થઈ નથી, હકીકતે તેમાં ઘટાડો નોંધાયો છે. એક સરકારી અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં બેરોજગારીનો દર 6 ટકા છે, જે ઇતિહાસમાં ક્યારે ય નહોતો. કેમ ભારતીયો નોકરી ગુમાવી રહ્યા છે અથવા નોકરી છોડી રહ્યા છે.

નિશંકપણે, કોવિડે દેશની અર્થવ્યવસ્થા પર જબરદસ્ત અસર કરી છે અને તે આગામી દિવસોમાં જોવા મળશે. વડાપ્રધાન મોદીની બીજી મુદ્દત પૂરી થાય ત્યાં સુધીમાં દેશની અર્થવ્યવસ્થા ત્યાં હશે, જ્યાં આ વર્ષે જાન્યુઆરીમાં હતી. સમસ્યા એ છે કે આ વર્ષે જાન્યુઆરીમાં જે સ્થિતિ હતી તે પણ સારી ન હતી. આ લેખમાં આગળ જણાવાયેલા બધા આર્થિક આંકડા કોવિડ પહેલાંના છે.

લૉક ડાઉન પહેલાં આપણી અર્થવ્યવસ્થામાં સંકોચન અથવા સ્થિરતા આવી ચૂકી હતી અને હાલના સંકટ સાથે તેને કોઈ લેવાદેવા નથી. કોવિડની સમસ્યાનું નિવારણ આવે, તો પણ દેશનું અર્થતંત્ર પહેલાંની જેમ જ સંકટમાં જ હશે. કોવિડ પહેલાં દેશના જી.ડી.પી. ગ્રોથમાં સતત દશ ત્રૈમાસિક સમયગાળામાં ઘટાડો નોંધાયો છે. એવું કેમ, તે જાણવા મળતું નથી. તેના માટે એકથી વધુ કારણો જવાબદાર હોઈ શકે. પરંતુ તે સમસ્યા છે એવો સ્વીકાર જ ન કરીએ, તો તેનો ઉકેલ શી રીતે આવશે? કોઈ મોટી સમસ્યા આંખ આડા કાન કરતા રહેવાથી,આપમેળે કદી સમાપ્ત થતી નથી

એક સમય હતો જ્યારે ભારત દુનિયાભરમાં અર્થવ્યવસ્થાનો તેજસ્વી સિતારો હતું અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકેનો તેનો દાવો હતો. પરંતુ હવે સરકાર આ મોરચે કંઈ બોલતી નથી. સમસ્યા ગંભીર છે અને તે એકલા વડા પ્રધાનને નહીં, દેશના કરોડો લોકોને અસર કરે છે. તેને અવગણવા માટે મજબૂત અને સક્ષમ કારણની જરૂર છે, જે દેખાતું નથી.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 12-13

Loading

...102030...2,1172,1182,1192,120...2,1302,1402,150...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved