બુધવારે દિલ્હીમાં ખેડૂતો જ્યાં આંદોલન કરી રહ્યા છે ત્યાં ટી.વી. ચેનલોના પત્રકારોની અને સર્વોચ્ચ અદાલતમાં જજોની જે હાલત હતી, એ જોઇને હસવું કે રડવું એવો પ્રશ્ન જરૂર થાય. આમ તો એકંદરે જુઓ તો એ ઘટના હસવા કરતાં રડવા જેવી વધુ હતી અને તેને માટે પત્રકારો અને જજો પોતે જવાબદાર હતા. આજે અહીં પત્રકારો સાથે શું બન્યું એ જોઈએ. જજોની હવે પછી.
આજે જેને ગોદીમીડિયા તરીકે ઓળખાવવામાં આવે છે એ બીકાઉ ચેનલોના સ્ટુડિયોમાં તારસ્વરે કેવો પ્રચાર કરવામાં આવે છે એ તમે જાણો છો. લાજશરમ નેવે મૂકીને હાસ્યાસ્પદ સ્તરે નીચે ઊતરીને તેઓ સરકારનો બચાવ કરે છે. મંદ બુદ્ધિનો શ્રોતા પણ સમજી શકે કે આ પત્રકારની ભાષા નથી, ભાંડની ભાષા છે. પણ ઘટના જ્યારે મોટી હોય અને લાખોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હોય ત્યારે સાવ સ્ટુડિયોમાં બેસીને શાસકોની આરતી ઊતારી શકાતી નથી, ઘટનાસ્થળે પણ જવું પડતું હોય છે. આ રીતે ગોદી મીડિયાના પત્રકારો દિલ્હીમાં ખેડૂતો જ્યાં આંદોલન કરી રહ્યા છે, ત્યાં કેમેરા લઈને ગયા હતા અને ત્યાં તેમની હાલત જોવા જેવી થઈ હતી. ગોદી ચેનલોના પત્રકાર ઘટનાસ્થેળેથી સ્ટુડિયોમાં એન્કરને ખબર આપી રહ્યા હતા ત્યારે આંદોલનકારીઓ તેમને ઘેરી વળીને તેઓ શું ખબર આપી રહ્યા છે, તેના ઉપર બરાબર નજર રાખતા હતા, અને તે જો એક પણ પ્રતિકૂળ વાક્ય બોલે તો તેને અટકાવતા હતા.
આ ઘટના એક રીતે રસ્તા ઉપરની ટોળાંની સેન્સરશિપ કહેવાય અને એ લોકતંત્ર માટે કોઈ પણ રીતે વાજબી ન ગણાય. માટે જ એ ઘટના રડવું આવે એવી છે, પણ સાથે હસવું એટલા માટે આવે છે કે એવી સ્થિતિ પત્રકારોએ પોતે પેદા કરી છે. આંદોલનકારી ખેડૂતો દેશદ્રોહી છે, પૈસા સાટે આવ્યા છે, પિત્ઝા ખાય છે, સ્વીગી અને ઝોમેટોનાં ફૂડ પાર્સલ આવી રહ્યાં છે, પાકિસ્તાન જિંદાબાદના નારા બોલાઈ રહ્યા છે, વગેરે પ્રકારનો હાસ્યાસ્પદ પ્રચાર સ્ટુડિયોમાં કરવામાં આવતો હતો. ખેડૂતોએ એવી ચેનલોના પત્રકારોને કહ્યું હતું કે જે સ્ટુડિયોમાં કહેવામાં આવે છે એ અહીં શોધી કાઢ અને કહી બતાવ અને કાં એ કહે જે સત્ય છે. સ્થિતિ એવી બની કે ગોદી ચેનલોના પત્રકારોએ ઘટના સ્થળેથી એ જ બોલવું પડતું હતું જે ખેડૂતોને અનુકૂળ હતું. જે ચેનલો ગોદી ચેનલોની કુખ્યાતિ નથી ધરાવતી, તેના પત્રકારો ખેડૂતોની સામે સ્વતંત્ર રીતે રીપોર્ટીંગ કરી શકતા હતા, અને તેમાં તેઓ આંદોલનની મર્યાદા પણ બતાવતા હતા.
હમણાં કહ્યું એમ આ સ્થિતિ પત્રકારોએ પોતે પેદા કરી છે. પત્રકાર જો પોતાનો ધર્મ ચૂકે અને વેચાઈ જાય તો આવું બને. સ્ટુડિયોમાં શાસકો અને માલિકો પત્રકારની છાતી ઉપર ચડીને તેમની પાસે એ જ બોલાવે છે જે તેમને માફક આવે છે. જે પ્રામાણિક પત્રકાર વેચાવાની ના પાડે છે તેને તગેડી મુકવામાં આવે છે. જો એક સ્થાપિત વર્ગ છાતી ઉપર ચડીને તેમને માફક આવે એવું બોલવાની ફરજ પાડે અને પૈસાની કે પ્રતિષ્ઠાની લાલચમાં તમે એવું કરો તો બીજો વર્ગ તેને મોકો મળે ત્યારે એવું ન કરે એવું બને? દિલ્હીમાં અંદોલનકારી ખેડૂતોએ ગોદી મીડિયાના પત્રકારોની એક રીતે છાતી ઉપર ચડીને કહ્યું હતું કે કહી બતાવ જે સ્ટુડિયોમાં કહેવામાં આવે છે અથવા એ કહે જે અહીં નજરે પડી રહ્યું છે. બતાવ પિત્ઝા. બતાવ સ્વીગી અને ઝોમેટોના ડિલીવરી બોયઝ. બતાવ પાકિસ્તાન ઝીન્દાબાદના નારા.
આ ભારતીય પત્રકારત્વની શોકાંતિકા છે. પત્રકારોએ પત્રકારત્વને પરાજીત કર્યું છે. પત્રકારોએ લોકતંત્રને પરાજીત કર્યું છે. એ પત્રકારોએ જે વેચાઈ ગયા છે. જે નથી વેચાયા એ નથી જ વેચાયા. જે નથી ડરતા એ નથી જ ડરતા. જે પ્રામાણિક વસ્તુનિષ્ઠ પત્રકારત્વ કરે છે એ આજે પણ કરે જ છે. હા આવા મૂલ્યનિષ્ઠ પત્રકારોને બાજુએ ધકેલી દેવામાં આવ્યા છે, એ જુદી વાત છે. આજે ૯૦ ટકા ઇલેક્ટ્રોનિક મીડિયા કોર્પોરેટ કંપનીઓની માલિકીના છે અને તેની સરકાર સાથે પરસ્પર હિતોની ભાગીદારી છે. જો પત્રકાર પત્રકારના ધર્મને વફાદાર રહીને કોર્પોરેટ અને શાસકો વચ્ચેની ભાગીદારીમાં ભાગીદાર બનવાની ના પાડે તો ગોદી મીડિયા આપોઆપ સંકેલાઈ જાય. સાચી વાત તો એ છે કે પત્રકાર પણ રેકેટમાં ભાગીદાર છે અને એટલે આવી શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય છે અને મુકાતો રહેવાનો છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ડિસેમ્બર 2020