રાજનીતિમાં નીતિ શબ્દ પડેલો છે, પણ તે થોડાં વર્ષોથી, ખાસ તો સ્વતંત્રતા પછી, આઉટડેટેડ જણાય છે. સ્વતંત્રતા મળી ત્યારે પણ નીતિનું ધોવાણ થયેલું. ગાંધીજીને આવી સ્વતંત્રતા અપેક્ષિત ન હતી. ગાંધીજી પોતે નહેરુથી પ્રભાવિત હતા અને સરદાર વિદેશમાં પ્રભાવ નહીં પાડી શકે એવું લાગતાં તેમણે નહેરુને વડા પ્રધાન કરેલા. સરદાર વડા પ્રધાન થયા હોત તો ઇતિહાસ જુદો જ હોત, પણ હવે ઢોળાયેલાં દૂધ પર અફસોસ કરવાનો અર્થ નથી. ગાંધીજીએ તો કૉન્ગ્રેસને વિખેરી નાખવાની વાત પણ કરેલી, પણ એય થયું નહીં ને કૉન્ગ્રેસ આ દેશને કરમે દાયકાઓ સુધી લખાઈ. નહેરુ કુટુંબ વર્ષો સુધી દેશમાં સત્તા પર રહ્યું. આજે પણન હેરુ કુટુંબને જ આગળ કરવાનું વલણ કૉન્ગ્રેસનું છે ને સોનિયા, રાહુલ કે પ્રિયંકાથી આગળનું કૉન્ગ્રેસને બીજું કશું દેખાતું નથી તે હકીકત છે. કૉન્ગ્રેસમાં આ ત્રણ જ વ્યક્તિ બચી હોય એ રીતનું કૉન્ગ્રેસનું વલણ ઘાતક છે ને એનું પરિણામ એ આવ્યું છે કે કેન્દ્ર મજબૂત વિરોધપક્ષના અભાવનો અત્યારે લાભ ઉઠાવે છે.
2014થી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી ને ગુજરાતમાં સફળતાપૂર્વક મુખ્ય મંત્રીપદું ખેડી ચૂકેલા નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. 2019માં એ જ ફરી વડા પ્રધાન બન્યા અને એમના સખત પ્રયત્નોનું જ એ પરિણામ રહ્યું કે કૉન્ગ્રેસનું ભારે ધોવાણ 2019ની ચૂંટણીમાં પણ થયું ને કેન્દ્રમાં પ્રભાવ વગરના વિપક્ષને બેસવાનું આવ્યું. ફરી સત્તા મળવાને કારણે ભા.જ.પ. વધુ વિવેકી પક્ષ બનીને સામે આવવો જોઈતો હતો, પણ સત્તાનો છાક તેને પણ વર્તાય છે ને તે સારું લક્ષણ નથી. સિકંદર દુનિયા જીતવા નીકળેલો ને તેનું શું થયેલું તે દુનિયા જાણે છે. એનો અર્થ એવો નથી કે મોદી સરકારે કૈં કર્યું નથી. નોટબંધી, 370ની નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઈક, રામમંદિર નિર્માણ, વિદેશી રોકાણને નિમંત્રણ, કોરોના કાળની પ્રવૃત્તિઓ, નવી શિક્ષા નીતિ, કૃષિ કાનૂન જેવાં ઘણાં કામો સરકારને પક્ષે નોંધાયેલાં છે. એ જુદી વાત છે કે કેટલાંક કામો અંગે પ્રજામાં અસંતોષ છે, પણ સરકારે સાહસો કર્યાં જ નથી એમ કહી શકાશે નહીં.
એક વાત સ્પષ્ટ છે કે નિરપેક્ષ બહુમતને જોરે સરકાર મનમાની કરતી હોય છે, પછી એ કૉન્ગ્રેસની હોય કે ભા.જ.પ.ની, બહુ ફરક પડતો નથી. અત્યારે ભા.જ.પે. અશ્વમેધ યજ્ઞનો અશ્વ છૂટો મૂક્યો છે. જ્યાં જ્યાં ચૂંટણી થવાની હોય ત્યાં અમિત શાહ ને તેમની ટીમ પહોંચે છે ને ભા.જ.પ.ની સરકાર બને તેની તનતોડ મહેનતમાં લાગે છે. એ હૈદરાબાદની કે બિહારની વિધાનસભાની ચૂંટણી હોય, અશ્વમેધ યજ્ઞનો ઘોડો ફરે છે ને સત્તાનાં વિસ્તારની કોશિશ થતી રહે છે. હવે ભા.જ.પ.નું એક માત્ર લક્ષ્ય છે, તમામ પ્રદેશોમાં બહુમત મેળવવો ને સત્તામાં આવવું. અગાઉ યુતિ સરકારનો અનુભવ પણ ભા.જ.પે. લઈ જોયો, પણ એમાં મહારાષ્ટ્રમાં ને અન્યત્ર છેતરાવાનું થયું એટલે દેખીતું છે કે પૂર્ણ બહુમત સાથે જ સત્તામાં આવવું એ ભા.જ.પ.નું છેવટનું લક્ષ્ય હોય.
આવનારાં નવાં વર્ષમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે એટલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બે દિવસ રોકાયા, તો સી.બી.આઇ.ને પ્રવેશબંધી ફરમાવી બેઠેલાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને આ “અમિત પ્રવાસ" ખૂંચે તે સમજી શકાય એમ છે. મમતા બેનરજી “બંગાળની વાઘણ” તરીકે જાણીતાં છે ને કૉન્ગ્રેસથી છૂટાં પડ્યાં પછી અત્યારે તો તૃણમૂલ કૉન્ગ્રેસનાં અધ્યક્ષા છે. તેમના પક્ષમાં કેટલાક નેતાઓને સંતોષ નથી ને આવનારી ચૂંટણીમાં પોતાની સાથે ન્યાય નહીં થાય એવું લાગતાં કેટલાક નેતાઓએ ભા.જ.પ.નું શરણું શોધ્યું છે. ભા.જ.પ. આ તક જતી ન કરે તે સ્વાભાવિક છે. આમે ય આવી તકનો લાભ લેવાનું અમિત શાહ ભાગ્યે જ ચૂકે છે. આ અગાઉ પણ બીજા પક્ષમાંથી સભ્યોને ને હોદ્દેદારોને પોતાના પક્ષમાં ખેંચી લાવવાનું ભા.જ.પ.ને અનુકૂળ આવ્યું જ છે. એ ખેલ પશ્ચિમ બંગાળમાં પણ ચાલ્યો છે. મમતા દસ વર્ષ સત્તામાં રહ્યાં એ ગાળામાં સગાંવાદનો વાયરસ તેમને પણ વળગ્યો હોવાનું કહેવાય છે. આ વાત તેમની નજીકના નેતાઓને ન જ ગમે તે દેખીતું છે. તેમણે તૃણમૂલ સાથેનો છેડો ફાડયો છે કે ફાડવાની ફિરાકમાં છે. બહુ ઊંડાણમાં ન જઈએ તો પણ તૃણમૂલ સાથેનો છેડો ફાડીને ભા.જ.પ.ના ખોળામાં બેસવાનું જેમણે સ્વીકાર્યું છે, એ લોકો ભા.જ.પ.માં સેવા માટે પધાર્યા નથી તે સ્પષ્ટ છે. તેમને લાલચ છે જ ને તેમને લાલચ અપાઈ હોય એમ પણ બને.
આમ થવાને કારણે જેમણે પશ્ચિમ બંગાળમાં જીવ રેડીને ભા.જ.પ. માટે કામ કર્યું છે, એમને અન્યાય થવાનો પૂરો સંભવ છે. આમ થાય તો ભા.જ.પ.માં અસંતોષ વધે એ શક્ય છે. આવામાં ભા.જ.પ.ના નેતાઓ કેવું સ્ટેન્ડ લે ને સંતુલન જાળવવા કેવાં પગલાં લે છે તે જોવાનું રહે.
તૃણમૂલમાંથી વિદાય થયેલ કેટલાક કલંકિત નેતાઓ સંદર્ભે મમતાએ એ આશ્વાસન લીધું છે કે એવો કચરો ઓછો થવાથી તૃણમૂલને કોઈ ફરક પડ્યો નથી. એ સાચું હોય તો ભા.જ.પે. એ ચિંતા કરવાની રહે કે તેનામાં કચરો વધ્યો છે. જો કે મમતાએ ઘણા પડકારો વચ્ચે કામ કરવાનું છે. બાકી હતું તેમાં ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડા પર થોડા દિવસ પહેલાં હુમલો થયો. એ સાથે જ મુકુલ રોય અને શુભેન્દુ અધિકારી જેવા દશેક મોટાં માથાં તૃણમૂલ છોડીને ભા.જ.પ.માં જોડાયા. મમતા ભલે કહે કે આવા પક્ષ બદલુ નેતાઓથી કોઈ ફેર પડતો નથી, પણ મમતા માટે મુશ્કેલીઓ વધી છે તે નક્કી છે. તેનો ઉપાય પણ ખોળી કઢાયો છે. તેમણે ને તેમના પક્ષે લોકોની વચ્ચે જવાનું સ્વીકાર્યું છે. તેમને લાગે છે કે વિશ્વાસઘાત કરીને જેમણે પક્ષ બદલ્યો છે એનો ન્યાય જનતા કરશે.
બીજી તરફ કૉન્ગ્રેસ અને ભા.જ.પ.ને એમ લાગે છે કે મમતાને હવે તેમના કરેલાં કામોનો જ બદલો મળી રહ્યો છે. મમતાએ અગાઉ કૉન્ગ્રેસનો છેડો ફાડયો હતો તે જગજાહેર છે. આ ઉપરાંત ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને કેટલાક ધારાસભ્યોને અને નેતાઓને તૃણમૂલ કૉન્ગ્રેસમાં આવવા મમતા દ્વારા મજબૂર કરાયા હતા તે વાત પણ જાણીતી છે જ ! એટલે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ મમતાનો હોઈ શકે છે. આવું જે પણ પક્ષ સત્તામાં હોય તેની સાથે થઈ શકે છે ને મોટે ભાગે આવો ખેલ જે તે પ્રદેશમાં વિપક્ષના નેતાઓ કરતા હોય છે. પક્ષની તાકાત વધે ને બહુમતીના જોરે સત્તામાં અવાય તે માટે આવું થતું હોય છે.
આ બધું અગાઉ પાતળી બહુમતીથી સત્તામાં આવેલી સરકાર જોડે પણ થયું છે. સત્તામાં રહેલા પક્ષના થોડા લાલચુ સભ્યોને ફોડીને સરકાર ઉથલાવવામાં આવી હોય ને બહુમત પોતાની પાસે છે એવો દાવો કરીને જે તે પક્ષ કે તેના સાથી પક્ષો સત્તામાં આવ્યા હોય એવું બન્યું છે. આમાં ક્યારેક આકસ્મિક ચૂંટણીઓ પણ આવી પડે છે ને ફરી એ આખો ખર્ચાળ વ્યાયામ ચાલે છે ને અબજો રૂપિયાનો ખર્ચ દેશની જનતાને માથે આવી પડે છે.
સામેના પક્ષમાંથી લાલચુઓને ફોડવામાં આવે છે ત્યારે એમને કેટલીક વખત તો કરોડો રૂપિયા ને પદ ધરવામાં આવે છે. ઘણીવાર તો આવી લાલચને કારણે જ આવા લોકો પોતાના પક્ષ સાથે બેવફાઈ કરતા હોય છે. મોટે ભાગે પૈસા અને પદની લાલચ આપીને આવાં કામ કરાવાતાં હોય છે. એમાં કોઈ એક પક્ષનું નામ દેવાનો અર્થ નથી. બધા જ પક્ષો આવું કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. જે નથી કરી શકતા એમનો પનો ટૂંકો પડતો હોય છે અથવા તો એમનું આર્થિક ગજું એટલું નથી એમ જ માનવાનું રહે.
આ બધાંમાં સિદ્ધાન્ત કે આદર્શને દૂર દૂર સુધી કોઈ સંબંધ હોતો નથી. કેવળ ને કેવળ સત્તા મેળવવા આવું થતું હોય છે. પક્ષોએ સત્તા કેમ મેળવવી હોય છે? કારણ સત્તા મેળવવાથી પદ, પ્રતિષ્ઠા ને સંપત્તિ આપોઆપ વધી જતાં હોય છે. સાધારણ કોર્પોરેટર બનવાથી ઠાઠ બદલાઈ જતો હોય કે સાંસદ થવા માત્રથી કરોડોનો આંકડો આંખ સામે રમતો થઈ જતો હોય તો સત્તાની ઈચ્છા કોણ ન કરે? પણ આ બધું સસ્તું નથી. અબજો રૂપિયાનો ખેલ છે આ. કોઈ પણ પક્ષના સભ્યોને ફોડવાની પ્રવૃત્તિ કોઈ પણ રીતે પ્રજાહિતનું કાર્ય નથી જ ને એમાં પણ ચાલી રહેલી સરકારને લઘુમતિમાં લાવીને ઉથલાવવાનો જે કારસો થાય છે તે તો કેવળને કેવળ અક્ષમ્ય છે. આ શુદ્ધ બુદ્ધિથી થતું પાપ છે ને એને લીધે દેશને કરોડોના ખર્ચમાં ઉતારવાનું બને છે.
– ને વિધિની વક્રતા જુઓ કે આ બધું લોકશાહીને અને લોકોને નામે થાય છે, જ્યારે ગમ્મત એ છે કે આખા વેપલામાં લોકો તો છેક છેલ્લે મતદાન પૂરતા જ આવે છે.
આમ તો પક્ષાંતર કરવા અંગે 1985માં રાજીવ ગાંધીના સમયમાં કાયદો થયેલો છે પણ તેનો રાજકીય પક્ષોને કોઈ ભય નથી. કાયદાનો કોઈ પ્રભાવ જ ન રહે એવી સ્થિતિ છે. એટલે કશું પણ કહેવું નિરર્થક છે, છતાં આ દેશની પ્રજાના હિતમાં છેલ્લે એટલું તાર સ્વરે કહેવાનું પ્રાપ્ત થાય છે કે કોઈ પણ સંજોગોમાં લાલચથી કરાતું કે કરાવાતું રાજકીય પક્ષાંતર ગુનાહિત કૃત્ય ગણાવું જોઈએ ને તેની સામે કાનૂની રાહે સખત રીતે કામ ચલાવવું જોઈએ.
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 21 ડિસેમ્બર 2020