ગાંધીજી ભારતમાં આવ્યા એ પછી તેમણે ભારતીય રાજકારણનું સ્વરૂપ બદલી નાખ્યું એમાં ગાંધીજીના ત્રણ ગુણોએ કામ કર્યું હતું, જેમાંથી પ્રામાણિકતા તેમ જ પ્રજા સાથેની તાદાત્મત્યાના અને નિર્ભયતા એમ બે ગુણોની ચર્ચા આપણે કરી ચુક્યા છીએ. ત્રીજો ગુણ હતો રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના. આ મુદ્દો પણ ભારતના વર્તમાન રાજકારણને સમજવા માટે જરૂરી છે. ગાંધીજીને શા માટે ગાળો આપવામાં આવે છે એનો જવાબ પણ એમાંથી જડશે.
૧૯૧૬ના ડિસેમ્બરમાં લખનૌમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું હતું, જેમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે સમજૂતી થઈ હતી એ વાત અહીં કહેવાઈ ગઈ છે. મોરલે-મિન્ટો સુધારા હેઠળ ગવર્નરની કાઉન્સિલમાં મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં અધિક બેઠકો ફાળવવાની એ સમજૂતી હતી. અંગ્રેજોએ ભારતમાં સત્તાની વહેંચણીમાં કોમી વિભાજન કર્યું હતું જે હિંદુઓ અને મુસલમાનોએ માન્ય રાખ્યું હતું. ભારતના બંધારણનો ખરડો તૈયાર કરવામાં જેમનો સિંહફાળો હતો, એ કનૈયાલાલ મુનશીએ મોરલે-મિન્ટો સુધારાને પાકિસ્તાનના બીજ તરીકે અને લખનૌ સમજૂતીને ટુ નેશન થિયરીના ખીલેલા સ્વરૂપ તરીકે ઓળખાવ્યા છે. આપણે એ પણ જોઈ ગયા કે લખનૌના અધિવેશનમાં ગાંધીજી હાજર હતા, પરંતુ તેમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓને ન્યાય મળે એવી માગણી કરતા ઠરાવથી વધારે તેમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. લખનૌમાં ‘હિંદુઓ’ વતી લોકમાન્ય તિલક અને ‘મુસલમાનો’ વતી મહમ્મદ અલી ઝીણા વચ્ચે કરાર થયા હતા. આનો અર્થ એ થયો કે કૉંગ્રેસ હિંદુઓનું પ્રતિનિધિત્વ કરે છે એવો મુસ્લિમ લીગના નેતાઓનો દાવો કૉંગ્રેસના નેતાઓને કબૂલ હતો.
ગાંધીજીના જે ત્રણ પ્રદાનની આપણે વાત કરી રહ્યા છે એમાં ત્રીજા રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતનાની પ્રાસંગિકતાની વાત હવે આવે છે. હિંદુઓ અને મુસલમાનો વચ્ચે કોમી ધોરણે થયેલી લખનૌ સમજૂતી આ રીતની છેલ્લી સમજૂતી હતી. કૉંગ્રેસનું નેતૃત્વ ગાંધીજી પાસે આવ્યું એ પછી ગાંધીજીએ આગ્રહ રાખ્યો હતો કે હવે પછી ભારતીય રાજકારણ તેના દરેક અર્થમાં ભારતીય હશે અને અંગ્રેજો પાસેથી જે કાંઈ માગવાનું હશે એ ભારતીય પ્રજા માગશે અને જો તેને માટે લડવાનું આવશે તો ભારતીય પ્રજા લડશે. હિંદુ, મુસલમાન, બહુજન સમાજ, સવર્ણ, દલિત, શીખ, આર્ય, દ્રવિડ વગેરે દરેક ઓળખો ભારતીય રાજકારણની વિરોધી છે, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના વિકસાવવામાં બાધારૂપ છે એટલે તેને તિલાંજલિ આપવામાં આવશે.
ગાંધીજી ભારત આવ્યા અને તેઓ જ્યારે દરેક પ્રકારના સમાજવિશેષના રાજકારણને નકારતા હતા, ત્યારે જ ભારતીય નેતાઓને અચરજ તો થતું જ હતું કે આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી. એમાં ચંપારણના સત્યાગ્રહે નવી જ ભાતના રાજકારણનો પરિચય કરાવ્યો. એ એવી લડત હતી જે ચંપારણની ગરીબ શોષિત ભારતીય પ્રજાએ અંગ્રેજ શોષકો સામે લડી હતી. એમાં કોઈ જ પ્રકારના પ્રજાકીય ભેદ નહોતા. જે ફરક હતો એ શોષક અને શોષિત વચ્ચેનો હતો. ચેતના અને ગુલામી વચ્ચેનો હતો. ભય અને નિર્ભયતા વચ્ચેનો હતો. ભારતના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય સિવાયની બાકીની બધી ઓળખો પાછળ ધકેલાઈ ગઈ હતી. માટે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના પુસ્તક ‘ચંપારણ મેં મહાત્મા ગાંધી’ નામના પુસ્તકમાં લખ્યું છે કે, ‘ચંપારણના સત્યાગ્રહે ભારત વર્ષની આંખો ખોલી આપી હતી.’
કૉંગ્રેસે જો ભારતીય રાજકીય પક્ષ કે મંચ બનવું હોય તો કૉંગ્રેસે સર્વસમાવેશક બનવું પડે, એકલા હિંદુઓનું પ્રતિનિધિત્વ કરે એ ન ચાલે. જો કૉંગ્રેસે ભારતીય બનવું હોય તો તેમાં પછાત કોમના હિંદુઓને અને અસ્પૃશ્યોને પણ સાથે લેવા પડે, એકલા સવર્ણોનું પ્રતિનિધિત્વ કરે એ ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો આદિવાસીઓને અને બીજા છેવાડાના માણસોને સાથે લેવા પડે, એકલા ભદ્ર વર્ગની બની રહે એ ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો દક્ષિણ ભારતના દ્રવિડ લોકોને પણ સાથે લેવા પડે, એકલા ઉત્તર ભારતીય સવર્ણ હિંદુઓની બની રહે એ ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો સ્ત્રીઓને સાથે લેવી પડે, એકલા પુરુષોની બની રહે એ ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો ભારતની પ્રજા જે ભાષા સમજી શકે એ ભાષામાં બોલવું પડે, મુઠ્ઠીભર લોકો બોલે અને સમજે એવી અંગ્રેજી ભાષામાં વહેવાર ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો ભારતની સરેરાશ પ્રજા જે રીતે જીવતી હોય એમ જીવતાં થવું પડે, વૈભવી જીવનશૈલી ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો પ્રજાની વચ્ચે ગામડાંમાં જવું પડે, અંગ્રેજીમાં બોલતી અને વિચારતી શહેરી ભદ્રવર્ગીય બની રહે એ ન ચાલે. ટૂંકમાં, કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો તે કોઈને ય પણ બહાર રાખી ન શકે.
પ્રજાના મનમાં ગાંધીજી માટેના અનુરાગનું અને એ સમયના પ્રસ્થાપિત નેતાઓમાંથી કેટલાકના મનમાં ગાંધીજી માટેના તિરસ્કારનું કારણ આ છે. ગાંધીજીએ કૉંગ્રેસના દરવાજા ખોલી નાખ્યા. ભારતની તમામ પ્રજાને વિના શરતે કૉંગ્રેસમાં પ્રવેશનો માર્ગ મોકળો કરી આપ્યો. ગાંધીજી હજુ એક ડગલું આગળ વધે છે. તેમણે માત્ર કૉંગ્રેસના દરવાજા નહોતા ખોલ્યા, કૉંગ્રેસને લોકોના દરવાજે પહોંચાડી. એમ કહેવાય છે કે ભારતમાં અંગ્રેજોના આગમન પછી ભારતના પ્રત્યેક ગામડે પોસ્ટમેન પહોંચ્યો અને ગાંધીજીના આગમન પછી ભારતના પ્રત્યેક ગામડે કૉંગ્રેસમેન પહોંચ્યો. કૉંગ્રેસ ખરા અર્થમાં રાષ્ટ્રીય બની ગઈ. આનો નાનકડો પરિચય ચંપારણમાં જ કરાવી દીધો હતો. ચંપારણમાં બિહારના નેતાઓ પોતપોતાના નોકરો અને રસોયાઓને લઈને આવ્યા હતા. ગાંધીજી પોતાનાં કપડાં પોતે ધોતા હતા અને સામૂહિક રસોડે જમીને પોતાનાં વાસણ તો ઠીક પણ રસોઈનાં વાસણ પણ માંજતા હતા. ધીરેધીરે બિહારના નેતાઓએ શરમાઈને રસોયાઓને નોકરોને ઘરે રવાના કરી દીધા હતા એમ રાજેન્દ્રબાબુએ નોંધ્યું છે.
ગાંધીજીના નવા અભિગમના કારણે માત્ર કૉંગ્રેસનું કલેવર જ નહોતું બદલાયું, ભારતના રાજકારણનો ચહેરો પણ બદલાયો હતો. પરિવર્તન આમૂલાગ્ર હતું એટલે દરેક પ્રસ્થાપિત નેતાએ અને જે તે સમાજોએ નક્કી કરવાનું હતું કે પોતાનું વલણ બદલીને ભારતીય રાષ્ટ્રીય યજ્ઞમાં સમિધા બનીને હોમાઈ જવું કે પછી નોખો ચોકો અને નોખી ઓળખ જાળવી રાખવાં. હવે જે તે સમાજવિશેષના પ્રતિનિધિ તરીકે શરતો અને સમજૂતીઓ કરવાની નહોતી, પણ એક અવાજમાં અને એક ભાષામાં બોલવાનું હતું. હવે લોકભાષામાં બોલવાનું હતું, લોકોની જેમ જીવવાનું હતું, જમીન ઉપર બેસવાનું હતું અને પોતાનાં કપડાં પોતે કાંતી લેવાનાં હતાં. ૧૯૧૯-૧૯૨૦ની સાલમાં ભારતમાં એવો એક પણ નેતા અને સમાજ નહોતો જેણે ગાંધીજીનું શું કરવું એવો નિર્ણય લેવો ન પડ્યો હોય. એક પણ નહીં.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ડિસેમ્બર 2020