Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હું તણખો પેદા કરનારો માણસ છું !’

રમેશ સવાણી|Opinion - Opinion|24 March 2025

મિત્ર રમેશ સવાણીનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ થયેલું છે … પણ તેમની તેજાબી કલમ અટકી નથી. રોજ તેમનાં લખાણો મિત્રોની વોલ પર જોવા મળે જ છે. મારા કાવ્યસંગ્રહ વિશેનું ગઈકાલે લખાયેલું લખાણ મિત્રની વોલ પરથી અહીં મૂકતાં આનંદ અનુભવું છું.

— મનીષી જાની

•••

કવિ દીર્ઘદૃષ્ટા હોય છે, ભવિષ્યવેત્તા હોય છે. સામાજિક નિસબત હોય છે એટલે વેદના અનુભવે છે અને એટલે સ્વાભાવિક રીતે તેનામાં આક્રોશ જોવા મળે છે. ભ્રષ્ટ રાજકારણ, સામાજિક ન્યાયથી વેગળો વિકાસ, ખાડે ગયેલું શિક્ષણ, કથળેલી આર્થિક-સામાજિક સ્થિતિ, ભરડો લેતી જતી કોમવાદી રાજનીતિ, જૂઠાણા અને ગેરપ્રચાર, ધર્મવાદ-રાષ્ટ્રવાદનો નશો; અને બુદ્ધિજીવીઓની / સાહિત્યકારોની શાહમૃગવૃતિ ! કેટકેટલા અંધારા? જે સાહિત્યકારો પ્રેમ / સ્નેહ / આધુનિકતા / ગાંધીજીના સત્યાગ્રહ વિશે લખે છે, તેઓ ગુજરાત સરકારે બળાત્કારીઓને છોડી મૂક્યા, તેમનું જાહેર સન્માન થયું, ત્યારે ચૂપ કેમ રહી શક્યા હશે? આ બધું કવિને અકળાવે છે. કવિ સાંપ્રત સમયના સવાલો ઊઠાવે છે. પોતાના સમયના અંધકારને એટલે નિરુપે છે કે કોઈક તો જાગશે ! 

આ કવિ છે Manishi Jani. એમણે નવજીવન ખાતે 8 ફેબ્રુઆરી 2025ના રોજ પોતાનો કવિતા સંગ્રહ ‘મને અંધારા બોલાવે’ મને ભેટ આપ્યો હતો. આ સંગ્રહની કવિતાઓ વાંચી રહ્યો છું. કવિતા સમજ આપે છે, કવિતા માણસ બનાવે છે. 

અડધી આલમ-મહિલાઓના હકની વાત સાથે શરૂ થતી કવિતા – ‘બંગડીબંધન’માં કવિ આપણને ક્યાં ખેંચી જાય છે? વ્યક્ત થયેલ આક્રોશ જૂઓ : 

જેમ અડધી આલમને

બંધનની બંગડીઓમાં પૂરી રખાઈ છે,

એમ જ મારા દેશની લોકશાહીને

બંગડી આકારના પાર્લામેન્ટમાં પૂરી દેવાઈ છે …

એ બંગડીમાં બેઠેલા બગલા જેવા સફેદ વસ્ત્રધારીઓ

એકબીજાને કલંકિત કાળામેશ વસ્ત્રધારી કહીને બસ,

ભાંડ્યા કરે છે,

એક દળ બીજા દળને ચોર કહે છે,

બીજું દળ પહેલા દળને ચોર કહે છે,

પછી એકબીજા પર માઈકો ફેંકવાની રમત રમે છે

પછી એકબીજાને ભેટીને ખાધું પીધું ને રાજ કરે છે ! 

બંગડીની બહાર દલ દલ કાદવમાં

બેરોજગાર ઊછળતું લોહી ખૂંપી રહ્યું છે,

પેટ્રોલના ઊંચા ઊછળતાં ભાવ મોંઘવારીના નશામાં ચકચૂર છે,

નીચે ને નીચે પડી રહેલો, 

ખાંસતો, ગબડતો, બબડતો રૂપિયો …

મોંઘીદાટ કૉલેજોની દુકાનોની બહાર ઊભાં ઊભાં

ચમકદાર, ભભકદાર શોકૅસને જોયાં કરતાં યુવક યુવતીઓ,

વિન્ડો શોપિંગમાં ખોવાઈ ગયેલાં છાત્ર-છાત્રાઓ !

ડૉક્ટરોએ લખી આપેલાં દવાઓનાં લાંબાં પ્રિસ્ક્રિપ્શનના

કાગળોને સુંઘી રહેલાં વૃદ્ધો ને વૃદ્ધાઓ …

ખિસ્સામાં અફવાઓનાં ટોળાં લઈ ફરતા ચહેરાઓ

જે મરેલી ગાયનાં ચામડાં ઊતરડનારને 

અસ્પૃશ્ય ગણી પાણીના છાંટે સ્નાન કરે છે

એ જીવતા માણસની ચામડી ઉતરડી નાખવાના

સામૂહિક આનંદના મેળા યોજે છે …

બધું જ દલદલમાં ખૂંપી રહ્યું છે …

ભૂખ્યાં તરસ્યાં લોકોની ખાલી થાળીઓની

ઉઠાંતરી કરી ભક્તો થાળીઓનાં મંજીરાં બનાવી

લોકશાહીનાં ભજનો ભસી રહ્યાં છે …

મારા દેશની લોકશાહી

બંગડી આકારના પાર્લામેન્ટનાં બંધનમાં

બંધાઈ ગઈ છે …

pastedGraphic.png

કવિ માત્ર દેશસ્થિતિની વાત કરતા નથી. ‘કપડાં’ કવિતામાં માણસમાં રહેલી મેલીવૃત્તિ સામે પણ કવિએ સવાલ ઊઠાવ્યો છે :

મેલાં, ગંદાં, ડાઘા પડી ગયેલાં હોય 

તો ય કપડાં ધોવાઈ જાય.

પથરા પર પછડાઈને 

કે ધોકાથી ધીબાઈને 

કે વોશિંગમશીનમાં નંખાઈને કપડાં ધોવાઈ જાય, તાર પર ટીંગાઈને હસતાં હસતાં સૂકાઈ જાય.

ગડી વાળીને મૂકાઈ જાય.

ઈસ્ત્રી કરો તો ય પહેરાય

ને ના કરો તો ય પહેરાઈ જાય.

ફાટે તો સંધાઈ જાય,

થીંગડાં મારો તો મરાઈ જાય … 

કપડાં પહેરનારા આટલા 

સહજ અને સરળ કેમ નહીં હોય?

pastedGraphic.png

આપણામાં સ્પષ્ટતાનો જ અભાવ છે. કવિ બિલકુલ સ્પષ્ટ છે. ‘આઝાદી’ કવિતામાં કહે છે :

કોઈ કાંકરીચાળો કરે ને સામે પથરા ફેંકું

એવો લડનારો હું નથી. 

કોઈ નફરતથી ભરચક બોમ્બ ફેંકે 

ને એના ઘરમાં બોમ્બ મૂકું

એવો લડનારો હું નથી.

હું પથ્થરથી પથ્થર ટકરાવી તણખો પેદા કરનારો માણસ છું.

હું વિચારથી વિચાર ટકરાવી આઝાદી પેદા કરનારો માણસ છું.

હું લડનારો છું. 

હું માણસ છું.

pastedGraphic.png

કવિ, અખા ભગતની જેમ દંભને પડકારે છે :

હા, પણ ગાયને અમે માતા કહીએ છીએ.

ગૌમાતા, ગાયને અમે ખાતા નથી.

હા, પણ ગૌચરની જમીન અમે

ભચડક ભચડક ચાવી જઈએ છીએ …

આઠ વરસની આસિફા

કે ત્રણ છોકરાંની મા

કે ગંગાસ્વરૂપ એંસી વરસની ડોસીને

અમે રસોડે ને ખાટલે પછાડવાની વસ્તુ માનીએ છીએ.

હા, પણ મંદિરમાં પથ્થરની, ચાંદીની, સોનાની,

પ્લાસ્ટિકની, રેતીની, માટીની કે રબ્બરની

લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, અંબા, જગદંબા માતાજી માટે,

અમે પવિત્ર પુરુષો

તેમના કાનને ઝંકૃત કરવા ઘંટ વગાડીએ છીએ,

અમે પવિત્ર પુરુષો ઘંટડીઓ વગાડીએ છીએ.

હા, પણ અમે મંદિરમાં ખાટલા પણ રાખીએ છીએ …

અમે પવિત્ર પુરુષો …

pastedGraphic.png

ફિલ્મ સર્ટિફિકેટ બોર્ડે અમર્ત્ય સેન ઉપરની ડોક્યુમેન્ટરી ફિલ્મમાંથી ગાય, ગુજરાત જેવા શબ્દો કાઢી નાંખવા કહ્યું ત્યારે કવિએ લખ્યું :

તમે વિચાર લઈને આવો,

તો કહે તમે આ વિચાર કેમ કર્યો?…

લડનારી, ઝઝૂમનારી

કે મુઠ્ઠી ઊંચેરી વ્યક્તિઓ

કદી કોઈની મુઠ્ઠીમાં હોય કે?

ઝબકતા ચમકતા ભભકતા 

દીવડાને મુઠ્ઠીમાં બંધ કરાય કે?…

લોકશાહી,

તને ઘડિયાળના ઊંધા ફરતા કાંટા સાથે દોડાવી દોડાવી

દ્રોપદી બનાવી દીધી છે …

લોકશાહી તું કેવી કેવી એવી?

બહુમતીની રાત્રે કચાકચ ખચાખચ 

લોકોની જીભ કાપતી ફરે?

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક ન્યાયતંત્ર જ બાકી હતું, તે ય શંકાના ઘેરામાં આવી ગયું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 March 2025

રવીન્દ્ર પારેખ

14 માર્ચ, 2025 ને રોજ હોળીની રાત્રે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સાડા અગિયારે લાગેલી આગમાં ફાયર બ્રિગેડને 15 કરોડથી વધુ રોકડ રકમનો જથ્થો હાથ લાગ્યો. 

6 જાન્યુઆરી, 1969ને રોજ અલ્હાબાદમાં જન્મેલા જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટના સૌથી મોટા બીજા ન્યાયાધીશ છે. તેઓ 2016થી 2021 સુધી અલ્હાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી ત્યારે તેઓ ઘરે ન હતા એટલે પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયરબ્રિગેડને ઘરના એક રૂમમાંથી રોકડ નોટોનો ઢગલો મળ્યો. આગ તો 15 મિનિટમાં કાબૂમાં આવી ગઈ, પણ 15 કરોડનો ધુમાડો દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો પહોંચ્યો જ ને કોઈક રીતે આ સમાચાર લીક થતાં દેશ ભરમાં પણ ફેલાયો. 

આ દરમિયાન 20 માર્ચે સુપ્રીમના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ 5 સભ્યોના કોલેજિયમની એક બેઠક કરી અને જસ્ટિસ વર્માને ફરી અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. 21 માર્ચે સુપ્રીમે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે જસ્ટિસ વર્માની ટ્રાન્સફરના પ્રસ્તાવને અને બંગલામાંથી મળી આવેલ રોકડને કોઈ સંબંધ નથી. બંનેની આંતરિક તપાસ અલગ અલગ છે. તપાસનું તો એવું છે કે સુપ્રીમના કે હાઈકોર્ટના જસ્ટિસ સામે કાર્યવાહી કરવા માટે સુપ્રીમ પાસે આંતરિક તપાસ સમિતિ (ઇન હાઉસ) છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે આ મામલે તપાસ કરીને 21 માર્ચે સુપ્રીમના સી.જે.આઈ. સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી પણ દીધો.

જો કે, જજો પર આઇ.પી.સી.ની કલમ 77 અને બી.એન.એસ. એક્ટની કલમ 15 મુજબ સામાન્ય માણસની જેમ ફોજદારી કેસ કરી શકાતો નથી. આમાં તો ન્યાયાધીશ રાજીનામું આપે અથવા તો મહાઅભિયોગથી તેમને દૂર કરી શકાય, એટલું જ થઈ શકે. 1999માં સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ગાઈડ લાઇન મુજબ સુપ્રીમના ચીફ જસ્ટિસ સંબંધિત જજ પાસેથી જવાબ માંગે છે. જવાબ સંતોષકારક ન હોય તો આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. તપાસમાં જજ દોષિત ઠરે તો સુપ્રીમના ચીફ જસ્ટિસ તેમને રાજીનામું આપવાનું કહી શકે. જજ તેમ કરવા ન માંગે તો સુપ્રીમના સી.જે.આઈ. તેમની સામે મહાઅભિયોગની ભલામણ સરકારને કરી શકે. સંસદમાં મહાભિયોગ પસાર થાય તો રાષ્ટ્રપતિના આદેશથી જજને તેમના પદ પરથી દૂર કરવામાં આવે છે. 

સી.જે.આઈ. ખન્નાએ જસ્ટિસ વર્માની અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલીની દરખાસ્ત મૂકી તો હાઇકોર્ટ બાર એસોસિયેશને તેનો એમ કહીને વિરોધ કર્યો કે અલ્હાબાદ હાઈકોર્ટ ડસ્ટબિન નથી કે ભ્રષ્ટ લોકોને ન્યાય આપવા અહીં મોકલી આપવામાં આવે. ટૂંકમાં, બાર એસોસિયેશન જસ્ટિસ વર્માના સ્વાગત માટે ઉત્સુક નથી. જસ્ટિસ વર્મા અત્યારે તો રજા પર છે, પણ તેમનું નામ અગાઉ સી.બી.આઈ.ની એફ.આઇ.આર.માં પણ ખૂલ્યું હતું. 2018માં યશવંત વર્મા સામે કેસ નોંધાયો હતો. તે વખતે તેઓ સિમ્ભોલી સુગર્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે મિલમાં ગોટાળાઓ અંગે એવી ફરિયાદ કરી હતી કે સુગર મિલ દ્વારા બેન્ક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. 

15 કરોડની રોકડ મળવા અંગે દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે પહેલાં તો નન્નો ભણ્યો, પણ પછી તેમણે નિવેદન પાછું ખેંચ્યું ને એમ કહ્યું કે રોકડ ન મળવા અંગેનું નિવેદન તેમણે આપ્યું નથી. એની સામે આગના ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં 500ની નોટનાં બળેલાં બંડલો ફાયર બ્રિગેડના માણસો દ્વારા બહાર કઢાતાં દેખાય છે. જસ્ટિસ વર્માનું કહેવું છે કે મેં કે મારા પરિવારના કોઈ સભ્યે ક્યારે ય સ્ટોર રૂમમાં રોકડ રાખી નથી. આ રકમ મારી નથી. ઘટનાના દિવસે હું ને મારી પત્ની ભોપાલ હતા. મારી પુત્રી અને વૃદ્ધ માતા ઘરે હતાં. હું 15 માર્ચે પત્ની સાથે દિલ્હી પાછો ફર્યો. આ તો મને ફસાવવાનું ષડયંત્ર છે. એમને ષડયંત્ર કઈ રીતે લાગે છે એનો ફોડ એમણે પાડ્યો નથી. આ રકમ તેમની ન હોય, તો કોઈ આટલી રકમ શું કામ મૂકી જાય? એ દ્વારા રોકડ મૂકનારે શું મેળવવું હોય એના જવાબો મળતા નથી. જો કે, 22 માર્ચે સુપ્રીમના સી.જે.આઈ. સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની આંતરિક તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવી છે ને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયને જસ્ટિસ વર્માને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપવા જણાવ્યું છે.

એક બાબત સ્પષ્ટ છે કે કશુંક ધૂંધળું છે. સી.બી.આઈ. કે ઇ.ડી.ના દરોડા પડ્યા ત્યારે વર્મા સાહેબના ઘરેથી રોકડ નહોતી પકડાઈ, તે આગ લાગવાથી બહાર આવી. કોલેજિયમમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે આગોતરી તકેદારી પણ કશુંક ધૂંધળું છે તેનો જ સંકેત આપે છે. જસ્ટિસ વર્માની ટ્રાન્સફર અને કોલેજિયમનો નિર્ણય એકબીજા સાથે સંબંધિત નથી કે અફવાઓથી દૂર રહેવાની વાતો પારદર્શી જણાતી નથી. વર્મા સાહેબને ત્યાં સી.બી.આઈ. કે ઇ.ડી.ના દરોડા પડવાનું એમ જ બન્યું હતું? એ તો ઠીક સુગર મિલ મામલામાં તેમની સામે સી.બી.આઈ.એ એફ.આઇ.આર. કરી છે તે પણ એમ જ થઈ છે? સી.બી.આઇ.ની એફ.આઇ.આર.માં તેમનું દસમું નામ હતું ને આરોપ એવો હતો કે ખેડૂતો માટે લેવાયેલી લોન અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. સવાલ તો એ પણ છે કે 14 માર્ચની મધરાતની આ ઘટનાની જાણ સુપ્રીમને છેક 20 માર્ચે થાય છે, કેમ? 15 કરોડ જેવી રકમ રાખ થઈ છે ને તે તો હવે હાથમાં રહી નથી, તો વર્મા સાહેબ તે રકમ પોતાની છે એવું કબૂલવાનું ડહાપણ પણ કેમ દાખવે, ખાસ તો વાત દુનિયામાં ચોળાઈ ચૂકી હોય? 

એ જે હોય તે, વધુ તો તપાસ પૂરી થયે ખબર પડશે, પણ સુપ્રીમનો, બદલી અને રોકડ વચ્ચે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો ગળે ઉતારવાનું મુશ્કેલ છે. વારુ, બદલી પણ અલ્હાબાદ હાઇકોર્ટમાં જ કેમ? ત્યાંથી જ તો દિલ્હી હાઇકોર્ટ આવ્યા હતા ! સુપ્રીમ કોલેજિયમે તો જે નિર્ણય કરવો હોય તે ભલે કરે, પણ માત્ર બદલી તો સજાને બદલે સંરક્ષણ પૂરું પાડવા જેવું થશે. સ્પષ્ટ વાત તો એ જ હોય કે બદલી કે કામ ન કરાવવાને બદલે રાજીનામું માંગી લેવાય કે મહાઅભિયોગના પ્રસ્તાવ દ્વારા તેમને હટાવવામાં આવે. 

આશ્ચર્ય તો એનું પણ છે કે અનેક વિસંગતિઓ છતાં કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં છે. આ સિસ્ટમ ન્યાયિક સ્વતંત્રતા માટે હોય તેનો તો શો વાંધો હોય, પણ તેમાં ન્યાય સંદર્ભે જ બીજા પ્રશ્નો પણ ઊઠ્યા છે. વડા પ્રધાનથી માંડીને ક્લાર્ક સુધીની નિમણૂક પારદર્શી હોય, તો એવી પારદર્શિતા ન્યાયાધીશોની નિમણૂક બાબતે પણ અપેક્ષિત હોય. 15 કરોડ કોઈ ક્લાર્કના ઘરમાંથી મળે તો તેની બદલી કરવાથી ચાલી જશે? તો, ન્યાયાધીશને ત્યાંથી 15 કરોડ મળે તો તેની બદલીથી જ બધું સમેટાઈ જવું ન જોઈએ.

કોલેજિયમ સિસ્ટમમ, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ, અને અન્ય ચાર કે પાંચ ન્યાયાધીશોની બોડી છે. તેનું મૂળ કામ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક કરવાનું છે. આમ તો એ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ તે ઔપચારિકતા જ વધુ છે. કોલેજિયમ ન્યાયાધીશોનાં નામની ભલામણ કેન્દ્ર સરકારને કરે છે. કાયદા મંત્રી તે નામો વડા પ્રધાનને મોકલે છે. વડા પ્રધાન તે નામો રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ તે પછી નોટિફિકેશન બહાર પાડીને જે તે નામની ન્યાયાધીશ તરીકે નિમણૂક કરે છે. આમાં સરકારની ભૂમિકા, ઇન્ટેલિજન્સ બ્યૂરો-IB દ્વારા ચકાસણી બાદ, નામો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાથી વિશેષ નથી. સરકારને કોઈ નામ ઠીક ન લાગે તો તે પુનર્વિચારણા માટે કોલેજિયમને મોકલી શકે ને કોલેજિયમ એ જ નામ ફરી મોકલે તો, સરકાર તેની નિમણૂક કરવા બંધાયેલી છે. એક તબક્કે નિમણૂકનો અંતિમ નિર્ણય સરકાર પાસે હતો, પણ સરકારનો નિર્ણય રાજકીય હેતુઓ યુક્ત હોય તો ન્યાયિક સ્વતંત્રતા પ્રભાવિત થાય, એટલે કોલેજીયમનો મહિમા જળવાઈ રહે એ પણ જરૂરી હતું, પણ એમાં ય વિસંગતિઓ પ્રવેશી છે, તો કોલેજિયમ સિસ્ટમ અંગે પુનર્વિચાર થવો ઘટે.

આશ્ચર્ય તો એ વાતે પણ છે કે વિસંગતિઓ જાણવા છતાં જજોની નિયુક્તિની પ્રક્રિયામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. એક તબક્કે ભા.જ.પ.ની કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ બનાવવાની કોશિશ કરી જોઈ, પણ સર્વોચ્ચ ન્યાયાલયે તેને અસંવૈધાનિક ઠેરવીને છેદ ઉડાડી દીધો. આયોગમાં ફેરફાર કરવાને બદલે તેનો છેદ એટલે ઉડાવાયો કે જજની નિમણૂક જજ જ કરે એવું વધુ યોગ્ય લાગ્યું હોય, પણ કોલેજિયમ દ્વારા થતી નિયુક્તિ ઉપરાંત ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર સંદર્ભે સવાલો ઉદભવ્યા છે. એવું તો નથી કે ન્યાયતંત્ર ભ્રષ્ટતાથી પર છે? બીજું કૈં નહીં તો, સાધારણ માણસનો ભરોસો ન્યાયતંત્ર પર ટકી રહે એટલી ચિંતા તો થવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 માર્ચ 2025

Loading

એક ગુજરાતી યુવતીએ જ્યારે મરણાસન્ન ઈદી અમીનને કહ્યું હતું: મારી સામે જુઓ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 March 2025

રાજ ગોસ્વામી

ગુજરાતી ભાષાની પ્રસિદ્ધ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના વારસ સલિલ ત્રિપાઠીએ ગુજરાતી સંસ્કૃતિ પર અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. તે નિમિત્તે, એક્ટર અને એન્કર સાયરસ ભરૂચા સાથે તેમનું એક પોડકાસ્ટ સાંભળવાનો મોકો મળ્યો હતો. તેમાં, દેશ-વિદેશના ગુજરાતીઓની ઘણી વાત થઇ હતી. 

તે દરમિયાન, ગુજરાતીઓના પહેલા વિદેશી ડેસ્ટીનેશન ઇસ્ટ આક્રિકાની વાત નીકળી. તેમાં સલિલભાઈએ ગુજરાતીઓ કેવી રીતે આફતમાંથી ઊભા થાય છે અને પ્રગતિ કરે છે તેની એક રસપ્રદ વાત ટાંકી. જેણે ગુજરાતીઓને પહેરેલે લૂગડે હાંકી કાઢ્યા હતા તે યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીન પાછળથી બીમાર પડ્યા અને સાજા થવા માટે સાઉદી અરેબિયા ગયા, ત્યારે ત્યાં વાસંતી મકવાણા નામની એક નર્સે તેમની સારવાર કરી હતી અને ઈદી અમીનને કહ્યું પણ હતું કે, “તમે અમને લોકોને તગેડી મુક્યા હતા અને હવે અમે તમારો જીવ બચાવી રહ્યા છીએ.”

આ વાત બહુ જાણીતી નથી લાગતી. ગુજરાતીઓ અને ગુજરાતીઓને લગતાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ નથી. થોડી છૂટીછવાઈ માહિતી પત્ર-પત્રિકાઓમાં પડેલી છે. કોણ હતી આ વાસંતી મકવાણા અને શું હતી ઈદી અમીનની વાર્તા?

રાજકોટથી નીકળતા ‘અબતક’ નામના સાંધ્ય દૈનિકના એક લેખ અનુસાર, વર્ષો પહેલાં પોરબંદરનો એક દલિત યુવાન, જહાજમાં મજૂર તરીકે આફ્રિકા ગયો હતો અને તેના શેઠના કહેવાથી યુગાન્ડામાં રોકાઈ ગયો હતો. પાછળથી તેણે તેની પત્નીને પણ બોલાવી લીધી હતી. તેને એક દીકરો થયો હતો અને તે યુગાન્ડાના નાગરિક તરીકે મોટો થયો હતો. આ દીકરાએ યુગાન્ડાની એક દલિત છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. તેને એક દીકરી થઇ તેનું નામ વાસંતી મકવાણા.

1971માં, યુગાન્ડાની સેનાના કમાન્ડર ઈદી અમીને, ઇઝરાયેલની મદદથી, બળવો કરીને પોતાને ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે સ્થાપિત કર્યા હતા. તેનું શાસન યુગાન્ડાના ઇતિહાસમાં સૌથી ઘાતકી હતું. યુગાન્ડાની સેનામાં વિરોધીઓને દબાવવા માટે થઈને ઈદીએ મોટા પાયે વંશીય સાફ-સફાઈ શરૂ કરી હતી અને થોડા જ સમયમાં તે વંશીય નરસંહાર બની ગયો હતો. કહેવાય છે કે તેના આઠ વર્ષના શાસનમાં 80 હજારથી લઈને 3 લાખ લોકોની કત્લેઆમ કરવામાં આવી હતી. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ 5 લાખનો આંકડો આપે છે.

1972માં, ઈદીએ યુગાન્ડામાં રહેતા ભારતીયોને 90 દિવસમાં દેશ છોડી દેવાનો હુકમ કર્યો હતો. તે વખતે ત્યાં 80 હજાર ભારતીયો રહેતા હતા. આ લોકો યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, કેન્યા, પાકિસ્તાન અને ભારત રવાના થઇ ગયા હતા. 

1986માં, યોવેરી મુસેવેની નામના ઉદારવાદી નેતાએ દેશની કમાન સંભાળી, ત્યારે ઘણા ભારતીયો, ખાસ કરીને  ગુજરાતીઓ, યુગાન્ડા પાછા ફર્યા હતા. 

મુસેવેનીએ ત્યારે કહ્યું હતું કે, “યુગાન્ડાના સામાજિક અને ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતીઓએ આગળ પડતી ભૂમિકા ભજવી છે. મને ખબર છે કે આ પ્રજા મારા દેશમાં જાદુ કરે તેવી છે.”

1972માં જે સ્થળાંતર થયું, તેમાં પેલો દલિત પરિવાર પણ હતો. તે થોડા સમય સુધી શરણાર્થી શિબિરમાં રહ્યો હતો અને પછી બીજા અસંખ્ય પરિવારોની સાથે બ્રિટન જતો રહ્યો હતો. તે વખતે વાસંતીની ઉંમર 14 વર્ષની હતી. તેની સાથે તેનાં બીજાં ચાર ભાડુંઓ હતાં. તે બ્રિટનમાં ભણીને ડોકટર બની હતી અને મિશનરીઓની મદદથી વધુ ભણવા માટે કેનેડા ગઈ અને ત્યાં જ સ્થાયી થઇ હતી.

1979માં, સેનાના જનરલ અને દેશના ઉપરાષ્ટ્રપતિ મુસ્તફા એદ્રિસીએ અમીન સામે બળવો કર્યો અને તેમને પદભ્રષ્ટ કર્યાં. તેઓ લીબિયા ભાગી ગયા અને અંતત: સાઉદી અરેબિયામાં શરણ લીધું. પાછલાં વર્ષોમાં તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. 19 જુલાઈ, 2003માં તે કોમામાં જતા રહ્યા હતા અને જેદ્દાહમાં કિંગ ફૈસલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

યોગાનુયોગ, તે સમયે વાસંતી મકવાણા એ જ હોસ્પિટલમાં વધુ મેડિકલ અનુભવ માટે આવેલી હતી. આ અંગે, ‘ન્યુ ઇંગ્લિશ રીવ્યુ’ નામની એક પત્રિકામાં વાસંતીનું લાંબુ બયાન પ્રગટ થયેલું છે. તેમાં તે કહે છે કે તેને એક રાતે અઢી વાગે એક વી.આઈ.પી. દર્દીની સારવાર માટે ઈમરજન્સી યુનિટનો ફોન આવ્યો હતો.

વાસંતી જ્યારે ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ત્યારે તેના આઘાત અને આશ્ચર્ય વચ્ચે સ્ટેચર પર ઈદી અમીન હતા. વાસંતી કહે છે, “એ એક દુ:સ્વપ્ન જેવું હતું. આ માણસે હજારો એશિયન લોકોને તગેડી મુક્યા હતા. અને હવે મારી નજર સામે શ્વાસ લેવા માટે ઝઝૂમી રહ્યો હતો. મારું દિલ જોર જોરથી ધડકતું હતું. મેં જાતને કહ્યું હતું – વાસંતી, જાતને સંભાળ! આ માણસ ઘરડો થઇ ગયો છે, એ તને કશું નહીં કરે, તેને તારી મદદની જરૂર છે.”

વાસંતી કહે છે કે ઈદી અમીને તેનો હાથ પકડીને કમજોર અવાજમાં કહ્યું હતું, “પ્લીઝ હેલ્પ મી … હું બહુ બીમાર છું.” વાસંતીએ હિંમત ભેગી કરીને તેમના હાથ પર હાથ મૂકીને કહ્યું હતું, “સર, તમે કાબેલ હાથમાં છો અને અમે તમને સાજા કરવા માટે બનતું કરીશું.”

તેમને આઈ.સી.યુ.માં લઇ જવા પડે તેમ હતા. તેના માટે તૈયારી ચાલતી હતી તે વખતે વાસંતી પાસે થોડી મિનિટો હતી. તેમની સાથે વાત કરવાનો આ જ એક મોકો હતો. કદાચ તેને અંદેશો હતો કે અમીન બચવાના નથી. તે કહે છે, “મેં સીધું જ તેમની ડરેલી આંખોમાં જોયું અને સ્પષ્ટ રીતે કહ્યું – મારી સામે જુવો. હું પણ એ જ એશિયનોમાંથી એક છું જેમને તમે વર્ષો પહેલાં દેશ બહાર તગેડી મુક્યા હતા.”

ઈદી અમીનની આંખો પહોળી થઇ. તેમના મગજમાં વર્ષો જૂની યાદોનાં ઝાળાં સાફ થતાં હોય તેવું મોઢા પર દેખાતું હતું.  તેમની આંખોમાં જે ડર દેખાતો હતો તે વાસંતીથી ભૂલાય તેમ નહોતો. તે  કહે છે, “તેમનો એ ચહેરો મારા મનમાં કાયમ માટે જડાઈ ગયેલો છે. થોડીક જ સેકન્ડોની વાત હતી, પણ આ માણસને લગતાં મારાં બાળપણનાં દુ:સ્વપ્ન એ ક્ષણે ઓગળી ગયાં. મને મારી તાકાત પાછી મળી ગઈ હતી.”

“મેં તેમની સાથે નજર મિલાવી રાખી,” વાસંતી કહે છે, “મેં શ્વાસ લીધો અને સ્પષ્ટ રીતે કહ્યું – ગભરાશો નહીં. હું તમને નુકસાન નહીં પહોંચાડું. હું તમને સાજા થવામાં મદદ કરીશ. પણ તમારે એ જાણવું જોઈએ કે મારા પિતા વર્ષો સુધી યુ.કે.માં રહ્યા હતા. એ એમનું ઘર નહોતું અને તેમણે તમને ક્યારે ય માફ કર્યા નહોતા. તમે અન્યાય કર્યો હોવા છતાં, મોટા ભાગના એશિયનોએ બહેતર જીવન બનાવ્યું છે. “

એ પછી ઈદી અમીનને આઈ.સી.યુ.માં લઇ જવામાં આવ્યા. 16 ઓગસ્ટ 2003ના રોજ ઈદી અમીને શ્વાસ છોડી દીધો. તેમની ઉંમર 80 વર્ષની હતી. તેમને જેદ્દાહના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા અને તેની ખબર પરિવાર સિવાય કોઈને નહોતી. એ એક ગુમનામ મોત હતું. 

(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 23 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...208209210211...220230240...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved