Opinion Magazine
Number of visits: 9573578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રમ્પિઝમ : અમેરિકન લોકતંત્ર સામેનો ખતરો

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|30 November 2020

સિત્તેરીના દાયકામાં અમે રાજ્યશાસ્ત્ર ભણતા, ત્યારે તુલનાત્મક રાજકારણ – કમ્પેરેટિવ પોલિટિક્સની બોલબાલા હતી. તુલનાત્મક રાજકારણમાં રાજકીય સંસ્કૃતિ ભણાવાતી. અમે અહોભાવથી લ્યૂસિયન પાઈએ અમેરિકી રાજકીય સંસ્કૃતિ લખેલું લખાણ ભણતા ને ભણાવતા. એક પીઢ લોકતંત્રની રાજકીય સંસ્કૃતિ કેવી હોય તેનો તે નમૂનો – મૉડેલ ગણાવાતું. બસો ચુંમાળીસ વર્ષ જૂની અમેરિકન લોકશાહીની રાજકીય સંસ્કૃતિનું જે ચિત્ર અમારા મનમાં હતું તે અને આજની અમેરિકી લોકશાહીમાં ખાસ્સું અંતર છે.

છેલ્લાં ચાર વર્ષમાં, વિશેષ તો છેલ્લાં ચાર અઠવાડિયાંમાં અમેરિકા ને વિશ્વે ટ્રમ્પના, રિપબ્લિકન પક્ષના ને તેના લાખો સમર્થકોના જે આચાર જોયા, તેણે અમેરિકામાં લોકતંત્રના ભાવિ વિશે ચિંતા ફેલાવી છે. આ લખાણ લખતાં પહેલાં હું છેલ્લાં ત્રણ અઠવાડિયાંના ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’ ને ‘એટલાન્ટિક’ સામયિક ઉથલાવી ગયો. મોટા ભાગનાં લખાણો આ ચિંતાના છે. બરાક ઓબામાએ પણ છેલ્લાં અઠવાડિયાંઓમાં જે ટી.વી. કે અખબારની મુલાકાતો આપી છે, તેમાં અમેરિકાના લોકતંત્ર વિશે ચિંતા વ્યક્ત કરી છે.

થૅંક્સગિવિંગની પૂર્વસંધ્યાએ આ લખી રહ્યો છું ત્યારે બે મિનિટના અંતરે બે મુખ્ય સમાચારો ટી.વી. પર આવ્યા. એક સમાચાર અમેરિકી લોકતંત્રમાં શ્રદ્ધા જન્માવનારા છે, ને બીજા લોકતંત્રની અસરકારકતા પર આશંકા પેદા કરનારા. પ્રથમ સમાચાર છે નવા ચૂંટાયેલ પ્રમુખ જૉસેફ બાઇડનનો દેશજોગ સંદેશ. એમાં તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ૧૫૦ મિલિયન મતદારોએ મતદાન કરીને આપણી લોકશાહી જીવતી, ધબકતી છે, તે બતાવી આપ્યું છે, ને બીજા વાક્યમાં ઉમેર્યું કે હવે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. જીત્યા પછી એમણે અનેક વાર રિપબ્લિકન મતદારો સાથે સહકારની વાત કરી છે. આજે ફરી આ વાત દોહરાવી ને પેન્ડેમિકને હટાવવા સાથે કામ કરવા હાકલ કરી. બે મિનિટ પછી ટ્રમ્પનો પેન્સિલવેનિયાના સાંસદોજોગ સંદેશ આવ્યો કે તેમના રાજ્યમાં ચૂંટણીમાં બહુ ગેરરીતિઓ આચરાઈ છે. કોઈ પણ આધાર વિના તેમણે ફરી કહ્યું કે કાનૂની રીતે પડેલા મતોને આધારે તેઓ પેન્સિલવેનિયા જ નહિ, પરંતુ બધાં જ સ્વિંગ સ્ટેટ્‌સમાં જીત્યા છે. પછી વ્હાઇટહાઉસમાં આગળની રણનીતિ ઘડવા આવવા સૂચવ્યું. આ બે વિરોધાભાસી સમાચારો આજના અમેરિકાની રાજકીય સ્થિતિ બતાવે છે. બાઇડન સારી પેઠે જાણે છે કે અમેરિકાની લોકશાહી એક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. સામે છેડે, ટ્રમ્પ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના લોકતંત્રને દાવ પર મૂકી રહ્યા છે.

ખરું કે અમેરિકાની આજની કરુણ રાજકીય સ્થિતિ માટે એકલા ટ્રમ્પ જવાબદાર નથી. છેલ્લા બે દાયકાથી અમેરિકી રાજકારણમાં આત્યંતિક ધ્રુવીકરણની પ્રક્રિયા ચાલતી’તી. ટ્રમ્પ આ ધ્રુવીકરણનું વરવું પરિણામ છે. સિનિયર બુશને હરાવીને ક્લિન્ટન પ્રમુખ બન્યા ત્યારથી, ને વિશેષ તો ૧૯૯૪માં રિપબ્લિકન પાર્ટીના ન્યૂટ ગિંગરીચ નીચલા ગૃહના અધ્યક્ષ બન્યા ને ક્લિન્ટન પર મહાભિયોગ ચાલ્યો ત્યાર પછી ધ્રુવીકરણ વધ્યું. ટી.વી.માં કન્ઝર્વેટિવ રિપબ્લિકન ચૅનલો ને લિબરલ મેઇન સ્ટ્રીમ ચૅનલોએ ધ્રુવીકરણને ધાર આપી. બુશ પછી અશ્વેત ઓબામાનું આઠ વર્ષનું શાસન ને ત્યાર પછીનો શ્વેતઘાત ટ્રમ્પને સત્તા પર લઈ આવ્યા.

ટ્રમ્પ પ્રમુખ બન્યા ને જે રીતે રશિયાએ તેમને ચૂંટાવામાં મદદ કરી ત્યારથી જ અમેરિકી લોકતંત્ર વિશે ચિંતા શરૂ થયેલી. ટ્રમ્પની ચાર વર્ષની શાસન કરવાની પદ્ધતિ, પોતાની જ સરકારના ન્યાયતંત્ર ને ગુપ્તચરતંત્રને ઉતારી પાડવું કે કાવતરાબાજ કહેવું. કેબિનેટના સભ્યોને નોકરીમાંથી કાઢી મુકાતા હોય તે રીતે છૂટા કરવા. તેમને જાહેરમાં અપમાનિત કરવા, વિરોધીઓને જેલમાં પૂરી દેવાની જાહેર ધમકીઓ આપવી, બંધારણે નથી આપી તેવી સત્તા પોતા પાસે છે તેવી ઘોષણા કરવી, આ બધું આપખુદશાહી ભરેલું વર્તન હતું ને હજુ છે.

ટ્રમ્પની નીતિઓ, વિચારો ને આચારને રાજ્યશાસ્ત્રીઓ હવે ટ્રમ્પિઝમ તરીકે ઓળખે છે. આમ તો જમણેરી લોકરંજકવાદ આપણા માટે નવો નથી. તેના પર અંધરાષ્ટ્રવાદ, જાતિવાદ, ઇમિગ્રેશનનો કટ્ટર વિરોધ, લઘુમતીઓને કચડવાનો મસાલો ભભરાવો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનિલેટરાલિઝમ ઉમેરો. વૈશ્વિકીરણનો વિરોધ કરવો. આપખુદશાહી ને જાતિવાદી શાસકો પ્રત્યે મમત્વ બતાવો. ટ્રમ્પિઝમની મુખ્ય ખાસિયત છે દરેક વિરોધી વ્યક્તિ કે વિચાર કે ઘટનામાં કાવતરાં જોવાં ને અન્યને તેમાં મનાવવું. ટ્રમ્પના વિચારો ને વાતોનું આકર્ષણ આવા જ લોકોને છે. જેમને બૌદ્ધિક રીતે વિચારવા કરતાં બધે કાવતરાં દેખાય છે. ટ્રમ્પના રાજકીય ઉભારનો મુખ્ય મુદ્દો ઓબામાના જન્મસ્થળના કાવતરાનો જ હતો. ઓબામા પ્રમુખ રહ્યા ત્યાં સુધી તેમણે તે અમેરિકામાં નથી જન્મ્યા તે મુદ્દો ચલાવે રાખ્યો. ૨૦૧૬ની ચૂંટણી સમયે ટ્રમ્પના ૬૦ ટકાથી વધુ સમર્થકો માનતા હતા કે ઓબામા અમેરિકામાં નથી જન્મ્યા.

કોઈ પણ પ્રકારના આધાર વગર અસત્ય ફેલાવવાની કળામાં ટ્રમ્પ માહેર છે. સત્ય ને તથ્ય સાથે તેમને વેર છે. અસત્ય બોલવામાં ને આચરવામાં તેમને કોઇ છોછ નથી. ચૂંટણીમાં બાઇડન કરતાં ૬૦ લાખ મતે પાછળ હોવા છતાં ને ઇલેક્ટોરલ કૉલેજમાં પણ પાછળ હોવા છતાં તે પોતાની હાર કબૂલવા તૈયાર નથી. અલગ-અલગ રાજ્યની કોર્ટમાં ત્રીસ કેસમાં તે હારી ગયા હોવા છતાં પોતે કાનૂની મતોથી જીત્યા છે, તે ગાણું એમણે ચાલુ રાખ્યું છે. આમ કરવાથી તેમને બે ફાયદા છે, એક તો તેમના સમર્થકોમાં આ માન્યતા ચાલુ રહે કે ખરેખર તેમને કોઈ કાવતરાંને કારણે હરાવાયા છે. એક મોજણી પ્રમાણે ૭૦ ટકા ટ્રમ્પસમર્થકો માને છે કે બાઇડન કાવતરું કરીને જીત્યા છે. બીજું જે અમેરિકી લોકતંત્ર માટે વધુ જોખમકારક છે તે એ કે ચૂંટણીઓમાંથી લોકોનો વિશ્વાસ હટાવી દેવો.

નોંધવું જોઈએ કે ટ્રમ્પને ૭૪૦ લાખ મત મળ્યા છે, જે આ પૂર્વે બાઇડન સિવાય કોઈને નથી મળ્યા. ૨૦૨૪ની ચૂંટણીમાં ફરીથી ઊભા રહેવા માટે આ સમર્થન જરૂરી છે. બીજું કે આટલા સમર્થન સાથે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી પરની પોતાની પકડ ચાલુ રાખી શકે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના રિપબ્લિકન નેતાઓ બાઇડનના વિજયને અંગત રીતે સ્વીકારતા હોવા છતાં મીંઢું મૌન રાખીને બેઠા છે. ઘણાને ટ્રમ્પ સાથે વેર રાખવું પોસાય તેમ નથી. બીજી બાજુ એવા પણ રિપબ્લિકન નેતાઓ છે, જેમણે ચૂંટણીપૂર્વે જ બાઇડનનું સમર્થન કરેલું ને બીજા એવા પણ છે, જેમણે ચૂંટણી પછી બાઇડનનું સમર્થન કર્યું છે. રિપબ્લિકન પાર્ટીમાં આ લોકોનું શું સ્થાન હશે તે આગામી થોડા સમયમાં નક્કી થશે. જોવાનું એ રહ્યું કે રિપબ્લિકન પાર્ટી એક રહે છે કે તેમાં ભંગાણ પડે છે.

એ નક્કી છે કે ટ્રમ્પ ના હોય તો પણ ટ્રમ્પિઝમ હમણાં તો અમેરિકી રાજકારણનો ભાગ છે. અમેરિકી લોકતંત્ર પર જમ ઘર ભાળી ગયાનો હાઉ રહેવાનો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 03

Loading

તંત્રોની અને પ્રજાની બેદરકારી કોરોના કરતાં પણ વધારે ભયંકર છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 November 2020

આપણાં તંત્રો મતલબી ને પ્રજા બેદરકાર છે. આ પ્રજા જીવને જોખમે પણ, બેદરકારી દાખવવામાં જરા ય શરમાતી કે અચકાતી નથી. કોરોના એકંદરે કાબૂમાં આવ્યો હતો. કેસ ઘટવા માંડ્યા હતા. તઘલખી સરકાર પર દયા આવતાં કોરોનાને જ એમ થયું કે હવે ઘટવું જોઈએ એટલે એ ઘટવા માંડ્યો, પણ પ્રજા એમ એને ઘટવા દે? તેણે કોરોનાને કહ્યું કે અમે ઘટીશું, પણ તને ઘટવા નહીં દઈએ. સરકાર બરાબર જાણતી હતી કે દિવાળી આવી રહી છે ને લોકો રસ્તે આવી ગયા હોય તો પણ, રસ્તે ઊતરી પડવાના છે, પણ તેણે ચાલવા દીધું ને ટેવ પ્રમાણે સરકારી રાગ – માસ્ક, અંતર અને સેનેટાઈઝેશનનો આલાપ્યા કર્યો. લોકોને એવું થઈ ગયું કે કોરોનાથી કૈં થવાનું નથી, એટલે દિવાળી વખતે ઠેર ઠેર રસ્તે ઠલવાઈ ગયા. સરકાર લોકો માટે કોરોનાથી સાવચેતીનું રટણ કરતી રહી ને લોકો તેના તરફ ધ્યાન આપ્યા વગર મનમાની કરતા રહ્યા. પછી કોરોના ન વકરે એવું તો કેમ બને? તેણે પણ તેની જાત બતાવવા માંડી. રોજના 1,500થી 1,600 લોકો સંક્રમિત થવા લાગ્યા ને મરણનો આંકડો રોજનો પંદર સત્તર પર પહોંચવા લાગ્યો.

સરકાર આમ તો જાગતી જ હતી, તેમાં ફરી જાગી ને રઘવાઈ થઈને નિર્ણયો લેવા લાગી. 23મીથી સ્કૂલ-કોલેજો ખૂલી જશે એવું ડંકેકી ચોટ પર 5 વાગે કહ્યું ને સાત વાગે કહ્યું કે નહીં ખૂલે. આવું શેખચલ્લી જેવુ તો થતું જ રહે છે. એકદમ શુક્રવાર, 20મી નવેમ્બરથી અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગશે તેવું કહ્યું ને તે ઠીક ન લાગ્યું તો શુક્રવાર રાતથી જ સોમવાર સવાર સુધીનો કરફ્યુ ઠોકી દીધો. એની સાથે જ સુરત, વડોદરા, રાજકોટની મહાનગરપાલિકાઓએ પણ ઘેટાંની ચાલે શુક્રવારથી રાત્રિ કરફ્યુનો ખેલ પાડી દીધો. આમાં શું છે કે લાંબું વિચારવાનું હોય તો પણ, તેવી શક્તિ ન હોવાથી ઉપરથી હુકમો છૂટે તેમ તેમ કારીગરો કામે લાગતાં હોય છે. બાકી આ અક્કલ તહેવારોમાં ચાલી હોત તો પ્રજાની મુશ્કેલીઓ વધી ન હોત. લોકો પર કાબૂ પહેલાં મેળવવાનો હતો તેને બદલે ઘોડા ભગાડીને તબેલાને તાળાં મારવા જેવું તંત્રોએ કર્યું.

રસીનું પણ રેઢિયાળ રીતે જ બધું ચાલી રહ્યું છે. કોઈ ચોક્કસ ને અસરકારક રસી હાથ લાગી નથી તે પહેલાં મહિનાઓથી તેના દાખલા ગણાયા કરે છે ને લોકો વારંવાર છેતરાયાની લાગણી અનુભવે છે તે ઠીક નથી. આગોતરી વ્યવસ્થા થાય તેનો વાંધો નથી, પણ આ આખા વેપલામાં કામ ઓછું ને દેખાડો વધારે છે. લગ્ન વખતે વાડી, કપડાં, કંકોતરી ને કન્યાની વ્યવસ્થા વિચારાય તે સમજી શકાય, પણ બાળક જનમ્યું જ ન હોય ને કોઈ વરઘોડો કાઢે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આ તો મરવા પહેલાં જ ખભે ધોતિયાં નાખ્યાં કરતાં હોય એવું વધારે છે.

થોડા મહિનાઓ પહેલાં સુરતના એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગેલી અને થોડાં બાળકો તેમાં ભડથું થઈ ગયેલાં તે યાદ છે? એ પછી તંત્રોમાં જે જીવ આવેલો તે પણ ખબર હશે જ. બધા ક્લાસો પર તવાઈ આવેલી ને ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાની ઝુંબેશ ચાલેલી તે પણ બધાં જાણે છે. એની વિગતો હજી થોડે થોડે દિવસે છાપાંઓમાં આવતી રહે છે. હજી આવશે ને પછી બધું પેલાં મરેલાં બાળકોની રાખમાં ઢબૂરાઈ જશે. એમાં જેનું બાળક ગયું તે સિવાય ક્યાં ય કોઈ કાંગરો ખર્યો નથી. ધારો કે ફરી આગ લાગે છે તો બાળકોનું રક્ષણ થાય એવી વ્યવસ્થા હવે થઈ છે? ના. વ્યવસ્થાનું નાટક એ જ એક મોટી વ્યવસ્થા છે ને બીજો બનાવ બને તો વળી નવી તપાસનું નાટક ચાલશે ને એમ ચાલ્યા કરશે.

આવું ખાતરીથી કહેવાનું એટલે બને છે કે આગની સંખ્યાબંધ ઘટનાઓ ગુજરાતનાં શહેરોમાં બનતી આવી છે અને આપણાં નઘરોળ ને નિર્લજ્જ તંત્રો ગેંડાને શરમાવે એવી જાડી ચામડીથી નફ્ફટની જેમ કામ કરી રહ્યાં છે અથવા તો કામનો દેખાવ કરી રહ્યાં છે. તંત્રોને કોઈ ફરક પડતો નથી. ગયા ઓગસ્ટમાં અમદાવાદની કોવિદ હોસ્પિટલમાં આગ લાગેલી અને કોરોનાના આઠેક દરદીઓ એમાં મૃત્યુ પામેલા. તંત્રો જરાતરા સળવળ્યાં ને વળી ઢબૂરાઈ ગયાં. એ પછી ગઈ 28 નવેમ્બરે છાપાંઓમાં રાજકોટની એક કોવિદ હોસ્પિટલમાં આગ લાગી ને વેન્ટિલેટર પર મૂકાયેલાં પાંચ કોરોના દરદીઓ બેડ પર જ ભડથું થઈ ગયા. આ થયું એટલે તંત્રો વળી રાબેતા મુજબ જીવતાં થયાં. તપાસનું નાટક ચાલ્યું ને વળી ચાલશે. એ સાથે જ બીજા શહેરોમાં ફાયર સેફ્ટીનાં સાધનોની તપાસનું ચક્કર પણ ચાલું થયું છે. ક્યાંક મોક ડ્રીલ પણ શરૂ થઈ છે. એમાં સમિતિની રચનાઓનું નાટક પણ ખરું. થોડાં દિવસ વળી તપાસ-તપાસની ચલકચલાણી રમાશે ને બીજી દુર્ઘટના બને ત્યાં સુધી ફરી પૂર્ણવિરામ મૂકાઈ જશે. આ બધું પાછું મરેલાંની છાતી પર ચાલે છે તે સૌથી વધુ કઠે એવું છે.

કોરોના હોય તેવા દરદીઓ હોસ્પિટલે જવા બહુ તૈયાર થતા નથી, કારણ મરી જવાનો એમને ભય લાગે છે. એમને કહી શકાય કે ચિંતા ના કરો. હોસ્પિટલે ગયા પછી કોરોનાથી જ મરાય એવું નથી, કોરોનાથી તો કદાચને બચી પણ જવાય, પણ આગમાં બળી મરાય એવી જોગવાઈ હોસ્પિટલોએ કરી છે. એટલે હોસ્પિટલો હવે રોગથી જ મારે એવું નથી, તે અકસ્માતે પણ ભોગ લે એ શક્ય છે. આ અકસ્માત ટાળી શકાયો હોત, પણ ટાળવાની દાનત જ ન હતી. અમદાવાદનો, ઓગસ્ટનો હોસ્પિટલમાં આગ લાગવાનો દાખલો સામે હતો જ, પણ તેમાંથી કૈં જ શીખવાનું ન થયું, જો બોધપાઠ લેવાયો હોત તો રાજકોટની ઘટના ટળી હોત. પણ એ ઘટના બને એટલે પણ શીખવાનું ન બને એમ બને ને ! ને આ કૈં એક બે ઘટનાઓ પૂરતું જ સીમિત છે એવું ક્યાં છે? છેલ્લા ત્રણ મહિનામાં માત્ર હોસ્પિટલમાં જ આગ લાગવાની સાત ઘટનાઓ રાજ્યમાં બની છે એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે અમદાવાદની ઘટના પરથી બોધપાઠ લેવાયો હોત તો બાકીની ઘટનાઓ નિવારી શકાઈ હોત, પણ ખાટલે મોટી ખોડ એ છે કે તંત્રો જીવ વગર જ કામ કરે છે. એનામાં યંત્રો જેટલી સક્રિયતા પણ ઘણીવાર હોતી નથી. ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાનું કહ્યું છે તો તે વસાવી દેવાશે, પછી એનું મેઇન્ટેનન્સ એ જાણે એની જવાબદારી જ ન હોય એવી રેઢિયાળ રીતે કામ ચાલતું રહે છે. જવાબદારી કોઈ લેતું નથી, પણ જવાબદારીની ઢોળાઢોળ બધાંને જ આવડે છે. સમિતિઓની રચના થતી રહે છે ને કાળજી એટલી રખાય છે કે રિપોર્ટ બને એટલો મોડો આવે ને તથ્યોને વફાદાર ન હોય. બધી બાજુએથી ભીનું સંકેલાય એ માટેના પ્રયત્નો થતા રહે છે.

આગ લાગવાનુ કારણ નથી જડતું ત્યારે શોર્ટ સર્કિટ એ હાથવગું બહાનું છે. સતત બેદરકારી રાખવી, આર્થિક લાભ સિવાય બધું જ ગૌણ ગણવું ને સજીવ વ્યક્તિનું કોઈ જ મૂલ્ય ન આંકવું એ તંત્રોની અને પ્રજાની નિકૃષ્ટ કોટિની માનસિકતા રહી છે ને એમાં નિર્દોષ માણસોનો ભોગ લેવાતો રહે છે. માણસ સજીવ છે, પણ તે મૃતક્નો આંકડો હોય એ રીતે જ ઘણાં તેની સાથે વર્તતાં હોય છે. જેની પાસે સત્તા અને સંપત્તિ છે તે કોઈ પણ રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથે છે ને જેની પાસે ઓછું છે તે વેઠવામાં જ જન્મારો પૂરો કરે એવી વ્યવસ્થા છે. મૃત્યુ પણ હવે માણસોને ડરાવતું નથી ને કોઈ જીવે કે મરે એની ચિંતા હવે તંત્રો કે લોકો ખાસ કરતા નથી. આ સંવેદનહીનતા એ આ સદીનો કોરોના કરતાં પણ ભયંકર રોગ છે ને તે વધારે ઘાતક છે. માણસ એટલે ત્રણચાર લાખ રૂપિયા આટલી જ વ્યાખ્યા માણસની બચી છે. એટલે જ તો સરકાર ગાય-કૂતરાને નાખતી હોય તેમ બે પાંચ લાખ મૃતકને આપીને છૂટી જતી હોય છે, કેમ જાણે મરનાર વ્યક્તિ એ બે પાંચ લાખ લેવા જ મરી હોય ! એટલે જ એક મરનારની બહેને કહેવું પડ્યું કે ચાર લાખ તો શું, ચાર કરોડ અપાય તો પણ મારો ભાઈ પાછો આવવાનો નથી. લાગે છે કે બધાં સરકારી મદદ મળે એટલાં પૂરતાં જ આતુર હોય છે?

એ ખરું કે સરકારનો હેતુ મદદ કરવાનો જ હોય છે, પણ તે જે રીતે અપાય છે એમાં મરનારનું માન જળવાતું નથી. આ બધું યાંત્રિક રીતે, વેઠ ઉતારવા થતું રહે છે તે બરાબર નથી.

એ અત્યંત દુખદ છે કે મનુષ્યની સજીવ તરીકેની કિંમત તેનાં મૃત્યુ પછી અપમાનજનક રીતે લગાવાતી હોય છે. વધારે શું કહેવું? સબ કો સન્મતિ દે ભગવાન …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 30 નવેમ્બર 2020  

Loading

— અને જેનેટ કૂકે પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો …

મોહમ્મદ સઇદ શેખ, મોહમ્મદ સઇદ શેખ|Opinion - Opinion|30 November 2020

૧૯૮૦માં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા અખબારમાં એક ૨૫ વર્ષીય અશ્વેત પત્રકાર યુવતીએ પ્રવેશ કર્યો ત્યારે સ્ટાફમાંથી ઘણાની નજર એની ઉપર પડી હતી. કેટલાકને આશ્ચર્ય પણ થયું હતું. ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં કામ કરવું એટલે ખૂબ પ્રતિષ્ઠાજનક ગણાતું. ‘ટોલેડો બ્લેડ’માં પત્રકાર તરીકે કામ કરતી જેનેટ કૂકનું સી.વી. પોસ્ટના પ્રસિદ્ધ ઍક્ઝિક્યુટિવ એડિટર બેન બ્રેડલીની નજરમાંથી પસાર થયું, તો એમણે તરત પોસ્ટમાં નોકરી માટે બોલાવી લીધી હતી.

અંદાજે નવ મહિના પછી, ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૦ના દિવસે જેનેટ કૂકે લખેલ સ્ટોરી ‘જિમ્મીસ વર્લ્ડ’ પોસ્ટના પ્રથમ પાને પ્રસિદ્ધ થઇ. હેરોઇનના બંધાણી, ૮ વર્ષીય બાળક-જિમ્મીની સ્ટોરીએ હલચલ મચાવી દીધી હતી. એક બાળકને એની માતાનો પ્રેમી ડ્રગ્સ આપતો હતો. આખા અમેરિકામાં આ વાત વાઇરલ થઈ ગઈ હતી. વૉશિંગ્ટનના મેયર, હેલ્થ-ઑફિસરો અને પોલીસ આ બાળકને શોધી એનાં માતાપિતા વિરુદ્ધ કેસ ચલાવી જેલમાં ધકેલી દેવા માંગતા હતા, પરંતુ ‘વૉશિંગ્ટનનાં પોસ્ટ’ પ્રાઇવસીના અધિકારની રૂએ બાળકનું સરનામું આપવા માગતું ન હતું. અર્થાત્‌ પોતાના પત્રકારે કરેલી સ્ટોરી માટે પોસ્ટ કૂકની પડખે ઊભું રહ્યું. આ માટે પોસ્ટની આલોચના પણ કરવામાં આવી. પત્રકારોને એની જોરદાર શૈલી અને લખાણ તથા સામાજિક અસરને  કારણે  બ્લૉકબસ્ટર સ્ટોરી લાગી રહી હતી, તો લોકોને બાળક ઉપર દયા આવી રહી હતી, બાળકને એમની જરૂરિયાત લાગી રહી હતી, તો કેટલાક સામાજિક કાર્યકર્તાઓને અશ્વેત લોકોના જીવનની કઠોર વાસ્તવિકતા લાગી રહી હતી.

૧૩ એપ્રિલ, ૧૯૮૧ના દિવસે કૂકને પુલિત્ઝર-પુરસ્કાર આપવામાં આવ્યો. પત્રકારત્વમાં કોઈ આફ્રિકન-અમેરિકન (અશ્વેત) વ્યક્તિએ આ પુરસ્કાર જીત્યો હોય એ ઇતિહાસની પહેલી ઘટના હતી.

પોતાના ભૂતપૂર્વ પત્રકારે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો એ ગૌરવની વાત હતી એટલે ‘ધી ટોલેડો બ્લેડ’ કૂક વિષે સ્ટોરી છાપવા માંગતું હતું. પોતાના કર્મચારીઓના બાયોડેટા મુજબ એ કૂક વિષે લખવા માંગતા હતા. પરંતુ એસોસિયેટેડ પ્રેસના વાયર પર પુલિત્ઝર પુરસ્કાર – વિજેતાઓનાં જીવનચરિત્રો તપાસતા કૂકના બાયોડેટામાં વિસંગતતાઓ જણાઈ. કૂકે વાયરને આપેલ માહિતી મુજબ તેણીએ ખૂબ સારા ગ્રેડથી વસ્સાર કૉલેજમાંથી સ્નાતક કર્યું હતું અને ટોલેડો યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. જ્યારે બ્લેડના રેકૉર્ડ મુજબ વસ્સાર કૉલેજમાં એક વર્ષ ગાળી ટોલેડો યુનિવર્સિટીમાંથી માત્ર બેચલર ઑફ આટ્‌ર્સમાં સ્નાતક કર્યું હતું. બ્લેડના સંપાદકે વાયરને આ વાત જણાવી દીધી.

બપોર સુધીમાં વસ્સાર કૉલેજ અને ટોલેડો યુનિવર્સિટીમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી. લગભગ ૧૦ કલાક સુધી પોસ્ટના સંપાદકો કૂકની પૂછપરછ કરતા રહ્યા અને બીજી બાજુ એના બે ઉપસંપાદકો જિમ્મીનું ઘર શોધતા રહ્યા.

આખરે, રાત્રે પોણા બે વાગે કૂક ભાંગી પડી અને સ્વીકાર્યું કે “જિમ્મી નામનો કોઈ છોકરો નથી, નથી એનું કોઈ કુટુંબ … મેં જ આખી કાલ્પનિક વાર્તા ઘડી નાખી હતી. હું પુરસ્કાર પાછો આપવા માગું છું.”

અપમાનિત અને લજ્જિત પોસ્ટના સંપાદકોએ પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો, જે ‘વિલેજવૉઇસ’ની ટેરેસા કાર્પેન્ટરને આપવામાં આવ્યો.

માત્ર બે દિવસ પછી કૂકે વૉશિંગ્ટન પોસ્ટમાંથી રાજીનામું આપ્યું. આ રીતે એક હોનહાર પત્રકારની કારકિર્દીનો અંત આવી ગયો.

આ ઘટના પછી અમેરિકન પત્રકારત્વમાં ઘણું બધું બદલાઈ ગયું. પોસ્ટે પોતાના નિયમો વધુ કડક બનાવ્યા. કોઈ સંદર્ભ કે સ્રોત વિના સ્ટોરી છાપવામાં વધારે ધ્યાન આપવું, એવો વણલખ્યો નિયમ કરી દીધો. માત્ર અમેરિકા જ નહિ, યુરોપનાં ઘણાં બધાં અખબારોએ પણ પોતાની પૉલિસીમાં ફેરફાર કર્યો.

જેનેટ કૂક અખબારી દુનિયા છોડી ફ્રાન્સના કોઈ નાનકડા શહેરમાં વસવા ચાલી ગઈ હતી. ૧૯૯૬મા અચાનક જાહેરમાં આવી. પોસ્ટમાં પોતાના જુનિયર અને પછી પ્રેમી પત્રકાર માઇક સેજર સમક્ષ પ્રગટ થઈ દુનિયા સમક્ષ પોતાની વાતો રજૂ કરી. એમાં એની ગ્લાનિ જ ઝળકતી રહી.

જેનેટ કૂક કંઈ પહેલી પત્રકાર નહોતી, જેણે ખોટું કર્યું હતું. બીજા ઘણા બધા અમેરિકન અને યુરોપીય પત્રકારોએ આવું ખોટું કર્યું હતું, પરંતુ એમનાં નામ છાપરે ચઢ્યાં નહિ, કદાચ એટલા માટે કે તેઓ ગોરી ત્વચાવાળા હતા.

આ ઘટના જૂની હોવા છતાં ય આજના સમયમાં ઉપયુક્ત છે. આજથી ૩૮ વર્ષ પહેલાં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવાં અખબારો સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવામાં કોઈ કચાશ રાખતાં નહોતાં. જેનેટ કૂકે પોતાની ભૂલ સ્વીકારી પુરસ્કાર પાછો આપ્યો. પરંતુ આજે આપણા દેશમાં જોઈએ છીએ કે કેટલાક પત્રકારો પોતાનું અંતઃકરણ વેચી ‘પત્તર-કારિતા’ કરી રહ્યા છે. કોઈ એક રાજકીય પક્ષના હિતમાં સમાચારો તોડીમરોડીને રજૂ કરવામાં આવે છે. ગરીબી, બેકારી, બેરોજગારી, સમાજમાં વધતું વૈમનસ્ય, જેવાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. એના બદલે ક્ષુલ્લક બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે. એક ફિલ્મી હીરોએ આત્મહત્યા કરી, એની પ્રેમિકા એના મોત માટે જવાબદાર છે એવું ચિત્ર મીડિયાએ લોકમાનસમાં ઠસાવી દીધું. એમાંથી વાત ડ્રગ્સ પર પહોંચી ગઈ અને કયા ફિલ્મી સિતારાઓ ડ્રગ્સના બંધાણી છે, એની ચર્ચાઓ થવા લાગી. એમાં અસલ મુદ્દો તો ભુલાવી દેવામાં આવ્યો. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો હોબાળો એટલા માટે કરવામાં આવ્યો કે એ મૂળ બિહારનો હતો, અને બિહારમાં ચૂંટણીઓ આવી રહી હતી. હવે જો કે બિહારનાં પરિણામો પણ આવી ગયાં છે અને ભા.જ.પ.ની આગેવાનીમાં એન.ડી.એ.એ બહુમતી મેળવી છે. સુશાંતે ‘કેદારનાથ’ ફિલ્મમાં મુસ્લિમનું પાત્ર ભજવ્યું, ત્યારે આ જ ભા.જ.પ.ના સમર્થકોએ એનો વિરોધ કર્યો હતો, અને જ્યારે ચૂંટણી આવી ત્યારે એ જ વિરોધીઓ સુશાંતના સમર્થનમાં આવી ગયા હતા. જ્યારે કોઈ મુદ્દો ન હોય ત્યારે કેવા મુદ્દા ઊભા કરવા એ કોઈએ ભા.જ.પ. પાસેથી શીખવું જોઈએ! અને આ મુદ્દાઓને ચગાવતા રહેવું એ આપણા મીડિયા પાસેથી કોઈ શીખે! કોઈ એક પક્ષની તરફેણ કરનાર મીડિયાને કેટલાક લોકો ‘ગોદી મીડિયા’ તરીકે યોગ્ય રીતે જ ઓળખે છે. આ ગોદી મીડિયા સમાજને માહિતી, મનોરંજન અને શિક્ષણ પૂરું પાડવાની પોતાની ફરજથી વિમુખ થઈ રહ્યો છે. પ્રશ્ન ઉદ્‌ભવે છે કે શું મીડિયાએ તટસ્થ રહેવું જોઈએ કે કોઈ એકનો પક્ષ લેવો જોઈએ? ઘણા લોકો કહેશે કે મીડિયાએ તટસ્થ રહેવું જોઈએ, કોઈનો પક્ષ ન લેવો. જે આજે શાસનમાં છે, કાલે ના પણ હોય અને જે આજે વિરોધપક્ષમાં છે એ શાસનમાં પણ હોઈ શકે છે. રાહત ઇન્દોરીએ કહ્યું હતું એમ ‘આજ જો સાહિબે મસનદ હૈ કલ નહિ હોંગે – કિરાયેદાર હૈ જાતી મકાન થોડી હૈ.’

પરંતુ કેટલાક લોકો એવું પણ કહેશે કે મીડિયાએ તો એક જ પક્ષ લેવો જોઈએ – પીડિતોનો. કેમ કે પીડિતોનું દર્દ મીડિયા નહિ જણાવે તો કોણ જણાવશે?

એક ત્રીજો વર્ગ પણ છે – અને એ મોટો વર્ગ છે – જે કહે છે કે અમે તો એનો જ પક્ષ લઈશું જે અમારી ખાતરદારી કરે – અર્થાત્‌ અમને માલમલીદો આપે.

આ નિરાશાજનક માહોલમાં રણમાં વીરડી સમાન દિલાસાની એક બાબત પણ છે. એ છે ઈમાનદારીથી પોતાનો પત્રકારત્વધર્મ નિભાવી રહેલા કેટલાક પત્રકારો અને મીડિયાહાઉસ. ભલે આંગળીના વેઢે ગણાય એટલાં જ છે આ સાચા પત્રકારો. આવા પત્રકારોથી જ પત્રકારત્વ હજી જીવી રહ્યું છે, એ જ આપણા માટે આશ્વાસનની વાત છે ! એક દીપક બળે એટલે અંધકાર પણ ધ્રૂજી ઊઠે છે અને પલાયન કરી જાય છે.

સત્યને પ્રકાશવા માટે એક સાચો પત્રકાર પણ પૂરતો છે.

૧૬મી નવેમ્બર નૅશનલ પ્રેસ ડે તરીકે ઊજવાય છે. બધા જ સાચા અને સારા પત્રકારોને દિલથી સલામ.

કન્સલ્ટિંગ અને ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર, લેખક, કટારલેખક, IGNOUમાંથી માસ કૉમ્યુનિકેશન અને જર્નાલીઝમનો કોર્સ કરેલ છે.

email : msaeed181@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 08

Loading

...102030...2,0742,0752,0762,077...2,0802,0902,100...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved