Opinion Magazine
Number of visits: 9456468
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યકારોમાં પણ ક્લેરિટીનો અભાવ કેમ રહેતો હશે?

રમેશ સવાણી|Opinion - Opinion|26 March 2025

યશવંત શુક્લ

આપણા  ઉત્તમ કક્ષાના પત્રકાર / સાહિત્યકાર / અનુવાદક યશવંત શુકલ (8 એપ્રિલ 1915 / 23 ઑક્ટોબર 1999)નો એક લેખ – ‘ઐતિહાસિક સંદર્ભમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન’ ‘સ્વામિનારાયણ સંતસાહિત્ય’ પુસ્તકમાં રઘુવીર ચૌધરીએ મૂક્યો છે. 

યશવંત શુક્લને 1985માં નર્મદ સુવર્ણચંદ્રક અને 1992માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. તેમણે મેકિયાવેલીના ‘ધ પ્રિન્સ’નો અનુવાદ ‘રાજવી’ અને બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ (1970) ‘સત્તા’ કર્યો છે. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ કરનાર વિદ્વાન વ્યક્તિ પરચાજીવી સહજાનંદજીને ભગવાન માનતા હતા !

યશવંત શુક્લ લખે છે : “સ્વામિનારાયણના સમાજ-સંદર્ભ વિશે વિચારીએ. મોગલ સામ્રાજ્યની અવનતિ થઈ તે પછી મરાઠી રિયાસતો આવી. તે ગાળામાં આખો દેશ છિન્નભિન્ન હતો અને ગુજરાત પણ ધણીધુરી વિનાનો પ્રદેશ હતો. મુલકગિરિ, ઈજારાશાહી, વેઠની પદ્ધતિ, દુકાળો, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિસંસ્થાની જડતા, વહેમો-ભૂત પ્રેતના, વળગાડના – આ બધો આપણો પરિવેશ હતો. રાજ્યો છિન્નભિન્ન હતાં. જેનું રાજ્ય કહી શકાય તે પણ સીધું રાજ્ય કરતા નહોતા. રાજાઓ પણ લૂંટારા જેવા હતા. ગાયકવાડનું રાજ્ય હતું, ગાયકવાડને પેશ્વા લૂંટતો. ગાયકવાડ ઇજારદારોને લૂંટતા, ઇજારદારો પ્રજાને લૂંટતા. આમ એક લૂંટણખોરી વચ્ચે લોકો જીવતા હતા અને એમાંયે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાનું મુખ્ય કાર્ય ગોઠવ્યું તે સૌરાષ્ટ્રમાં પણ 200 કરતાં વધારે રજવાડાં હતાં. આ બધાને ભેગા કરીને કશીક શાંતિ જળવાય એ કરવા માટે અંગ્રેજો પણ વચ્ચે પડેલા … આપણને આશ્ચર્ય થાય છે કે 1781માં જન્મેલા હરિપ્રસાદ પાંડેના પુત્ર અહીં કેમ આવ્યા? જ્યાં અનિશ્ચિતતા હતી, અંધાધૂંધી હતી, અવ્યવસ્થા હતી. તેમણે અહીં આવી 30 વર્ષ કાર્ય કર્યું. પોતે યુગસર્જક બની ગયા. તેઓ અહીં આવી શક્યા તેનું એક મૂળ કારણ આ છે : અહીં સામાન્ય પ્રજાજન બહાદૂર હતો, બીકણ નહોતો. તે વખતના વાણિયાઓ પણ શસ્ત્રો ચલાવી જાણતા. બ્રાહ્મણોમાં પણ એક પ્રકારની હિંમત હતી. રાજ ગમે તે કરતો હોય, ગમે તેમ કરતો હોય, છતાં એક મજબૂત ગ્રામવ્યવસ્થા હતી. એમાં મહાજનો નિર્ણાયકો હતા. તેને કારણે એક આઘાત આવે અને તે આઘાત પૂરો થાય એટલે ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું. આ ગ્રામસ્વરાજ્યને કારણે પ્રજા છિન્નભિન્ન થતી અટકી ગઈ અને પોતાનું અસ્તિત્વ પણ સંભાળી શકી … બે લાખ જેટલા માણસો થોડા વખતમાં જ તેમના અનુયાયી થઈ ગયા. કાઠીઓ, ક્ષત્રિયો લૂંટારાઓ આ બધા એમના શરણે આવ્યા, એમના જીવનમાં પરિવર્તન થયું અને પરિવર્તન પણ એવા પ્રકારનું કે તેમને ‘તેવાને તેવા રાખીને અથવા બીજાને તેમની સાથે ભેળવીને એમને નીચે ઉતારીને નહીં, પણ ખુદ આ નીચલા વર્ગને-એ હિંદુ હોય, એ મુસલમાન હોય, એ પારસી હોય કે બીજી કોઈ કોમના હોય તેમને-ઊંચા લીધા.’ અનાયાસે શાંતિ પ્રસારવામાં ઘણો મોટો હિસ્સો સ્વામિનારાયણ ભગવાને આપ્યો. દંડભયથી જે ન થઈ શક્યું તે પ્રેમશક્તિથી ભગવાન સ્વામિનારાયણે સિદ્ધ કર્યું. તેઓ ‘વન મેન પીસ-કીપિંગ બ્રીજ’ બની રહ્યા. જે લોકો સત્સંગી નહોતા તેની ઉપર પણ તેની છાયા પડે તેવું નિર્માણ થયું એ સ્વામિનારાયણ ભગવાનની એક મોટામાં મોટી સિદ્ધિ છે. કિશોરલાલ મશરૂવાળાએ તેમને ભગવાન બુદ્ધ સાથે સરખાવ્યા છે અને કહ્યું છે કે પોતાના કાળમાં પ્રસિદ્ધ પુરુષોમાં સહજાનંદ સ્વામી સૌથી મહાન હતા.” (પેજ -124 / 125 / 126 / 127)

થોડાં પ્રશ્નો : 

[1] જો આખો દેશ છિન્નભિન્ન હતો અને ગુજરાત પણ ધણીધુરી વિનાનો પ્રદેશ હતો, તો સહજાનંદજીએ; મુલકગિરિ, ઈજારાશાહી, વેઠની પદ્ધતિ, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિસંસ્થાની જડતા, વહેમોને દૂર કરવા શું યોગદાન આપ્યું? તેઓ પોતે ગઢડાના જમીનદારના આશરે હતા, તેમણે જમીનદારી નાબૂદ કરવા ક્યા પગલાં લીધાં હતા? ઇજારાશાહી દૂર કરવા ક્યો વિચાર આપેલ? વેઠપ્રથા દૂર કરવા ક્યું અભિયાન ચલાવેલ? તેમનું સાહિત્ય જ અઢળક પરચાઓ / ચમત્કારોથી ભરેલા છે તે અંધશ્રદ્ધા દૂર કરે કે દૃઢ કરે? મહિલાઓએ વસ્ત્ર પહેરીને જ નહાવું / રજસ્વલા દરમિયાન અસ્પૃશ્યતા ફરજિયાત પાળવી / વિધવાએ પુનર્લગ્ન કરવાને બદલે ભક્તિ કરી જીવન ગાળવું / વિધવાએ એક વખત જ ભોજન કરવું; આ શું અંધશ્રદ્ધા નથી? વળી સહજાનંદજીએ 70 વર્ષના હરબાઈ અને વાલબાઈને માત્ર મહિલાઓને ઉપદેશ આપવા આદેશ કર્યો તે સહજાનંદજીનું પ્રગતિશીલતા વિરુદ્ધનું પગલું ન હતું? જ્ઞાતિસંસ્થાની જડતા દૂર કરી કે દૃઢ કરી? શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવાનો આદેશ શિક્ષાપત્રીમાં કેમ આપ્યો? હજુ આજે 2025માં પણ આ સંપ્રદાયમાંથી  જ્ઞાતિજડતા જોવા મળતી નથી? 

[2] રાજાઓ / ઈજારદારો / અંગ્રેજો લોકોને લૂંટતા; પરંતુ આ લૂંટ અટકાવવા સહજાનંદજીએ શું કાર્યવાહી કરી? ક્યો એક્શન પ્લાન આપ્યો? માત્ર ભક્તિ કરવાથી આ સમસ્યા દૂર થાય? જો સહજાનંદજી ખુદ ભગવાન હતા તો રાજાઓને / ઈજારદારો ને/ અંગ્રેજોને સીધા કેમ ન કર્યા? રાજાશાહી દૂર કરી, લોકોનું શાસન સ્થાપવા હાકલ કેમ ન કરી? ખુદ ભગવાન હોવા છતાં શા માટે અંગ્રેજોની ગુલામી કરી? ‘રાજાને ક્યારે ય ખાલી હાથે ન મળવું’ એવો આદેશ શિક્ષાપત્રીમાં કેમ આપ્યો? 

[3] શું સહજાનંદ સૌરાષ્ટ્રમાં એટલે આવ્યા હતા કે ‘અહીંનો સામાન્ય પ્રજાજન બહાદુર હતો, બીકણ નહોતો. તે વખતના વાણિયાઓ પણ શસ્ત્રો ચલાવી જાણતા. બ્રાહ્મણોમાં પણ એક પ્રકારની હિંમત હતી. રાજ ગમે તે કરતો હોય, ગમે તેમ કરતો હોય, છતાં એક મજબૂત ગ્રામવ્યવસ્થા હતી. એમાં મહાજનો નિર્ણાયકો હતા. તેને કારણે એક આઘાત આવે અને તે આઘાત પૂરો થાય એટલે ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું.’ જો અહીં ‘ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું’ હોય તો સહજાનંદજીને યુગસર્જક કહી શકાય? વળી તેમની જરૂર છપૈયા – ઉત્તર પ્રદેશમાં વધુ હતી, કેમ કે સૌરાષ્ટ્ર / ગુજરાતમાં તો નરસિંહ મહેતા / અખા ભગત / કબીર / વલ્લભાચાર્ય વગેરે સંતોની અસર હતી જ. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લોકો જંગલી ન હતા. વ્યસની ન હતા. પરિશ્રમી અને ખડતલ હતા. સહજાનંદજીનું સૌરાષ્ટ્રમાં આવવાનું કારણ એ હતું કે અહીંના લોકો સાધુ-સંતોનો વિશેષ આદર કરનારા હતા, ભોળા હતા. 

[4] ‘આ નીચલા વર્ગને, નીચે ઉતારીને નહીં પણ એમને ઊંચા લીધા.’ શું આ મોટો ભ્રમ નથી? વર્ણવ્યવસ્થાનું સમર્થન કરનાર કઈ રીતે નીચલા વર્ગને ઉપર લે? શું કોઈ ભક્ત બને, ટીલાંટપકાં કરે એટલે ઊંચા લીધા કહેવાય? જો માણસ માત્રને ઊંચા લેવાં હતાં તો દલિતોને તિલક કરવાની મનાઈ શિક્ષાપત્રીમાં કેમ કરી? કોઈ એકાદ મુસ્લિમ કે પારસી સત્સંગી / ભક્ત બને એટલે તેને ઊંચા લીધા કહેવાય? આજે કેટલા મુસ્લિમો / પારસીઓ / દલિતો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે? 

[5] જો સહજાનંદજી ‘વન મેન પીસ-કીપિંગ બ્રીજ’ બની રહ્યા હોય તો માત્ર સૌરાષ્ટ્ર / ગુજરાત માટે જ કેમ? શા માટે પોતાની જન્મભૂમિમાં શાંતિ ન સ્થાપી? જો તેઓ ભગવાન હતા તો આખા દેશમાં શા માટે શાંતિ ન સ્થાપી? 

[6] ‘જે લોકો સત્સંગી નહોતા તેની ઉપર પણ તેની છાયા પડે તેવું નિર્માણ થયું’ આમાં તથ્ય કેટલું? સહજાનંદજી કોલેરાની બીમારીથી 1 જૂન 1830ના રોજ મૃત્યુ પામ્યા. તેના 77 વર્ષમાં જ 5 જૂન 1907ના રોજ મૂળ વડતાળ સંપ્રદાયમાંથી વિમુખ બની BAPS-બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા જુદી પડી. મતલબ કે પોતાના સંપ્રદાયમાં જ ઝઘડાઓ થયા ! ખુદ સત્સંગીઓ જ ઝઘડ્યા ! સહજાનંદજીની અસર બિનસત્સંગીઓ પર પડી, તેમ કહી શકાય? 

[7] સહજાનંદજી વિશે કિશોરલાલ મશરૂવાળાના વાક્યો ઘણા લોકો વિચાર્યા વિના વાપરે છે. શરુઆતમાં કિશોરલાલ સ્વામિનારાયણ ભક્ત હતા. કપાળે તિલક-ચાંદલો કરતા. પરંતુ પાછળથી તિલક-ચાંદલાનો ત્યાગ કર્યો હતો. કિશોરલાલ મશરૂવાળાએ ‘સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય’ નામનું પુસ્તક 1922માં લખ્યું હતું અને નવજીવન ટ્રસ્ટે છાપ્યું હતું. આ પુસ્તકના પેજ-111માં કિશોરલાલ લખે છે :”સ્વામિનારાયણ સંપ્રદાયની એક પણ પ્રસિદ્ધ વ્યક્તિ કોઈ કોઈનો અવતાર નથી મનાઈ એમ ભાગ્યે જ બન્યું છે ! એ કલ્પનાઓ જેને પ્રથમ સ્ફુરી હશે એની એમાં પ્રામાણિક શ્રદ્ધાયે હશે, પણ તેથી એનું કાલ્પનિક રૂપ ઓછું થતું નથી. મને પોતાને તો લાગે છે કે એવો પૌરાણિક કથાઓનો આધાર હોય તો જ સહજાનંદ સ્વામી પ્રત્યેની ભક્તિ અચળ રહે અથવા વધે એ સ્થિતિ ઇષ્ટ નથી. જો એમનું સીધું જીવનચરિત્ર એમને લોકોત્તર ન દાખવી શકે તો આવી કથાઓને આધારે એમને અલૌકિક દેખાડવાની મને ઈચ્છા નથી.” આ પુસ્તક લખ્યા પછી, 47 વર્ષ બાદ 1969માં કિશોરલાલે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તક લખ્યું. આ પુસ્તક પણ નવજીવન ટ્રસ્ટે પ્રકાશિત કરેલ છે. આ 47 વરસમાં (જો કે કિશોરલાલે 11 ઓગસ્ટ 1947ના રોજ, આ કહ્યું હતું એટલે કે 25 વરસ પછી) કિશોરલાલ મશરૂવાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું છળકપટ / પાખંડ બરાબર સમજી ગયા હતા; એટલે તેમણે લખ્યું : “કોઈ મનુષ્યને પરમેશ્વર કે પેગંબરની કોટિમાં મૂકવો નહીં. કોઈને અસ્ખલનશીલ, જેના વિચાર કે વર્તનમાં ભૂલ હોઈ જ ન શકે એવો માનવો નહીં. અને તેથી તેનું એકેએક ચરિત્ર શુદ્ધ, દિવ્ય, શ્રવણ-કીર્તન યોગ્ય જ છે એમ સમજવું નહીં. સામાન્ય જગતના હિતમાં જે કમમાં કમ સદાચારના નિયમો માન્ય હોય, તેને ભંગ કરવાનો અધિકાર કોઈને ન હોય. તે વ્યક્તિની વિશેષ પવિત્રતાના સબબસર તો ન જ હોય. અશુદ્ધ વૃત્તિના મનુષ્યો સદાચારના નિયમોનો ભંગ કરે એમાં નવાઈ નથી. એ માટે સમાજ પોતપોતાની રીતે એનો નિષેધ કરવાનો અને તેને શિક્ષા પણ કરવાનો. શુદ્ધ વૃત્તિના મનુષ્યો તે નિયમોનું વધારે ચીવટથી પાલન કરે. તેમાંથી નીકળવાની ઈચ્છા ન કરે. માટે મહાત્મા પુરુષોએ સમાજહિતવિરોધી આચારો કર્યા હોય તો તેને છાવરવાનો પ્રયત્ન ન કરવો; તે એમની ઉણપો જ હતી એમ સ્પષ્ટ કહેવું. તેથી એવાં ચરિત્રોની પ્રશંસાનાં કીર્તનપદ-ભજન વગેરે ન કરવાં. એવાં રૂપકો પણ ન યોજવાં.” શું સ્વામિનારાયણના હરિભક્તો / સત્સંગીઓ આમાંથી કોઈ બોધ લેશે? કિશોરલાલ મશરૂવાળાને જે મોહભંગ થયો હતો હતો, તે સત્ય શા માટે છૂપાવવામાં આવે છે? શું યશવંત શુક્લે સ્વામિનારાયણનું પરચા સાહિત્ય વાંચ્યું હશે? શું તેમણે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તક વાંચ્યું હશે? સાહિત્યકારોમાં પણ ક્લેરિટીનો અભાવ કેમ રહેતો હશે?

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કર્મવીર ગાંધી

નારાયણભાઈ દેસાઈ|Gandhiana|26 March 2025

નારાયણ દેસાઈ

ભારતીય ઇતિહાસમાં ભગવાન કૃષ્ણ પછી કદાચ ગાંધીજી જ અત્યંત નાટ્યાત્મક કર્મશીલ માનવી હતા. વિશ્વના ત્રણ ખંડોમાં એ પોતાની જાત પર સત્યના પ્રયોગોની અજમાયશ કરવામાં કાર્યરત રહ્યા. બીજી તરફ એ તે વેળા વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય, જ્યાં ‘સૂર્ય કદી આથમતો નહિ’, એની સાથે અવિરત લડત કરતા રહ્યા. ‘યંગ ઇન્ડિયા’ યા ‘હરિજન’નો કોઈપણ અંક લો, એમાં એમણે લખેલા પત્રો પૈકી કોઈપણ એક પત્ર વાંચો; તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સંખ્યાબંધ ક્ષેત્રો સાથે એ સંકળાયેલા હતા તેમ જ એમના જીવનમાં આવેલી કોઈપણ ક્ષણે કેટલી બધી સમસ્યાઓનો ઉકેલ એ કરતા રહેતા હતા. આ વ્યસ્તતા ક્ષણિક યા ટૂંકજીવી નહોતી. દિવસ ઊગે ત્યારથી તે આથમે ત્યાં સુધીમાં એ કેટલા કલાકો કાર્ય પાછળ ખર્ચતા એ ઘણું આશ્ચર્યજનક હતું. સાડાપાંચ દાયકાથી ય વધુ સમય સુધી એ ચાલ્યું.

લંડનમાં એ વિદ્યાર્થી હતા ત્યારથી જ એમનામાં સખત મહેનત કરવાની ટેવ જોઈ શકાતી હતી. એના નિયમિત અભ્યાસ ઉપરાંત ત્યાં એમણે ધર્મોના પ્રાથમિક અભ્યાસની શરૂઆત કરી હતી. હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને બૌદ્ધ ધર્મના અભ્યાસની શરૂઆત એ જ્યારે લંડનમાં હતા ત્યારે કરી; તો શાકાહાર અને આહારશાસ્ત્રમાં એમના રસનાં મૂળ પણ એ જ સમયમાં જોવા મળે છે. પોષક આહાર માટેની એમની આવશ્યકતા પૂર્ણ થાય એવી અનુકૂળ જગ્યાઓની શોધમાં એમને સંતોષ થયો નહોતો. કેવળ સંયોગવશાત્ એમના હાથમાં વનસ્પત્યાહાર વિશેની ચોપડી આવી. પુસ્તકમાંથી જે જે વાત ગમતી હોય એ દરેક વાત અમલમાં મૂકવાની એમની આદતે એમને શાકાહારીપણામાં ઊંડા ઊતરવા પ્રેર્યા. પોતાની માતાની આગળ લીધેલા શપથને લઈને જે ભોજનશૈલી પોતે અપનાવી હતી એની પાછળ ફિલસૂફી હતી એવું શોધતાં એમને સુખનો અનુભવ થયો હોઈ એમણે આ વિષયનો સળંગ અભ્યાસ કર્યો. એમની નવી શોધની ધગશને લઈને એમને ખભે ત્યાંની વનસ્પત્યાહારી મંડળીના મંત્રીપદની જવાબદારી આવી પડી, જ્યારે અગાઉ એમને જાહેરમાં બોલવાનો મહાવરો સુદ્ધાં નહોતો. લંડન છોડ્યા પછી પણ એમનો એ રસ જળવાઈ રહ્યો. દક્ષિણ આફ્રિકાથી પણ તેઓ સામયિક ‘વેજિટેરિયન’માં નિયમિત લેખો મોકલતા રહ્યા અને અમુક સમય સુધી એ વૃત્તપત્રના સંપાદનનો કાર્યભાર સુદ્ધાં એમણે સંભાળ્યો. એ પણ યાદ રાખવું રહ્યું કે એમની અભ્યાસની વ્યસ્તતા છતાં જ્યારે તેઓ લંડનમાં હતા ત્યારે પ્રતિદિન સરેરાશ દસેક માઈલ (સોળેક કિલોમિટર) ચાલવાની ટેવ એમણે જાળવી રાખી હતી.

દક્ષિણ આફ્રિકામાં તેઓ ઝાઝો સમય નિષ્ક્રિય રહી શક્યા નહિ. લગભગ ત્યાં આવતાંની સાથે જ એમનો ધર્મોનો અભ્યાસ શરૂ થયો. દક્ષિણ આફ્રિકામાં હિન્દી સમુદાયનું કામ ઉપાડી લીધા પછી એમણે સક્રિય જીવનમાંથી પાછું વાળીને જોયું નથી. એ દિવસોથી શરૂ કરીને એમના જીવન પર્યન્ત પંચાવન કરતાં વધુ વર્ષોનો એકેએક દિવસ અત્યંત વ્યસ્ત રહ્યો.

પરંતુ ગાંધી સક્રિય માણસ હતા. એટલે એ ઘણા વ્યસ્ત હતા એવો જ કેવળ અર્થ નથી. આપણે સમજવાનું એ, કે પગલું ભરવાની યા વિચાર કે માન્યતાઓને અમલમાં મૂકવાની વાતને અન્ય કંઈ પણ કરતાં પ્રાધાન્ય આપવું, તે એમના જીવનનું ચાલકબળ હતું. ‘ગીતા’ની રહસ્યોકિત અનુસાર એ પૂરેપૂરા કર્મયોગી હતા. એ એમના ભગવાન સાથે, એટલે કે કાર્ય દ્વારા સત્ય સાથે સુસંગત રહેવા પ્રયત્નશીલ રહ્યા. એમની સત્યની વ્યાખ્યા વિચાર, વાણી અને આચરણમાં સંવાદિતાની હતી એટલે એમને પોતાનાં વિચાર અને વાણીને કાર્યમાં મૂક્યા વિના જંપ વળતો નહોતો.

એવું જણાતું હતું કે જાણે ગાંધીએ વૈદિક પ્રાર્થનાઓમાં એક પંક્તિનું ઉમેરણ કર્યું હતું :

‘असतो मा सद्गमय। (અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા.) तमसो मा ज्योतिर्गमय। (ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા.)

 मृत्योर्मा अमृतं गमय।’ (મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.’) 

ઉપલી ઉક્તિઓમાં નવું ઉમેરણ કંઈક આવું હતું : ‘અકર્માલસેથી કરમ સમીપે નાથ લઈ જા.’ – કાર્ય પરત્વે આળસમાંથી મને ઉદ્યમ તરફ લઈ જા.

દક્ષિણ આફ્રિકામાં હિંદુસ્તાની સમુદાય દ્વારા અંગ્રેજોના રંગદ્વેષને કશા વિરોધ વિના સ્વીકારી લીધો હોવાનું એમણે જાણ્યું. એની વિરુદ્ધ થવાનું એમણે પ્રથમ પોતાનાથી શરૂઆત કરી ને એ રીતે સમગ્ર સમુદાયને એ માટે કાર્યરત કર્યો. જ્યારે એ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એમણે જોયું કે કૉન્ગ્રેસી નેતાઓ કાઁગ્રેસ-પરિસરને સ્વચ્છ રાખવા પરત્વે પ્રમાદી હતા. આથી એમણે પોતાના હાથમાં સાવરણો પકડયો અને કચરો સાફ કરવાનું સ્વયં શરૂ કરી દીધું. 

1909માં જ્યારે તેઓ ઇંગ્લૅન્ડની મુલાકાતે ગયા ત્યારે હિન્દુસ્તાનની આઝાદીની સૈદ્ધાંતિક ચર્ચા કરતા દેશબંધુઓને મળ્યા. ગાંધીએ દક્ષિણ આફ્રિકાની વળતી મુસાફરીમાં ‘હિન્દ સ્વરાજ યા ઇન્ડિયા હોમરૂલ’નો સરસ ગ્રંથ લખ્યો, જેના અંતમાં પોતાનું ‘હિન્દ સ્વરાજ’નું સમણું પૂરું કરવા માટે બાકીનું જીવન ખરચવાના શપથ લીધા, જે એમણે ખરેખર સિદ્ધ પણ કર્યા. જ્યારે ગાંધી કવિવર ટાગોરને પ્રથમવાર શાંતિનિકેતનમાં મળ્યા, ત્યારે એમણે જોયું કે શાંતિનિકેતન આશ્રમનું રસોડું પૂરેપૂરું નોકરો દ્વારા ચલાવાતું હતું. ગાંધી પોતાના ‘ફાર્મ’ના છોકરાઓની મદદથી પોતે રસોડું ચલાવવા પરવાનગી મેળવી. જ્યાં સુધી તેઓ ત્યાં રહ્યા તેમણે શાંતિનિકેતનને ‘શ્રમનિકેતન’માં ફેરવી નાખ્યું; ને શક્ય છે કે આમ કરીને તેમણે કવિવરને ગામડાંની સેવા સમર્પિત એવી ‘શ્રીનિકેતન’ સંસ્થા શરૂ કરવા પ્રેર્યા હોય. 

વીસમી સદીમાં બીજા દશકની ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસમાં એમણે જોયું કે ઉદારમતવાદીઓ (મવાળ) સામાજિક સુધારા લાવવા આતુર હતા, પરંતુ રાજકીય મોરચે પગલાં લેવા ખાસ ઉત્સુક ન હતા; જ્યારે ઉગ્રવાદીઓ (જહાળ) રાજકીય બદલાવ અંગે ઉત્સુક હતા તેટલા સામાજિક સુધારા પરત્વે નહોતા. આ બન્ને જૂથો પાસે પોતા કાર્યક્રમોના અમલ માટેની કોઈ પ્રવૃત્તિ નહોતી, સિવાય કે ઠરાવો પસાર કર્યા કરવા ને લેખો લખ્યા કરવા.

ગાંધીજીએ કૉન્ગ્રેસ પાસે અસહકાર અંગેનો પ્રસિદ્ધ ઠરાવ પસાર કરાવ્યો તે અગાઉ ચંપારણના ખેડૂતો તેમ જ અમદાવાદ મિલમજૂરો વચ્ચે સક્રિયતા દાખવી હતી. સામાજિક સુધારણા લેખે જોઈએ તો એમણે પોતાના આશ્રમમાં એક ‘અસ્પૃશ્ય’ પરિવારને સાથે રહેવા નિમંત્રીને, એમની દીકરીને પોતાની તરીકે સ્વીકારીને દત્તક લીધી હતી. આથી આશ્રમમાં અને એ જ રીતે શહેરમાં ય હલચલ મચી ગયેલી. ગાંધી પ્રેરણા દ્વારા કૉન્ગ્રેસ એના પાંત્રીસ વર્ષોના અસ્તિત્વ પછી સાચા અર્થ સક્રિય બની. 

એમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કૉલેજોના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો, વકીલો અને અન્ય વ્યાવસાયિકો તેમ જ સંસદના કામકાજમાં પ્રવીણ વ્યક્તિઓ, સૌ કર્મશીલતાના જુસ્સા સાથે થનગની ઊઠ્યા. ભારતીય ઇતિહાસમાં પ્રથમ વાર, ભણેલો નાગરિક પોતાની સ્વતંત્રતા ખાતર કે હુકમ દ્વારા થતી ધરપકડ વહોરી લેવામાં ગર્વ અનુભવતો થયો. ગાંધીજીનાં કાર્યોએ શહેરી બૌદ્ધિકોને રચનાત્મક કાર્યો કરવા દૂરદૂરનાં ગામોમાં પણ સેવા અર્થે વાળ્યા. એના પરિણામે ભારતીય મહિલાઓ ચૂલા-ચોકામાંથી બહાર આવીને પુરુષો સાથે ખભેખભો મેળવીને કામ કરતી થઈ. ગાંધીજીએ પૂરા દેશને કર્મશીલતાથી ધબકતો કરી દીધો.

એમણે કાંત્યું અને એમણે વણ્યું, એમણે ટાંકા-ટેભા લીધા ને એમણે સીવ્યું. એમણે ખેતરમાં કામ કર્યું અને જાજરૂ સાફ કર્યાં. એમણે પ્લેગના દર્દીઓની અને રક્તપિત્તિયાની શુશ્રૂષા કરી. એમણે રેલના અસરગ્રસ્તો વચ્ચે અને ભૂકંપને લીધે ઘરવિહોણાં થઈ ગયેલાં લોકો વચ્ચે જઈને કાર્ય કર્યું. તેઓ રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા અને ‘સૌથી નીચાં અને ભૂલાયેલાં’ વચ્ચે જઈને રહેતા. ધર્મ-ઝનૂનથી દેશમાં જ્યારે ઠેરઠેર આગજની થઈ ત્યારે દંગાપીડિત પરિવારો વચ્ચે એ નોઆખલીનાં ગામેગામ ઉઘાડા પગે ચાલતા ગયા. એમના મૌનનો સમય સુદ્ધાં એમના અંતરાત્માનો અવાજ સાંભળવાના પ્રસંગો બની રહેતો. એમના ઉપવાસના દિવસોમાં ય તેઓ સક્રિય રહ્યા હતા.

ગાંધીજીની આ કર્મઠતા પાછળનું રહસ્ય શું હતું?

એમણે બચપણથી એમને જે કંઈ સારું લાગતું તેને અમલમાં મૂકવાની ટેવ કેળવી હતી. એ કારણથી એમના બધા જ શુભ વિચારો કાર્યમાં રૂપાંતરિત થયા. એમની જેમ આપણામાંથી કેટલા પોતાના વિચાર, વાણી ને કર્મ વચ્ચે સેતુ રચી શકે છે?

જીવનને એમણે અંગત અને સામાજિક એમ બે ખાનાંમાં વિભાજિત પણ કર્યું નહોતું. એથી એમના જીવનની પ્રત્યેક ક્ષણ જીવંત થઈ ઊઠી હતી. ઉપદેશ કરતાં અમલ બહેતર છે એવી તેઓની માત્ર માન્યતા જ નહોતી, પરંતુ તેઓ જેમાં માનતા એ જ અમલમાં મૂકતા.

એમના કર્મ પાછળનું અન્ય રહસ્ય એ હતું કે સમયની પ્રત્યેક ક્ષણને એ એક સરખી મહત્ત્વની હોવાનું માનતા. આથી આ સમજને કારણે એમણે પ્રત્યેક ક્ષણે કાર્ય કર્યા કર્યું. આથી એમને થોડીક ક્ષણો પણ આળસમાં વેડફી દેવાનું પરવડતું નહિ. જ્યારે એક વ્યક્તિ પોતાના જીવનને પ્રભુએ બક્ષેલું ન્યાસ (ટ્રસ્ટ) છે એમ માનતી હોય ત્યારે તે જીવનને વેડફી શકે જ નહિ.

એમને માટે ક્રાન્તિની શરૂઆત ઘરથી થતી હતી. એથી તેઓ કર્મની પહેલ બીજાઓ કરે એની રાહ જોતા નહિ. કાયમ એમના ચિત્તમાં એક વિચારનો પિંડ બંધાયો કે તરત એને અમલમાં મૂકવાનું એમણે શરૂ કર્યું. એમના તમામ વિચારો આખરે સત્ય તરફ જતા હોઈ સત્યના પ્રયોગો સાથે એમની જિન્દગી ઘડાઈ.

એમના માટે કાર્યપરિધિ ‘સ્વ’માંથી આગળ વધી, ‘વિસ્તીર્ણ પરિધિઓ’ સુધી વ્યાપીને છેવટે ‘ક્ષિતિજે’ જઈ વિરમતી હતી.

ગાંધી પોતાને ‘વ્યવહારુ આદર્શવાદી’ કહેતા. એના કારણે એમના પ્રત્યેક સિદ્ધાંતને કાર્યરૂપ આપવાની એમને ફરજ પડી. એમના મતે આદર્શ એટલે એવી ચીજ જે મળવાપાત્ર ખરી પણ કદી મળે નહિ; કંઈક એવી વસ્તુ જેને પામવા માટે માણસ હંમેશાં પ્રયત્ન કરી શકે. પરંતુ એ પ્રયત્ન પોતાનાથી શરૂ કરવાનો હતો. આથી એમનાં તમામ સૈદ્ધાન્તિક પગલાં વ્યવહારુ બન્યાં.

સામા છેડે જવામાં પણ એમને છોછ નહોતો. એમના જીવનના કોઈ પણ વળાંકે એમણે પારોઠનાં પગલાં ભર્યાં નહિ, કેમ કે એમનું દરેક પગલું પૂરેપૂરું અલગ હતું; કેટલીક વેળા તો એમના આગલા પગલાંની વિરુદ્ધનું સુદ્ધાં હતું.

ગાંધીના ‘આધ્યાત્મિક વારસદાર’ તરીકે વારંવાર ઉલ્લેખાયા છે તે વિનોબા ભાવે ન તો પોતે કોઈને ‘ગુરુ’ તરીકે સ્વીકારવામાં માનતા, ન તો પોતે કોઈના ગુરુપદે ગોઠવાવાની અપેક્ષા સેવતા. પરંતુ એમણે પોતાના જીવનમાં આભારસહ ત્રણ વ્યક્તિઓનો ઋણસ્વીકાર કર્યો છે : આદિ શંકરાચાર્ય, સંત જ્ઞાનેશ્વર અને ગાંધી. તેમણે ખાસ નોંધ્યું છે કે શંકરાચાર્ય પાસેથી એમને જ્ઞાન લાધ્યું, જ્ઞાનેશ્વર પાસેથી ભક્તિ પ્રાપ્ત થઈ અને ગાંધીજી પાસેથી કર્મ મેળવ્યું. વિનોબા એ પણ સ્વીકારે છે કે તેઓ શંકરાચાર્ય અને જ્ઞાનેશ્વર કરતાં ગાંધી પાસેથી ઘણું શીખવા પામ્યા, કારણ કે પ્રથમ બન્ને અંગે તો તેઓ કેવળ વાંચીને તથા ચિંતનમનન કરીને શીખ્યા, જ્યારે ગાંધીનું જીવન તો એમની સમક્ષ પ્રત્યક્ષ પ્રમાણ હતું.

‘ગીતા’માંથી ગાંધીએ તારવેલો વિશેષ સંદેશો ‘અનાસક્તિયોગ’ યા નિઃસ્વાર્થ કર્મનો હતો. જ્યારથી ગાંધીને ગીતાના અનાસક્તિબોધ યા કોઈપણ ચીજના અંગત રીતે માલિક નહિ થવા કે સંલગ્ન નહિ રહેવાના કેન્દ્રવર્તી વિચારની પ્રતીતિ થઈ, ત્યારથી એ હંમેશાં એવી જિંદગી જીવવા પ્રયત્નશીલ રહ્યા.

નિઃસ્વાર્થકર્મના વિચારને લીધે ગાંધીને એમની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ થયો. ઘણીવાર, એમને પ્રકાશનું કિરણ પણ લાધ્યું ન હોય, જાણે તેઓ અંધારામાં ફાંફાં ન મારતા હોય ! તો પણ એકે વખત એમણે શ્રદ્ધા ગુમાવી નહિ. એમની યાત્રાના અંતભાગે જ્યારે એમણે પોતાની નજર સમક્ષ પોતાનાં જીવનપર્યન્ત સેવેલાં સમણાં ચૂરચૂર થઈ જતાં જોયાં ત્યારે ય નહિ. એમની એ શ્રદ્ધાએ જ એમને સાંગોપાંગ ટકાવ્યા. પોતાના સર્જનહાર પર હતી એ જ શ્રદ્ધાએ એમને આત્મશ્રદ્ધા પઢ આપી, કેમ કે આખરે એમની પોતાની દૃષ્ટિએ તેઓ શું હતા? પોતે સમુદ્રમાં કેવળ એક બિન્દુસમાન હતા. પરંતુ એ બિન્દુમાં સમુદ્રની તમામ ગુણવત્તા સમાઈ હતી!

[‘મારા ગાંધી’]
24-25-26 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 264-265-266.

Loading

તરુણોના સોશિયલ મીડિયા ઉપયોગ પર બંધીનાં વખાણ અને વિરોધ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 March 2025

ચંદુ મહેરિયા

તાજેતરની ગુજરાતના અરવલ્લી જિલ્લાની છાપે ચઢેલી એક સત્ય ઘટના. પાંચમીમાં ભણતી દસ વરસની બાળકી ઈન્સ્ટાગ્રામને કારણે સોળ વરસના કિશોરના પરિચયમાં આવી. પરિચય વધતાં એક દિવસ બાળા ભાગીને કિશોર પાસે પહોંચી ગઈ. છત્રીસ કલાકના સહવાસ દરમિયાન બંનેએ લગ્ન પણ કરી લીધા અને પતિ-પત્નીની જેમ શરીર સંબંધ પણ બાંધ્યો. સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાની તરુણો પરની ભયાનક અસરનો આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. અને એટલે જ દુનિયામાં ટીનેજર્સના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધની માંગ બળવત્તર બની છે. કેટલાક દેશોએ તો તેનો અમલ પણ શરૂ કર્યો છે.

અમેરિકી સેનેટ સમક્ષની સુનાવણીમાં મેટાના સી.ઈ.ઓ. માર્ક ઝુકરબર્ગે વાલીઓની માફી માંગતા કહ્યું હતું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે ઘણા બાળકો-કિશોરો અને તેમનાં માબાપોને વેઠવું પડ્યું છે. તેમને મોટું નુકસાન થયું છે. આ ખરેખર ન થવું જોઈએ. 

૨૦૨૪નો ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ થયેલો શબ્દ બ્રેન રોટ (Brain rot) છે. મગજનો સડો  જેવો શાબ્દિક અર્થ ધરાવતો આ શબ્દ સોશિયલ મીડિયાના અત્યાધિક ઉપયોગ અને તેને લીધે ત્યાં જોવા મળતી નકામી કે અર્થહીન સામગ્રીની મગજ પર થતી ખરાબ અસરને  વ્યક્ત કરે છે, તેમ જ તે અંગેની વૈશ્વિક ચિંતાને પ્રતિબિંબિત કરે છે. 

ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો દેશ છે જેણે બા-કાયદા સોળ વરસથી ઓછી વયનાં બાળકો-કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર બંધી ફરમાવી છે. ઓસ્ટ્રેલિયન સેનેટમાં ૩૪ વિરુદ્ધ ૧૯ મતે પસાર થયેલ સોશિયલ મીડિયા સેફ્ટી અમેન્ડમેન્ટ બિલ કે સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલની જોગવાઈ મુજબ, સોળ વરસ કે તેથી ઓછી વયનાં બાળકો-તરુણોનો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ, સ્નેપચેટ, અને ટિકટોકનો ઉપયોગ ગુનો ગણાશે. જો કે ટીનેજર્સ કે તેનાં માતા-પિતાને બદલે કાયદામાં કંપનીઓને દોષિત ઠેરવવવામાં આવી છે અને આકરો દંડ નક્કી કર્યો છે. 

વધુ સ્ક્રીન ટાઈમ આરોગ્ય માટે હાનિકારક હોઈ, સિંગાપોર સરકારે હેલ્થ પ્લાનનું આયોજન કરવું પડ્યું છે. નોર્વે સરકાર અલ્ગોરિધમની પ્રચંડ તાકાત સામે બાળકોને સલામતીનું કવચ પૂરું પાડવા તેર વરસ કરતાં વધુ વય સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ઠરાવવાની છે. ફ્રાન્સ ગવર્નમેન્ટ પંદર વરસથી ઓછી વયનાં બાળકો માટે માબાપની સંમતિ જરૂરી કરવાની છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં પ્રતિબંધ અમલી છે. સ્પેનમાં તો ત્રણ વરસ સુધીનાં બાળકોના સ્માર્ટફોન વપરાશ પર પૂર્ણ અને ત્રણથી છ વરસ માટે અંશત: પ્રતિબંધ છે. 

ભારતમાં હાલમાં પ્રતિબંધની બાબત વિચારણામાં ન હોવાનું આઈ.ટી. મંત્રાલયના સચિવે કહ્યું છે. પરંતુ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટ ૨૦૨૩ના નિયમોના મુસદ્દામાં અઢાર વરસથી નાની વયનાં કિશોરોના સોશિયલ મીડિયાના ઉપયોગ માટે માબાપની સંમતિ અનિવાર્ય બનાવી છે. ગુજરાતમાં સરકાર માર્ગદર્શિકા તૈયાર કરવાની છે. 

સ્માર્ટ ફોનનો વપરાશ અને સોશિયલ મીડિયાનો વ્યાપ ઘણો મોટો અને સાર્વત્રિક છે. તેના લાભાલાભ પણ છે. એટલે બાળકો તથા કિશોરોના ઉપયોગ પર કેટલાક દેશોએ પ્રતિબંધ લાદ્યો તો કેટલાકે નિયંત્રણો મૂક્યા તે પગલાંની સરાહના ખૂબ થઈ છે. કંપનીઓ સિવાયનો એક વર્ગ તેનો તાર્કિક વિરોધ પણ કરે છે. 

અભ્યાસો દર્શાવે છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે માનસિક અને શારીરિક આરોગ્ય સંબંધી સમસ્યાઓ જન્મે છે. વળી ટીનેજર્સમાં તો તેનું પ્રમાણ વધુ છે. સોશિયલ મીડિયાનું વળગણ તેમને સ્માર્ટ ફોનના વ્યસની બનાવી દે છે. ચીડિયાપણું, મેદસ્વિતા, એકાગ્રતાનો અભાવ, ઓછી ઊંઘ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. કરોડરજ્જુ અને આંખોની મુશ્કેલી જોવા મળે છે. અભ્યાસ અને વાચન પ્રત્યે દુર્લક્ષ સેવે છે. વ્યાયામથી દૂર થાય છે. સામાજિક સંબંધો પર અસર પડે છે. માતાપિતા સાથેનો સંવાદ ઘટ્યો છે. અશ્લીલ સામગ્રી સરળ રીતે હાથવગી થતાં તરુણો પર નકારાત્મક અસર ઊભી થાય છે. બાળકો શાંત અને સિંગલ માઈન્ડેડ બની જાય છે. અધિક ઉપયોગ અને અધિક નિર્ભરતા સંવાદની ક્ષમતા ઘટાડે છે. તરુણોમાં જોવા મળતા ચિંતા અને તણાવ સોશિયલ મીડિયાના અત્યાધિક ઉપયોગને લીધે છે. આ તમામ બાબતોના નિવારણ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર કડક નિયંત્રણો કે પ્રતિબંધ એક જ વિકલ્પ લાગે છે. આ પ્રકારના વિચારો ધરાવતા લોકો (જે બહુમતીમાં છે) બંધીને વાજબી ઠરાવી તેના વખાણ કરે છે. 

સોશિયલ મીડિયા પર બંધીના કાયદા અને નિયંત્રણો માટેના નિયમોનો સૌથી ઉગ્ર અને મુખર વિરોધ કંપનીઓએ કર્યો છે. એલન મસ્કના મતે આ બંધી નાગરિકોને માહિતી સુધી પહોંચતા અટકાવવાનો પ્રયાસ છે. કંપનીઓને સજા કે દંડ પણ તેમને અસ્વીકાર્ય છે. એ ખરું કે હાલના કાયદા અને નિયંત્રણો ઘણાં મર્યાદિત છે અને તે બૂરી અસરને ખાળવાનો પ્રયાસ છે. તે કિશોરોને ઈન્ટરનેટ કે માહિતી સુધી પહોંચતા પૂર્ણપણે અટકાવતો નથી. સોશિયલ મીડિયા વિચારોના આદાનપ્રદાનનું મૂલ્યવાન સાધન છે. જેમનો અવાજ કથિત મુખ્યધારામાં ગૌણ છે તે સબળ રીતે આ માધ્યમનો ઉપયોગ કરી શકે છે અને કરે પણ છે. અમેરિકામાં આફ્રો-અમેરિકન યુવકની હત્યાની ઘટના કે અરબવસંતમાં તેણે જાગ્રતિ માટે મોટો રોલ ભજવ્યો હતો. સોશિયલ મીડિયા અફવા ફેલાવે છે, દુ:શ્મની વધારે છે તો તે બૌદ્ધિક દુનિયાનું નિર્માણ પણ કરી શકે છે. વંચિતો, દુભાયેલા લોકો અને અન્યના સંઘર્ષોમાં તે ધારદાર હથિયાર બની શકે છે. લોકજાગ્રતિ કે આંદોલન માટે તેમ ધંધા રોજગાર માટે પણ તે કામનું છે. કિશોરોના સ્ક્રીન ટાઈમને ઘટાડીને કે તેમને જાગ્રત કરીને આ કામ થઈ શકે છે. પ્રતિબંધ યોગ્ય ઉકેલ નથી એમ માનનારો એક વર્ગ છે. 

ટીનેજર્સને સોશિયલ મિડીયાની નકારાત્મક અસરોથી બચાવવા માટે મોટેરાંઓએ પહેલ કરવી પડશે. એક અંદાજ મુજબ મોટેરાં સરેરાશ પાંચ કલાક અને તે પણ મોટેભાગે બાળકોની હાજરીમાં સોશિયલ મીડિયા પર ગાળે તો તેની અસર બાળકો પર થવાની જ છે. એટલે બાળકો પર બંધી મૂકતા પહેલાં મોટેરાં સ્વયં નિયંત્રણ કરે તે જરૂરી છે. એક સર્વે પ્રમાણે ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ સરેરાશ ૨.૪ કલાક સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે. દુનિયામાં સૌથી વધુ દૈનિક સરેરાશ ચાર કલાક ફિલિપાઈન્સના લોકો ખર્ચે છે, પરંતુ જાપાનીઓ માત્ર પોણો કલાક જ ખર્ચે છે. તેના પરથી જાપાન કેમ દુનિયાનો અગ્રણી દેશ છે તે સમજાવું જોઈએ. 

કોરોનાએ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના આપણને આદિ બનાવી દીધા છે. ઓનલાઈન શિક્ષણે બાળકો અને કિશોરોને પણ તેનો વધુ ઉપયોગ કરતા કર્યાં  અને હવે તેના વ્યસની થઈ ગયાં છે. આજકાલ પુસ્તકોનું સ્થાન સ્માર્ટફોને, કાગળનું સ્થાન સ્ક્રીને અને પેનનું સ્થાન કી બોર્ડે લઈ લીધું છે. એટલે તેના વળગણથી પૂર્ણ છૂટકારો તો શક્ય લાગતો નથી, પરંતુ વિવેકસરનો ઉપયોગ તેની માઠી અસરો જરૂર ઓછી કરી શકે છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...206207208209...220230240...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved