Opinion Magazine
Number of visits: 9573596
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇરાની વૈજ્ઞાનિકની હત્યાનું રાજકારણ કોઇ પેચીદી નવલકથા જેટલું ભેદી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 December 2020

આ હત્યા પાછળ યુ.એસ.એ.નો કાંકરી ચાળો છે કે પછી ઇઝરાયલે કંઇ કર્યું છે, એ હજી સ્પષ્ટ નથી પણ બન્ને થિયરીઝ જાણવા જેવી તો ખરી

વાઇરસ, ખેડૂતોની સમસ્યા અને કંગનાના બેસૂરા ખણકાટ વચ્ચે, એક નામ પડઘાઇને શાંત પડે છે અને ફરી ક્યાંકથી તેની ચર્ચા ઊઠે છે. એ નામ છે મોહસિન ફખરીઝાહેદ. ઇરાનના આ ન્યુક્લિયર સાયન્ટિસ્ટની ધોળે દહાડે હત્યા થઇ છે. ઇરાની પ્રસાર માધ્યમોએ તેમને વૈજ્ઞાનિક અને સંશોધન ગણાવ્યા જે કોરોનાવાઇરસની ઘરેલુ ટેસ્ટ બનાવવામાં બિઝી હતા. પણ મોહસિનની હત્યા થઇ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો હિસ્સો છે. તેની પૃષ્ઠભૂમિ, તેના તાણાવાણા બધું જ કોઇ જાસૂસી નવલકથાની કાચી સામગ્રી સમું છે. ગયા શુક્રવારે [27 નવેમ્બર 2020] આ હત્યા થઇ અને પશ્ચિમ એશિયામાં નવી આફતના એંધાણ પણ આ હત્યાથી જ સળવળ્યા. આ હત્યા પાછળ યુ.એસ.એ.નો કાંકરી ચાળો છે કે પછી ઇઝરાયલે કંઇ કર્યું છે એ હજી સ્પષ્ટ નથી પણ બંન્ને થિયરીઝ જાણવા જેવી તો છે જ.

મોહસિન ફખરીઝાહેદ ઇરાનના સૌથી વરિષ્ઠ ગણાતા ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા અને ઇરાનની રિસર્ચ એન્ડ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન ઑફ ધી મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સના વડા હતા. હાઇ-ફાઇ રિસોર્ટમાં, ગોળીઓથી તેમનું શરીર ચારણી કરી દેવાયું અને આ થયું ત્યારે તે બૉડી ગાર્ડ્ઝથી ઘેરાયેલા હતા. આ હત્યાની જવાબદારી આ લખાઇ રહ્યું છે ત્યા સુધી કોઇએ લીધી નથી. કદાચ કોઇ તે સ્વીકારશે પણ નહીં. પણ ઇઝરાયલના એક અધિકારીએ પોતાની ઓળખ છતી ન થાય તે રીતે ટિપ્પણી કરી કે દુનિયાએ આ રાજકીય હત્યા બદલ કૃતજ્ઞતા અનુભવવી જોઇએ. આ ટિપ્પણી સ્પષ્ટ ઇશારો કરે છે કે આ હત્યામાં ઇઝરાયલનો હાથ હોઇ શકે.

આ હત્યામાં ઇઝરાયલનો હાથ હોવાની વાત ટાળવી મુશ્કેલ છે કારણ કે ૨૦૧૮માં ઇઝરાયલના વડા પ્રધાન નેત્યાન્હૂએ ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામમાં ફખરીઝાહેદની ભૂમિકાની નોંધ લેવાવી જોઇએ તેમ કહ્યું હતું. ઇરાનના અધિકારીઓ આ હુમલો રિમોટ કન્ટ્રોલ સંચાલિત મશીન ગનથી થયો છે એવું કંઇ પણ કહી રહ્યા છે. મૂળ પોતાના વૈજ્ઞાનિકની હત્યાથી તેઓ ખળભળી ઉઠ્યા છે અને અપમાનની લાગણીથી પિડાઇ રહ્યા છે. તેમણે આ હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી છે. પણ શું આ ઇરાનની પહેલી હાઇ પ્રોફાઇલ હત્યા છે? આ વર્ષે ઇરાનમાં ચાર હાઇ પ્રોફાઇલ હત્યાઓ થઇ છે, જેની શરૂઆત અમેરિકન ડ્રોને સુલેમાની પર કરેલા હુમલાથી થઇ હતી. વળી રિમોટ સંચાલિત મશીન ગનનો ઉપયોગ નથી જ થયો તેવું તદ્દન નકારી શકાય એમ પણ નથી. ઇઝરાયલ પાસે આવાં શસ્ત્રો છે. ઇરાનમાંથી જ આ હુમલા અંગે એકબીજાને વિરોધી હોય તેવા રિપોર્ટ્સ આવ્યા છે.

વૈજ્ઞાનિકોની હત્યા આ પહેલાં પણ થઇ છે. મનાય છે કે ઇઝરાયલે અત્યાર સુધીમાં ઇરાનના લગભગ પાંચ વૈજ્ઞાનિકોની હત્યા કરી છે. આ હત્યાઓ ૨૦૦૭થી ૨૦૧૨ની વચ્ચે થઇ છે અને તમામની પાછળ ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને પાટેથી ઊતારી દેવાનો જ આશય રહ્યો છે, કારણ કે ઇઝરાયલને તે પોતાના અસ્તિત્વ પર તોળાતી તલવાર સમું જોખમ લાગે છે. આ સંજોગોમાં ઇરાને તો હજી સુધી માત્ર એક જ જણની ધરપકડ કરી છે જેણે પોતે ઇઝરાયલમાં તાલીમ લીધી હોવાનું કબૂલ્યું હતું અને પછી ઇરાની વૈજ્ઞાનિકને મારવા તેની મોટરસાયકલમાં બોમ્બ ફિટ કર્યો હોવાની વાત પણ કબૂલી હતી.

આ તરફ યુ.એસ.એ.ને કેન્દ્રમાં રાખી સમીકરણ માણીએ તો ઇઝરાયલ અને સાઉદી અરેબિયાને જો બાઇડનની સત્તાને પગલે મિડલ ઇસ્ટના રાજકારણમાં જે ફેરફાર થશે તે અંગે તણાવ છે. ૨૦૧૫માં બરાક ઓબામાએ ઇરાન સાથે ન્યુક્લિયર કરાર કર્યા અને ટ્રમ્પે ૨૦૧૮માં એ રદ્દ કરી નાખ્યા. ટ્રમ્પ પોતે સત્તાને અલવિદા કહે તે પહેલાં ઇરાનને ખળભળાવવા માગે છે, તે ત્યાં પરિસ્થિતિ તંગ થાય અને સબંધો બગડે તેની લાલચ ધરાવે છે.

‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના એક રિપોર્ટ અનુસાર મોહસિન ફખરીઝાહેદની હત્યા ઇરાનને ન્યુક્લિયર શસ્ત્રને મામલે આગળ વધતા અટકાવનારું પગલું બની શકે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં યુ.એસ.એ. દ્વારા જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરાઇ હતી, જે ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ્ઝ કમાન્ડર હતા, સુલેમાનીનો જે પ્રભાવ હતો તે જોતાં તેમની હત્યા થવી એટલે કે જાણે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટની હત્યા થવી, એમ વિશેષજ્ઞોનું કહેવું હતું. ટ્રમ્પે તો એ હદે કહ્યું હતું કે આ હુમલો તેમના નિર્દેશને આધારે થયો હતો પણ યુ.એન.ના પ્રતિનિધિએ આ હુમલાને ગેરકાયદે ગણાવ્યો. ઇરાની અગ્રણીઓની હત્યાથી ટ્રમ્પને જરા ય ફરક નથી પડતો એવું તો એક યા બીજી રીતે છતું થયું જ છે. ઇઝાયલ ઇરાનના તંગ સંબંધો તો વાસ્તવિકતા છે જ પણ આ તરફ હજી બાઇડનને સત્તા પર આવવામાં દોઢેક મહિના જેટલો સમય છે. ઇરાની અર્થતંત્ર હજી પૂરતું સશક્ત નથી અને ટ્રમ્પ તો ‘યુદ્ધ ઉત્સાહી’ જીવ છે જ અને માટે જ ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ અને પેન્ટાગોન કોઇ પણ જોખમી પગલાં ન ઊઠાવે તેવી આશા ઘણાં સેવી રહ્યા છે. ટ્રમ્પ કેટલા ઝેરીલા છે, વેરની ભાવના ધરાવે છે અને તેમને બતાડી દઉં અને દેખાડી દઉં એટલું કેટકેટલું ય થાય છે એ તો જગજાહેર છે. ટ્રમ્પે ઇરાનના સૌથી મોટા શત્રુ સાઉદી અરેબિયાને ન્યુક્લિયર ટેક્નોલૉજી વેચી એ પણ ઇરાન સાથેના સબંધોને વધુ બગાડનારું જ પગલું હતું. ટ્રમ્પના રાજમાં એકેય લખ્ખણ એવા તો હતા જ નહીં કે ઇરાનને યુ.એસ.એ. પર જરાક સરખો ય વિશ્વાસ બેસે. ઇરાન પણ યુ.એસ.એ.નો વિશ્વાસઘાત મૂગા મ્હોંએ સાંખી લે તેમ નથી એટલે એ પણ પોતાની રીતે ધાર્યું કરે છે. જો બાઇડનનું વ્હાઇટ હાઉસમાં આવવું સારા સમાચાર ચોક્કસ છે પણ સત્તા છોડતા પહેલાં ટ્રમ્પ કેટલું નુકસાન કરે છે, એનો ક્યાસ કાઢવો આસાન નથી. આ હત્યા પાછળ બે સંભવિત આશય હોઇ શકે છે. અમેરિકામાં શાસક તરીકે આવનારા જો બાઇડન સાથે ઇરાનના સંબંધો સુધરે એવી બધી જ શક્યતાઓનો છેદ ઉડાડવો અને ઇરાનને સામો હુમલો કરવા ઉશ્કેરણી કરવી.

યુ.એસ.એ.ના અધિકારીઓએ કહ્યું છે કે ઇઝરાયલે જ આ વૈજ્ઞાનિકની હત્યા કરાવી છે. ઇરાને પણ ઇઝરાયલની ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદની શૈલીમાં હત્યા થઇ હોવાનું કહ્યું છે પણ ઇઝરાયલ આ મામલે હજી સુધી તો ચૂપ છે.

બાય ધ વેઃ

અમેરિકન્સ, ઇરાન પરના પ્રતિબંધ હટાવવાને મામલે બાઇડનને પૂરો ટેકો આપે એવા ય કોઇ એંધાણ નથી, અને જો ઇરાન કંઇ નહીં કરે તો તેની ધમકીઓ પોકળ સાબિત થશે. અહીં સાપે છછુંદર ગળ્યા જેવા સંજોગો છે, ઇરાન પગલું ભરે કે ન ભરે બન્ને સંજોગોમાં તેની સ્થિતિ મુશ્કેલ છે. આમ તો સાંઇઠે પહોંચેલા વૈજ્ઞાનિકની હત્યાથી જે રાજકીય ઘટનાઓ ઘટશે તેમાં કોઇ ફેર નથી પડવાનો. જે દેશને જેમ કરવું હશે તેમ કરશે જ પણ અહીં ઇરાદાઓ જાહેર કરવાની વાત છે, મેસેજ આપવાની વાત છે જેમાં રાજકીય હત્યા કરનાર રાષ્ટ્રએ ધાર્યું મેળવ્યું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ડિસેમ્બર 2020

Loading

ચલ મન મુંબઈ નગરી—73

દીપક મહેતા|Opinion - Opinion|6 December 2020

સુરતના ફરદુનજીનો ‘ગુજરાતી છાપોખાનો’ શરૂ થયો મુંબઈમાં

પહેલું ગુજરાતી પુસ્તક છપાયેલું મુંબઈમાં

તારીખ-વાર તો જાણવા મળતાં નથી, પણ ઈ.સ. ૧૮૦૮ના કોઈક દિવસે લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ હિન્દુસ્તાનથી લંડન જવા નીકળ્યું. સાથે બીજાં ત્રણ વહાણો હતાં – કલકત્તા, બેન્ગાલ, અને જેન ડચેસ ઓફ ગોર્ડન. આવી મુસાફરીને એ વખતે આઠ-દસ મહિના લાગતા, અને રસ્તામાં જોખમો પણ ઘણાં, એટલે કોઈ વહાણ એકલ-દોકલ ભાગ્યે જ જાય. કાફલામાં જ સફર ખેડે. ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખ સુધી તો બધું હેમખેમ હતું. એ દિવસે ચારે વહાણો મોરેશિયસથી સુખરૂપ રવાના થયાં. પણ પછી ક્યાં ગયાં તેની કોઈને ખબર પડી નહિ. ભયંકર વાવાઝોડામાં ફસાઈને ચારે વહાણ ડૂબ્યાં. લેડી જેન ડંડાસ પર જે મુસાફરો હતા તેમાંના એક હતા ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ. મુંબઈ સરકારના સર્જન જનરલ. હિન્દુસ્તાનની કારકિર્દી પૂરી કરીને સ્વદેશ જવા રવાના થયા હતા. થોડા દિવસ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે પોતાના દફતર પરથી તેમનું નામ દૂર કર્યું.

વહાણ લેડી ડન્ડાસ

પણ આપણી ભાષાના પુસ્તક પ્રકાશનના ઇતિહાસમાંથી તેમનું નામ દૂર નથી થયું, પણ ભુલાઈ તો ગયું છે. ૧૮૦૮માં પહેલવહેલું ગુજરાતી પુસ્તક છપાઈને બહાર પડ્યું તે આ ડો. ડ્રમન્ડનું લખેલું. પુસ્તકનું નામ જરા લાંબું લચક હતું: ‘ઈલસટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરટ્ટ એન્ડ ઈંગ્લિશ લેન્ગવેજિસ’. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આમ, પુસ્તક હતું ત્રિભાષી. પણ જેમાં ગુજરાતી મજકૂર છપાયો હોય એવું તે પહેલું પુસ્તક. પુસ્તકનો હેતુ, અલબત્ત, હિન્દુસ્તાનમાં, ખાસ કરીને મુંબઈ ઇલાકામાં, કામ કરતા અંગ્રેજ અફસરો અને પાદરીઓને બે સ્થાનિક ભાષા જાણવામાં મદદરૂપ થવાનો હતો. આ પહેલું ગુજરાતી પુસ્તક છપાયું હતું મુંબઈમાં. જેણે પહેલી વખત ગુજરાતીમાં સરકારી જાહેરાત છાપેલી તે જ ‘બોમ્બે કુરિયર પ્રેસ’માં. અને તેમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં તે બહેરામજી છાપગરે બનાવેલાં તે જ.

આ પુસ્તકના લેખક ડો. ડ્રમન્ડનો જન્મ ક્યાં અને ક્યારે થયો તેની વિગતો તો મળતી નથી. પણ ૧૭૯૬માં તેઓ મુંબઈ સરકારની તબીબી સેવામાં જોડાયા એવી નોંધ મળે છે. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કીટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના આસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા. આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની પુરોગામી અને માતૃ સંસ્થા ‘લિટરરી સોસાયટી ઓફ બોમ્બે’ની સ્થાપના ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ થઇ, ત્યારે તેના સ્થાપક અંગ્રેજોમાંના એક હતા ડો. રોબર્ટ ડ્રમન્ડ.

ડૉ. રોબર્ટ ડ્રમન્ડના પુસ્તકનું એક પાનું

પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી અને મોડી લિપિમાં સ્વર-વ્યંજનનો કોઠો આપ્યો છે. (શરૂઆતમાં મરાઠી પુસ્તકો છાપવા માટે મોડી લિપિ વપરાતી.) તે પછી સંસ્કૃત વ્યાકરણને અનુસરીને ગુજરાતી અને મરાઠી નામની સાત વિભક્તિનાં એક વચન અને બહુ વચનનાં રૂપ આપ્યાં છે. પછી સર્વનામ અને આખ્યાતનાં રૂપો આપ્યાં છે. ત્યાર બાદ સામાન્ય વપરાશના કેટલાક શબ્દો કે શબ્દ-સમૂહો ગુજરાતી અને મરાઠીમાં આપી અંગ્રેજીમાં તેની સમજૂતી આપી છે. એ વખતે ધૂડી નિશાળોમાં કક્કો, બારાખડી, આંક શીખવવા માટે જે ઉપદેશાત્મક વાક્યો ગોખાવાતાં તે પણ અહીં આપ્યાં છે. ગુજરાતી કહેવતોનો પણ સર્વ પ્રથમ સંગ્રહ – ભલે નાનો – પણ આ પુસ્તકમાં થયો છે. કહેવતોનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. પુસ્તકનો છેલ્લો ભાગ છે ‘ગ્લોસરી.’ આમ તો ગ્લોસરી એટલે શબ્દસૂચિ કે શબ્દસંગ્રહ. પણ અહીં ડ્રમન્ડે જે આપ્યું છે તે તેના કરતાં ઘણું વધારે છે. ‘પારસી’ કે સતી’ જેવા શબ્દો સમજાવવા માટે તો તેમણે નાના નિબંધો જ લખ્યા છે. બાયડી અને બૈરી જેવા શબ્દોના પ્રદેશભેદે થતા અર્થભેદ પણ નોંધ્યા છે. વ્યાકરણ ઉપરાંત ભલે સંપૂર્ણ ન કહી શકાય, તો ય આપણી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે, પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરી છે. જેમાં મરાઠી ભાષામાં મજકૂર છપાયો હોય તેવું મુંબઈમાં છપાયેલું પણ આ પહેલું પુસ્તક છે. જો કે મરાઠીનું પહેલવહેલું પુસ્તક સેરામપુરના મિશન પ્રેસમાં છપાઈને ૧૮૦૫માં પ્રગટ થયું હતું. વિલ્યમ કેરેએ લખેલા એ પુસ્તકનું નામ હતું ‘અ ગ્રામર ઓફ ધ મહરટ્ટ લેન્ગવેજ.’ એ વખતે બંગાળમાં મોડી લિપિના ટાઈપ નહોતા બન્યા, અને એટલે આ પુસ્તક દેવનાગરી લિપિમાં છપાયું છે. મોડી લિપિના ટાઈપ પહેલી વાર વપરાયા તે ડો. ડ્રમન્ડના પુસ્તકમાં.

આમ, ગુજરાતી પુસ્તકના છાપકામ અને પ્રકાશનની શરૂઆત થઇ મુંબઈમાં. અમદાવાદનું પહેલું ગુજરાતી છાપખાનું છેક ૧૮૪૫માં ‘પુસ્તકવૃદ્ધિ કરનાર મંડળી’એ શરૂ કર્યું હતું. ત્યાર બાદ બાજીભાઈ અમીચંદનું અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં છાપખાનાં શરૂ થયાં, પણ ત્રણે થોડા વરસ ચાલી બંધ પડ્યાં. ૧૮૬૩ સુધી અમદાવાદમાં કુલ છ છાપખાનાં હતાં, અને તે બધાં જ લિથોગ્રાફ પદ્ધતિનાં હતાં. અમદાવાદમાં મૂવેબલ ટાઈપ વાપરતું પહેલું છાપખાનું છેક ૧૮૬૩માં શરૂ થયું, અમદાવાદ યુનાઈટેડ પ્રેસ. મુંબઈની મુલાકાત દરમ્યાન કવિ દલપતરામે દફતર આશકારા પ્રેસની મુલાકાત લીધા પછી, તે જોઇને તેમણે બીજા કેટલાક ભાગીદારો સાથે મળીને આ પ્રેસ શરૂ કરેલું. ૧૮૪૫ સુધીમાં છપાયેલાં ૧૨૪ ગુજરાતી પુસ્તકોની માહિતી મળે છે. તેમાંનાં મોટા ભાગનાં મુંબઈમાં અને થોડાં સુરતમાં છપાયેલાં છે.

આમ, પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં એક પારસીએ, બહેરામજી છાપગરે. પણ ગુજરાતી છાપકામનો પાયો મુંબઈમાં નાખ્યો તે તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (પારસી ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એવણનો જન્મ. નામ, ફરદુનજી મર્ઝબાનજી. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા, બેટા. કામે લાગી જાવ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું, અને તે ય પાછું મુંબઈ જઈને. પણ બાપ માન્યા નહિ. એટલે ૧૭૯૯માં પોતાની બધી ચોપડીઓ પોટલામાં બાંધી કોઈને કહ્યા વગર ફરદુનજી ઘરમાંથી ભાગી ગયા. રાત પડી એટલે એક ગામમાં રોકાયા. કકડીને ભૂખ લાગેલી. પણ કોઈ પાસે હાથ લાંબો કેમ કરાય? ગામને ચોરે બેસીને મોટે મોટેથી સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યા. ગામના લોકોને નવાઈ પણ લાગી અને ખુશ પણ થયા. ખાવાનું આપ્યું, રાતવાસાની સગવડ કરી આપી. પણ ફરદુનજી ભાગી ગયા તે પછી તેમના બાપે તેમને શોધવા માણસો મોકલ્યા હતા. બીજે દિવસે તેમને હાથે પકડાઈ ગયા અને પાછા સુરત ભેગા થયા.

ફરદુનજી મર્ઝબાનજી

પણ મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, તે પછી ફરદુનજીએ ફરી ક્યારે ય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’(લાઈબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઈરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. પણ એ વખતે આખા મુંબઈમાં છાપખાનાં હતાં આંગળીને વેઢે ગણાય એટલાં. એમાં કેટલાં પુસ્તકો છપાય? પહેલા છ મહિનાની કુલ આવક રૂપિયો દોઢ!

ફરદુનજીએ છાપીને પ્રગટ કરેલાં પહેલાં બે પુસ્તક

બુક બાઇન્ડર તરીકે બોમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. બહેરામજી છાપગરે બનાવેલાં ગુજરાતી બીબાં પણ કદાચ ફરદુનજીએ જોયાં હોય. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? લાગવગ લગાડીને એક લાકડાનો દાબ-પ્રેસ મેળવ્યો. જેમતેમ કરી છાપવા માટેનો બીજો સરંજામ પણ ઊભો કર્યો. પણ ગુજરાતી બીબાં ક્યાંથી મેળવવાં? ફરદુનજી વિષે લખનારામાંથી ઘણાખરાએ લખ્યું છે કે મિત્ર બહેરામજીની મદદથી તેમણે બીબાં બનાવ્યાં. ઘણી વાર એવું બનતું હોય છે કે દીવા જેવી દેખીતી વાત પણ નજર બહાર જાય. બહેરામજીનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. જ્યારે ફરદુનજી સુરતથી મુંબઈ આવ્યા ૧૮૦૫માં. એટલે એ બંને મિત્રો કઈ રીતે હોઈ શકે, અને બહેરામજી ફરદુનજીને મદદ કઈ રીતે કરી શકે? હકીકતમાં, ફરદુનજીએ એકલે હાથે ગુજરાતી બીબાંનો એક આખો સેટ તીખા લોઢા પર કોતર્યો. પછી પોતે જ તાંબાની તકતીઓ ઠોકી, અને તેને સીસામાં ઓતી ટાઈપ પાડ્યા. પોતે બનાવેલા ટાઈપને ઘસી ઘસીને સાફ કરવા માટે ઘરનાં બૈરાંઓને પણ બેસાડી દીધાં. અને ૧૮૧૨માં પોતાનું છાપખાનું શરૂ કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. અને ફરદુનજીની નમ્રતા – અથવા પારસીઓ કહે તેમ નમનતાઈ – તો જુઓ! કેવળ જાતમહેનતથી જે છાપખાનું ઊભું કર્યું તેને ન પોતાનું નામ આપ્યું, ન પોતાના કોઈ કુટુંબીનું. પ્રેસની બહાર નામનું પાટિયું જ લગાડ્યું નહિ! લોકો એને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખે. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. એ જમાનામાં ઘણી મોંઘી ગણાય એવી બે રૂપિયાની કિંમતે પણ નકલો ચપોચપ વેચાઈ ગઈ. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તક છાપ્યાં: ઓક્ટોબરમાં ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં ‘દબેસ્તાન.’ ગુજરાતી ભાષામાં, એક ગુજરાતીએ, પોતાના છાપખાનામાં છાપેલાં આ પહેલાં પુસ્તકો. પછી તો ગાડી સડસડાટ ચાલવા લાગી. પોતાનાં ‘બનાવેલાં’ વીસેક પુસ્તકો છાપ્યાં. તેમાંનું એક તે ‘પંચોપાખીઆંન’ નામે કરેલો સંસ્કૃત પંચતંત્રનો અનુવાદ. ૧૮૨૪માં પ્રગટ થયેલું આ પુસ્તક તે સંસ્કૃતમાંથી અર્વાચીન ગુજરાતીમાં થયેલ અનુવાદનું પહેલું પુસ્તક. તો બીજાઓનાં ‘બનાવેલાં’ ૨૨ જેટલાં પુસ્તકો ફરદુનજીએ છાપ્યાં. પુસ્તકના લેખક, સંપાદક, અનુવાદક, બધા માટે ફરદુનજી ‘બનાવનાર’ શબ્દ વાપરતા. તેમાંનાં કેટલાંક પુસ્તકોની તો બે-ત્રણ આવૃત્તિ પણ થયેલી! જરૂર પડી તેમ પ્રેસ મોટું કરતા ગયા. દસ વર્ષ જાહોજલાલીનાં વીત્યાં. ગાડી ઘોડા, વાડી-બંગલા, નોકરચાકર. અંગ્રેજ અમલદારો, ‘દેશી’ વેપારીઓ, મુંબઈના અગ્રણીઓ વગેરે સાથે ઊઠતાબેસતા થયા. ‘ફરદુનજીશેઠ’ તરીકે ઓળખાવા લાગ્યા.

પણ ચડતી પછી પડતી. પારસી કેલેન્ડરની કાળગણના અંગે વિવાદ થયો તેમાં ઝંપલાવ્યું. વાત વણસી. બે પક્ષના માણસો વચ્ચે મારામારી પણ થવા લાગી. વિરોધીઓએ ચાલાકીપૂર્વક એક મિલકતના કિસ્સામાં ફરદુનજીને સપડાવ્યા. સાથોસાથ ‘ફરદુનજી ભાંગ્યા’ એવી અફવા ફેલાવી. દેવું ચૂકવવા વાડી-વજીફા વેચ્યા, છાપખાનું વેચ્યું. છતાં બે લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું. એ વખતે દેવાદાર માટેના બ્રિટિશ હકુમતામાંના કાયદા ભારે કડક હતા. એટલે મુંબઈ છોડી પહેલાં વસઈ ગયા, અને ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ત્યાંથી દમણ જઈ વસ્યા. કારણ દમણમાં પોર્ટુગીઝ શાસન હતું તેથી અંગ્રેજ સરકારના કાયદા ત્યાં લાગુ ન પડતા. ૧૮૪૭ના માર્ચ મહિનાની ૨૩મી તારીખે ફરદુનજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.

ફરદુનજી એટલે અર્વાચીન ગુજરાતી ભાષાના પહેલા લેખક, સંપાદક, અનુવાદક, ખબરપત્રી, તંત્રી, મુદ્રક, પ્રકાશક, પુસ્તક વિક્રેતા. એક નહિ, અનેક જ્યોતિને ધારણ કરનાર જ્યોતિર્ધર. અને એમની એક જ્યોતિમાંથી ૧૮૬૭ સુધીમાં તો બીજાં ૫૧ છાપખાનાંની મશાલ મુંબઈમાં પ્રગટી. અને એ ૫૧ છાપખાનાંમાંથી ૩૧ છાપખાનાં ગુજરાતી છાપકામ કરતાં હતાં.

આ જ ફરદુનજીએ વખત જતાં બીજી એક વણખેડી દિશામાં પહેલ કરી, પણ તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 ડિસેમ્બર 2020

Loading

અંગ્રેજો સામે બેસીને વાટાઘાટ કરનારા ગાંધીજી પહેલા ભારતીય નેતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|6 December 2020

ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસની સ્થાપના ૧૮૮૫ની સાલમાં કરવામાં આવી હતી. ભારતમાં અંગ્રેજો સામે સામૂહિક અને સાર્વત્રિક હડતાલની પહેલી ઘટના ૧૯૧૯ની સાલમાં બની હતી. કૉન્ગ્રેસની સ્થાપના પછી ૩૪ વરસે. આટલાં બધાં વરસો કેમ લાગ્યાં? એવું નહોતું કે ગાંધીજી પહેલાના નેતાઓ આવડત વિનાના હતા. દિગ્ગજ નેતાઓ હતા. એવું પણ નહોતું કે તેઓ આંદોલન કરવા નહોતા માગતા. ખાસ કરીને ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળનું કોમી ધોરણે વિભાજન કર્યું ત્યારે તેની સામે શરૂ કરવામાં આવેલી બંગભંગની લડત વખતે જહાલ નેતાઓએ સ્વદેશીનું આંદોલન શરૂ કર્યું હતું, જેને જોઈએ એવી સફળતા મળી નહોતી. લોકમાન્ય તિલકના વતનના શહેર પૂનામાં હડતાલ સંપૂર્ણ નહોતી. મુસલમાનોએ અને બહુજન સમાજે તેમાં ભાગ નહોતો લીધો. એમાં વિનીતોના ટેકેદાર હતા એવા પૂનાના સવર્ણોએ પણ સાથ નહોતો આપ્યો.

વિનય અનુનય કરવાની જગ્યાએ પ્રજા દ્વારા સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ એવો વિચાર એ વખતના નેતાઓને પણ આવ્યો હતો. કૉન્ગ્રેસના વિનીત નેતાઓ આવેદનો-નિવેદનો કરીને રાજકારણ કરતા હતા, પરંતુ જહાલ નેતાઓ તો આંદોલનો કરવાં જોઈએ એમ માનતા હતા. અસહકાર અને ના-કરની લડતનો શ્રેય ગાંધીજીને આપવામાં આવે છે અને જ્યાં સુધી આંદોલનનો સવાલ છે ગાંધીજી એ શ્રેયના અધિકારી પણ છે, પરંતુ આ કલ્પનાનો શ્રેય ગાંધીજીને નથી જતો. ગાંધીજીની પહેલા શ્રીઅરવિંદ ઘોષે કલ્પના રજૂ કરી હતી કે ભારતની પ્રજા જો અંગ્રેજોને કરવેરા ચુકવવાનું બંધ કરે અને અસહકાર કરે તો આ સરકાર ટકી ન શકે. વાત તો સાચી હતી અને ભારતમાં પહેલી વાર કહેવાઈ હતી, પરંતુ એ સમયના જહાલ નેતાઓ તેનો અમલ નહોતા કરી શક્યા. એ કલ્પના કલ્પના જ રહી હતી.

શા માટે? ભારતીય પ્રજાને સામૂહિક અને સાર્વત્રિક તાકાત બતાવતા ૩૪ વરસ કેમ લાગ્યાં? ગાંધીજીની પહેલાના નેતાઓ શક્તિશાળી હોવા છતાં અને પ્રજાની ભાગીદારીવાળા આંદોલનની કલ્પના મનમાં ઘોળાતી હોવા છતાં કેમ તેનો અમલ નહોતા કરી શક્યા? આ લાખ રૂપિયાનો સવાલ છે. ગાંધીજીમાં એવું શું હતું અને ગાંધીજીએ એવું શું પરિવર્તન કર્યું કે કૉન્ગ્રેસની સ્થાપના પછી જે ૩૪ વરસ શક્ય ન બન્યું તે તેમણે કરી બતાવ્યું?

એક તો તેમનું વ્યક્તિત્વ. કરિશ્મા અને વાક્પટુતા જેવા બાહ્ય માપદંડો લાગુ કરવામાં આવે તો ગાંધીજી તેમના પુરોગામીઓ, સમકાલીનો અને અનુગામીઓ કરતાં ક્યાં ય પાછળ હતા. તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જ નહોતું. આમ છતાં ય તેઓ પ્રજાહ્રદયને જીતી શક્યા એનું કારણ હતું તેમની પ્રામાણિકતા અને સહ્રદયતા. લોકોને ખાતરી થઈ ગઈ કે આ માણસ જે વિચારે છે એ જ બોલે છે અને જે બોલે છે એ જ કરે છે. લોકોને ખાતરી થઈ ગઈ કે આ માણસ પહેલા પોતે કરે છે અને પછી બીજા પાસે કરાવે છે અથવા કરવાની સલાહ આપે છે. લોકોને એ વાતની પણ ખાતરી થઈ ગઈ કે આ માણસ આપણી ભાષામાં આપણે સમજી શકીએ એમ બોલે છે અને આપણી વચ્ચે આપણી જેમ જ રહે છે. ગાંધીજીના સમકાલીન નેતાઓના મનમાં ગડમથલ ચાલતી હતી કે આ માણસ રાજકારણી છે કે સંત, પણ લોકોએ તો તેમનો સંત તરીકે સ્વીકાર કરી લીધો હતો.

આમ પહેલું કારણ હતું તેમનું અનોખું વ્યક્તિત્વ. બીજું કારણ હતું નિર્ભયતા. ગાંધીજી વિષે વિદ્વાનો દ્વારા હજારો પુસ્તકો લખાયાં છે અને જેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા એવા બીજા હજારો નેતાઓએ પોતપોતાની ભાષામાં આત્મકથા કે સંસ્મરણો લખ્યાં છે. આમાં એક ચીજ અપવાદ વિના દરેકે લખી છે કે ગાંધીજીએ ભારતીય પ્રજાને નિર્ભય થતા શીખવાડ્યું. અપવાદ વિના. હું પૂરી જવાબદારી સાથે આ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું. બનારસનું ભાષણ હોય કે ચંપારણનો સત્યાગ્રહ; પ્રામાણિકતા, સહ્રદયતા, કર્મઠતા અને નિર્ભયતાનો તેમાં પરિચય થયો હતો. પ્રજાની ભાષા એ એમની ભાષા અને પ્રજાનો શ્વાસ એ એમનો શ્વાસ એટલો પરિચય તો થઈ ગયો હતો, ચંપારણે એ વાતનો પણ પરિચય કરાવ્યો કે આ માણસ લીધું કામ છોડતો નથી અને કોઇથી ડરતો નથી.

બે ઘટના નોંધવા જેવી છે. ગાંધીજીએ ચંપારણ પહોંચીને કેટલાક સાથીઓને ચંપારણ બોલાવ્યા હતા એમાં એક તેમના મિત્ર સી.એફ. એન્ડ્રુઝ પણ હતા. એન્ડ્રુઝ અંગ્રેજ એટલે ચંપારણના અંગ્રેજ અધિકારીઓ અને ગળીનું વાવેતર કરાવનારા અંગ્રેજ કોઠીવાળાઓ તેમની સાથે માનમર્યાદા જાળવીને સલુકાઇવાળું વર્તન કરતા. બિહારના નેતાઓએ એન્ડ્રુઝને આગળ રાખવાનું શરૂ કર્યું. થોડા દિવસ પછી એન્ડ્રુઝને જવાનું થયું ત્યારે બિહારના નેતાઓએ એન્ડ્રુઝને વિનંતી કરી કે તેમણે રોકાઈ જવું જોઈએ. એન્ડ્રુઝે કહ્યું કે જો ગાંધીજી આજ્ઞા આપતા હોય તો તે  રોકાઈ જવા તૈયાર છે. બિહારના નેતાઓ જ્યારે એન્ડ્રુઝને રોકવા માટેની વિનંતી સાથે ગાંધીજી પાસે ગયા ત્યારે ગાંધીજી પામી ગયા હતા કે તેઓ શા માટે એન્ડ્રુઝને રોકવા ઈચ્છે છે. તેમણે એન્ડ્રુઝને કહ્યું કે તેઓ કાલે જતા હોય તો આજે જ જતા રહે. ગાંધીજીએ કહ્યું કે ગોરા એન્ડ્રુઝની ઢાલનો ઉપયોગ કરવો એ કાયરતા છે. આત્મવિશ્વાસ સાથે અંગ્રેજો સાથે વાત કરવી જોઈએ અને તેઓ જો અપમાનિત કરે તો મોઢામોઢ વિરોધ કરવો જોઈએ.

બીજો પ્રસંગ વિન્સ્ટન ચર્ચિલનો છે. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ પછી ગાંધીજીની એ સમયના વાઇસરોય લોર્ડ અર્વિન સાથે ગવર્નર હાઉસ(અત્યારનું રાષ્ટ્રપતિભવન)માં વાટાઘાટો શરૂ થઈ હતી. ગાંધીજી આવે ત્યારે લોર્ડ અર્વિન તેમનું બહાર સ્વાગત કરે, હાથ પકડીને ગવર્નર હાઉસના પગથિયાં ચડવામાં મદદ કરે અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સાથે ગાંધીજી એક જ સ્તરે આંખ મિલાવીને વાત કરે, એવી તસ્વીરો જોઇને વિન્સ્ટન ચર્ચિલ ચિડાઈ ગયા હતા. એક નગ્ન ફકીરની આટલી ગુસ્તાખી કે તે માગણીઓનું નિવેદનપત્ર આપવાની જગ્યાએ વાટાઘાટો કરે? ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં ભારતીય નેતાઓ આવેદન-નિવેદનો કરતા હતા, વાટાઘાટો નહોતા કરતા. અંગ્રેજો સાથે સામ સામે બેસીને વાટાઘાટો કરનારા ગાંધીજી પહેલા ભારતીય નેતા હતા.

ત્રીજું કારણ હતું રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના જેની વાત હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 06 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0642,0652,0662,067...2,0702,0802,090...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved